Opinion Magazine
Number of visits: 9571331
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અશિષ્ટ સંદેશ

મીરાં ચઢા બોરવાણકર|Opinion - Opinion|16 August 2021

હું રાકેશ અસ્થાનાને ઓળખું છું. ગુજરાત કૅડરના કાબેલ પોલીસ અફસર છે. અને હું તેમના જેવા AGMUT (Arunachal, Goa, Mizoram and Union Territory) કૅડરના ઘણા અફસરોને પણ ઓળખું છું. અસ્થાનાની દિલ્હીના પોલીસ-કમિશનર તરીકેની નિમણૂકની મને તેમ જ ઘણાને નવાઈ લાગી છે, ખાસ તો ત્યારે, જ્યારે કે તેની નિવૃત્તિને માત્ર એક સપ્તાહ જ બાકી હતું.

ઘણાં રાષ્ટ્ર અને રાજ્યસ્તરની પરિષદોમાં અમે પોલીસ-અફસરોએ સુપ્રીમ કોર્ટના ૨૦૦૬ના પોલીસ-સુધારણા વિષયક અધિકૃત આદેશની ચર્ચા કરી છે. પોલીસ સહિતની જાહેરસેવાઓને રાજકારણીઓએ પોતાના પરિચિતોને ગોઠવી દેવાની વેતરણમાં જે નુકસાન પહોંચાડ્યું છે, તેના વિષે અમે વાતો કરી છે. ‘ઍસ્ટાબ્લિશમેન્ટ બોર્ડ’ રચીને રાજ્યના પોલીસ વડા પસંદ કરતી વખતે તેમાં UPSCને સામેલ કરવાની કોર્ટની માર્ગદર્શિકાને અમે આવકારી છે. તેમની નિયુક્તિની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવાની વાતને પણ અમે આવકારી છે, જેથી સ્થાનિક રાજકારણીઓની મરજી અનુસાર તેમની નિયુક્તિ ચાલુ રહે કે બદલી થઈ જાય તેવું ન થાય, અને આમ છતાં, આજે નિવૃત્ત અને ફરજ પરના પોલીસ-અધિકારીઓ એકદમ ચૂપ છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કે પોલીસને એક સ્વતંત્ર સંસ્થા તરીકે ભાગ્યે જ આદર આપ્યો છે. તેણે એક ઝાટકે, દિલ્હી પોલીસના વડા તરીકેની નિયુક્તિ આપીને બતાવી આપ્યું છે કે તે કેટલી નિષ્ઠુરપણે જાહેરસેવાને નિયંત્રિત કરે છે. તેમનો એ સંદેશ એકદમ સાફ છે કે તે ‘માલિક’ છે.

કોઈ પણ શહેર/રાજ્યનો પોલીસ-કમિશનર તે પોલીસ-ફૉર્સનો વડો છે. અને તે તેના અફસરોથી સારી રીતે પરિચિત હોય છે. એક અફસર, જેણે કોઈ એક કૅડરમાં ૩૫ વર્ષ કામ કર્યું છે, તે કેવી રીતે તેના નિવૃત્તિના છેલ્લા વર્ષમાં અન્ય રાજ્યના પોલીસફૉર્સની પ્રકૃતિ અને સભ્યતાને સમજી શકે? જે અફસરોને અને કૉન્સ્ટેબલોને એ બિલકુલ ઓળખતો નથી, તેની સાથે કામ કેવી રીતે પાર પાડે કે તેમનું શ્રેષ્ઠ બહાર લાવવા પ્રોત્સાહિત કરી શકે? શું એવું નહીં બને કે ઘણા અફસરો તેને ‘બહારનો’ ગણશે? અને એવા ઘણા હશે, જેમણે, જે કમિશનર થવાને યોગ્ય હતા, તેમની સાથે કામ કર્યું હોય, તે આ ‘ઉપરથી ઠોકી બેસાડેલા’ને સહકાર નહીં આપે? રાજકારણીઓને દિલ્હીમાં એવી તો કોઈ આકસ્મિક કટોકટી દેખાઈ નથી, જેને કારણે કોઈ વિશેષ આવડતવાળો નવો કમિશનર લાવવો પડે અને તે કારણે તેને રાતોરાત નિયુક્ત કરી દીધો. અને જો એવું હોય, તો દિલ્હીના અત્યારના અફસરોમાં આવડતની કોઈ કમી તો દેખાતી નથી.

આપણે બધા જાણીએ છીએ કે કોઈ સંસ્થાને ઊભી કરતાં વર્ષો જાય છે, પણ તેને તોડી પાડવા કેટલાક દિવસો પૂરતા છે. રાજકારણીઓની સત્તાની ભૂખે જાહેર સેવાઓને બરબાદ કરી દીધી છે. જ્યારે મેં દિલ્હીના ભૂતપૂર્વ કમિશનર સાથે વાત કરી, તેણે ભારે રોષ સાથે જવાબ આપ્યો કે અગાઉ પાંચ વખત દિલ્હી પોલીસ પર બહારનો અફસર થોપી દેવામાં આવ્યો છે. આ માત્ર હાલની સરકારનું કામ નથી, કૉંગ્રેસની સરકારે પણ એમ જ કર્યું છે, જે આજે તેનો વિરોધ કરી રહી છે, તે પણ એટલી જ જવાબદાર છે.

નોકરીમાં ચાલુ હોઈએ ત્યારે અમારી વરદી અમને સરકાર વિરુદ્ધ બોલવાની છૂટ નથી આપતી. તેવું જ વરદી વગરની જાહેર સેવાઓ માટે પણ છે. બધા આ રીતે નોકરીના નિયમોથી બંધાયેલા છે. આ જવાબદારી કાં તો સામાજિક કર્મશીલોની છે અથવા નિવૃત્ત અધિકારીઓની છે, જે સત્તાના આ બેહૂદા શોષણ સામે અવાજ ઉઠાવે. નિવૃત્તોને હમણાં ધમકી મળી છે, કે તેમનું પેન્શન અટકાવી દેવામાં આવશે અને કર્મશીલોને વિવિધ નિયંત્રણ-એજન્સીઓ દ્વારા દબાવવામાં આવે છે. આજે જે ભારતીય પોલીસ સેવાનું થઈ રહ્યું છે તે કાલે અન્ય સેવાઓનું પણ થવાનું છે. તે ન્યાયતંત્ર અને સશસ્ત્રદળોની વિવિધ પાંખોને પણ થઈ શકે તેમ છે. સત્તા ભૂખ્યા રાજકારણીઓનું વિવિધ જાહેર સેવાઓ પર આ પદ્ધતિસરનું આક્રમણ છે.

તમે માર્ટિન નિમોલરના શબ્દોને ઇતિહાસમાંથી ભૂંસી શકવાના નથીઃ “તેઓ જ્યારે મારી પાસે આવ્યા, તે વખતે મને બચાવવા કોઈ બચ્યું ન હતું, મારી તરફે બોલે એવું કોઈ રહ્યું નહોતું.”

દિલ્હી પોલીસની સંસ્થાને તોડી નાખવા આ ખુલ્લો અને ર્નિલજ્જ પ્રયાસ છે. લોકશાહીમાં દરેક સંસ્થાએ પોતાનો વિશિષ્ટ પાઠ ભજવવાનો હોય છે અને તેનું સંતુલન જાળવવાનું હોય છે. આ બાબતમાં રાજકારણીઓ પોતાની હદ પાર કરી ગયા છે. તેમણે પોલીસના સ્વાતંત્ર્યમાં અને ન્યાયતંત્રની સમજદારીમાં બિનઅધિકૃત પ્રવેશ કર્યો છે. તેમણે હાઈકોર્ટના સ્પષ્ટ દિશાસૂચનનું ઉલ્લંઘન કર્યું છે અને તે નાગરિકોના કલ્યાણ માટે નહીં પણ પોતાની નિષ્ઠુર તાકાતનો પરિચય કરાવવા કર્યું છે. તે માટે મારા મિત્રો, મૌન એ વિકલ્પ નથી.

[અનુવાદ : મુનિ દવે, ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ ૩૧ જુલાઈ, ૨૦૨૧]

(લેખક પુણેના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર છે, બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના ડીજી રહ્યાં છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 13

Loading

સ્વતંત્રતા અને લોકશાહીઃ તંત્રમાં તણાવ, લોકશાહીમાં બદલાવ અને ‘સ્વ’ સરકારના હાથમાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 August 2021

અંગ્રેજીમાં એક શબ્દ છે જિંગોઇઝમ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં જેટલો ફેર છે એટલો જ ફેર દેશપ્રેમ અને આંધળી દેશભક્તિ વચ્ચે છે

સ્વતંત્રતા અને લોકશાહી, આ બંન્નેનો ઇતિહાસ, મૂળિયાં ૨૦૦૦ વર્ષ પહેલાં રોમની સેનેટમાં રોપાયા હતા. ત્યારની સ્વતંત્રતા અને અત્યારની સ્વતંત્રતામાં ઘણો ફેર છે, વળી વિશ્વના વિવિધ રાષ્ટ્રોમાં પણ સ્વતંત્રતાની વ્યાખ્યા બદલાતી રહી છે. પ્રાચીન રોમની વાત કરીએ તો ત્યારે તો લોકશાહી અને સ્વતંત્રતા એટલે કે સામાન્ય નાગરિકનું રાજકીય પ્રક્રિયામાં આગળ પડતું યોગદાન. કોઇ પણ નાગરિક યુદ્ધ અને શાંતિ અંગે પોતાના વિચાર વ્યક્ત કરી શકતો, મહત્ત્વના મુદ્દાઓ પર પોતાનો મત આપી શકતો અને તેને જરૂર લાગે તો જાહેર પ્રવચન પણ આપી શકતો. પરંતુ એક રીતે સ્વતંત્રતા મતાધિકાર સુધી સીમિત હતી કારણ કે અભિવ્યક્તિમાં કશું પણ કઠે તો તેની સામે પગલાં લેવાતા. દાર્શનિક સોક્રેટિસને અદાલતમાં ખડો કરાયો હતો કારણ કે તે એથેન્સની સંસ્કૃતિ તથા શાસકો જે દેવોમાં વિશ્વાસ કરતા તેમની પર સોક્રેટિસને વિશ્વાસ નહોતો. સમયાંતરે અંગત સ્વતંત્રતા અને નાગરિકોએ પસંદ કરેલા લોકો રાજ્યમાં પ્રતિનિધિત્વ કરે તેવી લોકશાહીએ આકાર લીધો. આપણા, એટલે કે નાગરિકોના એવા અધિકારો આવ્યા જેનો ભંગ સરકાર ન કરી શકે – બિનસાંપ્રદાયિકતા તેનું જ એક ઉદાહરણ છે. પરંતુ પછી નાગરિકો ચાહે ત્યારે સંસદ બોલાવી દે એવા પ્રાચીન ખયાલો દૂર થયા.

પ્રાચીન એથેન્સમાં જે રીતે કામ થતું તે આધુનિક સમયમાં શક્ય નથી. વસ્તી વધી છે, ગુલામી નાબૂદ થઇ ગઇ છે, પહેલાંની માફક લોકો પાસે ફાજલ સમય નથી, લોકો અંગત અધિકારો પ્રત્યે વધુ સજાગ બન્યા છે. લોકશાહીના અને સ્વતંત્રતાના પ્રાચીન અને આધુનિક સ્વરૂપના ફેરફારને ટૂંકમાં સમજવાનો આપણે પ્રયાસ કર્યો. પરંતુ અંગત સ્વતંત્રતા, રાષ્ટ્રપ્રેમ, લોકશાહી આ બધું જ વિશ્વમાં રાજકીય સત્તાઓના પરિવર્તન સાથે પણ બદલાતું રહ્યું છે. એમાં ય જીવલેણ રોગચાળો, આર્થિક અને શારીરિક અસલામતી અને હિંસક સંઘર્ષોને પગલે લોકશાહીનો બચાવ કરનારાઓને તેમની સરમુખત્યાર શત્રુઓ સામેની લડતમાં ફટકા વેઠવા પડ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોહુકમી બળૂકી બની છે અને સ્વતંત્રતાનું સંતુલન ખોરવાયું છે. ખોટા માર્ગદર્શનને પગલે પેદા થયેલી દેશભક્તિ અને આતંકવાદ વચ્ચેની ભેદરેખા જાણે પાતળી થઇ ગઇ છે.

તમને ગયા વર્ષે અમેરિકન સંસદ પર થયેલો હુમલો યાદ જ હશે! ત્યાં અમેરિકન ધ્વજ લઇને ઊભેલાં ટોળાં હતાં તો ટ્રમ્પના ધ્વજ પણ ત્યાં દેખાઇ રહ્યા હતા. જે રીતે અમેરિકન જમણેરીઓએ ત્યાં પોતાની દેશભક્તિ દર્શાવી હતી તે યોગ્ય છે ખરી? તેઓ જે ખ્રિસ્તી ધર્મ અને સંસ્કૃતિ વગેરેને આગળ ધરતા હોય છે તેના માનને હાનિ ન પહોંચે તે માટે તેમણે શું કર્યું? કાયદો અને વ્યવસ્થા તો એ લોકો જ જાળવી શકે છે એમ કહેનારા આ રાષ્ટ્ર’વાદી’ઓએ માત્ર નુકસાન કર્યું, રમખાણો કર્યાં, અરાજકતા ફેલાવી, હિંસા આચરી. આ કેવી દેશભક્તિ? પાછા ટ્રમ્પે તેમના વખાણ પણ કરેલા. આવું જ કંઇક જો ‘બ્લેક લાઇવઝ મેટર’નો મુદ્દો ઉઠાડનારાએ કર્યું હોત, જે તેમના પોતાના અધિકારો માટે હોત તો તેમને જૂદા જ પ્રકારનો ધિક્કાર મળ્યો હોત.  જો કે જે ટોળાએ દેકારો મચાવ્યો અને નુકસાન કર્યું તે ૮૦-૧૦૦ જણા સિવાયના લોકો પણ હતા જે ટ્રમ્પના ટેકેદાર હોવા છતાં પણ શાંતિથી પોતાના વિચારો વ્યક્ત કરવા ધારતા હતા, તેમને કેપિટલ હિલમાં ઘુસી જઇને તોડફોડ કરવામાં રસ નહોતો. જેમણે તોડફોડ કરી તેઓ પોતાની જાતને દેશભક્ત અને દેશપ્રેમી ગણાવતા હતા પણ શું તેમણે જે કર્યું તેમાં એવું કશું ય દેખાયું? યુ.એસ.એ.માં પણ રેફ્યુજીઝના પ્રશ્નો છે. ભારતની જેમ યુ.એસ.એ. પણ ઉદારવાદી લોકશાહીના મૂળભૂત વિચારોથી બીજા રસ્તે ભટકેલું રાષ્ટ્ર છે.

યુકેમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ ઉપરાંત આયરલેન્ડના કેટલાક હિસ્સાઓનો સમાવેશ થાય છે. અહીં લોકશાહીમાં સ્થિરતા છે. સરકારે રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતા પર ભાર મૂક્યો છે પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારે નાગરિકો પર વધુ નજર રાખવાનું શરૂ કર્યુ છે, અહીં ઇસ્લામોફોબિયા અને એન્ટિ-ઇમિગ્રન્ટ સેન્ટિમેન્ટમાં વધારો જોવા મળ્યો છે. ત્યાં અમૂક હિસ્સોમાં એબોર્શન અને સજાતીય લગ્નો પર પર્તિબંધ રહ્યો છે જે પણ થોડા સમય પહેલા દૂર કરાયો છે.

ચીનના સામ્યવાદમાં સરમુખત્યારશાહીનો જ ચહેરો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સત્તાધીશોનાં દબાણ, મર્યાદાઓ, નિયમો વધતા રહ્યા છે. રાષ્ટ્રની બ્યુરોક્રસી ફરતે સત્તાધીશોનો ગાળિયો વધુ સખત કરાઇ રહ્યો છે. ચાઇનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટીને મીડિયા, ધાર્મિક જૂથ, યુનિવર્સિટીઝ, વ્યવસાયો, સિવીલ સોસાયટી સાથે જોડાયેલા લોકો તમામ પર નિયંત્રણ કરવું છે અને તેઓ તેમ જ કરી રહ્યા છે. ચીનમાં વસનારાઓ માટે સ્વતંત્રતાનો આઇડિયા શું હોઇ શકે? તેમને આ બધાં બંધનોની સામે વિકસિત દેશ હોવાની હોંશ મનમાં રાખી માળખાકીય સવલતોની વાહવાહીમાં જીવવાનું માફક આવતું હશે? ત્યાં રાજકીય સ્પર્ધાની પરવાનગી નથી, કોઇ બીજો પક્ષ મોટો થવા જ નથી દેવાતો. ચીનના રાજકીય તંત્રમાં આઠ નાની બિનસામ્યવાદી પાર્ટીઓને થોડોઘણો ભાગ ભજવવાનો મોકો મળે છે. લોકશાહીની તરફેણ કરનારા નાગરિકોને આકરી સજા ફટકારાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને ચીનમાં કોઇ સ્થાન નથી કારણ કે ત્યાં મીડિયા પર અઢળક મર્યાદાઓ લાદી દેવાયેલી છે. મીડિયા સેન્સરશીપરને પગલે ઘણાં અગ્રણી ન્યૂઝ પોર્ટલ્સ ત્યાં વર્ષોથી બ્લોક છે. આ ચીનની ઝલક છે તો બીજી તરફ રશિયામાં વ્લાદિમીર પુતિનની સરમુખત્યાશાહી ચાલે છે. મોસ્કોના ક્રેમલિનમાંથી ચૂંટણીના પરિણામો મેનેજ થઇ જાય છે. મીડિયા પર નિયંત્રણ છે, સૈન્ય અમુક જ તરફનો ઝૂકાવ ધરાવતું છે, ન્યાયતંત્ર પણ સરકારના તાબામાં જ છે, ત્યાં એલ.જી.બી.ટી.ક્યૂ. કોમ્યુનિટીને ટાર્ગેટ કરાય છે, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકારોને ધમકીઓ મળ્યા કરે છે અને ભ્રષ્ટાચારનો કોઇ પાર નથી.

સ્વતંત્રતા અને લોકશાહીને મામલે આપણે આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક રાષ્ટ્ર તરીકે ક્યાં ખડા છીએ તેનો વિચાર કરવો જરૂરી છે. હિંદુ રાષ્ટ્રવાદને પોષતી સરકારને કારણે વૈશ્વિક સ્તરે સ્વતંત્રતાને મામલે ભારતનું સ્થાન નીચું આવ્યું છે. પત્રકારો પર થતા હુમલા, ધ્રુવીકરણ, ભેદભાવ ભરી નીતિઓ આપણા વર્તમાનની વાસ્તવિકતાઓ છે. આપણે બીજા દેશોની વિગતવાર વાત કરી કારણ કે આપણે વિચારતા થઇએ કે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ. લોકશાહી હોવા છતાં ય એક જ જણના મન પ્રમાણે દેશ ચાલેની સ્થિતિ આપણે જોઇ રહ્યા છીએ. લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે, જેને સમજાય છે તે વેઠે છે, વિચારે છે. જેને નથી કળાતું તેઓ વાહવાહીમાં વ્યસ્ત છે. બીજા રાષ્ટ્રો કરતાં આપણે ત્યાં સંજોગો વિકટ બની શકે છે કારણ કે આપણે વિવિધતામાં એકતા વાળો દેશ છીએ પણ એકતા ઓછી થઇ રહી છે અને નાના મુદ્દે અરાજકતા ફેલાઇ જાય છે. ‘વાદ’ એ પ્રેમથી અલગ લાગણી છે તે આપણે સમજવું રહ્યું. વિશ્વમાં કોઇ પણ રાષ્ટ્રમાં પૉપ્યુલિસ્ટ લીડરશીપથી નાગરિકોને ફાયદો નથી થયો.

બાય ધી વેઃ.

ફ્રિડમ હાઉસ ઓ.આર.જી.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈશ્વિક સ્વતંત્રતાનો પારો નીચે આવ્યો છે. એક સમયે ભારતને મજબૂત લોકશાહી દેશ તરીકે જોતાં યુ.એસ. અને તેના એલાઇઝની દ્રષ્ટિ બદલાઇ છે. નાગરિકોના રજિસ્ટરમાં ન નોંધાયેલા લોકો, કાશ્મીર મુદ્દો,  સિટીઝન શીપ એમેન્ડમેન્ટ લૉ જેવા પ્રશ્નોએ આઝાદ ભારતની આઝાદી પર સવાલ ખડા કર્યા છે અને બિનસાંપ્રદાયિક ઓળખને ઝાંખી કરી છે. અંગ્રેજીમાં એક શબ્દ છે જિંગોઇઝમ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં જેટલો ફેર છે એટલો જ ફેર દેશપ્રેમ અને આંધળી દેશભક્તિ વચ્ચે છે.  વળી આ આંધળી ભક્તિના પરચા લોકશાહી રાષ્ટ્રોમાં જ જોવા મળે છે. વિશ્વની કોઇ પણ લોકશાહી સત્તામાં નૈતિક સડો પેસી જશે તો બધું અંદરથી ખોખલું થઇ જશે.

બીજું બાય ધી વે, સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  15 ઑગસ્ટ 2021

Loading

સ્વતંત્રતા 75માં પ્રવેશી છે ત્યારે હોઠ હસે છે અને આંખ રડે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 August 2021

સ્વતંત્રતાનું અમૃતપર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે હૈયામાં મિશ્ર લાગણીઓ જન્મે છે. હોઠને હસવાનું મન છે, પણ આંસુ નીકળી આવે છે. ભારત 1947ની 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયું ત્યારથી જ ભારતીયોના ઉમંગ અને ઉત્સાહ પર પીડાની પરત જામેલી છે. પાકિસ્તાન અને ભારતની સ્વતંત્રતા હિન્દુ-મુસ્લિમના સંહાર પર પ્રગટી એની કસક આજે પણ ઘણાંને હશે. સ્વતંત્રતા માટે જે મહાત્માએ જીવ રેડ્યો, એનો જીવ લેવાની પેરવી કદાચ ત્યારથી જ શરૂ થઈ ચૂકી હતી. મહાત્મા નહોતો ઇચ્છતો કે ભારત વિભાજનથી જન્મે, પણ એની ઇચ્છાની કોઈને પડી ન હતી. અહિંસાથી પ્રાપ્ત થયેલી સ્વતંત્રતા, પ્રાપ્તિની સાથે જ લોહિયાળ થઈ ઊઠી હતી. આવું હોય ત્યારે આનંદ ઓછો જ હોય તે સમજી શકાય એવું છે.

એ પછી પણ એવું ઓછું જ બન્યું છે જે સ્વાતંત્ર્ય પર્વના આનંદનો ઉછાળ લાવે, પણ અનેક વિટંબણાઓ વચ્ચે આપણે ટકી ગયાં છીએ, એ નાની સૂની વાત નથી. આપણાં પર રાજ કરવાની ઘણા દેશોની મનસા હજી જીવિત છે, છતાં આપણે નક્કર ભૂમિ પર ઊભાં છીએ ને ઊભાં રહી શકીએ એવું થોડું તો થયું જ છે. એ જ કારણ છે કે 1962માં ચીને યુદ્ધ કર્યું ત્યારે કે પાકિસ્તાન સાથે 1971માં બાખડવાનું થયું ત્યારે કે કારગિલ વિજય કે સર્જિકલ સ્ટ્રાઈક કે સરહદી અટકચાળાં છતાં આપણે અનેક પડકારો ઝીલતાં ઊભાં છીએ, એ જ બતાવે છે કે આ વિશ્વ આપણો કાંકરો કાઢી શકે એમ નથી. ચીન એટલું જાણી ચૂક્યું છે કે આ 1962નું ભારત નથી. પાકિસ્તાન પણ જાણે છે કે ભારત સાથે છમકલાં જ થઈ શકે કે આતંકી પ્રવૃત્તિઓ દ્વારા છેડછાડ જ કરી શકાય, બાકી સામી છાતીએ લડવામાં તો 56ની છાતીને ન જ પહોંચાય એ નક્કી છે. બાંગ્લાદેશને પણ એ ભાન છે કે એનો જન્મ જ ભારતની મદદથી થયો છે. એ સામે ચાલીને સાહસ ન કરી શકે. નેપાળ આડું થવા જાય છે, પણ આપોઆપ જ સીધું થઈ જાય છે. ચીન – શ્રીલંકા, નેપાળ કે પાકિસ્તાનને પાંખમાં લેવાનો ખેલ કરે તો છે, પણ ડ્રેગનને બધું હોય તો પણ પાંખો હોતી નથી, એ ચીને તો ઠીક, પાડોશી દેશોએ પણ સમજી જવાની જરૂર છે. આ બધું છતાં ભારત આત્મનિર્ભર થવાની દિશામાં નીકળી ચૂક્યું છે. ભારતે અણુ પરીક્ષણોથી, ઉદારીકરણ, વૈશ્વિકરણથી, આંતરરાષ્ટ્રીય સંબંધોથી વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે. મેક ઇન ઈન્ડિયા અને આંતરરાષ્ટ્રીય રોકાણને નિમંત્રણ વગેરે નીતિઓથી ભારતે એટલું તો પુરવાર કરી દીધું છે કે તે બાવાઓ અને મદારીઓનો દેશ નથી.

એ હકીકત છે કે છેલ્લાં 74 વર્ષમાં 2014 સુધી મોટે ભાગે કૉન્ગ્રેસનું શાસન રહ્યું. એમાં કૈં જ નથી થયું એવું નથી. એ સાચું હોય કે ખોટું, પણ ભા.જ.પ.ની સરકાર કૉન્ગ્રેસ પર જ ઊભી છે. એ પણ સાચું કે લોકતંત્ર વડા પ્રધાન તરીકે સરદારને ઇચ્છતું હતું, છતાં નહેરુ વડા પ્રધાન થયા ને એ પછી આખો નહેરુ વંશ જ માથે પડ્યો. એ નહોતું થવું જોઈતું, પણ થયું ને આજનો કોઈ શાસક તે વખતે એ સ્થિતિમાં ન હતો જે એ ક્રમને રોકી શકે. એને કારણે ઘણું અનિષ્ટ થયું, પણ જેમ આજે મજબૂત વિપક્ષ નથી, એમ જ ત્યારે પણ મજબૂત વિપક્ષ નહોતો જ, એટલે દાયકાઓ સુધી કૉન્ગ્રેસ સત્તા પર રહી. આજના શાસકો ભલે એમ કહે કે કૉન્ગ્રેસના સમયથી બગાડ ચાલ્યો આવે છે, એ સાચું હોય તો પણ, આ જ પ્રજાએ એને સત્તા આપી એ ભૂલવા જેવું નથી. એ પણ ભૂલવા જેવું નથી કે ભા.જ.પ.ને સત્તા આપનારી પણ આ જ પ્રજા છે. કૉન્ગ્રેસથી વાજ આવેલી પ્રજા ભા.જ.પ.ને લાવી શકે તો ભા.જ.પ.ની સત્તા પણ ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી પ્રજા તેને ઇચ્છતી હશે. અનેક ઉતારચડાવ વચ્ચે આપણું લોકતંત્ર મોટી અર્થવ્યવસ્થા બન્યું, એની વિશ્વને નોંધ લેવાની ફરજ પડી એ સાચું, પણ સ્વતંત્ર થવા છતાં સ્વરાજ કહીએ તેનાથી આપણે હજી દૂર જ છીએ અને સુરાજની તો રાહ જોવાની જ રહે છે. સ્વરાજ સંવિધાનની બહાર રહી ગયું હોય એવું લાગે છે, તે એટલે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિના પુરસ્કારની નીતિ રાખી છે. આપણે સૌના સાથ, સૌના વિકાસનું સૂત્ર તો આપ્યું છે ને વિકાસ થયો પણ છે, પણ જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે થોડા લોકોનાં આધુનિકરણ માટે આપણે ઘણાંની બાદબાકી કરી નાખી છે. એટલે વિકાસ ખરો, પણ સૌનો નહીં, તે સમજી લેવાનું રહે.

અન્ય દેશોનું જોઈને આપણે પણ રોબોટ્સથી કામ લેતાં થયાં છીએ. આપણે પણ ઓટોમેશન તરફ વળ્યાં છીએ. એ સારી બાબત છે કે માનવીય દખલ ન હોય તો વધુ ઉત્પાદન થઈ શકે, ઉત્પાદનની જરૂર પણ છે, પણ એ જો માણસ વગર થવાનું હોય તો તે આ દેશ માટે અભિશાપ છે. મશીનોથી કામ લેવાય તો બેકારી વધે. એ ખરું કે મશીનોથી ઉત્પાદન વધે, પણ તેને ખરીદનાર ન હોય તો તે ઉત્પાદનનો શો અર્થ રહે? આવક હશે તો ખરીદી થશે. આવક જ ન હોય, માણસ બેકાર હોય તો, વસ્તુ હોય તો પણ તેનો ઉપાડ ઓછો જ રહેવાનો. આવામાં ઉત્પાદન વધુ હોય તો તેનાથી નિકાસ વધે કદાચ, પણ બેકારીનો પ્રશ્ન હલ ન થાય એમ બને.

એ પણ છે કે સરકાર ભ્રષ્ટાચારી લાગી એટલે આપણે તેને હરાવી ને નવી સરકાર આવી, પણ એમાંથી પણ ભ્રષ્ટાચાર ગયો નહીં, કારણ આપણને સરકાર જુદી જોઈતી હતી, પણ ભ્રષ્ટાચારમુક્ત સરકાર કદાચ જરૂરિયાત જ નહોતી. હાલની સરકારને પણ પ્રજા ભ્રષ્ટાચારમુક્ત હોય તે પરવડે તેમ નથી, કારણ તેને પણ નાણું તો જોઈએ જ છે. એના વડે તો વિપક્ષને ખરીદીને પક્ષને મજબૂત કરી શકાય છે. આ મજબૂતી ભ્રષ્ટાચાર વગર શક્ય નથી. આ નાણાં ઉદ્યોગપતિઓ પૂરા પાડે છે. એ ઉદ્યોગપતિઓ લોકોને લૂંટીને નાણાં ઉપર પહોંચાડે છે.

લોકશાહીનો આદર્શ એ છે કે એમાં સરકારની દખલ ઓછી હોય. મિનિમમ ગવર્નન્સની વાત આપણે કરીએ તો છીએ, પણ વાસ્તવિકતા જુદી છે. સૌથી વધુ દખલ સરકાર કરે છે. ગરીબને અનાજ સો રૂપિયાનું અપાતું હોય ને એ જે થેલીમાં અપાય તે સો રૂપિયાથી મોંઘી હોય, કારણ એના પર સરકારનો ફોટો છે, તો ઘર સુધી અનાજની સાથે જ સરકાર પણ પહોંચે છે. જે પ્રજાને સરકારની આદત પડી જાય તે સરકાર, પ્રજાનો દુરુપયોગ ન કરે તો જ નવાઈ ! જ્યાં સુધી લોકશાહીની આપણને ગરજ હશે, સ્વાતંત્ર્યપર્વ ઉજવાતું રહેશે ને જ્યાં પ્રજાની ઇચ્છાશક્તિ પરવારી જશે, ત્યાં પછી ગુલામીની તો નવાઈ જ ક્યાં છે?

ભા.જ.પ.ની સત્તાને અત્યારે તો પૂરેપૂરી સ્વીકારી છે, પણ પ્રજાને કેટલુંક કઠે પણ છે. એને હવે નહેરુ વંશને વખોડવામાં રસ ઘટતો જાય છે. નહેરુને મોટા કરાયા તે આજે નથી ગમતું, તો સરદારને, ગાંધી કરતાં મોટા કરાયા એ યોગ્ય છે? ને કોઈને પણ નાના કે મોટા કરનારા આપણે કોણ? જે તે વિભૂતિને આપણે મોટી કે નાની કરીએ છીએ એ ભ્રમ છે. વ્યક્તિ એટલી જ રહે છે, જેટલી એ હોય છે. આપણી ભક્તિ કે ટીકા પર એનું કદ નિર્ભર નથી. જે આજે તારણહાર લાગે છે, તે કાલે મારણહાર પણ લાગી શકે છે. આપણો સ્વાર્થ, ખુશામત કે નિંદા કરવા પ્રેરે તે હિસાબે કોઇની મહાનતા નાની કે મોટી ન થાય તે સમજી લેવાનું રહે.

એ સાચું કે 75મું સ્વતંત્રતાને બેઠું એ દરમિયાન ઘણું થયું છે, કૉન્ગ્રેસે ઘણું બગાડયું હોય ને ભા.જ.પે. બધું સુધાર્યું હોય એ સ્વીકારીએ તો પણ, ઘણું નથી થયું ને ઘણું ન થવા જેવું પણ થયું છે. 135 કરોડની વસતિમાંથી ઓલિમ્પિકમાં 10 મેડલ પણ ન આવતા હોય, તો તેનો અફસોસ થાય, પણ વર્ષો પછી 7 સુધી પહોંચ્યા છીએ તેનો ઉત્સવ જરૂર મનાવી શકાય. ભા.જ.પ.ની સરકારને જ એ આભારી છે કે નોટબંધીમાં કાચું કપાયું, પણ સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, રામમંદિરનુ નિર્માણ, ભારે બહુમતિથી ભા.જ.પ.નું સત્તામાં પુનરાગમન જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ભા.જ.પ.ની યશકલગીમાં ઉમેરો કરે જ છે, કોરોના કાળમાં રસીકરણમાં દાખવાયેલી સક્રિયતાની પણ નોંધ લઈ શકાય, પણ ઓક્સિજ્નના અભાવમાં કોઈનું મૃત્યુ થયું નથી, એમ કહેવું પ્રજાને ગળે ઊતર્યું નથી. દૂર ન જઈએ તો આંધ્રની સરકારે એ અંગેની કબૂલાત કરીને કેન્દ્ર સરકારને ખોટી સાબિત કરી દીધી છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આપણો નંબર વિશ્વમાં 180માંથી 140મો છે. સાત લાખ ગામોમાં સ્વાસ્થ્યની પૂરતી સુવિધાઓ નથી. વર્ણ, વર્ગ, જાતિનાં ભેદ વધુ તીવ્ર કરવાની દિશામાં આપણે સક્રિય છીએ. આપણી બધી યોજનાઓ અને સહાય ચૂંટણીલક્ષી જ છે. છેલ્લે છેલ્લે વડા પ્રધાન ઓ.બી.સી.નું પત્તું રમ્યા છે. 27 ટકા અનામતમાં કઈ જ્ઞાતિનો સમાવેશ કરવો એની સત્તા રાજ્યોને સોંપવામાં આવી છે, જે આ અગાઉ કેન્દ્ર પાસે હતી. હવે રાજ્યો બધી જ્ઞાતિને તો સમાવી શકવાનું નથી. જે નહીં સમાવાય તે જ્ઞાતિઓ સંઘર્ષની દિશા પકડશે. પોતાની જ્ઞાતિના સમાવેશને મુદ્દે જ્ઞાતિઓ એકબીજા જોડે ટકરાય તેવા પૂરતા સંજોગો છે. જેમ જેમ જ્ઞાતિઓ ઉમેરાશે, ટકાવારી ઘટતી જશે ને એ પણ અસંતોષનું કારણ જ પૂરું પાડશે.

સાચું તો એ છે કે મધ્યમવર્ગ હવે નિમ્ન મધ્યમવર્ગ બનવા માંગે છે. એ જ રીતે નિમ્ન મધ્યમવર્ગ ગરીબ અને ગરીબ, વધુ ગરીબ બનવા માંગે છે, તે એટલે કે સરકારી લાભો ગરીબોને મળે છે. મહેનત કરીને વિકાસ કરવો એના કરતાં વગર મહેનતે સરકાર મદદ કરતી હોય તો ઘણાં મહેનત કરવા રાજી નથી. અનામતની લહાણી કરીને આપણે પ્રજાને માંગણની દશામાં મૂકી છે. માંગવું એ હક નથી. સ્વતંત્રતાનો સીમિત અર્થ સ્વીકાર્યો છે આપણે. અધિકારની છે એટલી ચિંતા આપણને ફરજની નથી. જરૂર પડે તો અધિકાર છોડાય, ફરજ નહીં, પણ આપણે ફરજ છોડીને અધિકાર માટે ઝઝૂમીએ છીએ ને દેશના ચરિત્રમાં એ ખૂટતી કડી છે. ઉદાહરણ તરીકે શિક્ષક પગારનો અધિકાર છોડી શકે, પણ શિક્ષણ આપવાની ફરજ ચૂકી ન શકે, પણ જે જોવા મળે છે તે ઊલટું છે.

પણ જેવું છે તેવું, આપણું સ્વાતંત્ર્ય પર્વ છે ને તે પણ 75મું. એનો હરખ સ્વાભાવિક જ હોય. એટલે પણ હોય કે આપણે એના સાક્ષી બનવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા. સૌને સ્વતંત્રતાનું અમૃતપર્વ શુભ અને ફળદાયી નીવડો એવી હૃદયપૂર્વક પ્રાર્થના …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑગસ્ટ 2021

Loading

...102030...1,7841,7851,7861,787...1,7901,8001,810...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved