Opinion Magazine
Number of visits: 9571621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદી પહેલાં અને આઝાદી પછી હિન્દુત્વવાદીઓએ કયો માર્ગ અપનાવ્યો હશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 June 2021

ડાબે-જમણે જોઇને ધીમે અવાજે કાનમાં વાત કરનારી કાનાફૂસી કર્યા વિના, કાવતરાં કર્યા વિના, મોટા લાટસાહેબની સામે આંખમાં આંખ પરોવીને ડર્યા વિના પોતાની વાત કરવાની તાકાત હિંદુ રાષ્ટ્રવાદીઓની દ્રષ્ટીએ નામર્દાઈ હતી. જે જોઈએ એ ડર્યા વિના અને શબ્દ ચોર્યા વિના માગવાનું અને જો ન આપે તો મરી જઈશ પણ અહીંથી ખસીશ નહીં એવો ગાંધીજીનો આગ્રહ (જેને ગાંધીજી સત્ય માટેનો આગ્રહ એટલે કે સત્યાગ્રહ કહેતા હતા) એ હિંદુ રાષ્ટ્રવાદીઓની દૃષ્ટીએ નામર્દાઈ હતી. તોપની તાકાત કલેજાની તાકાત સામે વામણી છે અને એમાં પણ જો પ્રજા સામૂહિકપણે કલેજાની તાકાત બતાવે તો ક્રૂરમાં ક્રૂર શાસકને પણ પરાજિત કરી શકાય છે એવી ગાંધીજીની વાતમાં હિન્દુત્વવાદીઓને નમાલાપણું લાગતું હતું. તેઓ કહેતા હતા કે ગાંધીજી રણછોડદાસ છે. રણમાં ઊભા રહેવાની તેમનામાં તાકાત નથી. તેઓ, ખાસ કરીને વિનાયક દામોદર સાવરકર એમ કહેતા હતા કે આ અહિંસા હિંદુ દાર્શનિક પરંપરાની બીમારી છે જે બુદ્ધ અને મહાવીરે અને તેમના શ્રમણ અનુયાયીઓએ દાખલ કરી છે. ગાંધીજી તો એ પરંપરાનું ફળ છે, માટે અહિંસાના એ વૃક્ષને જ નાબૂદ કરવાની જરૂર છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો લડાયક છે, કારણ કે તેની દાર્શનિક અને ધાર્મિક પરંપરામાં અહિંસા નથી.

વળી સાવરકરે અહિંસાની શ્રમણ પરંપરા અને ગાંધીજી એમ બન્ને ઉપર પ્રહાર કર્યો હતો અને બન્નેનો અસ્વીકાર કર્યો હતો. સાવરકરે તો છત્રપતિ શિવાજીની પણ ટીકા કરી છે. શા માટે ખબર છે? તમને તેમની (સાવરકરની) મર્દાનગીની વ્યાખ્યા જાણીને આશ્ચર્ય થશે. શિવાજીએ મુસલમાનોની છાવણી ઉપર આક્રમણ કર્યું હતું જેમાં કેટલાક સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાક ભાગી ગયા હતા. તેમની સ્ત્રીઓને શિવાજીના સૈનિકો કબજે કરીને લઈ આવ્યા હતા અને શિવાજીને તેની જાણ કરી હતી. શિવાજી મહારાજે આદેશ આપ્યો હતો કે દુશ્મન મુસ્લિમ સિપાઈઓની સ્ત્રીઓની રક્ષા કરવાનો મારો ધર્મ છે. તેમને ઉની આંચ ન આવવી જોઈએ અને સહીસલામત તેમને તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે. સાવરકર કહે છે કે આ શિવાજીની ભૂલ હતી. એ સ્ત્રીઓ એક તો મુસ્લિમ હતી અને એમાં પણ દુશ્મન સૈનિકોની સ્ત્રીઓ હતી. તેમનું યૌનશોષણ કરવાની છૂટ શિવાજી મહારાજે તેમના હિંદુ સૈનિકોને આપવી જોઈતી હતી. સાવરકર કહે છે કે માનવતાવાદી હિંદુ પરંપરાનું ભૂત શિવાજી મહારાજ ઉપર એટલી હદે સવાર હતું કે ‘સ્ત્રી દુશ્મનનું ધન છે’ અને તે સહીસલામત પાછું આપવાનું ન હોય એટલી વાત પણ તેમના ધ્યાનમાં આવી નહોતી. (કેટલાક વાચકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આ વાત તમે ક્યાંથી લઈ આવ્યા તો તેમને જણાવી દઉં કે સાવરકરે ‘ભારતીય ઇતિહાસતીલ સહા સોનેરી પાન’ નામનું મરાઠી ભાષામાં એક પુસ્તક લખ્યું છે જેમાં તમને આ વાત મળી રહેશે.)

સ્ત્રી જો દુશ્મનની હોય તો એ સ્ત્રી દુશ્મનનું ધન છે અને એ સહીસલામત પાછું આપવાનું ન હોય, પણ ‘વાપરવા’ માટે છે અને શિવાજી મહારાજે તેમના સૈનિકોને એ ધન વાપરવા માટે આપી દેવું જોઈતું હતું એવી સાવરકરની વાતમાં તમને મર્દાનગી નજરે પડે છે કે વિકૃતિ? મારી હિંદુ બહેનોનો શો અભિપ્રાય છે? તમારો જીવ કકળે કે રાજી થાવ? સાવરકર કહે છે કે મુસલમાનોએ હાથ લાગેલી હિંદુ સ્ત્રીઓનું યૌનશોષણ કર્યું હતું તો હિંદુઓ એ જ માર્ગ શા માટે ન અપનાવે? હવે સવાલ એ છે કે હિંદુ સ્ત્રીઓ સાથે આવું કરનારા મુસ્લિમ શાસકોને કે સેનાપતિઓને તમે બહાદુર કહેશો કે નીચ? જો આવું કરનારા મુસલમાનો નીચ હતા તો સાવરકર શિવાજીને નીચ બનવાની સલાહ આપે છે અને જો આવું કરવામાં સાવરકરની નજરે શિવાજીની બહાદુરી સિદ્ધ થવાની હોય તો હિંદુ સ્ત્રીઓ સાથે દુરાચાર કરનારા મુસ્લિમ શાસકો અને સેનાપતિઓને પણ બહાદુર કહેવા પડે.

તો વાત એમ છે કે જેવા સાથે તેવા થવું, વેર વાળવું, મનમાં ખાર રાખવો, મોકાની તલાશમાં રહેવું, પીઠ પાછળ ઘા કરવો, બહેન-દીકરીઓનાં શીલનો પણ ઉપયોગ કરવો, સંક્ષેપમાં માણસાઈને તિલાંજલિ આપવી એ હિંદુત્વવાદીઓની દૃષ્ટીએ મર્દાનગીનાં લક્ષણો છે. બીજી બાજુ ડાબે-જમણે જોઇને કાનાફૂસી કર્યા વિના, આંખમાં આંખ પરોવીને ડર્યા વિના પોતાની યોગ્ય માંગણી રજૂ કરવી અને જો મંજૂર રાખવામાં ન આવે તો જાનફેસાની કરવી, તોપની તાકાત સામે કાળજાની તાકાતનો ઉપયોગ કરવો એ હિન્દુત્વવાદીઓની દૃષ્ટીએ નામર્દાઈ છે. તેમને એમ લાગતું હતું કે ગાંધીજી હિંદુઓને નામર્દ બનાવી રહ્યા છે. મૂળમાં શ્રમણ પરંપરાએ ઉમેરેલો આ દોષ છે અને ગાંધીજી તેનો કળશ છે. પશ્ચિમના ધર્મોને જુઓ, છે આવી વેવલાઈ! તેમને એમ લાગતું હતું કે આ વેવલાઈથી હિંદુઓને મુક્ત કરવામાં આવશે ત્યારે જ હિંદુ મર્દ બનશે. તેમને એમ લાગતું હતું કે હિંદુઓને માંડ પોતાપણાનું ભાન થયું ત્યારે કમનસીબે દેશને મોહનદાસ ગાંધી નામનો વેવલો ભટકાઈ ગયો. એક તો પરંપરા વેવલી અને ઉપરથી આ માણસ વેવલો, વેવલો નહીં, વેવલાપણાનો શિરમોર! આનું કરવું શું?

અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. અહિંસા અને માનવતા માત્ર શ્રમણ પરંપરાની દેન નથી, બ્રાહ્મણ પરંપરામાં પણ આની વાત કરવામાં આવી છે. વેદોમાં, ઉપનિષદોમાં, સાંખ્ય સૂત્રોમાં, યોગસૂત્રમાં, ભક્તિસૂત્રોમાં ક્યાં ય નબળી વાત જોવા નહીં મળે. શ્રમણ પરંપરા તો બ્રાહ્મણ પરંપરામાં કરવામાં આવેલું પ્રક્ષાલન અથવા શોધન છે. એક પ્રકારની ઉત્ક્રાંતિ (ઈવોલ્યુશન) છે. આમ અહિંસા અને માનવતા બ્રાહ્મણ-શ્રમણ પરંપરાનાં સહિયારાં સમૂચય લક્ષણ છે. મધ્યકાલીન સંતો અને સૂફીઓએ પણ અહિંસા અને માનવતાનો મહિમા કર્યો છે અને પરંપરાને વધારે સમૃદ્ધ બનાવી છે. ટૂંકમાં બ્રાહ્મણ, શ્રમણ અને મધ્યકાલીન સમન્વયે ભારતીય દાર્શનિક પરંપરાનો મહેલ બાંધ્યો છે. વિનોબા ભાવેએ કહ્યું છે એમ ગાંધીજી આ સમુચય પરંપરાનું ફળ છે. પણ હિન્દુત્વવાદીઓને એ સ્વીકાર્ય નથી એટલે તેઓ બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાને અલગ કરીને વેવલાઈનો આરોપ શ્રમણ પરંપરા ઉપર કરે છે અને ગાંધીજીને શ્રમણ પરંપરાનું ફળ ગણાવે છે. આનું કારણ એ છે કે તેમને હિન્દુત્વનું કોમી રાજકારણ કરવા માટે ધર્મની જરૂર છે એટલે તેઓ બ્રાહ્મણ પરંપરાને સનાતન હિંદુ ધર્મમાં સીમિત કરે છે.

તેમનાં નસીબ ફૂટલાં કે આગળ કહ્યું એમ જ્યારે હિંદુઓને પોતાપણાનું ભાન થયું ત્યારે દેશમાં ગાંધીનું પ્રાગટ્ય થયું અને ગાંધી ભારતીય પરંપરાનું પરિપક્વ ફળ હતું. આ સિવાય ગાંધી પ્રચંડ શક્તિનો મહાસાગર હતો. ચાર-પાંચ હજાર વર્ષ દરમ્યાન ભારતની ભૂમિમાં ઊગેલા, વિકસેલા, સીંચિત થયેલા બગીચામાં ગાંધી નામનું પરિપક્વ ફળ આવ્યું જેને ભારતીય પ્રજાએ વધાવી લીધું. આખરે પોતાની પરિચિત ભૂમિમાં, પોતાના પરિચિત ઝાડ ઉપર ઊગેલું એ ફળ હતું એટલે એ સ્વાભાવિકપણે પોતીકું અને મીઠું લાગે એ સમજી શકાય એમ છે. આ બાજુ હિન્દુત્વવાદીઓને જેવા સાથે તેવા થવામાં, વેર વાળવામાં, મનમાં ખાર રાખવામાં, મોકાની તલાશમાં રહેવામાં, પીઠ પાછળ ઘા કરવામાં, બહેન-દીકરીઓના શીલનો પણ ઉપયોગ કરવામાં, સંક્ષેપમાં માણસાઈને તિલાંજલિ આપવામાં હિંદુઓની મર્દાનગીનાં લક્ષણો નજરે પડતાં હતાં.

આ ગાંધીએ બધો ખેલ બગાડી નાખ્યો. પ્રિય વાચક હવે કલ્પના કર કે આઝાદી પહેલાં અને આઝાદી પછી હિન્દુત્વવાદીઓએ કયો માર્ગ અપનાવ્યો હશે! જવાબ બહુ સહેલો છે, દીવાલ પરના લખાણ જેવો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 જૂન 2021

Loading

સ્વિસ બૅંક ફરતે જેટલું રહસ્ય ખડું કરવામાં આવે છે, તેની વાસ્તવિકતા એટલી પેચીદી નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 June 2021

સ્વિસ બૅંકમાં ભારતીય ભંડોળ વધે તેની પાછળ આર્થિક લેવડ-દેવડ કારણભૂત છે, જે આંકડા જાહેર કરાયા છે તેના કાળા નાણાં સાથે કોઇ સંબંધ નથી.

જાણીતા બ્રિટિશ લેખક જેફ્રી આર્ચર તેમની વાર્તાઓના પ્લોટ કન્સ્ટ્રક્શન માટે જાણીતા છે. તેમણે લખેલી ‘ક્લિન સ્વીપ ઇગ્નેટિયસ’ શોર્ટ સ્ટોરીમાં નાઇજીરિયાના એક અત્યંત પ્રામાણિક નાણાં મંત્રીની વાત છે. ઇગ્નેટિયસ અગર્બી ભ્રષ્ટાચાર અટકાવવા માટે જાણીતા થયેલા મંત્રી છે, તેમણે ભલભલા સામે બાથ ભીડી છે. તેમના પ્રેસિડન્ટે તેમને કામ સોંપ્યું કે સ્વિટ્ઝરલેન્ડની બૅંકમાં લાંચ અને ભ્રષ્ટાચારના કેટલા પૈસા મંત્રીઓએ જમા કરાવેલા છે તેની તપાસ કરવી અને કાળું નાણું ઝડપી પાડવું. એક બ્રિફકેસ સાથે સ્વિસ બૅંક પહોંચેલા નાઇજીરિયન નાણા મંત્રી મેનેજરને ત્યાં જેના પણ ખાતા હોય તે જણાવી દેવા માટે દબાણ કરે છે, એ હદે દબાણ કરે છે કે એક તબક્કે તેના લમણે રિવૉલ્વર મૂકીને તેને એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપવા કહે છે. આ સંજોગોમાં પણ બૅંક મેનેજર કશું જ જાહેર નથી કરતો અને આખરે નાણાં મંત્રી ૫ મિલિયન કૅશ ભરેલી બ્રિફકેસ ટેબલ પર મૂકી ત્યાં ખાતું ખોલાવવાની વાત કરે છે.  અત્યંત પ્રામાણિક લાગતા મંત્રીએ પોતે પેટ ભરીને ભ્રષ્ટાચાર કર્યો હતો અને સ્વિસ બૅંકમાં બધું ખાનગી જ રહે છે તેની ખાતરી થયા પછી તેની હકીકત છતી થાય છે. – આ એક ફિક્શન વાર્તા છે. સ્વિસ બૅંકની મહત્તા શું અથવા શા માટે લોકો ત્યાં પૈસા જમા કરાવતા હોય છે તે સમજવા માટે પણ આ સાર પૂરતો છે. આ વાર્તાનો સાર અહીં મૂકવાનો તર્ક એટલો જ કે આજકાલ સ્વિસ બૅંકમાં ભારતીયોનાં નાણાં સતત ચર્ચામાં છે.

સ્વિસ બૅંકમાં ભારતીયોનું નાણા ભંડોળ જે ૨૦૧૯ના અંતે ૬,૬૨૫ કરોડ હતું તે ૨૦૦૨ના અંતે ૨૦,૭૦૦ કરોડ થઇ ગયું છે. છેલ્લાં તેર વર્ષમાં પહેલીવાર આ રકમ આટલા ઊંચા સ્તરે પહોંચી છે. આ આંકડા બૅંકોએ – સ્વિસ નેશનલ બૅંક – એસ.એન.બી.ને આપેલા અધિકૃત આંકડા છે તેને ભારતીયોના કહેવાતા કાળા નાણાં સાથે કોઇ સંબંધ નથી. આ આંકડા ભારતીયો, એન.આર.આઇ. અને અન્યોએ થર્ડ-કન્ટ્રી-એન્ટીટીને નામે ત્યાં જે પૈસા જમા કર્યા હશે તેની સાથે કોઇ સંબંધ નથી ધરાવતા. સ્વિટ્ઝરલેન્ડ અને ભારત વચ્ચે ૨૦૧૮થી ટેક્સ સંબંધી જાણકારીની ઑટોમેટિક આપલે લાગુ કરાઇ છે. જેટલા પણ ભારતીયોના ખાતા સ્વિસ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં છે, ત્યાંની બૅંક્સમાં છે તેની વિગતો ભારતીય ટેક્સ ઑથોરિટીઝને દર વર્ષે મળતી રહે છે. વળી સ્વિસ બૅંક્સ જ્યાં આર્થિક ગોટાળાની શક્યતા લાગે તેવા ખાતેદારોની વિગતો પણ સરકારને પૂરી પાડે છે.

એક તરફ વાઇરસને કારણે અર્થતંત્ર પર પડેલા ફટકાની વાતો આપણે સાંભળીએ છીએ તો બીજી તરફ સ્વિસ બૅંકમાં ભારતીયોની જમા પૂંજી વધતી છે ત્યારે સવાલ થાય કે આવું કેવી રીતે શક્ય બન્યું હશે? જો કે તાજેતરમાં નાણા મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક સ્ટેટમેન્ટમાં આ અંગે કેટલીક સ્પષ્ટતા કરાઇ હતી. આ સ્ટેટમેન્ટ અનુસાર બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સમાં થયેલો વધારો આ ડિપોઝિટ વધવાનું એક કારણ હોઇ શકે છે. કોઇપણ સ્વિસ કંપનીની સબ્સિડરી ભારતમાં હોય તેના કેપિટલમાં વિસ્તરણ થયું હોય તેને કારણે પણ આ ડિપોઝિટ વધી હોઇ શકે છે બે દેશો વચ્ચે ઇન્ટર બૅંક ટ્રાન્ઝેક્શન્સ પણ આ તોતિંગ રકમનું કારણ હોઇ શકે છે. આમ તો પર્સનલ ડિપોઝિટ ઓછી થઇ છે પણ સિક્યોરિટીઝ અને કંપની તરફથી જમા થયેલી રકમ ઘણી વધારે છે. ભારતનું નામ ચર્ચામાં આવ્યું એટલે વિરોધ પક્ષે પણ કાળું નાણું પાછું લાવવાની કેન્દ્ર સરકારની વાતને ટાંકીને સવાલો કર્યા. જો કે નાણા મંત્રાલયને મતે આગળ ઉપર જણાવ્યું તેમ જે ભારતીય કંપનીઓ સ્વિટ્ઝરલેન્ડમાં છે તેમની ડિપોઝિટ્સ અને ભારતમાં સ્વિસ બૅંકની જે શાખાઓ છે તેમાં ડિપોઝિટનો વધારો તથા ભારતીય અને સ્વિસ બૅંક વચ્ચે થયેલા વહેવારને કારણે ભારતીય ભંડોળ વધ્યું હોવાની શક્યતા છે. વળી આ વધારા સામે ભારતીય નાણા મંત્રાલયે સ્વિસ સત્તાધીશો પાસેથી જરૂરી ચોખવટ તો માંગી જ છે અને સરકારને મતે ટ્રસ્ટ આધિન ખાતાઓમાં ગ્રાહકોની ડિપોઝિટ્સ ૨૦૧૯થી ઘટી છે.

સ્વિટ્ઝરલેન્ડમાં કુલ ૨૪૩ બૅંક્સ છે. આમ તો સ્વિસ બૅંક્સમાં જેના સૌથી વધુ નાણાં ડિપોઝિટ થયા હોય તેવા દેશોમાં મોખરે યુનાઇટેડ કિંગ્ડમ છે અને ત્યાર બાદ યુ.એસ.એ.નો વારો આવે છે. તેમના ફંડ ૧૦૦ બિલિયનથી વધુ છે જેમાં ક્લાયન્ટ્સનું ભંડોળ પણ સમાવિષ્ટ છે. આ ઉપરાંત ટોચના દસ દેશોમાં વેસ્ટ ઇન્ડિઝ, ફ્રાંસ, હોંગ કોંગ, જર્મની, સિંગાપોર, લક્ઝ્મબર્ગ, કેયમેન આઇલેન્ડ અને બહામાઝનો સમાવેશ થાય છે. ભારત ૫૧માં સ્થાને છે અને તે ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વીડન, હંગરી, મોરેશિયસ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોથી આગળ છે. બ્રિક્સ રાષ્ટ્રોમાં ભારત પહેલાં ચીન અને રશિયા વધુ ડિપોઝિટ્સ માટે આગળ છે.

આપણા દેશના ભ્રષ્ટાચાર સાથે સ્વિસ બૅંકને સીધો સંબંધ છે એવું માની લેવાની કોઇ જરૂર નથી. ત્યાં ખાતું ન હોય છતાં ય ગોટાળા કરનારાઓની આપણે ત્યાં ખોટ નથી.

બાય ધી વેઃ 

સ્વિસ બૅંક્સમાં આખરે એવું છે શું કે ધનિકો તેની તરફ ગુલાબજાંબુ તરફ માખીઓ ખેંચાય તે રીતે ખેંચાઇ જાય છે. હૉલીવુડની ફિલ્મોમાં આપણે સ્વીસ બૅંકનાં દ્રશ્યો જોયા છે પણ જે ફિલ્મોમાં બતાડાય છે એટલું ડ્રામેટિક બધું હોતું નથી. સ્વિસ બૅંક્સ ક્લાયન્ટની પ્રાઇવસીને સૌથી વધુ અગ્રિમતા આપે છે. વળી પોતાની પ્રાઇવસી ક્લાયન્ટનો હક છે અને બૅંક પર તેમના પ્રોટેક્ટેડ ડેટા પર કોઇ અધિકાર નથી હોતો. જો કે ફિલ્મોમાં બતાડાય છે એમ બૅંકમાં એનોનિમસ – નનામા એકાઉન્ટ નથી હોતા, બૅંક પાસે ખાતેદારની પ્રાથમિક વિગતો હોય જ છે. બૅંકોની પ્રાઇવસીને લગતી નીતિને કારણે દુનિયા ભરના ધનિકોને ત્યાં પોતાનાં નાણાં જમા કરવાનું માફક આવે છે પણ તેનો અર્થ એમ નથી કે ત્યાં કાળું નાણું અને કર ચોરી કરી કરીને બચાવેલા પૈસા જ હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  27 જૂન 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—101

દીપક મહેતા|Opinion - Opinion|26 June 2021

પંચોતેર વરસ પહેલાંની પિકનિક બે જણાની

પીવાનું પાણી પ્લાસ્ટિકની બોટલમાં વેચાતું મળે એવી તો કોઈને કલ્પના પણ નહોતી

જ્યારે સસ્તું, સગવડભર્યું, સહેલાથી મળતું વાહન હતું ટ્રામ

પ્રિય વાચક! ચલ મન મુંબઈ નગરીના પાના પર આજે આ આપણી ૧૦૧મી મુલાકાત છે. તો એની ઉજવણીમાં થઈ જાય એક પિકનિક? આજની નહિ, લગભગ ૭૫ વરસ પહેલાંની એક પિકનિકની વાત સાંભળીએ પાંચ-છ વરસના છોકરા પાસેથી. આ વાત છે ૧૯૪૫ કે ૧૯૪૬ની. તારીખ કે મહિનો તો યાદ નથી, પણ રવિવાર હતો એટલું નક્કી. ત્યારે આપણા રામની ઉંમર પાંચ-છ વરસની. એ વખતે ગણના થતી ડાહ્યાડમરા છોકરાઓમાં. પણ તે દિવસે સવારના પહોરમાં રડી-ઝગડીને આખું ઘર માથે લીધું. કારણ? કારણ મોટાભાઈ સ્કૂલની પિકનિકમાં જાય, તો મારે કેમ નહિ જવાનું? બે ભાઈઓ વચ્ચે ઉંમરમાં દસેક વરસનો ફેર. એટલે તેઓ સ્કૂલમાં જાય, પણ આપણે તો હજી ઘરમાં જ લીલાલહેર. કારણ બાળક જન્મે એ પહેલાંથી તેને નર્સરી કે પ્લે ગ્રૂપ કે બાળમંદિરમાં ધકેલી દેવાનો ચાલ એ વખતે નહોતો.

મા અને ઘરનાં વડીલોએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો : ‘મોટા થઈને તમે પણ સ્કૂલમાં જશો ત્યારે પિકનિકમાં જશો.’ (નાગર જ્ઞાતિના રિવાજ પ્રમાણે ઘરમાં બાળકોને પણ ‘તમે’ કહીને જ બોલાવતા. તુંકારો ક્યારે ય નહિ.) પણ અ નાગર છોકરાએ તો નાડું પકરું એ પકરું. મોટેથી ભેંકડો તાણ્યો. ત્યારે ‘જેભાઈ’ વહારે ધાયા, જેમ કૃષ્ણ દ્રૌપદીની વહારે ધાયા હતા તેમ. કહે : ‘એમાં શી મોટી વાત છે? ચાલો, આપણે બે પિકનિક પર જઈએ. મોટું સંયુક્ત કુટુંબ. આ ‘જેભાઈ’ તે કાકાના દીકરા ભાઈ. એ વખતે ‘જયંતભાઈ’ નામ બોલવું ફાવે નહિ, એટલે ‘જેભાઈ.’ ઉંમરમાં તો ખાસ્સા મોટા, પણ એ બાળકના પાક્ક દોસ્ત. હવે પિકનિકમાં જવા મળશે, અને તે પણ ‘જેભાઈ’ સાથે, એટલે છોકરો તો રાજીનો રેડ. બે આંખે આંસુની ધારા વહી રહી હતી, તેને બદલે બે ય આંખે હવે ઊડે સ્મિતના ફુવારા.

એક જમાનાનાં સફરનાં સાથી : કુંજો અને ટિફિન બાસ્કેટ

રવિવારની સવારે પણ વહેલા ઊઠીને માએ મોટા ભાઈને આપવા નાસ્તો બનાવેલો. એ વખતે હજી પ્લાસ્ટિક કે સ્ટેનલેસ સ્ટીલનું આગમન થયું નહોતું. એટલે હવે એકને બદલે બે પિત્તળનાં ટિફિન બાસ્કેટમાં વાનગીઓ ભરાઈ. મોટાભાઈ કરતાં નાના ભાઈનું બાસ્કેટ પાછું મોટું. કારણ સાથે ‘જેભાઈ’ પણ હતા ને! પીવાનું પાણી પ્લાસ્ટિકની બોટલમાં વેચાતું મળે એવી તો એ વખતે કોઈએ કલ્પના પણ કરી નહોતી. એટલે જર્મન સિલ્વરના કુંજામાં પીવાનું પાણી ભરાયું. આજે તો હવે કોઈ ઘરમાં ભાગ્યે જ જોવા મળે, પણ એ વખતે આ જર્મન સિલ્વરનાં વાસણ એટલે ઘરની સમૃદ્ધિની નિશાની. ખાવા માટે પિત્તળની, કલાઈ કરાવેલી બે પ્લેટ, ચમચીઓ. બે-પાંચ દિવસ પહેલાં જ ઘરનાં પિત્તળનાં બધાં વાસણોને કલાઈ કરાવેલી, એટલે બંને પ્લેટમાં બાળકનું મોઢું ચમક ઝમક. એનું પ્રતિબિંબ પડે છોકરાની આંખોમાં. આ બધો અસબાબ કપડાની એક ઝોળીમાં ગોઠવાયો. (કાઠિયાવાડમાં ‘થેલી’ને ‘ઝોળી’ કહેવાનો ચાલ.) સ્વાભાવિક રીતે એ ઉપાડવાની તો ‘જેભાઈ’એ જ હોય ને! મોટા ભાઈ બચાડા પોતાની ઝોળી પોતે ઉપાડીને ગયા. તે જોઈ પેલા છોકરાનો જીવ એ વખતે રાજીનો રેડ થયો હોય તો ય, અત્યારે તો ‘બહુ બળેલો’ એમ જ લખવું પડે ને!

એક આનામાં આખા મુંબઈમાં ગમે ત્યાં ટૃામમાં ઘૂમો

ચાર માળનું મકાન. ૧૦૮ પગથિયાં ઉતરીને બે પિકનિકરની સવારી રસ્તા પર આવી. હવે બાળકે ‘જેભાઈ’ને પૂછ્યું : ‘પણ આપણે જવાના ક્યાં?’ જેભાઈ ઉવાચ : બોરી બંદર. એ વખતે એનું સરકારી નામ તો હતું વિક્ટોરિયા ટર્મિનસ. શોર્ટ ફોર્મ વી.ટી.. પણ લોકો તો તેને બોરીબંદર તરીકે જ ઓળખતા. આ સાંભળીને પેલા છોકરાએ છણકો કર્યો : ‘હું કાંઈ એટલું બધું ચાલીશ નહિ.’ જેભાઈ ઉવાચ : ‘પણ આપણે ક્યાં ચાલતા જવું છે, આપણે તો ટ્રામમાં જશું.’ એ જમાનામાં આવનજાવન માટે સૌથી સસ્તું, સગવડભર્યું, સહેલાથી મળતું વાહન તે ટ્રામ. આખા મુંબઈમાં ગમે ત્યાં જાવ, મોટી ઉંમરનાંની ટિકિટ એક આનો, બાળકના બે પૈસા! ટ્રામની ન્યાતમાં પાછાં બે તડાં. એકની પાછળ બીજો ડબ્બો જોડ્યો હોય એને છોકરો તુચ્છકારથી જોતો. એક ડબ્બાને માથે બીજો ડબ્બો મૂક્યો હોય એવી ટ્રામને અહોભાવથી જોતો. છોકરાએ હુકમ છોડ્યો : ‘આપણે તો બે માળવાળી ટ્રામમાં ઉપલે માળે છેક આગળની સીટ પર બેસીને જ જશું’. પહેલાં આવી બે ડબ્બા આગળ-પાછળ જોડેલા એવી ૬ નંબરની ટ્રામ. એ ધોબી તળાવથી ક્રાફર્ડ માર્કેટ થઈને બોરી બંદર પહોંચે. એ જવા દીધી. પછી ૭ નંબરની ટ્રામ આવી, એ બે માળવાળી. એ ધોબી તળાવથી ક્રૂકશેન્ક રોડ થઈને સીધી બોરીબંદર પહોંચે. બંને રોફભેર એમાં ચડ્યા. રવિવારની સવાર, એટલે નીચલો માળ પણ લગભગ ખાલી. છતાં પહોચ્યા ઉપલે માળે. એકદમ આગળની સીટ, એટલે મુંબઈરૂપદર્શનયોગ શરૂ થયો.

બોરીબંદર આવ્યું એટલે છોકરો અને જેભાઈ એકબીજાની આંગળી પકડીને ટ્રામમાંથી ઊતરી ગયા. જેભાઈએ થાણા કહેતાં ઠાણેની દોઢ ટિકિટ કઢાવી, અલબત્ત, થર્ડ ક્લાસની. એ વખતે લોકલ ટ્રેનમાં પણ ત્રણ ક્લાસ : ફર્સ્ટ, સેકન્ડ, અને થર્ડ. રોકડા છ ડબ્બાની ટ્રેન. ચાર ડબ્બા થર્ડ ક્લાસના, એક-એક ડબ્બો બીજા બે ક્લાસનો. થર્ડના ડબ્બામાં પંખાનું નામ નિશાન નહિ, અને બેસવા માટે લાકડાના બાંકડા. રવિવારની સવાર, એટલે સ્ટેશન પર કાગડા ય ન ઊડે. દરેક પ્લેટફોર્મ પર લાકડાનું એક જ ઇન્ડિકેટર. ઉપરના ભાગમાં ઘડિયાળના કાંટા હોય. નીચે ટ્રેન કયા સ્ટેશન સુધી જશે તેનું પાટિયું હોય. પાસે ઊભેલો રેલવેનો નોકર વખતોવખત ઘડિયાળના કાટા અને નામનાં પાટિયાં બદલતો જાય. પણ રવિવારે એ સગવડ બંધ. એટલે પૂછતાં પંડિત થવું પડે. જ્ઞાન લાધ્યું કે વીસ મિનિટ પછી થાણાની ટ્રેન જશે. આવતી ટ્રેનમાંથી માંડ પચીસ-ત્રીસ છડિયાં ઊતર્યાં. ચડનારા તો તેનાથી ય ઓછા. સામસામા બાંકડા પર, વિન્ડો સીટ – જેનો મોભો સિંહાસન જેટલો – પર છોકરાએ અને જેભાઈએ બેઠક જમાવી. એ વખતે બી.બી.સી.આઈ. લાઈન પરનાં સ્ટેશનો સામે જી.આઈ.પી. લાઇન પરનાં સ્ટેશન ગરીબડાં લાગે. સ્ટેશન આવે એટલે જેભાઈ તેનું નામ બોલે. ત્યાં ઊતરીને ક્યાં ક્યાં જવાય તે કહે. છોકરો એમાંનું એક પણ નામ જાણે નહિ. પણ એક વાત બરાબ્બર જાણે : જેભાઈ બધ્ધું જ જાણે છે. લગભગ ખાલી ડબ્બો. છ ડબ્બાનો લયબદ્ધ ખડખડાટ. બારીમાંથી ફરફરાટ પવન. અને જેભાઈની વાતો. થોડાં સ્ટેશન ગયાં ત્યાં તો સીટની સાઈડ પર માથું ટેકવીને છોકરો પહોંચી ગયો પંખાળી પરીઓના દેશમાં.

ઠાણે રેલવે સ્ટેશન, 1853

કેટલા વખત પછી એ તો કોણ જાણે, પણ જેભાઈનો અવાજ સંભળાયો : ઊઠો ભાઈ, હમણાં થાણા સ્ટેશન આવશે. ટ્રેન અહીં પૂરી થતી હતી એટલે બાદશાહી ચાલે ઊતર્યા. એ વખતે વોટર કૂલરનું તો નામોનિશાન નહિ. એટલે પ્લેટફોર્મ પરના લાકડાના બાંકડા પર બેસીને કુંજામાંથી પાણી પીધું. ‘ફ્રેશ’ થઈ આવ્યા. પછી સવારી ઊપડી થાણા-દર્શન માટે, અલબત્ત પગપાળા. એ વખતનું થાણા એટલે મોટું ગામડું. નાનાં નાનાં ઘર, બહુ બહુ તો બે માળનાં. ધૂળિયા રસ્તા. મોટર કે બસ તો ભાગ્યે જ જોવા મળે. પણ આજની ભાષામાં કહીએ તો ‘ગ્રીન કવર’ સારું. જો કે કવર કરવા જેવું ત્યારે ખાસ કાંઈ હતું નહિ. પા-અડધો કલાક પદયાત્રા કર્યા પછી એક બગીચો નજરે પડ્યો. બહાર નામના પાટિયા પર ફલાણો બગીચો એમ લખેલું એટલે માની લેવું પડે કે આ બગીચો છે. હકીકતમાં ઘાસવાળા મેદાનમાં પાંચ-દસ ઝાડ. એક ખૂણામાં બાળકો માટે હીંચકા, લસરપટ્ટી, વગેરે, પણ ભાંગેલાં-તૂટેલાં. બીજા ખૂણામાં જાહેર મૂતરડી, ગંધાતી. થોડી વાર છોકરો અને જેભાઈ પકડાપકડી રમ્યા. અલબત્ત, દરેક વખતે જેભાઈએ જ તરત પકડાઈ જવાનું. પછી જૂનું છાપું પાથરીને બેઠા અને ટિફિન બાસ્કિટના ડબ્બા ખોલ્યા. પિત્તળની બે પ્લેટમાં વાનગીઓ કાઢી. ટેસથી જલસો કર્યો. પછી બંનેએ ઘાસ પર જ લંબાવ્યું અને અંતકડી રમ્યા. જેભાઈ જાણી જોઈને હારી ગયા એટલે છોકરાએ તો જાણે લંકા જીતી!

જ્યારે દુકાનના ગાંઠિયા ખાવા એ પણ પરાક્રમ ગણાતું !

બપોર ઢળવા લાગી એટલે જેભાઈ કહે, ‘હવે ચાલો પાછા.’ ટહેલતાં ટહેલતાં પાછા પહોંચ્યા થાણા સ્ટેશન. સ્ટેશનની બહાર એક કન્દોઇની દુકાન. તેમાં તળાતા ગરમ ગરમ ગાંઠિયા. થોડે દૂરથી જોયા, સૂંઘ્યા. જાત સાથે ગાંઠિયાનું અદ્વૈત સાધવાની ઝંખના રોમેરોમ જાગી. ખારી શિંગ અને ચણા સિવાય બહારનું કશું જ ન ખવાય એવો ઘરનો નિયમ. જો કે જેભાઈ પોતે હતા નિયતિકૃતનિયમરહિત. એટલે કહે : ‘વચન આપો કે ઘરમાં કોઈને કહેશો નહિ, તો ગાંઠિયા ખાઈએ.’ સૂરજની સાખે આપ્યું વચન. જેભાઈએ પા શેર (એ વખતે હજી ‘કિલો’ભાઈ જન્મ્યા નહોતા.) ગાંઠિયાનું પડીકું બંધાવી લીધું. બોરીબંદર સુધીની મુસાફરી ગાંઠિયા ખાતાં ખાતાં ક્યારે પૂરી થઈ ગઈ એની ખબરે ન પડી. પાછા ફરતાં ટ્રામને બદલે વિક્ટોરિયા. ફરી ૧૦૮ પગથિયાં ઠેકતાં ઠેકતાં પહોચ્યા ઘરે. માએ જેભાઈને પૂછ્યું : ‘રસ્તામાં તમને હેરાન તો નહોતા કર્યા ને, મારા દીકરાએ’. પણ જેભાઈ કાંઈ જવાબ આપે તે પહેલાં તો છોકરાએ વધામણી ખાધી :’ મેં હેરાન કર્યા હોય તો જેભાઈ કાંઈ મને ગાંઠિયા ખવડાવે? વાક્ય પૂરું થાય તે પહેલાં જેભાઈ બીજા ઓરડામાં સરકી ગયા.

પ્રિય વાચક! તમે કહેશો કે આ તો શાકમાં આખું સાકરકોળું ગયું! પેલા ગાંઠિયાખાઉ છોકરાનું નામ તો લખ્યું જ નહિ. કદરદાન સાહેબાન, એ છોકરાનું નામ આ પાના પર જ ક્યાંક છાપ્યું છે, ફોટા સાથે. ફોટો એ છોકરાનો જ છે, પણ પંચોતેર વરસ પછીનો.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 જૂન 2021 

Loading

...102030...1,8361,8371,8381,839...1,8501,8601,870...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved