Opinion Magazine
Number of visits: 9570835
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્રિપ્ટો કરન્સીની આંટીઘૂંટીઃ દેખાતી નથી, પણ છે એવી ડિજીટલ કરન્સીમાં રોકાણ કરવામાં યંગ ઇન્ડિયા અગ્રેસર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 October 2021

૧૫ લોકલ પ્લેટફોર્મ્સ તો ખરાં પણ તેમાં ટ્રેડિંગ અને સેલિંગ કરનારાનો આંકડો ય નાનોસૂનો નથી. દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં ‘ડીલ’ કરનારા ઓછામાં ઓછા દોઢ કરોડ યૂઝર્સ છે

આ લખાઇ રહ્યું છે ત્યારે એક સમાચાર ‘ટ્રેન્ડિંગ’ છે. આ સમાચાર છે શીબા ઇનુ વિશે જે એક ક્રિપ્ટો કરન્સી છે અને તેમાં આવેલી તેજીને કારણે હાલમાં શીબા ઇનુ દુનિયાની સાતમી સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બની ચૂકી છે. ક્રિપ્ટો કરન્સી શબ્દ આપણે માટે હવે નવો નથી, પણ આપણને એના વિશે એટલું બધું પણ નથી ખબર કે એક્સપર્ટની માફક પાનના ગલ્લે કે ચાની લારી પર સલાહ આપી શકીએ. છતાં ય તમને જાણીને નવાઇ લાગશે કે ભારતમાં ૧૫ જેટલા હોમગ્રોન, એટલે કે લોકલી શરૂ થયેલા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ્સ છે. માળું, તમને થશે કે આપણે તો કશું રોકાણ કર્યું નથી, બિટ કોઇન અને એવું બધું સાંભળ્યું છે. વળી સુરતમાં જ ક્રિપ્ટો કરન્સીને લગતા કેસીઝ થયા છે પણ છતાં ય આપણા દેશમાં ક્રિપ્ટો કરન્સીનું આટલું ચલણ છે એ ચોક્કસ નવાઇ પમાડે તેવું છે. ૧૫ લોકલ પ્લેટફોર્મ્સ તો ખરાં પણ તેમાં ટ્રેડિંગ અને સેલિંગ કરનારાનો આંકડો ય નાનોસૂનો નથી. દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં ‘ડીલ’ કરનારા ઓછામાં ઓછા દોઢ કરોડ યૂઝર્સ છે. આખી દુનિયામાં સૌથી વધારે ક્રિપ્ટો માલિકોની સંખ્યા પણ આપણે ત્યાં ભારતમાં જ છે, તેવું બ્રોકર ચૂઝર નામના એક પ્લેટફોર્મના રિપોર્ટમાં બહાર આવ્યું છે. ભારત પછી આ યાદીમાં યુ.એસ.એ. અને રશિયાનું નામ આવે છે. પણ આ સમીકરણ વસ્તીની દ્રષ્ટિએ જોઇએ તો ભારત ક્રિપ્ટો માલિકોની યાદીમાં પાંચમા સ્થળે છે.

આ વર્ષે મે મહિનામાં રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ ક્રિપ્ટો કરન્સી અંગે ચોખવટ કરીને તેમાં ટ્રેડિંગ કરનારા ગ્રાહકોને રેગ્યુલેટેડ બેંક્સે તેની વિરુદ્ધ ચેતવવા નહીંના ૨૦૧૮ના જૂના હુકમનું દબાણ દૂર કર્યું. આ ત્રણ વર્ષ જૂનો રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનો હુકમ નેવે મુકાયો કારણ કે સુપ્રીમ કોર્ટમાં ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (IAMAI) અને ક્રિપ્ટો એક્સચેન્જિઝે પિટીશન ફાઇલ કર્યું હતું. અત્યારે એવી સ્થિતિ છે કે ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને લઇને કોઇ નિયમો નથી, કોઇ અધિકૃત સત્તા નથી જે તેમાં થતી ખોટ કે છેતરપીંડી પર નજર રાખતી હોય એટલે જે રોકાણ કરે તેણે જ બધું ભોગવવાનું આવે. જો નફો મળે તો તેની પર કેપિટલ ગેઇન્સ પર લગાડાતો ૩૦ ટકાનો ટેક્સ લાગુ થશે.

આ ક્રિપ્ટો કરન્સી આખરે છે શું? ડિજીટલ કરન્સી અને ક્રિપ્ટો કોઇન્સમાં ઝંપલાવનારા સાહસીઓની સંખ્યા મોટી છે. પણ તેની ઇકો સિસ્ટમ, તેનું તંત્ર કેવી રીતે કામ કરે છે સમજવું જરૂરી છે. ક્રિપ્ટો કરન્સીમાં ડિલ કરવા માટે જરૂરી છે ક્રિપ્ટો વૉલેટ અને તે કોઇ પણ ડિજીટલ વૉલેટને મળતી આવતી ચીજ છે, જેમાં તમે ક્રિપ્ટો કરન્સીને સંગ્રહી શકો અને તેમાં જ તમે ડિજીટલ કરન્સી રિસીવ કરી શકો છો, તેના થકી તમે કરન્સી મોકલી પણ શકો છો. આ એક એવો સોફ્ટવેર પ્રોગ્રામ છે જેમાં જાહેર અને ખાનગી કીઝ હોય છે જે તે વૉલેટની માલિકી ધરાવનારાને માટે યુનિક હોય છે અને આ વૉલેટ્સથી તમે બ્લોક ચેન સાથે ઇન્ટરેક્ટ કરી શકો અને ખાતામાં કેટલું બેલેન્સ છે તે ચેક કરીને તમે બધા ટ્રાન્ઝેક્શન્સ પણ કરી શકો. પ્રાઇવેટ કીઝ એટલે કે ખાનગી કીઝ પાસવર્ડનું કામ કરે છે. યૂઝર બીજા કોઇને ક્રિપ્ટો કરન્સી મોકલે એટલે તે મેળવનારા પ્રાઇવેટ કીને પબ્લિક કી સાથે મેચ કરવી પડે અને પછી તે ફંડ અનલૉક કરીને કોઇન્સનો ઉપયોગ કરી શકે. આમ દેખીતી રીતે કોઇ કોઇન્સની આપ-લે થાય પણ ક્રિપ્ટોકરન્સી વૉલેટના બેલેન્સમાં જે ઉમેરો કે ઘટાડો થાય તે યૂઝર જોઇ શકે. જેમ ડૉલર, રૂપિયા કે યુરોમાં કોઇ સેન્ટ્રલ ઑથોરિટી હોય છે તેવી કોઇ સત્તા ક્રિપ્ટો કરન્સી પર કાબૂ રાખવા માટે નથી હોતી.

સૌથી પહેલી ક્રિપ્ટો કરન્સી બિટકોઇન હતી અને તે માર્કેટમાં આવી ત્યારે તેને એવી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ ગણાવાઇ હતી, જેનો આધાર વિશ્વાસ નહીં પણ ક્રિપ્ટોગ્રાફિક પુરાવો હતો. આ પુરાવો એટલે બ્લોક ચેન પ્રોગ્રામમાં નોંધાયેલી લેવડ-દેવડ. બ્લોક ચેન એક પ્રકારનું લેજર છે જે કોડિંગમાં લેવડ-દેવડની નોંધ કરે છે. સાદી ભાષામાં તે એક એવી ચેકબુક છે વિશ્વ આખાના અનેક કમ્પ્યુટર્સમાં વહેંચાયેલી છે અને તેમાં જે લેવડ-દેવડ નોંધાય તેને બ્લોક્સ કહેવાય અને તે એ કડીમાં જોડાયેલા છે જેમાં પહેલાંની બધી આપ-લેની વિગતો છે. રોજેરોજ થતો ખર્ચો, આપ-લે તમે કોઇ ચોપડીમાં નોંધતા હો, તેનું દરેક પાનું એક બ્લોક છે અને આખી ચોપડી બ્લોક ચેન છે. દરેક આપ-લેને ડબલ ચેક કરવામાં આવે છે જેમાં પ્રૂફ ઑફ વર્ક અને પ્રૂફ ઑફ સ્ટેકની મદદ લેવાય છે. પ્રૂફ ઑફ વર્કમાં લેવડ-દેવડની ચકાસણી અલગોરિધમથી થાય છે જેમાં કોઇ ગણૈતિક પ્રશ્નને ઉકેલવા માટે કમ્પ્યુટર્સ હોડ લગાડે છે અને જે કમ્પ્યુટર એ પહેલાં કરી દે છે તેને થોડી ક્રિપ્ટો કરન્સી અપાય છે. આ માટે કમ્પ્યુટરનું મજબૂત તંત્ર જોઇએ. પ્રૂફ ઑફ સ્ટેકનો આધાર કોન્સેસસ મિકેનિઝમનો આધાર લેવાય છે જેમાં દરેક યૂઝર ટ્રાન્ઝેક્શન આગવી રીતે વેરિફાય કરે છે, અને તેને સંમતિ આપવાનું કામ બહુમતિ લેજર હોલ્ડર્સ કરે છે. ક્રિપ્ટો કરન્સીના યુનિટ્સ માઇનિંગ દ્વારા રિલીઝ કરાય છે અને તે કોઇ પણ લેવડ-દેવડને માન્યતા મળે તેને આધારે કરાય છે.  વળી ટ્રાન્ઝેક્શન જેમ વધે તેમ તે વધારે જટિલ બને. ખાસ કરીને પ્રૂફ ઑફ વર્ક ક્રિપ્ટો કરન્સીને રિલીઝ કરાવવા માટે તોતિંગ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી હોય છે કારણ કે તેના આધારે જ બિટકોઇન ફાર્મ્સને પાવર કરી એક્ટિવ કરી શકાય. પ્રૂફ ઑફ સ્ટેક મોડલમાં લેડવ-દેવડમાં તેની સરખામણીએ ઓછી ઉર્જાની જરૂર પડે છે પણ તેમાં ખેલવું હોય તો તમારી પાસે ક્રિપ્ટો હોય તે જરૂરી છે નહીંતર દાવ પર શું લગાડશો?

અત્યારે ભારતમાં ૩૫થી ઓછી વયના રોકાણકારોને ક્રિપ્ટો કરન્સીમાં બહુ રસ પડ્યો છે. જાણીતા એક્સચેન્જિઝમાં કોઇનસ્વિચ કુબેર, ઝેબપે, વઝીરએક્સ, યુનોકોઇન, કોઇનડીસીએક્સ જેવા અનેકનો સમાવેશ થાય છે. બ્લોક ચેન ટેક્નોલોજીઝને પૉપ્યુલર કરવામાં સોશ્યલ મીડિયાનો પણ ફાળો છે. બિટકોઇન ઉપરાંત ઇથેરિયમ, કારડાનો, બિનાન્સ કોઇન, ટિથર, એક્સઆરપી, સોલાના, લિટકોઇન અને ડોજકોઇન જેવી અનેક ક્રિપ્ટો કરન્સી છે.

બાય ધી વેઃ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા અંગે મિશ્ર પ્રતિભાવ છે કારણ કે તે એક બહુ અંદાજે ખેલાતું રોકાણ છે જેમાં ભાવમાં અણધાર્યા ફેરફાર આવી શકે છે. અચાનક તેજી અને અચાનક મંદી આઘાતજનક સાબિત થઇ શકે છે. એક્સપર્ટ્સના મતે અજાણ્યા મિત્ર કરતાં જાણીતો શેતાન બરાબર છે અને સરકાર જેને ટેકો આપે તેવાં નાણાંમાં રોકાણ કરવું બહેતર છે. ફાઇન્શિયલ એડવાઇઝર્સ માટે ક્રિપ્ટો કરન્સી ઇન્ટરનેટ 2.0 છે અને તેને બહુ સારો વિકલ્પ માનનારા પણ ઘણા છે. પણ જેમ પેલો જાણીતો ડાયલોગ છે જેમાં ઇશ્ક અને રિસ્ક બન્ને આવે છે તેમાં આપણે ઇશ્કને બદલે રિસ્ક શબ્દ પરના વજનને પણ સમજવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  31 ઑક્ટોબર 2021

Loading

સાવરકર, દયાની અરજીઓ, ઇતિહાસ અને રાજમોહન ગાંધી …

સોનલ પરીખ|Opinion - Opinion|30 October 2021

રાજનાથ સિંહના વિધાનો સંદર્ભે ‘વાયર’ના કરણ થાપરે 19 ઑક્ટોબરે લીધેલી ગાંધીજીના પૌત્ર અને ગાંધીજીવનચરિત્રકાર રાજમોહન ગાંધીની દીર્ઘ મુલાકાત સાવરકર, ગાંધી, દયાની અરજી અને સાવરકર-ગાંધી સંબંધો પર સારો એવો પ્રકાશ પાડે છે. પ્રસ્તુત છે આ મુલાકાતનો અંશ …

ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી શબ્દ પ્રાચીન ગ્રીક ‘હિસ્ટોરિયા’ પરથી બન્યો છે. તેનો અર્થ તપાસ, પ્રશ્નો દ્વારા મેળવેલું જ્ઞાન કે અવલોકન એવો થાય છે. એટલે ઇતિહાસકારો શાની અને કેવી તપાસ કરે છે, તેમને કેવા જ્ઞાનની શોધ છે અને તેઓ તેમની પાસે આવેલી હકીકતો કે પુરાવાઓનું કેવું અર્થઘટન કરે છે એ સવાલ પાસે બધું અટકે છે અથવા શરૂ થાય છે.

ઇતિહાસ સાક્ષી છે કે સંઘપરિવારના આરાધ્ય વી.ડી. સાવરકરે આંદામાન જેલમાંથી છૂટવા દયાની અનેક અરજીઓ કરી હતી. તાજેતરમાં સાવરકર પરના એક પુસ્તકના વિમોચન નિમિત્તે રાજનાથ સિંહે કહ્યું કે આ અરજીઓ સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી કરી હતી. આ વિધાને વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. એક પક્ષ કહે છે કે રાજનાથ સિંહે એવી ઘટના સામે લાવીને મૂકી છે જે ગણતરીપૂર્વક ભૂલી જવાયેલી હતી. બીજો પક્ષ ઇતિહાસ સાથે થઈ રહેલી રમતથી દુ:ખી છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ધ્યાન દોર્યું છે કે સાવરકરે 1911માં અરજી કરી ત્યારે ગાંધીજી ભારતમાં ન હતા, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કરી રહ્યા હતા અને ભારતની સ્થિતિ પરત્વે સક્રિય પણ ન હતા. તેઓ આક્રોશ સાથે કહે છે, ‘આ કોઈ નિર્દોષ ગોટાળો નથી. આ ઇતિહાસ સાથે જાણીજોઈને થયેલું ચેડું છે.’

‘વાયર’ના કરણ થાપરે 19 ઑક્ટોબરે લીધેલી ગાંધીજીના પૌત્ર અને ગાંધીજીવનચરિત્રકાર રાજમોહન ગાંધીની દીર્ઘ મુલાકાત આ આખી ઘટના અને તેના પૂર્વાપર સંબંધો પર સારો એવો પ્રકાશ પાડે છે. પ્રસ્તુત છે આ મુલાકાતનો અંશ.

‘રાજમોહન ગાંધી, રાજનાથ સિંહે કરેલાં ત્રણ વિધાનો ‘સાવરકરે કુલ સાત અરજીઓ (1911, 1913 અને 1914 દરમ્યાન) કરેલી’, ‘આ અરજીઓ છૂટવા માટે નહીં પણ રાહત મેળવવા કરી હતી’ અને ‘આ અરજીઓ કરવાનું સૂચન મહાત્મા ગાંધીએ કર્યું હતું’ સંદર્ભે તમારે શું કહેવાનું છે ?’

પહેલી વાત તો એ કે સાવરકરે સાત નહીં પણ અનેક અરજીઓ કરી હતી. બીજી વાત, એમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, ‘હું ભલા, ઉદાર અને દયાળુ બ્રિટિશ શાસકોને મને છોડવાની વિનંતી કરું છું’ અને ત્રીજી વાત, જરા વિગતે કરું – 1920માં સાવરકરના ભાઈ નારાયણરાવના પત્રના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું કે, ‘તમને ચોક્કસ સલાહ આપવી મુશ્કેલ છે, પણ મારું એવું સૂચન છે કે તમે, રાજકીય કેદી છો એ હકીકત પર ભાર મૂકીને રાહતની માગણી જરૂર કરી શકો.’ આ સમયે ગાંધીજી પંજાબમાં હતા અને જલિયાંવાલા હત્યાકાંડ તેમ જ અન્ય અત્યાચારોની વિગતો મેળવી રહ્યા હતા. નારાયણરાવ પોતાના કેદ પકડાયેલા બન્ને ભાઈ – વિનાયક અને ગણેશ – માટે કંઈક કરવા માગતા હતા. વારંવાર વિનંતી કર્યા પછી ગાંધીજીએ ઉપર પ્રમાણે સલાહ આપી હતી. નારાયણરાવ અને ગાંધીજી વચ્ચે થયેલો પત્રવ્યવહાર ‘અક્ષરદેહ’માં સચવાયો છે.

ગાંધીજીએ એ વર્ષના મે મહિનામાં ‘યંગ ઈંડિયા’માં સરકારે સાવરકર બંધુઓને છોડવા જોઈએ એ મતલબનો એક લેખ લખ્યો હતો. આ લેખ પણ પ્રાપ્ય છે. સાવરકર બંધુઓ બ્રિટિશ શાસનના વફાદાર છતાં પોતાની રીતે દેશની સ્વતંત્રતા માટે પ્રયત્ન પણ કરતા હતા. ગાંધીજીને આનો ખ્યાલ હતો. તેથી જ સૈદ્ધાંતિક મતભેદ છતાં તેઓ ઇચ્છતા હતા કે સાવરકર બંધુઓ જેલમાંથી છૂટે.

સાવરકરનું જીવનચરિત્ર લખનાર વૈભવ પુરંદરે કહે છે કે ‘મારા મતે આ અરજીઓથી સાવરકર વિદ્રોહી તરીકે ઊણા નથી ઊતરતા અને અંગ્રેજોના ટેકેદાર પણ સાબિત નથી થતા.’ ઇતિહાસકાર તરીકે, જીવનચરિત્રકાર તરીકે આપ શું કહો છો ?

માત્ર અરજીઓથી સાવરકર અંગ્રેજોના ટેકેદાર સાબિત નથી થતા એ બરાબર છે. પણ આ અરજીઓ કર્યા પહેલા, 1939માં યુદ્ધ શરૂ થયું ત્યારે કે પછી 1942ના હિંદ છોડો આંદોલનમાં સાવરકર અંગ્રેજોની પડખે રહ્યા તો છે તેના દસ્તાવેજી પુરાવા છે. એક તરફ સાવરકર-હિંદુ મહાસભાએ અને બીજી તરફ ઝીણા-મુસ્લિમ લીગે સ્વાતંત્ર્ય સંગ્રામથી અળગા રહેવાનું પસંદ કર્યું કારણ કે ઝીણા એ નિશ્ચય પર આવ્યા હતા કે તેમના અસલી દુશ્મનો અંગ્રેજો નહીં પણ હિંદુઓ છે અને સાવરકર પણ માનતા કે તેમના અસલી દુશ્મનો અંગ્રેજો નહીં પણ મુસ્લિમો છે. આ બાજુ ગાંધી, નહેરુ, પટેલ, સુભાષચંદ્ર, મૌલાના આઝાદ અને અસંખ્ય ભારતીયો અંગ્રેજોને પોતાના અસલી દુશ્મન ગણતા અને માનતા કે બ્રિટિશરો એક દિવસ જશે અને હિંદુ-મુસ્લિમો મતભેદો છતાં એક થશે. આ ભેદ પાયાનો હતો. જો કે એનાથી પણ સાવરકર અંગ્રેજોના ટેકેદાર સાબિત નથી થતા, પણ એનાથી સાવરકરની કેદ થયા પહેલાની સ્વાતંત્ર્યપ્રાપ્તિની જે જ્વલંત ઝંખના હતી તે ધૂંધળી તો પડે છે.

ગાંધીજી અને સાવરકર 1909માં લંડનમાં મળ્યા હતા ત્યારે, સાવરકરે માર્સિલ્સમાં સ્ટીમરની બારીમાંથી કૂદી પડી નાસી જવાની જે હિંમત બતાવી હતી તેના ગાંધીજીએ વખાણ કર્યા હતા. 1944માં કસ્તૂરબા મૃત્યુ પામ્યાં ત્યારે સાવરકરે એમના નામે એકઠા થઈ રહેલા ફંડમાં ફાળો આપવાની ના કહી હતી. ગાંધી-સાવરકર સંબંધોને આપ કઈ રીતે વર્ણવો ?

સાવરકરની સ્ટીમરમાંથી નાસી જવાની પ્રસિદ્ધ ઘટના, ગાંધીજી અને સાવરકર લંડનમાં મળ્યા એ પછી બની હતી. પહેલા બની હોત તો ગાંધીજી એને જરૂર વખાણત. અને ગ્રામીણ-અભણ સ્ત્રીઓના ઉત્કર્ષ માટે એકઠા થઈ રહેલા કસ્તૂરબા-ફંડમાં ફાળો ન આપવા બદલ હું સાવરકરને બિલકુલ વખોડું નહીં. એ તેમની ઇચ્છાની વાત છે.

હિંદુમુસ્લિમ સમસ્યા સંદર્ભે ગાંધીજી અને સાવરકરના દૃષ્ટિકોણમાં જે જબરજસ્ત તફાવત હતો, તેને આંબેડકરે એમના 1940માં પ્રગટ થયેલા ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ પુસ્તકમાં બરાબર વર્ણવ્યો છે : ‘વિચિત્ર લાગે, પણ સત્ય એ છે કે સાવરકર અને ઝીણા સામસામે પક્ષે ઊભા હોવા છતાં એક છે. બંને માત્ર સંમત જ નથી; ખાતરીપૂર્વક, આગ્રહપૂર્વક માને છે કે ભારતમાં બે રાષ્ટ્ર વસે છે – હિંદુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્ર.’ ગાંધીજી આ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતની બિલકુલ વિરુદ્ધ હતા. ભાગલા પહેલા પણ, ભાગલા પછી પણ. મુખ્ય મતભેદ ત્યાં હતો.

બીજો મતભેદ સ્વતંત્રતા કઈ રીતે મેળવવી એ બાબતે હતો. સાવરકરનો માર્ગ ગન અને બૉમ્બનો હતો. ગાંધીજી માનતા કે જે માર્ગે આજે અંગ્રેજોની હત્યા થાય છે તે માર્ગે ભવિષ્યમાં દેશબાંધવોની હત્યાઓ પણ થશે; એટલે તેમણે સત્યાગ્રહનો રસ્તો બતાવ્યો જે ભારત જેવા દેશ માટે વધારે સલામત, વધારે અનુકૂળ હતો. જેમાં ગરીબ અને નિર્બળ પણ સશક્ત બનતો હતો. સાવરકરના મોટા ભાગના અનુયાયીઓ બ્રાહ્મણ અને ઉચ્ચ વર્ણના હતા. છેવાડાના લોકોનું સશક્તીકરણ એ સાવરકરનું ધ્યેય ન હતું. હિંદુઓને એક કરવા સાવરકરે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપ્યું હતું, પણ અસ્પૃશ્યો તરફની ઉચ્ચ વર્ણોની ક્રૂરતા સાથે એમને નિસબત નહોતી. 1920માં ગાંધીજીના કહેવાથી કૉંગ્રેસે અસ્પૃશ્યતાનિવારણને પોતાનું કાયમી ધ્યેય બનાવ્યું હતું. 1921માં એક સભામાં ગાંધીજીએ કહ્યું હતું, ‘અંગ્રેજોના અત્યાચારોને આપણે વખોડીએ છીએ, પણ આપણે આપણા અસ્પૃશ્ય ભાઈઓને પેટે ચલાવીએ છીએ, નાક રગડાવીએ છીએ અને લાલ આંખ કરી ટ્રેનમાંથી ઉતારી મૂકીએ છીએ. આ અત્યાચાર નથી ?’   

હિંદુમુસ્લિમ એકતા અને સમાજમાં સમાનતાના ગાંધીજીના આગ્રહે સાવરકરને ગાંધીના કટ્ટર દુશ્મન બનાવ્યા. ગાંધીના વિરોધીઓ તો અનેક હતા. પણ બે આગેવાનો એવા હતા જેઓ હંમેશા ગાંધીજીની વિરુદ્ધ રહ્યા, ઝીણા અને સાવરકર. ભાગલા પછી ઝીણા ભારતીય જ ન રહ્યા અને સાવરકર ભારતમાં રહ્યા, પણ ગાંધીજી સાથે કદી સુલેહ ન થઈ શકી.

ઇતિહાસકાર તરીકે આપ સાવરકરને કઈ રીતે મૂલવો ?

સાવરકર સારા કવિ અને લેખક હતા. તેમના સર્જનમાંથી તેમનો મહારાષ્ટ્ર અને ભારત પ્રત્યેનો પ્રેમ અને ગર્વ નીતરે છે. સ્ટીમરમાંથી ભાગી જવાની ઘટનાએ તેમને લાડકવાયા વીર બનાવ્યા હતા. તેઓ વિદ્વાન હતા, ચિંતક હતા. 1857ના વિદ્રોહને સ્વાતંત્ર્યયુદ્ધ તરીકેનો દરજ્જો સૌ પ્રથમ સાવરકરે આપ્યો હતો. હિંદુત્વના તેમના સિદ્ધાંતે મુસ્લિમો અને ખ્રિસ્તીઓને શરૂઆતથી જ દ્વિતીય કક્ષાના નાગરિક ગણ્યા હતા. આ સિદ્ધાંતમાં લોકશાહીનું તત્ત્વ કે આધુનિક અપીલ નથી, છતાં એમના અનુયાયીઓની સંખ્યા બહોળી છે. તેમણે અનેકવાર રાજકીય હિંસા થવા દીધી છે, બલકે પ્રેરી છે પણ પોતે શાંત અને અલિપ્ત રહ્યા છે. કેટલાક લોકો આને કૌશલ્ય ગણે, કેટલાક ન ગણે.  

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 ઑક્ટોબર 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—118

દીપક મહેતા|Opinion - Opinion|30 October 2021

જ્યારે રસોડું ઊભું નહોતું, બેઠું હતું

રોજિંદા જીવનમાં જાણ્યે-અજાણ્યે ઘણું રિસાઈકલિંગ થતું

રેશનિંગ આવ્યું અને મેરા સુંદર સપના બીત ગયા 

મનને ગમે મુંબઈ, આંખોમાં રમે મુંબઈ,
જૂદું સવારના, જૂદું બપોરના,
જૂદું છે સાંજ સમે મુંબઈ.

૧૯૪૫માં ભજવાયેલા પ્રભુલાલ દ્વિવેદીના નાટક ‘સમય સાથે’નું આ ગીત એ જમાનામાં ખૂબ લોકપ્રિય થયું હતું. કાલબાદેવીની વીશીમાં એક ભાણામાંથી બે કરીને જમનારા છગલો અને જગલો નસીબની બલિહારીથી લાખો રૂપિયા કમાઈ જાય છે અને છગનલાલ નાણાવટી અને જુગલકિશોર શેઠ બની જાય છે ત્યારે ગવાતું આ ગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું. પ્રખ્યાત નટો છગન રોમિયો અને અનંત વીણ આ પાત્રો ભજવતા. માત્ર સવાર, બપોર, સાંજે જ નહિ, ક્ષણે ક્ષણે રૂપ બદલતું રહે મુંબઈ. તો છેલ્લાં ૭૫-૮૦ વરસમાં તો કેટલું બદલાઈ ગયું હોય! આપણે ઘરના રસોડાથી જ વાત શરૂ કરીએ.

એ જમાનાના રસોડામાં નહોતાં ગેસનાં સિલિન્ડર કે નહોતા ‘માઈક્રો.’ રસોડું પણ ‘ઊભું’ નહોતું, ‘બેઠું’ હતું. રસોડાના એક ભાગમાં રસોઈ કરવાની ‘ચોકડી.’ ફર્શ કરતાં છ-સાત ઇંચ ઊંચી. તેમાં કાં લોઢાની બે સગડી, કાં ઈંટ-સિમેન્ટમાં જડેલી બીડની ભઠ્ઠી. રસોડાના એક ખૂણામાં, કે બહાર ‘ગેલેરી’માં (એ વખતે બાલ્કનીને ગેલેરી કહેતાં) કોલસાની ગુણ પડી જ હોય. રાંધવા ઉપરાંત ગરમ પાણીના બંબામાં પણ કોલસા જ વપરાય. કોલસામાં પાછી ત્રણ જાત: પથ્થરિયા, લાકડિયા, અને બદામી. એ વખતે મુંબઈમાં ઠેર ઠેર કોલસાની દુકાનો. ત્યાંથી મહિનાનો કોલસો મગાવી લેવાનો. ચોમાસામાં ભીના કોલસા આવે ત્યારે સળગાવતાં નાકે દમ આવે. આજે તો મુંબઈમાં કોલસા ક્યાં મળે એની ય ઘણાખરાને ખબર નહિ હોય. સગડી કે ભઠ્ઠી સળગે એટલે પિત્તળનાં જૂદાં જૂદાં તપેલાંમાં વાનગીઓ રંધાવા મૂકાય. પ્રેશર કૂકર તો હજી આવ્યાં નહોતાં એટલે સીટી વાગતી નહિ. પણ ફરજિયાત ‘સ્લો કૂકિંગ’ને કારણે વાનગીઓ એવી સ્વાદિષ્ટ કે ખાતાં મોમાંથી સીટી વાગી જાય. જાતજાતનાં રસાયણો લગાડેલ વાસણો ત્યારે અજાણ્યાં, એટલે લોઢાની લોઢી પરથી ગરમ ગરમ રોટલી ઊતરતી જાય. ખબર નહિ કેમ, પણ અમારા ઘરમાં ‘તવો’ શબ્દ ક્યારે ય સાંભળ્યો નહોતો. ‘લોઢી’ જ બોલાય. કોલેસ્ટોરલની પરવા કર્યા વગર રોટલી ઘીમાં નહાતી જાય. એ વખતે કામ પર જતાં પહેલાં પુરુષો જમી લે, અને પછી જ ઘરની બહાર નીકળે એવો રિવાજ ઘણાં ઘરોમાં. એટલે ઘીથી સદ્યસ્નાતા રોટલી પહોંચે સીધી પિત્તળની થાળીમાં. સ્ટેનલેસ સ્ટીલ આવ્યું ત્યારે શરૂઆતમાં ઘણાં કહેતાં : ‘અરે, લોઢાની થાળીમાં તે જમાય?’ જમી પરવાર્યા પછી સગડી કે ભઠ્ઠીની રાખ ભેગી કરીને ડબ્બામાં ભરી લેવાય. વાસણ ઉટકવા માટે (સાફ કરવા માટે) એ રાખ વપરાય. એ માટે રંગબેરંગી પાઉડર કે પ્રવાહીની જરૂર જ ન વર્તાય. એ વખતે રોજિંદા જીવનમાં જાણ્યે-અજાણ્યે આવું તો ઘણું રિસાઈકલિંગ થતું.

પાણી ગરમ કરવાનો બંબો

મધ્યમ વર્ગનાં ઘરોમાં ડાઇનિંગ ટેબલ અને ખુરસીનો પ્રવેશ હજી નહોતો થયો. લાકડાના લાલ પાટલા પર બેસવાનું અને સામે થાળી. ઘણાં ઘરોમાં થાળી પણ બીજા પાટલા પર. ચમચા-ચમચી આવી તો ગયા હતા, અને છોકરાં કે જુવાનિયાં વાપરે પણ ખરાં, પણ સબડકા ભરીને જમવાની લિજ્જત મોટેરાંઓ તો જતી કરવા તૈયાર નહોતા. ખાવા-પીવામાં આજ જેટલી વેરાયટી નહિ. ગુજરાતી ઘરમાં પંજાબી દાલ મખ્ખની કે ‘મદ્રાસી’ સાંભાર ભાગ્યે જ બને. આપણે આપણો ધર્મ સંભાળવો. ફ્રૂટનો વપરાશ પણ ઘણો ઓછો. સિઝનમાં કેરી, અને બારમાસી ફ્રૂટ કેળાં. ખરા અર્થમાં ફ્રૂટ ખાવાનું આપણને શીખવ્યું દેશના ભાગલા પછી આવેલા સિંધી-પંજાબીઓએ. અને જૂદા જૂદા પ્રદેશનાં ફ્રૂટ લગભગ આખા દેશમાં મળે એ શક્ય બન્યું કોલ્ડ સ્ટોરેજ ચેનને પ્રતાપે.

કોલસાનો કોથળો

રેડી ટુ ઈટ, રેડી ટુ કૂક, રેડી ટુ કિલ વાનગીઓનાં પેકેટ ત્યારે કોઈએ જોયાં ય નહોતાં. હોય તો જુએ ને! એટલું જ નહિ, બજારુ વસ્તુઓનો વપરાશ ટાળવાનું વલણ. આખા વરસના મસાલા – મરચાં પાઉડર, હળદર, ધાણાજીરું વગેરે ઘરે બનતા અને આખું વરસ વપરાતા. ઘરમાં વસ્તી ઝાઝી હોય અને મસાલાનું પ્રમાણ વધુ હોય તો એ ખાંડવા માટે પ્રોફેશનલ બાઈઓને બોલાવતા. આજની જેમ ટેબલ સોલ્ટ નહિ, પણ આખું મીઠું વપરાતું. ચટણી જેવી ચટણી પણ પથ્થર પર હાથે વટાતી, રોજ તાજેતાજી. આખું વરસ ચાલે એટલાં અથાણાં – મેથિયા કેરી, છૂંદો, મુરબ્બો, ગૂંદા, વગેરે ઘરે જ બનતાં. સફેદ કોડી કાચની નાની-મોટી બરણીમાં ભરીને ઢાકણું મજબૂત રીતે બંધ કર્યા પછી તેનું મોઢું એકદમ ચોખ્ખા સફેદ કાપડના કટકાથી બંધ થતું.

મસાલાની જેમ આખું વરસ ચાલે એટલાં વડી-પાપડ પણ એપ્રિલ—મેમાં ઘરે બનતાં. માત્ર ચાલીઓમાં જ નહિ, ફ્લેટમાં રહેતાં કુટુંબોમાં પણ અડોશ-પડોશનાં બૈરાં જમ્યા પછી ભેગાં થતાં, પાપડ વણતાં અને ઘરનાં છોકરાં એ સૂકવતાં. સાથે સાથે સાબુચોખાની ફરફર, બટેટાનાં જાળિયાં, વગેરે પણ બની જાય. ઘણાં ઘરોમાં ગુવાર વગેરે શાકની સૂકવણી બનાવવાનો પણ રિવાજ. પાપડ સૂકાઈ જાય પછી મદદ કરવા આવેલાં બૈરાંને ઘરે પાંચ-પાંચ પાપડ તો મોકલવાના જ. આટલું જ નહિ, કોઈ પણ સારે માઠે પ્રસંગે પડોશીઓ એકબીજાને મદદ કરતાં, અને જરૂર પડ્યે પોતાનું ઘર પડોશી માટે ખુલ્લું મૂકી દેતાં. અલબત્ત, આનો અર્થ એવો નહોતો  કે પડોશીઓ વચ્ચે ઝગડા ન થતા, કે ઈર્ષા નહોતી. ‘માનવ માત્ર અધૂરાં’ એ ન્યાયે એ બધું હતું. અને છતાં માણસાઈની સીમા ભાગ્યે જ ઓળંગાતી.

અથાણાંની બરણીઓ

બરણી, ડબ્બા, વાસણો વગેરે રાખવા માટે હજી કિચન કેબિનેટ આવવાને વાર હતી. રસોડાની દિવાલ પર લાકડાની અભરાઈઓ પર આ બધું વ્યવસ્થિત રીતે લાઈન બંધ ગોઠવાતું. એ જમાનામાં રસોડામાં જરૂર જોવા મળે એવી બે ચીજનું આજે નામોનિશાન રહ્યું નથી. એક તો શીકું, જે સિલિંગમાં હૂક નાખીને સાંકળથી ટીંગાડયું હોય. ફ્રીજ હતાં નહિ એટલે શાકભાજી તાજાં રાખવા માટે આ શીકામાં મૂકાય. ઉંદર-બિલાડીથી બચાવવા રાતે દૂધ-દહીં પણ તેમાં મૂકાય. પતરાની પટ્ટીઓના બનેલા આ શીકાને ઘણા ઘરોમાં ખોટાં મોતી કે રંગીન પારાથી, કે રંગીન કપડાંની પટ્ટીઓથી શણગાર્યું હોય. બીજી વસ્તુ તે પાંજરી અથવા જાળિયું. આમ તો હોય લાકડાની કેબિનેટ, પણ તેની ત્રણ બાજુએ ઝીણાં કાણાંવાળી જાળી જડી હોય. એથી સતત હવાની આવજા રહે, અને તેમાં રાખેલ વસ્તુ ઝટ બગડે નહિ.

પણ પછી એકાએક દરેક ગૃહિણીના કંઠમાંથી આ ગીત સરી પડ્યું : ‘મેરા સુંદર સપના બીત ગયા.’ બીજા વિશ્વયુદ્ધે આખી બાજી બદલી નાખી. જીવન જરૂરિયાતની – ખાસ કરીને ખાધાખોરાકીની વસ્તુઓની ભયંકર અછત સર્જાઈ. આ અછતને પહોંચી વળવા સરકારે રેશનિંગ દાખલ કર્યું. દરેક કુટુંબે રેશન કાર્ડ કઢાવવાનું ફરજિયાત. તેમાં કુટુંબનાં બધાં સભ્યોનાં નામ, ઉંમર, વગેરે લખ્યાં હોય. એ પ્રમાણે દર અઠવાડિયે કે પંદર દિવસે ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ, ઘાસલેટ, વગેરે રેશનની દુકાનેથી લઈ આવવાનું. એ માટે સવારથી લાંબી લાઈનો લાગે. રેશનમાં જે અનાજ મળે તે લગભગ કચરા જેવું. અમેરિકાના લાલ ઘઉં, ઉકડા કે કણકી ચોખા, સડવા માંડેલું કઠોળ. વજન વધારવા ભીની કરેલી ખાંડ. અરે, બ્રેડ સુધ્ધાં રેશનિંગમાં. એ મેળવવા માટેની પ્રક્રિયા પણ અટપટી. પહેલાં તો, તમારે રેશનમાં મળતા ઘઉં જતા કરવા પડે.  તેના બદલામાં રેશનની દુકાનમાંથી બ્રેડની કૂપન આપે. એ કૂપન બેકરીને આપો પછી જ તે તમને બ્રેડ વેચે. અને હા, એ વખતે બ્રેડ એટલે આજના સ્લાઈસ્ડ બ્રેડ નહિ. આજે જેને લાદી પાઉં કહીએ છીએ તે. લગભગ દરેક લત્તામાં એકાદ ભઠિયારખાનું (એ વખતે બેકરી માટે વપરાતો શબ્દ) તો હોય જ. તેમાં સવાર-સાંજ તાજાં પાઉં બને. બેકરી પાસેથી પસાર થાવ તો ય તાજા પાઉંની સોડમ તમને બે ઘડી ઊભા રાખે. આજે હવે તેનું સ્થાન લીધું છે તે સ્લાઈસ્ડ બ્રેડ પણ બીજા વિશ્વયુદ્ધની દેણ. એની શરૂઆત થઈ લશ્કરથી. સૈનિકોને એ બ્રેડ અપાતાં. મુંબઈમાં આર્યન બ્રેડ કંપનીએ પહેલવહેલી વાર આ બ્રેડ દાખલ કર્યાં. લશ્કર સાથેના તેના સગપણને કારણે શરૂઆતમાં લોકો તેને સર્વિસ બ્રેડ તરીકે ઓળખતા. હજી પ્લાસ્ટિક તો ચલણી બન્યું નહોતું એટલે સફેદ મીણિયા કાગળમાં બ્રેડ પેક થતું. આ બેકરીનો ધંધો મુખ્યત્વે મુસ્લિમો અને ઈરાનીઓના હાથમાં. આજે હવે ‘કુકીઝ’ તરીકે વેચાય છે તે ‘દેશી બિસ્કિટ’ પણ એ જ બનાવે. આજે ઘરે ઘરે ખવાય છે એ બિસ્કિટ એ જમાનામાં લગ્ઝરી ગણાતા, કારણ ઇન્ગ્લંડ-અમેરિકાથી આવતાં. મોંઘા દાટ. એટલે પૈસાદારના ઘરમાં જ પોસાય. ઈરાની હોટેલોના બન મસ્કા અને ચા તો અફલાતૂન.

બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું, દેશ આઝાદ થયો, પણ અછતનાં પૂર ઓસર્યાં નહિ. બલકે નવી નવી વસ્તુઓ અછતની યાદીમાં ઉમેરાતી ગઈ. મોટર લેવી છે? સાત વરસ રાહ જુઓ. સ્કૂટર? પાંચ વરસ. ઘરે ટેલિફોન જોઈએ છીએ? સાત-આઠ વરસ પછી મળશે. આ કાયમી અછતે બે વસ્તુને જન્મ આપ્યો : લાગવગ વાદ, અને કાળા બજાર. આ બેમાંથી એક, કે બંને, હથિયાર વાપરો તો જોઈતી વસ્તુ તરત તો નહિ, પણ જલદી મળે. પરિણામે તવંગર અને ગરીબ વચ્ચેની ખાઈ વધુ ઊંડી અને પહોળી થતી ગઈ. જીવન જરૂરિયાતની વસ્તુઓ મધ્યમ વર્ગ માટે લગ્ઝરી બનવા લાગી. લગ્ઝરીની વસ્તુઓ અમીરો માટે જીવન જરૂરિયાત બની ગઈ. આને પરિણામે મુંબઈનો અને મુંબઈગરાનો ચહેરોમહોરો બદલાઈ ગયો. સૌ મોટેથી ગાવા નહિ તો ય કરસનદાસ માણેકની પંક્તિઓ મનમાં ગણગણવા લાગ્યા :

કીડી-કણ, હાથીનો હારો:
સૌને સૌનું જાય મળી;
જગન્નાથ સૌને દેનારો:
અર્ધ વાણી તો આજ ફળી.
જગન્નાથનો જય પોકારો:
કીડીને કણ પણ મળી રે’શે;
ડુંગરનો હાથી તો હારો,
દ્યો નવ દ્યો પણ લઇ લેશે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાી મિડ-ડે”, 30 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7081,7091,7101,711...1,7201,7301,740...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved