Opinion Magazine
Number of visits: 9570947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિંદગીને માત્ર અને માત્ર વર્તમાન જ સાર્થક કરી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 October 2021

આપણે બે વાતની ચર્ચા કરી રહ્યા છીએ. એક, શા માટે જેઓ મૌલિક અને મેધાવી છે એ લોકો આસ્તિક હોવા છતાં, શ્રદ્ધાળુ હોવા છતાં, કેટલીકવાર ધાર્મિક હોવા છતાં ધાર્મિક કોમવાદી ઓળખ નથી અપનાવતા? એટલું જ નહીં, પણ જે લોકો ધર્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને અન્ય પ્રાચ્યવિદ્યાઓનો અભ્યાસ કરે છે કે કર્યો છે એવા લોકો પણ ધાર્મિક કોમવાદથી દૂર રહ્યા છે.

બે, જે લોકો ધાર્મિક કોમી ઓળખ ધરાવે છે એ લોકોનું સત્તાના રાજકારણને છોડીને બીજા કોઈ ક્ષેત્રમાં કોઈ યોગદાન જોવા નહીં મળે. જો થોડુંક ક્યાંક મળી આવશે તો એ પણ ફૂહડ પ્રકારનું હશે. અહીં જ એક વાત સ્પષ્ટ કરી દેવી જોઈએ કે જે લોકો સત્તાના રાજકારણમાં સફળ છે કે થયા છે એ લોકો માત્ર ધાર્મિક કોમી રાજકારણ કરે છે, તેમનું અંગત જીવન જુદું છે. મહમદઅલી ઝીણા, સાવરકર, અડવાણી અને સુબ્રમણ્યમ્‌ સ્વામી આનાં ઉદાહરણ છે. જગતમાં આવાં બીજાં અનેક ઉદાહરણ મળી આવશે.

શા માટે? કારણ કે ધાર્મિક કોમી માનસ મેધા અને મૌલિકતાને કુંઠિત કરે છે. ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ ધાર્મિક કોમી માનસ ધરાવતા લોકોમાં છ લક્ષણો એવાં જોવાં મળશે જેની ઉપસ્થિતિમાં મેધા અને મૌલિકતા વિકસી જ ન શકે, ખીલવાની વાત તો બાજુએ રહી. આગળ વધતા પહેલાં એ છ લક્ષણો ફરી નોંધી લઈએ :

૧. તેઓ વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે અને ઇતિહાસમાં રાચે છે.

૨. તેઓ વર્તમાનની ચિંતા નથી કરતા, પણ સુંદર અને સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં જુએ છે. જાણે કે ભવિષ્યને વર્તમાન સાથે કોઈ સંબંધ જ ન હોય.

૩. તેઓ તર્કબદ્ધ વાત નથી કરી શકતા. એકાદ-બે વાક્યથી વધારે તેઓ કોઈ દલીલ નથી કરી શકતા.

૪. તર્કબદ્ધ દલીલના અભાવમાં તેઓ ટીકાકાર ઉપર અજ્ઞાની હોવાનો કે પક્ષપાતી હોવાનો કે હિંદુ ધર્મ વિરોધી હોવાનો આરોપ કરશે અને છેવટે ગાળોનો આશરો લે છે.

૫. તેમનામાં એકલો જાને રે …નો પુરુષાર્થ જોવા નહીં મળે, તેમનો પુરુષાર્થ ટોળાંમાં ખીલે છે.

૬. જૂનવાણી વિચાર અને વર્તણુક તેમ જ અંધશ્રદ્ધાનું પ્રમાણ તેમનામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.

***

પાતંજલ યોગસૂત્રમાં બીજું (અને ખરું પૂછો તો વિષયપ્રવેશના પહેલા સૂત્ર પછીનું પહેલું જ) સૂત્ર છે:  योग: चित्तवृत्ति निरोध: ચિત્તની વૃત્તિઓને રોકે, વારે એ યોગ.

આગળ વધતા પહેલાં આ વૃત્તિઓ શું છે એ સમજી લઈએ. બીજા અન્ય પશુઓ અને પક્ષીઓની સરખામણીમાં માનવી સ્મરણશક્તિ અનેકગણી ધરાવે છે. સારા-માઠા અનુભવો માનવી ચિત્તમાં સંઘરી રાખે છે. એ અનુભવજન્ય સ્મરણ આગળ જતાં સંસ્કાર અને પછી વૃત્તિમાં પરિવર્તિત થાય છે. ધીરેધીરે એ વૃત્તિઓ ચિત્તમાં ઘર કરવા માંડે છે અને ઘનીભૂત થવા લાગે છે. એ એટલી હદે ઘનીભૂત થાય છે કે તે માનવીના વ્યવહારને પ્રભાવિત કરે છે. આવો માનવી વૃત્તિગ્રસ્ત થતો જાય છે એટલે સ્વાભાવિકપણે વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે. દૂર ભાગે છે એમ કહેવું પણ ખોટું છે, તે વર્તમાનમાં પ્રવેશી જ શકતો નથી, તેનું ચિત્ત વૃત્તિઓમાં જ રમ્યા કરે છે. તેને ધીરેધીરે તેમાં  સુખનો અનુભવ થવા લાગે છે. અતીતની પીડામાં પણ તે સુખ અનુભવે છે અને પ્રતિશોધ અર્થાત્ વેરવૃત્તિમાં પણ તે સુખનો અનુભવ કરે છે.

વૃત્તિઓમાં બે વૃત્તિ પ્રબળ હોય છે. એક સ્થૂળ વિષયસુખ અને બીજો ભય. આને લગતા જે અનુભવો થયા હોય કે કાંઈ સાંભળ્યું હોય એ વૃત્તિ બનીને ચિત્તમાં ઘર કરી જાય છે. માણસ સતત વિષયસુખના મીઠા વિચારોને અને અનુભવેલી પીડાને વાગોળતો રહે છે. જેટલું વાગોળવાનું પ્રમાણ વધારે એટલું વર્તમાનથી દૂર થવાનું પ્રમાણ વધારે. કલાપીએ કહ્યું છે, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાવો’, તો મનને સુખ આપે એવા મીઠા વિચારો કરતો, ભૂતકાળનાં જખમો અને પીડાઓને ખોતરીખોતરીને રૂઝાવા નહીં દેનારો અને માણેલું સુખ પાછું ભોગવવાના કે પીડા આપનાર સામે વેર વાળવાનાં સપનાં જોતો માનવી તમને ક્યારે ય વર્તમાનમાં જીવતો જોવા નહીં મળે. એ શક્ય જ નથી. જેમ અંધકાર અને પ્રકાશ સાથે ન રહી શકે એમ ભૂત અને ભવિષ્ય વર્તમાનની સાથે ન રહી શકે.

અને પુરુષાર્થને વર્તમાન સાથે સંબંધ છે. એ પુરુષાર્થ મોક્ષ માટેનો હોય કે ભૌતિક સિદ્ધિ અને સુખ માટેનો હોય, એ વર્તમાનમાં જ હાંસલ કરી શકાય. પુરુષાર્થને ભૂત અને ભવિષ્ય સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. માટે ભગવાન પતંજલિએ કહ્યું છે કે યોગ એ છે જે ચિત્તની વૃત્તિઓને નિરોધે. તેને રોકે, તેને વારે અને તેનું શમન કરે. આ જરૂરી છે, કારણ કે જિંદગીને માત્ર અને માત્ર વર્તમાન જ સાર્થક કરી શકે, ભૂત અને ભવિષ્ય ન કરી શકે. વેદકાલીન ઋષીઓથી લઈને સ્વામી વિવેકાનંદ જેવા મેધાવીઓએ વર્તમાનમાં જીવીને જીવતર સાર્થક કર્યું હતું માટે આજે આપણે તેમના માટે ગૌરવ અનુભવીએ છીએ. જો તેઓ ભૂતકાળની મીઠી દાસ્તાનો યાદ કરીને, જખમોને જીવતા રાખીને રડતા રહીને અને મહાન ભવિષ્યનાં સપનાં જોતાં રહીને જીવ્યા હોત તો તેઓ મહાન ન થયા હોત. પતંજલિ કહે છે કે તમારે જો તમારા જીવતરને સાર્થક કરવું હોય તો વર્તમાનમાં જીવવું પડશે અને તમારા ચિત્તમાં બેઠેલી અને વિચારી-વિચારીને ઘનીભૂત કરેલી વૃત્તિઓ તેમાં બાધક છે. બાધક શું રસ્તામાં મોટો પહાડ છે જેને તમારે ઓળંગવાનો છે. આયખું એક જ મળ્યું છે. નિર્ણય તમારે લેવાનો છે. વૃત્તિગ્રસ્ત બનીને એટલે કે વૃત્તિઓનો શિકાર બનીને તેને તમારે વેડફવું છે કે પછી પુરુષાર્થ કરીને તેને સાર્થક કરવું છે? જો તમે જીવન સાર્થક કરવા પુરુષાર્થનો વિકલ્પ પસંદ કરવાના હો તો એને માટે તમારે વર્તમાનમાં જીવવું પડશે, બીજો કોઈ વિક્પ જ નથી અને જો વર્તમાનમાં જીવવું હોય તો વૃત્તિઓથી મુક્ત થવું પડશે.

યોગ આ છે. બાબા રામદેવ યોગના નામે જે કસરત કરાવે છે એ યોગ નથી. પણ એટલું માનવું પડે કે બાબા રામદેવ પોતે પુરુષાર્થી છે. એ લોકોને ભવ્ય ભૂતકાળનો વારસો યાદ કરાવીને અને એ વારસાને પાછો જીવતો કરવાના ભવિષ્યનાં સપનાં બતાવીને વર્તમાનમાં ધંધો કરે છે. માદળિયાં બંધાવનારાઓ અને ઝાડફૂંક કરનારા બંગાળી બાબાઓ પણ વર્તમાનમાં જીવે છે અને ડરેલાઓને તેમ જ લાલચ ધરાવનારાઓને ભૂત અને ભવિષ્યમાં રાખે છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વૃત્તિઓનું નિરોધન કઈ રીતે કરી શકાય અને એ દ્વારા વૃત્તિમુક્ત થઈને વર્તમાનમાં પુરુષાર્થી કઈ રીતે થઈ શકાય તેની પ્રક્રિયા બતાવી છે.

મહર્ષિ પતંજલિ એક છેડે છે તો બીજા છેડે એવા લોકો પણ છે જે માનવી વર્તમાનમાં ન પ્રવેશે એમાં સ્વાર્થ ભાળે છે. જેમ પતંજલિએ માનવીને વર્તમાનમાં લઈ આવવાની પ્રક્રિયા વિકસાવી છે એમ બીજા છેડાના લોકોએ માનવી ભૂત અને ભવિષ્યના વિચારો કરતો વૃત્તિગ્રસ્ત બનીને આયખું વિતાવે એની પ્રક્રિયા વિકસાવી છે. વર્તમાનમાં જીવતા મુક્ત અને પુરુષાર્થીને ટોળાંમાં ફેરવી ન શકાય, તેને વાપરી ન શકાય અને તેમને તેનો ઉપયોગ કરવો છે.

એ કેવી પ્રક્રિયા છે એની વાત હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑક્ટોબર 2021

Loading

પર્યાવરણની કટોકટીને કારણે ચાર ધામ યાત્રા સ્વધામ યાત્રામાં ફેરવાઇ જાય તેવી આફત આવી પડી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 October 2021

કુદરતને અગત્યના સ્રોત તરીકે જોઇ, તેની જાળવણી સલામતી માટે થાય તે જરૂરી છે પ્રગતિને નામે કુદરતનું નિંકદન નિકળશે તો જિંદગીઓનો આમ જ કચ્ચરઘાણ વળી જશે

મોક્ષના દ્વાર ખૂલે, બધા પાપ ધોવાઇ જાય એ માટે ચાર ધામની યાત્રા હિંદુ સંસ્કૃતિમાં લાંબા સમયથી અગત્યની રહી છે.  બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ્‌ – આ ચારેય ધામની યાત્રા હિંદુઓએ કરવી જ રહી એવું આદિ શંકરાચાર્યએ કહ્યું છે. વળી ઉત્તરા ખંડમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને છોટા ચારધામ કહેવાય છે અને ચાર દિશાના ચાર ધામ કરતાં આ છોટા ચારધામની યાત્રાનું મહત્ત્વ ક્યારે ય ઘટ્યું નથી.  શિયાળામાં બરફને કારણે આ ચાર ધામ બંધ રહેતા હોય છે, અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉત્તરા ખંડમાં આવેલા આ છોટા ચાર ધામના પર્યાવરણની એવી વલે થઇ છે કે ચાર ધામમાં મોક્ષના દરવાજાનો માર્ગ તો ખુલતાં ખુલશે પણ સ્વધામનો દરવાજો જ ફટાક દઇને ખૂલી જાય તેવી દહેશત શ્રદ્ધાળુઓમાં ફેલાઇ છે.  ૨૦૧૬માં વડા પ્રધાને આ ઉત્તરા ખંડમાં આવેલા આ ચારેય ધામ વચ્ચે કનેક્ટિવીટી વધે એટલે ચાર ધામ હાઇ વે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

વાઇરસના ભરડામાં જરા હળવાશ અનુભવાઇ, એટલે ‘ફુલ્લી વેક્સિનેટેડ’ શ્રદ્ધાળુઓએ તો ઉત્તરા ખંડ જવાના પ્લાન બનાવ્યા. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી તો વાઇરસને કારણે વેન્ટિલેટર પર છે જ પણ વેક્સિનેશનને કારણે અને લોકોમાં વાઇરસનો ભય જરા ઘટવાને કારણે (જો કે ગુજરાતીઓએ તો બહુ પહેલાં જ વાઇરસને ‘ઠીક હવે’-વાળું સર્ટિફિકેટ આપી દીધું હતું.) ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જરા હલચલ થઇ. છેલ્લા એક અઠવાડિયાં નૈનિતાલ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદે જે હાલત કરી છે, તેમાં ક્લાઇમેટ ક્રાઇસિસ – શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો પર્યાવરણીય કટોકટીની ગંભીરતાનો વરવો ચહેરો અને પ્રભાવ આપણે ફરી એકવાર વેઠ્યો છે.

કુદરતી આફતોની તીવ્રતા સમયાંતરે વધતી ચાલી છે. ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે આ બધી કુદરતી આફતો ખરેખર તો માનવ સર્જીત જ છે. આ ક્લાઇમેટ ઇમર્જન્સીને જો ગંભીરતાથી નહીં લેવાય તો શું વલે થઇ શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વળી આ હાલત માત્ર ઉત્તરા ખંડમાં જ છે તેમ નથી, કેરળમાં પણ ઘર ધસી પડ્યાં છે તો આસામમાં તો ફ્લેશ ફ્લડ્ઝ, જંગલી પ્રાણીઓની અવદશા વિશે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે. છેલ્લા ચાર દિવસમાં થયેલા મોતના આંકડા અગાઉ મૃત્યુ પામેલાની યાદીમાં ઉમેરો છે.  હિમાલયમાં ગ્લેસિયર્સનું પીગળવું, દરિયાની સપાટી ઉપર આવવી, તીવ્ર ટ્રોપિકલ તોફાનો, પૂર અને અંધાધૂંધ વરસાદ વિશે ઇન્ટરગવર્મેન્ટ પેનલે તો પહેલાં જ આગાહી કરી હતી પણ મને ખાતરી છે કે આવી આગાહીઓ તો પહેલાં પણ થઇ હશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ખડા થતા ચક્રવાતી તોફાનો દેશ આખામાં ખડી થયેલી પર્યાવરણીય આફતનું કારણ છે. આમ જોવા જઇએ તો જેને પર્યાવરણવિદ્ ‘રિટ્રીટીંગ મોનસૂન’ કહે છે તે સંજોગોમાં કેરળ અને ઉત્તરા ખંડમાં વરસાદ થયો છે જે કુદરતી ચક્રનો ભાગ છે પણ વરસાદની તીવ્રતા કોઇ ભોગે સાધારણ માની શકાય તેવી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે કુદરતી આફતોનું પ્રમાણ વધ્યું છે તે જો આપણે એક રાષ્ટ્ર તરીકે ક્લાઇમેટને સંતુલિત કરવાના લક્ષ્ય પર ધ્યાન આપવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. જાનમાલનું નુકસાન થાય જેની અસર ફુડ સિક્યોરિટી પર પણ પડે. અંગ્રેજીમાં જેને ‘ડોમિનો ઇફેક્ટ’ કહીએ છીએ આ એવી જ કંઇ વાત છે, કે એક તરફ કંઇક ઘટના ઘટે તેનો પ્રભાવ એક પછી એક બાબતો પર, જોડાયેલી કડીઓની માફક પડતો જાય.  હવાનું પ્રદૂષણ, આકરી ગરમી વગેરેને કારણે દરિયાના પાણીનું તાપમાન પણ વધે જે તોફાનોને વધુ ચક્રવાતી બનાવે.

અત્યારે ભારતના ૭૫ ટકા જેટલા જિલ્લાઓ આકરા મોસમનો ભોગ બની ચૂક્યા છે અને બનતા રહેશે. ચાળીસ ટકાથી વધુ જિલ્લાઓમાં પર્યાવરણીય અસંતુલન થયું છે જેમ કે જ્યાં પૂર આવતાં હતાં ત્યાં હવે દુકાળ જેવા સંજોગો થાય છે, અને જ્યાં દુકાળ પડતો ત્યાં અતિવૃષ્ટિ થાય છે. વૈશ્વિક સ્તરે બદલાતી આબોહવા પણ અચોક્કસ વરસાદ પર અસર કરે છે.  ઉનાળામાં દરિયાઇ બરફ પીગળે એટલે ચોમાસું પાછું ખેંચાય પણ જતા જતા ઝપાટો બોલાવીને જાય. માત્ર ભારતની જ વાત કરીએ તો જે ખેડૂતો જી.ડી.પી.માં ૧૬થી ૨૦ ટકા જેટલું યોગદાન આપે છે, તેમાં નિયમિતતા રહે તેવી શક્યતાઓ ઓછી છે, કારણ કે વરસાદની અચોક્કસતાને પગલે તેઓ પાક અંગે કોઇ જ યોગ્ય પ્લાનિંગ નથી કરી શકતા. 

કોરોના વાઇરસના રોગચાળાને પગલે આપણે ન્યુ નોર્મલ શબ્દનો ઉપયોગ કરતાં શીખી ગયા પણ કમનસીબે મોસમની અરાજકતા અને અંધાધૂંધી પણ આપણા દેશ માટે ન્યુ નોર્મલ બની ગયાં છે.  ક્યાંક વાદળ ફાટે છે, ભેખડો ધસે છે તો ક્યાંક સાવ સૂકું ચોમાસું જાય છે.  હવામાન ખાતું વરસાદને માટે ભલે જે આગાહી કરે પણ સરેરાશ આંકડા તોફાનોમાં ધોવાઇ જાય છે.  જૂનમાં ધમધોકાર શરૂ થતો વરસાદ જુલાઇ અને ઑગસ્ટમાં ગાયબ થઇ જાય છે અને પછી ચોમાસાની ઋતુ જવાનો વખત થાય ત્યાં તોફાનો, ચક્રવાત, પૂર જેવા સંજોગો ખડા થાય. ચોમાસાની ઋતુમાં કોઇ સાતત્ય જ નથી, તેમાં દર મહિને કે પંદર દિવસે ફેરફાર આવતા રહે છે.  બદલાતા મોસમની અસર દેશના અર્થતંત્ર પર, ખેડૂતોની જિંદગીઓ પર, પાણીની સ્થિતિ પર પણ પડે છે. મોસમમાં આવી તીવ્ર સ્થિતિ થવા પાછળ એક માત્ર કારણ હોય છે ક્લાઇમેટ ચેન્જ! પશ્ચિમી હિમાલયના પ્રદેશોમાં અતિવૃષ્ટિ તો દક્ષિણમાં વરસાદનું કોઇ નામોનિશાન નહોતું.  એક સંશોધન અનુસાર ટૂંક ગાળાનો અને આકરો વરસાદ વૈશ્વિક સ્તરે વિસ્તરતી સ્થિતિ છે. ક્લાઇમેટમાં ગરમી વધતી જશે તેમ તેમ વાદળ ફાટવાના બનાવો પણ અવારનવાર બનશે.

આ જ સંજોગો રહ્યા તો ચાર ધામ યાત્રા સ્વધામનું સરનામું બની જાય તેવી હાલત થતી રહેશે અને હિંદુ શાસ્ત્રોમાં જે સ્થળોનું મહત્ત્વ છે, અર્થતંત્ર માટે જે પ્રદેશો અગત્યનાં છે તેની હાલત વખતો વખત બદતર થતી જશે.

બાય ધી વેઃ

સરકારના અભિગમની વાત કરીએ તો ટૂંકા ગાળાના લાભ ખાટવામાં લાંબા ગાળાનું વિચારવાનું ચૂકી જવાય છે. ઇલેક્ટ્રીક વાહનોની રેસમાં આગળ આવવા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. પર્યાવરણને કોઇ અગ્રિમતા અપાતી નથી. પીગળી રહેલાં ગ્લેશિયર્સ, વાદળોનું ફાટવું, અંધાધૂંધ વરસાદ સામે પગલાં લેવા હશે તો આપણે કુદરતને એક મિલકત – એક એસેટ તરીકે જોવી પડશે તો જ તેના સાચા રસ્તા મળી શકશે. નદીઓ જળવાય, જંગલો જળવાય, પહાડી વિસ્તારો પણ જળવાય – અહીં ક્યાં ય ‘એનક્રોચમેન્ટ’ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે, પણ માળું આપણે ત્યાં મોટું માથું નર્મદાની મુલાકાતે જવાનું હોય તો મગરોનાં સરનામાં બદલી દેવાય છે એમાં પર્યાવરણની ચિંતા ક્યારે થશે તે વિચારવું રહ્યું. કુદરતને અગત્યના સ્રોત તરીકે જોઇ તેની જાળવણી સલામતી માટે થાય તે જરૂરી છે પ્રગતિને નામે કુદરતનું નિંકદન નિકળશે તો જિંદગીઓનો આમ જ કચ્ચરઘાણ વળી જશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 ઑક્ટોબર 2021

Loading

યસ, આઈ લાઈક માય માર્ગારિટા : 


વિજય ભટ્ટ|Opinion - Opinion|24 October 2021

શનિવારે સવારે આરામથી આઠ વાગે ઊઠી ને "હેપી બર્થ ડે "ની કિસ હનીને કરી ને, હગ આપી ને સુંદર દિવસ શરૂ કર્યો! 
જોબ પર લાગ્યા …

નિયમિતતાના આદર્શ ઉદાહરણ અને દુનિયા સાથે ટચમાં રહેવા ફેસબુકની જોબ પર લોગ ઈન થઈ ગયા.



લગ્ન પહેલાંનો, પહેલી વારનો, 'નક્કી થયા પછી'નો, જે મોબાઈલમાં સાચવી રાખ્યો હતો, તે ફોટો જડી ગયો! 
સાથે સાથે હવે હની માટે વિશેષણો શોધવા માટે મિત્રોની જૂની 'પોસ્ટ' ખોલી ને શોધવા માંડ્યું કે શું લખું?

આ લ્યો, પેલા કીર્તિ અને મધુ પોસ્ટ મળી ગઈ! સરસ લખ્યું છે! એ જ લાઈનો લખું.



સામે જ બેસી ને ચા સાથે અને ગઈકાલ રાતની વધેલી સરસ કડક ખારી ભાખરી અને અથાણું ખાતી વ્યક્તિની મોજૂદગીની હળાહળ ઉપેક્ષા કરી, તેને બીજો-પુરુષ એકવચનમાંથી તેને ત્રીજો-પુરુષ એકવચન કરી દઈ ને…. 'પૂરી દુનિયા કે સામને, અપને પ્યાર કા એકરાર કરતે હુએ' – લખી નાખ્યું! 


લોકોને થશે હાઉ સ્વીટ … કોઈને જરા વધારે પડતું લાગે તો લાગે. આઈ વોન્ટ ટુ એક્સપ્રેસ માય લવ! 

ચડાવી દીધું ઊંચે! .. યાની, અપ-લોડ ..! .. ફેસબુક પર સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ એ જ ફોટો અને કોમેન્ટ શેર કરી દીધી!  આપણી બર્થ ડે પાર્ટી શરૂ!


ટાઈમ સર એક મોટું સરસ કામ પત્યું ..! ગયા વર્ષે પોસ્ટ જરા મોડું થયું હતું.



ચા-બા પણ પીવાઈ ગઈ …. હવે બાથરૂમ જવું પડશે … બે ત્રણ ડગ એ તરફ ભર્યાં ને પાછા વળ્યાં .. અરે મોબાઇલ તો રહી ગયો. લઈ લીધો મોબાઇલ સાથે જ ….


(લેખકની ક્ષમાનોંધ : વાચક મિત્રો, ક્ષમા, બાથરૂમની અંદરની ગતિવિધિ લેખકના  જ્યુરીશડિક્સનની બહાર છે.)



બહાર આવી ને હવે બેઠક રૂમમાં :


"કેટલા આવ્યા?"


"શું લાઈક કે કૉમેન્ટ્સ?"


"બન્ને"


"ખાસ નથી, હજી ઇન્ડિયામાં તો સાંજે બધા ફરી ને ઘરે આવશે પછી જોશે ને!"


"પણ ત્યાં તો શનિવારની સાંજ … હવે તો ત્યાં બધ્ધું જ ખૂલી ગયું છે. લોકો રખડે છે બધ્ધે, લગ્નો, ગરબા, બેસણાં બધું જ ચાલુ થઇ ગયું છે ત્યાં."


"પણ પેલા આપણા ઇસ્ટ કોસ્ટ-વાળા અને  લન્ડનવાળા તો જુએ જ ને?"


"તારી વાત ખરી, તારા મામા અને પેલા સરલા ફોઈ તો વહેલાં ઊઠી જાય છે, ને વોટ્સ-એપ પર તો લગભગ બધા જ ગ્રુપ ઓલરેડી એક્ટિવ થઈ ગયા લાગે છે. પણ કોઈએ હજી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોયું નથી લાગતું, બધ્ધા પેલા આર્યન ખાનનું અને અનન્યાનું જાણવામાં લાગ્યા છે."



"પણ તેં અમુકને ટેગ તો બરોબર કર્યાં છે ને તારી પોસ્ટમાં?"


"હા,  અરે .. જો એટલી વારમાં ત્રણ લાઈક આવી ગઈ !"


"આઈ ડુ નોટ લાઈક ખાલી લાઈક જ. જરા કંઈક લખે તો સારું લાગે. મને પેલા સ્ટીકર પણ નથી ગમતા. ખોટા ખોટા ઝબકારા કર્યા કરે. મને તો કંઈક લખે તો જ એમ લાગે કે ધે રિયલી કેર ફોર મી.”

"બધા પાસે આપણા  જેટલો સમય ના હોય, મને તો રિસ્પોન્ડ કરે એટલે જ સન્તોષ."


"આપણી એનિવર્સરી વખતે પેલા રમેશે કેવું નેસ્ટી લખ્યું હતું? એના કરતાં તો ખાલી લાઈક જ કરી દે તો સારું?"


"પણ  તેં  તો  તેને થેંક્યુ લખ્યું પણ હતું ને?"


"ના, ખાલી તેની કોમેન્ટ ને લાઈક જ કરી હતી, હસતી લાઈક, એમાં બધું આવી ગયું."


"એ બરાબર ના કહેવાય, કોઈ જો થોડી લાંબી કોમેન્ટ લખે તો રિસ્પોન્સ તો કોમેન્ટથી જ કરવો જોઈએ."


“ના .., પછી એ લાંબુ ચાલે … જો એ પાછો મારી કોમેન્ટ પર કોમેન્ટ કરે તો? એટલે મેં ટૂંકમાં પતાવ્યું 'તુ."



બપોરે :


શનિવારના દોઢ વાગ્યા. અડધો દિવસ લાઈક અને કોમેન્ટ ગણવા, રાહ જોવા, અને જવાબ આપવામાં જ પૂરો ગયો. લન્ચમાં તો કંઈક પણ થોડું ચાલશે. સાંજે તો મેક્સિકન રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ વેજી એન્ચીલાડા અને માર્ગારિટા ડ્રિન્કથી સેલિબ્રશન !  



છ વાગ્યે :


"જો મારા મોબાઈલની બેટરી ઉતરી ગઈ.”

"તો ઉતરી જ જાય ને .. કેટલી વાર ચેક કર્યા કરે છે .. ફેસબુકને ઇન્સ્ટાગ્રામ ને?”


“અરે .. જો મને ખબર જ નહીં કે પેલા નેહલ-શશીની એનિવર્સરી આજે છે. આ જો લાંબું લાંબું લખ્યું છે શશીએ.”


"એ જરા વાયડાઈ કરે છે, ફેસબુક પર .. આપણે તો જાણીએ જ છીએ અંદરની વાત.”


"પણ બહાર સરસ લાગે કે લવિંગ કપલ.”


“લે, વોટ્સએપ ગ્રુપ્સ પર પણ એમણે મૂકી દીધું, હવે કતાર ચાલુ .. કોમેન્ટની.”

"એમાં તારું શું ગયું?"


"તું સોશિયલ મીડિયા નહીં સમજે, હવે લોકોનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય, આજે તો તારો દિવસ!"


"ફેસબુક કૈં આપણા એકલાનું છે?"



"સાડા છનું ટેબલ રિઝર્વેશન કરાવ્યું છે, પપ્પુએ, ચાલો.”


"સાડી પહેરું કે ડ્રેસ?"


“અરે, સાડી કરતાં તું ડ્રેસમાં યન્ગ લાગે છે. બ્લેક ડ્રેસ પહેરજે, પાતળી લાગીશ, ફોટા સારા આવશે."



રેસ્ટોરન્ટમાં :


સરસ થીજેલું સ્ટ્રોબરી માર્ગારિટા ડ્રિન્ક ટેબલ પર આવી ગયું! 


ગરમાગરમ એન્ચીલાડા પણ ટેબલ પર!


પેલી વેઈટરેસને બોલાવી .. બધાના સાથે ફોટા પડ્યા.


"બીજા ફોટા હવે કેક આવે પછી … ફરીથી પડાવીશું.”



“જો, પેલી પૂજા અને તેના કાકા પેલા ખૂણાના ટેબલ પર બેઠાં છે.”


"તેણે તો લાઈક કરી દીધું હતું. સવારે જ. મેં પોસ્ટ મૂકી કે  ત..ર .ત..જ. "


“જો, તે ત્યાંથી દૂરથી હાથ હલાવી ને હલો કહે છે."



એટલામાં પૂજા તેના ટેબલ પરથી ઊઠી ને પાસે આવી. "અરે વાહ … આજે કેમ બધા સાથે … અને મેક્સિકનમાં?"


"આજે એનો સ્પેશિયલ ડે છે ને! એટલે!"


"ઓહ! રિયલી …ગ્રેટ … શું છે સ્પેશિયલ આજે ?"


"એની બર્થ ડે!"


"આજે? વેલ! વેરી હેપી બર્થ ડે!"


"થેન્કયુ!"


“ચાલો, તો એન્જોય યોર ડે એન્ડ મેક્સિકન ડિનર વિથ ફેમિલી!"



પૂજા પાછી ગઈ તેના ટેબલ પર.



"જો ને.. આજે સવારે તો તેણે લાઈક કરી મારી પોસ્ટ ને… અને અત્યારે પૂછે છે… કે શું સ્પેશિયલ છે, આજે?


લોકો પણ કેવા છે! મારો આખો મૂડ બગાડી નાખ્યો, કેટલા ઉત્સાહથી મૂકી હતી મેં પોસ્ટ!"


"હશે હવે .. છોડ ને. તેમાં શું મોટી વાત!"


"શું છોડ? .. … મેં .. અરે ..  આટલી સરસ પોસ્ટ મૂકી અને તેણે લાઈક પણ કરી છે … અને હવે ભૂલી ગઈ?"



"જો અત્યારે આપણે બધા, સૌથી અંગત અને અગત્યના, સાથે છીએ!


છોડ … પૂજાને અને તારી પોસ્ટને. … તને આ માર્ગારિટા ડ્રિન્ક ગમે છે ને? તો મજા કરીએ સાથે!"



"યસ, આઈ  'લાઈક' માય માર્ગારિટા !"



ઘરે પહોંચ્યાં :


પછી બધાએ સાથે નેટફ્લિક્સ પર મુવી જોયું. મજા આવી!



સાડા બાર થયા .. હવે સૂઈ જઈએ … થયું … જરાક ચેક કરી લઉં. કેવો રિસ્પોન્સ છે પોસ્ટ નો!


પણ પેલી પૂજા .. જતી નથી હજી મનમાંથી …


પાછા ફરતાં એ જ વિચારો કે .. શું બીજા બધા જ  લાઈક અને કોમેન્ટનું એવું જ હશે ને ..?



બીજે દિવસે સવારે ઊઠી ને મૉટેથી બૂમ પાડી "યસ, આઈ 'લાઇક' માય માર્ગારિટા! "


……


યસ, આઈ લાઈક માય માર્ગારિટા :

e.mail : vijaybhatt01@gmail.com

Loading

...102030...1,7141,7151,7161,717...1,7201,7301,740...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved