Opinion Magazine
Number of visits: 9571173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અફઘાનિસ્તાનના મુદ્દે સ્વાર્થ સાધવા હવે યુ.એસ.એ.ને જોઇએ છે ભારતનો સાથ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 September 2021

ચીનને મામલે ભારતને સાથે રાખવું અને અફઘાન-પાકિસ્તાનને મામલે ભારતને છેટું રાખવાની યુ.એસ.એ.ની નીતિ જોખમી સાબિત થઇ શકે છે

ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા, લોકશાહી રાષ્ટ્રના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિલ્હીના આંટા ફેરા શરૂ કરી દીધા છે. અફઘાનિસ્તાનમાંથી બિસ્તરાં પોટલાં ઉપાડીને નિકળી ગયેલા યુ.એસ.એ.એ અત્યાર સુધી પોતાના સ્વાર્થ ખાતર મિડલ ઇસ્ટર્ન દેશોનો કચ્ચરઘાણ વાળ્યો. હવે અફઘાનિસ્તાન સાથે બદલેલા સમીકરણમાં તેમને ભારતની સોબત કરવી છે. યુ.એસ.એ.એ બહુ સિફતથી, હળવાશથી એવા સંકેત આપ્યા છે કે તેમને ભારતના એર ફિલ્ડ્ઝની જરૂર છે જેથી તે અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં આતંકીઓ પર એરિયલ સર્વેઇલન્સ રાખી શકે અને જરૂર પડે તો હુમલા પણ કરી શકે. વિશ્વની મહાસત્તા ગણાતા આ રાષ્ટ્રને જાતની રક્ષા કરવી છે અને એ માટે તે કોઇ પણ હદે કોઇનો પણ ઉપયોગ કરી શકે છે.

વિજ્ઞાનમાં ભણાવાતું કે અમુક પ્રકારની વેલમાં ક્લોરોફિલ ન હોય એટલે તે ઝાડને વિંટળાય અને આ પ્રકારના સજીવોને પેરાસાઇટ અથવા તો પરાવલંબી કહેવાય. યુ.એસ.એ. પાસે કંઇ ન હોય એવી શક્યતા તો નથી પણ અફઘાનિસ્તાન પર નજર રાખવા માટે તેમને ભારતના આકાશનો ટુકડો જોઇએ છે. આમ કરવામાં તેમણે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધોનું પુનઃઅવલોકન કરવું પડશે. 24મી સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન સાથે ક્વૉડ સમિટમાં મુલાકાત થાય તે પહેલાં જ યુ.એ.સ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિન્કને આ સંકેતો આપ્યા. આ અંગે હજી કોઇ ચોખવટ નથી થઇ, કોઇ પણ જાહેરાત વિસ્તૃત રીતે નથી કરાઇ.

યુ.એસ.એ.ના ઇરાદા કંઇ પણ હોઇ શકે પણ એક રીતે તો અફઘાનિસ્તાનને કારણે અમેરિકા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ખાઇ છતી થઇ ગઇ છે. જો બાઇડને જ્યારે અફઘાનિસ્તાન સાથેનું યુદ્ધ હવે પૂરું થયું છે-ની જાહેરાત કરી, ત્યારે તેમણે આ પગલાં પાછળની ચોખવટ કરતાં એમ કહ્યું હતું કે તેઓ ચીન સાથે રસાકસીની સ્પર્ધામાં છે તો બીજી તરફ રશિયા સાથેના તેમના પડકારો પણ બહુસ્તરીય છે. આ સંજોગોમાં યુ.એસ.એ. હજી એકાદ દાયકા સુધી જો અફઘાનિસ્તાનમાં રહે તો ચીન અને રશિયાને તો ભાવતું મળે પણ હવે એવું થવાનું નથી. તાલિબાનના તાબામાં રહેલા અફઘાનિસ્તાનને કારણે યુ.એસ.એ. પર આતંકી હુમલાઓની તલવાર તો તોળાવાની જ અને એવામાં અફઘાનિસ્તાનમાંથી નીકળી જઇ રશિયા અને ચીન સાથેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ અમેરિકન વ્યૂહરચના કેટલી નક્કર છે તે કહેવું આસાન નથી. આવામાં જો રશિયા અને ચીન ચાલાકીથી પાકિસ્તાનની મદદ લઇને અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવશે તો આ આખી ત્રિરાશીમાંથી અમેરિકાનો છેદ જ ઊડી જાય, જે ભૌગોલિક વ્યૂહરચનાની દ્રષ્ટિએ એશિયાના મોટા હિસ્સામાંથી અમેરિકાની બાદબાકી સાબિત થાય. અમેરિકા માટે એ પચાવવું સ્વાભાવિક રીતે જ અઘરું હોય. બીજી બાજુ જો અમેરિકા કોઇ પણ ભોગે અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવામાં નિષ્ફળ જાય તો આતંકવાદનો પડકાર તેઓ કલ્પી ન શકે તે હદે વિસ્તરી જશે.

યુ.એસ.એ.ની ઇન્ડો-પેસિફિક વ્યૂહ રચનામાં ભારતનો અગત્યનો ફાળો છે અને ભારત જાણે છે કે યુ.એસ.એ.નું અફઘાનિસ્તાનમાંથી નીકળવું તેને માટે પણ સંજોગો પેચિદા બનાવશે. અત્યાર સુધી તો યુ.એસ. અને અમેરિકાએ ભારતની પૂર્વને મામલે ૯૫ ટકા જેટલા એક કેન્દ્રમાં હતા અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન એટલે કે ભારતની પશ્ચિમે ૫ ટકા જેટલા એકમત હતા. પાકિસ્તાનીઓને ખુશ રાખવા માટે અમેરિકન્સે ભારતને અફઘાનિસ્તાનને મામલે કોઇ મોટા પગલાં લેવા નથી દીધાં. સુરક્ષાની માલમે તો ભારત માટે જાણે ‘નો એન્ટ્રી’ જ હતી. અત્યાર સુધી જરૂર પડે ભારત પાસેથી અમેરિકન અધિકારીઓએ અફઘાનિસ્તાન માટે ચેક પર સહીં કરાવી છે પણ તે સિવાય અફઘાનિસ્તાનમાં ભારતનો કોઇ પણ પ્રકારનો પ્રભાવ નથી પડવા દીધો. કારણ કે જો એમ થાય તો પાકિસ્તાનીઓને વાંકુ પડે અને એ અમેરિકાને પોસાય તેમ નથી. ભારતીય સરકારોએ આ ખેલ જેમ હતો એમ ચાલવા દીધો કારણ કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી હતી, જેને કારણે આતંકવાદનું તાંડવ ખાસું એવું કાબૂમાં હતું પણ હવે સંજોગો સાવ બદલાઇ ગયા છે. હવે ભારત અને યુ.એસ.એ. ભૌગોલિક રીતે ભારતની પૂર્વ દિશામાં જેટલા ઓવરલૅપ થાય છે તેટલો જ સમાવેશ યુ.એસ.એ. અને ભારતનો પશ્ચિમ દિશામાં થાય તે પણ જરૂરી છે. અફઘાનિસ્તાનને મામલે ભારત શાહમૃગ નીતિ નહીં અપનાવી શકે, જે દેશ સાવ બાજુમાં છે તે નથી, અથવા તો ત્યાંના સંજોગોથી આપણને ફેર નથી પડતો અને યુ.એસ.એ. જોઇ લેશે-વાળો અભિગમ આપણને હવે નહીં પોસાય. વીસ વર્ષના યુદ્ધ પછી સ્વાર્થી યુ.એસ.એ. તો જાણે અફઘાનિસ્તાન તેમને માટે કોઇ મહત્ત્વ જ નથી ધરાવતું એવી અવગણના કરીને ત્યાંથી પોતાની જાતને અલગ કરી લીધી. કલ્પના કરો કે ચીન, પાકિસ્તાન અને તાલિબાનના તાબા હેઠળનું અફઘાનિસ્તાન ભારત માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. વળી, તાલિબાનના શાસનમાં તો ભારતે થર્ડ ફ્રંટની ચિંતા પણ કરવાની. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને પૈસા આપીને છૂટી જવાની અમેરિકાની આદત ભારતને ભારે પડશે. યુ.એસ.એ.નું ક્લાઉટ, તેનો પ્રભાવ ભારતના ફાયદા માટે પણ વપરાય તે જરૂરી છે. 

યુ.એસ.એ.નો ઇતિહાસ એટલો પૂરાણો નથી કે તે પોતાના ભૂતકાળમાંથી શીખીને સમજીને આગળ વધે. યુ.એસ.એ. જે છે તે એટલા માટે છે કે તેને માટે પોતાનાથી ઉપર કશું નથી હોતું, આ સ્વાર્થ સાધવામાં યુ.એસ.એ. મોટે ભાગે સફળ રહ્યું છે પણ તેમની રોટલી શેકવામાં આપણું ઘર બળે નહીં તેની તકેદારી આપણે રાખવી જ રહી. ઇઝરાયલ, ઇરાક, અફઘાનિસ્તાન જેવા કેટલા ય મિડલ-ઇસ્ટર્ન દેશો યુ.એસ.એ.ની સત્તા ભૂખમાં બેહાલ થયા છે. યુ.એસ.એ.ની નીતિ તેને પોતાને માટે તો ખરાબ નથી જ પણ તેમનો આ સલામત રહેવાનો અને સશક્તિ રહેવાનો સ્વાર્થ બીજા રાષ્ટ્રોને પાંગળા કરી ગયો છે તે પણ એક વાસ્તવિકતા છે.

બાય ધી વેઃ

યુ.એસ.એ.ની ચકાચોંધમાં આપણે કુંડાળામાં પગ ન મૂકી દઇએ તે જરૂરી છે કારણ કે નહીંતર આપણી સુરક્ષા એવી જોખમાશે કે સંભાળવાનું મુશ્કેલ થઇ શકે છે. યુ.એસ.એ.નો જે અભિગમ રહ્યો છે કે કાં તો તમે અમારી સાથે છો અથવા તો સામે છો – એવો જ અભિગમ ભારતે યુ.એસ.એ. સાથે અપનાવવો પડે એવી નોબત પણ આવી શકે છે. પૂર્વમાં યુ.એસ.એ. ભારત તરફી કામ કરે અને પશ્ચિમમાં ભારત વિરોધી અને એ સમાધાન આપણે એક રાષ્ટ્ર તરીકે ચલાવીએ તો એ તો આપણે કુહાડી પર જઇને કૂદકો માર્યો એમ કહેવાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  19 સપ્ટેમ્બર 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (62)

સુમન શાહ|Opinion - Opinion|19 September 2021

ભારતમાં કોરોનાને કારણે થયેલાં ડેથ 445k છે

અને યુ.ઍસ.એ.માં થયેલાં ડેથ – 674k છે.

Worldometer અને બીજી અનેક એજન્સીઓ ડેથ્સ ઉપરાન્ત કોરોનાકેસિઝ અને સંલગ્ન તમામ બાબતોના આંકડા રોજે રોજ આપે છે.

પણ જનસામાન્યની આંખ ઊઘડતી નથી.

એથી મેળવવી જોઈતી શીખ મેળવાતી નથી.

Picture courtesy : Eyewitness News

એટલે –

જે મિત્રો, જે સ્નેહીઓ, જે પ્રજાજનો માસ્ક નથી પ્હૅરતા, ના પાડે છે;

સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવતા, શી જરૂર છે એવું કહે છે;

જાત-અલગાવ સ્વીકારીને કૉરન્ટાઇન નથી થતા,

એટલે કે, જાતે જ પોતાને કોરાણે નથી મૂકતા;

વૅક્સીન લેવાની પણ ના પાડે છે, કહે છે, એથી જ કોરોના થઈ જાય …

હું એ સૌને કહું છું, બસ આટલું કરો —

કોરોના, ડેથ અને વૅક્સીન

એ ત્રણમાંથી

કોઈ પણ બે-ને પ્રેમથી પસંદ કરી લો,

મગજ ઠેકાણે આવી જશે ને બધું આપોઆપ સરળતાથી સમજાઈ જશે …

= = =

(September 19, 2021: USA)

Loading

મન (ક્રૅડિટ) ચોર બની થનગાટ કરે

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|18 September 2021

મેઘાણીની સરકારી ઉજવણી

ઑગસ્ટ ૨૮, ૨૦૨૧ના રોજ ઝવેરચંદ મેઘાણીના જન્મની સવા શતાબ્દીની સરકારી રાહે ઉજવણી કરવામાં આવી. ‘સરકારી રાહે’ એટલા માટે કે તેના નિમંત્રણકાર્ડમાં મેઘાણીની તસવીરો હતી, પણ નિમંત્રણકાર્ડના કવર પર વડા પ્રધાન સહિત પાંચ મંત્રીઓના જ ફોટા હતા – ઝવેરચંદ મેઘાણીનો ફોટો કે ચિત્ર ત્યાં ન હતાં. સોશિયલ મીડિયા પર ટીકા થઈ, એટલે બેશરમ ભક્તસમુદાય વળતી દલીલ કરવા લાગ્યો કે ‘મેઘાણીના ફોટા કાર્ડમાં છે તો ખરા.’

તો શું સરકારે એવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે કે જેમના વિશેનો કાર્યક્રમ હોય, તેમના ફોટા ફક્ત કાર્ડમાં જ છાપવા અને કવર પર માનનીય ફલાણાશ્રી ને માનનીય ઢીકણાશ્રીઓનાં થોબડાં જ ઝીંકવાં? કાર્યક્રમ મેઘાણીનો છે, તો કાર્ડમાં ને કવર પર, બધે તેમનો જ ફોટો મુખ્ય હોય ને! આટલી સાદી સમજ પણ જેમણે વેચી ખાધી હોય, એ જ પ્રજાતિ સ્વાધીનતાના કવિ મેઘાણીની સવા શતાબ્દી ઉજવવાના અને સાહિત્ય અકાદમીના ભવનને મેઘાણીનું નામ આપીને તેમને સન્માનવાના દાવા કરે.

કાર્ડ પર મેઘાણીનો ફોટો ન હોવાની સરકારી બેશરમીનો આંચકો શમે, તે પહેલાં જિલ્લા સ્તરે યોજાયેલા મેઘાણી-ઉજવણીના કેટલાક સરકારી કાર્યક્રમોની તસવીરો જોવા મળી. તેમાં ચોટીલાના કાર્યક્રમ સહિત અન્ય કેટલેક ઠેકાણે મંચ પરના બૅનરમાં મેઘાણીનો ફોટો ન હતો. ફક્ત નેતાઓના જ ફોટા હતા. લાજ મૂક્યા પછી એક વાર મૂકો કે સો વાર, શો ફરક પડે છે?

બિનસરકારી રાહે થયેલા મેઘાણી-સ્મરણમાં પણ ઝવેરચંદ મેઘાણીના વ્યાપક, બહુરંગી અને સામાજિક-રાજકીય પરિસ્થિતિ સંદર્ભે વર્તમાનમાં પણ પ્રસ્તુત એવાં સર્જનો ઓછાં યાદ કરાયાં ને તેમનું લોકસાહિત્ય-લોકકથાઓ – ‘રાષ્ટ્રીય શાયર’વાળું વધારે ચાલ્યું. કેમ કે એ મેઘાણીનું સૌથી ‘નિર્દોષ’ સ્વરૂપ છે. તેમાં વાંચનાર ઇચ્છે, તો વિચારવાની તસ્દી લીધા વિના અથવા ફક્ત આનંદ માણવા ખાતર ‘મેઘાણી-સાહિત્ય’નો આનંદ માણી શકે છે. ઉપરાંત, મેઘાણીને યાદ કર્યાનો – તેમને અંજલિ આપ્યાનો સંતોષ પણ લઈ શકે છે.

બે-ત્રણ દિવસ માટે ચોતરફ મેઘાણી-મેઘાણી થઈ જવા છતાં, ચર્ચામાંથી મોટે ભાગે બાકાત રહેલા કેટલાક મુદ્દા :

•  ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતાસેનાની … આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે.

•  ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં, પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રીય શાયર’નો કોઈ ઉલ્લેખ નથી. અલબત્ત, મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રીય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. તેમને આ બિરુદ ગાંધીજીએ આપ્યું હોય કે ન આપ્યું હોય, તેનાથી મેઘાણીની પ્રતિભામાં કશો ફરક પડતો નથી.

આ સંદર્ભે અશોક મેઘાણીએ ફેસબુક પર તેમના પિતા ઝવેરચંદ મેઘાણીને ટાંકીને લખ્યું હતું, 'મને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયું છે! એ આપનારા મારા સુહૃદો ન હોત, તો હું એમ જ માનત કે કોઈએ મારી દિલસોજ ઠેકડી કરી છે. મિત્રોના હાથથી મળેલા એ પદવીદાનમાં પરિહાસ નહિ પણ પક્ષપાત મહેકે છે. વસ્તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. બાકી તો ક્યાં શાયરી ને ક્યાં હું!’ પછી અશોકભાઈએ ઉમેર્યું હતું, ‘ગાંધીજીને પોતાના મિત્રવર્તુળમાં એમણે ન જ ગણ્યા હોય.’ અશોકભાઈના જણાવ્યા પ્રમાણે, 'દર્શક’ સિવાય કોઈ જાણકારે ગાંધીજીએ આપેલા બિરુદની વાત લખી હોય એવું તેમની જાણમાં નથી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં પણ એવો કોઈ ઉલ્લેખ નથી.

• ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’ – એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા’માં મેઘાણીએ આત્મસાત્‌ કરેલી મહી કાંઠાની ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની ૧૯૪૭થી ૧૯૬૭ સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.

• મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા – એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજના છેવાડાના ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.

• મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય.

• મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.

• નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની – સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.

મેઘાણી સવા શતાબ્દી નિમિત્તે મુખ્ય મંત્રીએ ચોટીલામાં મેઘાણીના સ્મારક માટે રૂ. પાંચ કરોડ ફાળવ્યા છે, પરંતુ વર્તમાન સરકારની કોઈને યાદ કરવાની પદ્ધતિ એવી ખતરનાક છે કે આવી જાહેરાતોથી આનંદ થાય એના કરતાં વધારે ફાળ પડે છે. મેઘાણીને તેમના અસલી સ્વરૂપે મળવા ઇચ્છતાં રસિકજનો અશોક મેઘાણીએ સાતેક વર્ષ પહેલાં તૈયાર કરેલી વેબસાઇટ meghani.com, પિનાકી મેઘાણીએ તૈયાર કરેલી વેબસાઇટ jhaverchandmeghani.org, અપૂર્વ આશરની e- shabda.com અને ગુજરાત સરકાર તરફથી સવાસોમી જન્મ જયંતી નિમિત્તે તૈયાર કરાવાયેલી વેબસાઇટ meghani125.comની મુલાકાત લઈને તેમનું પ્રચલિત સિવાય સાહિત્યનું પણ વાંચી શકે છે. આ રીતે મેઘાણીનાં વિવિધ સ્વરૂપો જાણવાના પરિણામે ભાવક તરીકે મનમાં મેઘાણીનું જે સ્મારક ઊભું થાય, તે સાચું.

E-mail : uakothari@gmail.com 


સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 01-02

Loading

...102030...1,7461,7471,7481,749...1,7601,7701,780...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved