હું રાકેશ અસ્થાનાને ઓળખું છું. ગુજરાત કૅડરના કાબેલ પોલીસ અફસર છે. અને હું તેમના જેવા AGMUT (Arunachal, Goa, Mizoram and Union Territory) કૅડરના ઘણા અફસરોને પણ ઓળખું છું. અસ્થાનાની દિલ્હીના પોલીસ-કમિશનર તરીકેની નિમણૂકની મને તેમ જ ઘણાને નવાઈ લાગી છે, ખાસ તો ત્યારે, જ્યારે કે તેની નિવૃત્તિને માત્ર એક સપ્તાહ જ બાકી હતું.
ઘણાં રાષ્ટ્ર અને રાજ્યસ્તરની પરિષદોમાં અમે પોલીસ-અફસરોએ સુપ્રીમ કોર્ટના ૨૦૦૬ના પોલીસ-સુધારણા વિષયક અધિકૃત આદેશની ચર્ચા કરી છે. પોલીસ સહિતની જાહેરસેવાઓને રાજકારણીઓએ પોતાના પરિચિતોને ગોઠવી દેવાની વેતરણમાં જે નુકસાન પહોંચાડ્યું છે, તેના વિષે અમે વાતો કરી છે. ‘ઍસ્ટાબ્લિશમેન્ટ બોર્ડ’ રચીને રાજ્યના પોલીસ વડા પસંદ કરતી વખતે તેમાં UPSCને સામેલ કરવાની કોર્ટની માર્ગદર્શિકાને અમે આવકારી છે. તેમની નિયુક્તિની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવાની વાતને પણ અમે આવકારી છે, જેથી સ્થાનિક રાજકારણીઓની મરજી અનુસાર તેમની નિયુક્તિ ચાલુ રહે કે બદલી થઈ જાય તેવું ન થાય, અને આમ છતાં, આજે નિવૃત્ત અને ફરજ પરના પોલીસ-અધિકારીઓ એકદમ ચૂપ છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કે પોલીસને એક સ્વતંત્ર સંસ્થા તરીકે ભાગ્યે જ આદર આપ્યો છે. તેણે એક ઝાટકે, દિલ્હી પોલીસના વડા તરીકેની નિયુક્તિ આપીને બતાવી આપ્યું છે કે તે કેટલી નિષ્ઠુરપણે જાહેરસેવાને નિયંત્રિત કરે છે. તેમનો એ સંદેશ એકદમ સાફ છે કે તે ‘માલિક’ છે.
કોઈ પણ શહેર/રાજ્યનો પોલીસ-કમિશનર તે પોલીસ-ફૉર્સનો વડો છે. અને તે તેના અફસરોથી સારી રીતે પરિચિત હોય છે. એક અફસર, જેણે કોઈ એક કૅડરમાં ૩૫ વર્ષ કામ કર્યું છે, તે કેવી રીતે તેના નિવૃત્તિના છેલ્લા વર્ષમાં અન્ય રાજ્યના પોલીસફૉર્સની પ્રકૃતિ અને સભ્યતાને સમજી શકે? જે અફસરોને અને કૉન્સ્ટેબલોને એ બિલકુલ ઓળખતો નથી, તેની સાથે કામ કેવી રીતે પાર પાડે કે તેમનું શ્રેષ્ઠ બહાર લાવવા પ્રોત્સાહિત કરી શકે? શું એવું નહીં બને કે ઘણા અફસરો તેને ‘બહારનો’ ગણશે? અને એવા ઘણા હશે, જેમણે, જે કમિશનર થવાને યોગ્ય હતા, તેમની સાથે કામ કર્યું હોય, તે આ ‘ઉપરથી ઠોકી બેસાડેલા’ને સહકાર નહીં આપે? રાજકારણીઓને દિલ્હીમાં એવી તો કોઈ આકસ્મિક કટોકટી દેખાઈ નથી, જેને કારણે કોઈ વિશેષ આવડતવાળો નવો કમિશનર લાવવો પડે અને તે કારણે તેને રાતોરાત નિયુક્ત કરી દીધો. અને જો એવું હોય, તો દિલ્હીના અત્યારના અફસરોમાં આવડતની કોઈ કમી તો દેખાતી નથી.
આપણે બધા જાણીએ છીએ કે કોઈ સંસ્થાને ઊભી કરતાં વર્ષો જાય છે, પણ તેને તોડી પાડવા કેટલાક દિવસો પૂરતા છે. રાજકારણીઓની સત્તાની ભૂખે જાહેર સેવાઓને બરબાદ કરી દીધી છે. જ્યારે મેં દિલ્હીના ભૂતપૂર્વ કમિશનર સાથે વાત કરી, તેણે ભારે રોષ સાથે જવાબ આપ્યો કે અગાઉ પાંચ વખત દિલ્હી પોલીસ પર બહારનો અફસર થોપી દેવામાં આવ્યો છે. આ માત્ર હાલની સરકારનું કામ નથી, કૉંગ્રેસની સરકારે પણ એમ જ કર્યું છે, જે આજે તેનો વિરોધ કરી રહી છે, તે પણ એટલી જ જવાબદાર છે.
નોકરીમાં ચાલુ હોઈએ ત્યારે અમારી વરદી અમને સરકાર વિરુદ્ધ બોલવાની છૂટ નથી આપતી. તેવું જ વરદી વગરની જાહેર સેવાઓ માટે પણ છે. બધા આ રીતે નોકરીના નિયમોથી બંધાયેલા છે. આ જવાબદારી કાં તો સામાજિક કર્મશીલોની છે અથવા નિવૃત્ત અધિકારીઓની છે, જે સત્તાના આ બેહૂદા શોષણ સામે અવાજ ઉઠાવે. નિવૃત્તોને હમણાં ધમકી મળી છે, કે તેમનું પેન્શન અટકાવી દેવામાં આવશે અને કર્મશીલોને વિવિધ નિયંત્રણ-એજન્સીઓ દ્વારા દબાવવામાં આવે છે. આજે જે ભારતીય પોલીસ સેવાનું થઈ રહ્યું છે તે કાલે અન્ય સેવાઓનું પણ થવાનું છે. તે ન્યાયતંત્ર અને સશસ્ત્રદળોની વિવિધ પાંખોને પણ થઈ શકે તેમ છે. સત્તા ભૂખ્યા રાજકારણીઓનું વિવિધ જાહેર સેવાઓ પર આ પદ્ધતિસરનું આક્રમણ છે.
તમે માર્ટિન નિમોલરના શબ્દોને ઇતિહાસમાંથી ભૂંસી શકવાના નથીઃ “તેઓ જ્યારે મારી પાસે આવ્યા, તે વખતે મને બચાવવા કોઈ બચ્યું ન હતું, મારી તરફે બોલે એવું કોઈ રહ્યું નહોતું.”
દિલ્હી પોલીસની સંસ્થાને તોડી નાખવા આ ખુલ્લો અને ર્નિલજ્જ પ્રયાસ છે. લોકશાહીમાં દરેક સંસ્થાએ પોતાનો વિશિષ્ટ પાઠ ભજવવાનો હોય છે અને તેનું સંતુલન જાળવવાનું હોય છે. આ બાબતમાં રાજકારણીઓ પોતાની હદ પાર કરી ગયા છે. તેમણે પોલીસના સ્વાતંત્ર્યમાં અને ન્યાયતંત્રની સમજદારીમાં બિનઅધિકૃત પ્રવેશ કર્યો છે. તેમણે હાઈકોર્ટના સ્પષ્ટ દિશાસૂચનનું ઉલ્લંઘન કર્યું છે અને તે નાગરિકોના કલ્યાણ માટે નહીં પણ પોતાની નિષ્ઠુર તાકાતનો પરિચય કરાવવા કર્યું છે. તે માટે મારા મિત્રો, મૌન એ વિકલ્પ નથી.
[અનુવાદ : મુનિ દવે, ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ ૩૧ જુલાઈ, ૨૦૨૧]
(લેખક પુણેના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર છે, બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના ડીજી રહ્યાં છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 13
![]()


સ્વતંત્રતા અને લોકશાહી, આ બંન્નેનો ઇતિહાસ, મૂળિયાં ૨૦૦૦ વર્ષ પહેલાં રોમની સેનેટમાં રોપાયા હતા. ત્યારની સ્વતંત્રતા અને અત્યારની સ્વતંત્રતામાં ઘણો ફેર છે, વળી વિશ્વના વિવિધ રાષ્ટ્રોમાં પણ સ્વતંત્રતાની વ્યાખ્યા બદલાતી રહી છે. પ્રાચીન રોમની વાત કરીએ તો ત્યારે તો લોકશાહી અને સ્વતંત્રતા એટલે કે સામાન્ય નાગરિકનું રાજકીય પ્રક્રિયામાં આગળ પડતું યોગદાન. કોઇ પણ નાગરિક યુદ્ધ અને શાંતિ અંગે પોતાના વિચાર વ્યક્ત કરી શકતો, મહત્ત્વના મુદ્દાઓ પર પોતાનો મત આપી શકતો અને તેને જરૂર લાગે તો જાહેર પ્રવચન પણ આપી શકતો. પરંતુ એક રીતે સ્વતંત્રતા મતાધિકાર સુધી સીમિત હતી કારણ કે અભિવ્યક્તિમાં કશું પણ કઠે તો તેની સામે પગલાં લેવાતા. દાર્શનિક સોક્રેટિસને અદાલતમાં ખડો કરાયો હતો કારણ કે તે એથેન્સની સંસ્કૃતિ તથા શાસકો જે દેવોમાં વિશ્વાસ કરતા તેમની પર સોક્રેટિસને વિશ્વાસ નહોતો. સમયાંતરે અંગત સ્વતંત્રતા અને નાગરિકોએ પસંદ કરેલા લોકો રાજ્યમાં પ્રતિનિધિત્વ કરે તેવી લોકશાહીએ આકાર લીધો. આપણા, એટલે કે નાગરિકોના એવા અધિકારો આવ્યા જેનો ભંગ સરકાર ન કરી શકે – બિનસાંપ્રદાયિકતા તેનું જ એક ઉદાહરણ છે. પરંતુ પછી નાગરિકો ચાહે ત્યારે સંસદ બોલાવી દે એવા પ્રાચીન ખયાલો દૂર થયા.
એ પછી પણ એવું ઓછું જ બન્યું છે જે સ્વાતંત્ર્ય પર્વના આનંદનો ઉછાળ લાવે, પણ અનેક વિટંબણાઓ વચ્ચે આપણે ટકી ગયાં છીએ, એ નાની સૂની વાત નથી. આપણાં પર રાજ કરવાની ઘણા દેશોની મનસા હજી જીવિત છે, છતાં આપણે નક્કર ભૂમિ પર ઊભાં છીએ ને ઊભાં રહી શકીએ એવું થોડું તો થયું જ છે. એ જ કારણ છે કે 1962માં ચીને યુદ્ધ કર્યું ત્યારે કે પાકિસ્તાન સાથે 1971માં બાખડવાનું થયું ત્યારે કે કારગિલ વિજય કે સર્જિકલ સ્ટ્રાઈક કે સરહદી અટકચાળાં છતાં આપણે અનેક પડકારો ઝીલતાં ઊભાં છીએ, એ જ બતાવે છે કે આ વિશ્વ આપણો કાંકરો કાઢી શકે એમ નથી. ચીન એટલું જાણી ચૂક્યું છે કે આ 1962નું ભારત નથી. પાકિસ્તાન પણ જાણે છે કે ભારત સાથે છમકલાં જ થઈ શકે કે આતંકી પ્રવૃત્તિઓ દ્વારા છેડછાડ જ કરી શકાય, બાકી સામી છાતીએ લડવામાં તો 56ની છાતીને ન જ પહોંચાય એ નક્કી છે. બાંગ્લાદેશને પણ એ ભાન છે કે એનો જન્મ જ ભારતની મદદથી થયો છે. એ સામે ચાલીને સાહસ ન કરી શકે. નેપાળ આડું થવા જાય છે, પણ આપોઆપ જ સીધું થઈ જાય છે. ચીન – શ્રીલંકા, નેપાળ કે પાકિસ્તાનને પાંખમાં લેવાનો ખેલ કરે તો છે, પણ ડ્રેગનને બધું હોય તો પણ પાંખો હોતી નથી, એ ચીને તો ઠીક, પાડોશી દેશોએ પણ સમજી જવાની જરૂર છે. આ બધું છતાં ભારત આત્મનિર્ભર થવાની દિશામાં નીકળી ચૂક્યું છે. ભારતે અણુ પરીક્ષણોથી, ઉદારીકરણ, વૈશ્વિકરણથી, આંતરરાષ્ટ્રીય સંબંધોથી વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે. મેક ઇન ઈન્ડિયા અને આંતરરાષ્ટ્રીય રોકાણને નિમંત્રણ વગેરે નીતિઓથી ભારતે એટલું તો પુરવાર કરી દીધું છે કે તે બાવાઓ અને મદારીઓનો દેશ નથી.