Opinion Magazine
Number of visits: 9676053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—110

દીપક મહેતા|Opinion - Opinion|28 August 2021

મેઘાણીની સવા સોમી વરસગાંઠે સ્મૃતિ વંદના

મેઘાણી અને મુંબઈ, મુંબઈ અને મેઘાણી

ગાંધીજી : મારે મન મેઘાણી કૃષ્ણની બંસરી સમાન હતા

‘મુંબઈ આવ્યું ત્યારે ગાડી જાણે કે પાટાઓની જટિલ ઝાડીમાંથી પોતાનો માર્ગ શોધતી એક સરખી ચીસો પાડતી હતી. સિગ્નલોની રાતી અને લીલી આંખો ગાડી પર સળગી રહી હતી. બારી બહાર ડોકિયું કરીને આ કોઈ પ્રકાંડ કાવતરાના પથરાવને જોઈ છાનીમાની અકળાતી અજવાળી વારે વારે પોતાની ભુજાએ બાંધેલા માદળિયાને સ્પર્શ કરતી હતી. માદળિયામાં પોતાની આખરી રક્ષા રહેલી છે, માદળિયું જ પોતાને પાછી શિવરાજ પાસે પહોંચાડનાર છે. માદળિયાએ એનો ભય મોળો પાડ્યો. મુંબઈની માયાજાળ વચ્ચે આ માદળિયું છે ત્યાં સુધી મને કોનો ભો છે? માદળિયાએ એને છાતી આપી …’ ભરોસો રાખજે હોં દિકરી!’ માલુજીએ અજવાળીના વિચારમગ્ન મોં પરથી ઉચાટ અનુભવીને કહ્યું : ‘મારો શિવરાજ લોફર નથી. એની માએ ધાવણો મેલેલો તે દા’ડાથી આ મારા હાથની જ આંગળી ચૂસીને એ આવડો થયો છે. એ તને રઝળાવે નહિ. એણે તને સુધારવા મોકલી છે.’ સુધારવા? મુંબઈમાં? અજવાળીએ આજ સુધી મુંબઈનું નામ પચીસ-પચાસ વાર સાંભળ્યું હતું … પાડોશણ કુંભારણ વિધવાને લેણદાર વેપારી આવીને ઘણી વાર સોગંદ દેતો : 'રૂપિયા ન હોય તો ખા સમ -– તારા માથે આખી મુંબઈનું પાપ!"

મુંબઈ જોઈને અજવાળી વિચારે છે : ‘મુંબઈનું પાપ! એ જ આ મુંબઈ. આમાં પાપ ક્યાં છે? આ તો ઇન્દ્રપુરી જેવું શહેર છે. અહીં તો લાખો લોકો દોટમદોટ રોજી રળે છે. આંહીના રસ્તા આરસ જેવા સુંવાળા, અહીં બબ્બે દુકાનને આંતરે ભજિયાં ને પૂરી તળાય છે, આંહી પાન ચાવીને ગરીબો ય રાતાચોળ મોઢાં કરે છે. આહીં ગલીએગલીએ માલણો ફૂલના હારગજરા વેચે છે. આહીં માર્ગે માર્ગે ઠાકરનાં મંદિરોનો પાર નથી. આહીં બાઈ માણસો પગમાં જોડા પહેરી ને માથે છત્રી ઢાંકીને ચાલી જાય છે. અહીં હીરામોતી ને ઝવેરાતની આટઆટલી હાટડીઓ ઉઘાડી પડી છે તો પણ કોઈ લૂંટ કરતું નથી. આહીં ઘરેઘરને બારીઓ છે છતાં કોઈને ચોરનો ભો નથી. – ત્યારે મુંબઈનું પાપ ક્યા?’

જન્મ : ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ • અવસાન : ૯ માર્ચ ૧૯૪૭

મુંબઈનું આ વર્ણન છે ૧૯૩૮માં પ્રગટ થયેલી ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘અપરાધી’નું. મેઘાણી એટલે લોકજીવન, લોકબોલી, લોકસાહિત્યનું ગુજરાત અને ગુજરાતીને બાવડે બંધાયેલું માદળિયું. પણ એનો અર્થ એવો નથી કે મેઘાણી ગામડાની બહાર પગ મૂકતા જ નથી. આ નવલકથા પ્રગટ થઈ તે પહેલાં મેઘાણીને મુંબઈનો સારો એવો પરિચય થઈ ચૂક્યો હતો. મુંબઈની જ્ઞાનપ્રસારક મંડળીએ લોકસાહિત્ય વિષે છ વ્યાખ્યાનો આપવાનું આમંત્રણ ૧૯૨૯માં મેઘાણીને આપેલું. આ છ વ્યાખ્યાન એક સાથે નહિ પણ થોડા થોડા દિવસને અંતરે આપવાનાં હતાં. એટલે મેઘાણીને સારી એવી આવ-જા કરવી પડેલી. પણ એ વાત મેઘાણીના પોતાના જ શબ્દોમાં સાંભળીએ. ‘એ વ્યાખ્યાનમાળાનું ટાંચણ માનસપટ પર રહ્યું છે. રણજિતરામ સુવર્ણચંદ્રકનું પહેલવહેલું સન્માન પામીને મુંબઈ છેલ્લું ભાષણ દેવા ગયો હતો. કાવસજી જહાંગીર હોલમાં શ્રોતાસમૂહ ચિક્કાર રહેતો. પ્રમુખસ્થાને બેસતા ડો. સર જીવણજી મોદી. પોતે કડક હતા, કરડા હતા, સહેલાઇથી પ્રસન્નતા બતાવતા નહિ, શીખાઉ માણસ મલકાઈ-છલકાઈ જાય એવી રીતે વર્તતા નહિ. મારો ચંદ્રક હાથમાં લઈ, પંપાળીને શ્રોતાસમૂહને એ બતાવીને મને કહ્યું : ‘આ ચંદ્રકથી તારી જવાબદારી વધી જાય છે. સંશોધન કરતો જ રહેજે, મલકાઈ જતો ના.’

તો એક વખત આ વ્યાખ્યાનમાળાને નિમિત્તે મુંબઈ આવેલા ત્યારે જીવના જોખમમાંથી મેઘાણી બચી ગયેલા. તેમની સાથે વઢવાણના એક સ્નેહીની દીકરી અને એનું ધાવણું બાળક પણ સાથે હતાં. સ્નેહીનાં પત્નીએ કહેલું : ‘તાર કર્યો છે, જમાઈ સ્ટેશને આવશે.’ પણ ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતર્યા ત્યારે કોઈ આવેલું નહોતું. વિક્ટોરિયામાં ભીંડી બજાર જવા નીકળ્યા. રસ્તા સાવ સૂમસામ, પણ એ તરફ ધ્યાન જ ન ગયું. જુમા મસ્જિદ નજીક્ના એક બે માળવાળા મકાન પાસે પહોચ્યા. જુએ છે તો મકાનનું પ્રવેશદ્વાર બંધ. આજુબાજુનાં બધાં મકાનો પણ બંધ. રસ્તા પર અવરજવરનું નામ નથી. ફક્ત સામે ઉઘાડી પડેલી ભોંય ઉપર લજ્જતથી ચૂપચાપ બેઠેલ કાળા કપડાવાળા સોએક માણસનું ટોળું. મેઘાણી બૂમ પાડે છે : ‘કોઈ બોલતું કાં નથી? અરે, બારણું ખોલો.’ કશો જવાબ નહિ. મેઘાણીની નજર ઉપર જાય છે. જોયું કે અગાસીમાં ધોતિયું ને ખમીસ પહેરેલા હિંદુ મહોલ્લાવાસીઓ ચૂપચાપ ઊભાં છે. એમાં પેલાં બહેનના પતિ પણ હતા. એટલે કહ્યું : અરે, ‘ઉઘાડો તો ખરા, બહેનને લાવ્યો છું.’ જવાબ નહિ. થોડી વાર પછી નીચે આવીને એ ભાઈ પોતાની પત્નીને ઉપર લઈ જાય છે. પણ મેઘાણી સાથે એક શબ્દ પણ બોલતા નથી. મેઘાણી ચાલતા ચાલતા મહમદઅલી રોડ પર આવે છે. એ જ ક્ષણે એક ટેક્સી ત્યાંથી પસાર થાય છે. થોડે આગળ જઈને ઊભી રહે છે. ડોકું બહાર કાઢીને ડ્રાઈવર ધીમા અવાજે પૂછે છે : ‘ક્યાં જવું છે?’ ‘ધોબી ગલ્લીમાં.’ ‘બેસી જાવ ગાડીમાં.’ ‘કેમ?’ ‘ખબર નથી? અહીં તો હુલ્લડ ચાલે છે. આ બેઠા છે તેને જોતા નથી? હમણાં તમારું કાસળ કાઢી નાખશે. અને અજાણ્યો ડ્રાઈવર મેઘાણીને ધોબી ગલ્લી લઈ ગયો. ત્યાં પણ વેરાન દશા. દરવાજા બંધ. ઉપર ઊભા હતા મેઘાણીના પિતરાઈ ભાઈ ડો. વ્રજલાલ મેઘાણી અને ચાર ખેતાણી ભાઈઓ. ટેક્સીવાળાને એક રૂપિયો આપતાં મેઘાણી પૂછે છે : ‘કેવા છો?’ ‘મુસલમાન.’ અને હા, એવા કોમી હુલ્લડ વચ્ચે પણ જ્ઞાનપ્રસારક મંડળીએ વ્યાખ્યાન ચાલુ રાખેલું, અને એ સાંભળવા સારી એવી સંખ્યામાં સ્ત્રી-પુરુષો આવેલાં પણ ખરાં! વ્યાખ્યાન પૂરું થયા પછી તરત જ મેઘાણીએ કાઠિયાવાડ મેલ ટ્રેનમાં મુંબઈ છોડ્યું.

મેઘાણીના જીવનના બીજા એક મહત્ત્વના પ્રસંગ સાથે પણ મુંબઈ સંકળાયેલું છે. ૧૯૩૩ના નવેમ્બર-ડિસેમ્બરમાં મેઘાણી મુંબઈમાં હતા. અગાઉ મેઘાણીએ કેટલાંક લોકગીતો કલાકાર અને ગુરુદેવ ટાગોરના નિકટવર્તી નંદલાલ બોઝને સંભળાવેલાં. એમણે ગુરુદેવને આ ગીતો સાંભળવા ખાસ ભલામણ કરેલી. એ અરસામાં ગુરુદેવ મુંબઈ આવ્યા ત્યારે તેમના બે શિષ્યો પિનાકિન ત્રિવેદી અને બચુભાઈ શુક્લ ગુરુદેવને મળવા મેઘાણીને લઈ ગયા. મેઘાણીએ લોક ગીતો સંભળાવવાનું શરૂ કર્યું. ગુરુદેવ તેમાં એવા તો મગ્ન થઈ ગયા કે અગાઉથી ફાળવેલા સમય કરતાં ત્રણ ગણો વધુ સમય તેમણે મેઘાણીને ફાળવ્યો. મેઘાણી લોક ગીતો સંભળાવતા હતા એ દરમ્યાન સરોજિની નાયડુ ગુરુદેવને મળવા આવ્યાં. તેમણે અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધેલી. પણ ત્યાંનો તાલ જોઈને હળવે પગલે ત્યાંથી નીકળી ગયાં. ગુજરાત આવવા મેઘાણીએ આમંત્રણ આપ્યું ત્યારે ગુરુદેવ કહે : ‘ફરી આવવા દિલ બહુ છે, પણ હવે તો કોણ જાને … તું શાંતિનિકેતન આવ. આપણે ગુજરાતી ને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું અને ચૂંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરશું. તું જરૂર આવ.’

યુનિવર્સિટી ઓફ બોમ્બેનો કોનવોકેશન હોલ, જ્યાં મેઘાણીએ પાંચ વ્યાખ્યાન આપેલાં

ગુજરાતી ભાષા-સાહિત્યના ક્ષેત્રે એક જમાનામાં યુનિવર્સિટી ઓફ બોમ્બે આયોજિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનો ઘણો દબદબો હતો. આ વ્યાખ્યાનો આપવાનું આમંત્રણ મળે એ જ મોટું સન્માન ગણાતું. લાગલાગટ પાંચ દિવસ સુધી યુનિવર્સિટીના ભવ્ય, વિશાળ, સુશોભિત કોન્વોકેશન હોલમાં આ વ્યાખ્યાનો થતાં અને સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં તે સાંભળવા આવતા. ૧૯૪૩ના ઓગસ્ટની ૨૪મીથી ૨૮મી સુધી મેઘાણીએ આ વ્યાખ્યાનો આપ્યાં. પહેલે દિવસે એ સાંભળવા એટલી મોટી સંખ્યામાં શ્રોતાઓ આવ્યા કે ધક્કામુક્કીમાં હોલના મજબૂત લાકડાનાં બારણાંને સારું એવું નુકસાન થયું. એટલે બીજા દિવસથી હોલની બહારના વિશાળ બગીચામાં પણ શ્રોતાઓ માટે બેસવા-સાંભળવાની સગવડ કરવી પડેલી. પણ મેઘાણી એવા સજાગ લેખક હતા કે લોકપ્રિયતાનો કેફ તેમને સહેજ પણ ચડતો નહિ. એટલે આ અંગે પછીથી લખે છે : ‘વ્યાખ્યાનોમાં જનતાનો પ્રેમ બેશક છે જ. પણ હું મોહાઇને છેતરાતો નથી. જનતાની ઊર્મિ ભયંકર તત્ત્વ છે. નાના માણસોએ એનાથી ચેતવા જેવું. મારી નાનપ હું જાણું છું એટલે જનતાથી હું જેમ બને તેમ દૂર નાસું છું. ન છૂટકે જ સામો ઊભો રહું છું, પણ અંદરથી ધ્રૂજું છું. મારું ચાલે તો લાંબા લાંબા મૌન પાળું.’

મૌનને દિવસે ગાંધીજીએ કરેલી મેઘાણી સાથેની ‘વાતચીત’

મુંબઈમાં મેઘાણીનો મેળાપ ગુરુદેવ સાથે થયો તેમ ગાંધીજી સાથે પણ થયો. અલબત્ત, અગાઉ ઘણાં વર્ષો પહેલાં મેઘાણી રાણપુરમાં ગાંધીજીને મળેલા. ૧૯૪૪માં મુંબઈમાં મળવા ગયા ત્યારે મેઘાણી નવપરિણીત દીકરા મહેન્દ્રભાઈ અને પુત્રવધૂ નિર્મલાબહેનને પણ સાથે લઈ ગયેલા. એ દિવસ ગાંધીજીનો મૌનનો દિવસ હતો એટલે વાત લખીને જ કરવાની હતી. ગાંધીજીએ ગીતો સાંભળવાની ઈચ્છા જણાવી. એટલે મેઘાણીએ સ્વાભાવિક રીતે જ દેશભક્તિનાં ગીતો સંભળાવ્યાં. પછી પૂછ્યું : બીજું કશું સાંભળવાની ઈચ્છા ખરી? લાગલો જ જવાબ મળ્યો: લગ્નગીતો સંભળાવો.

પ્રખ્યાત ગીત, મેઘાણીના હસ્તાક્ષરમાં

શરૂઆતની એક મુલાકાત વખતે મુંબઈમાં હિંદુ-મુસ્લિમ રમખાણો ચાલતાં હતાં તેમ મેઘાણીની મુંબઈની છેલ્લી મુલાકાત વખતે પણ એ જ સ્થિતિ હતી. કોમી તોફાનો દરમ્યાન મુસ્લિમ લત્તામાં સેવા કરવા જતા મેઘાણીના સાધુચરિત પિતરાઈ ભાઈ ડો. વ્રજલાલ મેઘાણીનું ખૂન થયું. એ અંગે ખરખરો કરવા મેઘાણી મુંબઈ આવ્યા. શોકસભામાં સ્વરચિત કાવ્ય ‘હળવાં હળવાં લોચન ખોલો’ ગાયું ત્યારે હાજર રહેલા સૌની આંખો ભીની થઈ ગઈ. પછી વિમાનની મુસાફરીનો અનુભવ લેવા મુંબઈથી વિમાનમાં દિલ્હી ગયા. ત્યાં ત્રણ દિવસ રહ્યા. બંધારણ સભાની મુલાકાત લીધી. વિમાનમાં અમદાવાદ ગયા. મેઘાણીની મુંબઈની આ છેલ્લી મુલાકાત.

૧૮૯૬ના ઓગસ્ટની ૨૮મીએ જન્મેલા ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૫મી વરસ ગાંઠ. ૧૯૪૭ના માર્ચની નવમી તારીખે તેમનું અવસાન થયું ત્યારે ગાંધીજીએ કહેલું : ‘મારે મન મેઘાણી કૃષ્ણની બંસરી સમાન હતા.’ એ બંસરીના સૂર આજે પણ ગુજરાતીઓના હૃદયમાં ગૂંજી રહ્યા છે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 28 ઑગસ્ટ 2021

Loading

ગાંધીના આશ્રમ અને ઇતિહાસ સાથે ચેડાંની પૂંઠે મંશા શું છે

રાજમોહન ગાંધી|Opinion - Opinion|28 August 2021

અમદાવાદના સાબરમતી આશ્રમને ‘વિશ્વકક્ષાના સ્મારક”(વર્લ્ડ ક્લાસ મેમોરિયલ)માં તબદીલ કરવાની સરકારી પરિયોજનાના રાષ્ટ્રવ્યાપી વિરોધનો આરંભ કરનારા પ્રકાશ ન.શાહ, ગણેશ દેવી અને આનંદ પટવર્ધનના જાહેર નિવેદન પર મેં પણ સહર્ષ હસ્તાક્ષર કર્યા છે. હું ગાંધીનો વંશજ છું કે ગાંધીનું મેં વિશદ અધ્યયન કર્યું છે એટલા માટે મેં તેના પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ સાબરમતીના તટે સહેલાણીઓને આકર્ષવા સતત ઊભાં કરાતાં માળખાં ગાંધીના આશ્રમને ગળી તો નથી જતાં, પણ તેને નગણ્ય બનાવી દે છે તે વિચાર મારા વિરોધપત્ર પર હસ્તાક્ષરનું મુખ્ય કારણ છે.

બીજા લાખો લોકોની જેમ મને પણ આશ્રમની આશ્ચર્યજનક સાદગી ખૂબ ગમે છે. નદી, વૃક્ષો અને એક સદી જૂના નાની કુટિરો જેવા આવાસોની નળિયાંવાળી છતો, જ્યાં ગાંધીજી અને કસ્તૂરબા રહેતાં હતાં તે હૃદયકુંજ – અમદાવાદ આવનારાઓ માટે જોવાલાયક છે. ૧૯૬૦ના દાયકામાં ચાર્લ્સ કોરિયાએ જેની પરિકલ્પના કરી હતી, તે આશ્રમ સાથેની ઇમારતો પણ એટલી જ ગરિમાપૂર્ણ છે, જેમાં મુલાકાતીઓ આશ્રમ અને તેની સાથે જોડાયેલાં આંદોલનોનાં ઇતિહાસના ચિત્રો જોઈ શકે છે.

આ એ જ સાબરમતી આશ્રમ છે જ્યાં નિર્ભીકતા, અસ્પૃશ્યતાનાબૂદી, સર્વધર્મ સદ્‌ભાવ અને શ્રમ કરીને આજીવિકા રળવાની સુંદરતા જેવી નવી મુખ્ય પ્રતિજ્ઞાઓ જોડીને – પ્રાચીન, નૈતિક, આધ્યાત્મિક સંકલ્પોને નવા અર્થ આપવામાં આવ્યા. ફલતઃ આ સીધો-સાદો, સાફ-સ્વચ્છ આશ્રમ સામાજિક ક્રાંતિની ક્યારી બની ગયો. ઇતિહાસને બદલી નાંખનારાં ત્રણ આંદોલનોને જન્મ આપનારા આ જ આશ્રમમાં એક રાજકીય ક્રાંતિ પણ થઈ હતી. આ દરેક આંદોલન આઝાદી માટે મહત્ત્વનાં હતા. ૧૯૧૯માં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર લગામ મૂકનારા રૉલેટ ઍક્ટ વિરુદ્ધનો રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ, એવો વિદ્રોહ હતો જેનો જવાબ બ્રિટિશ રાજે જલિયાંવાલા કાંડ રૂપે આપ્યો. ૧૯૨૦થી ૧૯૨૨ સુધીનું બ્રિટિશ સામ્રાજ્ય સામેનું અસહકાર આંદોલન અને ૧૯૩૦થી ૩૩ની દાંડીયાત્રા અને સવિનય કાનૂનભંગ.

શું આપણે આ પવિત્ર ઇતિહાસ સાથે વગર વિચાર્યે ચેડાં થાય તેમ ઈચ્છીએ છીએ?

મારો સૌથી મોટો વાંધો કે નારાજગી આ જ વાતે છે.

હું એ માની નથી શકતો કે નરેન્દ્ર મોદીની સરકાર ગાંધીના વિચારોને અમલી બનાવવા ઇચ્છે છે. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના સર્વોચ્ચ નેતા શી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ જવા અને તેમની સાથે હૃદયકુંજમાં તસવીરો પડાવવી તે મહાત્માની નહીં, મોદીની વાહવાહી માટેની કવાયત હતી.

ગાંધીનાં કોઈ ધ્યેય છદ્મ કે ગુપ્ત નહોતાંઃ ન તો સાબરમતીમાં, ન તો દાંડીકૂચ દરમિયાન, ન તો અંગ્રેજોએ તેમને કેદ કરીને રાખ્યા હતા એ જેલોમાં, ન તો ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન’ દરમિયાન. ન નોઆખલી અને બિહારમાં. હિંદુ નોઆખલી રહેતા હતા અને મુસલમાન બિહારમાં- સંકટગ્રસ્ત જિંદગીઓને બચાવવા માટે ૧૯૪૬-૪૭ની તેમની તીર્થયાત્રાઓમાં – ન તો એમના જીવનના અંતિમ નિર્ણાયક વર્ષ ૧૯૪૭-૪૮માં, જ્યાં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના સમર્થનથી ગાંધીએ નિશ્ચિત કરી દીધું હતું કે સ્વતંત્ર ભારત બધા ધર્મોનું રાષ્ટ્ર હશે, માત્ર હિંદુ બહુમતીનું નહીં. સમાનતા અને વિવિધતાની આ વચનબદ્ધતા ડૉ. આંબેડકર રચિત બંધારણમાં પ્રતિષ્ઠા પામી છે.

આ વચન (સમાનતા અને વિવિધતા) પ્રત્યેની નરેન્દ્ર મોદી સરકારની નિષ્ઠા પર મને સંદેહ છે. વડા પ્રધાન તરીકેનાં સાત કરતાં વધુ વરસો અને તે પૂર્વેના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના દીર્ઘ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી સમક્ષ અસંખ્ય વાર આ વચન દોહરાવવાનું આવ્યું હતું. ભીડ દ્વારા હુમલા અને હત્યાના અવસરે, પોલીસે ધર્મના કોઈ ભેદ વિના તમામના જીવનની રક્ષા કરવી, તમામ અપરાધીઓ પર પોલીસ અને અદાલતી કાર્યવાહીના હુકમ કરવા, લોકોને ભરોસો અપાવવાની અને અપરાધીઓની નિંદા કરવાની જરૂર હતી ત્યારે મોદીનું વર્તન તેથી વિરુદ્ધનું હતું.

શું આવો કોઈ હુકમ, દિલાસો કે ટીકા (મોદીના મોંએ) એક પણ વાર આપણે સાંભળી છે કદી ?તમે એક બાજુ બહુમતીને પાંખમાં લો અને બીજી બાજુ ગાંધીની પ્રતિમાએ માથું ટેકવો શું એ શક્ય છે ? તમે લોકોને (સી.એ.એ. એન.આર.સી. વિરોધી આંદોલનકારો કોણ છે તે) “તેમના પહેરવેશ પરથી ઓળખો” એમ કહીને ‘ઈશ્વર અલ્લા તેરો નામ’ ગાતા ગાંધીનાં ગુણગાન ગાઈ શકો ખરા ? આ પાખંડ ઘૃણાસ્પદ છે.

ગાંધી માટે વાણીની સ્વતંત્રતા જેટલી જ પાયાની બાબત બધા ભારતીયોની સમાન સુરક્ષા હતી. અસંખ્ય નિઃસ્વાર્થ કાર્યકરોને જેલમાં ગોંધી રખાયા હોય અને હત્યા તથા બળાત્કારના સમાચારો મેળવવા જતા પત્રકારની ધરપકડ થાય. ત્યારે તમે શું ચૂપ રહી શકો ? તો પણ તમે દાવો કરો છો કે તમે ગાંધીને દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છો ? એ ગાંધીને જે જિંદગીનો મોટો ભાગ એક પત્રકાર હતા ?

સાબરમતી આશ્રમને જાહેર સરકારી નાણાંની જરૂર છે અને રહેશે. આશ્રમમાં કોઈ સુધારા કરવાની જરૂર હોય, તો આશ્રમના ટ્રસ્ટીઓ, ગાંધીવિચારકો, તમામ સ્થાપત્યવિદો અને પર્યાવરણવિદોને સાથે લો. કોઈ સરકાર કે કોઈ (રાજકીય) પક્ષ (સાબરમતી) આશ્રમનું ‘નિર્માણ’ (કે કાયાપલટ) કરી શકે નહીં. ગાંધીનાં મૂળ ધ્યેયોના વિરોધીઓ તો તેનું નિર્માણ કે કાયાપલટ ન જ કરે.

અનુવાદ : ચંદુ મહેરિયા

કાર્ટૂન અને લેખ સૌજન્ય : ‘ઇન્ડિયા ટુ ડે' – હિંદી

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 01-02

Loading

ગેલ ઓમવેટ : ભારતીય જાતિવ્યવસ્થાની વાસ્તવિકતા દાખવનારાં મૂળ અમેરિકન!

કિરણ કાપુરે|Opinion - Opinion|28 August 2021

હાલમાં ગેલ ઓમવેટ[Gail Omvedt]નું નિધન થયું. ગુજરાતમાં અજાણ્યું લાગતું આ નામ દેશભરના અભ્યાસી લોકો – સ્કોલર્સ વચ્ચે જાણીતું છે. તેમનાં નિધનની નોંધ રાજ્યસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ડાબેરી નેતા સીતારામ યેચુરી, શરદ પવાર અને મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીધી. રામચંદ્ર ગુહાએ પણ ગેલ ઓમવેટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમના કાર્યને બિરદાવ્યું. ગેલ ઓમવેટ 80 વર્ષના હતાં અને હાલ તેઓ મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલા કાંસેગાવમાં રહેતાં હતાં. મૂળ અમેરિકાનાં ગેલનું યુવાની પછીનું જીવન ભારતમાં જ પસાર થયું. તેમણે પચ્ચીસથી વધુ સંશોધિત પુસ્તક આપ્યાં છે. તેમનાં સંશોધનનો કેન્દ્રિય વિષય દેશની જાતિવ્યવસ્થા, પર્યાવરણ અને મહિલા આંદોલન રહ્યાં છે. આ તો તેમની એકેડેમિક ઓળખ થઈ, પરંતુ આજીવન તેઓ એક્ટિવિસ્ટ તરીકેની ભૂમિકામાં રહ્યાં હતાં. મહિલાઓના અધિકાર, જાતિ-આધારિત અન્યાય અને પર્યાવરણનું નિકંદન નીકળતું હોય ત્યાં તેમણે વિરોધ દર્શાવ્યો.

અમેરિકન હોવું અને ભારતમાં આવીને ગ્રામિણ ક્ષેત્રોમાં વસવું તે પડકારભર્યું છે. મૂળ ભારતીયો અહીંના ગ્રામિણ ક્ષેત્રોમાં વસવાટ અર્થે હજુ હિંમત નથી દાખવી શકતા ત્યાં ગેલ ઓમવેટ 1970માં ભારત આવ્યાં અને ગામડાંઓમાં રહ્યાં. તેઓનાં ઉદ્દેશે તેમને ગ્રામિણ વિસ્તારમાં રહેવાં પ્રેર્યા. જો કે આ પ્રેરણા ઘણી વાર લાંબા સમય સુધી ટકાવી શકતી નથી. ઓમવેટ અહીં રહ્યાં, ઉમદા કાર્ય કર્યું, વિશ્વને ભારતનું વાસ્તવિક ચિત્ર દાખવ્યું, હજારો વિદ્યાર્થીઓને સાચી સમજ આપી અને સ્થાનિક લોકો માટે લડ્યા પણ ખરાં.

1941માં મિનિપોલિસમાં તેમનો જન્મ થયો. 1960માં ઉચ્ચ અભ્યાસ પછી લાંબા રોકાણ માટે ભારત આવ્યાં. પોતાના રોકાણ દરમિયાન તેમણે જોયું કે ભારતમાં જાતિવ્યવસ્થા કેવાં પ્રકારની છે. ઉપરાંત, જાતિવ્યવસ્થાનાં અન્યાયને પણ નિહાળ્યો, વિશેષ કરીને દલિત વર્ગનો. આની અસર તેમનાં પર ઊંડી થઈ. ફરી તેઓ ભારતમાં વધુ અભ્યાસ અર્થે આવ્યાં. જે વિષય પર કાર્ય કર્યું તેનો મુદ્દો હતો : ‘કલ્ચરલ રિવોલ્ટ ઇન અ કોલોનિયલ સોસાયટી : ધ નોન-બ્રાહ્મણ મૂવમેન્ટ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા- 1837-1930’. આ વિષયનો અભ્યાસ કરતાં જાણે તેઓ ભારતને સમજવામાં ઓતપ્રોત થઈ ગયાં. અહીં નિવાસ કરવાનું ઠરાવ્યું. ફુલે-આંબેડકરનાં સાહિત્યના પ્રશંસક થયા અને માર્ક્સસીસ્ટ પૂર્વભૂમિકાથી તેઓનાં વિચારો વધુ ઘડાયાં. આ દરમિયાન તેઓ માર્ક્સીસ્ટ, બુદ્ધિસ્ટ અને ફુલેના ચાહક ભારત પાટણકરને મળ્યાં. તેમની સાથે મિત્રતા કેળવાઈ અને તે પછીથી લગ્નમાં પરિણમી. એક દાયકા પછી તો તેમણે જાતે અમેરિકાનું નાગરિકત્વ પણ છોડી દીધું!

ગેલ ઓલવેટની સફરની શરૂઆત આ રીતે થઈ. સામાન્ય રીતે એકેડેમિક રિસર્ચ વ્યક્તિ જે લોકોનો અભ્યાસ કરે છે તેમનાથી જ અંતર રાખે છે. પણ ગેલ ઓમવેટે લોકોના જ બની રહ્યાં. આ યુતિ એટલી મજબૂત થઈ કે છેલ્લા પાંચ દાયકામાં જાતિવિરોધી કે મજૂરોના આંદોલનમાં તેઓ અગ્રગણ્ય રહ્યાં. તેમણે ભરત પાટણકર સાથે રાજકીય-સામાજિક એક પ્લેટફોર્મ નિર્માણ કર્યું, જેનું નામ ‘શ્રમિક મુક્તિ દલ’ છે. આ દલ ખેડૂતોની એકતા, દુષ્કાળ, બંધ-નિર્માણ વેળાએ થતાં સ્થળાંતર અને જાતિ આધારિત અન્યાય સંબંધિત મહારાષ્ટ્રના દસ જિલ્લામાં કાર્યરત છે. આ દલનું ઓર્ગેનાઇઝેશન અને વિચારસેતુ ફુલે-માર્ક્સ-આંબેડકરના વિચારો પર ઘડાયેલાં છે.

મૂવમેન્ટની સાથે સાથે તેમનું સંશોધનનું કાર્ય પણ અવિરત ચાલતું રહ્યું અને તેના પરિણામે તેમનાં પચ્ચીસ જેટલાં સંશોધિત પુસ્તકો આજે ઉપલબ્ધ છે. તે સંશોધનનાં કેટલાંક અતિ ઉપયોગી પુસ્તકોમાં ‘દલિત વિઝન’, ‘વિ શેલ સ્મેશ ધિસ પ્રિઝન – ઇન્ડિયન વુમન ઇન સ્ટ્રગલ’, ‘લેન્ડ, કાસ્ટ એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયન સ્ટેટ્સ’, ‘રિઇન્વેન્ટિગ રિવોલ્યુશન – ધ સોશિયલ મૂવમેન્ટ એન્ડ ધ સોશિયાલિસ્ટ ટ્રેડિશન ઇન ઇન્ડિયા’, ‘અ દલિત ઓટોબાયોગ્રાફી’ (વસંત મૂન્સ પુસ્તકનો અનુવાદ), ‘બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા – ચેલેન્જિંગ બ્રામ્હણીઝમ એન્ડ કાસ્ટ’, ‘સિકીંગ બેગમપુરા – ધ સોશિયલ વિઝન એન્ટીકાસ્ટ ઇન્ટેલેક્ચુઅલ’ અને ‘દલિત્સ એન્ડ ધ ડેમોક્રેટીક રિવોલ્યૂશન’ છે.

ગેલ ઓમવેટનું નામ લેવાય ત્યારે અમેરિકાથી આવીને જાતિવ્યવસ્થા પર કાર્ય કરનારાં એલિનોર ઝેલિઓટનું નામ પણ લેવું અનિવાર્ય છે. એલિનોર પ્રથમ અમેરિકન મહિલા હતાં, જેમણે ભારતમાં આવીને જાતિવ્યવસ્થા પર ઊંડું સંશોધન કર્યું હતું. તેમનાં પછી ગેલ ઓમવેટ બીજાં એવાં સ્કોલર છે. ઓમવેટનું આ કાર્ય ભારતની અનેક યુનિવર્સિટીઝ ભણાવામાં આવી રહ્યું છે. પુણેની ‘યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી’માં ફુલે-આમ્બેડકર ચેઇરના તેઓ વડાં હતાં. કોપનહેગનમાં એશિયન સ્ટડીઝમાં પણ તેઓ વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવતાં હતાં.

મહિલા આંદોલનનો પણ તેમનો અભ્યાસ જગવિખ્યાત છે. તેઓ આંબેડકરની જાતિવિરોધી ચળવળને સ્વીકારતાં હતાં; અને તેનો હવાલો આપીને મનુસ્મૃતિને પણ નકારતાં. 2008માં કવયિત્રી-લેખિકા મીના કન્ડાસ્વામીએ તેમની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે આપણા ત્યાં જાતિવ્યવસ્થા શા માટે મજબૂતાઈથી ટકી રહી છે તેના આંબેડકરે આપેલા કારણો ટાંકતા કહ્યું હતું : મહિલાઓની સેક્સુઆલિટી કન્ટ્રોલ કરવાથી જ જાતિ ટકી શકે છે. જાતિની ઓળખ ટકાવી રાખવા જાતિમાં જ લગ્ન કરવાની પ્રથા જન્મી. જેને રોટી-બેટી વ્યવહાર કહેવાય છે. આ રીતે બાળકીઓને ‘સુરક્ષિત’ રાખવાનું અને તે યુવાન થાય તે પહેલાં લગ્નની પ્રથા આવી, જેથી જાતિ સામે કોઈ ખતરો ઊભો ન થાય. આ પૂરી વ્યવસ્થામાં એક માન્યતા એવી પણ છે કે પુરુષ કોઈની પણ સાથે સેક્સ સંબંધ બાંધે તો તે અપવિત્ર નથી થતો જ્યારે સ્ત્રી થાય છે. અને એ જ રીતે મનુ પણ કહે છે કે, મહિલા કુમારીકા હોય ત્યાં સુધી તેના પર પિતાનું નિયંત્રણ હોય, યુવાન થાય તો પતિનું નિયંત્રણ હોય, જ્યારે તેની ઉંમર થાય ત્યારે બાળકોનું નિયંત્રણ હોય, આમ સ્ત્રી ક્યારે ય સ્વતંત્ર ન હોઈ શકે. આ રીતે સ્ત્રી પર નિયંત્રણ રાખવાની અને તેના આધારે જાતિવ્યવસ્થા ટકાવવાની જે વાત મનુસ્મૃતિ કરે છે, તેની સામે સુધારાવાદી ચળવળ ચલાવનારા આંબેડકરના વિચાર ગેલ અનેકવાર પોતાના વક્તવ્યમાં કહેતાં રહ્યાં હતાં.

સિત્તેરના દાયકામાં જ્યારે નર્મદા ડેમ વિરોધી આંદોલન આરંભાયું ત્યારે તેના વિરોધમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના સ્થાનિક ગ્રામવાસીઓ જ એકત્રિત થયા હતા. પછીથી તે આંદોલનની ધુરા મેઘા પાટકરે સંભાળી હતી. આંદોલનની આગેવાની જે લોકો લઈ રહ્યા હતા તે અંગે ગેલ ઓમવેટે નારાજગી વ્યક્ત કરતો પત્ર લેખિકા અરૂંધતી રૉયને લખ્યો હતો. અરૂંધતી મેઘા પાટેકરની આગેવાની હેઠળ ચાલી રહેલાં નર્મદા ડેમ વિરોધી આંદોલનનાં સમર્થક હતાં. આ પત્રમાં તેઓ અરૂંધતીને લખે છે : “મને માફ કરશો આ ટીકાત્મક પત્ર બદલ. મને તમારું પુસ્તક ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્ઝ’ ખૂબ પસંદ છે. પરમાણુ સંબંધિત મુદ્દામાં તમારી દખલની હું પ્રશંસક છું. તમારાં પુસ્તક રૉયલ્ટીઝનો થોડોક હિસ્સો તમે દલિત સાહિત્ય અકાદમીને આપવાના છો તેને હું બિરદાવું છું.” આ મુદ્દા પછી તેઓ તરત નર્મદા બાંધની વાત પર આવે છે ને તેમાં મહારાષ્ટ્રના સ્થાનિકો તરફથી થઈ રહેલાં વિરોધ કાર્યક્રમોની વિગત આપે છે. આ પત્ર ખૂબ લાંબો છે, પણ તેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ગેલ અરૂંધતીને લખે છે કે, “તમે સમજી શકશો કે જ્યારે તમને સો ટકા ગ્રામિણ આદિવાસી સાથે કામ કરતાં હોવ ત્યારે તમામ આગેવાન શહેરી ભદ્ર કેવી રીતે હોઈ શકે. અને ગ્રામિણ ગરીબ લોકોને એકજૂથ કરવા માટે તેઓ કંઈ લોકશાહી રીત અપનાવી રહ્યા છે.”

તેમણે પત્રમાં જે રીતે નર્મદા બચાવ આંદોલનના આગેવાનો ‘ટ્રાઇબલ’ શબ્દનો ઉપયોગ કરે છે તેને લઈને સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમના મુજબ ‘ટ્રાઇબલ’ શબ્દ અપમાનજનક છે. અને તેમણે આ શબ્દને સામાજિક-વિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ ગેરલાયક ઠેરવ્યો હતો. આ પત્રમાં અરૂંધતી સામે તેમણે નર્મદા વિરોધી આંદોલનમાં ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’નો ઉકેલ મૂક્યો છે. આ ઉકેલ પર તે વખતે મહારાષ્ટ્રમાં ઘણું કામ થયું હતું. ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’માં ડેમની ઊંચાઇ ઘટાડવી, જેઓની જમીન જઈ રહી છે તેમને પૂરતું વળતર અપાવવું અને સાથે સાથે જ્યાં પાણીની અછત છે ત્યાં બંધનું પાણી પહોંચાડવું. તેમણે એમ પણ લખ્યું છે કે ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’ લડત આપનારાઓએ ક્યારે ય ગંભીરતાથી વિચારણા હેઠળ લીધું નહીં. તેના પરિણામ ગુજરાતમાં નર્મદા બંધ નિર્માણ પ્રત્યે લોકોની લાગણી વધુને વધુ દૃઢ બની. બંધની ઊંચાઈ સાથે પણ સમાધાન ન થઈ શક્યું. દમનકારી રાજ્ય તરફથી આ જ અપેક્ષા હોય, પણ જે વિકલ્પ આપવામાં આવ્યા હતા તે નર્મદા બચાવ આંદોલન દ્વારા ક્યારે વિચારણા હેઠળ લેવામાં આવ્યા નહીં.

ગેલ ઓમવેટનું આ પાસું ગુજરાત સાથે સંબંધિત હોવાથી, તે વિસ્તૃત રીતે રજૂ કર્યું છે. આ સિવાય પણ ગેલ ઓમવેટ દ્વારા થયેલાં સંશોધનનો ભારતનું સાચું ચિત્ર જાણવા માટે અભ્યાસ કરવો જોઈએ. તેઓ અમેરિકન હતાં, પણ તેઓ કર્મે તો તેઓ ભારતીય બન્યાં અને રહ્યાં.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,8101,8111,8121,813...1,8201,8301,840...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved