Opinion Magazine
Number of visits: 9571016
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજા સુપ્પડકન્નો

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|31 August 2021

ચૂપચાપ રહેવાનું, કોઈને કહેવાનું નહીં
કે રાજા  સુપ્પડકન્નો
વાતોએ હવામાં આમ વહેવાનું નહીં
કે રાજા  સુપ્પડકન્નો
કાલે તો જોઈ'તી આજ ચકલીઓ ગઈ કંઈ? 
એમ ઊંચા અવાજે કોઈને પૂછવાનું નહીં
કોને નાખી'તી અહીં અદ્રશ્ય કોઈ જાળ?
કોને ફસાવવા કોણે વેરી'તી જાર?
જ્યાં ત્યાં આમ કાવતરું ભાળવાનું નહીં
કે રાજા  સુપ્પડકન્નો
ચકલીઓને જો તમે કરો દેશ પાર
માળા ને ઝાડ ને જંગલ ને ખેતોની પાર 
તો જીવન પર, ગીતો પર, ગાવા પર,
પાંખના ફફડાવા પર હક એનો રહેવાનો કે નહીં?
એમ પૂછી પૂછી હલ્લો બોલાવવાનો નહીં
રાજની સામે ચકલીઓ શું ચીજ છે 
ચકલીઓ બચાવો, રાજા હટાવો 
એવા ખોટો ખોટો નારો લગાવવાનો નહીં
કે રાજા સુપ્પડકન્નો
સાક્ષી છું હું કહે છે ઝાડનું એ પાન
મારું ના માને તો આ આભનું તો માન
રાજા એ લીધા છે ચકલીના પ્રાણ
સાંભળ્યાં છે મેં એના પેટમાં કંઈ ગાન
કહે હવા હવે તો મારું માન, મારું માન
લોકોનું કહ્યું બધું કંઈ સાંભળવાનું નહીં
આંખોથી જોઇએ છો, માનવાનું નહીં
ને માનો તો માનો પણ વિચારવાનું નહીં
કે રાજા  સુપ્પડકન્નો
આ તે કેવો રાજા, ને  કેવો આ દેશ
ભૂખ્યાંનો બેલી ધરે ભક્ષકનો વેશ
એવી નક્કામી પંચાતમાં પડવાનું જ નહીં
જાત સાથે રોજ રોજ ઝગડવાનું નહીં
અલા, દીવાલો હોય તો હોય બધે ફાટ
એ ફાટ દેખી કે ઊંડા ઊતરવાનું નહીં
સતનાં તો હોય ગામ ગામ ડેરા સાત
એના પગલાંની હોય રોજ બદલાતી ભાત
એની પાછળ આમ આપણે ભટકવાનું નહીં
મૂંગા ઝાડવાની આગળ પણ બોલવાનું નહીં
ગીત એનું નગારે  ગજવવાનું નહીં
કે રાજા સુપડકન્નો
અરે, હું તો કહું છું ચકલી ને ઝાડની વાત બધી છોડો
આખા જંગલ સામે જ તમારે જોવાનું નહીં
અને જોયું તો જોયું, સમજો
પણ કવિતામાં તો ખમૈયા કરો મારા બાપ,
ભૂલથી ય કોઈ દિવસ લખવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
કે રાજા સુપ્પડકન્નો

  https://ruralindiaonline.org/en/articles/the-king-and-his-very-secret-elephantine-ears/   

Loading

અશ્વયુગના આરંભેઃ પેગસસ, હૉર્સટ્રેડિંગ અને ઈક્વસનો કાલ્પનિક ઇતિહાસ

ગણેશ દેવી|Opinion - Opinion|31 August 2021

ધ ઇકોનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઇ.આઇ.યુ.) દર વર્ષે વિવિધ દેશોમાં લોકશાહીની સ્થિતિ વિષે એક અહેવાલ તૈયાર કરે છે. વર્ષ ૨૦૨૦ માટેનો અહેવાલ ચાલુ વર્ષની શરૂઆતમાં પ્રકાશિત થયો, તેમાં ભારતનો ક્રમ બે પગલાં પાછળ ગયો છે. વિશ્વમાં ભારતની લોકશાહી ૫૧મા ક્રમે હતી, તે હવે ૫૩મા સ્થાને છે. આમ તો, ભારતમાં લોકશાહીની હાલત નાજુક છે, એ સમજવા માટે ભારે બુદ્ધિ લગાડવાની જરૂર નથી. રોજ બ રોજની ઘટમાળમાં માંડ ટકી રહેવાનો પ્રયત્ન કરી રહેલા નાગરિકો માટે આમાં કોઈ નવા સમાચાર નથી. અહીં પરિસ્થિતિ કેવી કપરી છે, તેનો અંદાજ માંડવા માટે આપણને ઈ.આઈ.યુ.ની જરૂર નથી, એમાં ગ્રીક કે લૅટિન જાણવું પડે એવું કાંઈ નથી. છતાં ગ્રીક-લૅટિનનાં નવાં જોડાણો બહાર આવે છે, જેનાથી આપણી દૈનિક વાસ્તવિકતામાંથી નવા સમાચાર પણ સર્જાય છે. અહીં વાત સંસદમાં જોવા મળતા હૉર્સપ્લે (શું કહીશું, ‘અશ્વક્રીડાઓ’) કે વિધાનસભાઓમાં થતા હૉર્સટ્રેડિંગ (‘અશ્વવ્યાપાર’) વિશે નથી, પણ અશ્વની જ વાત છે, મિથિક અને ઐતિહાસિક બંને પ્રકારના.

ગ્રીક મિથકમાં દરિયાનો દેવ મનાય છે તે પસાઇડોનની સંતતિમાં બે અશ્વ પણ હતા. દેવી ડિમિટરની કૂખેથી અતિ વેગવાન અશ્વ આરાઇનનો જન્મ થયો, અને ગોર્ગોન મેડુસાએ પાંખોવાળી ઘોડીને જન્મ આપ્યો, જેને વાળના સ્થાને જીવંત, ઝેરી સાપો હતા. એના પિતાની દાઢી જેવી શ્વેત કેશવાળી અને એની માતા જેવી પાંખો ધરાવતી આ ઘોડીનું નામ હતું પેગસસ. સદીઓથી ભુલાઈ ગયેલું આ નામ હવે સમાચારોમાં ચમકે છે, એ પણ ગ્રીસથી હજારો માઈલ દૂર, ભારતમાં.

ઘોડા માટેનો લૅટિન શબ્દ છે ‘ઇક્વસ’. આમ તો તે ગધેડાથી લઈને ઝિબ્રા સુધીની ઘોડા જેવી બધી જાતિઓ માટે વપરાતો. ગ્રીક મિથકના ઘોડા પ્રાણઘાતક હતા, પણ લૅટિન ઇક્વસ સંપૂર્ણ શાકાહારી હતો. ઘણી ઘોડીઓ સાથે મળીને એક ઘોડાને પોતાનો સર્વોપરી માનતી, અને નિશ્ચિત વિસ્તારમાં તેમનું ટોળું સાથે રહેતું. ઇક્વસની કમ-સે-કમ થોડી જાતિઓને માનવજાતે આજના યુક્રેન અને કઝાખસ્તાનના વિસ્તારમાં ઈ.સ. પૂર્વે ૪૦૦૦માં પાલતું બનાવી હતી. એ પછીનાં ૨,૦૦૦ વર્ષોમાં પાલતુ ઘોડા માનવજીવનનો ભાગ બની ગયા. સિન્તાશ્તા અને પેત્રોવ્કામાંથી પ્રાગૈતિહાસિક શોધખોળમાં કબરમાં દફનાવાયેલા ઘોડા પણ મળી આવ્યા છે. જનીનવિજ્ઞાની સંશોધન એવી શક્યતા બતાવે છે કે બધા ઘોડા એક જ પેટાજૂથ – ‘હેપ્લોટાઇપ’ –માંથી આવ્યા છે.

અલબત્ત, કોવિડ, બેરોજગારી, ભાવવધારો, લોકતાંત્રિક સંસ્થાઓના પતન અને ચારેકોરથી ભયના વાતાવરણ વચ્ચે આવી પ્રાગૈતિહાસિક વાતો આપણને પ્રસ્તુત ના લાગે. પણ ઇઝરાયલની એન.એસ.ઓ. ગ્રૂપ નામની કંપનીનું એક જાસૂસી સૉફ્‌ટવેર છે, જે માત્ર સરકારને જ વેચવામાં આવે છે, તેના લીધે પેગસસ સમાચારોમાં છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ‘પાશ્ચાત્ય’,‘માક્‌ર્સવાદી’ અને ‘રાષ્ટ્રવિરોધી’ ઇતિહાસવિદો પર જે ઝનૂનથી હુમલો કર્યો છે, તેના કારણે ઇક્વસ પણ વેબિનાર અને વૉટ્‌સએપના અપપ્રચારમાં ઝળક્યો છે.

એવા અહેવાલ છે કે જ્યારે ‘ઑપરેશન લોટસ’ હેઠળ કર્ણાટકમાં લોકશાહી ઢબે રચાયેલી સરકારને તોડવા હૉર્સટ્રેડિંગ થયું, ત્યારે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્વર, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્દરામૈયાના અંગત સચિવો અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીના ફોનનંબર પેગસસના આધારે ટેપ કરવામાં આવ્યા હતા. પાંખોવાળી દરિયાઈ ઘોડીનો આધુનિક અવતાર ઘણા નામધારી ઉપરાંત અમુક કામધારી પર પણ છૂટો મૂકવામાં આવ્યો હતો. ભારતના બંધારણે આપણને રાજ્યસત્તાની ત્રણ પાંખો આપી છે, તો બે પાંખોવાળી ઘોડી ઍક્ઝિક્યુટિવ, લૅજિસ્લેટિવ અને જ્યુડિશિયરી, તે ત્રણેયની મહત્ત્વની વ્યક્તિઓ પર ચાંપ રાખવા મોકલવામાં આવી હતી.

હવે ગ્રીક ઘોડા પરથી લૅટિન ઘોડા તરફ વળીએ. ઘોડા ભારતમાં બહારથી આવ્યા અને સાથે નવી ભાષા, મૌખિક કવિતા અને સંસ્કૃતિ લાવ્યા કે પછી ઘોડા ભારતમાંથી હણહણતા નીકળ્યા અને જેને ‘ઓલ્ડ વર્લ્ડ’ (પુરાતનવિશ્વ) કહે છે, તેના પર આધિપત્ય જમાવ્યું અને આર્ય પ્રજાની ભાષા ત્યાં ફેલાવી – આ બેમાંથી કયો વિકલ્પ સાચો છે, તે પ્રશ્ન ભારતીય ઇતિહાસમાં કદી એટલો મહત્ત્વનો નહોતો, જેટલો આજે છે. ઇક્વસ જાતિની ઉત્ક્રાન્તિ અંગે અત્યાર સુધીમાં થયેલું તમામ સંશોધન આર્યન પ્રજા ભારતની મૂળ રહેવાસી હોવાની ધારણાને ખોટી ઠેરવે છે. પરંતુ, હરપ્પાકાળના અંતિમ તબક્કા વખતનો એક ઘોડાનો દાંત મળી આવ્યો છે, માત્ર તેના આધારે સંશોધકો, ભાષાશાસ્ત્રીઓ, આર્કિયોલૉજિસ્ટ્‌સ અને ઇતિહાસવિદોએ અત્યાર સુધી સંસ્કૃતની ઉત્પત્તિને જે સમયગાળામાં ઠેરવી છે, તેના કરતાં ઘણી વધારે જૂની હોવાનું માનનારાઓને અચાનક આશા બંધાઈ છે. આ જમણેરીઓની ઇતિહાસસમજ એવી છે કે સરસ્વતી-સિંધુ નદીની સંસ્કૃતિમાં વૈદિક જ્ઞાન પ્રગટ્યું હતું. જો એમ સ્થાપિત કરી શકાય, તો પછી હિન્દુરાષ્ટ્રમાં કોણ મૂળે અંદરના છે અને કોણ બહારથી આવ્યા એ બહુ સરળતાથી સાબિત કરી શકાય. ઘોડા, ઇક્વસ, રથ, શસ્ત્રો, યુદ્ધો, ભાષાઓ એ સઘળી સામગ્રીનો આધાર લઈને ભારતના પ્રાગૈતિહાસિક કાળની નવી સમજ ઊભી કરવાની એમની નેમ છે.

આમાં સાદી મુશ્કેલી એટલી જ છે કે આમ કરવામાં જે બિન-વૈજ્ઞાનિક ધારણાઓ, પુરાવા અને તારણો આવશે, તે ઘોડાના એ તબેલા જેવાં હશે, જેને હક્‌ર્યુલિસે સાફ કરવા પડ્યાં હતા. વીસમી સદીમાં આપણે જોયું કે જનીની શુદ્ધતાનો આધાર લેતો રાષ્ટ્રવાદ કઈ હદે જઈ શકે છે અને ‘બહારનાં’ ગણાયેલાં પ્રજાજનોને તેમાં શું સહન કરવું પડે છે. હિન્દુત્વ અને મારીમચડીને ઊભા કરેલાં ઇતિહાસનું મિશ્રણ એ ધર્મ-આધારિત રાજ્ય અને વંશીય રાજકારણના મિશ્રણને આમંત્રે છે. આઝાદીનું ૭૫મું વર્ષ નજીક આવે છે, ત્યારે યાદ રાખવું ઘટે કે સ્વાતંત્ર્યસંગ્રામમાં શહીદોએ બલિદાન આપ્યાં તે લોકશાહી વ્યવસ્થા હેઠળની આઝાદી, સામાજિક સમરસતા અને નાગરિક-અધિકારોની સમાનતા માટે આપેલાં, નહિ કે આ અશ્વયુગ લાવવાં, જેમાં પાંખોવાળી ઘોડી જાસૂસી કરે છે, ઘોડાના કાલ્પનિક ઇતિહાસો લખાય છે અને ધારાસભાઓમાં ઘોડાઓને વેપલો થાય છે.                                              

અનુવાદ :  આશિષ મહેતા

લેખક રાષ્ટ્ર સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ છે અને પીપલ્સ લિન્ગ્વિસ્ટિક સર્વે ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ છે. (મૂળ લેખ અંગ્રેજીમાં ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ'માં પ્રસિદ્ધ થયો હતો.)

https://indianexpress.com/article/opinion/columns/pegasus-spyware-the-mythical-horses-shaping-india-7417659/

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 08

 

Loading

દાહોદ ઘટના : ‘ભદ્ર સંસ્કૃતિ’નું ગ્રહણ

રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|31 August 2021

ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે આવેલ ખજૂરી ગામમાં એક મહિલા સાથે જે જઘન્ય અપરાધની ઘટના બની હતી, તે ઘટનાની જાતતપાસ માટે રાજ્યનાં વિવિધ મહિલાસંગઠનોના એક પ્રતિનિધિમંડળે ધાનપુર તાલુકાની તારીખ ૧૬ જુલાઈ, ર૦ર૧ શુક્રવારના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ (અવાજ) સંસ્થાનાં શ્રી સારાબહેન બાલદીવાલા અને શ્રી ફાલ્ગુનીબહેન પુરોહિત, ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનનાં શ્રી મીનાક્ષીબહેન જોશી, શ્રી રિમ્મી વાઘેલા અને શ્રી જૈવિકા વાઘેલા તેમ જ મજૂર મહાજન સંઘ – નારી વિભાગનાં શ્રી સ્મિતાબહેન પંડ્યા તેમ જ આનંદી સંસ્થાનાં શ્રી સીમાબહેન ગોધરાથી અમારી સાથે જોડાયાં હતાં તેમ જ ધાનપુરથી ઉત્થાન સંસ્થાનાં શ્રી વૈશાલીબહેન પણ આ પ્રતિનિધિમંડળમાં હતાં.

ઘટનાની ટૂંક વિગત :

ગુજરાતરાજ્યમાં આવેલ દાહોદ જિલ્લો મોટે ભાગે આદિવાસી વસ્તી ધરાવે છે. દાહોદ જિલ્લામાં આવેલ ધાનપુર તાલુકાના ખજૂરી ગામ ખાતે આ ઘટના બની હતી. આ ઘટનાની ટૂંકમાં વિગત આ મુજબ છે, જે રાજ્યનાં મોટા ભાગનાં અખબારોમાં પ્રસિદ્ધ થઈ હતી.

આ ઘટનામાં ભોગ બનનાર મહિલાની ઉંમર ર૩ વર્ષ છે. માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલ સમાચારો મુજબ તેમ જ એફ.આઈ.આર.ની નકલ મુજબ ભોગ બનનાર બહેનનાં લગ્ન પાંચ વર્ષ અગાઉ ખજૂરી ગામના એક યુવક સાથે થયાં હતા. તેમને દોઢ વર્ષની એક દીકરી છે. આ વિસ્તારમાં રોજગારીની અન્ય તકો ના હોવાથી મોટા ભાગના લોકો આસપાસના વિસ્તારો તથા મોટેભાગે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેતરોમાં મજૂરી કામ કરીને, ઈંટોના ભઠ્ઠા પર કામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. એક રીતે તેઓના જીવનમાં ઋતુગત વિસ્થાપન (Seasonal Migration) સહજ બાબત છે.

આદિવાસી સમુદાયમાં લગ્નસમયે કન્યાપક્ષ દ્વારા વરપક્ષને એક ચોક્કસ રકમની ચુકવણી કરવામાં આવે છે, જેને ‘દાવો’ કહેવામાં આવે છે. આ યુવતીનાં લગ્નસમયે પણ વરપક્ષ દ્વારા ૧,રપ,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ પણ એક કારણ છે કે જો સ્ત્રી પોતાના પતિથી અલગ થવા ઇચ્છે તો પણ પૈસા લીધા હોવાથી પુરુષપક્ષ દ્વારા સરળતાથી છૂટાછેડા આપવામાં આવતા નથી. ઊલટાનું પૈસાની ચુકવણી કરી હોવાથી સ્ત્રીને એક ખરીદેલ મિલકતના ભાગ રૂપે જોવામાં આવે છે.

આ યુવતી પોતે જેને પસંદ કરે છે, તે યુવક સાથે તારીખ પ જુલાઈ, ર૦ર૧ ના રોજ જતી રહી હતી. પરંતુ તેમના પતિ અને પતિનાં કુટુંબીજનો દ્વારા યુવતી અને તેના સાથીદાર યુવક-બંનેને પકડી પાડવામાં આવ્યા. બંનેને પકડી પાડ્યા બાદ તારીખ ૬ જુલાઈ ર૦ર૧ના રોજ વહેલી સવારે ખજૂરી ગામે લાવવામાં આવ્યાં. ત્યાં યુવતીના સાથીદારને અલગ રાખીને તેને પણ મારવામાં આવ્યો. અને યુવતીને પણ તેના પતિ અને પતિનાં કુટુંબીજનો અને તેમના ફળિયાના લોકો દ્વારા ખૂબ જ હિંસક રીતે મારવામાં આવી. યુવતીના ખભા પર તેના પતિને બેસાડીને જાહેરમાં ફેરવવામાં આવી. ત્યાં સુધી કે યુવતીનાં કપડાં ફાડીને તેને જાહેરમાં નિર્વસ્ત્ર કરવામાં આવી અને મારપીટની સાથે-સાથે ટોળાં દ્વારા જાતીય સતામણી પણ કરવામાં આવી. આ ઘટના અગાઉ જણાવ્યું તેમ તારીખ ૬ જુલાઈના રોજ સવારે બની હતી. આ ઘટનાનો વીડિયો પણ ટોળાંમાં સામેલ લોકો દ્વારા ઉતારવામાં આવ્યો. અમે જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે ત્યાં જ કામ કરતાં મહિલા આગેવાનો દ્વારા આ વીડિયો અમને પણ બતાવવામાં આવ્યો. બધાં જ અખબારોમાં આવેલા સમાચારથી આપણે જે જાણીએ છીએ, તેના કરતાં પણ વધુ વિકૃતિ આ વીડિયોમાં જોવા મળી. એક સ્ત્રીને નિર્વસ્ત્ર કરીને, અપમાનિત કરીને, તેના પર હિંસા આચરીને જાહેરમાં ફેરવવામાં આવી, ત્યારે સમાજના નામે હાજર રહેલું ટોળું કિકિયારીઓ સાથે ઘટનાનો વિકૃત આનંદ લઈ રહ્યું હતું. વાઇરલ થયેલા વીડિયોના કારણે પોલીસ સુધી આ ઘટના બન્યાની માહિતી પહોંચી અને ૧રમી તારીખે સાંજના સમયે પોલીસ દ્વારા આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમ જ ઘટના સામેની ફરિયાદ પણ નોંધવામાં આવી. આ ઘટનામાં એફ.આઈ.આર.માં ૧૯ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિનું નામ ખૂલતાં કુલ ર૦ વ્યક્તિઓની આ ગુનામાં સામેલગીરી છે.

પ્રતિનિધિ મંડળ દ્વારા કરવામાં આવેલ મુલાકાત અને મુલાકાતનો ઉદ્દેશ :

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ઘટનાની જાતતપાસની સાથે-સાથે ઘટના પાછળ જવાબદાર પરિબળોને સમજવાનો, ભોગ બનનાર મહિલાના પડખે ઊભા રહેવાનો, સાથે-સાથે ઝડપી કાનૂની કાર્યવાહી થાય તેમ જ ઝડપથી ન્યાય મળે, એ માટે તંત્ર પર દબાણ લાવવાનો હતો.

આ મહિલા પ્રતિનિધિમંડળ દ્વારા ઘટનાની તપાસ કરી રહેલ ઉચ્ચ મહિલા-અધિકારી સાથે પણ મુલાકાત કરવામાં આવી. આ મુલાકાત ખૂબ જ આશાસ્પદ રહી. ઘટનાની તપાસમાં સંવેદનશીલ મહિલા-અધિકારી હોવાના કારણે તમામ આરોપીઓ પોલીસની અટકાયત હેઠળ છે તેમ જ ચારે બાજુથી ઊઠેલા દબાણના કારણે પોલીસ હાલ તો ખૂબ જ સક્રિય ભૂમિકા નિભાવી રહી છે, એવું આ ઘટનામાં તો લાગી રહ્યું છે. જો કે આ મહિલા – અધિકારીએ ન્યાયતંત્રની લાંબી અને જટિલ પ્રક્રિયા સામે પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેને અહીં નોંધવાનું જરા પણ ચૂકી શકાય તેમ નથી.

આ ઘટનામાં ભોગ બનનાર ર૩ વર્ષીય યુવતી સાથે પણ અમારી મુલાકાત શક્ય થઈ. અમારું પ્રતિનિધિમંડળ ગામ જઈને યુવતીને (હાલ તે પોતાનાં માતા-પિતા સાથે છે) મળવા માંગતું હતું, પરંતુ અમને જાણ થઈ કે તબીબી સારવાર અને અન્ય કાર્યવાહી માટે યુવતીને ધાનપુર તાલુકા પોલીસ-સ્ટેશન ખાતે લાવવામાં આવી રહેલ છે, એટલે અમારી મુલાકાત પણ પોલીસ-સ્ટેશનમાં જ ગોઠવાઈ.

પોલીસ-સ્ટેશનનો જે માહોલ હતો, તે કોઈ પણ વ્યક્તિને અસહજ અને અસ્વસ્થ બનાવવા પૂરતો હતો. હવાઉજાસ વગરનું, ગંદું, અસ્વચ્છ મકાન! જેવા પોલીસ-સ્ટેશનમાં દાખલ થઈએ તેવા સામે જ બે લૉકઅપરૂમ દેખાય. એક પુરુષો માટેનો લૉકઅપ રૂમ અને એક સ્ત્રીઓ માટેનો લૉકઅપ રૂમ. બંને સાવ અંધારિયાં. સ્ત્રીઓ માટેના લૉકઅપમાં જૂની ફાઇલોનાં પોટલાં બાંધેલાં પડ્યાં હતાં. તો પુરુષો માટેના લૉકઅપ રૂમમાં આ ઘટનાના દોષિતોને રાખેલા હતા.

જ્યારે ઘટનામાં ભોગ બનનાર યુવતી દાખલ થઈ રહી હતી, ત્યારે અમે જોયું કે તે પોતાની જાતે ચાલી શકવા પણ સક્ષમ નહોતી, એટલી હિંસા એના પ્રત્યે આચરવામાં આવી હતી. પોલીસ-સ્ટેશનમાં એવો એક પણ ખંડ નહોતો કે જ્યાં એકાંતમાં સહજપણે વાતચીત કરી શકાય અને એટલે અમારું પ્રતિનિધિ – મંડળ, આ યુવતી અને તેનાં માતા સાથે આ મકાનના ધાબા ઉપર મળ્યું. ધાબુ પણ સાવ અસ્વચ્છ! તેમાં એક ખૂણે છાંયડામાં અમે સહુ બેઠાં. સારાબહેન, મીનાક્ષીબહેન, ફાલ્ગુનીબહેન, સ્મિતાબહેન, સીમાબહેન, સહુએ અમારા આવવાનો ઉદ્દેશ યુવતી અને તેનાં માતાને જણાવ્યો. અને ખૂબ સહજતાથી તેમની સાથે વાતની શરૂઆત કરી. શરૂઆતમાં ખચકાટ અનુભવ્યા બાદ યુવતી અને તેની માતા બન્નેએ પોતાની વાત અમને શાંતિથી કરી. યુવતીના જણાવ્યા અનુસાર તેના પતિ તેના ચરિત્ર પર વારંવાર શંકા કરતા હતા, મારઝૂડ પણ કરતા હતા. પોતાના પતિને છોડીને બીજા યુવક સાથે જવા પાછળનું આ એક મુખ્ય કારણ હતું.

આ યુવતી જ્યારે વાત કરતી હતી, ત્યારે એના ચહેરા ઉપર ડર અને ગભરામણ સ્પષ્ટ દેખાતાં હતાં. તેના જણાવ્યા અનુસાર તેની સાથે ભયંકર મારઝૂડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ચાર દિવસ સુધી ખજૂરી ગામ ખાતે તેના પતિના ઘરે તેને ગોંધી રાખવામાં આવી હતી. ત્યાં સુધી કે તેની દોઢ વર્ષની દીકરીને દૂધ પિવડાવવાની પણ તેને મનાઈ ફરમાવવામાં આવી હતી. યુવતી અને તેના સાથીદારને જ્યારે પકડી પાડવામાં આવ્યા, ત્યારે યુવતીના પિતાએ બંને જણને પોલીસ-સ્ટેશને લઈ જઈ કાયદાકીય રીતે આ પ્રશ્નને ઉકેલવા માટે જણાવ્યું હતું. યુવતીનો પતિ અને તેનાં કુટુંબીજનો આ વાત સાથે સહમત પણ થયા હતા. આ માટે યુવતીના પિતા દ્વારા વાહન ભાડે કરવા માટે ૧પ,૦૦૦ રૂપિયા પણ યુવતીના પતિને ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ છેતરપિંડી કરીને તેમને પોલીસ-સ્ટેશન લઈ જવાના બદલે ખજૂરી ગામ ખાતે લઈ જવામાં આવ્યાં અને ત્યાં આ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

વાત કરતાં કરતાં એ યુવતીની આંખમાંથી આંસુ અટકતાં નહોતાં. એક જ વાત એ દૃઢતાથી કહી રહી હતી કે તે હવે ફરીથી ક્યારે ય તેના પતિ સાથે નહીં જાય અને છૂટાછેડા લઈને જ રહેશે. અલબત્ત, તેને એ વાતનો ખૂબ જ સંકોચ હતો કે આ રીતે તેનો વીડિયો વાઇરલ થવાથી તે પોતાની ઈજ્જત ગુમાવી બેઠી છે. જો કે અમારા પ્રતિનિધિમંડળે તેને સાંત્વના આપતાં સમજાવ્યું કે ઈજ્જત, ખરાબ કૃત્ય કરનાર વ્યક્તિ ગુમાવે છે, ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ નહીં.

તમામ આ પ્રકારે આ યુવતી અને તેની માતાના પડખે ઊભાં રહેવાની ખાતરી આપી અમે અમદાવાદ પરત ફર્યાં.

અન્ય બનાવો :

૧. ઊચવાન ગામે પણ આ પ્રકારનો એક બનાવ તાજેતરમાં બન્યો હતો. બે બાળકની માતાને પતિ સતત મારઝૂડ કરતો હોવાથી તે અન્ય એક પુરુષ સાથે રહેવા લાગી. પતિએ ફરિયાદ કરતા બંનેને પોલીસ-સ્ટેશન લાવવામાં આવ્યાં. ત્યાંથી તે સ્ત્રીએ નારીકેન્દ્રમાં જવાનું પસંદ કર્યું. નારીકેન્દ્રમાં બે મહિના રહ્યાં બાદ તે સ્ત્રી પોતાનાં માતા-પિતા સાથે રહેવા લાગી. અંતે ફેબ્રુઆરી માસમાં પોતાની પસંદના પુરુષ સાથે જતી રહી. હજુ ગામમાં પરત આવ્યાના બે જ દિવસમાં તેના પતિ, પતિનાં કુટુંબીજનો આવીને મારતાં મારતાં બંનેને લઈ ગયાં, તેમના વાળ કાપીને, ભયંકર મારઝૂડ કરીને આખા ગામમાં ફેરવવામાં આવ્યાં.

ર. ખિલોડી ગામમાં પણ આ પ્રકારની અન્ય એક ઘટના બની હતી. સ્ત્રીને તેનો સાથી મળવા માટે આવ્યો હતો. તેથી, બંનેને ઝાડ સાથે બાંધીને મારવામાં આવ્યાં હતાં. તે વીડિયો પણ વાઇરલ થયો હતો. આ કેસમાં છેક એસ.પી. સુધી રજૂઆત કરવામાં આવ્યા બાદ દામાવાવ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ૧૯ લોકોની ધરપકડ કરી હતી.

૩. ગોદલી ગામે સ્ત્રીને તે જ ગામમાં રહેતા અને સંબંધમાં કૌટુંબિક મામા થતા યુવક સાથે પ્રેમસંબંધ હતો. બન્ને સહજીવન શરૂ કરવાનાં સપનાં સાથે ગામમાંથી ચાલી નીકળ્યાં હતાં. પરંતુ બંનેને પકડી પાડવામાં આવ્યાં. મામા-ભાણીનો સંબંધ પવિત્ર કહેવાય, એવું ઠરાવીને તે સંબંધની પવિત્રતા પાછી મેળવવા માટે જાહેરમાં તે મહિલાને, તે ભાઈને સ્તનપાન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી.

આવા કિસ્સાઓ અવારનવાર બને છે, પરંતુ સામાજિક રૂઢિઓ, રીત-રિવાજો અને પરંપરાઓના નામે આવા કિસ્સાઓ દબાઈ જતાં હોય છે અને પોલીસ પહોંચે, ત્યાં સુધીમાં તો બહુ આટોપાઈ જતું હોય છે.

અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે આદિવાસી સમુદાયમાં લગ્ન અને છૂટાછેડા બાબતે સ્ત્રીઓને ઘણી સ્વતંત્રતા છે, પરંતુ આ ઘટનાઓ બતાવે છે કે આ બાબત સંપૂર્ણપણે સત્ય નથી.

મહિલાઓ પર અત્યાચાર, તેમને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવી. તેમના માથાના વાળ બળજબરી પૂર્વક ઉતારવા, પુરુષોને મહિલાના ખભે બેસાડીને તેમને ગામમાં ફેરવવી, ઝાડ સાથે બાંધી જાહેરમાં લોકો દ્વારા મારપીટ કરવી ગાળો આપી અપમાનિત કરવાં, મહિલાઓનાં સન્માન અને ઇચ્છા વિરુદ્ધ સમાજના કહેવાતા આગેવાનોની મરજી મુજબના સ્થળે રહેવા ફરજ પાડવી, મહિલા અને યુવતીની હરાજી, વહેમ, દારૂ અને પૈસાની લેવડદેવડ કરી મહિલાઓ પ્રત્યે પાશવી કૃત્ય કરવા, હત્યા અને ગુનાના પુરાવાઓનો નાશ કરી કાનૂની કાર્યવાહી ન થવા દેવી, વગેરે જેવી અસંખ્ય ઘટનાઓ વારંવાર સામે આવે છે.

ઘટના પાછળનાં જવાબદાર પરિબળો :

શરૂઆતમાં જ્યારે માધ્યમોમાં સમાચાર ચમકે, ત્યારે તંત્રની સક્રિયતા નજરે પડે છે, પરંતુ સામાજિક દબાણ, ઘણી વાર રાજકીય દબાણના કારણે ગુનેગારોને જે રીતે તાત્કાલિકપણે કડક સજા થવી જોઈએ, તે થતી નથી અને અંતે તેઓ છૂટી જાય છે. પરિણામે સમાજમાં કોઈ દાખલો પણ બેસતો નથી કે મહિલાઓ પ્રત્યે આ પ્રકારનો ગુનો આચરવાથી કડક સજા થઈ શકે છે.

આ સમુદાયમાં લગ્નસમયે કન્યાપક્ષને પૈસા ચૂકવવામાં આવતા હોવાથી પુરુષો સ્ત્રીઓને પોતાની ખરીદેલી મિલકત સમજે છે અને એટલે જ જ્યારે પરંપરાગત પદ્ધતિથી વિપરીત કોઈ ઘટના બને છે, ત્યારે સ્ત્રીને મિલકત સમજીને તેના પ્રત્યે ભયંકર ગુનો આચરવામાં આવે છે.

સામાજિક વિકાસમાં પાછળના ક્રમે રહી ગયેલા સમુદાયોમાં આધુનિક ઉપકરણો-મોબાઇલ વગેરે વાપરવાનું પ્રમાણ વધ્યું છે, પરંતુ તેની સાથે આધુનિક વિચારો વિકસ્યા નથી. પરિણામે સમાજ હજુ એ જ જૂનાં પરંપરાગત સામંતી મૂલ્યોથી પરિચાલિત છે.

અમારાં સૂચનો :

• દેશમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારો સામે રક્ષણ આપતા કાયદા, તમામ સમુદાયો, કોમ, ધાર્મિક ઓળખ ધરાવતાં વિવિધ જૂથો, સામાજિક જૂથો, તમામ પર સમાન રીતે લાગુ પાડવામાં આવે.

• બાળકોમાં દેશનાં બંધારણીય મૂલ્યોના માર્ગદર્શન હેઠળ માનવ-અધિકાર અને મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવાય એ મુજબ પહેલા ધોરણથી જ શાળાકીય અભ્યાસક્રમ ઘડવામાં આવે.

• આ પ્રકારની ઘટનાઓમાં ન્યાયીક વિલંબના બદલે ઝડપી કાર્યવાહી કરીને ગુનેગારોને તાત્કાલિક દાખલારૂપ સજા આપવામાં આવે. તેમ જ મહિલાઓ વિરુદ્ધના ગુનામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ ફાસ્ટટ્રૅક કોર્ટ દ્વારા કાયદાકીય કાર્યવાહી ઝડપી બનાવવામાં આવે.

• મહિલા પોલીસ-સ્ટેશનો અને મહિલા પોલીસ-અધિકારીઓની સંખ્યા વધારવામાં આવે. તેમ જ સમગ્ર પોલીસતંત્ર અને વહીવટીતંત્રમાં લોકશાહી – મૂલ્યોના પ્રચાર અને પ્રસાર માટે બંધારણીય મૂલ્યોના માર્ગદર્શન હેઠળ માનવઅધિકારો અને મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવતા તાલીમ-કાર્યક્રમો મોટા પાયે શરૂ કરવામાં આવે.

• બાળલગ્નો નોંધવામાં આવે અને અટકાવવામાં આવે.

• લગ્ન સમયે રિવાજ અને પરંપરાના નામે કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

• રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ અગ્રણી મહિલા – કર્મશીલોની એક Watchdog Committeeની રચના કરવામાં આવે.

તા.ક. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં યુવતીઓના ગેરકાયદેસર રીતે ગર્ભપાત થતા હોય તેવી ઘટના સામે આવી છે. તો છોટાઉદેપુર તાલુકામાં ચિલિયાવાટ ગામે પ્રેમી યુવકયુવતીને ઝાડ સાથે બાંધી જાહેરમાં ક્રૂરતાપૂર્વક માર મારવાની ઘટના પણ સામે આવી છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 13-14

Loading

...102030...1,7671,7681,7691,770...1,7801,7901,800...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved