Opinion Magazine
Number of visits: 9571489
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન (૧૯) : ડિપ્રેશન નિરાશા હતાશા

સુમન શાહ|Opinion - Opinion|15 July 2021

ઘણા લોકો આજકાલ 'ડિપ્રેસન' શબ્દ બહુ વાપરે છે. અંગ્રેજી ન જાણતા હોય એવા લોકો પણ બોલે છે : જેમ કે, શનિબુન બોલતાં હોય – મને હારું આજકાલ ડિપ્રેસન બૌ થાય છે. કેમ કે એમનું જીવાભૈ હારેનું કનેક્શન તૂટી ગયું હોય …

સાચો ઉચ્ચાર કરવો હોય તો ‘ડિપ્રેશન’ બોલવું જોઇએ. પણ ચાલે, અંગ્રેજી ભણેલા પણ શું કરવું જોઈએ, શું નહીં, ક્યાં સમજતા હોય છે? ગૉટપિટિયા ગુજરાતીઓ વાતે વાતે ‘ડિપ્રેસન’ ‘ડિપ્રેસન’ કરવા માંડ્યા એટલે શનિબુન કે જીવાભૈ શીખી ગયાં. ગૉટપિટિયા તો ડિપ્રેશ્ડ્ જ હતા, આ ભોળિયાં એટલાં બધાં ડિપ્રેશ્ડ્ ન’તાં, તો ય બોલવા માંડેલાં.

મારે આજે એ કહેવું છે કે હ્યુમન કનેક્શનમાં ડિપ્રેશન ભારે ભૂમિકા ભજવે છે અને તે પર ખૂબ ધ્યાન આપવાની જરૂરત છે.

‘ડિપ્રેશન’નું ગુજરાતી, ‘નિરાશા’ અથવા ‘હતાશા’. હું અહીં ‘નિરાશા’ પ્રયોજીશ.

પેલી વાત આગળ ચલાવું : શનિબુન ગરીબ ઘરની છે એવું જાણતાં જ જીવાભૈએ કનેક્શન લૂઝ પાડી દીધું. ભાગી ગયો. કનેક્શન તૂટી ગયું. પણ શનિબુન જોડે દામુભૈ જોડાઈ ગયો કેમ કે દામુભૈ પોતે ડિપ્રેશ્ડ્ હતો. એટલા માટે કે સવીબુન એને છોડીને જતી રહેલી. કારણ એ કે દામુભૈ કાળોમૅંશ હતો. જો કે શનિબુનને ભલે કાળોમૅંશ પણ ‘બરાબર’ લાગેલો કેમ કે તવંગર હતો. પરિણામે, બન્ને જોડાઈ ગયાં. બન્નેનું ડિપ્રેશન ભાગી ગયું. બે સમદુખિયાં મળ્યાં, સમ્બન્ધ તૂટવાથી થયેલી નિરાશાનો નાશ થયો.

જો કે આમાંથી બોધ એમ ન લેવાય કે ચાલો, ફાવતું નથી તો કનેક્શન તોડી નાખીએ, નવું મળી રહેશે. બીજું સમદુખિયું મળી જશે એની ખાતરી આ સંસારમાં કોને હોય છે? પેલા જીવાભૈને તવંગરના ઘરની હજી કોઈ મળી નથી. કેમ કે, એવી કોઈ એવા કોઈની તલાશમાં છે.

ભલે.

માણસ નિરાશ થાય જ છે. આપણને નિરાશવદનોની ચિન્તા થાય છે, પણ કાયમ હસતા રહેતા હાસવદનોની પણ થવી જોઈએ. બને કે એમનાં હાસ્યની નીચે દુ:ખ છુપાયલું હોય અને એની એમને જાણ જ ન હોય. ઘણી વાર તો મને એમ થાય કે નિરાશ ન થયો હોય એવાને માણસમાં જ ન ગણું. કેમ કે નિરાશા મનુષ્યસહજ છે. એથી પુરવાર થાય છે કે એ મનુષ્ય છે.

નિરાશાનું કારણ સાદું છે, આશા હરાઈ જાય એટલે માણસ હત્ આશ, નિરાશ, થઈ જાય. સલીમભાઈએ આશા ગુમાવી એટલે નિરાશ થયા. ભીમાભૈનું સોમભૈનું મંગળાબુનનું બુધાભૈનું ગુરુનું શિષ્યનું પ્રધાનનું પ્રજાનું બધાંનું એમ જ થાય – આશા ન ફળે એટલે મનુષ્ય નિરાશ થાય. હસતો, રડતો થઈ જાય.

આ ‘આશા/નિરાશા’ બાયનરી ઑપોઝિશન છે – દ્વિસંગી વિરુદ્ધો છે. અર્થ બાબતે એકબીજાને કાપે છે, પણ સંગી છે, સાથેસાથે રહે છે.

બોધ આપનારા બહુ હોય છે. ભલમનસાઇથી કહેતા હોય છે : સુમનભાઈ, દુખી ન થાવ, સંસાર છે, ચાલ્યા કરે, બધું સારું થઈ જશે : ઉમેરતા હોય છે : સુખદુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં; નિરાશાને ભૂલી જાવ, સારી વસ્તુ નથી, તબિયત બગડશે : એવું બોધશ્રવણ થતાં માત્રઆશ્વાસન મળે છે. કેમ કે દુ:ખ અને તેની સાથે જોડાયેલી નિરાશા પર એવો વ્યવહારુ ડહાપણનો ટોપલો ઢાંકી દેવાથી મારું દુ:ખ ટળતું નથી. એટલા માટે, કે નિરાશા કદી ઢાંકનારાઓની નથી હોતી, મારી હોય છે, મારા ઘટ સાથે જોડાયેલી હોય છે. એટલે કે એ એક હાઇલિ પર્સનલ વસ્તુ છે.

મને કહેવા દો કે બ્લૅન્કેટિન્ગ અ મિઝરી ઇઝ નૉટ ઇટ્સ સૉલ્યુશન.

મનોવિજ્ઞાને ‘ડિસ-ઑર્ડર’ નામે આનો ખાસ્સો વિમર્શપરામર્શ કર્યો છે. તદનુસાર, એ એક માનસિક બીમારી છે. માણસનાં ભાવજગત અને આચાર-વિચાર પર ઘણી અસર કરે છે. માણસ વારે વારે બબડે – મૂડ નથી યાર, છોડ ને. ઉદાસ થઈ જાય, કશામાં એને રસ ન પડે, કામમાં રુચિ ન રહે, ઘરમાં કે બહાર નબળો ને ઢીલો પડી જાય. માનસિક કમજોરી શરીરમાં પણ પ્રસરે. ભૂખ ઓછી લાગવા માંડે, વજન ઘટે. ક્રમે ક્રમે એને ઍન્ક્ઝાઇટી સતાવે, વલોપાત થાય, જીવને કઢાપા ને કઢાપા. એટલે લગી કે જીવન એને મીનિન્ગલેસ, વ્યર્થ લાગે, ઍબ્સર્ડ લાગે, આપઘાતના વિચાર આવે. મનોવિજ્ઞાન આ ડિસ-ઑર્ડરના ઇલાજ પણ બતાવે છે. એ ઇલાજ દરદી વ્યક્તિની અવસ્થા જોઈને કરાય છે, માટે અટકું.

Jacques Derrida

Picture Courtesy : goodreads.

જગવિખ્યાત ફિલસૂફ દેરિદાના ડિકન્સ્ટ્રકશન વિચારે મને સુઝાડ્યું છે કે સંસારમાં દુ:ખ ભાષાને કારણે છે. મનુષ્યચિત્તે રચેલી ‘ઊંચ’ અને ‘નીચ’, ‘સમ’ અને ‘વિષમ’ ‘જમણું’ અને ‘ડાબું’, ‘સભ્ય’ અને ‘અસભ્ય’ જેવી કોટિઓને કારણે ભાષામાં કેટલાં ય બાયનરી ઑપોઝિશન્સ જન્મ્યાં છે – જેવાં કે વ્હાઇટ/બ્લૅક, જેન્ડર અને સૅક્સ્યુઆલિટીનો ઉમેરો થતાં, વ્હાઇટ/પીપલ ઑફ કલર, અને કાચું/પાકું, સંસ્કારી/ જંગલી, કે સ્ત્રી/પુરુષ વગેરે તો સૈકાઓથી જન્મેલાં સુદૃઢ છે.

હવે એમાં આશા/નિરાશાના આપણા પેલા બાયનરી ઑપોઝિશનને પણ ઉમેરી દો. શનિબુનના જીવનમાં જે બન્યું એનું મુખ્ય કારણ તો ગરીબી છે. એ ગરીબ હતી એમાં એનો શો વાંક? કાળામૅંશ હોવું એ તો જિનેટિક છે. એમાં દામુભૈનો શો વાંક? વાંક સમાજમાં ઘર ઘાલી ગયેલી રુગ્ણ માનસિકતાનો છે. એમાં, ગરીબ/તવંગર અને ગોરાં/કાળાં જેવાં બાયનરી ઑપોઝિશન્સે મોટો ભાગ ભજવ્યો હોય છે.

બાયનરી ઑપોઝિશન્સ માનવજીવન પર પોતાનો પ્રભાવ પાથરતાં હોય છે. મુખ્ય એ કે એ રાજકારણ સરજે છે. એથી સંસારમાં જૂઠ, દમન, શોષણ અને અન્યાય જનમે છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, રાજકારણમાં ભેરવાવાનું થાય જ છે. વાત ત્યાં નથી અટકતી, તમે સામાવાળાના સ્વાર્થનો શિકાર બનો છો, તમને અન્યાય થાય છે. સર્વસામાન્યપણે જીવનગુજારો કરતી નિર્દોષ વ્યક્તિઓ હમેશાં રાજકારણનો ભોગ બને છે. એ અર્થમાં રાજકારણ સાવ જ ગંદી વસ્તુ છે. એમાંથી દુ:ખ અને દુ:ખ સાથે જોડાયેલી નિરાશા સિવાયનું કશું જ જનમતું નથી.

થર્ડ વેવ ફૅમિનિઝમ, પોસ્ટ-કૉલોનિયાલિઝમ કે ક્રિટિકલ રેસથીયરી બાયનરી ઑપોઝિશન્સની કડક સમીક્ષા કરે છે. કહે છે કે કેટલાંક બાયનરી ઑપોઝિશન્સને કારણે અમુક વર્ગના લોકોનો જ પક્ષ લેવાય છે. કહે છે કે એને કારણે સમાજમાં સત્તા દાખવતાં તન્ત્રો ટકી ગયાં છે; પ્રમાણિત થઈ ગયાં છે – જાણે કે કાયદેસરનાં હોય.

દેરિદા એવાં બાયનરી ઑપોઝિશન્સને ડિકન્સ્ટ્રક્ટ કરવા કહે છે. એમનો ડિકન્સ્ટ્રક્શન વિચાર એ અર્થમાં એક કાર્ય છે, પ્રસંગ છે, ઘટના છે. ખાસ તો એ ‘ઍ-પોલિટિકલ’ છે, ન-રાજકારણી, રાજકારણથી વિમુક્ત.

(આ ક્ષણે યાદ આવે છે કે પહેલી વાર, સાલ યાદ નથી, દેરિદા વિશે ભાષાભવનના મારા રૂમમાં સાત-આઠ મિત્રો સમક્ષ હું સાડાચાર કલાક બોલેલો – એકાદ બ્રેક લીધેલો. કદાચ મણિલાલ હ. પટેલ ઉપસ્થિત હતા.)

ડિકન્સ્ટ્રક્શન એટલે વિઘટન. એટલે શું કરવાનું? બાયનરી પર જ ઘા કરવાના. ‘હું’-એ નિરાશામાં બેસી નહીં રહેવાનું, શોધવાનું કે એના મૂળમાં શું હતું. જવાબ મળશે, એક આશા હતી. આશા કેવીક હતી? લાગશે કે એ અતિ હતી અથવા જૂઠી હતી. થશે કે આશા સેવીને પોતે જાતને છેતરી હતી કેમ કે આશા એક સ્વપ્ન હતી ને એને આકારિત કરવા માટેનો જરૂરી પુરુષાર્થ પોતે ન્હૉતો કર્યો. ઝંખ્યું હતું કે બીજાઓ પોતાની આશાને ફળીભૂત કરી આપશે, જાતે કરવાનું હતું તે પોતે ન્હૉતું કર્યું. આગળ વધતાં, ડહાપણ આવશે, એમ થશે કે આશા તે શું છે વળી, કઈ બલા? નિરાશા પણ બલા લાગશે.

અથવા ‘હું’-ને એમ થવું જોઈશે કે નિરાશાનું કારણ પોતે નથી. એને થશે, નિરાશાને કારણે ‘હું’ પતી નથી ગયો. આ પહેલાં પણ નિરાશ થયેલો. હવે પછી પણ થઈશ, તો નવાઈ નહીં. ખરેખર તો કોઈ બેત્રણ જણાએ ભેગા મળી સકંજો ઊભો કરેલો, રાજકારણ ખેલેલું. એને થશે કે રાજકારણ શું છે, એને થશે કે એ અમુક રીતે સારું છે, પણ મહદંશે તો નકામું જ છે. આગળ એને એમ પણ થશે કે શું આશા, શું નિરાશા, શું જીવન, બધું સાલું બકવાસ છે …

નિરાશાની આવી તોડફોડ કરવાથી ચિત્ત શાન્ત થશે, આગળ શું કરવું તે સૂઝશે. અધૂરી આશા પાછી ફરશે અથવા નવી ઊગશે. નિરાશાનું સ્થાન આશા લેશે. આશા કેન્દ્રમાં આવી જશે, નિરાશા હાંસિયામાં ધકેલાઈ જશે.

પણ સાવધાન ! ડિકન્સ્ટ્રક્શન એવી અદલાબદલીની ના પાડે છે. કેમ કે કેન્દ્રમાં આવેલી આશાના એ જ હાલ થઈ શકે છે, જે નિરાશાના થયેલા. એટલે કે, આશાને પણ હાંસિયામાં ધકેલવી પડે. મંજુને ખસેડીને સંજુને બેસાડો ને સંજુને ખસેડીને મંજુને બેસાડો, એમ જ ચાલ્યા કરે. એને ઇલાજ ન કહેવાય. ડિકન્સ્ટ્રક્શનને વરેલાએ હમેશાં એને ઍ-પોલિટિકલ રાખવાનું છે કેમ કે એ એનો પ્રાણ છે.  

એટલે આને પદ્દધતિસરનું ડિકન્સ્ટ્રક્શન ન ગણવા વિનન્તી છે. આ તો સાદા વિઘટનનો સાદો ને સાવ કામચલાઉ નમૂનો છે. ડિકન્સ્ટ્રક્શન તો બાયનરી ઑપોઝિશનનું આથી યે વધારે તાર્કિક નિ:શેષ વિશ્લેષણ કરવા સૂચવે છે. એનાથી પ્રભાવિત તમામ આવિષ્કારોની સમીક્ષા કરવા કહે છે. સમીક્ષાને અર્થ અને મૂલ્યોની વાત કરનારા બધા જ ડિસ્કોર્સિસ લગી વિકસાવવા કહે છે.

ડિપ્રેશ થઈ જવાયું? કે ફ્રેશ? સમજશે તે ફ્રેશ થશે ને પછી રીફ્રેશ થયા જ કરશે. સાચી ફિલસૂફી માણસને પહેલાં તો ફ્રેશ કરી દે છે ને પછી એને ડાહ્યો બનાવે છે, કેમ કે ‘ફિલસૂફી’-માં ‘ફિલો’ એટલે ‘પ્રેમ’ અને ‘સોફિ’ એટલે ડહાપણ. ફિલસૂફી એટલે ડહાપણને માટેનો પ્રેમ.

પ્રેમ કેવી કેવી જગ્યાએ ઘૂસેલો છે …

= = =

(July 15, 2021: USA)

Loading

ગુજરાતી પત્રકારત્વ સાથેનો મર્ઝબાન કુટુંબનો ૨૦૦ વર્ષનો અતૂટ સંબંધ

દીપક મહેતા|Opinion - Opinion|15 July 2021

પહેલી જુલાઈથી ગુજરાતી પત્રકારત્વે ૨૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો. એ નિમિત્તે અહીં રજૂ કર્યો છે મર્ઝબાન કુટુંબના ગુજરાતી અખબારો સાથેના સતત ૨૦૦ વરસના સંબંધ અંગેનો લેખ.

૨૦૧૨નું વર્ષ પહેલવહેલા ગુજરાતી છાપખાનાની સ્થાપનાનું ૨૦૦મું વર્ષ છે, એ હકીકત તરફ આપણે ત્યાં ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. એ છાપખાનાની સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીનો જન્મ ૧૭૮૭માં, સુરતમાં. પણ તેમની કર્મભૂમિ મુંબઈ. ૧૮૯૫મા તેઓ મુંબઈ આવ્યા તે પછી ફરી ક્યારે ય સુરત ગયા હોય તેવું જાણવા મળતું નથી. મુંબઈ આવીને પહેલાં તો તેમણે દસ્તુર મુલ્લા ફીરોઝની અંગત લાયબ્રેરીની દેખરેખ રાખવાનું કામ કર્યું. એ કામ કરતાં કરતાં તેઓ બુક બાઈન્ડીંગનું કામ આપમેળે શીખી ગયા. પછી ૧૮૦૮માં બુક બાઈન્ડીંગ કરવા માટે પોતાની દુકાન શરૂ કરી. એ વખતના મુંબઈમાં છાપખાનાં હતાં ગણ્યાગાંઠ્યા. તેમાંનું એક મહત્ત્વનું છાપખાનું તે બોમ્બે કુરિયર પ્રેસ. તેનું મુખ્ય કામ તો અંગેજી અખબાર છાપવાનું. પણ ૧૮૦૮માં પહેલવહેલું ગુજરાતી પુસ્તક પણ આ જ પ્રેસમાં છપાયેલું. બુક બાઇન્ડિગનું કામ મેળવવા ફરદુનજી બીજા પ્રેસમાં જાય તેમ બોમ્બે કુરિયર પ્રેસમા પણ જાય. પહેલું ગુજરાતી પુસ્તક છાપવા માટે બહેરામજી છાપગરે જે બીબાં બનાવેલાં તે પણ એમણે જોયાં હશે. પણ તે બીબાં વાપરીને તે વખતે બીજું કોઈ ગુજરાતી પુસ્તક છપાયું નહોતું. ફરદુનજીને વિચાર આવ્યો કે માત્ર ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું કેમ શરૂ ન કરવું? આ વિચારને અમલમાં મૂકીને ૧૮૧૨માં તેમણે કેવળ જાતમહેનતથી પોતાનું છાપખાનું શરૂ કર્યું. તેમણે તેણે કોઈ નામ આપ્યું નહોતું, પણ લોકો તેણે ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખાતા. તેમાં કેટલાંક પુસ્તકો છાપ્યા પછી ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે તેમણે ‘મુંબઈ સમાચાર’ શરૂ કર્યું. મરાઠી ભાષાનું પહેલું અખબાર ‘દર્પણ’ તે પછી દસ વર્ષે, ૧૮૩૨મા શરૂ થયું.

કેટલીક અણધારી આર્થિક મુશ્કેલીને કારણે ૧૮૩૨ના ઓક્ટોબરમાં ફરદુનજીએ કાયમ માટે મુંબઈ છોડ્યું અને તે વખતે પોર્ટુગીઝોના તાબા હેઠળના દમણમાં જઈ વસ્યા. તે સાથે જ મુંબઈ સમાચાર સાથેનો તેમનો સંબંધ પૂરો થયો. પણ તે પછી તેમના વંશજોએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતી પત્રકારત્વ સાથે સંબંધ જાળવી રાખ્યો. ફરદુનજીએ પોતે દમણમાં એક નાનકડું છાપખાનું શરૂ કરી કેટલાંક પુસ્તકો છાપ્યાં, અને પછી ૧૮૪૧માં તેમણે પોતાના ત્રણ દીકરાઓ કાવસજી, બહેરામજી, અને મહેરવાનજીને મુંબઈ મોકલ્યા અને તેમની પાસે દફતર આશકારા પ્રેસ શરૂ કરાવ્યું. થોડા વખતમાં જ તેની ગણના મુંબઈના અગ્રણી છાપખાનામાં થવા લાગી. ૧૮૫૧માં મુંબઈમાં પારસી-મુસ્લિમ હુલ્લડો ફાટી નીકળ્યાં. ચિત્ર જ્ઞાન દર્પણ નામના એક ગુજરાતી સાપ્તાહિકે તેના એક અંકમાં પયગંબરસાહેબનું ચિત્ર છાપ્યું. તેથી મુંબઈના મુસ્લીમો રોષે ભરાયા. આ સાપ્તાહિકના તંત્રી એક પારસી હતા, બહેરામજી જમશેદજી ગાંધી. આથી મુસ્લિમોએ આખી પારસી કોમના લોકો પર હુમલા કર્યા. આ બનાવ અંગે પારસીઓનો પક્ષ રજૂ કરવાના આશયથી ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખથી દાદાભાઈ નવરોજીએ રાસ્ત-ગોફતાર નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ફરદુનજીના બે પુત્રો બહેરામજી અને મહેરાવાનજી રાસ્ત-ગોફ્તારના જોડિયા માલિકો હતા. શરૂઆતમાં તેનું કાર્યક્ષેત્ર પારસીઓ પૂરતું માર્યાદિત હતું, પણ ૧૮૫૮ની ત્રીજી જાન્યુઆરીના અંકથી તેને ‘બધા દેશીઓ’ માટેનું અખબાર બનાવવામાં આવ્યું. સમાજ સુધારા માટેની ચળવળમાં પણ તેણે સારો ફાળો આપ્યો. આમ, રાસ્ત-ગોફતાર દ્વારા ફરદુનજીના દીકરાઓએ ગુજરાતી પત્રકારત્વ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો.

મુંબઈ સમાચારમાં ફરદુનજી પાસે પત્રકારત્વના પાઠ શીખીને તૈયાર થયેલા નવરોજી દોરાબજી ચાનદારૂ ઉર્ફે ‘હલકારુ’એ પછી તેમાંથી છૂટા થઇ ૧૮૩૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી ‘મુંબઈના ચાબુક’ નામનું અખબાર શરૂ કર્યું. રાસ્ત-ગોફતાર અને આ ચાબુક, બન્ને મુંબઈની રૂઢિચુસ્ત પારસી પંચાયતના વિરોધી પત્રો ગણાતાં હતાં. એટલે પારસી પંચાયતની બાજુ રજૂ કરવા માટે એક છાપું હોવું જોઈએ એમ તેના એક અગ્રણી સર જમશેદજી જીજીભાઈને લાગ્યું. પરિણામે ૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખથી ‘શ્રી મુંબઈના જામે જમશેદ’ અઠવાડિક શરૂ થયું. પારસી પંચાયતના સેક્રેટરી પેસ્તનજી માણેકજી મોતીવાલા તેના પહેલા અધિપતિ (તંત્રી) બન્યા.

જોતજોતામાં મુંબઈ સમાચાર અને જામે વચ્ચે કટુતાભરી હરીફાઈ શરૂ થઇ. ખાસ કરીને જામેએ આજે આપણે કલ્પી પણ ન શકીએ એવી ભાષામાં મુંબઈ સમાચારની નિંદા કરવાનું શરૂ કર્યું. પ્રત્યુત્તરમાં મુંબઈ સમાચાર પણ ઉગ્ર બન્યું. પારસી વાચકોના બે ભાગ પડી ગયા. પણ ૧૮૮૭માં પરિસ્થિતિએ અણધાર્યો વળાંક લીધો. મેસર્સ જહાંગીર એન્ડ સરાફ નામની કંપનીએ જામે ખરીદી લીધું. તે કંપનીના બે માલિકોમાંના એક હતા જહાંગીરજી, ફરદુનજીના પૌત્ર, બહેરામજીના પુત્ર. થોડા વખત પછી કાવસજી સરાફ વેપાર અર્થે જાપાન જઈને વસ્યા અને તેથી જહાંગીરજી જામેના એક માત્ર માલિક બન્યા.

આમ, ફરદુનાજીના પૌત્રે પણ ગુજરાતી પત્રકારત્વ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો. તેમણે જામે હાથમાં લીધું ત્યારે તેનો ફેલાવો માત્ર ૨૦૦ નકલનો થઇ ગયો હતો! થોડા જ વખતમાં પોતાની બાહોશીથી જહાંગીરજીએ તેને વધારીને ૧૫૦૦ નકલ સુધી પહોંચાડ્યો. ૧૯૦૨માં જહાંગીરજીના નાના દીકરા ફિરોઝશાહ ઉર્ફે ‘પીજામ’ પણ જામેમાં જોડાયા. પારસી સાહિત્યના લેખકોમાં આગળ પડતું સ્થાન મેળવનાર પીજામ વખત જતાં જામેના અધિપતિ બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ જામે સાથે સંકળાયેલા રહ્યા. તેઓ ફરદુનાજીની ચોથી પેઢી. પીજામના એક ભાઈ શ્યાવક્ષ જામેના જોડિયા માલિક અને મેનેજર હતા.

પીજામ પછી તેમના દીકરા અરદેશર જામેના તંત્રી બન્યા અને અરદેશરના ભાઈ રૂસ્તમ ઉર્ફે લુલુ મેનેજર બન્યા. આ અરદેશર તે ગુજરાતી નાટક, રંગભૂમિ, રેડિયો, ટેલીવિઝન, દ્વારા ઘેર ઘેર જાણીતા થયેલા અદી મર્ઝબાન. અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમણે જામેનું તંત્રીપદ છેવટ સુધી સંભાળ્યું. અદી તે મર્ઝબાન કુટુંબની પાંચમી પેઢી.

ફરદુનજી સાહેબનો જન્મ ૧૭૮૭માં. અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭માં. પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબના નબીરાઓ એક યા બીજી રીતે ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા રહ્યા. અદીના અવસાન સાથે એ સંબંધનો અંત આવ્યો. અદીના મામાએ જામે હાથમાં લીધું.

ફરદુનજીએ મુંબઈ સમાચાર શરૂ કર્યું અને જહાંગીરજી મર્ઝબાનજીએ જામે ખરીદી લીધું એનો અર્થ એવો નથી કે મર્ઝબાન કુટુંબ આ બંને છાપાંની માલિકી ધરાવતું હતું. આર્થિક મુશ્કેલીને કારણે ફરદુનજીને મુંબઈ સમાચાર અને મુંબઈ શહેર સાથેનો સંબંધ કાયમ માટે કાપી નાખવો પડ્યો તે આપણે અગાઉ જોયું છે. રતનજી ફરામજી વાછાના ‘પારસી પ્રકાશ’(દફતર ૧)માં જણાવ્યા પ્રમાણે ફરદુનજીની મુંબઈમાંની બધી મિલકતની હરરાજી થઇ હતી અને તેમાં મુંબઈ સમાચાર છાપખાનું તથા મુંબઈ સમાચાર છાપું ખરશેદજી હોરમજજી અને તેમના ભાઈ મહેરજીએ ખરીદી લીધું હતું. તે પછી પણ મુંબઈ સમાચારના માલિકો વખતોવખત બદલાતા રહ્યા. ૧૯૩૩થી તેની માલિકી કામા કુટુંબના હાથમાં છે. આમ, પહેલાં દસ વર્ષને બાદ કરતાં મર્ઝબાન કુટુંબનો મુંબઈ સમાચાર સાથે સીધો સંબંધ રહ્યો નથી. જ્યારે એ કુટુંબના નબીરાઓ લાંબા વખત સુધી જામે સાથે સંકળાયેલા રહ્યા એટલે એ બે છાપાં વચ્ચેની હરીફાઈ લાંબો વખત ચાલતી રહી. વખત જતાં મુંબઈ સમાચાર માત્ર પારસીઓ માટેનું પત્ર ન રહેતાં સર્વસાધારણ ગુજરાતી વાચકો માટેનું પત્ર બની રહ્યું. બીજી બાજુ, જામે હંમેશ માટે પારસી વાચકોનું પત્ર જ રહ્યું. તેની સમાજ અને રાજકારણ અંગેની રૂઢિચુસ્ત નીતિને કારણે, પારસીઓ પૂરતા માર્યાદિત ફેલાવાને કારણે, અને મુંબઈમાં પારસીઓની ઘટતી જતી વસ્તીને કારણે આજે જામે સાપ્તાહિક તરીકે પ્રગટ થઇ રહ્યું છે.

ફરદુનજી મર્ઝબાનથી માંડીને અદી મર્ઝબાન સુધીની પૂરી પાંચ પેઢી ૨૦૦ વર્ષ સુધી ગુજરાતી વર્તમાન પત્ર અને પત્રકારત્વ સાથે સંકળાયેલી રહી. ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે તો નહીં જ પણ દેશની કે દુનિયાની બીજી કોઈ ભાષાના પત્રકારત્વમાં પણ આવી અનોખી ઘટના ભાગ્યે જ જોવા મળશે. ફરદુનજી મરાઠીભાષી કે બંગાળીભાષી હોત તો એક કુટુંબની પાંચ પાંચ પેઢી ૨૦૦ વર્ષ સુધી પત્રકારત્વ સાથે સંકળાયેલી રહી તેનાં ઢોલનગારાં વાગતાં હોત. પણ આપણને એવું બધું કરવાની ફુરસદ ક્યાં છે?

e.mail : deepakbmehta@gmail.com

Loading

વસંત-રજબ શહાદત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 July 2021

આ વખતે પહેલી જુલાઈનો વસંત-રજબ શહાદત દિવસ, ‘ગુજરાત ટુડે’ના આગોતરા અહેવાલને પગલે એક સરસ સમાચાર લઈને આવ્યો કે ચારતોડા કબ્રસ્તાન(ગોમતીપર)માં ઉપેક્ષિત શી પડેલી ને વળી દબાણ’નો ભોગ બનેલી રજબઅલીની મજાર હવે નવાં રૂપરંગ સાથે આપણ સૌની સમક્ષ કોમી સૌહાર્દની મશાલ અને મિસાલ રૂપે આવશે. અખબારી અહેવાલને પગલે ધારાસભ્ય ખેડાવાલા તેમ જ કૉર્પોરેટરો ઇકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે મજારને એનું નૂર ફેર અપાવવા જે કોશિશ શરૂ કરી છે, તે પ્રજાકીય કૃતજ્ઞતાની દૃષ્ટિએ ભલે મોડું પણ રૂડું પગલું લેખાશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાને પગલે ગાંધી-માર્ક્સ એમ સઘળે છેડેથી કર્મશીલ બૌદ્ધિકોને જાગૃત નાગરિકો એકત્ર આવ્યા અને એમણે અમદાવાદમાં રાજ્યસ્તરના વિશાળ અધિવેશન વાટે મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રસી(એમએસડી : સેક્યુલર લોકશાહી આંદોલન)નો સૂત્રપાત કર્યો તે પછી તરતનાં વર્ષોમાં સૂઝી રહેલો એક વિગતમુદ્દો એ હતો કે વસંત-રજબની શહાદત જેવી ઇતિહાસ ઘટનાઓની સ્મૃતિ તાજી રાખવી જોઈએ. ત્યારથી પ્રતિવર્ષ જમાલપુર ખાંડની શેરીએ પહેલી જુલાઈએ એકત્ર મળવાનું શરૂ થયું. અલબત્ત, અમે કંઈ પહેલા હતા એમ તો નહોતું. વસંતરાવ અને રજબઅલી બેઉ આઝાદીપૂર્વે કૉઁગ્રેસ સેવાદળના સમર્પિત સૈનિકો હતા, એ કર્તવ્યનો સાદ સુણી એમણે જીવનની આહુતિ આપી જાણી હતી. એટલે સેવાદળે ખાંડની શેરીએ પ્રતિવર્ષની માનવંદના મુલાકાતનો એક સિલસિલો જરૂર ચાલુ રાખ્યો હતો, અને એ માટે એને સલામ ઘટે છે. માત્ર, વર્ષો વીતતાં ગયા તેમ સેવાદળનું બળ સહજક્રમે ઓસરતું ગયું અને ધીરે-ધીરે રસમ ચાલુ રહી પણ ફરતેનું ભામંડળ જાણે કે ઓજપાઈ ગયું. દરમિયાન, સેક્યુલર લોકશાહી આંદોલનના પ્રવેશ સાથે સેવાદળને ય સોબતી અને સધિયારો મળ્યો અને ખાંડની શેરીનું આ સંગમતીર્થ એકદમ જાગતું ને ગાજતું થઈ ગયું. કૉર્પોરેશન પણ સફાળું જાગ્યું અને સ્મારકવત્‌ કશુંક ખડું પણ થઈ ગયું.

વસંતરાવનાં બહેન હેમલતા હેગિષ્ટે જે પછીથી, જાહેરજીવનમાં, જ્યોતિસંઘના અગ્રણી લેખે ઝળક્યાં હતાં, એમણે નોંધ્યું છે કે ખાંડની શેરીએથી બેઉ બંધુઓનાં મૃતદેહ ખસેડાઈ રહ્યાં હતાં ત્યારે જ એક ગણગણાટ સહેજ ઊઠ્યો ન ઊઠ્યો ને શમી ગયો હતો કે બંનેના અંતિમ સંસ્કાર સાથે જ કરવા જોઈએ. અલબત્ત, સહજ હતું તેમ એ શક્ય ન બન્યું અને એકને સારુ સ્મશાન તો બીજાને સારુ કબ્રસ્તાન એ રૂઢિગત નિયતિ બની રહી. શહાદતને સ્થળે સ્મારક બન્યું ખરું, પણ રજબઅલીની મજાર બિલકુલ વિસ્મૃતવત્‌ બની ગઈ. રજબઅલીના પરિવારના મોટા ભાગના સભ્યો ઉત્તરોત્તર વકરતા કોમવાદ વચ્ચે આશંકિત ને આતંકિત શા બની રહ્યા, અને એમણે લગભગ ખૂણો પાળ્યો. નવી ઓળખમાં એમણે સલામતી શોધી, એ આપણા સામાજિક વાસ્તવની એક દુર્દૈવ સાહેદી છે.

જેટલું આપણે વસંતરાવના જીવન વિશે જાણીએ છીએ, એના પ્રમાણમાં રજબઅલી વિશે આપણી જાણકારી ખરે જ ઓછી છે. મહારાષ્ટ્રથી અહીં વસી ગયેલા હેગિષ્ટે પરિવારને સારુ અમદાવાદ એ પેઢાનપેઢી વતન જ બની રહ્યું હતું. એથી ઊલટું, રજબઅલી શહાદતનાં છેલ્લાં થોડાં સમય પર જ અમદાવાદ આવી વસ્યા હતા. હેગિષ્ટે પરિવાર જેવાં મૂળિયાં ને વ્યાપ એમનાં નહોતા .. બંનેની અભિન્ન મિત્રતા બલકે કર્મબાંધવી એક મિસાલરૂપ હતી એ જુદી વાત છે.

રજબઅલી સૌરાષ્ટ્રના. લીંબડીનું કુટુંબ. ભાવનગરમાં અને કરાચીમાં ભણતર. – રવિશંકર મહારાજની પરંપરામાં આવેલા ગ્રામસેવક બબલભાઈએ લખ્યું છે કે એમને યુવા રજબનો પ્રથમ પરિચય કરાંચીમાં થયો હતો. દાંડીકૂચ પછી જેલમાંથી બહાર આવ્યા બાદ બબલભાઈ કોઈ ગામડું શોધી એમાં રચનાકાર્યમાં ખૂંપી જવાનું વિચારતા હતા, તે પૂર્વે કરાંચીમાં પરિવારને મળી લેવું જોઈએ એ ખ્યાલે તે કરાંચી ગયા ત્યારે ત્યાંની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શિક્ષણસંસ્થા શારદામંદિરમાં જનજાગૃતિ માટેના એક પ્રદર્શનમાં એ હાથ બટાવવા ગયા, તે વખતે હજુ છાત્ર એવા રજબનો, એની હોંશીલી ભાવનામૂર્તિનો હૃદ્ય પરિચય થયાનું એમણે નોંધ્યું છે.

ભાવનગર દિવસોમાં પ્રિ. શહાણીએ, વલ્લભભાઈની કૉલેજ-મુલાકાત વખતે રજબઅલીને એક હોનહાર વિદ્યાર્થી તરીકે ઓળખાવ્યા હતા. વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી, જયાબહેન શાહ એ સૌ તરુણ કાર્યકરો તેમ પછીથી ‘સમય’ થકી પત્રકાર તરીકે ઝળકેલા સહપાઠી ભાનુભાઈ શુકલ વગેરે સાથેનો રજબનો કાર્યપરિચય ત્યારે જામ્યો. ધીમેધીમે, કેન્દ્ર અમદાવાદ ખસેડવું એવું એમને થયું અને રજબઅલીની પ્રતિભા જોતાં સાથીઓને તો એમ પણ લાગતું કે જે રીતે કૉંગ્રેસપ્રમુખ જવાહરલાલ નહેરુએ જયપ્રકાશ અને લોહિયા જેવા યુવાનોને સ્વરાજલડતની કેન્દ્રીય કચેરીમાં જોતર્યા હતા, એ જ રીતે રજબ જેવા પણ આગળ જતાં ઝળકી ઊઠશે.

ખેર, અહીં આખી દાસ્તાંમાં જવાનો ખ્યાલ નથી. ૨૦૦૬માં ૧૯૪૬ની વસંત-રજબ શહાદતને સાઠ વરસ થયાં, ત્યારે પરિચય પુસ્તિકામાં મેં વસંતરાવની જોડાજોડ રજબઅલીનીયે કંઈક જીવનરેખા આલેખી હતી. ઓણ, પહેલી જુલાઈએ એમની શહાદતને પંચોતેરમું વરસ બેઠું. હવે એ પુસ્તિકાનું સંવર્ધિત સંસ્કરણ, ૨૦૨૨ના જુલાઈમાં પંચોતેર વરસ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે આવે એવો મનસૂબો છે. દરમિયાન જો કે જયંતી દલાલ ને ઇન્દ્રવદન ઠાકોર આદિ વસંત-રજબ સમકાલીનોની આરંભિક પહેલ બાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ શરૂનાં વર્ષોમાં બહાર પાડેલ સ્મૃતિગ્રંથ અલભ્ય હતો, તે રિઝવાન કાદરીની કોશિશથી પુનઃપ્રાપ્ય બન્યો છે, એ અહીં સાનંદ સંભારવું જોઈએ.

પ્રશ્ન એ પડને જાગતું રાખવાનો છે, જેમાં સંચિત મૂલ્યો સારુ આ મિત્રોએ સર્વોચ્ચ કુરબાની આપી. આપણે એમને કોમી એકતાના બલિદાની વીરો તરીકે બિરદાવીએ છીએ અને એ વાત ખોટી અલબત્ત નથી, પણ જે સમજવાનું છે તે એ કે એમની કુરબાની કોઈ ક્ષણાવેશનો મામલો નહોતી. કોમી એકતા એમના સ્વરાજદર્શનનો અંગભૂત હિસ્સો હતી એ સાચું; પણ જેમાં સ્વતંત્રતા અને સમાનતા એકબીજાને શોધિત-વર્ધિત કરતાં રહે એવું સંપોષિત સ્વરાજદર્શન એમનું હતું. વિકાસની જે તરાહ આપણે પકડી છે, એમાં એ ક્યાં છે? રાષ્ટ્રની જે વ્યાખ્યા સત્તાપક્ષ દ્વારા કરાઈ રહી છે, એમાં એ ક્યાં છે? સ્વરાજનું પંચોતેરમું વરસ, વસંત-રજબની શહાદતને પંચોતેરમે વરસે જાગતા આ સવાલોનો જવાબ માગે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 05

Loading

...102030...1,8151,8161,8171,818...1,8301,8401,850...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved