Opinion Magazine
Number of visits: 9676173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંદરમી ઑગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 August 2021

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજો આપણને સત્તાની સોંપણી કરીને દેશ છોડીને જતા રહ્યા એને જો આપણે આઝાદી કહેતા હોઈએ તો આજે આઝાદીની ૭૪મી વર્ષગાંઠ છે અને દેશ આઝાદીની સુવર્ણજયંતી વર્ષમાં પ્રવેશ્યો છે. આવતા વરસે આપણે આઝાદીનાં ૭૫ વરસ પૂરાં કરીશું. આઝાદી સાથે ભારતનું વિભાજન પણ ન ભૂલાય એવી ઘટના છે. એ એક ઘાવ છે જે સતત દુઝતો રહે છે અને તેનો રાજકીય ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે આઝાદીનો ઉત્સવ મનાવતી વખતે આત્મનિરીક્ષણ પણ કરવું જોઈએ કે કેમ આપણે સાથે રહી ન શક્યા? દોષારોપણ બાજુએ રાખીને આત્મપરીક્ષણ કરવું જોઈએ.

આ લેખનો પ્રારંભ જ શંકા સાથે મેં સવાલ સાથે કર્યો છે કે ૧૫મી ઓગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ? અંગ્રેજીમાં એને ટ્રાન્સફર ઓફ પાવર કહેવામાં આવે છે. ૧૫મી ઓગસ્ટે ટ્રાન્સફર ઓફ પાવર થયો હતો કે ફ્રીડમ મળ્યું હતું?

આઝાદી એક પ્રક્રિયા છે અને સત્તાંતરણ એક ઘટના છે. ૧૫મી ઓગસ્ટે આપણને જે આઝાદી મળી એ સત્તાંતરણના સ્વરૂપની એક ઘટના હતી, કહો કે એક પડાવ હતો, પણ આઝાદીની પ્રક્રિયા તો એ પહેલાં પણ ચાલુ હતી, અત્યારે પણ ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલવાની. માટે ગાંધીજી કાયમ આઝાદી માટે સ્વરાજ શબ્દ વાપરતા હતા. સ્વ-રાજ. આપણા ઉપર આપણું રાજ. આપણા ઉપર આપણાઓનું રાજ નહીં, આપણા ઉપર આપણું રાજ. આ બે ચીજમાં જમીન આસમાનનો ફરક છે. ઘણાં લોકો એમ માને છે અને જે તે ધારાના રાજકારણીઓ એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે આપણા ઉપર આપણાઓનું રાજ હોય એ જ પૂરતું છે અને તેને જ આઝાદી કે સ્વરાજ કહેવાય.

આખી ૨૦મી સદીનાં જગતના રાજકારણ ઉપર નજર કરશો તો જોવા મળશે કે જગત આખામાં આપણા ઉપર આપણાઓનાં રાજના નામે આંદોલનો ચાલ્યાં છે અને આજે પણ એ જ જોવા મળી રહ્યું છે. મૂળમાં એ સત્તાનું રાજકારણ છે. આનો અર્થ એ થયો કે આપણે સત્તાકેન્દ્રી છીએ, સ્વરાજકેન્દ્રી નથી. ભારતને આઝાદી મળી ત્યારે દલિત નેતાઓ દલિતોને સમજાવતા હતા કે આ તો રાજકીય આઝાદી છે, સાચી આઝાદી તો આવવાની બાકી છે. જે આઝાદ થયા છે એ સવર્ણ હિંદુઓ થયા છે, દલિતોએ આઝાદ થવાનું બાકી છે. દલિતોએ બ્રાહ્મણ અને બ્રાહ્મણવાદથી આઝાદ થવાનું છે અને એ ત્યારે થશે જ્યારે સવર્ણોના હાથમાંથી છીનવી લેવામાં આવશે. દલિત રાજકારણીઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી દલિતોનું રાજ નહીં આવે ત્યાં સુધી સાચી આઝાદી મળવાની નથી. આજે પણ દલિતો આશા રાખીને બેઠા છે કે આપણા ઉપર આપણાઓનું રાજ આવશે ત્યારે આપણને સાચી આઝાદી મળવાની છે.

ભારતને આઝાદી મળી ત્યારે સામ્યવાદીઓ પણ કહેતા હતા કે આ કોઈ સાચી આઝાદી નથી. જે આઝાદી મળી છે એ સહિતોને આઝાદી મળી છે, રહિતોએ અર્થાત્ ભારતનાં કરોડો શોષિતોએ હજુ આઝાદ થવાનું બાકી છે. તેમને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે દેશ ઉપર સામ્યવાદીઓ રાજ કરશે. સર્વહારાઓએ સમજવું જોઈએ કે તેમના ઉપર તેમનાઓનું રાજ જરૂરી છે. આ જ વાત હિન્દુત્વવાદીઓ પણ કરતા હતા. તેઓ કહેતા હતા કે દેશને જે આઝાદી મળી છે એ સાચી આઝાદી નથી. હિંદુઓએ તો હજુ આઝાદ થવાનું બાકી છે. હિંદુઓને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે દેશ પર માત્ર અને માત્ર સાચા હિંદુઓ રાજ કરશે. સાચા હિંદુઓ એટલે હિન્દુત્વવાદીઓ. ટૂંકમાં તેમણે પણ હિંદુઓને કહ્યું હતું કે તમને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે તમારા ઉપર તમારાઓ રાજ કરશે. આજે કેટલાક હિંદુઓની છાતી ગજગજ ફૂલે છે કે આપણા ઉપર અને દેશ ઉપર આપણાઓનું રાજ છે.

આખી વીસમી સદીમાં લગભગ સર્વત્ર આજ ચાલ્યું છે અને અત્યારે તો સ્થિતિ સુધરવાની જગ્યાએ વકરી છે. અમેરિકામાં અમેરિકન શ્વેત ખ્રિસ્તીઓને પણ તેમના ઉપર શ્વેત ખ્રિસ્તીઓનું રાજ જોઈએ. આવું જ બીજા દેશોમાં બની રહ્યું છે. સ્વતંત્રતાની સમજ વ્યાપક બનવાની જગ્યાએ કુંઠિત બની રહી છે. સ્વ-રાજની ચેતના વધુ સમૃદ્ધ અને સુક્ષ્મ બનવાની જગ્યાએ છીછરી બની રહી છે.

આવું કેમ બન્યું? બીજા દેશોની વાત જવા દઈએ પણ આપણા બંધારણમાં શક્ય એટલી જોગવાઈ કરવામાં આવી છે કે આપણા ઉપર આપણું રાજ હોય. પ્રત્યેક ભારતીયને સ્વતંત્ર નાગરિક તરીકેની ઓળખ આપી છે, તેના અધિકારો સ્પષ્ટ કરવામાં આવ્યા છે, તેને મૂળભૂત(ફન્ડામેન્ટલ)ની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે, તેના રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે, તેને મતનો અધિકાર આપવામાં આવ્યો છે અને તેના દ્વારા તે કોઈને સત્તા ઉપર બેસાડી શકે છે અને ઊતારી શકે છે અને છતાં તે પોતાના ઉપર પોતાનું રાજ વિકસિત કરવાની જગ્યાએ પોતાના ઉપર પોતાનાઓનું રાજ શોધી રહ્યો છે.

આનું કારણ છે, ભય. સ્વતંત્રતા અને ભય સાથે ન રહી શકે. જ્યાં ભય હોય ત્યાં સ્વતંત્રતા ન હોઈ શકે. ભયભીત માણસ સ્વતંત્ર ન હોઈ શકે. ઉપર કહ્યા એ બધા પ્રકારના રાજકારણીઓ નાગરિકને ડરાવીને તેને જે તે ઓળખ આધારિત સમૂહનો હિસ્સો બનાવે છે અને તેમને કહે છે કે જ્યાં સુધી તમારા ઉપર તમારાઓ રાજ નહીં કરે ત્યાં સુધી તમને સાચી આઝાદી મળવાની નથી. પહેલાં ડરાવીને અને એ પછી ડરમુક્ત કરવાનો વાયદો કરીને રાજકારણીઓ જે તે પ્રજાને નાગરિકમાંથી ઘેટાં બનાવીને વાડામાં પૂરી રહ્યા છે અને ઉપરથી કહે છે કે આ બધું તેઓ સાચી આઝાદી અપાવવા માટે કરી રહ્યા છે.

સાચી આઝાદી. વાડામાં પૂરી રાખવા અને ઉપરથી ડરાવવા એ બધું સાચી આઝાદી માટે! આ બધું વિચિત્ર નથી લાગતું? આજના પવિત્ર દિવસે થોડું ચિંતન કરવું જોઈએ. આપણે કઈ દિશમાં જઈ રહ્યા છીએ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑગસ્ટ 2021

Loading

ટૂંકીવાર્તાની કલા વિશેનાં મારાં મન્તવ્યો (1)

સુમન શાહ|Opinion - Literature|15 August 2021

સમસામયિક ગુજરાતી સાહિત્યલેખનની એક સર્વસામાન્ય ક્ષતિ કે ખામી એ છે કે કેટલાં ય લેખન ભાષાશુદ્ધ નથી. શબ્દપસંદગી, જોડણી, વાક્યરચના અને વિરામચિહ્નો – એ ચાર બાબતે દોષયુક્ત લખાણોનાં અનેક દૃષ્ટાન્તો મળે છે. સુખદ અપવાદો નથી એમ નથી, પણ એ અપવાદોની સંખ્યા પણ હવે નાની થવા માંડી છે.

ક્ષતિ કે ખામીનો આ મુદ્દો નીવડેલા કે નવોદિત સર્જક વિવેચક અધ્યાપક વિદ્યાર્થી – સૌને લાગુ પડે છે. એમાંથી ટૂંકીવાર્તાના લખનારાઓને બાદ કરી શકાય એમ નથી.

આ મુદ્દો વ્યાકરણસંગત પરિશુદ્ધ લેખનની શિસ્ત સાથે સંકળાયેલો છે, એટલે હાલ જતો કરું છું.

++

મારે રજૂ કરવાં છે, ટૂંકીવાર્તાને વિશેનાં મારાં પોતાનાં મન્તવ્યો. એ મન્તવ્યો, પહેલી વાત એ કે ટૂંકીવાર્તાઓ મેં સરજી, તેનાં ફળ છે. બીજી વાત એ કે છેલ્લાં લગભગ ૨૫ વર્ષથી અન્યોની વાર્તાઓ જોતો-તપાસતો રહ્યો છું તેનાં પરિણામે છે. ત્રીજી વાત એ કે ટૂંકીવાર્તાના કલાસ્વરૂપ વિશે વર્ગમાં વ્યાખ્યાનો આપ્યાં કે અન્યત્ર હજી આપું છું, લેખો લખ્યા, હજી લખું છું, તે વિદ્યાવ્યાસંગનો એમાં ફાળો છે. ચૉથી વાત એ કે આ મન્તવ્યો કોઈ સિદ્ધાન્તગ્રન્થમાંથી તો નથી જ નથી, અને કોઇ કોઇ મન્તવ્યોના સગડ કોઇ કોઇ સિદ્ધાન્તગ્રન્થમાં જડી આવે, તો એ પાંચમી વાત ખુશ થવા જેવી વાત છે.

આ મન્તવ્યો મુખ્યત્વે ટૂંકીવાર્તાના સર્જન અંગે છે. વાર્તાપઠન વાર્તાશ્રવણ વાર્તાવાચન અને વાર્તાવિવેચન અંગેની મારી માન્યતાઓ ને ટીકાટિપ્પણીઓ એમાં જરૂરત પ્રમાણે ઉમેરાતી રહેશે. તમામ મન્તવ્યો ફેરવિચાર અને સુધારને પાત્ર ગણીને ચાલીશ, છતાં, સંલગ્ન દરેક વિચારને પૂરતો ન્યાય આપીશ, કાચોપાકો છોડી નહીં દઉં.

મને સૂઝશે તેમ લખતો જઈશ એટલે લેખોનો ક્રમ ટૂંકીવાર્તાની ઍનેટોમીને – દેહના સંરચનાશાસ્ત્રને – અનુસરતો નહીં લાગે. જેમ કે, ઘડીમાં ટૂંકીવાર્તાના શિરની વાત કરતો હોઈશ, ઘડીમાં ધડની, તો ઘડીમાં એના હાથપગની. પણ એ ન નભે એવું નથી. હવે પછીના આવા દરેક લેખમાં પાંચ મન્તવ્યો રજૂ કરીશ. આવા અનેક લેખોની શ્રેણી કલ્પી છે.

++

૧ :

ટૂંકીવાર્તામાં એકાદ ઘટનાનું નિરૂપણ હોય છે એ જાણીતી વાતમાં હું એક ઉમેરણ કરવા માગું છું.

જીવનમાં ઘટના ઘટે પછી એક સંવેદન બચી જતું હોય છે. દાખલા તરીકે, કોરોનાને કારણે સંભવેલી મૃત્યુની ઘટના આજકાલ એક દુખદ સંવેદન છોડી જતી હોય છે.

એ કે એવું કોઇપણ સંવેદન વાર્તાકારનું પોતાનું હોય, એના કોઇ સ્વજનનું હોય, પરાયા જનનું પણ હોય. ટૂંકમાં, અંગત હોય તેમ બિનંગત પણ હોય.

મારું મન્તવ્ય છે કે વાર્તાકારે જીવનમાંથી મળેલી ઘટના લઈને સીધા જ મંડી પડવાને બદલે સૌ પહેલાં ઘટનામાંથી જન્મેલા સંવેદનનું સંવનન કરવું જોઈશે – જેમ કામભોગ પૂર્વે સંવનન જરૂરી મનાય છે તેમ.

તો સમજાશે કે અમથાલાલને કોરોના કેમ વળગ્યો – માસ્ક ન્હૉતા પ્હૅરતા – ડિસ્ટન્સ ન્હૉતા જાળવતા, વગેરે. એમના એ બેહૂદા વર્તનનાં અનેક કારણો હતાં. એમની વિકૃત માનસિકતા, માનિસકતામાં જવાબદાર એમનો ઉછેર, ઉછેરમાં કારણભૂત સામાજિક સાંસ્કૃતિક વગેરે પરિબળો. એ બધાં જ તત્ત્વોએ ભાગ ભજવેલો. લેખક સંવેદનનું સંવનન કરશે એથી એ પરિબળોનાં એને બહુરૂપ દર્શન થશે. સમજાઈ જશે કે ઘટનાનાં મૂળિયાં ક્યાં ક્યાં ફેલાયેલાં છે, ઘટના કેવી કેવી રીતેભાતે ઘડાઈ છે. જીવનમાંથી મળેલી એ ઘટનાનું એને સરળ વિશ્લેષણ મળી જશે, એનો એને સહજ સાક્ષાત્કાર થઈ જશે.

એ સાક્ષાત્કારની ભૂમિકાએથી લેખક પોતે લખવા ધારેલી વાર્તાનો પ્રારમ્ભ કરી શકશે. એને થશે કે મળી આવેલી એ ઘટનામાં પોતે કશુંક ઉમેરી શકે એમ છે. ઘટનાનું પોતાની દૃષ્ટિમતિ અનુસારનું અર્થઘટન કરશે. જીવનની ઘટનાનું પોતાની વાર્તાને માટેનું એને એક કામચલાઉ રૂપ દેખાઈ જશે. એ રૂપનું એ એવું લેખન શરૂ કરી શકશે જે એની સર્જકતાને પ્રતાપે એક લીલા રૂપે આગળ વધશે. વાતનો સાર એ કે જીવન અને સર્જન વચ્ચે એક ચૉક્કસ અનુબન્ધ ઊભો થશે. પરિણામે, વાર્તા ઠોસ લાગશે, તકલાદી કે વાતૂલ નહીં લાગે.

૨ :

ટૂંકીવાર્તામાં પાત્ર પાત્ર વચ્ચેના સમ્બન્ધો લેખકે સ્પષ્ટ કરી દેવા અથવા સૂચવી દેવા એ ખૂબ જ જરૂરી મુદ્દો છે. દાખલા તરીકે, આ ભાઇ તો નાયિકાના ભાઈ નથી પણ વર છે, એવી જાણ વાચકને કે શ્રોતાને બહુ જ મૉડેથી થાય તે ન ચાલે. આ સસરા છે, બાપ નથી; આ દીકરી નથી, પુત્રવધૂ છે; બગીચામાં બેઠેલું યુવક-યુવતીનું જોડું પ્રેમલા-પ્રેમલી લાગે, પણ એમ ન યે હોય, બન્ને ભાઇ-બેન હોય ને મા-ની બીમારીની ચિન્તા કરતાં હોય ! યથાસમયે સમ્બન્ધની સ્પષ્ટતાઓ કરી દેવી અનિવાર્ય છે. યાદ રહે કે જીવન પણ સમ્બન્ધોને લીધે એક વાર્તા જેવું ભાસે છે ! એ જ રાહે, સાહિત્યમાં પણ વાર્તા, પાત્ર પાત્ર વચ્ચેનાં વિચાર વાણી વર્તનથી રચાતી હોય છે. ત્યારે એ સમગ્ર માનવીય વ્યવહારને સમજવા માટે કોણ કોનું શું થાય છે તે ઝટ જણાવી દેવું જરૂરી બની જતું હોય છે.

૩ :

લેખકે સમજીવિચારીને નક્કી કરી લેવું જોઈએ કે વાર્તા કહેશે કોણ.

પાત્ર પોતે કહી શકે – જેને આપણે ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’ કહેતા આવ્યા છીએ. (પણ એને સુધારી લેવાની જરૂર છે. ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ કહેવું જોઈએ. મૂળે એ, ફર્સ્ટ ‘પર્સન’ નૅરેટિવ કે નૅરેશન છે. સમાજમાં બધે તેમ અહીં પણ ‘પુરુષ’ ઘુસાડી દીધું છે, એ અનાચાર છે.) આ કેન્દ્રથી રચાતી વાર્તા વધારે પ્રામાણિક લાગશે કેમ કે પાત્ર પોતે જ પોતાનાં વીતક કહેતું હોય છે.

બીજું, લેખક પણ વાર્તા કહી શકે. એમ મનાય છે કે બધાં પાત્રોનો તેમ જ સ્થળકાળ અને બધી પરિસ્થતિઓનો એ જાણકાર છે. એને આપણે ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’ કહીએ છીએ.

ત્રીજું, બન્ને કથનકેન્દ્રના જરૂરી સંમિશ્રણથી પણ વાર્તા કહી શકાય.

તેમ છતાં, વાર્તાકારોએ એ સમજી રાખવાનું છે કે કોઈ પણ ક્ષણે સર્વજ્ઞની જરૂર પડવાની છે. વાર્તા ફર્સ્ટ પર્સનમાં ચાલતી હોય ત્યારે સર્વજ્ઞનો પ્રવેશ કોઇક વખતે અનિવાર્ય બની જાય છે. એવા પ્રસંગે સર્વજ્ઞ મને ડાયરેક્ટર તેમ જ સિનેમેટોગ્રાફર રૂપે ઉપકારક લાગ્યો છે. ત્યારે ઘટનાના સઘળા પરિવેશનું કામ સર્વજ્ઞ કરી દે. સ્થળો વગેરેની ગોઠવણી કહી બતાવે, દૃશ્યોનાં સૅટિન્ગ્સ સૂચવી દે. કેમ કે પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી સરજાયેલું પાત્ર તો બાપડું જીવે કે આપણને સ્થળો બતાવે?

૪ :

પોતે વાર્તા લખનારો છે એટલે વાર્તાકારે શું વાર્તા જ કહ્યા કરવાની છે? ના. એણે એવી રચના કરવાની છે જે ટૂંકી હોવા છતાં પોતાની ચોપાસ અર્થભાવનાં વલય સરજી રહી હોય અને એમ કશી વ્યંજનાની રીતે વિકસી હોય. નહિતર, વાર્તાકાર જો વાર્તા જ કહ્યા કરશે તો એ કૃતિ ઇતિહાસનું, નવલકથાનું કે પાત્રની જીવનકથાનું કે આત્મકથાનું પ્રકરણ બનીને ઊભી રહેશે !

વાર્તા તો નાનકડા જોકમાં, લઘુકથામાં, લઘુનવલમાં, નવલકથામાં કે મહાનવલમાં પણ હોય છે. પરન્તુ એનો અર્થ એ નહીં કે દોર આપ્યા જ કરીએ ને વાર્તારૂપી પતંગને ચગતો જાય એ દિશામાં ચગવા જ દઈએ. વાચક જ કાપી નાખશે ! એવી સહેલગાહ ટૂંકીવાર્તાના સર્જકને નથી છાજતી.

ઘણા એમ માને છે કે ટૂંકીવાર્તા લખું છું એટલે ટૂંકી પણ કહું તો વાર્તા જ ! પણ ટૂંકી એટલે કેટલી? માપ કોણ નક્કી કરે? સામયિકના તન્ત્રીએ તો શરત મૂકી છે કે તમારી વાર્તા ૨૦૦૦ શબ્દની મર્યાદામાં હોવી જોઈશે. વાર્તા ટૂંકી થશે, લાઘવના ગુણ થકી. થોડામાં ઘણું સૂચવાઈ જાય, ઇશારામાં કે લસરકામાં કહેવાઈ જાય. બાકી કહ્યા જ કરીએ તો એનો તો અન્ત જ નથી. જીવનની કઇ વાતને છેડો છે?

૫ :

સમગ્ર લેખન ટૂંકીવાર્તાની શરતે થવું જોઈએ. સંગીત તો બધે હોય છે, પણ રાગે રાગે આગવી રીતે પ્રગટે છે. યમનકલ્યાણનું ગાયન કરવા માગતા હોવ તો યમનકલ્યાણના બંધારણનું પૂરી અદબ જાળવીને પાલન કરવું પડે. એમાં બાગેશ્રી કે ભૈરવીના સૂર ન ભેળવાય. સમજાય એવું છે.

બધી જ રમતો આનન્દ આપે છે, પણ આનન્દ આપવાની દરેકની રીત જુદી હોય છે. એટલે, તમે ક્રિકેટ રમો ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે એ થપ્પો કે પકડદાવ નથી. હુતુતુ, લંગડી નથી કે લંગડી, કોથળાદોડ નથી. ટૂંકીવાર્તા ટૂંકીવાર્તા જ રહેવી જોઈએ. યાદ રહે કે એ વહીવંચો નથી, રીપોર્તાજ નથી, નિબન્ધ નથી, પત્રલેખન નથી.

હા, કાવ્યથી માંડીને કોઈ પણ સાહિત્યપ્રકારનું કિંચિત્ ક્યારેક એ જરૂર લઈ શકે છે – પણ ત્યારે એ એની સર્જકતાની મોટી કસોટી હશે.

બીજા પાંચ મુદ્દા હવે પછી, અવકાશે …

નૉંધ : આ પાંચ મુદ્દા બહારની કોઈ પણ ચર્ચાને અહીં સ્થાન નથી. અભદ્ર ભાષામાં પુછાયેલા વિવેકહીન પ્રશ્નોને અહીં જરા પણ સ્થાન નથી. કોઈપણ ભોગે વિષયસંલગ્ન રહેવું એ વિદ્યાપ્રેમીઓ માટે કશી મુશ્કેલ ચીજ નથી. લિટરરી ઍટિટ્યુડ અને ઍટિકેટ દાખવવાનું પણ સાહિત્યપ્રેમીઓ માટે કદી કઠિન નથી હોતું.

= = =

(August 15, 2021: USA)

સૌજન્ય : લેખક, સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલ પરેથી સાભાર

Loading

દેશપ્રેમ ભૌગોલિકતામાં નથી, માનવતામાં છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 August 2021

અંગ્રેજી ભાષાનો શબ્દકોશ તૈયાર કરનાર બ્રિટિશ વિદ્વાન સેમ્યુઅલ જોહ્ન્સને ૧૭૭૫માં કહ્યું હતું કે, પેટ્રીઓટિઝમ ઈઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઓફ ધ સ્કૈઉન્ડ્રલ – દેશપ્રેમ બદમાશ લોકોનું છેલ્લું આશ્રયસ્થાન છે. એનો અર્થ એ થાય કે દેશપ્રેમના નામે કોઈ પણ અપરાધ કે ગેરવર્તન ચલાવી લેવામાં આવે છે. એક વર્ષ પહેલાં, ૧૭૭૪માં, જોહ્ન્સને બ્રિટિશ મતદારો સામે આપેલા એક ભાષણમાં સરકારમાં બેઠેલા લોકોના ખોટા દેશપ્રેમની ટીકા કરી હતી. એ ભાષણ પછી ‘ધ પેટ્રીઓટ’ તરીકે પ્રગટ થયું હતું. તેમાં તેણે કહ્યું હતું : “દેશપ્રેમી એ છે જેનો સાર્વજનિક વ્યવહાર તેના દેશ માટેના પ્રેમથી નિયંત્રિત હોય. સંસદના પ્રતિનિધિ તરીકે તેનામાં પોતાના માટે ન કોઈ આશા કે ડર હોય, ન દયા કે ઘૃણા હોય, પણ તેની દરેક બાબતમાં આમ જનતાનું હિત હોય.”

જોહ્ન્સને આ કહ્યું તેના ૨૦૦ વર્ષ પછી, ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પરની ચર્ચામાં વાજપેયીએ કહ્યું હતું, “આ લોકશાહી છે અને લોકશાહીમાં જવાબદારી હોય છે. આપસી હોડમાં આપણે એકબીજાના દેશપ્રેમ પર દબાવ નાખવો ન જોઇએ, એકબીજાના દેશપ્રેમને પડકાર ફેંકવો ન જોઇએ અને એકબીજાના દેશપ્રેમ પર સંદેહ કરવો ન જોઇએ. મૂળભૂત સર્વસંમતી જેવું હોવું જોઈએ તે પણ નથી.”

જોહ્ન્સનની વાતને થોડા જુદા શબ્દોમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરે પણ કહી હતી. ૧૯૦૮માં, વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝની ટીકાનો જવાબ આપતાં ટાગોરે એક જગ્યાએ લખ્યું હતું કે, “દેશભક્તિ આપણો અંતિમ આધ્યાત્મિક સહારો ન બનવી જોઈએ. મારો આશ્રય માનવતા છે. હું હીરાની કિંમતે કાચ નહીં ખરીદું. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી માનવતા ઉપર દેશભક્તિની જીત નહીં થવા દઉં.”

આજે આપણે ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે દેશપ્રેમ કોને કહેવાય તે પ્રશ્ન એટલો જ પ્રાસંગિક છે, જેટલો તે જોહ્ન્સના સમયમાં હતો. દેશને પ્રેમ કરવો એટલે શું? મોટા ભાગના લોકો દેશને પ્રેમ કરવાનો મતલબ ભારતની જમીનને પ્રેમ કરવાનો કરે છે, અને દેશની બહાર છે તેને નફરત કરે છે. આ પ્રતીકાત્મક પ્રેમ છે. આવા પ્રતીક તરીકે રાષ્ટ્રધ્વજ પણ છે. બહુ બધા લોકો માટે રાષ્ટ્રધ્વજ સામે ઊભા રહી છાતી ફુલાવવી એ દેશનો પ્રેમ ગણાય છે. કેટલાક લોકો માટે બંદૂકો અને તોપો એ દેશપ્રેમ છે. ટાગોરે એટલે માનવતાનો પ્રેમ એ દેશપ્રેમ છે એમ કહ્યું હતું.

દેશને પ્રેમ કરવો એટલે એની ભૌગોલિકતા અને એના ઇતિહાસને પ્રેમ કરવો એ ખાસ્સો સંકુચિત અભિગમ છે. આ સૌથી સરળ રસ્તો પણ છે. આમાં કોઇ કર્તવ્યપાલન નથી આવતું. વાજપેયીના શબ્દોમાં, ‘જવાબદારી નથી આવતી.’ તમે વગર ટિકિટે ટ્રેનમાં બેસીને કે રસ્તામાં પાનની પિચકારી મારીને કે લાંચ-રુશ્વત લઇને કે કોઈનું શોષણ કરીને પણ 15મી ઑગસ્ટે દેશપ્રેમનાં ગીત ગાઈને દેશપ્રેમ બતાવી શકો છો.

ભારતીય તરીકે મારી કોઈ વિશેષ યોગ્યતા હોવી જોઈએ? મારી કોઈ ચોક્કસ સંસ્કૃતિ હોવી જોઈએ જે મને ભારતીય તરીકે વ્યાખ્યાઇત કરે? ભારતીય હોવાની કેટલીક ઓળખો છે – જેમ કે પારિવારિક મૂલ્યો, સામાજિક પરંપરા અને દાયિત્વ, સાંસ્કૃતિક પસંદ-નાપસંદ, ભાષા અને ધાર્મિક અભિવ્યક્તિ, પરંતુ આ બધું મને દેશપ્રેમી બનાવે છે?

દેશનો અર્થ નકશા અને પ્રતીકોને પ્રેમ કરવાનો નથી. દેશ સરહદોથી બનતો નથી. દેશની રચના અને ઓળખ લોકોના સમૂહથી બને છે. થોડાં વર્ષો પહેલાં આવેલી ‘એરલિફ્ટ’ ફિલ્મમાં રણજિત (અક્ષયકુમાર) કુવેતના યુદ્ધમાં ફસાયેલા લોકોની જે મદદ કરે છે એ દેશપ્રેમ છે. તેમાં જ્યોર્જ કુટ્ટી (પ્રકાશ વેલાવાડી), જે રીતે રણજિતને પરેશાન કરતો રહે છે અને ‘અમે અને તમે’નો ભેદભાવ કરતો રહે છે, તે રાષ્ટ્રવાદથી પ્રભાવિત છે. દેશપ્રેમ એ છે જેમાં તમને એક સુંદર દેશના નાગરિક હોવાનો આનંદ છે. રાષ્ટ્રવાદ એ છે જ્યાં તમારી સંસ્કૃતિ, ભાષા કે ધર્મમાં માનતા ન હોય તેવા તમામ લોકો તમારા માટે ઘટિયા છે.

ભૌગોલિક રૂપમાં દેશની રચના ખાસ્સી નવી છે. રામના સમયમાં અયોધ્યા જન્મભૂમિ હતી, ભારત નહીં. ગામડામાં આજે પણ લોકો પોતાના ઇલાકાને ‘દેશ’ કહે છે. મુંબઈના કચ્છીઓ વતન જાય તો ‘દેશ ગયા છે’ એવું કહે છે. હજુ થોડાં વર્ષો પહેલાં બાંગ્લાદેશનાં અમુક ગામો ભારતમાં આવ્યાં હતાં અને ભારતનાં અમુક ગામો બાંગ્લાદેશમાં ગયાં હતાં. યુરોપમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ લોકો દેશ બદલતા રહેતા હતા. બાંગ્લાદેશમાં એવા વયોવૃદ્ધ લોકો પણ છે, જે જન્મ્યા હતા ભારતમાં, પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા અને બાંગ્લાદેશના નાગરિક બન્યા હતા. એક સમયે કાશ્મીરના મહારાજાથી લઇને જૂનાગઢના નવાબ સુધીના સામંતી રાજાઓ ભારતથી અલગ રહેવા માગતા હતા.

ટૂંકમાં, સીમાઓના રૂપમાં દેશની ભૂગોળ બદલાતી રહે છે. એટલે જરૂરી એ છે કે દેશ પ્રત્યેનો પ્રેમ સીમાઓમાં બંધાયેલો રહેવાને બદલે માણસો પર કેન્દ્રિત થાય. દેશમાં રહેતા લોકોને પ્રેમ કર્યા વગર દેશને પ્રેમ કરી શકાય? તમે એક સમુદાય અથવા વર્ગને પ્રેમ કરો પણ બીજા સમૂહને નફરત કરો તો એ દેશપ્રેમ ગણાય? એટલા માટે જ, કાશ્મીરની જમીન માટે આપણો દેશપ્રેમ ઉભરાય છે, પણ એમાં રહેતા કાશ્મીરીઓ માટે તે પ્રેમ ગાયબ છે.

વધતા ઓછા અંશે ભારતના બાકીના પ્રદેશોમાં પણ આપણી ભાવના જમીન સાથે તો જોડાયેલી છે, પરંતુ એની પર રહેતા (અને આપણાથી જુદા) લોકો એ ભાવના માટે કાબેલ નથી. ભારતમાં જાત-ભાતના તિરસ્કાર છે. દલિતો અને હરિજનોને હજુ ય પશુ સ્તરે ગણવામાં આવે છે. સ્ત્રી હજુ ય પાપનું મૂળ ગણાય છે. ઇશાન ભારતના નાગરિકો હજુ ય મુખ્ય ભારતથી વંચિત મહેસૂસ કરે છે.

ટોકિયો ઓલેમ્પિકમાં આર્જેન્ટીના સામે સેમીફાઈનલ મેચ હારી ગયેલી ભારતીય મહિલા હોકી ટીમની સભ્ય વંદના કટારિયાના ઉત્તરાખંડ સ્થિત ઘર સામે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. કેમ? વંદના દલિત છે અને ગામ લોકોને એવું લાગ્યું હતું કે ટીમમાં ‘વધારે પડતા’ દલિતો હતા એટલે ભારત હારી ગયું. તેનું મહેણું મારવા માટે તેમણે ફટાકડા ફોડ્યા હતા. પાકિસ્તાન સામે ફટાકડા ફોડો કે દેશના લોકો સામે, આમાં ક્યાં દેશપ્રેમ આવ્યો?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 ઑગસ્ટ 2021

Loading

...102030...1,8221,8231,8241,825...1,8301,8401,850...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved