Opinion Magazine
Number of visits: 9663876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિકાસ એ જ વિનાશ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 August 2025

રવીન્દ્ર પારેખ

ભારતમાં વિકાસનો રાફડો ફાટ્યો છે ને તેને નામે ઘણું ખરુંખોટું ચાલી રહ્યું છે. વિકાસ જરૂરી છે, એની ના જ નથી, પણ ક્યાં ને કેવો કરવો એની કશી નક્કર વિચારણા નથી. આડેધડ વિકાસ કે તેની વાતો એ ભારતીય લાક્ષણિકતા છે. આપણો વિકાસ પર્યાવરણને ભોગે છે ને તેનો ભોગ નિર્દોષ ને અજાણ માણસો બનતા હોય છે. એક વાત સ્પષ્ટ છે કે પ્રકૃતિ પોતાની સાથેની કોઈ પણ છેડછાડ સહન કરતી નથી ને સમય આવ્યે તે કહેવાતા વિકાસને વિનાશમાં ફેરવી શકે છે. આ વાત ફરી એકવાર ઉત્તરકાશીનાં ધરાલી ગામને નષ્ટ કરીને પ્રકૃતિએ સિદ્ધ કરી દીધી છે.

પહાડી રાજ્ય ઉત્તરાખંડનાં ઉત્તરકાશીમાં મંગળવારે અઢીએક કલાકના ગાળામાં ધરાલી, હર્ષિલ અને સુખી એમ ત્રણ ગામોમાં વાદળો ફાટવાને કારણે આવેલા જળપ્રલયે ભયંકર તારાજી સર્જી છે. ધરાલી હિમાલયની તિરાડ પર આવેલું છે, એટલે દસેક વર્ષમાં તે ત્રણેક વખત નાશ પામ્યું છે. ભૂસ્તર શાસ્ત્રીઓએ ધરાલીને બીજે ખસેડવાની સલાહ આપી છે, પણ આટલી તબાહી પછી પણ તે બીજે ખસેડી શકાયું નથી. ગંગોત્રી ધામના મુખ્ય પડાવ, ધરાલી કસ્બામાં આવેલું બજાર, ખીરગંગા નદીમાં આવેલાં વિનાશક પૂરને કારણે ધોવાઈને નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયું છે. લોકો રોજિંદા કામમાં પ્રવૃત્ત હતા, ત્યાં બપોરના દોઢેકના સુમારે ઉપરનાં જળગ્રહણ ક્ષેત્રમાં ભયંકર ગર્જના સાથે વાદળ ફાટ્યું ને 34 સેકન્ડમાં તીવ્ર જળપ્રવાહ બધું જ તાણી ગયો. અહીં આવેલાં બાવીસેક રહેણાંક મકાનો, દુકાનો ને હોટેલો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. બધું વહી ગયું છે ને રહી ગયું છે તેનો કોઈ અર્થ રહ્યો નથી. રેલનાં પાણીમાં વહેવાને કારણે ને કાટમાળમાં દટાવાને કારણે દસ લોકોનાં મોત થયાં છે ને 100થી વધુ લોકોની તો ભાળ જ મળતી નથી. એક જ દિવસમાં વાદળ ફાટવાની ત્રણ ઘટના બનતાં તબાહી વધી છે. હર્ષિલમાં પણ વાદળ ફાટવાને કારણે સૈનિકોના કેમ્પમાં પાણી ભરાઈ ગયું છે ને કેમ્પ લગભગ તણાઈ ગયો છે ને કેટલાક સૈનિકો લાપતા છે. અહીં પણ ભારે તબાહી થઈ છે. ચારધામ યાત્રાના આ સમયમાં હાનિ વધુ હોઈ શકે છે. રાહત કાર્યો ચાલે છે, પણ ભારે વરસાદને કારણે તેમાં વિલંબ થાય છે.

ઉત્તરાખંડમાં આફતની આ પહેલી ઘટના નથી. 2021માં ચમોલી જનપદમાં નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન  પાસે ગ્લેશિયર તૂટવાનું બન્યું હતું. એને લીધે ધોળી ગંગા નદીમાં રેલ આવી હતી અને ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં કામ કરી રહેલા 41 શ્રમિકો ફસાયા હતા ને 17 દિવસની સખત મહેનત પછી એમને બચાવાયા હતા. નિષ્ણાતોનું ત્યારે પણ કહેવું હતું કે પર્વતીય ક્ષેત્રો જોડે છેડછાડ કરવા જેવી નથી. 2023માં જોશીમઠમાં ભૂસ્ખલન થતાં ઘણી મોટી વસ્તી વિસ્થાપિત થઈ હતી. 2013માં કેદારનાથમાં મચેલી તબાહી કોઈ ભૂલ્યું નથી. 16 અને 17 જૂન, 2013ને રોજ મૃત્યુનું જે ભયાનક તાંડવ ખેલાયું હતું તેમાં 4,000થી વધુ લોકોના જીવ ગયા હતા.

આ ઉપરાંત  હિમાચલ-કિન્નોરમાં પૂરમાં 2 યાત્રીઓનાં મોત થયાં છે. કૈલાસયાત્રા રોકી દેવાઈ છે.  આઈ.ટી.બી.પી.એ 413 યાત્રાળુઓને બચાવ્યા છે. ઉત્તરાખંડના પૌડીમાં પણ વાદળ ફાટ્યું છે. હિમાચલ પ્રદેશના મંડીમાં બુધવારે ભૂસ્ખલનના સમાચાર છે. આ અકસ્માતને કારણે ચંડીગઢ-મનાલી ચાર રસ્તાના ફ્લાયઓવર પર તિરાડો પડી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશના 533 રસ્તાઓ બંધ છે. ઉત્તર પ્રદેશના 24 જિલ્લાઓના 1,245 ગામો રેલની આફતનો સામનો કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં 360 ઘરો ધરાશાયી થયાં છે ને 16 લોકોનાં મોત થયાં છે. પહાડોમાં આવી પ્રાકૃતિક આપદાઓનો કોઈ પાર નથી, પણ તેમાં ઉત્તરોત્તર થઈ રહેલો વધારો ચિંતા અને જોખમ વધારે છે.

આવી ઘટનાઓમાં પ્રકૃતિ જવાબદાર લાગે, પણ હકીકતે જવાબદાર મનુષ્ય છે. ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જને કારણે ઋતુઓ અને વાતાવરણમાં ઝડપી ફેરફારો અનુભવાય છે. 100 મિ.મી. વરસાદ એકદમ જ પડે તો તણાવું એ જ એક પર્યાય બચે છે. ધરતીકંપ, સુનામી જેવી ઘટનાઓની આગાહી થઈ શકે છે, પણ વાદળ ફાટવાની ઘટના એટલી અણધારી છે કે તેની આગાહી થઈ શકતી નથી, પરિણામે તબાહી વધુ હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે વાદળ ફાટવાની ઘટનાઓમાં ત્રણ કારણો મુખ્ય છે. પહેલું – ટિહરી બંધ, બીજું – ટૂંકું થતું જતું ચોમાસું ને ત્રીજું – ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં જંગલોની અછત. ટિહરી બંધને કારણે ઘણી મોટી માત્રામાં જળસંચય થાય છે ને તેથી વાદળો બનવાની પ્રક્રિયામાં પણ વધારો થાય છે. સમગ્ર ઉત્તરાખંડમાં નદીના કુદરતી પ્રવાહને રોકીને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એટલે પણ, પ્રકૃતિનું સંતુલન ખોરવાયું છે. અસંખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સે પહાડોને ખોખલા કરી દીધા છે. એક તો બેફામ વસ્તી, યાત્રીઓનો ધસારો, તેથી વધતું પ્રદૂષણ, આડેધડ થતાં બાંધકામો ને ઘટતી જતી હરિયાળી જેવી ઘણી બાબતો પ્રકૃતિને કારણ વગર ઉશ્કેરે છે ને તે વિફરે છે ત્યારે સામે કંઇ ટકતું નથી. જળને વહેતું અટકાવીને તેના માર્ગ પર સિમેન્ટી સ્ટ્રક્ચર્સ ખડાં કરી દેવાય તો પાણી વહે ક્યાંથી? આવું થાય ને જળ ન વહે તો માણસો વહી જાય છે. આવાં કામ આફતને આમંત્રણ આપે છે.

ઉત્તરાખંડની આ સમસ્યા પાંચેક દાયકા જૂની છે, પણ પર્વતોમાં વિકાસ, પર્વતોના સ્વભાવને સમજ્યા વગર થાય તો તે પોતાનો મિજાજ ગુમાવે છે. 1976માં તે વખતના ગઢવાલના કમિશ્નર એમ.સી. મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ જોશીમઠને બચાવવા તાત્કાલિક કંઇ કરવાની ભલામણ કરેલી. તેમણે નવાં નિર્માણ પર પ્રતિબંધ મૂકવાની અને હરિયાળી વધારવાની વાત કરેલી, પણ આજે પચાસ વર્ષોમાં નથી નિર્માણ ઘટ્યાં કે નથી હરિયાળી વધી. આ સ્થિતિ વિકાસને વિનાશમાં ન બદલે તો જ આશ્ચર્ય થાય. પહાડમાં હાડ વધે તો ઝાડ ઘટે એ કહેવાની જરૂર નથી. પર્વતોની આટલી ઉપેક્ષા સહ્ય નથી. ગ્લોબલ વોર્મિંગમાં એક સેલ્સિયસનો વધારો થાય તો વરસાદમાં લગભગ 15 ટકાનો વધારો થાય છે. વળી ઉત્તરાખંડમાં 1,200થી વધુ નાનાંમોટાં હિમનદી-તળાવો છે. એમાં વરસાદ વધે તો નીચે રહેતાં લોકો માટે જોખમો વધે છે. આ બધું રાતોરાત ઊભું થયું ને આફત આવી એવું નથી. આ સમસ્યાઓ દાયકાઓથી છે. કુદરત તો કાળો કેર વર્તાવી જ શકે, પણ માણસ જાત એવી છે કે તે પ્રકૃતિને વશમાં કરી પોતાની પ્રગતિના વાવટા ફરકાવવા મથે છે ને જ્યારે અતિ થાય છે ત્યારે પ્રકૃતિ તણખલાની જેમ માણસને ફગાવી દે છે.

આટલું વીતે છે, પણ આપણે અનુભવોમાંથી કંઇ શીખતા નથી. માણસને પાઠ ભણાવવા 2013ની કેદારનાથની ઘટના જ પૂરતી છે, પણ આપણે સુધરવાનું તો દૂર, એવી જ બીજી દુર્ઘટનાના સંજોગો ઊભા થવા દઈએ છીએ. એવું ન હોત તો ચમોલીની, જોશીમઠની ઘટનાઓ ઘટી ન હોત ને એવું ય નથી કે ધરાલીમાં થયું છે તે ફરી થશે જ નહીં, બલકે, વધુ તારાજી સર્જતી ઘટના બને એમ બને. સવાલ તો એ છે કે ઉત્તરકાશીમાં આટલાં મોટાં નિર્માણ વગર આપણે શું રહી જઈએ છીએ કે આટલું નુકસાન વેઠવાની સતત તૈયારી રાખવી પડે? એ ઉપરાંત આ સ્થળો ધાર્મિક યાત્રા સ્થળો પણ છે. એટલે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટે છે ને એટલો કચરો કરે છે કે પવિત્ર અને સ્વચ્છ સ્થળો પ્રદૂષિત થયાં વગર રહેતાં નથી. પર્યાવરણ આ રીતે પ્રદૂષિત થતું રહેશે તો સમય જતાં ગ્લેશિયરો ઘટશે. એને લીધે જે પરિસ્થિતિ સર્જાશે તેની તો કલ્પના જ કરવાની રહે છે, કારણ એ પછી કલ્પના કરનારા પણ ન રહે એમ બને …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑગસ્ટ 2025

Loading

માણસ આજે (૩૧) 

સુમન શાહ|Opinion - Opinion|7 August 2025

સુમન શાહ

આજે દરેક માણસ યુદ્ધગ્રસ્ત નથી પણ ત્રસ્ત જરૂર છે. રશિયા-યુક્રેઇન, ગાઝા-ઇઝરાઇલ, સુદાન, સિરિયા, મ્યનમાર, યેમેન, હયિતિ, અફઘાનીસ્થાન, કૉન્ગો, ઇથિયોપિયા, માલિ કે નાઇજેરિયામાં જુદા જુદા અને નાનામોટા સ્વરૂપે યુદ્ધ અથવા યુદ્ધકીય પરિસ્થતિ, બળવા, લડાઈઓ કે સંઘર્ષો પ્રવર્તે છે. બીજું વિશ્વયુદ્ધ ભલે ને 1945માં પત્યું!

યુદ્ધની કથાને રમણીય કહેનારાઓની વાત મને એ રીતે સાચી લાગે છે કે પરોક્ષપણે તેઓ સૂચવે છે કે કથા રમણીય છે, નહીં કે યુદ્ધ. 

અમેરિકાએ 9 ઑગસ્ટ, 1945ના રોજ જાપાનના નાગાસાકી શ્હૅર પર બીજો અણુબોમ્બ ફેંક્યો ત્યારથી એક પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે કે શું બીજા વિશ્વયુદ્ધને ખતમ કરવા આટલા મોટા પાયે મૉત અને વિનાશને નૉંતરવાંની ખરેખર જરૂરત હતી? 

6 ઑગસ્ટ, 1945એ અમેરિકાના B-29 બૉમ્બર એનોલા ગેએ જાપાનના હિરોશિમા શ્હૅર પર ‘લિટલ બૉય’ નામનો પહેલો અણુબૉમ્બ ફેંકેલો. તેના માત્ર 16 કલાક પછી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવેલું. એમાં પરમાણુ સંશોધન કાર્યક્રમ મેનહટન પ્રોજેક્ટ (Manhattan Project) વિશે માહિતી હતી.

ઉપરાન્ત, એમાં ટ્રુમેને જાપાન માટે પરમાણુ હથિયારોથી ઊભા થયેલા ખતરા પર ભાર મૂક્યો હતો. તે સમયે અમેરિકાનું યુદ્ધમાં બાકી રહેલું એક માત્ર શત્રુ જાપાન હતું. ટ્રુમેને લખ્યું હતું કે જો જાપાનીઓ પોટ્સડેમ ઘોષણાપત્ર(Potsdam Declaration)માં સાથી નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી બિનશરતી શરણાગતિનો સ્વીકાર નહીં કરે, તો તેઓએ —

“આકાશમાંથી એવા વિનાશની અપેક્ષા રાખવી જોઈશે, જેવો વિનાશ આ પૃથ્વી પર પહેલાં ક્યારે ય જોવા મળ્યો નથી.”

ટ્રુમેને એ નિવેદન બહાર પાડ્યું ત્યાં સુધીમાં બીજો અણુહુમલો પહેલેથી જ ચાલી રહ્યો’તો. રાષ્ટ્રપતિએ, જેવું હવામાન અનુકૂળ થાય કે તરત કોકુરા (હાલનું કીટાક્યુશુ) અને નિગાતા શ્હૅરો પર વધારાના બૉમ્બ ફેંકવાની મંજૂરી આપી હતી. 9 ઑગસ્ટ, 1945ના રોજ વહેલી સવારે, ‘બોક્સકાર’ નામનું B-29 વિમાન પશ્ચિમ પ્રશાન્ત મહાસાગરમાં ટિનિયન ટાપુ પરથી ઉડાન ભરે છે, એમાં લગભગ 10,000 પાઉણ્ડનો પ્લુટોનિયમ આધારિત બૉમ્બ છે, એનું નામ પાડ્યું છે, ‘ફૅટ મૅન’. પેલો લિટલ બૉય ને આ ફૅટ મૅન! 

‘લિટલ બૉય‘ અને નીચે ‘ફૅટ મૅન‘.

એ બૉમ્બ કોકુરા શ્હૅર તરફ જઈ રહ્યો’તો જ્યાં જાપાની સૈન્યનો મોટો ભંડાર હતો. પણ બોક્સકારના ક્રૂને કોકુરા વાદળોથી ઢંકાયેલું જણાય છે અને તેઓ બીજા લક્ષ્ય નાગાસાકી તરફ જવાનો નિર્ણય લે છે. ‘ફૅટ મૅન’ બૉમ્બ સવારે 11:02 વાગ્યે 1,650 ફૂટની ઊંચાઈએથી ફૂટે છે. ત્રણ દિવસ પહેલાં હિરોશિમામાં ‘લિટલ બોય’થી જેટલા લોકો મર્યા હતા તેના કરતાં એથી 185 માઈલના અંતરે આવેલા નાગાસાકીમાં અડધા લોકો મર્યા, તેમછતાં, એની શક્તિ 21 કિલોટન એટલે કે 40 ટકા વધુ હોવાનો અંદાજ હતો. પણ તેની અસર તો વિનાશક હતી: લગભગ 40,000 લોકો તરત જ માર્યા ગયેલા, અને ત્રીજા ભાગનું નાગાસાકી ભસ્મ થઈ ગયેલું.

સત્તાવાર અણુબૉમ્બ વાપરવાનું કારણ આપવામાં આવ્યું હતું: અણુબૉમ્બનો ઉપયોગ પ્રશાન્ત મહાસાગરમાં ચાલી રહેલા યુદ્ધને ટુંકાવવા, જાપાન પર યુ.એસ.ના આક્રમણને ટાળવા, અને હજારો અમેરિકન સૈનિકોના જીવ બચાવવા માટે કરવામાં આવ્યો છે.

દુષ્ટ સત્તાધીશો કેવી કુટીલ નીતિથી દોરવાઈને સાહિત્યિક કહેવાય એવાં રૂપકો પ્રયોજે છે – લિટલ બૉય! – ફૅટ મૅન! અને કેવાં વિરોધી પદોને જોડે છે – યુદ્ધ ‘ટુંકાવવા’ વિનાશ! પોતાનાઓના જીવ ‘બચાવવા’ હજારો નિર્દોષોની ‘હત્યા’! પોતાના આક્રમણને ‘ટાળવા’ ‘બૉમ્બમારો’! 

આલ્બેર કામૂને વિશ્વની રચનામાં અસંગતિ absurdity જોવા મળી એ એમનું દર્શન જરા ય નિરાધાર ન્હૉતું. 

= = =

(060825USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઑલ ગૂડ થિંગ્સ આર વાઇલ્ડ એન્ડ ફ્રી : થૉરો

સોનલ પરીખ|Opinion - Opinion|7 August 2025

બહુમતીથી થતાં કાર્યોમાં ન્યાય હોય જ એ જરૂરી નથી. એવી જાતનું રાજ્ય કેમ ન થઈ શકે જ્યાં ઘણા માણસો કહે તેનો અમલ થવાને બદલે સાચું હોય તેનો જ અમલ થાય? સત્ય મહત્ત્વનું છે, કાયદો નહીં. હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં ખોટું થતું હોય તેને દૂર કરવાને દરેક માણસ બંધાયેલો છે : પણ હું એમ ચોક્કસ કહું કે તે પોતે ખોટામાં ભાગ ન લેવાને તો બંધાયેલો છે જ 

— હેનરી ડેવિડ થૉરો 

હેનરી ડેવિડ થૉરો

‘જો સરકારનું માળખું એવી જાતનું હોય કે તમારે અન્યાય કરવા અથવા સહેવા મજબૂર બનવું પડતું હોય, તો હું કહું છું કે એવો કાયદો તોડો.’ એણે એ કહ્યું જ નહીં, કર્યું પણ ખરું. સરકારે યુદ્ધવેરો નાખ્યો તે ન ભર્યો અને જેલમાં ગયો. મળવા આવેલા મિત્રે પૂછ્યું, ‘તું જેલમાં કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘તું જેલની બહાર કેમ છે?’

મળવા ગયેલા મિત્ર તે રાલ્ફ વાલ્ડો ઈમર્સન અને જેલમાં પુરાયેલા હતા તે હેન્રી ડૅવિડ થૉરો. ઓગણીસમી સદીના અમેરિકાની વિખ્યાત બૌદ્ધિક, વિચારક, ફિલોસોફર, અગ્રણી ટ્રાન્સડેન્ટાલિસ્ટ અને સર્જક એવી આ બન્ને વિશ્વપ્રસિદ્ધ હસ્તીઓ પૈકી થૉરોના જન્મદિન નિમિત્તે એમને સ્મરીએ. 

થોરોનો જન્મ 1817માં, મહાત્મા ગાંધીનો 1869માં. મહાત્મા ગાંધીને સવિનય કાનૂનભંગનો વિચાર થોરો પાસેથી મળ્યો હતો. સવિનય કાનૂનભંગ એટલે અનૈતિક કાયદાનો વિનયપૂર્વક ભંગ. સત્યાગ્રહ શબ્દ પહેલવહેલો વાપર્યાના વર્ષે એટલે કે 1906માં થૉરોના બહુચર્ચિત પુસ્તક ‘વૉલ્ડન’થી ગાંધીજી તેમનાં લખાણોના પરિચયમાં આવ્યા. એ પછીના વર્ષે થૉરોના લેખ ‘સિવિલ ડિસઓબિડિયન્સ’નો અનુવાદ કરી એમને ‘ઈંડિયન ઓપિનિયન’માં છાપ્યો. એની પુસ્તિકાઓ બહાર પાડી અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમ્યાન તેનો બરાબર ઉપયોગ કર્યો. પશ્ચિમના મૂડીવાદની ટીકા કરતા થૉરોના ‘લાઈફ વિધાઉટ પ્રિન્સિપલ’ લેખથી પણ ગાંધીજી પ્રભાવિત થયા હતા. ગાંધી આશ્રમમાં થૉરો નિયમિત વંચાતો અને ચર્ચાતો. 

થૉરો જ્યાંનો વતની હતો તે અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યની સરકાર ગુલામીપ્રથાની ટેકેદાર હતી. તેણે મેક્સિકો સામે જે નીતિથી યુદ્ધ જાહેર કર્યું તે થૉરોને ન્યાયની વિરુદ્ધ લાગ્યું એથી એણે યુદ્ધવેરો આપવાનો અને એમ કરીને સરકારની અન્યાયી નીતિમાં ભાગીદાર બનવાનો ઈનકાર કર્યો. પરિણામે તેને જેલ જવું પડ્યું. જેલમાં તેના મનમાં જે વિચારો આવ્યા તેનું પરિણામ તે પાછળથી ‘સિવિલ ડિસઓબિડિયન્સ’ નામે જાણીતો થયેલો ‘રેઝિસ્ટન્સ ટુ સિવિલ ગવર્ન્મેન્ટ’ નામનો લેખ. તેની પાછળની પ્રેરણા 1819માં લખાયેલું શેલીનું ‘ધ માસ્ક ઑફ એનાર્કી’ હતું, જેમાં તેણે એ વખતના અન્યાયી શાસનનો ચહેરો ખુલ્લો પાડ્યો હતો. 

છૂટ્યા પછી તેણે નાગરિકોનાં કર્તવ્યો અને અધિકારો પર વ્યાખ્યાનો આપ્યાં. ઇતિહાસ કહે છે કે અમેરિકામાં ગુલામી બંધ થવાના મુખ્ય કારણોમાંનું એક એ થૉરોનું જેલ જવું અને જેલમાંથી નીકળ્યા બાદ આ લેખનું પ્રગટ થવું એ હતું. આ લેખમાં થોરોએ કહ્યું છે કે ‘હું ચોક્કસપણે માનું છું કે લોકો પર રાજ્યસત્તાનો અંકુશ જેટલો ઓછો હોય તે સારું. આદર્શ સ્થિતિ તો રાજ્યસત્તામાંથી સંપૂર્ણપણે મુક્તિની છે, પણ હાલ તુરત તો હું એ નહીં, સારો કારભાર માગું છું, જે માગવાની દરેક માણસની ફરજ છે.’ 

વિશ્વમાં આજે બહુમતીવાદ ખૂબ વકર્યો છે ત્યારે થૉરોના શબ્દો યાદ આવે, ‘બહુમતીથી થતાં કાર્યોમાં ન્યાય હોય જ એ જરૂરી નથી. એવી જાતનું રાજ્ય કેમ ન થઈ શકે જ્યાં ઘણા માણસો કહે તેનો અમલ થવાને બદલે સાચું હોય તેનો જ અમલ થાય? સત્ય મહત્ત્વનું છે, કાયદો નહીં. હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં ખોટું થતું હોય તેને દૂર કરવાને દરેક માણસ બંધાયેલો છે : પણ હું એમ ચોક્કસ કહું કે તે પોતે ખોટામાં ભાગ ન લેવાને તો બંધાયેલો છે જ.’ 

ટૉલ્સટૉય, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અને જહોન કેનેડી પણ થોરોથી પ્રભાવિત હતા. થોરો માત્ર 44 વર્ષ જીવ્યા. આટલા ટૂંકા જીવનકાળમાં પોતાના વિચારો અને લેખનથી તેઓ વિશ્વના જ્ઞાનજગતમાં તેજલિસોટા સમા પુરવાર થયા અને શાશ્વત એવો પ્રભાવ ઊભો કરી શક્યા. ‘સિવિલ ડિસઓબિડિયન્સ’ ઉપરાંત એમની સૌથી વધુ જાણીતી કૃતિ છે ‘વૉલ્ડન’. થૉરોએ ખૂબ લખ્યું છે. ઘણુંખરું મરણોપરાંત પ્રગટ થયું છે અને 20 બૃહદ્દ ગ્રંથોમાં સમાવાયું છે. 

મેસેચ્યુસેટ્સના કૉન્કૉર્ડમાં, ફ્રેન્ચ મૂળના એક પરિવારમાં થોરોનો જન્મ. થોરો હાર્વર્ડમાં ભણ્યા; પણ ચર્ચ, લૉ, મેડિસિન કે બિઝનેસ જેવા પ્રચલિત વ્યવસાયોએ એમને આકર્ષ્યા નહીં. ગ્રેજ્યુએટ થયા પછી ભાઈ જૉન સાથે એમણે કૉન્કૉર્ડ એકેડમી ખોલી જેમાં પ્રકૃતિ સાથે નિકટતા અને સ્થાનિક વ્યવસાયોને ઓળખવા એવા વિષયો સામેલ હતા. 

આ ગાળામાં એક મિત્ર દ્વારા થોરોની ઓળખાણ રાલ્ફ વાલ્ડો ઈમર્સન સાથે થઈ. ઈમર્સન થોરોથી 14 વર્ષ મોટા હતા. એમણે થોરોમાં ખૂબ રસ લીધો, ત્યારના મોટા લેખકો-ચિંતકો સાથે થોરોની ઓળખાણ કરાવી. એમના કહેવાથી જ થોરોએ ‘ધ ડાયલ’ નામના ત્રિમાસિકમાં નિયમિત લખવા માંડ્યું. 

થૉરો હંમેશાં પ્રકૃતિ અને માનવીના સંબંધ વિશે વિચારતા. તેમને ટ્રાન્સડેન્ટાલિઝમમાં ખૂબ રસ પડ્યો. ટ્રાન્સડેન્ટાલિઝમ, 1820-30માં ન્યૂ ઇંગ્લેન્ડમાં બુદ્ધિવાદની સામે રજૂ થયેલી વિચારણા હતી, જેના પાયામાં  માનવીમાં મૂળભૂત રૂપે રહેલી સારપ અને પ્રકૃતિના શુભતત્ત્વો પરની શ્રદ્ધા હતી. ઈમર્સન, ફૂલર અને ઍલ્કોટ તેના પ્રણેતા હતા. તેઓ માનતા કે લોકો આત્મનિર્ભર હોય ત્યારે જ માણસ તેના શ્રેષ્ઠ રૂપમાં હોય છે. 

થૉરોએ સાદું જીવન અપનાવ્યું. વૉલ્ડન તળાવ પાસે ઈમર્સને વૃક્ષાચ્છાદિત ભૂમિ ખરીદી હતી. 1845માં થૉરો ત્યાં ગયા ને એક કુટિર બાંધીને રહ્યા. વૉલ્ડન તળાવ કોન્કોર્ડ ગામથી દોઢબે કિલોમીટરના અંતરે દસથી બાર હજાર વર્ષ પહેલા હિમનદીનું વહેણ ખસવાથી રચાયું છે. ત્યાં રહેવાનો તેમનો ઉદ્દેશ જીવનમાં સાદગી લાવવાનો, ખર્ચ ઘટાડી દેવાનો અને લેખનપ્રવૃત્તિ તેમ જ પ્રકૃતિનિરીક્ષણમાં સમયનો સદુપયોગ કરવાનો હતો. 

વૉલ્ડનનિવાસ દરમ્યાન તેઓ સવાર લેખન અને સ્વાધ્યાયમાં ગાળતા; બપોર પછી કૉન્કૉર્ડનાં જંગલો ને ખેતરોમાં ફરતા અને નદી-સરોવરોમાં નાવ હંકારતા. ‘વૉલ્ડન’માં તેણે લખ્યું છે, ‘હું જંગલમાં રહેવા ગયો કેમ કે મારે હેતુપૂર્ણ જીવન જોઈતું હતું. પ્રકૃતિ શીખવે એ મારે શીખવું હતું. મરું ત્યારે જીવ્યો નહીં એવો અફસોસ મને જોઈતો નથી. મારે ઊંડાણપૂર્વક જીવવું છે ને તેનો અર્ક ચાખવો છે.’ વૉલ્ડન સરોવરના કિનારે તેઓ બે વર્ષ રહ્યા. તેમણે બનાવેલી કુટિર હજી પણ ત્યાં છે. ત્યાં થોરોની પ્રતિમા છે અને લોકો એ સ્થળ જોવા ખાસ જાય છે. 

1854માં વૉલ્ડનના અનુભવો અને આંતરશોધને વર્ણવતું પુસ્તક ‘વૉલ્ડન, લાઈફ ઈન અ વૂડ્ઝ’ પ્રગટ થયું, જે અત્યારે પણ આપણને પ્રેરણા આપે એવું છે. થૉરો પર ભારતીય તત્ત્વજ્ઞાનની અસર હતી. ‘વૉલ્ડન’માં એના દેખીતા ઉલ્લેખો પણ છે. ઈશ્વર દુનિયાથી જુદો છે એવી પશ્ચિમી કલ્પના કરતાં સર્વ જડચેતનમાં ઈશ્વરનો વાસ હોવાની પૂર્વની થિયરી થોરોને ખૂબ ગમતી. એક જગ્યાએ તેણે વૉલ્ડનના સ્વચ્છ જળરાશિને ગંગાના પાવન પ્રવાહ સાથે સરખાવ્યો છે. ઋતુઓમાં તેને ખૂબ રસ હતો. થૉરોની દ્વિશતાબ્દી નિમિત્તે જર્મન ભાષામાં એક પુસ્તક લખાયું, જેના લેખક ડાઈટર શુલ્ઝે કહ્યું કે થોરોના વિચારો આજે પ્રસ્તુત છે એટલા ક્યારે ય નહોતા.  

35માં વર્ષે તેને ટી.બી. થયો. ખૂબ હેરાન થતા. રાતોની રાતો સૂઈ ન શકતા. બહાર નીકળી રસ્તાઓ પર ફરતા. એક વાર આ રીતે ફરતાં તેઓ વરસાદમાં ભીંજાઈ ગયા અને બ્રોંકાઈટિસ થયું. એમાંથી એ ઊઠ્યા નહીં. પથારીવશ સ્થિતિમાં લાંબો ગાળો ગયો. એનો બીમારી અને ભાવિ મૃત્યુ પ્રત્યેનો સ્વીકૃતિભાવ જોઈ સૌ નવાઈ પામતાં. 

છેલ્લા દિવસોમાં એની લુઈઝાઆન્ટીએ પૂછ્યું, ‘ઈશ્વર સાથે શાંત ભાવમાં છો ને?’ થૉરોએ હસીને કહ્યું, ‘અમારી વચ્ચે ઝઘડો ક્યારે હતો?’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 જુલાઈ  2025

Loading

...102030...184185186187...190200210...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved