Opinion Magazine
Number of visits: 9571170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લઈ લો… લઈ લો… લક્ષદીપ લઈ લો

ભરત મહેતા|Opinion - Opinion|1 July 2021

ગળામાં હોય એટલું જોર વાપરી, કચકચાવી, ’ભારતમાતાની જય’ બોલતો ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા મળ્યા પછી રોજબરોજ ભારતમાતાની લીલામી કરી રહ્યો છે. રોજ છાપું સવારે ઉઘાડીએ ને વાંચવા મળે કે આ વેચ્યું, પેલું વેચ્યું. ગુજરાતમાં ભૂજની હોસ્પિટલ, GMDCના કડી પાણીના પહાડ, આબાદ ડેરી વેચવાનો મહાવરો હતો તે કેન્દ્રમાં પહોંચતાં ખપ લાગ્યો છે. વળી, આ પક્ષની ખૂબી એ છે કે કોર્પોરેટ હિતો માટે કામ કરતી આ પાર્ટી પોતાની વેપારી પ્રવૃત્તિને ઢાંકવા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ભગવી ચૂંદડી ઉપરથી ઓઢાડે છે. હમણાં હવે લક્ષદીપના છત્રીસ રમણીય ટાપુ વેચવાનો સોદો થવાની ગંધ આવી રહી છે. લક્ષદીપના નવા વહીવટદાર પ્રફુલ્લભાઈ પટેલ ડિસેમ્બર-૨૦૨૦માં નિમાયા ને તાબડતોબ એપ્રિલમાં ચાર નવા કાયદાઓ લાવ્યા. કાયદાઓ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું છે તો બીજી તરફ કોર્પોરેટ માટે લાલ જાજમ બિછાવાઈ રહી છે.

આ લક્ષદીપની વસ્તી કેવળ સિત્તેર હજાર છે. માત્ર દસ ટાપુ પર જ લોકો રહે છે. વસ્તીવધારાનું પ્રમાણ અતિ ઓછું, ૧.૪% છે; ગુનાખોરીમાં દેશમાં અંતિમ ક્રમે છે. સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ૯૬% છે! માછીમારી, નાળિયેરી અને દોરડાં બનાવવાનો વ્યવસાય કરે છે. ૯૩% મુસ્લિમબહુલ વસતિવાળું આ કેન્દ્રશાસિત સ્થળ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આક્રમણ માટે સર્વોત્તમ સ્થળ છે. પ્રદૂષણ પણ નથી.

લક્ષદીપને સ્માર્ટ સિટી બનાવવા માટે વહીવટદાર તરીકે પ્રફુલ્લભાઈ પટેલને મૂકાયા છે. ગુજરાતના રાજનેતા, અમિત શાહે ગુજરાતમાં ગૃહ મંત્રી પદ થોડો સમય છોડવું પડેલું ત્યારે ગૃહમંત્રાલય સંભાળનાર, પછી દીવ-દમણ દાદરાનગર હવેલીના વહીવટદાર. આજ લગી લક્ષદીપમાં IPS કે IAS અધિકારીને જ વહીવટીદાર તરીકે મૂકવામાં આવતા હતા, પહેલીવાર રાજનેતા – જે રાજનેતા પોતાના મૃત્યુ માટે જવાબદાર છે એવી ચિઠ્ઠી લખીને સાત વાર ધારાસભ્ય બનેલા મોહન ડેલકરે આત્મહત્યા કરી હતી એ પ્રફુલ્લભાઈ પટેલ.

લોકસભાની ચૂંટણીમાં સો સ્માર્ટ સિટી બનાવવાનો ઢંઢેરો પીટનાર ભા.જ.પે. એક પણ સ્માર્ટ સિટી બનાવ્યું નથી અને લક્ષદીપને હવે સ્માર્ટ સિટી બનાવવું છે. ’લક્ષદીપ વિકાસ અધિનિયમ-૨૦૨૧’ ઘણાં સંદર્ભમાં વિશિષ્ટ છે. અહીં વિકાસનો બોજો – ખર્ચ – સ્થાનિક લોકોને માથે છે. વળી, ફરજિયાત વિકાસ જે કાંઈ સ્માર્ટ સિટીની વચ્ચે આવે એ દૂર કરો. વળી, વિરોધ ન થાય એ માટે ’એન્ટી ગુંડા એક્ટ’ બનાવ્યો! ગુનાખોરીમાં ય લક્ષદીપ ભારતમાં અંતિમ સ્થાને છે. યુ.પી., બિહારમાં સત્તાવાળી સરકાર અહીં, ગુનાખોરીનો કાયદો કેમ બનાવે છે? માત્ર લોકશાહી રીતે અમાનવીય, નિર્દય, મૂળવિહોણા વિકાસના વિરોધીઓને અટકાવવા જ. વળી આ કાયદા અનુસાર ધરપકડ પછી, કારણ આપ્યા વિના સીધા જેલમા એક વરસ માટે મૂકી શકાશે! UAPAની જેમ જ આ પણ લોકશાહીનું હનન છે! લક્ષદીપની અભિનેત્રી-દિગ્દર્શિકા આયેશા સુલતાનાએ જેવો વિરોધ કર્યો કે એના પર ’રાજદ્રોહ’નો કેસ જ દાખલ થયો!

કોર્પોરેટ માટે પડાવતી જગા માટે આખા દેશમાં બીજો ઊહાપોહ ન થાય એ માટે હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ થઈ શકે એવું વચ્ચે મૂકી દેવાનું આ પક્ષને ફાવે છે. તેથી સ્માર્ટ સિટી માટે લેવા દેવા ન હોય તેવા ફેરફારો પણ આ ચાર કાયદામાં છે.

ભા.જ.પ.શાસિત ગોવા, મેઘાલય, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં ગૌ-માંસ પ્રતિબંધ નથી. હમણાં જ આસામની ચૂંટણી વખતે રાડો પાડી પાડીને ગૌ-માંસ પર પ્રતિબંધ નહીં લગાવીએ એમ કહેનાર ભા.જ.પે. જ્યાં ૬૫% લોકો  બીફ ખાય છે એ લક્ષદીપમાં ગૌ-માંસ પર પ્રતિબંધ મૂક્યો! એટલું જ આંગણવાડીઓ, શાળાઓમાં મધ્યાહન ભોજનમાં માંસાહાર બંધ! ગૌ-માંસનો કાયદો તોડનારને ૧૦ વર્ષની સજા, ૭૫ લાખ દંડ!

ગુજરાતમાંથી ગયેલા વહીવટદાર, વડા પ્રધાન પણ ગાંધીજીનો રેંટિયો કાંતનાર હોય એ લક્ષદીપમાં જઈને એક સુધારો એવો કરે છે કે શરમથી માથું ઝૂકી જાય. આઝાદી પછી આજ લગી લક્ષદીપમાં દારૂબંધી છે લાયસંસવાળા માટે ૩૬માંથી એક દ્વીપના રિસોર્ટમાં પરવાનગી વાળી દુકાન છે. ત્યાંથી દારૂબંધી હટાવી દેવાઈ! અહીં જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ફુગ્ગો ફૂટી જાય છે. સહેલાણીઓ માટેનું સ્વર્ગ જો ખાનગી માલિકોના ચરણે ધરવું હોય તો દારૂ પરના પ્રતિબંધને હટાવીને જ ચિયર્સ કરી શકાય! હવે લક્ષદીપ દારૂબંધીમુક્ત!

આ દારૂબંધીનો પ્રતિબંધ હટાવવાથી જે ગુનાખોરીમાં અંતિમ રાજ્ય છે ત્યાં ગૂનાખોરી વધી પણ શકે, વળી, આ ભલે મુસ્લિમબહુલ પ્રદેશ હોય પણ એ ગણાય છે  અનુસૂચિત જનજાતિ (S.T.) આખું રાજ્ય અહીં અનુસૂચિત જનજાતિ છે. એમની સાંસ્કૃતિક ભાતમાં પણ આ ’વિકાસ’ ગોટાળો કરશે. લોકડાઉનની પ્રથમ લહેરમાં એક પણ કેસ ન હતો. ડિસેમ્બર, ૨૦માં પ્રફુલ્લભાઈના પગલાં થયાં ને પ્રવેશનારને ૧૪ દિવસ કવોરંટાઇનના કાયદો દૂર કરાયો! જાન્યુઆરીથી જૂન’૨૧માં છ હજાર કેસ આવી ગયા! તેથી ’લક્ષદીપ બચાવો’ આંદોલન શરૂ થયું છે. જે I.A.S. એ CAA સંદર્ભે રાજીનામું આપ્યું તે કન્નન ગોપીનાથે પ્રફુલ્લભાઇ પટેલ સાથે દાદરા નગર હવેલીમાં કામ કર્યું છે. એણે આ વિકાસની વાતો પોકળ છે તે જણાવ્યું છે. પંચાયતની ચૂંટણીના નિયમો પણ બદલ્યા છે. રહીસહી લોકશાહી છીનવશે. બે બાળકોથી વધુ બાળકોવાળા ચૂંટણી નહીં લડી શકે. આપણી સંસદમાં ૩૦૩ ભા.જ.પ. સાંસદોમાંથી ૯૬ સાંસદ બેથી વધુ બાળકો ધરાવે છે. પ્રફુલ્લભાઇ પટેલે જતા વેંત હંગામી સરકારી કર્મચારીઓને પણ દૂર કર્યા છે. તેથી ખાનગીકરણની શંકાને બળ મળે છે. એથી પ્રજામાં અસંતોષ થયો છે.

કોર્પોરટ હિતને લક્ષમાં રાખી, ધાર્મિક લાગણી ભડકાવવી અને પોતાનો કક્કો ખરો કરવો એેવી નીતિ ધરાવતી આ સરકાર છે એનું વધુ એક ઉદાહરણ લક્ષદીપમાં આવેલા કાયદાઓ પૂરું પાડે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 09

Loading

રંગભેદ : ચામડીના ગણવેશને ભેદભાવના વાઘા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 June 2021

ગત વરસના મે મહિનામાં કાળા અમેરિકી નાગરિક જ્યોર્જ ફ્લોઈડને સામાન્ય ગુના બદલ ગોરા પોલીસ અધિકારીએ જાહેર રસ્તા પર મારી નાંખ્યા હતા.. ફ્લોઈડની વરસી પૂર્વે જ બાર જજોની ગ્રાન્ડ જ્યુરીએ ગોરા પોલીસ અધિકારી ડેરેક ચૉવિનને દોષિત ઠેરવતો ચુકાદો આપી દીધો છે. ફ્લોઈડની હત્યાનો અને રંગભેદી અત્યાચારોનો વિશ્વભરમાં ભારે વિરોધ થયો હતો. પોલીસે તેના પગનો ઘૂંટણ ફ્લોઈડની ગરદન પર મૂકીને તેમના શ્વાસ રુંધી નાંખ્યા હતા. તે સમયે ‘મારો શ્વાસ રુંધાય છે’ તેમ સતત બોલતાબોલતા ફ્લોઈડે અંતિમ શ્વાસ લીધા હતા. એટલે ફ્લોઈડના આ આખરી શબ્દો વિરોધ આંદોલનનો નારો બની ગયા હતા. કાળી પ્રજા ગોરી દુનિયામાં રોજબરોજ જે રુંધામણ, અત્યાચાર અને ભેદભાવ અનુભવે છે, તેનો પડઘો તેમાં જોવા મળતો હતો. ચૉવિનને દોષિત ઠેરવતા અમેરિકી કોર્ટના ચુકાદાને આવકારતા, રાષ્ટ્રપતિ જો બાઈડને વાજબી રીતે જ ફ્લોઈડની હત્યા પછીના વિરોધ આંદોલનને સિવિલ વોર પછીનું સૌથી મજબૂત આંદોલન ગણાવ્યું છે. ફ્લોઈડની હત્યાને અમેરિકાના આત્મા પરનો ડાઘ કહી, આવી ઘટનાઓનાં પુનરાવર્તનને  અટકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

કોઈ પણ માનવીની ચામડીનો રંગ જૈવિક પ્રક્રિયા માત્ર છે. પરંતુ ચામડીનો રંગ અને વંશ ભેદભાવનું કારણ બન્યા છે. કાળી ચામડીના લોકો ગુલામ, નોકર, હલકા, નીચા અને ધોળી ચામડીવાળા માલિક, ઊંચા અને શ્રેષ્ઠ ગણાય છે. ઈ.સ.૧૪૯૫માં કોલંબસે અમેરિકાની શોધ કરી ત્યારે ત્યાં રેડ ઈન્ડિયનો વસતા હતા. પછી તેમાં યુરોપના ગોરી ચામડીના લોકો આવી વસ્યા અને તેમણે મૂળ નિવાસી કાળાઓનો નરસંહાર કર્યો. જે બચ્યા તેમને ગુલામ બનાવ્યા અને બીજા ગુલામો આફ્રિકાથી મંગાવ્યા.

કાળા-ગોરાના ભેદથી મુક્તિ માટે અમેરિકામાં સતત આંદોલનો અને સંઘર્ષો થતાં છેક ૧૯૬૫માં કાળાઓને સમાનતાનો અધિકાર મળ્યો. પણ હજુ ભેદભાવ અને અત્યાચારો મટ્યા નથી. અમેરિકાની કુલ વસ્તીમાં ૧૩ ટકા આફ્રો-અમેરિકન કાળાઓ, ૧૫ ટકા લેટિન અમેરિકીઓ અને ૭૨ ટકા ગોરા યુરોપિયન્સ છે. ૨૦૦૭માં અમેરિકાને પહેલા કાળા રાષ્ટ્રપતિના રૂપમાં બરાક ઓબામા મળ્યા હતા. કોલિન પાવેલ, કોન્ડાલિસા રાઈસ કે આજે કમલા હૈરીસ જેવાં આફ્રિકી-એશિયાઈ મૂળનાં બિનગોરાઓ દેશના જાહેરજીવનમાં મહત્ત્વનાં સ્થાને હોવાનો જેમ ઇતિહાસ છે, તેમ બે ગોરા રાષ્ટ્રપતિઓ અને માલ્કમ એક્સ અને માર્ટિન લ્યુથર કિંગ જેવા કાળા નેતાઓની હત્યાઓ તથા કાળાઓ પર રોજબરોજ હિંસા અને અત્યાચારોથી અમેરિકાનો ઇતિહાસ રક્તરંજિત પણ છે. ગરીબી, બેકારી, સુવિધાહીન આવાસો અને પરિણામે ગુનાખોરી, શોષણ અને અત્યાચારો અમેરિકાની કાળી પ્રજાની જાણે કે નિયતિ છે.

રંગભેદ પર એકલા અમેરિકાનો જ ઈજારો નથી. બ્રિટન, આફ્રિકા અને ભારત પણ તેનાથી મુક્ત નથી. બ્રિટનના શાહી પરિવારના સભ્ય એવા પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કલે તાજેતરમાં શાહી મહેલમાં તેમના પ્રત્યે કેવો ભેદ રખાતો હતો તે જાહેર કર્યો છે. આફ્રિકી મૂળના કાળા માતા અને ગોરા અમેરિકી પિતાનું સંતાન એવાં મેગન મર્કલે બ્રિટનના શાહી પરિવારના પ્રથમ મિશ્ર લોહી ધરાવતાં સભ્ય છે. શાહી મહેલથી આ દંપતી મુક્ત થઈ ગયું છે, પણ ભેદભાવથી મુક્ત થયું નથી. મેગનના ખુલાસા પછી આવકાર્ય તો એ બન્યું કે બ્રિટનના શાહી પરિવારે પેલેસમાં કોઈ રંગભેદ છે જ નહીં, અને તેમનાં વહુ જૂઠ્ઠાં છે તેવું વલણ લેવાને બદલે સત્તાવાર બયાનમાં મેગનની ભેદભાવની વાતને ગંભીરતાથી લીધી. પ્રિન્સ હેરી અને તેમનો પરિવાર શાહી પરિવારને અત્યંત પ્રિય છે અને તેમણે પડકારરૂપ વરસો પસાર કર્યાં તે અંગે ચિંતા વ્યક્ત કરી, બઘિંગહામ પેલેસમાં રંગભેદના અંશો પણ હશે તો તેનું સમાધાન શોધાશે તેવી ખાતરી આપી છે.

કાળાઓની બહુમતી ધરાવતા દક્ષિણ આફ્રિકામાં ૧૯૯૪ સુધી કાયદેસરનો રંગભેદ અસ્તિત્વ ધરાવતો હતો. સત્તાવીસ વરસ જેલમાં વીતાવ્યા પછી, એ વરસે નેલ્સન મંડેલા પ્રમુખ તરીકે ચૂંટાતા વિશ્વમાંથી કાયદેસરના રંગભેદના આખરી અવશેષો નાબૂદ થયા. તેમ છતાં ગોરી શ્રેષ્ઠતા હજુ ય મોજૂદ છે. માર્ટિન લુથર કિંગે અમેરિકામાં અને મંડેલાએ દક્ષિણ આફ્રિકામાં ગાંધી ચિંધ્યા માર્ગે રંગભેદમાંથી મુક્તિ મેળવવા આંદોલનો કર્યા હતા. પરંતુ ગાંધીભૂમિ ભારત આજે ય રંગભેદથી મુક્ત નથી.

ભારતમાં રંગભેદથી પણ વધુ ખતરનાક જાતિવાદ છે. જેની ભારતીયોને લગીરે શરમ નથી. રંગભેદનું ભારતીય સ્વરૂપ લિંગભેદમાં બહુ વરવા રૂપે જોવા મળે છે. ભારતમાં આફ્રિકી અને બીજા દેશોના કાળા લોકો પ્રત્યે તો ભેદભાવ અને હિંસા આચરાય છે. ખુદ ભારતમાં પણ કાળા રંગના લોકો, ખાસ તો મહિલાઓ પ્રત્યે ધિક્કાર જોવા મળે છે. સઘળા ભારતીય પુરુષોની લગ્ન માટેની પસંદ ગોરી ચામડીની સ્ત્રી જ હોય છે. બધા ભારતીયોને ગોરા દેખાવું છે. એટલે ગોરા દેખાવાની ફેરનેસ ક્રીમનો અબજોનો વેપાર ચાલે છે. મેટ્રો શહેરોના અંગ્રેજી અખબારોની લગ્ન વિષયક જાહેરાતોમાં ગોરી ચામડીની કન્યાઓની માંગ હોય છે. મેટ્રિમોનિયલ વેબસાઈટ પર સ્કીન કલર ફિલ્ટર હોઈ શકે છે. બી.જે.પી. સાંસદ તરુણ વિજય ભારતમાં રંગભેદ ન હોવાની સાબિતી તરીકે દક્ષિણ ભારતના કાળાઓ સાથે દેશના બાકીના ઘઉંવર્ણાઓના સમરસતાભર્યા સહજીવનનો દાખલો આપે છે. છે ને કમાલનો ભારતીય રંગભેદ ? !

વૈશ્વિક કાળી ચેતનાનો ‘બ્લેક ઈઝ બ્યૂટી ફુલ’-ના નારા સાથેનો પુખ્ત અને સમજદારીભર્યો દ્રઢ અહિંસક વિરોધ બેમિસાલ છે. ભારતના અગ્રણી સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયા અમેરિકાની યાત્રાએ ગયા હતા. ૨૬મી મે ૧૯૬૪ના રોજ રંગભેદના ગઢ ગણાતા મિસીસિપી રાજ્યના જૈકશન શહેરની તૌગુલૂ કોલેજમાં વ્યાખ્યાન પછી તે યજમાનો સાથે નજીકની હોટલમાં લંચ માટે ગયા. કાળી ચામડીના ભારતીય સાંસદ લોહિયાને હોટલના ગોરા મેનેજરે ભોજન આપવાનો કે હોટલમાં પ્રવેશવા દેવાનો ઈન્કાર કર્યો. થોડા સંઘર્ષ પછી લોહિયાને જમ્યા વિના નીકળી જવું પડ્યું. બીજા દિવસે તે વધુ મોટી સંખ્યામાં ફરી ગયા. ફરી ઈન્કાર થયો અને લોહિયાની ધરપકડ થઈ હતી.  કાળાઓના નાગરિક અધિકારોની વાત ગૂંજતી હતી તે દિવસોમાં અમેરિકાની ધરતી પર લોહિયાએ રંગભેદનો અહિંસક વિરોધ કર્યો હતો.

થોડા વરસો પહેલાં બ્રિટનના કાળી માલિકણ માર્થાના કાફેમાં કોઈ ગોરા ગ્રાહકો આવતા નહોતા. એટલે માર્થાએ તેના કાફે બહાર એક જાહેરાત લટકાવી. જેમાં લખ્યું હતું  ‘હું કાળા રંગની છું અને કાયમ કાળી જ દેખાવાની છું. જો તમે કાળા લોકોથી દૂર રહેવાનો હો તો મહેરબાની કરીને મારા કાફેમાં ના આવતા.’ અમેરિકાના વર્જિનિયાનાં ધોળા યુગલે કાળી વેઈટ્રેસને ટિપ ના આપીને અપમાનિત કરી. પણ તેણે કોઈ નફરત દેખાડ્યા વિના તેમને ફરી આવકારવાની તૈયારી દેખાડી. રંગભેદનો ભોગ બનેલા તેના સમર્થકોને શર્મિંદગી મહેસૂસ કરાવવા કેવા નવતર પ્રયોગો કરે છે.તેના આ ચંદ ઉદાહરણો છે. 

પુખ્ત લોકશાહી છતાં અમેરિકાનું વર્ણઘમંડ પૂર્ણપણે ગયું નથી. તો એક મોજણીના તારણ પ્રમાણે દુનિયામાં સૌથી ઓછો રંગભેદ ધરાવતો દેશ બ્રિટન છે, ભારત નહીં. ઓબામાને લાગલગાટ બે ટર્મ પ્રેસિડન્ટ તરીકે ચૂંટનાર અમેરિકામાં આજે ય રંગભેદની તરફેણમાં સભા-સરઘસો અને આંદોલનો યોજાય છે. અમેરિકી કાળાઓની નાગરિક ચળવળના નેતા કર્નેલ વેસ્ટે કહ્યું હતું, ‘આપણે કાળાઓ પ્રત્યેની વર્તણૂકને કાળાઓની સમસ્યા માની બેઠા છીએ. તેને અમેરિકી તરીકે દેશની સમસ્યા માનતા નથી. તે સૌથી મોટી સમસ્યા છે.’ ભારતની દલિત સમસ્યાને પણ દેશની નહીં  દલિતોની સમસ્યા માનવામાં આવે છે. એટલે રંગ, જાતિ, લિંગના નામે આચરાતા ભેદભાવોને  સમગ્ર દેશ કે આખા સમાજની સમસ્યા માનતા થઈશું તો જ તેને ઉકેલી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઉભરતી મહિલા સક્રિયતા

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|30 June 2021

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં, ગત વર્ષ દિલ્હી રમખાણો મુદ્દે એક વર્ષથી જેલમાં રહેલ ત્રણ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો કરેલ હુકમ આજકાલ ચર્ચામાં છે. અલબત્ત, દિલ્હી હાઈકોર્ટના આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થયેલ હોવાથી તેના ગુણદોષની ચર્ચામાં આપણે નહીં ઊતરીએ. અહીં ધ્યાન દોરવાનો મુદ્દો એ છે કે ત્રણ આરોપીઓ પૈકી બે મહિલાઓ હતી. નતાશા નરવાલ અને દેવાંગના કલિંત. એક વર્ષ જેલની યાતના સહન કરીને તેમાંથી બહાર નીકળતી વખતે આ બંને મહિલાઓ આત્મવિશ્વાસથી મુઠ્ઠીવાળી સૂત્રો પોકારતી હતી. જેલવાસ દરમિયાન નતાશાને તેના બિમાર પિતાને મળવા જવાની છૂટ પણ અપાઈ ન હતી. પિતાનું મૃત્યુ થતાં પેરોલ પર ૮ દિવસ માટે મુક્ત કરવામાં આવી હતી. પેરોલ સમય પૂરો થતાં તિહાર જેલમાં પ્રવેશતી વખતે ફરી જુસ્સા સાથેનો તેનો ફોટો અખબારોમાં પ્રકાશિત તેમ જ વાયરલ પણ થયો હતો.

રાજ્યની તાકાત સામે લોકશાહી રાજ્યમાં મહિલાઓની ઊભરી રહેલી આ શક્તિ અને તેમની હિંમત પ્રશંશનીય છે. લાંબા જેલવાસથી તેઓ જરા પણ હતોત્સાહ થયાં નથી. અમૂલ્ય લીઓના નામની એક મહિલાએ નાગરિકત્વસુધારાધારા સામે વિરોધની આગેવાની સંભાળી હતી. તેમની સામે રાજદ્રોહનો આરોપ લગાવાયો હતો. તેમણે ૩ માસ જેલવાસ વેઠ્યો. હજારો સ્ત્રીઓ આ વિરોધમાં દિવસો સુધી જોડાઈ હતી. સફોર ઝરગર નામની અન્ય એક મહિલાને પણ રાજદ્રોહના આરોપમાંથી દિલ્હી હાઈકોર્ટે મુક્ત જાહેર કરેલ છે. નવદીપ કૌર નામની એક દલિત મહિલાએ સિંઘુ બોર્ડર પર અનેક મહિલાઓ સાથે કૃષિકાયદાઓ સામે વિરોધી દેખાવો યોજ્યાં છે.

આ મહિલાઓને કોઈ રાજકીય પીઠબળનો અભાવ છે. તેમાં કોઈ કૉલેજ-યુવતીઓ છે, કોઈ પર્યાવરણવાદી તો કોઈ ઘરરખ્ખુ મહિલાઓ છે. મતદાર અને ભારતના નાગરિક તરીકે તેમણે અવાજ ઉઠાવવાની કોશિશ કરી છે. રાજકીય પક્ષોએ મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવાને બદલે માત્ર કેટલાક ઘરગથ્થુ લાભો કે સબસિડી આપવાની પોતાના ચૂંટણી ઢંઢેરાઓમાં જાહેરાત કરી છે, કેન્દ્રિય સંસદ, પ્રધાનમંડળ કે રાજ્યોની ધારાસભા કે પ્રધાનમંડળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ રહેલું છે. Me-Too ચળવળ વખતે અનેક મહિલાઓએ પોતાની સાથેનાં પુરુષોનાં કારનામાં પ્રગટ કરવાની હિંમત દર્શાવી છે. ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર કેરળનાં તત્કાલીન આરોગ્યપ્રધાન કે.કે. શૈલજાને નવા પ્રધાનમંડળમાં સમાવિષ્ટ ન કરવાનું અને વિરોધ અવગણવાનું વલણ સમજની બહાર છે.

સંસદ અને રાજ્ય ધારાસભાઓમાં ૩૩% મહિલા અનામત ખરડા સંબંધમાં રાજકીય પક્ષો ભલે બહારથી સમર્થન જાહેર કરતા હોય, પરંતુ ખરડો સફળ ન થવા દેવા માટે તમામ રાજકીય પક્ષો અંદરખાને એકમત જણાય છે. રાજકીય પક્ષોનું આ વલણ હતોત્સાહ કરનારું છે. મહિલાઓનાં વલણમાં જોવા મળતી આ સક્રિયતા આવકારદાયક છે અને રાજકીય પક્ષોએ અન્યાય સામે જુસ્સાભેર લડી રહેલ આ મહિલાઓને સમર્થન આપવું જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 08

Loading

...102030...1,8291,8301,8311,832...1,8401,8501,860...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved