Opinion Magazine
Number of visits: 9570941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વતનની માટી

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|18 September 2021

દિવાળીના તહેવાર નજીકમાં જ હતા. અહીં પરદેશની ભૂમિ પર હું સાવ એકલો હતો; ઘર–પરિવાર, સ્નેહીજનોથી દૂર. જિન્દગીની કદાચ આ પહેલી જ દિવાળી હતી જ્યારે હું મારા કુટુમ્બની સાથે નહોતો. કમ્પનીના કામે એકાદ મહિના પહેલાં લંડન આવ્યો અને હજી ચાર–પાંચ મહિના સુધી રોકાવું પડે એમ હતું.

અહીં બનેલા નવા મિત્રો, સહકર્મચારીઓ સૌને દિવાળી નિમિત્તે કંઈ ને કંઈ ભેટ આપવી જોઈએ એમ વિચારીને હું ખરીદી કરવા નીકળેલો. ‘ઇન્ડિયન સ્પાઈસ શૉપ’ નામના સ્ટોરમાં દરેકેદરેક પ્રકારની ભારતીય ચીજ–વસ્તુ મળી જાય. હું દીવા, મીણબત્તી, રંગોળી માટેના રંગોના કાઉન્ટર પર બધું જોવામાં મશગૂલ હતો ત્યાં કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો :

‘એક્સક્યુઝ મી, આપ ઇન્ડિયાથી આવો છો ?’

કફની–લેંઘો અને પગમાં જયપુરી મોજડી પહેરેલો મારો દેખાવ જ એવો હતો કે જેની પર ભારતીયતાની છાપ હતી. લગભગ પચાસેક વર્ષની લાગતી એ સ્ત્રીને મેં ધારીને જોઈ. સુંદર, નમણા ચહેરા પર ભાવવાહી આંખો. પણ એ આંખોમાંથી ઉદાસી ડોકિયાં કરતી હતી. આધુનિક પહેરવેશ; છતાં એનાં મૂળિયાં ભારતીય ભૂમિમાં હતાં એવું મને એને જોતાંની સાથે લાગ્યું. મેં જવાબ આપ્યો, ‘હા, મૅમ, હું હૈદરાબાદથી આવું છું.’

એની આખોમાં એક અજબ પ્રકારની ચમક આવી ગઈ. તેણે કહ્યું, ‘કેટલું સારું ! તમને ભારતમાં રહેવા મળે છે. લંડનમાં વધુ રોકાવાના છો કે ભારત પાછા જવાના ?’

‘હું મારી કમ્પનીના કામે આવ્યો છું. હજી ચારપાંચ મહિના તો રોકાવું પડશે. ત્યાર પછી ભારત પાછો જઈશ.’

‘મારાં લગ્ન થયાં તે પહેલાં હું મુમ્બઈ રહેતી હતી. હવે તો પચીસ વરસથી અહીં છું. લંડન આવ્યા પછી એક્કે વાર ભારત ગઈ નથી ..’ કહીને એણે કદાચ નિસાસો નાખ્યો અથવા મને એવું લાગ્યું. પણ તરત જ ચહેરા પર પરાણે હાસ્ય લાવતાં એ બોલી, ‘હું માનું છું કે જે કોઈ ભારત જઈ શકે તે નસીબદાર છે.’

અમારી વાત ચાલતી હતી ત્યાં એક યુવાન આવ્યો અને કહેવા લાગ્યો, ‘મૉમ, બહુ મોડું થઈ ગયું, નીકળવું છે ને ?’ અને એ જલદી જલદી મને ‘બા …. ય’ કહીને જતી રહી. તે દિવસે હું ક્યાં ય સુધી એને વિશે વિચારતો રહ્યો. પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી લંડનની ઝાકઝમાળભરી જિન્દગી જીવ્યા પછી પણ એને ભારતનું આટલું આકર્ષણ કેમ હશે ?

જાણે આ મારા સવાલનો જવાબ આપવા માટે જ હોય એમ પંદરેક દિવસ પછી મને એક મૉલમાં તે મળી ગઈ. એણે હસીને મને ‘કેમ છો ?’ પૂછ્યું.

મેં કહ્યું, ‘મઝામાં. પણ આપણી તે દિવસની મુલાકાત બહુ ટૂંકી રહી. મારે તમારી સાથે થોડી વાતો કરવી છે. તમને વાંધો ન હોય તો રેસ્ટોરંટમાં બેસીએ ?’ આજે એને બિલકુલ ઉતાવળ નહોતી એટલે કૉફીની ચૂસ્કી લેતાં લેતાં અમે બન્ને વાતે વળગ્યાં. એણે કોઈ ઔપચારિકતા વિના મારા સવાલોના જવાબ આપ્યા.

‘મારાં બે સંતાનો. એક દીકરો. જેને તમે તે દિવસે જોયો. એ અહીંની જ છોકરી સાથે પરણ્યો છે. અમે ઇન્ડિયા હતાં ત્યારે એનો જન્મ થયેલો. એનું નામ સમીર પાડેલું; પણ હવે એ ‘સેમ’ના નામે ઓળખાય છે.’

‘અને બીજું સંતાન ?’

‘સેમથી નાની દીકરીનું નામ છે ‘સારા’. એનો જન્મ અમે અહીં  લંડન આવ્યાં પછી થયો.’

‘તમારા પતિ શું કરે છે ?’

પતિ વિશે વાત કરવાનો ઝાઝો ઉમળકો ન હોય એવા ભાવ સાથે એ બોલી, ‘ટી.વી.માં આર્ટ ડાયરેક્ટર છે. લગ્ન પહેલાં હું મુમ્બઈ હતી ત્યારે રેડિયોમાં એનાઉન્સરની નોકરી કરતી.  ત્યાં જ મારી અને દીપેન્દ્રની ઓળખાણ થઈ અને ધીમેધીમે પરિચય પ્રેમમાં પલટાયો. અમે મરાઠી અને એ પંજાબી. મારા ઘરમાં સખત વિરોધ હતો.’

‘તો પછી તમે લગ્ન કેવી રીતે કર્યાં ?’ મને એની વાતમાં રસ પડતો જતો હતો ..

‘ભાગીને. પણ મારાં પિયરિયાંઓએ એ પછી મારી સાથેનો સમ્બન્ધ તોડી નાખ્યો. સમીરનો જન્મ થયાના સમાચાર મોકલ્યા, તોયે કોઈ જોવા ન આવ્યું; મા પણ નહીં.’ બોલતાં બોલતાં એની આંખોમાં આંસુ છલકાયાં એ એણે ટીસ્યુ–પેપરથી લુછ્યાં ..

‘દીપેન્દ્રનું લંડન રેડિયો માટે સિલેક્શન થયું ને અમે ભારત છોડી લંડન આવી ગયાં. શરૂઆતમાં અહીંની જીવનપદ્ધતિમાં ગોઠવાવું મારે માટે બહુ મુશ્કેલ હતું. વખત જતાં એમાં તો હું ગોઠવાઈ ગઈ; પણ આજ સુધી હું મનથી અહીં ગોઠવાઈ શકી નથી.

‘દીકરાએ એની મનપસંદ છોકરી સાથે લગ્ન કર્યાં ને ખુશ છે. દીકરી એના મિત્ર સાથે લગ્ન વિના પણ રાતોની રાતો ગાળે છે. પતિ કોઈ અચકાટ વિના મારા દેખતાં જ એની સ્ત્રીમિત્રને ગળે વળગાડે છે. જો દીકરાને આ વિશે કંઈ પણ કહેવા જાઉં તો કહે છે :

‘મૉમ, તારા વિચારો આવા જૂનવાણી કેમ છે ? આટલા મોટા લંડનમાંથી તું પણ એકાદ ફ્રેન્ડ શોધી કાઢ ને તારી રીતે મઝા કર. – આ છે અહીંની સંસ્કૃતિ ! જેમાં દીકરો માને શીખામણ આપે છે કે, તું પણ મિત્ર શોધી કાઢ ! મારા ભર્યા–પૂર્યા સંસાર વચ્ચે હું એકલી છું, સાવ એકલી !’ કહેતાં કહેતાં તે એ રડી પડી.

મેં કહ્યું, ‘તમે ભારતીય સંસ્કૃતિ અને ભારત માટે આટલું ઝૂરો છો તો એકાદ વખત તો મારે ત્યાં આવો ! મારું તમને આગોતરું આમંત્રણ છે.’

‘આવીશ. જરૂર આવીશ. જ્યારે અહીંની એકલતા મારાથી સહન નહીં જ થાય ત્યારે અથવા તો મારાં દીકરા–દીકરીનાં સંતાનોને લઈને હું ભારત આવીશ અને બતાવીશ કે જુઓ, આ છે મારી માતૃભૂમિ. પણ અત્યારે મારું એક કામ કરશો ? ભારતના એરપોર્ટ પર ઊતરો ત્યારે ત્યાંની ધૂળ માથે ચડાવીને મને યાદ કરજો. આટલું કરશો ને ?’

પછી મારો જવાબ સાંભળ્યા વિના જ એ ઊઠીને ચાલી ગઈ.

(મીના ખોંડની મરાઠી વાર્તાને આધારે)

તા. 01/12/2012ના ‘ભૂમિપુત્ર’ પાક્ષીકના છેલ્લે પાનેથી સાભાર …

સર્જક–સમ્પર્ક : બી–401, દેવદર્શન, હાલર, વલસાડ –  396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

‘હરીશ્ચન્દ્ર’ બહેનોના દેહાવસાન પછી, વર્ષોથી ‘ભૂમિપુત્ર’ને છેલ્લે પાને આવતી વાર્તા આપવાનું કામ બહેન આશા વીરેન્દ્રે સંભાળ્યું છે. એમની પાસેથી આપણને ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં રચાયેલી નાનકડી જીવનલક્ષી વાર્તાઓ નિયમિત મળતી રહેશે ..

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ આઠમું – અંકઃ 267 – April 07, 2013

મૂળ ‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Loading

હોય છે :

મૂકેશ પરીખ|Poetry|17 September 2021

અંધકારમય દિવસ અને તેજોમય રાત હોય છે,
સૌ સૌના નસીબ, સમય સમયની વાત હોય છે.

સાગર તરીને બહાર આવી ગયા હતા જે તરવૈયા,
કિનારે લપસીને ઊઠે નહિ, કેવી કેવી ઘાત હોય છે.

જીવનભર ઘેરાયેલ રહ્યાં કહેવાતા સ્વજનો વચ્ચે,
ચાર ખભે જવા માટે એક ટળવળતી લાશ હોય છે.

એટલું જ કહીશ, ખુમારી કોઈની ટકી નથી સંસારમાં,
સનાતન સત્ય સ્વીકારી લો, નામ તેનો નાશ હોય છે.

નફરતની આંધીમાં અટવાયેલા હતા તમે ય 'મૂકેશ',
જાગ્યા તો સમજાયું, કોક તો કોકના ખાસ હોય છે.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : mparikh@usa.com

Loading

ઇન્ટર્વ્યૂ : કેટલીક વ્યવહારુ પણ જરૂરી વાતો

સુમન શાહ|Opinion - Opinion|17 September 2021

ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ, ઍસોસિયેટ અને પ્રોફેસર પદ માટેના ઇન્ટર્વ્યૂમાં ઇન્ટર્વ્યૂ લેનારે કઈ કઈ બાબતો વિશે પૂછવું અને ઉમેદવારે જવાબો માટે કેવી કેવી બાબતો અંગે સજ્જ રહેવું તે વિશેની કેટલીક વાતો, અલબત્ત મારા મન્તવ્ય અનુસારની, અહીં રજૂ કરું છું :

નામ દઇ બોલાવાય ત્યારે ઉમેદવારે તે રૂમમાં પ્રવેશવું પણ જ્યાંલગી ‘બેસો’ ન કહેવાય ત્યાં લગી ઊભા રહેવું. બેઠા પછી સૌને નમસ્કાર કરવા.

ઉમેદવારે ગભરાઈ ન જવું. શું થશે શું થશે-ની અકળામણ ન અનુભવવી. વધુમાં વધુ શું થશે? પસંદ નહીં કરે, બીજું શું ! નરવસ થવાશે પણ જાતને કહેવું કે મને ખબર છે કે હું નરવસ થઈ રહ્યો છું / રહી છું. નરવસતા ચાલી જશે. ઉમેદવારે યાદ રાખવું કે પોતે કોઈ ગુનેગાર નથી અને કશી કબૂલાત માટે નથી આવ્યો. મનમાં એમ ભાવ રાખવો કે સાહિત્યનો શિક્ષક થઈને ગુજરાતી સાહિત્ય જગતમાં સાહિત્ય સમાજમાં અને સાહિત્યિક સંસ્કૃતિ માં જોડાવા ને સહભાગી થવા આવ્યો છું.

સાહેબોએ પણ પોલીસ તપાસ કરતા હોય એમ ઉમેદવારની જડતી ન લેવી. ઉમેદવારને એક વડીલ મિત્રની જેમ જવાબ આપવાનું ગમે, એમ સંકોરવો. એને વિશ્વાસમાં લેવો ને જે કંઇ પૂછવું હોય એ પ્રેમથી પૂછવું. ઉમેદવારને હૂંફનો અનુભવ થવો જોઈએ, એ ખીલવો જોઈએ. ઇન્ટર્વ્યૂ ગમ્ભીર હોઈ શકે પણ વાતાવરણ હળવું રાખવું – થોડી હસીમજાક પણ ભલે થતી હોય.

ઉમેદવારે પ્રસંગોચિત કપડાં પ્હૅરવાં. વર્ગમાં બધાં યુવા વયનાં હશે. તેઓ કહેશે નહીં પણ પાછળ મશ્કરી કરશે.

ઇન્ટર્વ્યૂ

Picture Courtesy : Product Coalition

ઉમેદવાર ઘરમાં કે મિત્રો જોડે ભલે કશી બોલીમાં વ્યવહાર કરતો હોય પણ ઇન્ટર્વ્યૂમાં એણે શુદ્ધ ગુજરાતી બોલવું. વાત વાતમાં ‘ઓકે’ ‘ફાઇન’ જેવા અંગ્રેજી શબ્દો બોલવાની આપણને ભણેલાંઓને આદત પડી હોય છે પણ ઇન્ટર્વ્યૂમાં અનિવાર્યતા સિવાયનો એક પણ અંગ્રેજી શબ્દ ન આવે તેની સાવધાની રાખવી. કેમ કે તમે ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકપદ માટે લાયક ઠરવા ગયા હોવ છો.

ઉમેદવારે પ્રશ્ન સમજીને ઉત્તર આપવો. પ્રશ્ન સમજાયો ન હોય તો કહેવું દિલગીર છું, આપ ફરી કહેશો -? ઉત્તર ન આવડતો હોય તો ગપ્પું ન મારવું. નહિતર એ જૂઠને સંભાળવું મુશ્કેલ થઈ જશે. કેમ કે સાહેબોને તો ખબર પડી જ ગઈ હશે કે તમે હાંકો છો. કહેવું કે મને ખબર નથી પણ એ વિશે જાણવાની ભરપૂર કોશિશ કરીશ.

સાહેબોએ પહેલો સવાલ આ કરવો : પીએચ.ડી. માટે તમે આ વિષય કેમ પસંદ કર્યો? એ જાણવાનો યત્ન કરવો કે ઉમેદવારે સ્વરુચિથી વિષયપસંદગી કરી છે કે કોઈના કહેવાથી. ‘ગુજરાતી કાવ્ય સાહિત્યમાં નારીજીવન : સમસ્યાઓ અને ઉકેલો’ જેવો અતિ વ્યાપક વિષય હોય તો પૂછી શકાય કે કેમનો પાર પાડ્યો. વિષયમાં ગોવર્ધનરામ હોય તો પણ્ડિતયુગના બીજા નૉંધપાત્ર સાહિત્યકારોની મહત્તા વિશે પૂછી શકાય.

બીજો સવાલ : આ વિષય માટે તમે શું વાંચેલું? પહેલાં વાંચેલું કે રજિસ્ટ્રેશન થયા પછી?

ત્રીજો સવાલ : આ વિષય પર અન્ય વિદ્વાનોએ લખ્યું હોય, એ તમે કેટલું વાંચેલું?

ચૉથો સવાલ : શોધનિબન્ધનું લેખન કઈ પદ્ધતિએ કરતા હતા? નૉંધો? કાચું કામ? બીજીવાર કે ત્રીજી વાર લખવું પડતું હતું?

પાંચમો સવાલ : શોધનિબન્ધના લેખનમાં કેટલીક શિસ્ત અનિવાર્ય છે : વિષયસંલગ્ન કર્તાનાં બધાં જ પુસ્તકની સૂચિ, એને વિશે લખાયું હોય એ અન્યોનાં લેખનની સૂચિ; ઉપરાન્ત, શોધનિબન્ધના લેખન અન્તર્ગત પાદટીપ, પરિશિષ્ટ, અને સૂચિઓ – કર્તાસૂચિ, કૃતિસૂચિ, વિભાવસૂચિ. વગેરે. પ્રશ્નો એવા કરવા કે જેથી જાણી શકાય કે આ શાસ્ત્રશિસ્ત ઉમેદવારે કેટલી જાળવી હતી.

છઠ્ઠો સવાલ : તમારું લેખન તમે તમારા માર્ગદર્શકને  ક્યારે બતાવતા હતા? પ્રકરણ થાય પછી? એમની પાસે સમય નથી એમ લાગે તો મુલાકાતની કોઈ પદ્ધતિ ગોઠવેલી? સાહેબોએ જાણવું જરૂરી છે કે ઉમેદવાર પોતાના માર્ગદર્શક પાસેથી પર્યાપ્ત માર્ગદર્શન મેળવી શકેલો કે કેમ.

સાતમો સવાલ : તમે સંશોધનથી એવું કંઈક તારવી શક્યા જેને તમારી શોધ કહેવાય? તમારા સંશોધનનો અર્ક એકદમ ટૂંકમાં કહો. આના ઉત્તરથી ખબર પડશે કે ઉમેદવારે ખરેખરનું કશુંક શોધી કાઢ્યું છે કે કેમ.

આઠમો સવાલ : તમારા સંશોધનવિષયમાં અધ્યાપક થયા પછી કારકિર્દી દરમ્યાન આગળ કંઈ કર્યું કે ત્યાં જ પૂર્ણવિરામ આણી દીધું? ખરેખર તો સંશોધક પોતાના એ કાર્યની ભૂમિકા પર સંલગ્ન એવી વાતો કરતો હોય, લેખો લખતો હોય, જે અધિકૃત ગણાય, સર્વસ્વીકાર્ય લાગે. એ વિષયનો એ નિષ્ણાત ગણાવા લાગે.

ઉમેદવારને થશે કે આ આઠ સવાલ વખતે અમારે શું કરવું તે તો મેં કહ્યું જ નહીં. એમ થવું સ્વાભાવિક છે. દરેક સવાલ પર જાતે વિચારશો તો જવાબ રૂપે શું કહેવું તે જડી આવશે.

ઉમેદવાર પસંદ થઈને અધ્યાપનમાં જોડાશે એટલે રોજ એ વ્યાખ્યાનો કરતો હશે. જો એણે વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો હશે તો વર્ગમાં બોલવું એને સહજ લાગશે. જો એમ ન હોય તો રોજ ઘરના અરીસા સામે નાનું વ્યાખ્યાન કરવું. એ કસરતથી થોડા જ દિવસોમાં આત્મવિશ્વાસ ઊભો થશે ને વર્ગમાં વ્યાખ્યાન કરવાનું સરળ લાગવા માંડશે.

હાથ પર નોટ્સ રાખવી, પણ વારંવાર એમાં જોઈ જોઈને બોલવું કઢંગું લાગશે. નોટ્સને ટેબલ પર રાખવી અને એવી કળા હસ્તગત કરવી કે માત્ર નજર ફેરવી લેવાથી આખો મુદ્દો ઉકલવા માંડે. ક્રમે ક્રમે નોટ્સ છોડી દેવી, પણ મનમાં તો રાખવી જ. મુદ્દાસર વ્યાખ્યાન નહીં કરનારો અધ્યાપક સામાન્ય વિદ્યાર્થીને પણ કંટાળો આપી શકે છે. કદી દિલચોરીથી ન ભણાવવું.

જો વિદ્યાર્થી ઝોકાં ખાતો દેખાય તો તેને કશા રોષ વગર કહેવું કે તું નિદ્રાવશ થઈ જા, મને ગમશે. કેમ કે નિદ્રા નિર્દોષ પ્રવૃત્તિ છે. પણ, અધ્યાપકે હમેશાં જોવું કે એનું એકે એક વાક્ય વિદ્યાર્થીના કાને થઈને ચિત્તમાં બરાબ્બર પ્હૉંચે છે. સંક્રમણ થવું જ જોઈએ. એવું ન બનવું જોઈએ કે અધ્યાપક બોલ્યા કરે ને વિદ્યાર્થીઓ પણ અંદરોઅંદર બોલ્યા કરતા હોય. આ વ્યવસાયમાં એથી મોટી કોઈ હોનારત છે નહીં.

નૉટો ઉતરાવનારા અને ગાઈડો વાપરનારા અધ્યાપકો વ્યવસાયદ્રોહી છે. હા, વિદ્યાર્થીઓ જેને ‘મટિરિયલ’ કહે છે એ અધ્યયન-સામગ્રી તો તેઓ જરૂર માગશે, ત્યારે અધ્યાપકનું કર્તવ્ય બને છે કે એ દિશામાં એને સક્રિય કરે. પુસ્તકાલયમાં પડેલી સામગ્રી સૂચવશે ને તેનો વિનિયોગ કરવા કહેશે. છેલ્લો અને ઉત્તમ ઇલાજ તો એ છે કે વિદ્યાર્થીને કહેવું કે તું લખી લાવ, હું તને તપાસી આપીશ. હા, એ પણ અધ્યાપકનું કર્તવ્ય છે.

વર્ગમાં અધ્યાપક અભ્યાસક્રમ-નિયત પુસ્તક લઈ જાય ને આગ્રહ રાખે કે વિદ્યાર્થીઓ પણ લાવે જ લાવે. ‘સોરઠ તારાં વહેતાં પાણી’ ન હોય અધ્યાપક પાસે કે ન હોય વિદ્યાર્થી પાસે, એવી જગ્યાને વર્ગ શી રીતે કહેવાય? મારી દૃષ્ટિએ યુનિવર્સિટી વિદ્યા-પીઠ છે, જ્ઞાન-પીઠ છે, અને વર્ગ એવું અધિષ્ઠાન છે જ્યાં જ્ઞાન જન્મે છે, વિકસે છે. પણ મૂળ નહીં હોય તો શાખાઓે પણ નહીં હશે.

અધ્યાપકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવાની છૂટ આપવી જોઈએ કેમ કે એ એનો અધિકાર છે. તમે બોલ્યા જ કરો ને એને પલ્લે પડતું જ ન હોય એ કેમ ચાલે? વર્ગ કે કોઈ પણ જ્ઞાનસભા હમેશાં ઇન્ટર-ઍક્ટિવ જ હોઈ શકે. બને કે પ્રશ્નકાર પાસે પ્રશ્ન ઉપરાન્તની કશીક ઉપકારક વાત પણ હોય. એ લાભથી વર્ગને વંચિત ન રખાય.

અધ્યાપક થયા એટલે પરીક્ષક પણ થવાના. પ્રશ્નપત્ર કાઢવાં અને ઉત્તરપોથીઓ તપાસવી એ બે પરીક્ષાનાં કામોમાં મુખ્ય છે. એટલે, યુનિવર્સિટી પરિણામો જણાવી શકે છે. પરીક્ષા ભલે વિદ્યાર્થીની છે પણ સાથોસાથ અધ્યાપક માટે પણ એ જાણવું જરૂરી છે કે પોતે જે શીખવ્યું તેનું આ ફળ આટલું સરસ છે અથવા કેટલું ના-સરસ છે. પરીક્ષાઓ અધ્યાપકને આત્મનિરીક્ષણની મોટામાં મોટી તક આપે છે. એણે એથી ભાગવું નહીં કે નામક્કર ન જવું.

ઇન્ટર્વ્યૂ લેનારે એ પણ જાણવું અને પૂછવું જોઈશે કે અધ્યાપક સમકાલિક સાહિત્ય સાથે સમ્પર્ક ધરાવે છે કે કેમ. એ સાહિત્યિક કાર્યક્રમોમાં જાય છે? સાહિત્યનાં સામયિકો જુએ પણ છે કે કેમ. એને પુસ્તકાલયમાં જવાની ટેવ છે? આજે તો ગૂગલ મા’રાજ મસમોટું પુસ્તકાલય છે, એનો એ લાભ લે છે? સોશ્યલ મીડિયામાં બ્લૉગ્સ પર જે સરજાઇ રહ્યું છે એથી એ વાકેફ છે કે કેમ. ટૂંકમાં, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્ય સાથે, પોતાના સમયના સાહિત્ય સાથે, એ જોડાયેલો રહે છે કે કેમ.

એ જ રીતે, એ સાહિત્યના ઇતિહાસ સાથે કેવોક સમ્બન્ધ ધરાવે છે એ પણ ઇન્ટર્વ્યૂ લેનાર સાહેબોએ જાણવું જોઈશે. હું તો એટલે લગી કહું કે ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસની એક આછી રૂપરેખા અધ્યાપકના મનમાં હોવી જોઈએ. ટ્રેનમાં સાથી મુસાફર પૂછે કે આ તમારા બ.ક.ઠા. શું છે તો અધ્યાપક એને પણ્ડિતયુગની જરા ઝાંખી કરાવી શકવો જોઇએ. અઘરો સવાલ કરી બેસે – આજે મોટા, મહાન, કહી શકાય એવા કોણ છે? અધ્યાપક કહી શકવો જોઈએ કે કોણ છે, અથવા એકે ય નથી. જે સાહિત્યકારોનાં જન્મદિવસો જન્મશતાબ્દીઓ ઉજવાય છે, એની ઉમેદવારને ખબર હોય તો જાણી શકાય કે એ દિવંગત સાહિત્યકારોનું ઇતિહાસમાં શું પ્રદાન હતું. સાહિત્યને ઘડવામાં એમના વિચારોએ શો ભાગ ભજવેલો.

સાહેબોએ છેલ્લે ઉમેદવારને પૂછવું કે એ પોતે કશું લખે છે ખરો – કાવ્ય વાર્તા એકાંકી? કેમ કે સવાર પડે ને વર્ગમાં જઈ અન્યોનાં સર્જન અને લેખન વિશે વાત કરનારો જાતે સર્જક હશે કે થવા મથતો હશે તો એના વ્યાખ્યાનનો અને એની કોઈ પણ સાહિત્યપરક વાતનો રંગ જ જુદો હશે.

વિચારો કે સાહિત્યકલાના અધ્યયન-અધ્યાપનને બહાને શું આપણે માનવીય સર્ગશક્તિનાં જ ઓવારણાં નથી ઉતારતા? સર્જકતાનો જય હો !

= = =

(September 17, 2021: USA)

Loading

...102030...1,7481,7491,7501,751...1,7601,7701,780...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved