Opinion Magazine
Number of visits: 9571161
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેરસીટમોલ

જાગૃત ગાડીત|Opinion - Opinion|17 July 2021

ગઈ ૨૪ મેએ જ્યારે મેં ‘રસીકરણ’ વિશે લેખ મેઇલ કર્યો, ત્યારે સત્યની ક્ષણ નજીક જ હતી. ૨૬મીએ મને તાવ શરૂ થયો. સિઝનલ ફ્લુ હશે! બે દિવસમાં પત્નીને પણ તાવ આવ્યો. ટેસ્ટ કરાવવા ગયો, ત્યારે તો ખાતરી જ હતી કે કોવિડ છે. ચિંતા એ હતી કે ક્યાંક false negative (આશરે ૧૫ ટકા શક્યતા) રિપોર્ટ પકડાવી ન દે. હું પેલાને નાક અને ગળામાં એની સળી વધારે ખોસવાનો આગ્રહ કરતો હતો. છોકરાએ હસતાં-હસતાં થમ્સઅપ કર્યું, ‘કાકા, ચિંતા ના કરો! જે હશે તે આવી જ જશે.’

સાંજે અપેક્ષિત positive રિપોર્ટ આવી ગયો. CT value (બધાંને જાણવી હોય છે!) ૧૭ની આસપાસ હતી. ઓળખીતાઓની પાસેથી થોડાં ચિંતિત સૂચનો મળ્યાં. આટલા ટેસ્ટ કે સ્કૅન કરાવવાં જ જોઈએ વગેરે. પત્નીને મારી થોડી ચિંતા હતી. ૫૭ની ઉંમરે ઘણા જે માટે નિયમિત દવાઓ લેતા હોય છે, તે ક્રોનિક તકલીફો મને પણ છે. પણ હું દવાઓ લેવાને બદલે જીવનપદ્ધતિને થોડી સુધારી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરું છું. પણ આપણે કંઈ બાપુ નથી. ખાવાપીવાનો લોભ શોખ વધુ છે. સ્થિતિ આંશિક નિયંત્રણમાં રહે છે.

કોરોનામાં અચાનક આમ કે તેમ થઈ જાય એવો મોટો ખોફ ફેલાયેલો છે. Comorbidities બધા જાણે છે. CRP, D-Dimer, CT scan! અમુક દવાઓ તો લેવી જ જોઈએ, એવા અઢળક વૉટ્‌સએપ મૅસેજીસ! પણ મારી પૉલિસી નક્કી હતી. કોવિડ ઍક્યુટ ચેપ છે. થોડો વખત રહીને એની સાઈકલ પૂરી થાય એટલે વિદાય થશે. તાવ કે એવાં બીજાં લક્ષણો આપણામાં પ્રસ્થાપિત લાખો કરોડો વર્ષોથી કેળવાયેલી સંવેદનશીલ ઇમ્યુનિટીનો બચાવ-રિસ્પૉન્સ છે. તેની સાથે બિલકુલ અનિવાર્ય ન હોય ત્યાં સુધી છેડછાડ ન કરી શકાય.

મને નવ દિવસ સાધારણ (દરરોજ ૯૯થી ૧૦૧.૫ સુધી બદલાતો) અને પાંચ દિવસ ઓછો (૯૯થી ૧૦૦) તાવ રહ્યો. તાવ ઉતારવા એક પણ પેરસીટમોલ લીધી નથી. છઠ્ઠા દિવસથી મને થોડી ઉધરસ આવી. સાતમા-આઠમા દિવસથી ઉધરસ સાથે ગળફો (ખારો સ્વાદ) નીકળવાનો શરૂ થયો, જે તાવ ગયા પછી પણ થોડા દિવસ રહ્યું. એ માટે પણ કોઈ દવા લીધી નહીં. સતત એમ જ વાંચ્યું છે કે કોવિડમાં સૂકી ઉધરસ જ આવે છે. પણ મારા કેસમાં ગળફો કાઢવા માટે જ ઉધરસ આવી. ઇમ્યુનિટીને એની રીતે કામ કરવા દો, તો મોટે ભાગે દાખલો સાચો જ ગણે છે.

થોડી તકલીફ જરૂર થઈ. ત્રણચાર દિવસ કોઈ રીતે ઊંઘ આવે નહીં. દિવસે તો મટકું પણ ન મારી શકાય. બેએક (સાતમે-આઠમે) દિવસ ખાસી બેચેની લાગી. ભૂખ ઓછી થઈ. માંડ એક રોટલી કે ભાખરી કે થોડી ખીચડી ખાઈ શકાય. બેએક દિવસ (કદાચ સાતમો-આઠમો) મોઢાનો સ્વાદ ગયો. ભાખરી ખાતાં પૂઠું ચાવતા હોઈએ એવું લાગે. આ અનુભવ આટલો ખતરનાક હશે એ ખબર નહોતી. પણ એ બે દિવસ જ રહ્યું. મુખ્ય વાત એ છે કે તાવ ગયા પછી એક અઠવાડિયામાં બધું સામાન્ય થઈ ગયું.

દિવસમાં અમુક વાર શરીરનું તાપમાન અને ઑક્સિજન સેચ્યુરેશન (SPO2)  જોઈ લેતો હતો. Respiratory rate (RR) પણ સામાન્ય રેન્જમાં જ હતો. પણ આ વાઇરસના ખતરનાક ઇરાદાઓ વિશે એટલી હાઇપ જન્મી છે કે તાર્કિક સમજણ હોવા છતાં ચિંતા થાય કે આ જશે તો ખરો ને? કોઈ જોખમ તો પેદા નહીં થાય ને? સાલું રસી ન લઈને મૂર્ખામી તો નથી કરી ને? ભય એ તાર્કિક અને વૈજ્ઞાનિક સમજણની ઉપર પ્રવર્તે છે એ દેખાયું. ડેનિયલ કાયનેમાન!

દવા ન લો, પણ વિટામિન્સ કે બીજા સપ્લિમેન્ટ તો લો! કોઈ કાઢાઉકાળા તો પીઓ! કમ સે કમ અજમાલવિંગની પોટલી સૂંઘો, નાસ લો, ગરમ પાણીમાં લીંબુ નીચવીને પીઓ! કંઈક તો કરો! બધી સલાહોનો સાભાર અસ્વીકાર! હિતેચ્છુઓને થોડું માઠું લાગે છે, પણ સાચું કહું તો સક્રિય ચેપ વખતે આવું બધું શરીરમાં ઉમેરવું સલાહભર્યું નથી લાગતું.

આજકાલ ‘ઇમ્યુનિટી’ વિશેની આવકારદાયક સભાનતા એકદમ વધી છે. બધાને તાત્કાલિક કંઈ ખાઈને કે પીને ઇમ્યુનિટી વધારી દેવી છે. ગયા વર્ષથી વિવિધ વિટામિન્સ, મિનરલ્સ, અજમો, સૂંઠ, લવિંગ, વિવિધ કાઢા, લીંબુ વગેરે પર ભારે આક્રમણ થયું છે. ઘણા કસરત અને સાદા ખોરાક તરફ પણ વળ્યા છે. પણ ઇમ્યુનિટી તત્કાળ સુધારી કે boost કરી શકાય એવી સિસ્ટમ નથી.

અને શરીરમાં સક્રિય ચેપ હોય ત્યારે ઇમ્યુનિટી વધારવા ન બેસાય. કોવિડમાં મોટા ભાગની જીવલેણ સમસ્યાઓ ઇમ્યુનિટીની અતિ સક્રિયતાથી થઈ છે. નવા વાઇરસની હાજરીમાં શરીરનું Homeostasis સંવેદનશીલ હાઈ એલર્ટ પર સ્ટ્રેસમાં હોય છે. કાયમ જેની ટેવ હોય એવો સાદો ખોરાક અને આરામ સિવાય વધારાની વસ્તુઓ વધુ સંવેદનશીલ બનેલા Homeostasisમાં ભયજનક ખલેલ પાડી શકે. તો બધા કોવિડ પૉઝિટિવ લોકોને સરકાર તરફથી વિટામિન્સ, મિનરલ સપ્લિમેન્ટ, પેરસીટમોલ અને અન્ય દવાઓની એકસરખી કિટ કેમ વહેંચવામાં આવી? એનાથી કેટલા કેસ ખોટી રીતે બગડ્યા એનો કોઈની પાસે હિસાબ કે અભ્યાસ નથી.

‘તમારી હિંમત બહુ છે. વગર દવાએ કોરોનાને હરાવ્યો!’ કોઈ આમ કહે ત્યારે હું ત્રણ સુધારા કરું છું. એક, કોરોનાની આમે ય કોઈ દવા નથી. બીજું, મેં કોરોનાને હરાવ્યો કઈ રીતે? એ તો મસ્તીથી મને ગેસ્ટહાઉસ બનાવીને રહ્યો અને પૂરું આયુષ્ય ભોગવીને ગયો. મીયાંની મીંદડી થઈ બે અઠવાડિયાં ઘરમાં તો હું બેસી રહ્યો. મેં હાકોટા પડકારા કર્યા હોય કે મૂછે તાવ દીધા હોય એવું યાદ આવતું નથી. અને ત્રીજું, દવા ન લેવામાં મારી હિંમત નહીં પણ કાયરતા જવાબદાર છે. શરીરમાં નવો વાઇરસ સક્રિય બન્યો હોય, ત્યારે પૂર્વજો પાસેથી મળેલી અત્યંત સંવેદનશીલ અને બુદ્ધિમાન ઇમ્યુન સિસ્ટમ જે પ્રતિભાવ પેદા કરે, તેની સાથે બિનજરૂરી છેડછાડ કરવાની હિંમત હું બિલકુલ ધરાવતો નથી.

આ યુદ્ધની અવૈજ્ઞાનિક અને હાસ્યાસ્પદ પરિભાષાએ દાટ વાળ્યો છે. ‘કોરોના સામે જંગ’, ‘કોરોના વૉરિયર’! મેડિકલ પ્રોફેશન પણ અમુક અંશે આ પરિભાષાનો ભોગ બન્યો છે. ડૉક્ટરો અને તેમનાં પરિવારજનો વાઇરસના નામથી ડરેલાં દેખાય, ત્યારે સામાન્ય માણસોનું આતંકિત થવું સ્વાભાવિક છે. ભય અને આતંકમાં તાર્કિક રૅશનલ વિચાર પછડાયો છે. ઘણી બિનજરૂરી દોડાદોડ, દવાઓ અને ઇલાજના નામે અંધાધૂંધી થઈ છે. CT Scan, રેમડેસીવિર, હાઇડ્રૉક્સિક્લોરોક્વીન, આઇવરમેક્ટીન, પ્લાઝ્‌મા થેરાપી, પ્લાઝમા ડોનેશન કૅમ્પ! કદી બગડે નહીં એવા ઘણા કેસ એ રીતે બગડ્યા છે. ઘણા ડૉક્ટરોએ આ મહામારીમાં ભારણ હેઠળ અત્યંત ટાંચાં સાધનોથી પ્રશંશનીય કામ કર્યું છે. પણ સૌ પ્રથમ યુદ્ધની પરિભાષાનો વિરોધ કરી chill pill  મીડિયા, સરકાર અને લોકોને ગળાવવાની જરૂર હતી.

સ્વાનુભવથી હું જોઈ શક્યો છું કે કોવિડમાં ઇમ્યુનિટીએ તાવનો સમજણપૂર્વક વ્યૂહાત્મક ઉપયોગ કર્યો છે. તાવ જીવાણુને મારવા આવે છે, એ સૌથી સાદી સમજ છે. પણ તાવના એક કાંકરે શરીર કેટલાં પક્ષી મારે છે, એ ચોક્કસ કોઈ કહી શકે એમ નથી. કોવિડમાં blood-clottingની સમસ્યાઓ ઘણી થઈ. કદાચ hemodynamic stability જાળવવામાં તાવ મહત્ત્વની ભૂમિકા ભજવે. અને તાવ ફક્ત જીવાણુ-નિયંત્રણ કરતો હોય તો પણ તે ઉતારવાની દવા લેવામાં કયું ડહાપણ છે?

અસંખ્ય કેસમાં તાવ ઉતારવાની કોશિશથી જ સ્થિતિ બગડી છે. શક્ય હોય ત્યાં સુધી તાવ આવી જવા દેવાની સલાહ મેડિકલ પ્રોફેશન તરફથી મળવી જોઈતી હતી. પણ ઊલટાનું તાવ ઉપરાંત ખાંસી વગેરેની દવાઓ પણ આજની તારીખમાં ICMR/AIIMSની વેબસાઇટ પર ઘરે રહેલા દરદીઓ માટે symptomatic management માટે સૂચવાયેલી દેખાય છે. શરીરને પોતાના સંરક્ષણના ઉપાયો કરતાં રોકવાથી ચેપ વધુ ઊંડે ન જાય? Viral shedding અને એકથી બીજાને ચેપ લાગવાની શક્યતા ન વધે ? પણ આવા કોઈ અભ્યાસ થતા હોય એમ લાગતું નથી.

મોટા ભાગે મેડિકલ પ્રૅક્ટિસ લક્ષણોના મેનેજમેન્ટને જ પોતાનું કામ બનાવી બેઠી છે. અમુક સંજોગોમાં લક્ષણોને નિયંત્રિત કરવાં કે તેમને દબાવવાં ચોક્કસ જરૂરી હોય, પણ ઘણા ભાગે એમ કરવામાં જોખમ અને નુકસાન જ વધુ હોય છે. નવો વાઇરસ શરીરમાં આવે, ત્યારે બંનેને એકબીજાને નુકસાન કરવામાં કોઈ રસ હોતો નથી, પણ પોતપોતાને બચાવવા માટે વ્યૂહાત્મક બાજી જરૂર ગોઠવે છે. આ સંજોગોમાં તાવ શરીર માટે રામબાણ છે.

‘ડોલો’ એટલી પ્રખ્યાત થઇ કે ‘રેમડેસિવિર’ ફૅશનમાં આવી તે પહેલાં ઘણા લોકો ‘ડોલો’ને કોરોનાની મુખ્ય દવા માનતા હતા. ‘તાવ આવે તો કોરોના હોઈ શકે!’, પણ તાવ એ કોવિડ નથી. લોકો તાવથી ગભરાતા થઈ ગયા. દરેક મોટે દરવાજે થર્મલગન લઈ ચોકીદારો ગોઠવાઈ ગયા. એનાથી બચવા ઘણા લોકો પેરસીટમોલ લઈને કામ પર ગયા.

કદાચ લાખો કોવિડકેસ તાવ ઉતારવા માટે પેરસીટમોલના દુરુપયોગથી બગડ્યા હશે. એમાંના કેટલા ય અન્ય સગવડોની ઉપલબ્ધિને અભાવે રામશરણ થયા હશે. પેરસીટમોલ (કે તાવ ઉતારવાની અન્ય કોઈ દવા) ન મળતી હોત તો કેટલા બચ્યા હોત? એનો હિસાબ તમને કોઈ નહીં આપી શકે. જે થોડા ઘણા ડૉક્ટરોએ કોવિડમાં તાવ ઉતારવા સામે લાલબત્તી ધરી હોય તેમને હું સલામ કરું છું.

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 12-13

Loading

નફાનું ખાનગીકરણ, ખોટનું રાષ્ટ્રીયકરણ !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 July 2021

૧૯૯૧ની ૨૧મી જૂને નહેરુ-ગાંધીપરિવાર સિવાયના પ્રથમ કૉન્ગ્રેસી વડા પ્રધાન તરીકે પી.વી. નરસિંહ રાવે સત્તાના સૂત્રો સંભાળ્યાં તે ભારતીય રાજનીતિની નોંધપાત્ર ઘટના હતી. ખાડીયુદ્ધ અને સોવિયેત રશિયાના વિઘટન વચ્ચે દેશની આર્થિક સ્થિતિ તળિયે હતી. એટલે ૨૪મી જુલાઈ ૧૯૯૧ના રોજ નરસિંહરાવે તેમના અર્થશાસ્ત્રી નાણામંત્રી મનમોહન સિંઘની સલાહ અનુસરી દેશના અર્થતંત્રને બજારને હવાલે કરતું ઉદારીકરણ સ્વીકારી લીધું હતું. કૉન્ગ્રેસના સમાજવાદને તિલાંજલિ આપી આર્થિક સુધારાની નીતિ અંગીકારીને કૉન્ગ્રેસે ભારતીય અર્થકારણને ઐતિહાસિક વળાંક આપ્યો હતો.

આઝાદી સમયે દેશે ન મૂડીવાદી, ન સમાજવાદી એવી મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. સાથે નહેરુ કલ્પનાના સમાજવાદને કારણે રાષ્ટ્રીયકરણ અને જાહેર ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો હતો. ૧૯૪૯માં રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાનું અને ૧૯૫૫માં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પોતાના પ્રધાનમંત્રીત્વકાળ દરમિયાન ઇંદિરા ગાંધીએ ૧૯૬૯માં ૧૪ બૅન્કોનું તો મોરારજી દેસાઈએ ૧૯૮૦માં ૬ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ૨૦૧૭માં દેશમાં ૨૭ રાષ્ટ્રીયકૃત બૅન્ક હતી. ૧૯૫૦થી ૧૯૬૦ના ગાળામાં કેન્દ્ર અને રાજ્યોએ ૧,૨૦૦ જેટલી સરકારી કંપનીઓ બનાવી હતી. આજે દેશમાં ૨૫૭ જાહેરક્ષેત્રના ઉદ્યોગો છે અને તેમાંથી ૧૮૪ નફો કરે છે.

૧૯૯૧ના બજારકેન્દ્રી ઉદારીકરણને કારણે ખાનગીકરણનો વાયરો ફૂંકાયો હતો. ઉદારીકરણના ત્રણ દાયકાના અંતે આજે ઉદારીકરણના બીજા તબક્કામાં સરકાર ખાનગીકરણની ખુલ્લેઆમ તરફેણ કરે છે. વિનિવેશ થકી ખાનગીકરણના આરંભનો તો સરકારોએ ક્યારનો અમલ કરી દીધો છે. સરકાર જ્યારે વિનિવેશનો માર્ગ અપનાવે છે, ત્યારે તે બૅન્ક, વીમા કંપની કે જાહેર ક્ષેત્રના ઉપક્રમનો અમુક હિસ્સો ખાનગી વ્યક્તિ કે કંપનીંને વેચે છે, પરંતુ નિયંત્રણ પોતાના હસ્તક રાખે છે જ્યારે ખાનગીકરણમાં તે બહુમતી હિસ્સો વેચીને સંચાલન ખાનગી હાથોને સોંપી દે છે. ઉદારીકરણના આરંભે ૧૯૯૧-૯૨માં ૩૧ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારે વિનિવેશ મંત્રાલય અને વિનિવેશ આયોગની રચના કરી હતી.

ઉદારીકરણના ત્રણ દાયકામાં વિશ્વ અર્થવ્યવસ્થામાં ભારતની ભાગીદારી ત્રણ ગણી વધી હોવાનું અને ખાનગીકરણને કારણે બૅન્કિંગ, સંચાર, મોબાઇલ અને વિમાનસેવામાં સુધારો થયાનું કહેવાય છે. જાહેરક્ષેત્રમાં કામચોરી, ભ્રષ્ટાચાર, જરૂરિયાત કરતાં વધુ સ્ટાફ છે. બૅન્કોની એન.પી.એ. (નૉન પરફૉર્મિંગ એસેટ્‌સ) વધી રહી છે. છેલ્લાં ત્રણ વરસોમાં કેન્દ્ર સરકારે સરકારી બૅન્કોને રૂ. ૧૫૦ લાખ કરોડ ખોટ સરભર કરવા આપ્યા છે. જાહેરક્ષેત્રના કેટલાક ઉદ્યોગો પણ ખોટમાં ચાલે છે. તેને કારણે પણ ખાનગીકરણ જરૂરી હોવાની દલીલો થાય છે.

હાલમાં મહામારી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં સંસાધનોનું સંકટ છે અને સરકાર આર્થિક રીતે તંગહાલ છે, એટલે તે સામાજિક યોજનાઓ માટે જરૂરી નાણાં મેળવવા, રાજકોષીય ખાધ ઘટાડવા ખાનગીકરણનો રાહ આપદ્‌ ધર્મ તરીકે અપનાવી રહ્યાનું કહેવાય છે. ૧૯૯૪થી ૨૦૦૫માં કેન્દ્ર સરકાર વિનિવેશથી રૂ.૬,૩૪૪ કરોડ કમાઈ હતી. ૨૦૦૯થી ૧૪માં રૂ. ૧ લાખ કરોડની કૉન્ગ્રેસ સરકારે તો ૨૦૧૪થી ૧૯માં રૂ. ૨.૮૨ લાખ કરોડની બી.જે.પી. સરકારે જાહેર ક્ષેત્રના વેચાણમાંથી કમાણી કરી હતી. ૨૦૦૬માં ઇન્ડિયન ઑઇલ કંપનીમાં સરકારી ભાગીદારી ૮૨ ટકા હતી, ૨૦૧૯માં ૫૨ ટકા છે. ૨૦૧૭માં સરકારી બૅન્કો ૨૭ હતી, તે ખાનગીકરણ અને વિલયથી ઘટાડીને આજે ૧૨ કરવામાં આવી છે. એટલે ખાનગીકરણ કે વિનિવેશ વર્તમાન સરકારનો કોઈ આપદ્‌ ધર્મ નથી. ખાનગીકરણને બહાને સરકારોની ઉડાઉગીરી લાંબા સમયની છે.

૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં સરકારે બે બૅન્કો અને એક સરકારી કંપનીનું ખાનગીકરણ કરીને ૧.૭૫ લાખ કરોડ મેળવવાનું લક્ષ્ય ઘોષિત કર્યું છે. નીતિ આયોગે લગભગ ૧૦૦ જેટલી જાહેર સંપત્તિ અને જાહેક્ષેત્રના ૧૩ ઉપક્રમો ખાનગીકરણ માટે તારવ્યા છે. આ વરસના બજેટનો લક્ષ્યાંક હાંસલ કરવા સેન્ટ્રલ બૅન્ક અને ઇન્ડિયન ઓવરસિસ બૅન્કનું ખાનગીકરણ કરવાનું નક્કી થઈ ગયું છે. અમદાવાદ સહિત ઘણાં શહેરોના આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ખાનગી કંપનીઓના હવાલે કરી દીધાં છે. પી.પી.પી. કહેતાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના રૂપાળા નામે સવાસો રેલવે સ્ટેશનોનું ખાનગીકરણ થવાનું છે.

વર્તમાન સરકાર મૂડીવાદીઓની તરફદાર એવી ‘સૂટબૂટની સરકાર’ હોવાની વિપક્ષી આલોચનાથી સહેજ પણ ડર્યા કે ડગ્યા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખાનગી ક્ષેત્રનાં ગુણગાન ગાયાં હતાં. “ધંધોવ્યવસાય કરવાનું સરકારનું કામ નથી” તેમ કહીને વડા પ્રધાને ખાનગી ક્ષેત્રની પ્રશંશા કરીને જાહેરક્ષેત્ર જરૂરી છે, પણ દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ પણ જરા ય ઓછું ન હોવાનું જણાવ્યું હતું. બધું જ સરકાર કરશે તે બાબતને જમાનાજૂની ગણાવી, લોકોના જીવનમાંથી નકામી સરકારી દખલ ઓછી કરી, ન સરકારનો અભાવ કે ન પ્રભાવ એવી પ્રતિબદ્ધતા પ્રધાન મંત્રીએ વ્યક્ત કરી હતી.

સરકાર બોજારૂપ કે ધોળા હાથી જેવાં જાહેર ક્ષેત્રોને વારસાના નામે ન સાચવે તે સમજી શકાય છે, પરંતુ નફો કરતા જાહેર ક્ષેત્રના ખાનગીકરણનો ર્નિણય કરતી મૂડીપતિઓની તરફદાર છે. સરકાર  ‘ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ’(બી.પી.સી.એલ.)નું ખાનગીકરણ કરવાની છે  આ સરકારી કંપની  દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની અને ત્રીજી મોટી તેલ-રિફાઇનરી છે, તેની ગણના જાહેરક્ષેત્રની ‘નવરત્ન’ કંપનીઓમાં થાય છે, જેનો સરેરાશ વાર્ષિક કારોબાર ૨૫,૦૦૦ કરોડથી વધુ હોય અને છેલ્લાં ત્રણ વરસોમાં જેણે ૫,૦૦૦ કરોડ નફો કર્યો હોય તેવા જાહેરક્ષેત્રના નવ ઉપક્રમોને સરકારે ‘નવરત્ન’ ગણ્યા છે. ભારત પેટ્રોલિયમ કંપની તે પૈકીની એક છે. વીસ હજાર કર્મચારીઓ ધરાવતી આ કંપનીએ તાળાબંધીના કપરાકાળમાં રાંધણગૅસ અને અન્ય ઈંધણોની અછત સર્જાવા દીધી નથી. ભારત સરકારનો આ કંપનીમાં ત્રેપન ટકા જેટલો હિસ્સો છે. ગયા વરસે તેનો નફો સાત ગણો વધ્યો હતો. તેનો સીધો નફો ૧૨,૮૫૧ કરોડ હતો. અને છતાં તેનું ખાનગીકરણ થવાનું છે ! 

આશરે સવા લાખ કર્મચારીઓ અને ત્રીસેક કરોડ પૉલિસીધારકો ધરાવતી, ૧૯૫૬માં સ્થાપિત, દેશની સરકારી વીમાકંપની લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન(એલ.આ.ઇસી.)ને હજુ બે વરસ પહેલાં જ, ૨૦૧૯માં, ખોટ કરતી આઈ.ડી.બી.આઈ. બૅન્કનો ૯૪ ટકા હિસ્સો ખરીદવાની સરકારે ફરજ પાડી હતી. હવે એ જ એલ.આઈ.સી.માં એફ.ડી.આઈ.(વિદેશી રોકાણનો હિસ્સો)ની મર્યાદા ૪૯ ટકાથી વધારીને સરકાર ૭૪ ટકા કરવાની છે. પાંચ લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી સો જાહેર સંપત્તિનું વેચાણ કરીને સરકાર રૂ. ૨.૫ લાખ કરોડ ઊભા કરવાની છે. સરકારે ખોટ કરતા જાહેર ક્ષેત્રને નાણાકીય મદદ કરવાના બોજમાંથી મુક્ત થવું જોઈએ, પણ  નફાકારક અને સુચારુ રૂપે ચાલતી આવી કંપનીઓનું ખાનગીકરણ કરે તો સવાલ ઊઠશે જ. શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રેલવે, હાઈવે, દૂરસંચાર, માળખાકીય સુવિધાઓ જેવાં ઘણાં ક્ષેત્રોનું ખાનગીકરણ થઈ રહ્યું છે. લાગે છે કે સરકાર નફાનું ખાનગીકરણ અને ખોટનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે !

રાષ્ટ્રીયકરણ સમયે આખા દેશમાં બૅન્કોની ૮,૨૦૦ શાખાઓ હતી. આજે આશરે ૮૫ લાખ છે. રાષ્ટ્રીયકરણને કારણે બૅન્ક ગામડાંઓ સુધી પહોંચી છે, અને તેનો ઉદ્દેશ લોકોની સેવાનો બન્યો છે. નાના ઉદ્યોગકારો, ખેડૂતો, નોકરિયાતો, મહિલાઓ, અસંગઠિતો અને વિદ્યાર્થીઓ માટે બૅન્કલૉન સુલભ બની છે. જનધન ખાતાં, ઝીરો બૅલેન્સ ખાતાં અને સરકારી યોજનાઓના લાભો બૅન્ક મારફત આપવાને કારણે ગરીબોની પહોંચ બૅન્કો સુધી શક્ય બનતાં આમઆદમીની નાણાકીય સમાવેશિતા થઈ છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના કારણે સમાજના વંચિત વર્ગોને રોજગારીની તકો મળી છે. સરકારી ઉપક્રમોમાં અનામત નીતિને કારણે દલિતો-આદિવાસીઓ નોકરી મેળવી શક્યા છે. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની સાંઠગાંઠ અને સરકારી દખલને કારણે મસમોટી રકમોની લોનો અપાય અને તે ન ચૂકવાય કે બૅન્કોએ આપેલી લોનો માંડવાળ કરવાના રાજકીય ર્નિણયો થાય તેને કારણે બેન્કોના ખાનગીકરણનો માર્ગ અખત્યાર કરવો યોગ્ય નથી.

જાહેર ક્ષેત્રનો નફો સાર્વજનિક હોય છે, જ્યારે ખાનગી ક્ષેત્રનો નફો વ્યક્તિગત હોય છે. ખાનગી ક્ષેત્રની કાર્યકુશળતા વખાણીને જાહેર ક્ષેત્રને ઉતારી પાડવું યોગ્ય નથી. સાર્વજનિક ક્ષેત્રોને કારણે સરકારની જે જવાબદેહી હોય છે, તેનો ખાનગી ક્ષેત્રમાં અભાવ હોય છે. ખાનગી ક્ષેત્રનો આદર્શ ઓછા દામ વધુ કામનો હોઈ જાહેર ક્ષેત્ર અને બૅન્કોના ખાનગીકરણની સૌથી મોટી અસર કર્મચારીઓ પર પડે છે. દેશમાં બેરોજગારી ચરમ પર છે, ત્યારે જ ખાનગીકરણને કારણે છટણી થતાં બેકારી વધશે. ખાનગી ક્ષેત્રનો એક માત્ર ઉદ્દેશ નફો કમાવાનો છે, ત્યારે તે જાહેરક્ષેત્રની જેમ પછાત વિસ્તારોમાં ન જતાં ગરીબોની જે નાણાકીય સમાવેશિતા શક્ય બની છે, તે જોખમાશે. સામાજિક ઉત્તરદાયિત્વનો અભાવ, ભેળસેળ, ઊતરતી ગુણવત્તા, કાળું નાણુ, પર્યાવરણને નુકસાન, પ્રદૂષણમાં વધારો જેવી બાબતો ખાનગીકરણની ઓળખ છે. સાર્વજનિક ક્ષેત્ર તેની મર્યાદાઓ છતાં આ બાબતોથી દૂર છે. એટલા માટે પણ જાહેરક્ષેત્રોનું ખાનગીકરણ નુકસાનકારક છે. વળી, ખાનગી ક્ષેત્ર પણ કંઈ દૂધે ધોયેલું નથી. ખાનગી ક્ષેત્રની યસ, આઈ.સી.આઈ.સી.આઈ., લક્ષ્મીવિલાસ અને ઍક્સિસ બૅન્ક પણ ખોટ કરતી બૅન્કો છે. શિક્ષણ સંસ્થાઓ અને આરોગ્ય ક્ષેત્રમાં ખાનગીકરણના માઠાં પરિણામો દેશ ભોગવી રહ્યો છે. એટલે ખાનગીકરણનો વ્યાપ વધારી દેશવાસીઓની ધીરજની વધુ કસોટી ન લેવી જોઈએ.

દેશમાં ૪૭૩ વર્ગ કિલોમીટરે એક કૃષિબજાર છે. ૨૦૦૬માં રાષ્ટ્રીય કિસાન આયોગે દર ૮૦ કિલોમીટરે એક કૃષિબજાર ઊભું કરવા ભલામણ કરી હતી. પરંતુ ખાનગી ક્ષેત્રને જેટલો રસ કૉર્પોરેટ ફાર્મિંગમાં છે કે અનાજનાં મોટાં ગોડાઉન ઊભા કરવામાં છે તેટલો નાનાં કૃષિબજારો ઊભાં કરવામાં નથી. ૨૦૦૩માં જાપાને તેની ટપાલ સેવાનું ખાનગીકરણ કર્યું હતું, પરંતુ સંસદના ઉપલા ગૃહમાં તેનો અસ્વીકાર થતાં તત્કાલીન જાપાની વડા પ્રધાન કોઈ જુમીએ ૨૦૦૫ની સામાન્ય ચૂંટણી આ મુદ્દે જ લડવાનું એલાન કરી વિજય મેળવ્યો હતો. પણ ભારતમાં બધું ચોરીછૂપીથી થાય છે.

ભારતમાં બૅન્કો રાષ્ટ્રીયકરણનો અને જાહેર ક્ષેત્રની સ્થાપનાનો ર્નિણય જો રાજકીય હતો, તો તેને તિલાંજલિ આપી ખાનગીકરણનો ર્નિણય પણ રાજકીય છે. તે બાબતમાં કૉન્ગ્રેસ-ભા.જ.પ .એકસંપ છે. એટલે રાજનીતિ અને અર્થનીતિની ભેળસેળ થતી રહેશે અને લોકો તેનો ભોગ બનતા રહેશે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 06-07

Loading

ચલ મન મુંબઈ નગરી—104

દીપક મહેતા|Opinion - Opinion|17 July 2021

સાંતા ક્રુઝમાં એક જ વરસે પથરાયું વીજળી અને વિદ્યાનું અજવાળું

સાંતા ક્રુઝ પોલીસ ચોકીમાં જ અવારનવાર થતી ચોરી!

એરપોર્ટના રન-વે પર રાતે વપરાતા ઘાસલેટના દીવા

સાંતા ક્રુઝ એટલે આમ તો મુંબઈનાં અનેક પરાંમાંનું એક પરું. આજથી ૯૪ વરસ પહેલાં તો ગામડું કહી શકાય એવું. નહોતા વીજળીના દીવા. નહોતી ઝાઝી સ્કૂલ. પણ ૧૯૨૭નું વરસ સાંતા ક્રુઝ માટે સપરમું હતું. ફતેહ અલી એન્ડ કંપનીએ અહીં દીવાસળી બનાવવાનું કારખાનું શરૂ કર્યું તે આ જ સાલમાં. કિલિક નિકસન એન્ડ કંપનીએ સાંતા ક્રુઝના રસ્તાઓ અને મકાનોને ઈલેક્ટ્રિસિટી પૂરી પાડવાનું શરૂ કર્યું તે આ જ વરસે. અને ૧૯૨૭માં જ સાંતા ક્રુઝમાં વિદ્યાનો પ્રકાશ પાથરવાના કામની પણ શરૂઆત થઈ. હા, ૧૯૧૦માં અહીં ‘ગુરુકુળ વિદ્યાલય’ની શરૂઆત થઈ હતી, પણ પછી ૧૯૧૭માં તે ઘાટકોપર ખસેડાયુ હતું. એટલે મિશનરી સ્કૂલને બાદ કરતાં સાંતા ક્રુઝમાં એક પણ સ્કૂલ નહોતી. સાંતા ક્રુઝ ટાઉન પ્લાનિંગ સ્કીમ દ્વારા પ્લોટ નંબર ૭૩ સ્કૂલના મકાન માટે ફાળવવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ એ પ્લોટ પર મકાન બાંધવા માટે ૧૫ હજાર રૂપિયાનો ફાળો એકઠો કર્યો. પણ સ્કૂલ કમિટીએ કહ્યું કે આ પ્લોટ પર જે સ્કૂલ શરૂ થાય તે હાઈ સ્કૂલ હોવી જોઈએ. હવે એ માટે તો મોટું મકાન બાંધવું પડે. એટલા પૈસા લોકો ભેગા કરી શકે તેમ હતું નહિ. આ વાતની ખબર પડી શેઠ આનંદીલાલ પોદારને. તેમણે કહ્યું કે વધારાના પૈસા જ નહિ, મકાન માટેનો બધો ખર્ચ હું આપીશ. આનંદીલાલ હતા તો રૂના વેપારી, પણ ગાંધીજી અને બીજા નેતાઓ સાથે નિકટના સંબંધ ધરાવતા હતા. ૧૯૨૨ના ઓગસ્ટની બીજી તારીખે તેમણે આનંદીલાલ પોદાર ટ્રસ્ટની સ્થાપના કરી. તેના પહેલા પ્રમુખ હતા મહાત્મા ગાંધી. મદન મોહન માલવિયા, જમનાલાલ બજાજ તથા આનંદીલાલ પોદાર તેના ટ્રસ્ટીઓ હતા. આ ટ્રસ્ટની મદદ મળી એટલે મોટું મકાન બંધાયું અને તેમાં ૧૯૨૭ના જૂન મહિનામાં શરૂ થઈ શેઠ આનંદીલાલ પોદાર હાઈ સ્કૂલ.

આનંદીલાલ પોદાર

એ વખતે હજી પ્લોટ નંબર ૭૩ પરનું મકાન બંધાયું નહોતું એટલે શેઠ આનંદીલાલ પોદાર વિદ્યાલાયની શરૂઆત ટાગોર રોડ પરના એક ચાલ જેવા મયૂરી નામના મકાનમાં ભાડાની જગ્યામાં થઈ હતી. તે વખતે તેમાં ચાર મરાઠી અને ચાર ગુજરાતી વર્ગો હતા : બાળ મંદિર અને ધોરણ એકથી ત્રણ. ચોથા ધોરણથી એ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું માધ્યમ અંગ્રેજી થતું. પણ જમીનનો ટુકડો કે તેના પર બંધાયેલું મકાન એ તો સ્કૂલ માટેની સગવડ છે, સ્કૂલ નહિ. મકાનને સાચા અર્થમાં વિદ્યાનું આલય બનાવવાનું કામ તો કર્યું તેના પહેલા હેડ માસ્તરે (એ વખતે હજી સ્કૂલના વડા માટે પ્રિન્સિપાલ શબ્દ પ્રચલિત થયો નહોતો).

રામપ્રસાદ બક્ષી

આ જગ્યા માટે આનંદીલાલ શેઠની ઝીણી નજરે શોધી કાઢ્યા રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીને. તેત્રીસ વરસના તરવરતા યુવાન. આખા મુંબઈ ઇલાકામાં જેની નામના ફેલાયેલી હતી એવી મુંબઈની સરકારી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં શિક્ષક હતા. માન, મોભો, ભવિષ્યની ઊજળી તકો, બધું જ નજર સામે હતું. પણ એ બધું હડસેલીને એક ચાર ધોરણ સુધીની નવી ખાનગી સ્કૂલમાં હેડ માસ્તર તરીકે જોડાવા તૈયાર થઈ ગયા. મામા હિંમતલાલ અંજારિયાની છત્ર છાયામાં રામભાઈ ૧૯૧૫થી સાંતા ક્રુઝમાં રહેતા હતા. તેત્રીસ વરસની ઉંમરે પોદાર સ્કૂલમાં પલાંઠી વાળીને બેઠા, તે છેક ૬૫મે વર્ષે ૧૯૬૯માં નિવૃત્ત થયા. આજે તો પોદાર સ્કૂલ વડલાની જેમ મુંબઈ શહેરમાં જ નહિ, દેશનાં અનેક રાજ્યોમાં વિસ્તરી છે. પણ એના મૂળમાં છે સાંતા ક્રુઝમાં ‘મયૂરી’ નામના મકાનમાં શરૂ થયેલી શેઠ આનંદીલાલ પોદાર સ્કૂલ, અને તેના હેડ માસ્તર રામભાઈ. દુનિયાદારીની દ્રષ્ટિએ જે વસ્તુઓ મેળવવા જેવી મનાય છે તેમાંની ભાગ્યે જ કોઈ રામભાઈ પાસે હતી. નહોતો ઝાઝો પૈસો, નહોતી અમાપ સત્તા, નહોતી બહોળી લોકપ્રિયતા, નહોતી અદ્ભુત કળાકૃતિ રચવાની સર્જનાત્મક શક્તિ. પણ ‘સર્વધનપ્રધાન’ એવી વિદ્યા હતી એમની પાસે. રામભાઈ હંમેશાં સફેદ કપડાં જ પહેરતા. માથે સફેદ ફેંટો બાંધ્યા વગર ઘરની બહાર ન જ નીકળે. પણ તેમનાં આ શ્વેત કપડાં વધુ તેજસ્વી બનતાં તે તો એમના અંદરના અજવાળાને પ્રતાપે. ઉજળો શ્વેત રંગ એ માત્ર તેમનાં કપડાંનો જ રંગ નહોતો. તેમનાં શુદ્ધ વાણી, વિચાર અને વર્તનનો પણ હતો. દેવી સરસ્વતી જેના પર આરૂઢ થયેલી છે તે શ્વેત પદ્મની એક પાંખડી જેવા હતા રામભાઈ.

રામભાઈની અંદરની ઉજળાશનો પરિચય આનંદીલાલ શેઠને શરૂઆતમાં જ થઈ ગયેલો. નવી શરૂ થતી સ્કૂલને ધર્માદા સ્કૂલ બનાવવાની તેમની યોજના હતી. વિદ્યાર્થીઓ પાસેથી ફીના પૈસા ઉઘરાવવા નહિ. આ અંગે રામભાઈ સાથે વાત કરી ત્યારે નમ્ર મક્કમતાથી રામભાઈએ કહ્યું કે ના, ફીના પૈસા તો લેવા જ જોઈએ. પોદાર શેઠે પૂછ્યું : પણ કેમ? જવાબ મળ્યો : ફી આપતા હશે તો જ મા-બાપ આપણી ભૂલો અને ઉણપો બતાવી શકશે. સૂચનો કરી શકશે. છોકરાં મફત ભણતાં હશે તો તેમ કરવાની તેમની હિંમત નહિ ચાલે. એમની વાત પોદાર શેઠને ગળે ઊતરી ગઈ. બસ, તે દિવસ પછી કોઈ દિવસ શેઠે સ્કૂલ કેમ ચલાવવી એ બાબતમાં માથું માર્યું જ નહિ.

એક જમાનામાં મુંબઈની હદ માહિમ પાસે પૂરી થતી હતી. વાંદરા પછીનો વિસ્તાર મુંબઈની બહારનો ગણાતો. એટલે BESTની બસો માહિમ સુધી જ જતી. ૧૯૩૧માં એફ.એમ ચિનોયે બાંદ્રા બસ કંપની શરૂ કરી. તેની બસો પશ્ચિમનાં પરાંઓને સાંકળી લેતી, પણ માહિમ પાસે તેની હદ પૂરી થતી. આગળ જવા માગતા પેસેન્જરોએ માહિમથી BESTની બસ પકડવી પડતી. ૧૯૪૯ના ઓક્ટોબરની પહેલી તારીખે BEST કંપનીએ પરાંઓની જવાબદારી પણ સંભાળી લીધી. એ વખતે બેસ્ટની બસના રૂટને આજની જેમ નંબર નહોતા અપાતા, પણ A B C વગેરે અંગ્રેજી આલ્ફાબેટના અક્ષરોથી રૂટ ઓળખાતા. પશ્ચિમના પરામાં જતો પહેલો A રૂટ હતો, જે ફ્લોરા ફાઉન્ટનથી જોગેશ્વરી સુધી જતો. કારણ તે વખતે હજી ગોરેગાંવ અને તેની પછીનો વિસ્તાર મુંબઈનો ભાગ બન્યો નહોતો.

૧૯૦૭માં સાંતા ક્રુઝને મળી પહેલી પોસ્ટ ઓફિસ, જે સાંતા ક્રુઝ ઇસ્ટમાં શરૂ થયેલી. એ જ અરસામાં મળી પહેલી પોલીસ ચોકી, જે ઘોડ બંદર રોડ પર શેઠ તુલસીદાસ ખીમજીના ‘તુલસી ભવન’ બંગલાની બાજુમાં આવેલી હતી. પણ પોલિસ ત્યાં રાતે રોકાતા નહિ. સવારે વાંદરાથી આવતા અને સાંજે પાછા ચાલ્યા જતા. યુનિફોર્મનાં કપડાં પાછળ પોલીસ ચોકીમાં મૂકતા. ઘણી વાર પોલીસ ચોકીમાંથી જ રાતે આ કપડાં ચોરાઈ જતાં! ૧૯૨૦ સુધી સાંતા ક્રુઝમાં એક પણ બાંધેલી માર્કેટ નહોતી. તિલક રોડ પર છેક રેલવે સ્ટેશન સુધી રોજ ખુલ્લામાં બજાર ભરાતી. ૧૯૨૦માં સરકારે હસન અલીની કેટલીક જમીન હસ્તગત કરીને તેના પર માર્કેટ માટેનું મકાન બાંધ્યું. તેની સાથે હસન અલીની દીકરી બાઈ અન્તુબાઈ ઝેહરાનું નામ જોડ્યું. ૧૯૨૯ સુધી સાંતા ક્રુઝમાં ખાધા ખોરાકીની વસ્તુઓ વેચતી એક પણ મોટી દુકાન નહોતી. કાં ઝુંપડા જેવી નાની દુકાનોમાંથી કે પછી ફેરિયાઓ પાસેથી લોકો દાણોપાણી પણ ખરીદતા.

RAF સાંતા ક્રુઝ પર બ્રિટિશ લડાયક વિમાન

૧૯૩૦ના દાયકામાં સાંતા ક્રુઝનું મહત્ત્વ વધારનારી એક મહત્ત્વની ઘટના બની. પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થવાની ઘડીઓ ગણાતી હતી ત્યારે, ૧૯૧૮ના એપ્રિલની પહેલી તારીખે ગ્રેટ બ્રિટને રોયલ એર ફોર્સ(RAF)ની સ્થાપના કરી. એ વખતે જે દેશો પર બ્રિટનની હકૂમત હતી તે દેશોમાં તે પછી ધીમે ધીમે RAF માટેની સગવડો ઊભી થઈ. તેમાં સાંતા ક્રુઝ ખાતે લડાયક વિમાનો માટે એરોડ્રોમ તૈયાર કરવામાં આવ્યું, જે એ વખતે RAF સાંતા ક્રુઝ તરીકે ઓળખાતું હતું. શરૂઆતમાં અહીં ઈલેક્ટ્રિસિટીની સગવડ નહોતી એટલે રાત્રે ખાસ પ્રકારના ઘાસલેટના દીવા રન-વે પર વાપરતા. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન અહીં મોટી સંખ્યામાં ગ્રેટ બ્રિટનનાં લડાયક વિમાન રાખવામાં આવ્યાં હતાં. પછી એક બાજુ બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું, અને બીજી બાજુ હિન્દુસ્તાન પરની બ્રિટિશ હકૂમતનો અંત આવ્યો. એટલે હવે બ્રિટિશ યુદ્ધ વિમાનોને અહીં રાખવાનો તો પ્રશ્ન જ નહોતો. એટલે ૧૯૪૬માં RAF દ્વારા આ એર પોર્ટ ડિરેક્ટર ઓફ સિવિલ એવિયેશનને સોંપવામાં આવ્યું. એટલે દેશની અંદરની અને દેશની બહાર જતી વિમાન સેવા માટે આ એર પોર્ટ વાપરવાનું નક્કી થયું. પણ મુસાફરો અને તેમના માલ-સામાન માટે જે મકાન – ટર્મિનલ – જોઈએ એ તો હતાં જ નહિ. એટલે વિમાન રાખવા માટેના બે હેંગરમાં થોડા ફેરફાર કરી તેને બે ટર્મિનલ બનાવવામાં આવ્યાં – એક નેશનલ અને બીજું ઇન્ટર નેશનલ વિમાની સેવા માટે.

સાંતા ક્રુઝ એર પોર્ટ, ૧૯૪૯

૧૯૪૭માં દેશના ભાગલા પડતાં કરાંચી પાકિસ્તાનમાં ગયું એટલે સાંતા ક્રુઝ એર પોર્ટ પર આવતી-જતી ફ્લાઈટની સંખ્યા એકાએક વધી ગઈ. એ વખતથી આજ સુધી થોડે થોડે વરસે આ એર પોર્ટનું વિસ્તરણ થતું રહ્યું છે. ૧૯૯૯માં આ એરપોર્ટનું નામ રાખવામાં આવ્યું છત્રપતિ શિવાજી એરપોર્ટ. ૨૦૧૮માં તેમાં ‘મહારાજ’ શબ્દ ઉમેરાતાં એ બન્યું છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ. હવે તો આ એરપોર્ટ નાનું પડવાથી નવી મુંબઈ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે અને તે બંધાઈ રહે તે પહેલાં જ તેના નામ અંગે ખેંચતાણ થઈ રહી છે.

પણ આ RAF સાંતા ક્રુઝ એ મુંબઈનું પહેલું એરપોર્ટ નહિ. તો પહેલું એર પોર્ટ કયું?  એ માટે તો આવતા શનિવારે पुढचा स्टेशन विले पार्ले.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 17 જુલાઈ 2021

Loading

...102030...1,8111,8121,8131,814...1,8201,8301,840...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved