Opinion Magazine
Number of visits: 9570941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી અને મુંબઈ

ઉષા ઠક્કર|Gandhiana|20 October 2021

મુંબઈના મણિ ભવનથી નમસ્કાર.

સૌ પ્રથમ સંધ્યા (મહેતા) અને મારા તરફથી આ આમંત્રણ માટે યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો આભાર, અને વિપુલભાઈ – કુંજબહેન, પંચમભાઈ અને નીરજભાઈનો વિશેષ આભાર.

મને અને સંધ્યાને ‘ગાંધી અને મુંબઈ’ વિશે વાંચવાનું ગમે, તે વિશે સંશોધન કરવું ગમે. અને તેમાંથી ઉદ્દભવ્યું આ પુસ્તક – ‘ગાંધી ઈન બૉમ્બે – ટૉવર્ડ્ઝ સ્વરાજ’.

મુંબઈ એવું મહાનગર છે જે સદા પ્રગૃત્તિમય રહે છે, નથી જંપતું આ મહાનગર જે અર્થવ્યવસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને તે સાથે ઊંચી ઈમારતો અને ચમકદમકવાળી આ અલબેલી મોહમયી નગરી રાજકીય ચેતનાથી પણ ભરપૂર રહી છે. સ્વાતંત્ર્ય આંદોલનમાં તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. અને મહાત્મા તથા મુંબઈનો સંબંધ તો અનોખો છે.

આમ તો ગાંધીજી ઇંગ્લાંડ અહીંથી જ ગયા. વકીલાત શરૂ કરવાનો અસફળ પ્રયત્ન પણ અહીં જ કર્યો. તે પછી તે દક્ષિણ આફ્રિકા પણ અહીંથી જ ગયા વિદેશી પોષાકમાં અને પોતાના કાર્યથી પ્રસિદ્ધિ પામી કાઠિયાવાડી પોષાકમાં પાછા ફર્યા 1915માં. ચોક્કસ કહું તો 09 જાન્યુઆરી 1915માં.

હું અહીં ગાંધી અને મુંબઈના સંબંધની આ સમયથી રજૂઆત કરવા માગું છું. 1915 સુધીમાં તો મુંબઈ વ્યાપારધંધાનું કેન્દ્ર બની ગયેલું. આ શહેરમાં ઉર્જા હતી − આર્થિક પરિબળોની, શિક્ષણની સંસ્થાઓ તથા મંડળોની અને નવજાગરણની. ગાંધીમાં શક્તિ હતી − સત્યાગ્રહની, પોતાના અનુભવોની, મૂલ્યોની અને દેશભક્તિની.

મગનલાલ ગાંધી પરના 11 જાન્યુઆરી 1915ના પત્રમાં ગાંધીએ લખ્યું કે, ‘મુંબઈ પહોંચતા જ્યારે કિનારો જોયો ત્યારે હર્ષના આંસુ આવેલાં. હજુ હર્ષઘેલો છું. છતાં મુંબઈ નથી ગમતું. મુંબઈ લંડનનો ઉતાર લાગે છે. તેમાં લંડનની બધી એબો અનુભવું છું, પણ ત્યાંની સગવડોનો મને લાભ નથી મળ્યો, એ પણ હિંદમાં રહેવાનો લાભ છે.’

આ સમયે ગાંધીમાં આત્મવિશ્વાસ અને દેશ માટે કંઈ કરવાની તમન્ના છલોછલ ભરેલા હતા. તેમના માનમાં ઘણા મેળાવડાઓ અને સભાઓનું આયોજન થયું. લોકોને લાગ્યું કે આ વ્યક્તિ કંઈ જુદા પ્રકારની છે. અને ગાંધીજી પોતાની આગવી દૃષ્ટિથી પરિસ્થિતિનું અવલોકન કરવા લાગ્યા. આર્થિક રીતે વિકસિત, બૌદ્ધિક સાધનોથી ભરપૂર અને સામાજિક – સાંસ્કૃતિક વિવિધતાઓથી ભરેલા મુંબઈ શહેરમાં તેમને પોતાનાં કાર્યો માટે કંઈક શક્યતાઓ દેખાઈ અને તેમને આ શહેરનો સુદૃઢ અને સુદીર્ઘ સાથ મળ્યો.

આમ તો ગાંધીજીને શહેરો નહોતા ગમતાં. એક ઠેકાણે તો તેમણે મુંબઈ અને કલકત્તા જેવા શહેરોને real plague spots – મહામારી ફેલાવનારા – ગણાવ્યા છે. 1919 પહેલાં તેમણે સત્યાગ્રહ માટે ચંપારણ, ખેડા અને બારડોલી જેવાં સ્થળો પસંદ કરેલાં. જો કે સત્યાગ્રહનો તખ્તો અમદાવાદ પણ હતો. પણ 1919માં રોલેટ કાયદાના પ્રતિકારમાં થયેલ સત્યાગ્રહનું સ્થળ બન્યું મુંબઈ. અહીં સામાજિક, આર્થિક અને બૌદ્ધિક પરિબળો (તેને કારણે ઉદ્દભવતા પરિબળો) મોજૂદ હતા. રોલેટ કાયદો પ્રજાની સ્વતંત્રતા અને અધિકારો પર ઘણી મર્યાદા લાવતો હતો. આવા કાયદાનો વિરોધ કરવો એટલે બ્રિટિશ સામ્રાજ્ય સાથે સીધો સંઘર્ષ. પણ ગાંધી અને તેમના સાથીઓએ વિચારપૂર્વક સત્યાગ્રહનું આયોજન કર્યું અને સક્રિય થયા.

1919ની 6 ઍપ્રિલે મુંબઈમાં ચોપાટી તટ પર રોલેટ સત્યાગ્રહ છેડાયો. ત્યારે ગાંધી મણિ ભવનમાં તેમના સાથી રેવાશંકર ઝવેરીના મકાનમાં હતા. અહીં મણિ ભવનમાં 1917થી 1934 સુધી ગાંધી આવતાજતા વસવાટ હતો. આ સત્યાગ્રહનું સચોટ વર્ણન 07 ઍપ્રિલના “બૉમ્બે ક્રૉનિકલ”માં અપાયું છે. લોકો સવારથી જ ભેગા થવા લાગેલા. ચોપાટીથી સેન્ડહર્સ્ટ પુલ સુધી લગભગ દોઢેક લાખ લોકો ભેગા થયા. સભા પૂરી થતાં લોકો ચોપાટીથી માધવબાગ ગયા. લોકોમાં એક અદમ્ય શક્તિનો આવિર્ભાવ થયો.

સરકારે ‘હિંદ સ્વરાજ’, રસ્કિનના Unto the Last, અને Defence of Socratesના ગાંધીજીએ કરેલા અનુવાદ અને મુસ્તફા કમાલ પાશાના પુસ્તક The Life and Address of Mustafa Kamal પર પ્રતબંધ મૂકેલો. પ્રતિકારના દિવસે સ્વયંસેવકો તો આવાં પુસ્તકો વેચવાં નીકળેલાં. એક ગાડીમાં ગાંધીજી અને સરોજિની નાયડુ નીકળી પડ્યાં. ચાર ચાર આનાનાં પુસ્તકો 5 – 10 રૂપિયામાં વેચાયાં. એક પુસ્તક તો 50 રૂપિયામાં વેચાયું એવું ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે.

•••

આ સમયે ગાંધીજીને શંકરલાલ બેંકર, ઉમર સોબાની, બેન્જામિન હોર્નિમન અને સરોજિની નાયડુ જેવાં નેતાઓનો સાથ હતો.

07 ઍપ્રિલ 1919ના દિવસે ગાંધીજીએ ‘ઇન્ડિયન પ્રેસ એક્ટ’ના વિરોધમાં અડધા પાનાની, ‘સત્યાગ્રહી’ નામની, એક પત્રિકા પ્રગટ કરી. તેમાં સંપાદક તરીકે ગાંધીજીનું નામ હતું. અને લેબરનમ રોડનું સરનામું હતું. તેમાં જણાવાયેલું કે આ પત્રિકાની કાયદેસર નોધણી (registered) નથી થઈ. માટે તેનું લવાજમ નથી.

આ સત્યાગ્રહ પછી ગાંધીજી સશક્ત નેતા તરીકે રાષ્ટૃના રાજકારણમાં ઉપસી આવ્યા. રાજકારણ વિશેનો તેમનો આગવો દૃષ્ટિકોણ, જુદા જ પ્રકારની રણનીતિ અને જુદા જુદા વૈચારિક પ્રવાહોને એક સાથે લાવવાની ક્ષમતા લોકપ્રિય બન્યા. ફિરોજશાહ મહેતા ને ગોપાળકૃષ્ણ ગોખલેનું નિધન 1915માં થયું. દાદાભાઈ નવરોજીનું મૃત્યુ 1917માં અને બાળ ગંગાધર તિલકનું 1920માં. દેશના રાજકારણમાં શૂન્યાવકાશ થયો ત્યારે ગાંધીજીનો તેમાં પ્રવેશ થયો. 12 ઍપ્રિલ 1919ના પત્રમાં તો ટાગોરે ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધ્યા.

ગાંધીજીના દેશવ્યાપી અસહકાર આંદોલનનો આરંભ થયો મુંબઈમાં 1920માં.ગાંધીજીએ મણિ ભવનથી જ 22 જૂન 1920ના વાઇસરોયને પત્ર લખ્યો કે ‘બધા મુસ્લિમો અને હિંદુઓ બ્રિટિશ શાસનના ન્યાય અને પ્રતિષ્ઠામાંથી વિશ્વાસ ગુમાવી બેઠા છે. એટલે હવે અસહકાર એ જ એક માત્ર બંધારણીય માર્ગ રહે છે.’ 

•••

01 ઑગસ્ટ 1920ના ખિલાફતના મુદ્દા સાથે સંકળાયેલ આ આંદોલનનો ઔપચારિક આરંભ થયો. ઉપવાસ, હડતાળ અને તિલકના મૃત્યુને દિવસે કાઢેલી શાંતિયાત્રા તેનો ભાગ હતા. મહમ્મદઅલી અને શૌકતઅલી પણ સાથે હતા. અસહકાર સમિતિઓ લોકોને માર્ગદર્શન આપેલું કે હોદ્દા અને માનપત્રો – ચાંદો છોડવા, સરકારી લોન યોજનાઓમાં ભાગીદાર ન થવું, સરકારી વકીલોએ વકીલાત છોડવી, લોકોએ પોતાની તકરારો પોતાની મેળે પતાવવી. સરકારી મિજલસોમાં ન જવું, મેસોપોટેમિયામાં નાગરિક કે લશ્કરી સેવા આપવા ન જવું, સૈન્યમાં અને ખાસ તો તુર્કી ક્ષેત્રોમાં ન જવું, અને સ્વદેશીનો પ્રચાર કરવો.

01 ઑગસ્ટના ગાંધીજીએ વાઇસરોય પર પત્ર લખી પોતાને મળેલા કેસર-એ-હિંદનો ખિતાબ અને સુવર્ણચંદ્રક પાછા આપ્યા.

પ્રોફેસર ભીખુ પારેખના શબ્દોમાં ગાંધીજીની અહિંસક લડતે લોકોનું સશક્તિકરણ કર્યું. એક તરફ તેમનું સંગઠન કરી સામૂહિક પગલાં લેવાનાં નવા માર્ગો ખોલ્યા. અને બીજી તરફ નૈતિક કે ભૌતિક મદદ સ્વીકારવાનો ઈન્કાર કરી દમનકારી શાસનને નબળું પાડ્યું. શાસનનો આત્મવિશ્વાસ હલાવી નાખ્યો અને તેની નિર્બળતા ખુલ્લી કરી.

આંદોલન સાથે વિદેશી કાપડનો બહિષ્કાર અને ખાદી પ્રચાર ગાંધીજીના પ્રમુખ રચનાત્મક કાર્યો રહ્યાં. તેમણે મુંબઈના વેપારીઓ અને નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરી. શહેરમાં પત્રિકાઓ વહેંચાઈ, લોકોને વિદેશી કાપડનો ત્યાગ કરવા અને ખાદી પહેરવા માટે સમજાવાયા. અને વિદેશી કપડાંની પ્રથમ હોળીનું આયોજન પરેલમાં આવેલી સોબાનીની એલ્ફિન્સ્ટન મિલ પાસે 31 જુલાઈ 1921ના રોજ થયું. ગાંધીજીના શબ્દોમાં ‘આજે આપણે આપણા શરીર પરથી એક પાપ દૂર કરી રહ્યા છીએ. પરદેશી કાપડ આપણી ગુલામીની નિશાની છે. એનો ત્યાગ કરીને આપણે આપણી જાતને પવિત્ર બનાવી રહ્યા છીએ … … પરદેશી કાપડ બાળવાની વિધિને હું એક પવિત્ર યજ્ઞ ગણું છું. અને આજે આ પવિત્ર વિધિ મારે હાથે થવાની છે એને હું મારું અહોભાગ્ય સમજું છું.’

લોકો તો સમાતા નહોતા. 10,000 થી 12,000 લોકો ભેગા થયેલા.

વિદેશી કાપડની બીજી હોળી 09 ઑક્ટોબરના તે જ સ્થળે પ્રગટાવવામાં આવી. સરોજિની નાયડુ, લાલા લાજપતરાય, મૌલાના આઝાદ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ઉમર સોબાની જેવાં નેતાઓ હાજર હતાં. 17 નવેમ્બરના ફરી એલ્ફિન્સ્ટન મિલના કમ્પાઉન્ડમાં હોળી થઈ. તે જ દિવસે પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈ આવેલા. તેમને આવકારવા ગયેલા લોકો કાઁગ્રેસ અને ખિલાફતના સ્વયંસેવકો સામસામા થયા. તારદેવથી ગિરગામ અને પરેલ રોડના પશ્ચિમ સુધી અશાંતિ વ્યાપી, રમખાણ થયું. વ્યથિત થઈને ગાંધીજીએ 19 નવેમ્બરથી ઉપવાસ શરૂ કર્યા. બધા સાથીઓએ, હિંદુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ તથા પારસીઓએ શાંતિ જાળવવાની ખાતરી આપી, ત્યારે ગાંધીજીએ 21 નવેમ્બરના ઉપવાસ છોડ્યા. આ ઉપવાસ પણ મણિ ભવનમાં થયેલા.

06 ઍપ્રિલ 1919ના રોલેટ સત્યાગ્રહ શરૂ થયેલો અને 13 ઍપ્રિલ 1919માં જલિયાવાલા બાગમાં નિર્દોષોના લોહીની નદી વહેલી. ગાંધીજીએ સૂચવેલું કે આ સપ્તાહને રાષ્ટૃીય સપ્તાહ ગણી આ દિવસો દરમિયાન સત્યાગ્રહ, હિંદુ-મુસ્લિમ એકતા ને સ્વદેશી સંબંધી કાર્યક્રમો યોજાવા જોઈએ. અને મુંબઈના લોકોએ તેમ જ કર્યું.

પછી તો 12 માર્ચ 1930ના દાંડીકૂચનો આરંભ થયો. ગાંધીજીએ દાંડીના તટ પર મીઠું ઉપાડ્યું અને મુંબઈ સક્રિય બન્યું. આ સમયે ગાંધીજી સદેહે મુંબઈમાં હાજર નહોતા. પણ મુંબઈનો પ્રતિસાદ અપૂર્વ હતો. વિલે પાર્લે અને ગિરગામ પ્રતિકારના કેન્દ્રો બન્યાં. જમનાલાલ બજાજ, કિશોરલાલ મશરૂવાળા, ગોકુળદાસ ભટ્ટ, શંકરરાવ દેવ, એસ.ડી. જાવડેકર, કેતકર અને કે.એફ. નરીમાન જેવા નેતાઓ મોખરે હતા.

વરલી, ચોપાટી અને અન્ય સ્થળોએ મીઠું પકવવાના કાર્યક્રમો થયા. 08મી ઍપ્રિલે કાઁગ્રેસ હાઉસની અગાસીમાં ખાસ સિમેન્ટની ચોકીઓમાં મીઠું પકાવાયું.

•••

અવંતિકાબાઈ અને કમલાદેવી આગળ રહેલાં. નરીમાન અને બજાજની ધરપકડ ઉજવવા પછી તો સભાઓ અને સરઘસોની કતાર થઈ. માટે ચોપાટી પર 3૦,૦૦૦ લોકોની સભા ભરાઈ. 13 ઍપ્રિલના રાષ્ટૃીય સપ્તાહના છેલ્લે દિવસે ચોપાટી પર સરઘસ કાઢી 50,000 લોકો ભેગા થયા. ભૂલાભાઈ દેસાઈ, કે.એમ. મુનશી અને મંગળદાસ પકવાસા જેવા વકીલોએ સ્વદેશી આંદોલનને જાહેર સમર્થન આપ્યું. અને 20 ઍપ્રિલના તો ચોપાટી પર જંગી સભા ભરાઈ. સરકારી આંકડા મુજબ 8,000 લોકો હતા, ‘બૉમ્બે ક્રોનિકલ’ના હેવાલ મુજબ એક લાખ હતા. સરોજિની નાયડુ, અવંતિકાબાઈ ગોખલે, કમલાદેવી, કે.એમ. મુનશી અને લીલાવતી મુનશી જેવાં વક્તાઓ હતાં. વડાલામાં સત્યાગ્રહે દેશનું ધ્યાન ખેંચ્યું. 15,000 લોકોએ તેમાં ભાગ લીધેલો.

ગણપતિ ઉત્સવમાં કાઁગ્રસનો ધ્વજ દેખાતો. તો ક્યાંક ગણપતિની મૂર્તિ પર ગાંધી ટોપી પણ દેખાતી.

આ સમય દરમિયાન પ્રભાત ફેરીઓ અને તે સમયે ગવાતાં ગીતો લોકપ્રિય થયાં. ‘નહીં નમશે, નહીં નમશે નિશાન ! ભૂમિ ભારતનું …’; ‘ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે, શૂરા જાગજો રે, કાયર ભાગજો રે … ડંકો વાગ્યો …’

1930ની હજુ એક વાત કહેવી બાકી છે. વિદેશી કાપડના બહિષ્કાર માટે લોકો પ્રતિબદ્ધ હતા. 12 ડિસેમ્બર 1930ના કાલબાદેવી વિસ્તારમાં બાબુ ગેનુ નામના એક કામદારે વિદેશી કાપડ ભરેલી ટૃકને અટકાવી અને તેને રોકવા માટે આે ઊભો રહ્યો. પણ ટૃક તેને કચડી ચાલી ગઈ. મુંબઈ આ શહાદતથી વ્યથિત બન્યું. શાંતિપૂર્ણ દેખાવો થયા અને તેમાં સ્ત્રીઓ અગળ રહી. દેશ સેવિકા સંઘના એક દુર્લભ અહેવાલમાં જણાવાયું છે કે સ્ત્રીઓએ નિષ્ઠાપૂર્ણ નેતૃત્વ પૂરું પાડ્યું. પરંપરાઓ તોડી. તેમણે શહીદની અંતિમયાત્રામાં ભાગ લીધો ને શહીદની ચિતાને અગ્નિદાહ આપ્યો.

રાજકીય પ્રવાહો બદલાયા. ગાંધીજી મુંબઈથી 29 ઑગસ્ટ 1931ના ‘એસ.એસ. રાજપૂતાના’ નામની સ્ટીમરમાં ગેળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા. અને ડિસેમ્બરના પાછા ફર્યા.  મુંબઈની જનતાએ તેમનું ઉષ્મામભર્યું સ્વાગત કર્યું. ગાંધીજી મણિ ભવનમાં રહ્યા. 04 જાન્યુઆરી 1932ની વહેલી સવારે 03 વાગે અહીંથી તેમની ધરપકડ થઈ. પોલિસ કમિશ્નર જી.એસ. વિલ્સન તેમની ટુકડી સાથે આવેલા.

•••

તેમણે આ ઘટનાનું તાદૃશ વર્ણન કર્યું છે. કેવી રીતે મણિ ભવનના દરવાના ખુલ્લા હતા. નાના જૂથમાં લોકો ઊભા હતા. કેવી રીતે દેવદાસ ગાંધી સાથે તેઓ અગાસી પર ગયા અને ગાંધીને જગાડ્યા. પોલિસ કમિશ્નરે તેમના ખભાને સ્પર્શ કરી તેમને કહ્યું કે તેમની ધરપકડ કરવામાં આવે છે અને તૈયારી માટે અડધો કલાક આપ્યો. મૌન હોવાથી ગાંધીજીએ લખ્યું, બરાબર અડધા કલાકમાં હું તૈયાર થઈ જઈશ. મીરાંબહેને સામાન તૈયાર કર્યો અને સામાનમાં તો શું હોય ? એક શેતરંજી, બે થેલી, ફળોની ટપલી, પગની ચાખડી અને દૂધની શીશી. પ્રાર્થના થઈ. ‘વૈષ્ણવજન તો તેને કહીએ રે …’ ગવાયું અને ગાંધીજી વિદાય થયા.

અને હવે વાત કરીએ 1942ની લડતની − ‘ક્વીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ની, ત્યારે મુંબઈ રાજકીય ચેતનાથી ધમધમતું શહેર હતું. 07 અને 08 ઑગસ્ટના ગોવાળિયા ટેંકના મેદાનમાં − આજના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં − અખિલ હિંદ કાઁગ્રેસ મહાસમિતિનું અધિવેશન ભરાયેલું, જ્યાં ‘ક્વીટ ઇન્ડિયા’નો ઐતિહાસિક ઠરાવ પસાર થયેલો. જવાહરલાલ નહેરુએ તેને મૂકેલો અને સરદાર પટેલે તેને અનુમોદન આપેલું. ગાંધીજીના શબ્દોએ પ્રજામાં નવચેતનાનો સંચાર કર્યો. તેમણે કહેલું કે ‘જે ઘડીએ ગુલામ એમ માને કે હું સ્વાધીન છું, તે જ ઘડીએ તેની જંજીર તૂટી જાણવી.’

અને તેમના ન ભૂલી શકાય તેવા શબ્દો −

‘હું તમને ટૂંકો મંત્ર આપું છું. તેને તમારા હૈયે કોતરી રાખજો અને શ્વાસે શ્વાસે તેનો જાપ ચાલવા દેજો. એ મંત્ર છે – Do or Die – કરેંગે યા મરેંગે. હિંદને કાં તો આઝાદ કરીશું નહીં તો મરી ફીટશું.’ 09 ઑગસ્ટના ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. હવે લોકો પોતે જ પોતાના નેતા બન્યા, નિર્ણયો લેવા લાગ્યા. અને લડત આગળ વધવા લાગી. મુંબઈમાં હડતાળ, સરઘસ અને દેખાવો યોજાવા લાગ્યા. એલ્ફિન્સ્ટન કૉલેજ, રૂઈઆ કૉલેજ, ખાલસા કૉલેજ, વિલ્સન કૉલેજ તથા અન્ય શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લડતમાં ભાગ લીધો. સરકારી ઈમારતોમાં તોડફોડ થઈ, ટેલિફોન – તારનાં દોરડાં કપાયાં, વાહનવ્યવહારમાં અવરોધો મૂકાયા. રેલ માર્ગોની પટ્ટીઓ ઉખાડવામાં આવી. શહેરમાં ગોળીબાર થયો અને થોડી જગ્યાએ બોમ્બ પણ ફૂટ્યા. મુંબઈ પર ઑગસ્ટ ક્રાન્તિનું પૂર ફરી વળેલું. તે સાથે ગાંધીજી પ્રત્યેનો પ્રેમ પણ અકબંધ રહ્યો. ઑક્ટોબરમાં ગાંધીજીના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગાંધી સપ્તાહનું આયોજન કરવામાં આવેલું.

02 ઑક્ટોબર − સંપૂર્ણ હડતાળ

03 ઑક્ટોબર − ત્રિરંગી દિવસ – ધ્વજના રંગ પહેરવાના

04 ઑક્ટોબર − Do or Die દિવસ – પ્રભાત ફેરીઓ

05 ઑક્ટોબર − Quit India દિવસ

06 ઑક્ટોબર − આઝાદ દિવસ

07 ઑક્ટોબર − ધ્વજ વંદન

08 ઑક્ટોબર − સંપૂર્ણ હડતાળ અને પાંચ વાગે પ્રાર્થના

09 ઑક્ટોબર − પ્રજાના પ્રતિસાદ પર આધારિત. ગાંધિજીની ધરપકડને બે મહિના પૂરા

•••

30 જાન્યુઆરી 1948ના દિવસે ગાંધીજીની હત્યા થઈ અને મુંબઈ શોકમાં ડૂબી ગયું. તેમની ચિતા દિલ્હીમાં પ્રગટી ત્યારે મુંબઈના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ સ્નાન કર્યું. ફેબ્રુઆરી 1948માં તેમના અસ્થિકુંભને દર્શન માટે ટાઉન હૉલમાં ખાદીથી આચ્છાદિત સ્થળ પર રાખવામાં આવ્યો. લોકોએ અશ્રુભરી અંજલિ પોતાના લાડકા નેતાને આપી. લોકોના ઘરોમાં રસોઈ ન થઈ. 12 ફેબ્રુઆરીના તેમના અસ્થિને ચોપાટીના દરિયામાં પધરાવવામાં આવ્યા, ત્યારે પાંચ લાખથી વધુ લોકો ભેગા થયેલા. વાતાવરણ મહાત્માના પ્રિય ભજનો, ગીતા અને કુરાનના પાઠ અને અવેસ્તાની પંક્તિઓથી ભરાઈ ગયું.

રચનાત્મક કાર્યો માટે અને ખાદી પ્રચાર માટે મુંબઈ ગાંધી સાથે રહ્યું. અહીં સ્વદેશી અને રાષ્ટૃભાષાને લગતા ઘણા કાર્યક્રમો થયા. બનતા સુધી દેશનો પહેલો ખાદી ભંડાર 1920માં ખૂલ્યો મોરારજી ગોકુલદાસ મારકેટમાં. તેનું ઉદ્દઘાટન ગાંધીજીએ કરેલું.

સ્ત્રીઓનું ગાંધીપ્રેરિત કાર્યોમાં અપૂર્વ યોગદાન રહ્યું. તેમણે ખાદી અપનાવી અને પોતાના ઘરમાં જ ગાંધીવિચારની જ્યોત જલાવી. નાનામોટા વેપારીઓ, દુકાનદારો, દલાલો અને તેમના સંગઠનોએ ગાંધીને સમર્થન આપ્યું. બી.આર. નંદાએ નોંધ્યું છે કે પૈસાદાર કરતાં ગાંધી નાના માણસો પાસેથી વધુ આશા રાખતા અને તેમની આ આશા સફળ થતી. (યુવા પેઢીએ ગાંધીને સાથ આપ્યો. કૉલેજ છોડી, સલામત ભવિષ્યનો વિચાર છોડ્યો, પરિણામની પરવા ન કરી.)

દેશહિત માટે રચનાત્મક કાર્યો માટે ગાંધીજીને જ્યારે પણ ધનરાશિની જરૂર પડી, ત્યારે મુંબઈએ સરસ પ્રતિસાદ આપ્યો. તિલક સ્વરાજ ફંડ માટે ગાંધીજીએ એક કરોડ રૂપિયાની રકમ નક્કી કરેલી, અને સમય હતો 1921ના જૂન મહિનાના અંત સુધી. મુંબઈમાં 1921નું રાષ્ટૃીય સપ્તાહ (06 થી 13 ઍપ્રિલ) આ કાર્ય માટે સમર્પિત રહ્યું.  ગાંધીજીને મુંબઈની પ્રજા પાસેથી મોટી આશા હતી અને લોકોએ પણ તેમને નિરાશ ન કર્યા. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કામદારો, કલાકારો, સ્ત્રીઓ અને પુરુષો − બધાંએ યથાશક્તિ ફાળો આપ્યો, જે કુલ 37,50,000 રૂપિયાનો થયો. ગાંધીજીએ 06 જુલાઈ 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખ્યું કે :

‘Bombay is beautiful, not for its big buildings for most of them hide squalid poverty and dirt, not for its wealth for most of it is derived from the blood of the masses, but for its world renowned generosity … Bombay’s charity has covered a multitude of her sins. In respect of the Tilak Swaraj Fund, Bombay has beaten her past records …. She enabled India to keep her promise.’

મુંબઈની જનતાએ જલિયાવાલા મેમોરિયલ માટે, હરિજન ફંડ માટે અને કસ્તૂરબા ગાંધી નેશનલ મેમોરિયલ ફંડ માટે પણ સારું યોગદાન કરેલું.

મુંબઈ ગાંધીજીના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ સ્થળ બનેલું. 1918ના અંતમાં અને 1919ના આરંભમાં મણિ ભવનમાં રહેલા અને 1944માં ગાંધીગ્રામ જૂહુમાં નરોત્તમ મોરારજીના પ્રાંગણમાં જહાંગીર પટેલે બાંધેલી કુટિરમાં.

29 ઑગસ્ટ 1924 અને 18 ઑપ્રિલ 1931ના બૉમ્બે મ્યુનિસિપલ કોરપોરેશને ગાંધીજીને માનપત્ર આપેલ.

ગાંધી અને મુંબઈનો સંબંધ અર્થપૂર્ણ રહ્યો, સ્નેહપૂર્ણ રહ્યો, મહત્ત્વપૂર્ણ રહ્યો. મુંબઈએ તેમના નેતૃત્વને સ્વીકાર્યું અને યોગ્ય પ્રતિસાદ આપ્યો. મુંબઈના નામી – અનામી દેશપ્રેમીઓનું અનેરું યોગદાન હતું. સત્યાગ્રહમાં સભાઓ યોજવામાં, સરઘસ કાઢવામાં, રચનાત્મક કાર્યોમાં, પ્રભાત ફેરીઓ અને મિટિંગો યોજવામાં અને દૈનિક જીવનમાં ગાંધીવિચારનાં તત્ત્વોનો સમાવેશ કરવામાં.

ગાંધીએ મુંબઈને નવી દિશા આપી, નવી ઉર્જા આપી.

ગાંધી અને મુંબઈને એકબીજાને સાથ હતો. આઝાદી મેળવવા માટે તેઓ રાહ શોધતા ગયા, પામતા ગયા અને ધ્યેય માટે આગળ વધતા ગયા.

મણિ ભવનનો અને ગાંધીનો ખાસ સંબંધ રહ્યો. 1917થી 1934 સુધી, જ્યારે પણ મુંબઈ આવ્યા ત્યારે અહીં જ રહ્યા. અને અહીંથી રાજકીય પ્રવૃત્તિઓ કરી.

અને આ ઇતિહાસની − આ સંબંધની થોડીક ઝલક હવે બતાવશે સંધ્યાબહેન મહેતા સ્લાઇડ્ઝ દ્વારા. ગાંધીજીને મુંબઈમાં આપણે જોયું તેમ ઘણા નેતાઓનો સાથ મળ્યો. અને તે સાથે રસપ્રદ વાત તો એ છે કે ઘણાં સ્થળોને તથા ખૂલી જગ્યાઓને તેમણે રાજકીય રંગ આપ્યો, – જેમ કે મોરારજી ગોકલદાસ હૉલ, મુઝફરાબાદ હૉલ, કાઁગ્રેસ હાઉસ, મણિ ભવન અને ચોપાટી તટ, જૂહુ તટ, શાંતારામ ચાલ અને ફ્રેન્ચ બ્રિજ પાસેની જગ્યાઓ, ગોવાળિયા ટેંક મેદાન, વગેરે.

[2,373]

Mani Bhavan Gandhi Sangrahalaya, Mani Bhavan, 19 Laburnum Road, Gamdevi, MUMBAI – 400 007   

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની શનિવાર, 02 ઑક્ટોબર 2021ની વર્ચૂઅલ બેઠકમાં રજૂ કરાયેલું વક્તવ્ય.]

મુદ્રાંકન : વિપુલ કલ્યાણી

Loading

મંદિર સર્જાયું અને ઘંટારવ વાગ્યો :

મેધા જોશી|Diaspora - Features|20 October 2021

તમે સહેજ જમણી બાજુ નજર કરી જુઓ, ભીમસેન જોશી, લત્તા મંગેશકર, પંડિત જસરાજજી, વગેરે ચહેરા દેખાય છે ? હવે ડાબી બાજુ જુઓ, પંડિત હરિપ્રસાદ ચોરસિયા, પંડિત શિવકુમાર શર્મા, ઝાકીર હુસેન દેખાય છે ? હવે સહેજ ઊંધા ફરો, બિરજુ મહારાજ, વૈજંતી માલા, મૃણાલિની સારાભાઈ, જેવાં નૃત્યકાર દેખાય છે ? હવે દરેક દિવાલથી નજીક જઈને સહેજ કાન ધરો, તમને સારંગીના સૂર, પૂર્વા ધનાશ્રી રાગ, જપ તાલ કે યમન કલ્યાણના આલાપ સંભળાય છે? હવે તમે એકદમ સામે નજર કરો, કલાત્મક ચિત્ર ઉપર કશું વંચાય છે? યસ, બૈજુ બાવરા તાના રીરી હોલ. આમ તો એ મોટા ખંડને હોલ કહેવું ગમે નહિ, એમાં સ્વર, શબ્દ, રંગ, લય અને સાથે વિચારોની સાધના થાય, આ સ્થળને કોઈ પણ કલાકાર માટેનું યાત્રાધામ કહેવું હોય તો પણ કહી શકાય. કમરાના ખૂણે ખૂણે, દરેક કણ ને તમે જુઓ અને સંવેદો પછી સ્વગત જે બોલો તે વાહ, આફ્રિન, અદ્દભુત જેવા દરેક ઉદ્દગાર થાય. તમને સંસ્કૃતિના જતનમાં એક ક્ષણ માટે પણ કૈક યોગદાન આપવાનું મન થાય, તમને સાહિત્ય, સંગીત અને નૃત્યના ભવ્ય વારસા વિષે વધુ જાણવાની ઇચ્છા થાય અને જો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવો તો તમને એમના ‘જય સચ્ચિદાનંદ’.

મૂળ કરમસદના વતની રમેશ પટેલ, કવિ ‘પ્રેમોર્મિ’નાં સર્જનમાં સેંકડો કાવ્યો, કેટલાક ગદ્ય ખન્ડ અને શબ્દ-સૂરનો સાધના ખંડ "બૈજુ બાવરા તાનારીરી હોલ" ઉપરાંત માપી ના શકાય એટલી ચાહ અને સન્માન છે. કરમસદમાં નવકલા સંસ્થાના સ્થાપક રમેશભાઈ પટેલની દશેરાના દિવસે દેહ વિદાય થઇ છે.

દરેક કલા સાધકમાં પ્રભુ નિહાળતા રમેશ પટેલ ખરેખર બાવરા હતા. જીવન પર્યન્ત એમની પાસે એક અમૂલ્ય વસ્તુ હતી, જીદ. બર્મામાં જન્મેલા આ ચરોતરી પટેલને આમ તો ગુજરાતી ભાષા સાથે સીધો શૈક્ષણિક સંબંધ ના હતો, પરંતુ નાનપણથી જ કવિતા પ્રત્યે અનુરાગ હતો. રંગુનથી કરમસદ આવેલા રમેશભાઈને ગુજરાતી ભાષા માટેની પ્રીતિ એટલી વધુ હતી કે તમને માતૃભાષામાં જ પૂર્ણ શિક્ષણ મેળવવાની ઇચ્છા હતી, પરંતુ પારિવારિક કારણોને લીધે ત્યાર બાદ તેઓ નાસિકમાં રહ્યા અને પછી ભારતની બહાર એક એક ભૂમિ એમની રાહ જોતી હતી જ્યાં એમના થકી આમૂલ પરિવર્તન આવવાનું હતું. આમ તો એ અંગ્રેજની ભૂમિ હતી અને એમાં માત્ર રોજગારી સાથેની મૂડી તો મેળવવાની જ હતી પરંતુ સાથે ભારતનો નકશો અંકિત કરવાની એમની એક જીદ હતી.

નાસિકમાં રસોઈકલા શીખનાર રમેશભાઈએ પત્ની ઉષાબહેનના સહકારથી લંડનની ધરતી પર “મંદિર" ઊભું કર્યું. પહેલીવાર લંડનમાં શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટની શરૂઆત રમેશભાઈએ કરી, જેનું નામ મંદિર. ક્લબ, બાર, ડાન્સ અને ડાઈનની સંસ્કૃતિમાં લંડનના હાર્દ સમા વિસ્તારમાં આ ગુજરાતી ભડવીરે ભલભલાને થેપલાં અને ઢોકળાં ખાતાં કરી દીધા. સ્ત્રીઓ માટે કહેવાય છે ને કે તમારે જો પતિના કે શ્વસુર પક્ષના દરેક સભ્યોના હૃદયમાં જગ્યા કરવી હોય, તો સ્વાદિષ્ટ વ્યંજન થકી, એમની હોજરીમાં પહેલા કરજો. રમેશભાઈ માટે આ વિચાર સાચો પડ્યો. અતિથિને જમાડવાની સાથે રમેશ ભાઈએ વિચારોને પણ પીરસ્યા, કદાચ એનું જ પરિણામ લંડનના પ્રખ્યાત આલ્બર્ટ હોલમાં મેળવવાનું હતું.

"મંદિર" એક રેસ્ટોરન્ટ હોત તો એમાં મેનુકાર્ડમાં વાનગીની વધ ઘટ કે સામે લખેલ એના કિંમતમાં સરવાળા થાત, પરંતુ રમેશ પટેલના મંદિરમાં પંડિત રવિશંકર હોલ નામનો એક ખન્ડ બન્યો. આજે દેશ- વિદેશમાં બૉલીવુડ સેલિબ્રિટી ને મનોરંજન માટે આમંત્રણ મળે છે આ તો 1960થી 1990ના ત્રણ દસકાની વાત હતી. ઉસ્તાદ અલી અકબર ખાન હોય, પંડિત રવિશંકર, હરિપ્રસાદ ચોરસિયા, અનુપ જલોટા, બિરજુ મહારાજ, આશિત દેસાઈ, વગેરે કલા સાધકોને નિમંત્રણ આપ્યું અને તે સાથે લંડનમાં એક વાતાવરણ સૂરીલું કર્યું.

ભારતના શાસ્ત્રીય સંગીત અને નૃત્યના કોઈ પણ કલાકાર લંડન જાય ત્યારે મંદિર અને રમેશભાઈ એમનું કાયમી સરનામું રહેતા. નાના-મોટા સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન કરી આ જિદ્દી માણસે ખરા અર્થમાં એક પારકી ભૂમિમાં ભારતનો નકશો અંક્તિ કર્યો. લંડનના અને વિશ્વના અતિ પ્રસિદ્ધ આલ્બર્ટ હોલમાં શાસ્ત્રીય સંગીતની મોટી કોન્સર્ટના આયોજનથી માંડીને ગુજરાતની સિગ્નેચર જેવા રાસ નૃત્યને મંચ સુધી લઇ ગયા. હજારો પ્રેક્ષકોની સામે રમેશભાઈએ ખુદ ગરબા રાસ કર્યા અને એ સિલસિલો એમના જીવનમાં પૂરા પંચ્યાસી વર્ષ ચાલ્યો. નૃત્ય અને ગરબાને બેસ્ટ સાયકોથેરાપિ ગણતા રમેશભાઈએ એમની માતાના સ્મરણમાં શરદપૂનમની રાત્રે કાયમ ગરબા રાસનું આયોજન કર્યું.

આ રમેશ પટેલ નામક વ્યક્તિની અલગ અલગ ઓળખ પ્રમાણે લોકો એમને ઓળખતા. ગજરાતી ભાષાના વાચક એમને એક ભક્ત કવિ તરીકે પણ ઓળખતા. આ એવા ગુજરાતી જે સ્કૂલ કે કોલેજમાં ક્યારે ય ગુજરાતી વિષય ભણ્યા નથી. શિખરિણી કે મંદાક્રાંતા એમના સિલેબસમાં ક્યારે ય ન હતા. તે છતાં કવિતા એમની માટે સાહજિક હતી. એમનું ‘હૃદયગંગા’ પુસ્તક નવ ભાષામાં અનુવાદ તો થયું પરંતુ એ પુસ્તક માત્ર વાંચવા જેવું નથી, પરંતુ જોવા જેવું પણ છે. આ પુસ્તકમાં કુલ 51 રચનાઓનો સમાવેશ છે આ દરેક રચનામાં પ્રેમ અને પ્રકૃતિ છે.

અહીં એક અંગત અનુભવ ટાંકુ છું. મોબાઈલના સ્ક્રીન પર ટ્યુન સાથે ઝબકારો થાય અને સામે "રમેશ અંકલ" નામ ચમકે, ફોનમાં રણકા સાથે અવાજ સંભળાય "જય સચ્ચિદાનંદ બેટા, ક્યાં છે તું ?તારો બાપ હજી જીવે છે, હવે સાંભળ સાવ અચાનક કૈક અવતર્યું છે .. પ્રાણાયામ પછી આંખ બંધ કરીને બેઠો હતો, કૃષ્ણનું નામ તો કદાચ મનમાંથી સર્યું હશે, ત્યાં તો ગોપીઓ ગીત લઈને આવી ગઈ ..” આવું કૈક કહીને સાવ તાજી જન્મેલી કવિતા એ ફોન પર સંભળાવતા. બે ત્રણ કવિતા પછી કહેતા કે, હવે આવ, મારે ઘણું કામ કરવાનું છે હજુ. "એંશી વર્ષ ક્રોસ કર્યા પછી ક્યાં ય થાક, નાસીપાસ થવું કે રોદણાં રડવા જેવું એમનામાં દેખાતું નહિ. કારણ કે એમની ભાષામાં કહું તો એમની પાસે કવિતાદેવી હતી.

લંડનથી શરૂ કરેલી કલાયાત્રા વડોદરામાં વિસ્તરી અને વડોદરામાં પણ નિવાસ સ્થાને કાલા મંડપની અદ્દભુત બંધાણી કરીને સાંસ્કૃતિક સંવર્ધનનું કામ કર્યા બાદ, માદરે વતન એવી કરમસદની ભૂમિ પર સ્થાયી થયા. અદ્દલોઅદ્દલ વડોદરા જેવો જ સભાગૃહ એમણે કરમસદમાં બનાવ્યો. દર મહિનાના પહેલા રવિવારે અલગ અલગ કલાકારોને આમંત્રણ આપીને નવકલા સંસ્થાના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કર્યું. ચરોતર વિસ્તારના તાલીમ લેતા અને ઊગતા કલાકારોને મંચ આપ્યું, સિદ્ધહસ્ત કલાકાર રમેશભાઈને સામેથી કાર્યક્રમના આયોજન માટે ફોન કરતા. આ કાર્યક્રમમાં આ પટેલની કલાગીરી (થોડી ઘણી દાદાગીરી) પણ વિશેષ અને નવીન રહેતી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશ, ભાષા, તાળી પાડવાની રીત, વડીલના આશીર્વાદ લેવાની રીત, સમય પાલન, વગેરે ઝીણી ઝીણી બાબતો એ કહેતા અને એક આખી પેઢીને આકાર આપવામાં સફળ રહ્યા. લંડનમાં ઓર્ગેનિક સ્ટોર અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ શરૂ કરનાર રમેશભાઈએ યોગ, વૈદિક અને પ્રાકૃતિક ચિકિત્સામાં પણ ઘણું કામ કર્યું. કવિ વિભૂષિત, વિશ્વ હિન્દી સન્માન એવોર્ડ, શાંતિનિકેતનમાં "પ્રેમોર્મિ"નું સન્માન, જેમ ઓફ ઇન્ડિયા એવોર્ડ જેવા ઘણાં સન્માન એમને એનાયત થયાં.

જે હવા થકી ન ઊડી શકે ના અગ્નિથીયે બળી શકે
ના જલ કદી ભીંજવી શકે … એ આત્મા છું

જે અખંડિત, ના વિભાજીત આનંદનો સ્થિર મર્મ
જે સત્ત – ચિત્ત બનીને વિચરે … એ આત્મા છું

નાદબ્રહ્મનું હું સ્વરૂપ ને બ્રહ્મ થઇ બ્રહ્માંડ જે
સમયના બંધન કશામાં .. એ આત્મા છું

જ્યોતિ સ્વરૂપનું રૂપ હું ને, દૃશ્ય થઇ અદૃશ્ય સઘળે
અંત:સ્તલે હું પ્રગટું છું ને …. એ આત્મા છું

હું અહીં ને નજીક દૂરમાં .. તદ્દદૂરે અન્તીકે જે
આનંદ પથ પર વિસ્તરું … એ આત્મા છું

આ કાવ્યના રચયિતા કવિશ્રી રમેશ પટેલ ઉર્ફે પ્રેમોર્મિ હવે આત્મા સ્વરૂપે છે. રમેશ પટેલ મૂળ કરમસદના છે એમ કહેવાય, પરંતુ એ વિશ્વમાનવી હતા. રમેશ પટેલ ખરા અર્થમાં પ્રેમોર્મિ હતા.

નોંધ : રમેશ પટેલ એક વિશાળ વ્યક્તિત્વ અને અર્થપૂર્ણ જીવન હતા. અહીં એમની સાથે થયેલ અઢળક વાતોની સ્મૃતિમાંથી થોડાં અંશ મૂક્યાં છે.

‘મનોગ્રામ’, ૨૦/૧૦/૨૦૨૧

સૌજન્ય : ‘લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ગાંધીના નામનો સદુપયોગ અને તેનો દુરુપયોગ

મૂળ લેખક : રામચંદ્ર ગુહા • અનુવાદક : આશા બૂચ|Opinion - Opinion|20 October 2021

(ભારતના ઇતિહાસવિદ્દ અને 'The Unquiet Woods' તથા 'Spin and Other Turns' ઉપરાંત અનેક પુસ્તકોના લેખક તરીકે પ્રખ્યાતિ પામેલા, બેંગ્લોર સ્થિત રામચંદ્ર ગુહા, તેમના આ લેખ દ્વારા ભારતીય પ્રજાને ગાંધી ખરેખર કોણ હતા, અને આપણે તેમની પાસેથી શું શીખી શકીએ, તે વિષે જાગૃત કરવા માગે છે. આપણી સાંસ્કૃતિક અને આર્થિક ઊણપો માટે પશ્ચિમને દોષિત ઠરાવવાની આપણી વૃત્તિ કેટલી અર્થવિહીન છે તે સમજાવે છે. તેને બદલે તેઓ ઇચ્છે છે કે ભારતના લોકો પશ્ચિમ પાસે જે સારું છે, તે સ્વીકારે અને નઠારું છે તે છોડી દે. એ માટે તેમણે જાપાન અને સિંગાપોર જેવા દેશોના ઉદાહરણો ટાંક્યા છે, જે દેશોએ પોતાની સંસ્કૃતિને જરા પણ આંચ આવવા નથી દીધી છતાં ઘણી બાબતોમાં પશ્ચિમનું અનુસરણ કર્યું છે.)

મોટા ભાગના ભારતીયોને મન ગાંધી એ નીતિમત્તાનું એક ચરમ બિંદુ છે, કે જેમની તુલના જાહેર સંબોધનોમાં અસર ઉપજાવનાર તરીકે અમેરિકાના થોમસ જેફર્સન કે ઇસ્લામિક દેશોમાં કુરાનના સ્થાન સાથે સરખાવી શકાય. આથી જ તો દેશની પ્રજાના જીવનને સ્પર્શતા ઘણા ખરા મુદ્દાઓની ચર્ચાઓમાં ગાંધીના મતનું અવતરણ ટાંકવામાં આવે છે. જો કે ગાંધીના વિચારોનો વર્તમાન સમયમાં ઉલ્લેખ કરવા પાછળનો મકસદ મહદ્દ અંશે પશ્ચિમ વિચારધારા ઉપર આક્રમણ કરવાનો છે એ તેની ખાસિયત છે. કેટલીક સામાજિક સમસ્યાઓનો રાજકીય હેતુસર ઉપયોગ કરનારાઓ અને કિસાનોના નેતાઓ આ બાબતમાં સામ્ય ધરાવે છે; ગાંધીનું નામ પશ્ચિમને બદનામ કરવા ઉપયોગમાં લે છે.

ભારત સ્વતંત્ર થયું ત્યાર બાદનાં વર્ષોમાં પશ્ચિમના દેશો પર આક્રમણ કરવાના પ્રયાસોમાં વર્ષોવર્ષ વૃદ્ધિ થતી રહી છે. બ્રિટિશરોની વિદાય બાદ, 70 વર્ષે પણ આપણાં અખબારોમાં પશ્ચિમના આધિપત્યની વાતોનો ક્યારે ય અંત નથી આવ્યો. જમણેરી વિચારધારા ધરાવનારા રૂઢિચુસ્ત હિંદુઓ કે જેમને એમ.ટી.વી. અને તેના જેવા અન્ય માધ્યમો દ્વારા આપણી પારંપરિક સભ્યતાને લૂણો લાગવાનો ભય છે, ડાબેરી વિચારધારા ધરાવતા રાષ્ટ્રવાદીઓ, કે જેઓ એવી માન્યતા ધરાવે છે કે વિદેશી મૂડી આપણા દેશના વિકાસને રૂંધશે અને ગરીબીમાં વધારો કરશે, સરકારના નોકરિયાતો અને અમલદારો, કે જેમને ભય છે કે આ નવ્ય એકરંગી જગતમાં અમેરિકાનું રાજકીય પ્રભુત્વ વધવાની શક્યતા છે, તેમને એવી દહેશત છે કે વિદેશી હાથ આ બધા વિકાસ પાછળ કામ કરી રહ્યો છે, જેનાથી ભારતની એકતા, સ્વનિર્ભરતા અને અખંડિતતા જોખમાઈ રહી છે. આ વિદેશી હાથનો રંગ હંમેશ સફેદ હોય છે, જો કે એની ચોક્કસ રાષ્ટ્રીયતા સાબિત કરવી ક્યારેક મુશ્કેલ હોય છે.

વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદનું પ્રદર્શન પૂરજોશમાં પ્રવર્તમાન છે, જેના પુરાવા મારા જેવા બુદ્ધિજીવીઓની જમાતમાં તેના ફેશન કોડના રૂપમાં પુષ્કળ જોવા મળે છે. એક સમય એવો હતો કે મોટા ભાગના બુદ્ધિજીવીઓ માર્ક્સવાદી હતા, આજે અમારામાંના મોટા ભાગના બહુ સાંસ્કૃતિક વલણ ધરાવનારા છે. વિદ્વાનો અને સમાજશાસ્ત્રના નિષ્ણાતો જે કાચમાંથી વિશ્વને જુએ છે તેને કારણે સંસ્કૃતિ અને સભ્યતાના વર્ગીકરણે વર્ગ અને મૂડીવાદના પ્રકારોનું સ્થાન લઇ લીધું છે. જ્યાં વિદ્વત્તા વિદ્યમાન હોય ત્યાં આક્ષેપો કરવાનું ચલણ હોય અને એ પરિવર્તન બદલાતા જતા દુરુપયોગના શબ્દકોશ જેટલો સ્પષ્ટ ભાગ્યે જ ક્યાં ય જોવા મળે.

માર્ક્સવાદના સુવર્ણ કાળમાં જો કોઈ લેખક કોઈ વિચાર સાથે અસહમત થાય તો તેને મૂડીવાદના ખુશામતિયા કે સામ્રાજ્યવાદના પૂંછડી પટપટાવતા કૂત્તા જેવો ગણીને અવગણવામાં આવતો. હવે આ ઘઉંવર્ણા બહુ સાંસ્કૃતિક યુગમાં એવા અપરાધીઓ ઉપર યુરોસેન્ટ્રિક હોવાનો કે પોતાની સંસ્કૃતિ માટે ઘમંડ ધરાવતા હોવાનો આક્ષેપ મુકવામાં આવે છે. કોઈ પણ જાતના ખાસ પ્રયત્ન વિના મૂડીવાદી ધનિકો અને કામદારો વચ્ચનો સંઘર્ષ પશ્ચિમ અને તે સિવાયની સભ્યતાઓ વચ્ચેની જદ્દોજહદમાં બદલાઈ ગયો.

બે સભ્યતાઓ વચ્ચેના તફાવતની બાબતમાં બે કટ્ટર વિચારધારાઓના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કુતૂહલ ઉપજાવે તેવું સામ્ય જોવા મળે છે અને તે માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ જોવા મળે. ઉદારણ તરીકે અમેરિકાના વિદ્વાનોના જગતમાં હાર્વર્ડના સેમ્યુઅલ હંટીન્ગટન પશ્ચિમની તરફદારી જોરશોરથી કરે, તો કોલંબિયાના એડવાર્ડ સેઈડ બાકીના દેશો માટે બુમરાણ મચાવી મૂકે. આ બન્ને ધુરંધરો સભ્યતાઓને એકબીજાને પરસ્પર સમાવિષ્ટ કરનારી નહીં તેવી, પરસ્પર વિરોધી અને ઘણે ભાગે એકબીજા પાસેથી કંઈ પણ શીખી ન શકે એવી વિભાવના તરીકે જુએ છે.

જેઓ સભ્યતાને બહોળા પરિપેક્ષ્યમાં જુએ છે તેઓ ગાંધીને તેમના આદર્શો અને ઠોસ અસ્તિત્વના સંદર્ભમાં સુએઝ નહેરથી પૂર્વના ભાગમાં સહેજે મૂકે. આથી જ બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના લોકો ગાંધીને તેઓની સંસ્કૃતિના ચાડિયાતાપણાનો સ્વીકાર ન કરતા હોવાને કારણે ડારો આપે, જ્યારે ભારતીય રાષ્ટ્રવાદીઓ ગાંધીના વિચારો પશ્ચિમી આધિપત્યનો વિકલ્પ પૂરો પાડતો હોવાનું માનીને તેમને સાદર સ્વીકારે. બ્રિટનના ટોરી પક્ષના સભ્યો અને ભારતીય રાષ્ટ્રવાદીઓ ગાંધીની એક પ્રખ્યાત ઉક્તિને સમજવા નિષ્ફ્ળ નીવડ્યા. ભારતનું રાજકીય ભાવિ નિશ્ચિત કરવા મળેલી બેઠકમાં હાજર રહેવા જ્યારે 1931માં ગાંધી લંડન ગયા, ત્યારે એક બ્રિટિશ પત્રકારે સવાલ પૂછ્યો, “તમે પશ્ચિમની સભ્યતા વિષે શું અભિપ્રાય ધરાવો છો?” જેના ઉત્તરમાં ગાંધીએ કહેલું, “મને લાગે છે કે જો એમ થાય તો એ એક ઉમદા વિચાર હશે.”

આ ઉક્તિ પાછળની રમૂજ સિવાય રાષ્ટ્રવાદીઓની એવી આશા હોય કે ગાંધી તેમના પક્ષે છે એમ જરૂર માની શકાય, કેમ કે ગાંધીજીએ તેમના રાજનૈતિક કાર્ય ફલકમાં દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરવા વણથાક્યા પ્રયાસો કર્યા, આર્થિક કાર્ય ફલકમાં સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું, માન્ચેસ્ટરની મિલમાં બનેલ કાપડને સ્થાને હાથે કાંતેલી-વણેલી ખાદીને પ્રસ્તુત કરી અને નૈતિક ફલકમાં તેમના વતન ગુજરાતની વૈષ્ણવ પરંપરામાંથી પોષણ મેળવીને કાર્ય કર્યાં. આ રીતે ભારતીય રાજકારણીઓ; પછી તે દગાબાજ હોય કે બીજા રાજકારણી હોય તેઓ તથા અન્ય બુદ્ધિજીવીઓ પશ્ચિમી સામ્રાજ્યવાદનો ઘરઘરાઉ વિકલ્પ શોધવા સીધા ગાંધી તરફ દોડે.

સવાલ એ થાય કે તો ગાંધી શું ખરેખર મૂળે ભારતીય હતા, કે ખરા હિન્દુ અને વિચારક હતા? કાર્લ માર્ક્સના પ્રખ્યાત શિષ્ય વી.આઈ. લેનિને એક વખત કહેલું, મારા માસ્ટરના વિચારો જર્મન તત્ત્વજ્ઞાન, બ્રિટિશ પોલિટિકલ ઈકોનોમી અને ફ્રેન્ચ ઇતિહાસ વિજ્ઞાન શાખાનું સંશ્લેષણ હતું. ગાંધીના વિચાર ઘડતર પાછળ તેમને અસરકર્તા લોકોની યાદી કરવા જઈએ તો ગાંધીના વિચારોમાં રશિયાનું લોકપ્રિયતાવાદ (લિઓ ટોલ્સટોય મારફત), અમેરિકન ઉદ્દામવાદી લોકશાહી (હેન્રી ડેવિડ થોરો દ્વારા) અને ઇંગ્લિશ ઔદ્યોગિકીકરણનો વિરોધ(જ્હોન રસ્કિન પાસેથી મળેલ વિચારો)માં ભારતીય વિચારધારાનું સંમિશ્રણ જોવા મળે.

આ હિન્દુ મહાત્માની બૌદ્ધિક સંપદાના ઋણના મૂળ જરૂર પશ્ચિમમાં જણાય છે. એમણે પોતે જ નોંધ્યું છે – તેમના ઉત્તમ ગણાતા પુસ્તક ‘હિન્દ સ્વરાજ (1909)’ના અંતમાં વધુ આગળ અભ્યાસ માટેના પુસ્તકોની સૂચિમાં ટૉલ્સ્ટૉયનાં છ પુસ્તકો, બે બે પુસ્તકો થોરો અને જ્હોન રસ્કિન દ્વારા લખેલા, ઉપરાંત પ્લેટો, મેઝિની, એડવર્ડ કાર્પેન્ટર અને અન્યનાં લખેલાં પુસ્તકોનો ઉલ્લેખ છે. એ યાદીમાં ભારતીય લેખકોમાંથી માત્ર દાદાભાઈ નવરોજજી અને રોમેશ ચન્દ્ર દત્ત જ સામેલ છે; જેઓએ ભારતીય સભ્યતાની શાન વિષે નહીં પરંતુ બ્રિટિશ રાજની ભારત ઉપર પડેલી આર્થિક અસરો વિષે લખેલ છે.

ગાંધીના સાંસ્કૃતિક બાબતો વિશેના ઉદાર મત અને તેમની પશ્ચિમના ઘણાં પાસાંઓ પ્રત્યેના અનુરાગનો પુરાવો  તેમની ઇંગ્લિશ વ્યક્તિઓ તથા દક્ષિણ આફ્રિકાના વતનીઓ સાથેની મૈત્રીમાં તેમ જ ખ્રિસ્તી ધર્મના ઊંડા અભ્યાસમાં અને બીજા વિશ્વયુદ્ધના અંધકાર ભર્યા દિવસો દરમ્યાન ઇંગ્લેન્ડ અને તેની સભ્યતા માટેની તેમની નિસ્બતમાં જોવા મળશે. આમાંની કેટલીક હકીકતોની યોગ્ય નોંધ લેવાઈ છે, પરંતુ આજે હું એક એવો ઠોસ પુરાવો આપવા માંગુ છું કે મારા જાણવા પ્રમાણે ગાંધી વિશેના કોઈ સાહિત્ય સંગ્રહમાં કે તેમના વિશેની જીવન કથાઓ  સુધી પહોંચ્યો નથી.

એ કથાના કથા નાયકો છે ભારતના યુસૂફ મહેરઅલી અને અમેરિકન બર્ટરામ ડી. વૉલ્ફ. બંને તેમના સમયમાં જાણીતા હતા, પણ વર્તમાન સમયમાં વિસરાઈ ગયા છે. મહેરઅલી સ્વાતંત્ર્ય સેનાની હતા, કાઁગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટીના સ્થાપકોમાંના એક હતા અને થોડા સમય માટે મુંબઈના મેયર રહી ચુક્યા હતા; જ્યારે વૉલ્ફ ઉગ્ર ડાબેરી વિચાર ધરાવતા હોવાને લીધે સ્ટાલિનના ટીકાકાર, અને Three Who Made a Revolution તથા અન્ય પુસ્તકોના લેખક તરીકે પ્રખ્યાત હતા. 1946માં  યુસૂફ મહેરઅલી અમેરિકામાં હતા. તેઓ ટ્યુબર કયુલોસિસથી પીડિત હતા અને અંતિમ દિવસો નજીક હતા. ભારતની કષ્ટદાયી જિંદગીથી બચવા અમેરિકા ગયા. તેમણે જીવનનાં છેલ્લાં દસ વર્ષમાંનો મોટો ગાળો જેલમાં વિતાવેલો. આમ છતાં ન્યુયોર્કમાં તેમના યજમાન બર્ટરામ ડી. વૉલ્ફને તેમના મિત્ર બ્રિટિશરો પ્રત્યે અસાધારણ એવા સૌમ્ય મિજાજમાં જોવા મળ્યા. આ પહેલાની મુલાકાતમાં મહેરઅલી સંસ્થાનવાદની અનિષ્ટ અસરો પ્રત્યે વ્યાજબી રીતે પુણ્યપ્રકોપ ધરાવતા હતા, પણ આ વખતે તેઓ બ્રિટિશરોના થોડા વખાણ કરવા પણ તૈયાર હતા. વૉલ્ફને આ પરિવર્તનથી, તેમના વલણ અને ટોનમાં 180 ડિગ્રી ઘુમાવથી વિમાસણ ઉપજી. તેમણે આ વિષે ચોખવટ માગી. મહેરઅલીએ કહ્યું, તેઓ હવે ભારત છોડે છે. તેમ અમે હવે મુક્ત થઈશું. ગાંધીજી કહે છે, હવે જ્યારે તો વિદાય લઇ રહ્યા છે ત્યારે આપણે બ્રિટિશ પ્રજાના ઉત્તમ ગુણો યાદ રાખવા જોઈએ, તેમની કાયદાકીય વ્યવસ્થા, તેમની ન્યાય પરાયણતા, વગેરે. એ યાદ રાખો અને તેને સાચવી રાખો. આ સલાહ પહેલી વખત આપી તેને 50 વર્ષ થઇ ગયા, છતાં આજે હજુ એટલી જ પ્રસ્તુત લાગે છે. હું કઈં એમ.ટી.વી. કે કે.એફ.સી.નો પક્ષકાર નથી, પરંતુ હું એ જાણું છું કે પશ્ચિમી સભ્યતાનો ઉત્તમ હિસ્સો હજુ પણ આપણા માટે સુલભ છે, જે હજુ આપણી પહોંચમાં નથી. ફિનલેન્ડ અને નોર્વે જેવા દેશોની સરકારો પોતાના દેશની મહિલાઓ અને ગરીબ લોકોને ઘણી માનવતા ભરી અને ન્યાયી સેવાઓ આપે છે. જર્મની અને યુ.એસ.એ.ના વૈજ્ઞાનિકો પોતાના સંશોધનોને માનવ જાતના હિતાર્થે એ દિશામાં વાળે છે, જયારે આપણા વૈજ્ઞાનિકો રિસર્ચ પેપર્સને (જેમના ઘણાં શંકાસ્પદ હોય છે)  દોરી પર બાંધી તેનો હાર બનાવે છે, અને કોઈ કમિટીના ચેરમેનશીપના પદ માટે ઝંખે છે. એ દેશોના ઉદ્યોગપતિઓ પોતાની વધારાની મિલ્કતનું  કલા અને સંકૃતિને પોષતાં ફાઉન્ડેશનમાં દાન કરે છે, આપણા ઉદ્યોગપતિઓ પોતાના નાણાં સ્વિસ બેંકમાં દાટી દે છે.

વધુ દુઃખદ બાબત તો એ છે કે જે ભારતીયો પશ્ચિમને ચાહે છે તે ખોટા કારણોસર તેમ કરે છે. તેમાંનાં ઘણાં રવિ શંકરને બદલે મેડોનાને પસંદ કરે, આર.કે. નારાયણને બદલે ડેનિએલ સ્ટીલ, કુર્તાને બદલે ટી શર્ટ અને તાંદુરીની બદલે કેનટકી ફ્રાઈડ ચિકન તરફ તેમની પસંદગી ઢળે છે. ઉચ્ચ મધ્યમ વર્ગના નિષ્ણાત વ્યાવસાયિકો ઉર્જાનો વધુ ઉપયોગ કરે તેવી જીવનપદ્ધતિ અપનાવીને વેક્યુમ ક્લીનર, પૉજો જેવી કાર વાપરે, છતાં આપણા જેવા સમાજને ઉપયોગી હોય એવી એ દેશોમાં થયેલ શોધખોળોને અવગણે. આપણામાંના કોઈ એ વિષે વિચાર નથી કરતા કે જાહેર સંસ્થાઓ કાબેલિયતથી, સાતત્યપૂર્વક અને વ્યક્તિ નિરપેક્ષ રહીને જે સમાજના તેઓ ભાગ છે તેને સેવાઓ આપવાની બાબતમાં આપણે પશ્ચિમની સરસાઈ ક્યારે કરી શકીશું. પશ્ચિમના દેશોમાં જજ હોય છે જેમને કોઈ ખરીદી નથી શકતું; ત્યાં યુનિવર્સિટીઓ છે જ્યાં અધ્યાપકો શિક્ષણ આપે છે અને વિદ્યાર્થીઓ સતત હડતાળ ઉપર નથી ઉતરતા હોતા, વાહન વ્યવહારની વ્યવસ્થા સલામત અને વિશ્વાસપાત્ર હોય છે; ત્યાં હોસ્પિટલો હોય છે જ્યાં ગરીબ અને તવંગર સહુને એક સરખા વિનય અને શીઘ્રતાથી સારવાર કરવામાં આવે છે.

કેટલાક લોકો માને છે કે ભારત સહુથી મોટી અને પુખ્ત લોકશાહી વ્યવસ્થા છે અને સદા નવીન રહેતી  એવી તાજગી ભરી સભ્યતા છે. તો તેનામાં એવો વિશ્વાસ અને ગૌરવપૂર્ણ નિર્ણય લેવાની ગુંજાઈશ નથી જેથી પશ્ચિમ પાસેથી તેને જે જોઈએ તે લઇ શકે અને ચૂપચાપ જે ન જોઈએ તેની અવગણના કરી શકે? જાપાને બરાબર એમ જ કર્યું અને સિંગાપોરે તેને અમલમાં મૂક્યું. 1940ના દાયકામાં યુસૂફ મહેરઅલી અને મહાત્મા ગાંધી જાણતા હતા કે ક્યારે ‘પશ્ચિમી સંસ્થાનવાદ’ વિષે બોલવાનું બંધ કરવું જોઈએ અને સહુથી વધુ શક્તિશાળી અને ગતિશીલ એવી આધુનિક સભ્યતા પાસેથી ભારત શું શીખી શકે તે વિચારવા માંડે. આપણે, જેણે બ્રિટિશ જેલો અંદરથી નથી જોઈ તેઓ કદાચ કદી સમજી ન શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,7171,7181,7191,720...1,7301,7401,750...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved