Opinion Magazine
Number of visits: 9674825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (60)

સુમન શાહ|Opinion - Opinion|16 August 2021

= = = = મનુષ્યપ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે દુર્નિવાર જે ખાલી જગ્યા કે ખાઈ છે તે હકીકતને નવલકથા વ્યંજિત કરે છે એ કારણે મને ગમી છે, પણ વધારે ગમી છે એ કારણે કે જીવનના મહાન પરિબળ પ્રેમને, એ પરમ સત્યને, એ દૃઢ કરે છે, સુદૃઢ કરે છે. = = = =

દેશમાં વર્ષા ઋતુ ચાલે છે. વરસાદ આવે, ન પણ આવે. દેશમાં કોરોના પણ ચાલે છે, ચાલ્યા જ કરે છે. વરસાદ ગંદકી ધોઇ નાખે, ગંદકી વધે પણ ખરી. ગંદકી વધે તો કોરોના વધે? ત્યારે કોઈ પણ રોગ વધે તેમ કોરોના ય વધે.

તેમ છતાં, કોરોના ગંદકીફંદકી જેવી બાબતોને ગણકારે એમાંનો નથી. જો કે લોક પણ, મોટા ભાગનું લોક, લગભગ બધા દેશોમાં, કોરોનાને ગણકારતું નથી. રસીકરણ એક ઇલાજ છે, પણ કેટલા ય યુરોપીયનો અને અમેરિકનો રસી મુકાવાની ના પાડે છે. માસ્કથી બચી શકાય, પણ જોઈ શકાય છે કે કેટલાક જ પ્હૅરે છે. ડિસ્ટન્સ જાળવનારાઓની મશ્કરીઓ થાય છે. જાત-અલગાવ સ્વીકારીને જાતે ક્વૉરેન્ટાઇન્ડ્ રહેનારાઓને સૂમડા, એકલપેટા અને સ્વાર્થી કહેવાય છે.

ટૂંકમાં, માણસ કોરોનાને નથી ગાંઠતો અને કોરોના માણસને નથી ગાંઠતો. ‘વૉરિયર’ કે ‘યોદ્ધો’ જેવા શબ્દ પ્રયોજીને આપણે આપણા મિથ્યાભિમાનને પોષીએ છીએ. મારફાડ કરીએ, બાથંબાથી કરીએ, હથિયારો વાપરીએ, કાપાકાપી કરીએ, એટલે કે, બરાબ્બરનો જંગ માંડીએ ત્યારે યુદ્ધ શરૂ થયું ગણાય. બાકી, આ તો એવી સખત મડાગાંઠ છે – હાર્ડ સ્ટેલમેટ – કે જેનો કોઈ જવાબ કે ઇલાજ છે જ નહીં. એક લાજવાબ અને લાઇલાજ પરિસ્થિતિમાંથી માનવજાત ગુજરી રહી છે.

તેમ છતાં, તેમ છતાં, આનન્દની વાત એ છે કે કોરોના પ્રેમને હરાવી શક્યો નથી. પ્રેમીઓ પ્રેમ નિરાંતે કરી શકે છે. પૉઝિટિવ-નૅગેટિવથી એમને કશો ફરક નથી પડતો. કોવિડગ્રસ્ત પ્રિયતમ માટે કે હૉસ્પિટલાઇઝ્ડ્ પ્રિયા માટે દોડી જનારને ચેપની ચિન્તા નથી હોતી. કોવિડથી થનારા મૉતની એમને મન ઍસીતૅસી હોય છે. કોરોનાકાળે ય પ્રેમ અપરાજિત રહ્યો છે.

આપણા કોઈ નવલકથાકારે ‘કોરોનાકાળે પ્રેમસમાગમ’ – એવા કોઈ શીર્ષકની નવલકથા લખી છે? જો હોય તો અંગ્રજીમાં એને કહેવાય – ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કોરોના’.

ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે – ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’ લખી છે.

એક જમાનામાં કૉલેરા અસાધ્ય રોગ રૂપે વકર્યો હતો. કોરોના પૅન્ડેમિક છે, કૉલેરા ઍપિડેમિક હતો.

દક્ષિણ અમેરિકાના એક લોકસમુદાયમાં કૉલેરા ફાટી નીકળ્યો હોય છે, વળી, એ લોકોએ સિવિલ વૉર ઉપરાન્તનાં યુદ્ધો પણ વેઠ્યાં હોય છે. સમયગાળો છે, ૧૯મી સદીના ૭-મા દાયકાથી ૨૦-મી સદીના ચૉથા દાયકાનો. નવલકથાનું વિષયવસ્તુ તો ખૂબ ચવાયેલું છે. એક સ્ત્રી બે પુરુષો જોડે જીવી હોય – એકની જોડે લગ્નજીવન અને બીજાની જોડે પ્રેમજીવન. એકની જોડે સુખસગવડભર્યું પણ રોમાન્સ વિનાનું દામ્પત્ય ને બીજાની જોડે લાંબા સમય લગીની વિરહવ્યથાનું જીવન.

થોડીક વીગતો આપીને ટૂંકસાર જ આપી શકીશ.

ફરમિના દાસા (Fermina Daza) ખચ્ચરોના ધનાઢ્ય વેપારીની દીકરી છે. ફ્લોરેન્તિનો અરિસા (Florentino Ariza) એનો પ્રેમી છે. બન્ને જુવાન વયે પ્રેમમાં પડેલાં. ઘરની બારીએથી જોતાંમાં જ પ્રેમ થઈ ગયેલો – લવ ઍટ ફર્સ્ટ સાઇટ. એકબીજાને પ્રેમપત્રો લખવા માંડેલા. પણ એક વાર ફરમિનાનો બાપ બન્નેને જોઈ પાડે છે ને દીકરીને અટકાવી દે છે. બાપ થોડા સમય પછી દીકરીને લઈને બીજા શહેરમાં પણ ચાલી જાય છે. જો કે આ બન્ને તો ટૅલિગ્રાફથી જોડાયેલાં રહે છે.

ફ્લોરેન્તિનો સામાન્યજન છે, ટેલિગ્રાફ ઑપરેટર, પણ કવિસ્વભાવનો છે. એથી ફરમિના એને વધારે ચાહવા લાગેલી. પણ બાપે લગ્નની સમ્મતિ ન આપી. જો કે મૉડે મૉડે ફરમિનાને પણ સમજાય છે કે આ તો સ્વપ્ન સમું હતું. એને બધું અડવું અડવું લાગવા માંડે છે અને એ ફ્લોરેન્તિનોને પ્રેમપત્રો પરત કરી દે છે.

એટલે, હુવેનાલ ઉરબિનો (Juvenal Urbino) જોડે ફરમિનાનાં લગ્ન થાય છે. ઉરબિનો ડૉક્ટર છે, બુદ્ધિશાળી છે, શિક્ષક છે, શ્રીમન્ત કુટુમ્બનો છે. પ્રગતિશીલ સ્વભાવનો છે. એણે સંકલ્પ કર્યો છે કે પોતે કૉલેરાને નાબૂદ કરીને રહેશે. શરૂમાં નથી ગમતો, પણ બાપની સમજાવટને કારણે અને ઉરબિનોએ આપેલી ભેટસોગાદોને કારણે ફરમિનાનું મન માની જાય છે.

આ ત્રણ મુખ્ય પાત્રો છે.

ઉરબિનો સાથેનું ફરમિનાનું લગ્નજીવન સુખી કહેવાય; વરસો લગી ટક્યું છે, પણ એમાં કશો રોમાન્સ નથી, પ્રેમ નથી. સમાજમાં પ્રતિષ્ઠિત ગૃહસ્થ દમ્પતીને શોભે એવી એમની સીધીસાદી જિન્દગી છે. આપણને લાગે કે બન્ને પોતપોતાની જરૂરિયાતે કરીને જોડાયાં છે. જો કે, ક્રમે ક્રમે, એકબીજાં માટે લાગણી અનુભવતાં થયાં છે. ઉરબિનોની વધતી ઉમરને કારણે ઊભી થતી તકલીફોનું ફરમિના નિવારણ કરતી હોય છે. કથક કહે છે એમ ઉરબિનોને એ ‘સેનાઇલ બેબી’ ગણીને, સંભાળે છે – એટલે કે, જાણે એ ગોકળગાયનું બચ્ચું હોય. એની સાથે એ એવી કેળવેલી માયાથી વર્તતી હોય છે.

આમ, પ્રેમનો નહીં પણ સુસ્થિર દામ્પત્યનો મહિમા થાય છે. ઉરબિનોની ફરમિના પ્રત્યેની પતિ તરીકેની પ્રતિબદ્ધતા એટલે લગી વિકસે છે કે એ પોતાની બાળસખી બાર્બરા સાથેની એ ભાવનાને ભૂંસી નાખે છે, જે એના વર્તમાન જીવનમાં છે જ નહીં – અને તે, પ્રેમ !

ફરમિના જણાવે છે કે નજીવી બાબતો માટેના આટઅટલા ઝઘડા, આટઆટલા પ્રશ્નો, ખબર નથી પડતી કે આ પ્રેમ છે કે શું. તેમ છતાં, ફરમિના અને ફ્લોરેન્તિનોની પહેલા પ્રેમની આતશ અને તેમાં મળેલી વિફળતાની વ્યથા નષ્ટ નથી જ થતાં. ફરમિના મનોમન અને ફ્લોરેન્તિનો પોતાના દિલમાં એ આતશ અને એ વ્યથાને જીવ્યે જાય છે.

ઉરબિનો અને ફરમિનાને લેખકે, આઇ મીન, એના બાપે, પૅરીસ મોકલી દીધાં ને આ ફ્લોરેન્તિનો લટકી પડ્યો. ગંદાઓની સોબતને કારણે એણે કંઇ સૅંકડો લફરાં પણ કર્યાં. જો કે, ફરમિનાને જાણ ન થાય એની એણે પૂરી કાળજી રાખી. સાથોસાથ, એણે વેપાર શરૂ કર્યો અને એમાં ખૂબ પ્રગતિ કરી. પણ એ બધાંની વચ્ચે એ એવી આશા સેવતો રહ્યો કે કોઈ એક દિવસ તો પોતે ફરમિનાને પામી જ શકશે. વરસો પછી એની આશા ફળે છે પણ ખરી.

સમય ઝડપથી વીતે છે. ફરમિના-ઉરબિનો ઘરડાં થાય છે. દામ્પત્યજીવનના બધા જ ચડાવ-ઉતાર ને સુખ-દુ:ખ ભોગવી ચૂક્યાં હોય છે. એક દિવસ ઉરબિનો પોતાના પાળેલા પોપટને પોતાના આંબેથી નીચે લાવવા નિસરણીએ ચડ્યો હોય છે, નિસરણી ખસી જાય છે, ઉરબિનો મૃત્યુ પામે છે.

ફ્લોરેન્તિનો ઉરબિનોની અન્ત્યેષ્ઠીમાં હાજર થઈ જાય છે. ત્યાં, વળી, પોતાના પ્રેમની ઘોષણા કરે છે, દાવો કરે છે કે પોતે વરસો લગી વફાદાર રહ્યો છે. ફરમિના એનો સ્વીકાર કરે છે ને બન્ને એવાં ઘરડાં છતાં એમ પ્રેમ કરતાં કરતાં જીવ્યે જાય છે. કહે છે, પહેલવહેલો એકરાર કર્યા પછી, ૫૦ વર્ષ ૯ માસ અને ૪ દિવસને અન્તે બન્નેનું પુનર્મિલન થયું. અને નવલ એમ સુખાન્તે સમ્પન્ન થઈ.

માર્ક્વેઝ કદાચ એમ સૂચવી રહ્યા છે કે પ્રેમ પણ એક રોગ જ છે. ત્રણેય મુખ્ય પાત્રો મનોયાતના ઉપરાન્ત શારીરિક પીડા પણ ભોગવે છે. એક સ્થાને એમણે ડૉક્ટર ઉરબિનોને પણ રોગી બતાવ્યો છે.

માર્ક્વેઝની સર્જકતા વિશે કહેવા બેસું તો આવા બીજા બે-ત્રણ લેખ કરવા પડે.

પણ એમણે વર્ણવેલી ઉરબિનોની જીવનશૈલી જુઓ, જુઓ કે કેટલી સાફ અને કેવી આકરી શિસ્તથી એ માણસ નિયમચુસ્ત જીવન જીવે છે : મળસ્કું થતાંમાં જાગી જાય, પોતાની અલાયદી, ખાનગી, દવાઓ લેવાનું શરૂ કરે – જોસ્સો બની રહે એ માટે પોટેશ્મયમ બ્રોમાઇડ – વરસાદ વખતે અકડાઈ ગયેલાં હાડકાં માટે અમુક (હું દવાઓનાં નામ નથી લખતો) – વર્ટિગો માટે અમુક ટીપાં – ગાઢ ઊંઘ માટે અમુક, વગેરે.

રોગી એવો તે શું કે કોઈ કોઈ દવા એણે દરેક કલાકે લેવી પડતી હોય છે – કોઇ ન જાણે એમ, હમેશાં ખાનગીમાં. કેમ કે ડૉક્ટર અને શિક્ષક તરીકેની લાંબી જિન્દગીમાં કદી એણે વૃદ્ધાવસ્થા માટે અપાતી દર્દશામક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી જ ન્હૉતી. એ એનો વિરોધી હતો. કેમ? સરસ કારણ અપાયું છે – કેમ કે, એના માટે પોતાનાં દુ:ખ કરતાં બીજાંનાં દુ:ખને સહી-સમજી લેવાનું સરળ હતું.

માર્ક્વેઝ વાચકોને મજા પડે એવું ઉમેરે છે કે ઉરબિનો ગજવામાં કપૂરની નાની પોટલી રાખતો. બધી દવાઓ ભેગી થઈ જવાથી ગભરાઈ જતો, ને ગભરાટના શમન માટે કોઈ જોઈ જાય નહીં એવી રીતે અવારનવાર કપૂર સૂંઘી લેતો …

ફ્લોરેન્તિનોનો પ્રેમ નિરંકુશ ઘોર વાસના છે. એની ભૂખ મરી જાય છે, એને અતિસાર થાય છે, અવારનવાર ઊલટીઓ થતી હોય છે, એને આંતરડાંની પણ ઘણી તકલીફો હોય છે. લાગે કે એ કૉલેરાનો શિકાર બન્યો છે. તેમ છતાં, મોટી વાત એ છે કે પ્રેમ નથી મરતો. બન્ને પ્રેમીઓના જીવન-અનુભવો જોતાં લાગે કે પ્રેમ એક અશક્યતા છે પણ પ્રેમ એક શક્યતા પણ છે. કેટલીક પરમ્પરાગત નવલકથાઓમાં સરવાળે પાપનો ક્ષય અને ધર્મનો જય બતાવાય છે. પણ અહીં પ્રેમનો જય દર્શાવાયો છે.

મનુષ્યપ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે દુર્નિવાર જે ખાલી જગ્યા કે ખાઈ છે તે હકીકતને નવલકથા વ્યંજિત કરે છે એ કારણે મને ગમી છે, પણ વધારે ગમી છે એ કારણે કે જીવનના મહાન પરિબળ પ્રેમને, એ પરમ સત્યને, એ દૃઢ કરે છે, સુદૃઢ કરે છે.

આ નવલનો સારામાં સારો અંગ્રેજી અનુવાદ મળે છે, એડિથ ગ્રૉસમન પાસેથી. એડિથ ફિલાડેલ્ફીઆમાં જન્મી છે. માર્ક્વેઝની ઉત્તમ અનુવાદક છે. એણે કરેલો ‘ડૉન કિહોટે’-નો અનુવાદ જગમશહૂર છે. એ મારિયો વર્ગાસ લોસા અને બીજા નામાંકિત સ્પૅનિશ-ભાષી લેખકોની પણ એટલી જ પ્રશસ્ત અનુવાદક છે.

કોઈ પણ અનુવાદ જડબેસલાકપણે કદી ખરો નથી હોતો. એમ હોય તો તરજૂમો હોય કે પછી મશીની ટ્રાન્સલેશન. સુજ્ઞ અનુવાદક મૂળ કૃતિના ભાવાત્માને ફીલ કરે છે અને એ પછી દેહાન્તર કરાવે છે. પરિણામે એ અનુવાદ આપણને આવકાર્ય લાગે છે. એવા સુજ્ઞને પોતાની ભાષાનું તો પૂરું જ્ઞાન-ભાન હોય જ છે, પણ જેનો અનુવાદ કરવા નીકળ્યો હોય છે એ કૃતિની ભાષાનું પણ હોય છે. એટલું જ નહીં, મૂળ કૃતિનો તો ખરો જ પણ એ કર્તાની અન્ય કૃતિઓનો પણ અભ્યાસુ હોય છે. એટલે, મૂળના યે મૂળમાં જાય છે.

જેમ કે, આ નવલનો અંગ્રેજી અનુવાદ સ્પૅનિશ પરથી છે, અનુવાદક સ્પૅનિશ ન જાણતો હોય તો પણ, પોતાના વિશિષ્ટ અધ્યયન વડે મૂળ કૃતિને ઓળખવા મથે. એથી, દાખલા તરીકે, એને ખબર પડે કે ’કૉલેરા’ રોગનું નામ છે પણ સ્પૅનિશમાં ‘કૉલેરા’-નો અર્થ ‘અતિ ક્રોધ’ અથવા ‘રોષ’ પણ થાય છે. અંગ્રેજીમાં પણ ક્રોધીને ‘કૉલેરિક’ તો કહેવાય જ છે. આમ, અનુવાદકાર્ય હઁસીખેલ નથી, સર્જન કરવાથી પણ વધારે દોહ્યલું કામ છે. તો, વિચારો કે અનુવાદની વિવેચના તો કેટલી બધી દુષ્કર હોય !

આપણે કહી શકીએ છીએ કે માર્ક્વેઝે નવલના શીર્ષકમાં ‘લવ’ તો રાખ્યો જ છે, પણ જોડે જોડે ‘કૉલેરા’ મૂકીને ‘અતિ ક્રોધ’-ને પણ રાખ્યો છે. મોટી વાત એ છે કે એ બે વિષમ શબ્દના સાયુજ્યને કારણે રચનામાં રહેલા વિષમ ભાવલોકનો સંકેત મળે છે – બન્નેનો યુવા વયથી વાર્ધક્ય લગી વિસ્તરેલો પ્રેમ; મલકમાં ફેલાયેલો કૉલેરા અને સિવિલ વૉર તેમ જ પ્લાન્ટેશનના કામદારોની થયેલી હત્યાઓ, એ હત્યાકાણ્ડ પ્રત્યેનો રોષ.

ફ્લોરેન્તિનો પ્રિયા ફરમિનાને કહે છે : આપદાઓ વચ્ચે પ્રેમ ઉમદા અનુભવાય છે : એટલે આપણે વાચકો ઉમેરી શકીએ છીએ – કૉલેરાકાળે પણ …

= = =

(August 10, 2021: USA)

Loading

મિત્રો

પારુલ ખખ્ખર|Poetry|16 August 2021

ભૂલભૂલમાં તીર ત્રાંસું તાકી જનાર મિત્રો,
સો-સો સલામ જીવતી રાખી જનાર મિત્રો!

નક્કર તો શોધવું'તું સરકી જવાનું બ્હાનું,
જૂના કરંડિયેથી નાસી જનાર મિત્રો!

શોધ્યા'તાં, સાચવ્યાં’તાં – છો ધારદાર તેથી,
ખમ્મા, ઓ મર્મસ્થાને વાગી જનાર મિત્રો!

કરજો ને તમતમારે જીવલેણ વાર કરજો,
મારી કલમનું લોહી ચાખી જનાર મિત્રો!

જીતી ગયા પરંતુ જીતી શક્યા ખરેખર?
અંચઇ કરીને બાજી મારી જનાર મિત્રો!

હસતા'તા, નાચતા'તા, ભાગ્યા ફટાક દઈને,
બે છિદ્ર નાવડીમાં ભાળી જનાર મિત્રો!

મક્તાનો શેર તમને અર્પણ કરે છે ‘પારુલ’
ભેટી પડીને જાસા આપી જનાર મિત્રો!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 16

Loading

એક ગુજરાતી, દેશ અનેક

કિશોર વ્યાસ|Diaspora - Reviews|16 August 2021

એક ગુજરાતી દેશ અનેક • લે. ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, સંપાદક : કેતન રૂપેરા, ૩S Publications, પ્રથમ આવૃત્તિ  ૨૦૨૧, ડેમી, પાકું પૂઠું, પૃ.૩૫૨, કિં.રૂ. ૫૦૦/-, પ્રાપ્તિસ્થાન : ગ્રંથ વિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ 380 009

રંગેરૂપે તેમ સામગ્રીમાં આકર્ષક એવું આ પુસ્તક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીએ ગુજરાતી ડાયસ્પોરાના જાણીતા વિચારપત્ર ‘ઓપિનિયન’માં લખેલાં લખાણોનું સંપાદન આપે છે. વિપુલ કલ્યાણીએ સાતત્યથી અને સૂઝબૂઝથી ‘ઓપિનિયન’ને ગૌરવશાળી બનાવ્યું છે. ગુજરાતી સમાજની વૈચારિક આબોહવાનો નકશો ‘નિરીક્ષક’, ‘ભૂમિપુત્ર’ જેવાં વિચારપત્રોમાં જે પ્રાપ્ત થાય છે એવી અમૂલ્ય સેવા આ વિચારપત્રે પણ બજાવી છે. આ જીવંત વિચારપત્રમાં વિષયવૈવિધ્ય પણ નવાઈ પમાડે એટલું સમૃદ્ધ રહ્યું છે. ‘ઓપિનિયન’માં એકલા ડાહ્યાભાઈ મિસ્ત્રીનાં લખાણો પર નજર ફેરવીએ તો પણ ખ્યાલ આવશે કે કેવા-કેવા નોખા, નિરાળા લેખોનું અહીં પ્રકાશન થવા પામ્યું છે. ‘જીવન ફરીથી જીવવા મળે તો તમે શું કરો ?, એવા પુછાયેલ પ્રશ્નના ઉત્તરમાં લેખક કહે છે કે : ‘ફરી જીવવાનો વારો આવે, તો વિદ્યાના પરિવેશમાં જીવવાનું પસંદ કરું.’ આ પુસ્તક ખરે જ વાચકને વિદ્યાના વાતાવરણમાં દોરી જનારું છે.

ડાહ્યાભાઈ મિસ્ત્રી મૂળ તો નવસારી જિલ્લાના દેલવાડા-વડોલી ગામના. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી આગળનું ભણતર મોમ્બાસામાં થયું. કેટલોક અભ્યાસ ઘરે બેસીને કર્યો. મોમ્બાસાની હાઈસ્કૂલમાં અને તે પછી અન્ય સ્થળોએ શિક્ષણ સાથે જોડાયેલા રહ્યા. સને ૧૯૭૬માં બ્રિટન આવ્યા. લંડનમાં હેલ્થ ઍન્ડ સિક્યૉરિટી ખાતામાં નોકરી કરી. પ્રમોશન મળતા ડિપાર્ટમેન્ટ ઑફ ઍમ્પ્લોયમેન્ટમાં કામ કર્યું. સાહિત્ય ઉપરાંત ત્યાંના રાજકારણમાં પણ રસ લેવા માંડ્યો. લેબર પાર્ટીના સભ્ય હોવાના નાતે પાર્ટીના વિવિધ નેતાઓ સાથે ગાઢ સંપર્કો રચાયા. એમણે ભાષા, શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત અને પર્યાવરણ જેવા અનેકવિધ વિષયો પરની ચર્ચાઓ પોતાનાં લખાણોમાં કરી છે જે એમની વિચારયાત્રાનો આલેખ આપી રહે છે. જયંત પંડ્યાએ ડાહ્યાભાઈ મિસ્ત્રી વિશે લખેલા ચરિત્રલેખનું શીર્ષક જ ‘જ્ઞાનપિપાસુ’ એવા વિશેષણ સાથે જોડાયેલું છે, એ લેખો જોતાં સાર્થક લાગે. તેઓ નોંધે છે : ‘ઓપિનિયન’માં એમની હાજરી લેખક, વાચક, વિવેચક એમ ભિન્નભિન્ન રૂપે વરતાય છે. સ્વતંત્ર રીતે વિચારવાની એમને ફાવટ છે. એ ધારે તો દૂધમાંથી ય પોરાં કાઢી આપી શકે. પરંતુ એને અવગુણ બનાવવાની હદ સુધી ન લઈ જવાનો વિવેક એમણે કેળવ્યો છે.’ જ્ઞાનના કોઈ પણ ક્ષેત્રમાં સહેલાઈથી વિહરી શકતા આ લેખક માટેનું આ નિરીક્ષણ સચોટ છે.

સંપાદક કેતન રુપેરાએ લેખકનાં લખાણોને તારવીને કુલ પંચાવન લેખોની અહી પસંદગી કરી છે, ભૌગોલિક દૃષ્ટિએ વર્ગીકૃત કર્યા છે. જેમ કે પૂર્વઆફ્રિકાના દેશો અને દક્ષિણ આફ્રિકા જેવા લેખોનું એક ગુચ્છ છે, તો બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોનો પણ એક ગુચ્છ છે. એ જ રીતે નોંધપાત્ર ગુજરાતી, અંગેજી પુસ્તકો અને વ્યક્તિઓ વિશેનાં લખાણોને પણ દર્શાવ્યાં છે. પુસ્તકમાં તો લેખો સળંગ છે, પણ તેનું ભૌગોલિક વર્ગીકરણ ખરા અર્થમાં પુસ્તકના શીર્ષકનું પાછલું અડધિયુ ‘… દેશ અનેક’ની સાર્થકતા બતાવે છે. લેખોના પ્રકાશિત થયાનાં તારીખ, વર્ષને લેખના પ્રારંભે જમણી બાજુ નાના અક્ષરે મુકી દઈને મૂળ રૂપે પ્રકાશિત થયાની વિગત સાચવી લેવાની સજાગતા દાખવી છે. સંપાદકે એક મહત્ત્વનું કામ એ પણ કર્યું છે કે લેખમાં સ્પર્શેલાં એકથી વધુ વિષયક્ષેત્રોની નોંધ લઈ લેખના પ્રારંભે વિવિધ કૅટેગરીમાં એને વહેંચી નાખ્યાં છે. સૌથી વધુ ધ્યાન ખેંચતાં વિષયક્ષેત્રોને આ રીતે દર્શાવવાથી લેખમાં કેવી વિશિષ્ટ સામગ્રીનો સંદર્ભ મોજૂદ છે, એની વાચકને લેખમાં પ્રવેશતા પહેલાં જ જાણ થાય છે. વાચક પોતાના મનગમતા ક્ષેત્રને પસંદ પણ કરી શકે.

આ લેખો ‘ઓપિનિયન’માં સૌ પહેલા પ્રકાશિત થયા છે આથી પુસ્તક રૂપે મૂકતાં પહેલાં સંપાદકે એ લેખોનું સંમાર્જન કર્યું છે. એ સાથે સંદર્ભની સમજ માટે જરૂરી જણાય ત્યાં વિગતપૂર્તિ પણ પાદટીપ રૂપે મૂકી છે. સંપાદકની આ સૂઝ અને પરિશ્રમ સમગ્ર પુસ્તકમાં પથરાયેલો છે. મુદ્રણનું આયોજન અને ‘ઓપિનિયન’ના સઘળા અંકોમાંથી પસાર થઈને બૉક્સમાં મુકાયેલી વિગતો, આંખને ખેંચી રાખતી તસવીરો સંપાદન-કુશળતાનો નમૂનો બની રહે છે. લેખક સુરતની સ્વચ્છતાની બાબતે છબી બદલી કાઢનારા કમિશનર એસ.આર. રાવની પ્રશંસા કરવાનું ચૂકતા નથી, તો ભગવતીકુમાર શર્માની સર્જનાત્મકતાને પણ વિગતે નોંધે છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશેનાં લખાણો જોઈએ ત્યારે લેખકની પરિપક્વ સમજનો અંદાજ આવશે. પેટલીકર, બ.ક.ઠાકોર જેવા સર્જકોનું સ્મરણ કરતી નોંધ જુઓ, દીપક બારડોલીકર વિશે લખાયેલા લેખની અપૂર્ણતા સંપાદક એની ગઝલ અને વિપુલ કલ્યાણીને લખેલા પત્રથી સંપૂર્ણ કરી આપે છે. દક્ષિણ આફ્રિકાના સાંગોપાંગ ગુજરાતી ફાતિમા મીર વિશે વાત કરતાં જે વિગતો લેખક મૂકી આપે છે, એ એમના વાચનમનનનું ચિત્ર આંકી આપે છે. આવાં જ મહત્ત્વનાં લખાણો પૂર્વ આફ્રિકાનું હિન્દી પત્રકારત્વ, બ્રિટનમાં ગુજરાતી પત્રકારત્વ છે.

પર્યાવરણ માટે સતત લડી રહેલા મહેશચંદ્ર મહેતાનું સુભગ ચરિત્ર લેખક કેવું આંકી આપે છે! અહીં ચર્ચામાં વણી લીધેલાં ખ્યાત પુસ્તકોનાં નિરીક્ષણો પણ એટલાં જ મહત્ત્વનાં છે. અરુંધતી રૉયના ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્ઝ’, પ્રો. ભીખુ પારેખના ‘ગાંધી’, ગુરુચરણદાસનું ‘ઇન્ડિયા અનબાઉન્ડ’ જેવાં પુસ્તકોની નોંધ એનાં ઉદાહરણો બને છે. ‘ગુજરાત-૨૦૦૨ : ઘાને રૂઝ વળી છે’, જેવો લેખ આમ તો અહેવાલરૂપ છે પણ એનો આરંભ બાંગલાદેશ અને ઇન્દિરા ગાંધીના શબ્દોથી થયો છે. બ્લૅકબર્ન પીસ મિશન હેઠળ બ્રિટિશ ગુજરાતીઓ બ્લૅકબર્ન શહેરમાં ‘અમે ગુજરાતનાં છીએ અને ગુજરાતની અમને ખૂબ પડી છે’, એવા ભાવ સાથે ગુજરાતનાં કોમી રમખાણો પછી એકઠા થયા હતા ત્યારે એ સભાનો સંપૂર્ણ ચિતાર લેખકે રજૂ કર્યો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગુજરાતીઓ વચ્ચે દાઉદભાઈ ઘાંચી જેવા શિક્ષણવિદ્‌ના વિચારો સાથે સંપાદકે માધ્યમોમાં જોરશોરથી ચગેલા બે કોમના યુવાનો અશોક પરમાર અને કુતુબુદ્દીન અન્સારીનીએ બહુ જાણીતી તસવીર આપીને આ ગોઝારી ઘટનાઓને ‘ક્રૂરતા અને કરુણતાના પ્રતીકરૂપ’ ગણી સંપાદક આ બંને યુવાનોની વિકાસશીલ સમજણની પણ નોંધ લે છે. બર્મિંગહામમાં વસતા જાણીતા ગુજરાતી પ્રફુલ્લ અમીન આ સભામાં એમ કહે છે : ‘જ્યારે ગોધરામાં હિન્દુ ભાંડુળાંઓની હત્યા થઈ ત્યારે હું રડતો હતો. ગોધરા પછીના અનેક બનાવોમાં સેંકડો મુસલમાનો મરાયા, તેથી મારું એ રુદન અનેક ગણું વધી ગયું હતું. હિન્દુની હત્યા થાય ત્યારે મુસલમાનની આંખમાં પાણી ભરાઈ આવે અને મુસલમાનની હત્યા થાય, ત્યારે હિંદુની આંખો ભીની થાય, તે મારે મન ભાવગત ભારતીયતા.’

સમગ્ર મુદ્દો રમખાણો પરથી ખસીને ભારતીયતા પર ઊભો રહી જાય છે. પ્રજા-પ્રજા વચ્ચેનો સંપૂર્ણ આદર, આવકારની આ ઝંખના તીવ્ર સંવેદનને પ્રગટ કરી રહેતા અહેવાલને લગતો લેખ માનવીય વિચારથી સભર બની જાય છે. લેખકની નજર ખંભાતના અખાત પાસે મળેલા બે પુરાણાં મહાનગરો સુધી પણ પહોંચે છે. ગુજરાત દુનિયામાં સૌથી પુરાણી સંસ્કૃતિનું સ્થાન હોવાની બાબતે તેઓ ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતત્ત્વ અને ઇતિહાસવિદોનાં લખાણોના અંશને રજૂ કરે છે. આવા વિવિધ ભાતના અભ્યાસો પર લેખકની નજર સતત ફરતી રહી છે. લેખકનાં અનેક અભ્યાસક્ષેત્રો પરત્વેના રસરુચિ અને સમજણનું એ નિદર્શન આપી રહે છે. આરબદેશોમાં ભારતીય ઉપખંડના મજદૂરોની કરમકહાણી જેવી નોંધ હોય કે સિંગાપોર, દક્ષિણપૂર્વ  એશિયાના દેશો અને વિકાસની વાટ જેવું લખાણ હોય, દુબઈના પ્રવાસવર્ણનની સાથે ખેંચાઈ આવતી ઈરાન, ઇરાક અને આરબદેશોની તેમ એની કલાસંસ્કૃતિની નોંધ દર્શાવે છે કે લેખકે ખુલ્લું મન રાખીને, સચેત નજરે આ સઘળું જોયું-તપાસ્યું છે. અતિશયતાના રંગ વિના સ્પષ્ટતા ને સ્વસ્થતાપૂર્વક કહેવાની રીતિ લેખકનાં લખાણોને સમતોલ બનાવે છે. નોબલ પારિતોષિક વિજેતાઓ, ડાયસ્પોરિક સર્જકો, ભારત અને બ્રિટન ઉપરાંત ઇરાક જેવા દેશોનું સાંપ્રત રાજકારણ અને ઇતિહાસ જેવાં લખાણોમાં વિગતો સાથે જોડાતા ચિંતનમનન આ પુસ્તકનો મહત્ત્વનો અંશ બની રહે છે. સંપાદક કહે છે એમ ‘એક પ્રજા તરીકે ગુજરાતી બની રહેવા સાથે વિશ્વગુજરાતી બનવા માટેની યાત્રા કરાવતું આ પુસ્તક છે.’

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 14 તેમ જ 13

Loading

...102030...1,8201,8211,8221,823...1,8301,8401,850...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved