Opinion Magazine
Number of visits: 9571161
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (58)

સુમન શાહ|Opinion - Opinion|18 July 2021

આ મુશ્કેલ સમયમાં અનેક મિત્રો પોતાનાં સંસ્મરણો લખવા માંડ્યા છે. ઘણા બધા લોકો નવરાશના માર્યા ગપ્પાં તો હાંકે છે પણ વાત વાતમાં પોતાનાં નાનપણની કે જુવાનીની વાતો કરવા લાગી જાય છે.

કોરોનાએ માનવજાતનું ઘણું ઊંધું પાડી દીધું છે. ભવિષ્ય પંગુની જેમ અડવડિયાં ખાય છે. એમ હોય ત્યારે આમ જ બને. ભૂતકાળમાં સંભવેલા કેટલાયે પ્રસંગોની ચિત્તમાં હરફર ચાલ્યા કરે. ઘટનાઓ દેખાયા કરે, કેટલીક તો એવી અવિસ્મરણીય હોય કે ભૂલી ભુલાય નહીં, નજર સામે ભજવાયા કરે – જાણે કશી ફિલમ શરૂ થઈ …

મેં મારા મિત્ર વિપુલ વ્યાસને કહી રાખ્યું છે કે – તું મારી સાથે આપણે ગામ ડભોઈ આવજે. એ પણ ડભોઈનો છે. હું તને ગાયકવાડના સમયની મારી નિશાળ બતાવીશ – જો બચી હશે તો. કાગળકામવાળા નટુ માસ્તર, ડ્રૉઇન્ગટીચર માધુસ્કર ને ગણિત કે અંગ્રેજીના બીજા ટીચરોની વાતો કરીશ. હું ટીચર થયો કેવી રીતે થયો એ કહીશ.

ગલી ગલીમાં, શેરીઓ ને ફળિયાંઓમાં લઈ જઈશ – શેઠફળિયું, ઊંચા ટીમ્બા, પટેલવાગો, તાઈવાગો, મહૂડી ભાગોળ, કડિયાવાડ, આપણી હીરાભાગોળ, ને ક્હૅતો જઈશ – અહીં મને આમ થયેલું, અહીં ઓલાએ આમ કરેલું, તેમ કરેલું. કહેતો જઈશ – એ બધું આ જગ્યાએથી શરૂ થયેલું – અહીં પૂરું થયેલું … યુ પ્લીઝ વિલ વીડિયો મી. તું બધું વીડિઓ કરજે, પછી આપણે બધાં, સાથે બેસીને માણીશું.

વિપુલ કહે, જરૂર જઇશું. પણ આ કોરોનાએ હજી જવા દીધા નથી. ક્યારે તે ય એ જાણે …

બાકી, મને મારા ગામની છીંકણીઓળની છીંકણીની મીઠી પણ તેજ સુગન્ધો યાદ આવે છે, વાર લગાડું તો છીંક પણ આવે. ચૉક્સીઓળનો અમ્બુ સોની કસોટી પથ્થર પર ઘરાકનો દાગીનો પરખતો દેખાય. શંકર ધોબી ઇસ્ત્રી હલાવતો હોય – અંદરના કૉલસા ઠરી તો નથી ગયા ને. ભાડભૂંજાવગામાં ફૂટતી ધાણીની સોડમ યાદ આવે છે. દયારામ સ્કૂલે જતાં એક પેઇન્ટરનું ઘર આવતું’તું. ચીતરેલાં પેઇન્ટિન્ગ્સ ને દુકાનોવાળાનાં સાઇનબૉર્ડ્સ એના ઓરડેથી એણે ઓટલે મૂક્યાં હોય, જોવા ઊભો રહું. નીચે ખૂણામાં પોતાનું નામ અચૂક ચીતરે – પેન્ટર રમણલાલ.

શ્રીમાળીવગામાં થઈને હું નાંદોદી ભાગોળે જતો, ને ત્યાંથી ગામ બ્હારના એક ચૉગાનમાં. ત્યાંથી બા-ના કહેવાથી ઘર માટે માથું ધોવાની કાળી માટી લાવતો. મોટીબાએ શીખવેલું. ને મોટીબાને એની બા-એ. પરમ્પરા તે એનું નામ.

ચૉગાન એવું મોટું કે સૂઇ જવાનું મન થાય, ને ત્યારે આકાશનો ઘુમ્મટ બહુ નીચો લાગે, ઊંઘી પણ જવાય. એ માટીને છાશમાં પલાળીને માથું ચોળવાનું, ધોઈ નાખવાનું ને પછી સરસ ન્હાઈ લેવાનું. ત્યારે, ન્હાવા માટેનો ઉત્તમ સાબુ લાઇફબૉય હતો, સુન્દરી આપણી ઍક્ટ્રેસોનો લક્સ તો પછી આવ્યો. સારામાં સારો ધોવા માટેનો, સનલાઈટ. કાળી માટી પછી આવ્યા અરીઠા, પછી શિકાકાઈ, ને છેલ્લે આવ્યાં શેમ્પૂ. માટીમાં નેચરલ કન્ડિશનર હતું. એથી વાળની સુંવાળપ ચમકતી, હથેળી ફેરવ્યા જ કરો. કૂણા તડકે બેસી સૂકવીએ એટલે એક અકથ્ય પીમળ આવે. ત્યારે હું વાળ લાંબા રાખતો, ઝટકાવીને સામે લાવું, ચ્હૅરો ઢંકાઈ જતો.

ઝારોલાની વાડી, દરજીની વાડી, વાડીઓમાં જમણવાર થતા. બહુ લોક હોય ત્યારે વાડી બ્હાર રસ્તાની બાજુએ પાથરણું પાથરી પંગતમાં બેસવાનું, પતરાળાં-પડિયા ગોઠવી રાહ જોવાની, ક્યારે ગરમ ગરમ દાળ આવશે … અમારી દશાલાડની વાડીમાં નાત આખીને નૉંતરું હોય. બાજુમાં વાવ હતી. સૌ પહેલાં બધી વાનગીઓની થાળી એમાં પધરાવતા, કેમ કે ત્યાંનું કોઈ ભૂત કે કોઈ ડાકણ સઘળી રસોઇને અભડાવે નહીં – બાકી, ઠેર ઠેર કીડીઓ ને ઘિમેલો ઉભરાઈ જતી.

દરજીની વાડીમાં જ્ઞાતિનાં વાર્ષિક સમ્મેલનોની પ્રૅક્ટિસો થતી. હું ત્યારે સારું ગાઈ શકતો'તો, ૧૪-૧૫નો હોઈશ. મારી સાથે કોઇક ગાતું'તું. એકવાર સમ્મેલનવાળાઓએ મને સ્ત્રીનો પાઠ આપેલો. ચોટલો ને સ્ત્રીને હોય એવું બધું બઝાડેલું. જૅન્તી અફીણી મારો 'એ' હતો. વાડી આમ સાંકડી પણ મને ગમતી’તી કેમ કે ઘરની નજીક હતી. દેશી ઘી-ના લાડુ અને લાલ તેલમાં તરતા વાલ ને કમોદના મ્હૅકતા ભાતમાં ભેળવેલી સૂરણવાળી ઊની ઊની દાળના સબડકા હજી ભુલાતા નથી …

સ્મરણોનો પાર નથી. વણજારાની વણજાર સમજો. ઘેટાં ડોકાં ધુણાવતાં એકની પાછળ એક ને જોડે જોડે એવી જ હારોમાં ચાલ્યે જતાં હોય. કોઈ કોઈ સ્મરણો બકરાંની જેમ અકારણ જ બૅંઍંઍં કરી મૂકે … મને સમજાય નહીં કે કેમ … એક ટીચરે મારા કશા જ વાંક વિના મને તમાચો મારેલો. મારી બા ધાઈને નિશાળે પ્હૉંચી ગયેલી – હમજે છે હુ તારા મગજમાં? માસ્તર છે કે રાખ્ખસ? પેલો ક્હૅ, ભૂલ થૈ ગઇ. જવાબમાં બા ગાળ જેવું બબડેલી … મૃત પત્નીના ટાઢાબોળ દેહને બાઝી રહેલા મને મારા ધબકારા આંસુમાં ઠરી ગયેલા અનુભવાતા'તા. કયો અપરાધ પડ્યો? એ શૂળ અહીં તહીં હજી ભૉંકાય છે. સ્મૃતિનાં બકરાં અકારણ જ બૅંઍંઍં નથી કરતાં, વણજારમાંથી બ્હાર નીકળી જાય છે – ઊંચી ડોકે એકલાંઅટૂલાં આકાશે શું યે જુએ છે …

મને થાય, હું આમ યાદોમાં ખૂંપી જઉં છું, કેવો છું …

બોર્હેસ

Picture courtesy : World Literature Today

પણ એવે વખતે મને હોર્હે લૂઇસ બોર્હેસે [Jorge Luis Borhes] લખેલી એક ટૂંકીવાર્તા, Funes the Memorious યાદ આવે છે. એની થોડી વાત કરું : મુખ્ય પાત્રનું નામ છે, ઇરેનેવ ફોનેસ. એ ફોનેસ ‘મેમોરિયસ’ છે. એટલે કે સ્મરણપ્રવણ. સ્મરણશીલ અથવા કહો કે સ્મરણિયો. મારે આ વાર્તાનો અનુવાદ કરવાનો હોય તો શીર્ષક રાખું – સ્મરણિયો ફોનેસ.

ફોનેસ

Picture courtesy : Leer Es Lo Mejor

ફોનેસ ૧૯ વર્ષનો છે. સ્મરણિયો છે એનો અવળો અર્થ એ કે એ કશું જ ભૂલી શકતો નથી. વીતેલાં વરસોમાંથી કોઈ એક દિવસ ખૉળી કાઢે ને એ દિવસને જેવો હતો તેવો કહી બતાવે. એની સ્મૃતિ ખૂલતી જાય, ખૂલતી જાય. મૂળે જે બન્યું હોય, અનુભવાયું હોય, તેની વીગતો બસ ઊકલ્યા જ કરે. એમાં ને એમાં, સ્મરણિયા ફોનેસનો આખો દિવસ ખરચાઈ જાય.

કથક એને ૧૮૮૪માં મળેલો, ઉરુગ્વેના ફ્રે બેન્તોસમાં. એક વાર કથક અને એનો ભત્રીજો બર્નાર્ડો ક્યાંક જતા’તા. એકાએક કશા સધર્ન વિન્ડ શરૂ થયેલા – પ્રચણ્ડ અને ભયાવહ પવનો. વૃક્ષો ગાંડાં થઈ ગયેલાં. કથકને થાય, આ ખુલ્લાંમાં, કડાકાભડાકા સાથે વરસાદ પડશે, તો તો શું યે થશે. કહે છે, અમે તો વંટોળ જોડે યુદ્ધે ચડેલા. ઢાળવાળા સાંકડા રસ્તેથી ઊતરતા’તા, જાણે તૂટેલી કોઈ દીવાલ સૂઈ ગયેલી. ત્યાં એકાએક અંધારું થઈ ગયું. મેં ઉપલાણમાં કોઈનાં ઝડપી ને ભેદી પગલાં સાંભળ્યાં. આંખો માંડીને તાક્યું તો એક છોકરો હતો. સાંકડા રસ્તે થઈને આવતો’તો. કથકને એ પરખાઈ જાય છે. એ એ જ હતો, જેનું કથકે વાર્તાના પ્રારમ્ભે ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કર્યું છે – પ્હૉળા પાયજામાવાળો, કંતાનનાં જૂતાંવાળો, કરડા ચ્હેરાવાળા મૉંમાં જેણે સિગારેટ દબાવી રાખેલી, એ ફોનેસ.

આકાશમાં તો ઝંઝાવાતી વાદળો પર વાદળો તોફાને ચડ્યાં’તાં. ત્યાં એકાએક ભત્રીજાએ ફોનેસને પૂછ્યું : કેટલા વાગ્યા છે, ઇરેનેવ? : ઊંચે આકાશમાં જોયા વગર, જરાપણ અટક્યા વગર, ફોનેસ કહે છે : આઠમાં ચાર મિનિટ બાકી છે, બર્નાર્ડો … ફોનેસે વૉચમાં જોઈને ન્હૉતું કહ્યું, મિનિટ ગણવા ય ન્હૉતો રોકાયો.

એક દિવસ ફોનેસ ઘોડા પરથી પડી જાય છે. એ પછી એ જુએ છે કે પોતાની યાદશક્તિ તીવ્ર થઈ ગઈ છે. કોઇપણ ચીજ એને આખે આખી દેખાવા લાગી, એકોએક વીગતો સાથે. દાખલા તરીકે, ફોનેસ વાદળાંના આકાર કેવા છે, તરત કહી શકતો, ભલે ને બદલાયા કરતાં હોય.

આ કથક તે બોર્હેસ પોતે, એમ મનાય છે. એ માન્યતા સાચી છે, પણ મને નથી ગમતી.

૧૮૮૭માં કથક બુએનો ઍરિસ પાછો ફરે છે, એને લેટિન શીખવી હોય છે. ઘોડા પરથી પડી જવાને કારણે ફોનેસને ઇજા તે અરસામાં જ થયેલી. કથકને ફોનેસની ચિઠ્ઠી મળે છે – એમ કે કોઈક એને કથકનાં લેટિન પુસ્તકો અને ડિક્ષનરી આપી ગયું છે. કથક અસમંજસમાં પડી જાય છે, સામું જણાવે છે કે એ પુસ્તકો કેટલાં તો અઘરાં છે, પૂરાં સમજાયાં જ નથી, પોતાનો ભ્રમ ક્યારનો ભાંગી ગયો છે.

દરમ્યાન, કથકના પિતા માંદા હોવાનો તાર આવે છે. કથક નીકળવાની તૈયારી કરતો હોય છે, એને પુસ્તકો યાદ આવે છે, ફોનેસને ત્યાં પ્હૉંચી જાય છે. ફોનેસની મા ક્હૅ છે – એ બેઠો પેટિયોમાં. અચરજની વાત એ કે ફોનેસ પર્ફૅક્ટ લેટિનમાં કથકનું સ્વાગત કરે છે ! એટલું જ નહીં, ‘હિસ્ટોરિયા નેચરાલિસ’ ગ્રન્થના ૭-મા ભાગના ૨૪-મા પ્રકરણના પહેલા ફકરાનું આબાદ પઠન કરી બતાવે છે ! એટલું જ નહીં, ગ્રન્થમાં પ્રોડિજિયસ મેમરીવાળાઓના, એટલે કે નાની વયથી જ અસાધારણ સ્મૃતિ ધરાવનારાઓના, જેટલા કંઈ કિસ્સા વર્ણવાયેલા, એક પછી એક ગણી બતાવે છે.

સ્મરણિયા ફોનેસની યાદદાસ્ત આમ, જેટલી તીવ્ર હતી એટલી જ અકળ હતી. એ શું પ્લેટોના ‘આઇડીઆ’ને સમજતો’તો? ના. સાધારણીકરણ તે શું, અમૂર્તતા તે શું, એને કશી જ ખબર ન્હૉતી. પછીથી તો, એણે ગણકયન્ત્ર બનાવેલું. પણ દરેક સંખ્યાને પોતાને જે ઠીક લાગે એ નામ આપતો'તો. કથક કહેતો – આમ ન કરાય, સંખ્યાને નામ આપવાં બરાબર નથી, દોષ કહેવાય.

પણ ફોનેસને કશું જ પલ્લે પડતું નહીં. એ તો ગામડા ગામનો ગરીબડો ભોળિયો હતો. કથક સરસ જણાવે છે કે એનામાં ‘કશીક તોતડાતી મહાનતા’ હતી. બિચારાને ઊંઘ આવે નહીં કેમ કે આસપાસનાં મકાનોના આકાર ને એની દીવાલોમાં પડેલી તિરાડો દેખાયા કરે …

કથકને એણે કહેલું કે જે કંઈ માર્વેલસ – અજબગજબ ને ચમત્કારી – કહેવાયું હોય છે, એનાથી ચકિત રહેવાની પોતાને હમેશાં મજા પડે છે.

જોવા જઈએ તો ફોનેસ પોતે પણ એવો જ ચમત્કારી પ્રોડિજી હતો.

જોવા જઈએ તો બોર્હેસની સૃષ્ટિ પણ એટલી જ માર્વેલસ છે. સ્પૅનિશ ભાષા-સાહિત્યમાં તો ખરું જ પણ વિશ્વ-સાહિત્યમાં એમનું અનોખું સ્થાન છે. આમ તો આર્જેન્ટિનાના સાહિત્યકાર ગણાય. ટૂંકીવાર્તાઓ, કાવ્યો, નિબન્ધો, લેખો, લખ્યાં છે, અનુવાદો કર્યા છે. યુનિવર્સિટી ઑફ બુએનો ઍરિસમાં અંગ્રેજી ભાષા-સાહિત્યના પ્રૉફેસર હતા. દુખદ વાત એ કે ૫૫-ની વયે દૃષ્ટિ જતી રહેલી, સાવ અન્ધ થઈ ગયેલા.

આ કોરોના પૅન્ડામિક સંસારમાં સારીનરસી અસંખ્ય સ્મૃતિઓ મૂકી જવાનો છે. માણસને ત્યારે સ્મરણિયા ફોનેસ થવું નહીં ગમે, પણ મને ગમશે. કેમ કે, જેવાં હોય એવાં, પણ સ્મરણો વિનાનો હું મને ખાલી ખોખું લાગું …

= = =

(July 17, 2021:USA)

Loading

– ત્યાં સુધી ગંગા ‘શબવાહિની’ રહેશે

ભાલેન્દુ દેસાઈ|Opinion - Opinion|17 July 2021

૧ જૂન, ૨૦૨૧ અને ૧૬ જૂન બન્ને અંકોમાં ‘શબવાહિની ગંગા’ વિષે લગભગ બધા જ લેખ વાંચ્યા. ૧૬ જૂનના અંક પહેલા જ મારા મિત્ર ડંકેશભાઈ ઓઝાએ કવિતા મને મોકલી આપી હતી. આ વિશે મારે થોડુંક કહેવાનું છે, તે હું જણાવું છું.

ગંગાજી બધા ભારતીય માટે પૂજ્ય છે, અને દેશ માટે ઘણી જ ઉપયોગી છે. દરેક ભારતીયને ગંગાજીનાં દર્શન કરવાની હોંશ હોય છે. મારે સારે નસીબે મને મારી નોકરી દરમિયાન જુદે જુદે ઠેકાણે જવાનું થતું હોવાથી મને ગંગાદર્શનનો લાભ શરૂઆતથી અને સહેલાઈથી મળતો રહેતો.

સન ૧૯૫૭માં જ્યારે મારે તાલીમ અર્થે પંદર દિવસ કોલકાતા જવાનું થયું, ત્યારે પહેલી વખત ગંગાજીનાં દર્શન પામ્યો. તે સમય દરમિયાન લગભગ આઠ વખત ગંગાકિનારે જઈ શક્યો હાવરાબ્રિજથી કાલીઘાટ સુધી કિનારે ફરવાનું પણ બન્યું. એક વખત પ્રિન્સેપઘાટ ઉપર બેઠો હતો, ત્યાં એકાએક એક શબ તરતું, વહી જતું જોયું. મને થયું કે કોઈએ ગંગાજીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હશે.

ત્યાર બાદ, થોડેથોડે સમયે હરદ્વાર, કાનપુર, અલાહાબાદ, બનારસ, પટણા, વગેરે જગ્યાયે પણ ગંગાજીના દર્શનનો લાભ મળ્યો હતો. ૧૯૬૭માં હું કાનપુર ૧૫ દિવસ માટે ગયો હતો. ત્યાંનો એક પ્રસંગ મનમાં ઘર કરી બેઠો છે. કાનપુરમાં હું આર્મી કેન્ટોનમેન્ટના ગેસ્ટહાઉસમાં ઊતરેલો. ગામની લગભગ બહાર ગંગાજીથી માંડ બે ફર્લાંગ દૂર હતું. કિનારે, કાંઠોઘાટ શાંત અને બેઠકોની સગવડવાળો હતો. પહેલી વખતે દર્શન માટે ગયો, ત્યારે ગેસ્ટહાઉસનો મૅનેજર, જે કાનપુરનો જ રહેવાસી હતો, તે ભોમિયા તરીકે મારી સાથે આવ્યો હતો. અમે બન્ને કિનારે વાતો કરતા બેઠા હતા ને દસ મિનિટમાં હું શું જોઉં છું? પહેલા એક શબ નદીમાં વહેતું જતું હતું. ત્યાર બાદ બીજી પાંચ મિનિટમાં એક સાથે બીજાં બે શબ વહી જતાં દેખાયાં. પછી થોડી મિનિટમાં બીજું એક શબ આમ જ વહેતું ચાલ્યું. મને સખત આંચકો લાગ્યો. મારાથી બોલી જવાયું, “યે સબ ક્યા હો રહા હૈ?” મારા સાથીએ મડદા તરફ જોઈને કહ્યું ‘ઇસમેં કૌનસી નઈ બાતી હૈ? યે તો રોજ હોતા રહેતા હૈ”. હું અડધી મિનિટ અચંબામાં એની તરફ જોઈ રહ્યો, ત્યારે એણે કહ્યું, ગંગા-પ્રદેશ ગંગાજીની આજુબાજુ રહેતા ખૂબ ગરીબ લોકોને સ્મશાનના પાંચ-દસ રૂપિયા ખર્ચ પોસાતો નથી ત્યારે એ લોકો શબને ગંગાજીમાં વિસર્જિત કરે છે. ગંગાજીમાં એમને માટે શબ-વિસર્જનનું એક સાધન છે, આશરો છે.” પછીના ચોવીસ કલાક સુધી આની અસર મારા ઉપર રહી. પછી તો બીજી ચાર વખત મેં ગંગાકિનારેથી એક-બે શબ વહી જતાં જોયાં. આવું જ દૃશ્ય મેં અલહાબાદ, બનારસ, પટણા ખાતે પણ જોયું.

ભારતમાં અતિ ગરીબ પ્રજા જે ગંગાજી પાસે રહે છે તેમને માટે ગંગાજી આમ એક સાધન છે, એવો ખ્યાલ આપણને આવતો જ નથી. ભારત જ્યારે આઝાદ થયું, ત્યારે ૩૦ કરોડની વસ્તીમાં લગભગ ૬૫.૧ (ટકા) એટલે કે ૧૯ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા, આ “ગરીબી રેખા” એટલે શું? કૅલેરી-બેલેરીની વાત છોડીને આની સીધીસાદી, બધાને સમજાય એવી વાત કરીએ. વ્યક્તિ, કુટુંબ જ એટલું કમાતું ન હોય કે બે ટંક જમી શકે, એટલે કે કમાણી એટલી જ કે બીજી ટંક જમવાનું પોસાય નહીં, એટલે રોજ સાંજે ખાધાપીધા વગર ભૂખે પેટે જ સૂઈ જવું પડે તે ગરીબી રેખાની નીચે ગણાય.

આઝાદી પછી ૧૯૯૧ સુધીમાં ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ થઈ, પ્રોજેક્ટો અને લોકકલ્યાણની યોજનાઓ અમલી થઈ. ‘ગરીબી હટાવો’ના નારા બધા જ રાજકીય પક્ષોએ અપનાવ્યા અને વચનો આપ્યાં. પરિણામ શું આવ્યું? ૧૯૯૧માં ભારતની વસતી ૧૦૦ (સો) કરોડે પહોંચી, એમાંથી ૨૮% (અઠ્યાવીસ ટકા) લોકો ‘ગરીબી રેખા નીચે’ જીવતા હતા. ૬૫% ટકામાંથી આપણે ૨૮% ટકા લાવી શક્યા એ સિદ્ધિ(?)નાં બણગાં ફૂંકાયાં પ્રગતિ થઈ, પણ ‘ભૂખ્યા સૂતા’ મનુષ્યોની વસ્તી આપણા દેશમાં ૧૯ કરોડથી વધી ૨૮ કરોડ થઈ ગઈ. ટકાવારીમાં પ્રગતિ થઈ, પણ ટકાને ભૂખ્યા સૂવું પડતું નથી ૨૮ કરોડ દારુણ ગરીબીવાળી વસ્તીએ ભૂખેપેટે સૂવું પડે છે. આ કઈ જાતની પ્રગતિ? ત્યારે પછી ૨૦૧૫-૧૬ના અંદાજિત આંકડા મુજબ વસ્તી ૧૨૦ કરોડ પહોંચી અને ગરીબીરેખા નીચે રહેતા લોકોની સંખ્યા ૨૩ ટકા એટલે કે ૨૭ કરોડ રહી. ૨૭ કરોડ લોકો ભૂખે પેટે સૂવા ગયા.

આપણે ત્યાં અત્યંત જમણેથી માંડીને અત્યંત ડાબેરી પક્ષો, પાર્ટીઓ, સંગઠનો આ પ્રશ્ન બાબતમાં બૂમાબૂમ કરે છે, પણ કોઈ ઠોસ કાર્યક્રમ આ પ્રશ્નને ઉકેલવા અમલમાં મૂકતાં નથી. આપણો મધ્યમવર્ગ (અને ઉપલો વર્ગ પણ) કે જે ખાધે-પીધે અને પૈસટકે સુખી છે, તેને આ ભીષણ ગરીબીની વાત કે ચર્ચા પ્રત્યે સખત અણગમો છે. યા તો આની ચર્ચા કરતા જ નથી, ટાળે છે. અથવા તો ચર્ચા થાય તો આડે માર્ગે દોરી જાય છે, બધા જ પક્ષો, પાર્ટીઓ સત્તામાં હોય, ત્યારે ફક્ત પોતાની છબી સારી રહે કે સુધરે એટલું (મને કમને) કરતાં હોય એવો દેખાવ કરે છે. ઉપલા અને મધ્યમવર્ગને તો ભારતની આ ભીષણ ગરીબી પ્રત્યે ‘આંખઆડા કાન’ કરવાનું સદી ગયું છે.

કોરોનાના ભયંકર રોગચાળામાં ખૂબ મોત થયાં. એમાં ખૂબ ગરીબ લોકો કે જે દવાદારૂ હૉસ્પિટલ વગેરેના ખર્ચા વેઠી શકે એવા હતા, તે પ્રમાણમાં વધુ મર્યા. સ્મશાનમાં દેહની અંતિમક્રિયાનો ખર્ચ રૂ. ૨૦૦થી રૂ. ૫૦૦ સુધી પહોંચી ગયો. આટલો મોટો ખર્ચ ગરીબ કુટુંબને ક્યાંથી પરવડે? એટલે એ ગરીબ કુટુંબો માટે (કે જે ગંગા કિનારે તે આસપાસ રહેતા હોય) ગંગાજી જ શબવિસર્જનનું સાધન રહ્યું છે. જેમ મૃત્યુ વધારે તેમ ગંગાજીના વહેતા મૂકેલા શબની સંખ્યા પણ વધારે.

આમ, ગંગાજી ભારત માટે ઘણી બધી રીતે ઉપયોગી અને આશીર્વાદરૂપ છે. પણ જ્યાં સુધી આપણે આ દારુણ, ભીષણ ગરીબી ઓછી નહીં કરીએ (નાબૂદીની તો વાત જ શી કરવી) ત્યાં સુધી ગંગાજી ‘શબવાહિની’ છે અને ‘શબવાહિની’ રહેશે.

ઇ-મેઇલ : mohinidesai1937@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 09

Loading

માનવમન પર કોરોનાનો પ્રભાવ

વાસુદેવ મ. વોરા|Opinion - Opinion|17 July 2021

એ વાત સાચી કે સમય ગતિશીલ છે અને તે સાથે પરિવર્તન તે તેની અસર હોય છે, પરંતુ માનવમન પર કોરોના મહામારીની ઘટનાએ જે અસર કરી છે, તેથી પરિવર્તનની એક વણકલ્પેલી સ્થિતિ સર્જાઈ છે. અસાધારણ એવી સામાજિક હતાશાની ગર્તામાં માનવી ધકેલાઈ ગયો ! માનવસમાજ માટે ભૌતિક વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચીને આ સ્થિતિનો અનુભવ તે પીડાદાયી ઘટના છે.

વૈશ્વિક રીતે માનવસમુદાય માટે આ એક તકલીફરૂપ મનઃ ચૈતસિક પ્રભાવ બની રહ્યો છે. ખુદના અસ્તિત્વ માટે એકાએક ઊભી થયેલી કટોકટીમાં મનુષ્ય ફસાઈ ગયો. અપાર લોકસમૂહો માટે ગંભીર આર્થિક, સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ ખડી થઈ ગઈ. આ મહામારીમાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યાં છે, તેમની વસમી પીડા તો અનુભવે જ સમજાય તેવી દુઃખદ ને કરુણાજનક હોય છે. હૉસ્પિટલમાંથી મૃતદેહ ઘરે પણ ન લાવી શકાય તે સ્વજનની વિદાય હૈયું કેમ કરી સ્વીકારી શકે ? આ ઘા મનનાં પડળોને વટાવી ઊંડો અંતરમાં ધરબાઈ જાય છે! માનસિક સ્તરને વળોટીને ચેતના સુધ્ધાંને સ્પર્શી જતો તે અનુભવ છે. વિકાસ અને અસ્તિત્વ એવી છેડાની બે સ્થિતિ વચ્ચે અટવાઈ ગયા, તેવો અહેસાસ કરાવતી આ વાસ્તવિકતાના મૂળ સ્વરૂપને સ્પષ્ટ રીતે ઓળખવાની આપણે દરકાર કરવી જોઈએ, તે સમજવું જરૂરી છે.

આધુનિક રાજનીતિનો સૌથી ઘૃણાસ્પદ ચહેરો આ મહામારીમાં પ્રદર્શિત થઈ ગયો છે. યુદ્ધવિહીન શાંત સમયમાં બનેલી અને પૂરી દુનિયાને ભરડો લઈ લેતી આ અકલ્પનીય ઘટનાના વાસ્તવિક મૂળ કારણની શોધમાં વિશ્વસનીયતા પેદા કરવામાં આ એકવીસમી સદીનો માનવી નિષ્ફળ પુરવાર થઈ રહ્યો છે ! સામાન્ય રીતે એવું સમજાય છે કે, માનવસ્વભાવની જડ પ્રકૃતિના પ્રબળ પ્રભાવનું વૈશ્વિક પરિણામ તે આ કોરોનાની મહામારીનો અનુભવ છે. લોકોની પ્રાથમિક સાવચેતીમાં જડતા અને ખાનપાનની વૃત્તિ-પ્રવૃત્તિથી લઈને રાજસત્તાઓનાં પ્રમાદ, લોભ, અહંકાર અને વૈમનસ્ય સુધી વ્યાપક રીતે પ્રસરેલી કુંઠિત માનસિકતાનાં આવાં વલણને લીધે સમસ્ત માનવજગત આ મહામારીનો ભોગ બની ગયું છે, તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

મનુષ્યસમાજ આધુનિક બની ગયો છે તથા વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં ચરમસીમાએ પહોંચી ગયો છે, તે તથ્ય તેમ જ તેનાં પ્રભાવનાં પરિબળ સાથે, એક વરવી વાસ્તવિકતા હવે સ્પષ્ટ રીતે નજર સામે આવી ગઈ છે. એક માનવસમૂહ પશુતાના પ્રાથમિક સ્વભાવમાં જ ડૂબેલો રહીને ઝડપથી વિકસતી આ શક્તિશાળી આધુનિક વ્યવસ્થાનો બેફામ લાભ ઉઠાવવા મથી રહ્યો છે. પરિણામે, માનવ ઇતિહાસમાં સૌથી વધુ તીવ્ર ભિન્નતા ધરાવતા એવા બે માનવસમાજ આજે સહઅસ્તિત્વ ધરાવી રહ્યા છે. એક કે જે ચેતનામય બૌદ્ધિક અભિગમથી માનવીય ગુણવિકાસ અને તેને અનુરૂપ વ્યવહારમાં પ્રગતિ માટે મથામણ કરે છે તેવા અને બીજા જે માનવીય ગુણવિકાસના બૌદ્ધિક અભિગમમાં જડ સ્વભાવના સ્તરે છે તેવા. વળી આ બીજા પ્રકારના લોકો મહત્તમ રીતે સત્તાની વિશાળ શક્તિઓ પણ ધરાવતા હોય છે. આ રીતની અસમાનતાની અનિવાર્ય અસરો સૌને ભોગવવી પડે તે સ્વાભાવિક છે. જીવનના દરેક ક્ષેત્રમાં તે અસમાનતાનો પ્રભાવ બન્ને તરફના સમૂહોમાં પડતો હોય છે. તેની અસર સામાજિક વિકાસના દરેક ક્ષેત્રમાં અડચણરૂપ બનતી હોવા છતાં, તે વિશે ચિંતત બનવાની અનિવાર્યતા ક્યારે ય આ શક્તિશાળી સમૂહોને તીવ્રતાથી અનુભવાતી નથી.

આ તથ્ય એ સ્પષ્ટ કરવા માટે પર્યાપ્ત છે કે અશિક્ષિત, વંચિત ને શોષિત બહુજન માનવસમૂહ પ્રત્યે શક્તિશાળી સમાજે, પોતાના સ્વાર્થી હેતુથી ઉપેક્ષા સેવીને તેની હંમેશાં અવગણના કરવાનું પસંદ કરેલું છે. તેટલું જ નહીં, આ શોષક ને શક્તિશાળી સમૂહ તેની તે દશાનો પોતાના લાભમાં ઉપયોગ કરવામાં અચકાયો નથી. વંચિત લોકોની નબળાનો વિકાસના ઓઠાં તળે ગેરઉપયોગ કરીને વાસ્તવમાં સતત તેવા લોકસમૂહની આહુતિ જ અપાતી રહી છે. ભારત જેવા ઘણા ખરા લોકશાહી દેશોની ચૂંટણીની રીતરસમ અને તે રીતે બનતી સરકારોની ચાલચલગત તે આ બાબતનું પ્રબળ ઉદાહરણ છે.

આ ચર્ચા વધુ એક વ્યાપક વિચારધારા સાથે પણ જોડાયેલી સ્પષ્ટ બને છે. ‘હિંદસ્વરાજ’ પુસ્તકમાં મહાત્મા ગાંધી જે મુદ્દો ઉઠાવે છે, તે ખરો વિકાસ એટલે શું તે માટે અગત્યની ચોખવટની હવે જરૂર ઊભી થાય છે. મતલબ કે વિકાસની પ્રક્રિયાની સાચી રીત અને દિશા વિશે વધુ ચોક્કસ અભિગમનો હવે સમય આવી ગયો ગણાય.

આધુનિક સમાજવિકાસની મુખ્ય મુશ્કેલી તેના ભૂલભરેલા બૌદ્ધિક વ્યવહારની સમજણ છે. માહિતીસંચાર વ્યવસ્થાપન – ઇન્ફૉર્મેશન ટેક્‌નોલૉજીની અદ્‌ભુત આધુનિક ઉપલબ્ધતાના સમયમાં પણ આપણે વિકાસની કંગાલિયતનો ભોગ બનવાની વિડંબના અનુભવી રહ્યા છીએ! તેથી તેના મૂળભૂત સ્વરૂપની તપાસ જરૂરી બને છે. આવનારાં ચાર-પાંચ વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજનન્સ થકી સામાજિક-આર્થિક વ્યવસ્થાઓ પર ગંભીર અસરો ઊભી થવાની શક્યતા દર્શાવાય છે. આ માહોલમાં, આ બાબત વિજ્ઞાનના તત્ત્વજ્ઞાન(ફિલોસૉફી ઑફ સાયન્સ)ના ક્ષેત્ર સાથે વધુ ઘનિષ્ઠતાથી સંકળાય છે. માનવ માટે વૈજ્ઞાનિક સંશોધનમાં યોગ્ય-અયોગ્ય શું, કેવું ને કેટલું તે એક સવાલ વાસ્તવમાં આવી વ્યવસ્થાના વિરોધમાં ખડો થતો હોય છે. તેનો ઉકેલ લાવવો તે ન્યાય અને સમાનતા માટે કસોટીરૂપ બને છે. સ્વરાજની વાસ્તવિક અર્થમાં સ્વતંત્રતાની સમજ સ્પષ્ટતા પામે છે. એન્થની પરેલ કહે છે, “ગાંધીજીના મતે, સ્વતંત્રતાનાં અન્ય સર્વ પાસાંની એક જ સાથે શોધ કર્યા વગર એક પાસાની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો એ સ્વતંત્રતાના ખ્યાલને વિકૃત બનાવવા બરાબર છે તથા માનવવિકાસની પ્રક્રિયામાં તે બાધક છે.”

શ્રીમદ્‌ ભગવદગીતા આવી જ માનવીય વિડંબના માટે માર્ગદર્શક બની રહે છે. જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની નિશ્વયાત્મિકાબુદ્ધિ હોતી નથી. પ્રજ્ઞાની સમજ બૌદ્ધ ધર્મમાં સ્પષ્ટતા પામી છે. સાદી સમજણ એ કે માનવીનું મન જ્યારે શાંત, ઇચ્છાઓ અને અપેક્ષાઓથી મુક્ત હોય ત્યારે તેની બુદ્ધિ વધુ સારી રીતે કામ કરે છે.  સ્પષ્ટ અને શાંત મનથી તે સાચી સમજણનો સમતોલ અને શાણપણભર્યો નિર્ણય કરી શકે છે. આવી વ્યક્તિને સંસ્કૃતમાં ધીર કહેવાય છે. તેથી, ખરું શાણપણ તે છે, કે શાંત અને સ્વસ્થ, ધૈર્યશીલ વ્યક્તિ બનવા માટે બુદ્ધિનો ઉપયોગ કરીએ. તે એક શાણો સમાજ બનાવી શકે. આજના વૈશ્વિક સંદર્ભમાં, આ માટે વાસ્તવિક પરિણામની શક્યતા કહો કે જરૂરિયાત કહો તે વાત પણ જાણી લઈએ. “આધુનિક સમયના સવાલોના ઉકેલમાં ભારતીય ચિંતનપ્રણાલી ઉપયોગી પુરવાર થઈ શકે, જો આપણે પોતાને તેનાથી પરિચિત કરી શકીએ.” (પ્રો. ડેનિસ ડાલ્ટન, અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને ગાંધીવિચારના અભ્યાસી.)

મનુષ્યની પોતાના સ્વરૂપના વિકાસની એટલે કે પરિવર્તનની ગુંજાએશ શારીરિક નહીં, પરંતુ મનોગત સ્થિતિએ જ હોય છે. મતલબ કે અંતઃકરણના સ્તરે પરિવર્તન, બદલાવ કે વિકાસ સંભવિત હોય છે. મનુષ્ય પોતે પોતાના માટે કરી શકે તે આ જ છે. પોતાના શારીરિક તંત્રમાં કોઈ બદલાવ તેના હાથની વાત નથી, તે ઘટના માત્ર નૈસર્ગિક રીતે ઉત્ક્રાન્તિના સ્તરે થતી પ્રક્રિયા હોય છે. એટલે મનુષ્યના સ્વપુરુષાર્થની જે સંભાવના છે, તે મનોગત કહેતાં પોતાનાં અંતઃકરણ સાથે સંકળાયેલી બાબત છે.

માંડુક્યોપનિષદ પ્રમાણે, ‘ભોગ(નાં મુખો)ની જે ક્રિયા થાય છે તે ઇચ્છા થવાથી અને ઇચ્છા સંકલ્પથી જન્મે છે. આ સંકલ્પ પાછળ જ્ઞાન પડ્યું છે. અને ઇચ્છા જેનું જ્ઞાન છે, તેની જ થશે. ઇચ્છાનો ધક્કો લાગશે અંતઃકરણને. અંતઃકરણના ચાર વિભાગ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.’

આ દાર્શનિક ચિંતન એ વાત સમજાવે છે કે દરેક પ્રાણી તેમ જ જીવ, માત્ર તેની ઇચ્છા કરે છે કે જેની તેને પોતાને સમજ છે. એ સમજણની મર્યાદા પ્રમાણે જ તેના અંતઃકરણના વિભાગ એટલે મન, બુદ્ધિ ને અહંકાર પોતાની પ્રવૃત્તિ કરશે. આ ઇચ્છા માટેના સંકલ્પનું જ્ઞાન ચિત્તમાં સંગ્રહીત થતું હોય છે. તેથી દરેક જીવ પોતાના સ્વભાવની મર્યાદા પ્રમાણે ઇચ્છાઓ ધરાવતો હોય એ તે મુજબનું જીવન વ્યતીત કરતો હોય છે. આ વિગતથી ખરા વિકાસની પાછળનું પ્રાણવાન પરિબળ હવે સમજમાં આવ્યું હશે. વિકાસની પ્રક્રિયામાં માનવીની ખુદની પ્રગતિ કેન્દ્રસ્થાને રહેતી હોય તો ખરો એટલે સાચો માનવીય વિકાસ સંભવ બની શકે. માનવ જેમાં સંસાધન બનાવાય છે, તેવા વર્તમાન આધુનિક વિકાસમાં તેની તો વાત જ નથી હોતી. એટલા માટે સમગ્રતાની અને સમતાના ભાવની સમજણ કેળવવી આધુનિક જીવનવ્યવસ્થા માટે હવે આવશ્યકતા બની રહે છે.

‘અસંતોષઃ શ્રીયોમૂલ’ એમ કહેવાયું છે. ભોગપ્રધાન આધુનિક વિકાસના વૈયક્તિક લાભ માટેની વૃત્તિનું કારણ ‘અદમ્ય ઇચ્છા’ જેને અંગ્રેજી ભાષામાં ડિઝાયર કહે છે તે છે. વિકાસ કરવો હોય તો તમારે ડિઝાયરની આગને સદા જલતી રાખવી જરૂરી છે, તેમ શીખવવામાં આવે છે. અસંતોષ કદી તૃપ્ત નથી થતો. તેમ જ જે માનવસમાજને ઉચ્ચતર જીવનના વિચારોની સમજણ નથી કે તેવી વૃત્તિ કેળવાઈ નથી, તે માનવસમાજને માટે ભોગમય જીવન જ આદર્શ બની રહે તે સ્વાભાવિક છે. સ્વસ્થ માનવજીવન માટે વિવેકપૂર્ણ રીતે યમ અને નિયમને સમજી તેનો રોજિંદા જીવનમાં વ્યવહાર થવો જોઈએ. હવે એ સમજાયું હશે કે શરીરને સાજુંસારું રાખવું તે ખાસ તો મહામારીના સમયમાં જીવતા રહેવા માટે કેટલું બધું અગત્યનું છે ! વિશ્વના ધનાઢ્યો તો આ ઘટનાથી સમજ્યા કે સંપત્તિથી પણ કંઈક વિશેષ છે, જે પૈસા દેતાં પણ ખરીદી નથી શકાતું!

માનવસમાજ સતતપણે લગભગ દરેક સો-સવાસો વર્ષે કોઈ ને કોઈ મહામારીનો ભોગ બનતો રહે છે. તે માટે પછી તેના ઉપાય તરીકે નવી અસરકારક દવા શોધીને તેના વ્યાપક ઉપચારથી આપણે બચી જવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. આ વખતે પણ કોરોનાની વૅક્સિન વિકસાવીને તેના ઝડપી રસીકરણની પ્રવૃત્તિની દુનિયામાં જાણે કે હોડ મચી છે ! સો વર્ષ, બસો વર્ષ પહેલાં પણ મનુષ્ય જે રીતે ઉપાય શોધતો તે જ રીતે તે આજે પણ પુરાણી રીતનું પુનરાવર્તન માત્ર, એ શું માનવ આધુનિક બન્યો કહી શકાય? મનુષ્ય જો આ મહામારીઓની પરંપરામાંથી કોઈ નવી વૈચારિક પ્રક્રિયા સમસ્યાના મૂલગત સ્વરૂપને સમજવાની શીખ નથી પામતો, તો તે સદી બે સદી જૂના મનુષ્યથી વધુ આધુનિક બન્યો કેમ કહેવાય? તાત્કાલિક તો રસીનો પરંપરાગત રીતે ઉપાય આપણે આ વખતે પણ અજમાવવો જ પડે. સવાલ તે નથી; પરંતુ એ છે કે શું આપણે હવે પોતાની માનવ ઇતિહાસની જીવન જીવવાની ચીલાચાલુ સમજ વિષે તલસ્પર્શી તપાસ કરવાનું જરૂરી નથી સમજી શકતા? અન્યથા પણ, પૃથ્વી પરની જૈવિક સૃષ્ટિ અને વાતાવરણને આધુનિક જીવન પદ્ધતિથી થયેલ પારાવાર નુકસાન – સંહાર અને વિનાશ – વિશે તો વિચારણા કરવા મજબૂર બનવું જ પડ્યું છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે દુનિયાભરમાં લૉકડાઉનનો જે સિલસિલો ચાલ્યો, તેને લીધે, નાશ પામતી પૃથ્વીની જીવસૃષ્ટિમાં આ એક વર્ષના ટૂંકા ગાળામાં જે અપૂર્વ નવચેતન આવ્યું અને હવામાં શુદ્ધિ થઈ તે આપણી આંખ ઉઘાડી. તેવું અદ્‌ભુત છે ! બી.બી.સી. તરફથી હાલમાં જ પ્રસારિત થયેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘એ યર ધેટ ચેઇન્જ્ડ ધી અર્થ’માં રજૂ થયેલી આ વાસ્તવિક વિગતો અત્યંત ધ્યાનાકર્ષક છે. મતલબ આપણી સમક્ષ પ્રકૃતિએ પોતાના દાવો મજબૂત રીતે સ્પષ્ટ કરી દીધો છે.

વિષ્ણુસહસ્રનામ સ્તોત્રમાં એક-છેલ્લે આવતું નામ ‘સર્વપ્રહરણાયુધઃ’ છે. મનુષ્યના અહંકાર અને અજ્ઞાનનો સંહાર કરવા પ્રભુ પાસે સર્વ પ્રકારનાં આયુધો છે. આ કોરોનાની વર્તમાન ઘટનામાં આપણને તેનો પરિચય મળતો હોય તેવું જણાય છે. જો સમજવાની શક્તિ હજી પણ થોડી ધણી બચી રહી હોય તો સાવધાનીની ઘંટી વાગી ચૂકી છે. પરમાત્માનાં આયુધ આપણને ઊર્ધ્વગામી વિકાસ માટે સક્ષમ પણ બનાવી શકે છે. આજે ટેક્‌નોલૉજીના માનવીય સંવેદનાપ્રેરિત ઉપયોગનું વલણ ચિંતનશીલ યુવાનોમાં પ્રસરતું દેખાઈ રહ્યું છે. કોરોનાકાળમાં સોશિયલ મીડિયા મારફત અસરગ્રસ્તોને અદ્‌ભુત કરુણાસભર મદદગારી હોય કે વર્ષ બે હજાર કોરોના કાળમાં સોશિયલ મીડિયા મારફત અસરગ્રસ્તોને અદ્‌ભુત કરુણાસભર મદદગારી હોય કે વર્ષ બે હજાર અઢારમાં થાઇલેન્ડની એક ગુફામાં દિવસો સુધી ફસાઈ ગયેલાં બાળકોની ઘટના હોય, માનવીય સંવેદનાની વ્યાપક બનતી ભાવના એક ઉજ્જવળ દિશાની ગવાહી પૂરે છે. તે વલણને વિકસાવવામાં અડચણરૂપ પરિબળોને આ આયુધ અવશ્ય ખાળી પણ શકે છે. તે માનવીય વિકાસની ખરી સંભાવના બની શકે. આધુનિક ટેક્‌નોલૉજીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આયોજનમાં જો બૌદ્ધ ધર્મની જ્ઞાનપ્રક્રિયાના સમાયોજનનો પ્રભાવ છે, તો માનવીના નેચરલ ઇન્ટેલિજન્સના સાચા શિક્ષણ માટે પણ તે જ્ઞાનપ્રક્રિયા આપણે કેમ ન અપનાવીએ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 10-11

Loading

...102030...1,8101,8111,8121,813...1,8201,8301,840...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved