Opinion Magazine
Number of visits: 9674481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવાઇ દુર્ઘટનાઓએ ઘણાં ચાવીરૂપ ભારતીયોના જીવ લીધા અને સાથે કન્સપિરસી થિયરીઝ આપી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 December 2021

વાસ્તવિકતા એ છે કે હિમાલયની સરહદે યુદ્ધ જેવા સંજોગોમાં આપણે સી.ડી.એસ. બિપિન રાવતને ગુમાવ્યા છે તેનાથી વરવું કંઇ ન હોઇ શકે

તમિલનાડુના કુન્નુરમાં ખરાબ હવામાનને કારણે સી.ડી.એસ. બિપિન રાવતનું ચૉપર ક્રેશ થયું. ૮ ડિસેમ્બરની બપોરથી લઇને એક અજીબ તણાવમાં દેશની નસેનસમાં વર્તાયો. તેમની સિદ્ધિઓ, તેમની કાબેલિયત, તેમના અભિગમની ચર્ચાઓ ન્યૂઝરૂમથી માંડીને ત્યાં બધે જ થઇ જ્યાં વિકી કૌશલ અને કૅટરીના કૈફના લગ્નની પંચાત નહોતી ચાલતી. એક રાષ્ટ્ર તરીકે આપણે માટે આ બહુ મોટો ધક્કો છે.

પહેલાં તો બિપિન રાવત વિશે થોડી વધુ વિગતો જાણીએ અને પછી ચર્ચા કરીએ એવા રાજકીય મૃત્યુઓની જે આજે પણ એક રહસ્ય છે, ખાસ કરીને એર ક્રેશમાં ગુજરી ગયેલા મહત્વનાં રાજકીય ચહેરાઓ!

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને આ પદવી એટલે કે સી.ડી.એસ.ની પદવી – ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ મળી હતી. મૂળ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં જન્મેલા બિપિન રાવત લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવતના દીકરા હતા. તે સેન્ડ એડવર્ડ સ્કૂલ શિમલા અને નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસનાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ડિસેમ્બર ૧૯૭૮માં દહેરાદૂનની મિલિટરી એકેડેમીમાંથી ૧૧મી ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનમાં તેમને પહેલીવાર કમિશન કરાયા અને આ જ બટાલિયનમાં તેમને સ્વૉર્ડ ઑફ ઓનરનું સન્માન મળ્યું હતું. સી.ડી.એસ. બનેલા બિપિન રાવત દેશના ૨૭મા આર્મી ચીફ હતા. વૉર ઝોન, આતંકવાદ સામેની લડાઇ વગેરેમાં તે માહેર હતા અને અગણિત મેડલથી નવાજાયેલા બિપિન રાવતની છાતીએ જેટલા મેડલ્સ હતા, તે તમામની વિગતે વાત કરવા લાંબો સમય અને અઢળક વર્ડ સ્પેસ જોઇએ. સર્જીકલ સ્ટ્રાઇક્સ અને કાઉન્ટર ઇમર્જન્સી ઓપરેશન્સના એક્સપર્ટ બિપિન રાવતે ૪૦ વર્ષ સેનામાં સેવા આપી. સેનાની ત્રણેય પાંખ વચ્ચે કોર્ડિનેશન રહે તે માટે ૨૦૧૯માં વડા પ્રધાને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદની રચના કરી. સી.ડી.એસ. બિપિન રાવતનું ચૉપર ક્રેશ થયું તેના અફસોસ અને હાયકારા વચ્ચે અનેક કૉન્સપિરસી થિયરીઝ પણ ચર્ચાવા માંડી છે. એ થિયરીઝની ચર્ચા કરીએ, પણ પહેલાં એ તમામ ભારતીય રાજકીય ચહેરાઓને યાદ કરીએ જે એર ક્રેશમાં માર્યા ગયા.

સંજય ગાંધીઃ ૨૩મી જૂન ૧૯૮૦માં સંજય ગાંધી જે જનરલ ઇલેક્શન્સને પગલે ફરી સત્તા પર આવ્યા હતા તે એર ક્રેશમાં માર્યા ગયા. દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પાસે આ ઘટના ઘટી. જે ટ્રેનર તેમની સાથે હતા, તેનું પણ આ ઘટનામાં મોત થયું હતું. નજરે જોનારાઓનું કહેવું હતું કે નાનકડા એરક્રાફ્ટમાં પાયલટ તરીકે તાલીમ પામેલા સંજય ગાંધી કોઇને કોઇ કરતબ કરી રહ્યા હતા અને એમાં એરક્રાફ્ટ ધસમસતું નીચે આવ્યું અને તેના ફુરચા ઊડી ગયા. કન્સપિરસી થિયરીઝના મતે સંજય ગાંધીના વધતા પ્રભાવને કારણે તેમણે રાજકારણમાં ઘણા દુશ્મનો ખડા કર્યા હતા, જેમણે તેમના મોતનો કારસો ઘડ્યો હતો. બીજા એરક્રાફ્ટ ક્રેશ થાય તો ભડકે બળે એવું આ કિસ્સામાં નહોતું થયું બલકે એરક્રાફ્ટ જમીન તરફ ધસ્યું અને ગોળ ગોળ ફરતું ફરતું જમીન પર પડ્યું. કહેવાય છે કે દીકરો ગુમાવ્યાના આઘાતમાં ઘટના સ્થળે પહોંચેલા ઇંદિરા ગાંધીએ દીકરાની ઘડિયાળ અને કિ રિંગ્ઝ શોધવાની કોશિશ કરી, પણ એ પણ કોઇ સગું લઇ ગયું હતું.

મોહન કુમારમંગલમઃ કાઁગ્રેસના લીડર અને પૂર્વ લોક સભા એમ.પી. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા જે દિલ્હીમાં ક્રેશ થઇ હતી અને તેમનું મોત થયું હતું.

સુરેન્દ્ર નાથઃ  તે સમયે પંજબના ગવર્નર તરીકે નિમાયેલા સુરેન્દ્ર નાથ ૧૪ સીટર બીચક્રાફ્ટ પ્લેનમાં ચંદીગઢથી કુલુ જઇ રહ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ૯ જુલાઇ ૧૯૯૪ના દિવસે પ્લેન ક્રેશ થયું અને તેમની સાથે પ્લેનમાં મુસાફરી કરનારા પરિવારના ૯ સભ્યો પણ માર્યા ગયા.

માધવરાવ સિંધિયાઃ  કાઁગ્રેસના સિનિયર સભ્યે કાનપુર જઇ રહ્યા વહતા જ્યારે તેમના ચાર્ટર્ડ ફ્લાઇટ યુ.પી. પાસેના એક ગામમાં ક્રેશ થઇ ગઇ. ૨૦૦૧ થયેલા આ અકસ્માત સમયે તે ૫૬ વર્ષના હતા.

જી.એમ.સી. બાલાયોગી:  લોકસભાના સ્પીકર અને તેલુગુ દેશમ્‌ પાર્ટીના લીડર બાલોયોગી આંધ્રપ્રદેશ પાસેના ક્રિષ્ના જિલ્લા પાસે ચોપર ક્રેશમાં ૩ માર્ચ ૨૦૦૨ના રોજ માર્યા ગયા.

સૌંદર્યાઃ અભિનેત્રી અને ભા.જ.પા. સભ્ય કે.એસ. સૌમ્યા જેને સૌંદર્યા તરીકે લોકો સારી પેઠે જાણતા હતા, તે ૧૭ એપ્રિલ ૨૦૦૪માં હેલિકૉપ્ટર ક્રેશમમાં મોતને ભેટ્યાં. તે બેંગલુરુથી કરિમનગર એક ઇલેક્શન કેમ્પેઇન માટે જઇ રહ્યાં હતાં.

ઓ.પી. જિંદાલ અને સુરેન્દર સિંઘઃ જાણીતા ઉદ્યોગકાર ઓ.પી. જિંદાલ એક સમયે હરિયાણાના પાવર મિનિસ્ટર હતા, ત્યારે માર્ચ ૨૦૦૫માં એક ચૉપર ક્રેશમાં માર્યા ગયા હતા. તે ચંદીગઢથી દિલ્હી પાછા ફરી રહ્યા હતા અને તેમની સાથે રાજ્ય સ્તરીય કૃષિ મંત્રી સુરેન્દર સિંઘ પણ હતા, જેમનો પણ આ ક્રેશમાં જીવ ગયો હતો.

વાય.એસ. રાજશેખરા રેડ્ડીઃ તે સમયે આંધ્રપ્રદેશના ચિફ મિનિસ્ટર તરીકે કામ કરનારા વાય.એસ. રાજશેખરા રેડ્ડીનું ટ્વિન એન્જિન્ડ બેલ ૪૩૦ હેલિકૉપ્ટર નલ્લામાલા હિલ્સમાં ક્રેશ થયું. ૨૦૦૯ સપ્ટેમ્બરની આ ઘટનામાં તેમનું મોત થયું હતું.

દોરજી ખાંડુઃ અરુણાચલ પ્રદેશના માજી મુખ્ય મંત્રી પણ આવા એક હેલિકૉપ્ટર ક્રેશમાં માર્યા ગયા હતા. ભારત ચીનની બોર્ડરથી ૩૦ કિલોમિટર દૂર તવાંગ પાસે આ અકસ્માત થયો હતો અને તેમનું શરીર પાંચ દિવસ પછી મળ્યું હતું.

આ તરફ બિપિન રાવતના મોત પછી ચીને આ આખો અકસ્માત ઊભો કર્યો હોવાની કન્સપિરસી થિયરીની ચર્ચા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલવા માંડી. જાન્યુઆરી ૨૦૨૦માં તાઇવાનના ચિફ ઑફ જનરલ સ્ટાફ શે યી મિંગ અને બીજા સાત જણા તૈપી પાસે આવેલી ટેકરીઓ પાસે હેલિકૉપ્ટર ક્રેશ થતા માર્યા ગયા હતા.

જનરલ રાવતના ચૉપર ક્રેશની સરખામણી તાઇવાનના ચિફ ઑફ જનરલ સ્ટાફ સાથે કરનારાઓનું કહેવું છે કે સૈન્ય સાથે સંકળાયેલા અગત્યના લોકો શા માટે આ જ રીતે મૃત્યુ પામી રહ્યા છે. પી.સી.આર.ની ઉગ્રતા સામે લડનારા મુખ્ય લોકોને ખતમ કરવાનું આ ષડયંત્ર છે. વળી કહેનારાઓના મતે આ બન્ને ક્રેશ વચ્ચે કંઇ કનેક્શન છે, એમ નથી પણ જો જોવું જ હોય તો એ સવાલ તો કરવો પડે કે મિલિટરી હેલિકૉપ્ટર્સ આટલી બદતર હાલતમાં કેવી રીતે હોઇ શકે? વળી આટલી અગત્યની વ્યક્તિ મુસાફરી કરવાની હોય તો છેડા ઢીલા મુકાયા હોય કે મેઇન્ટેન્સ વગરનું ચૉપર લેવાયું હોય તે વાતમાં કોઇ દમ નથી. આ થિયરીની ચર્ચા ચાલી ત્યાં ચીનના ગ્લોબલ ટાઇમ્સે એમ કહ્યું કે યુ.એસ.એ.નો તેમાં હાથ હોઇ શકે કારણ કે ભારત રશિયા પાસેથી s-400 મિસાઇલ ડિફેન્સની ડિલીવરી લઇ રહ્યો છે. કન્સપિરસી થિયરીઝ જે કહે એ પણ વાસ્તવિકતા એ છે કે હિમાલયની સરહદે યુદ્ધ જેવા સંજોગોમાં આપણે સી.ડી.એસ. બિપિન રાવતને ગુમાવ્યા છે તેનાથી વરવું કંઇ ન હોઇ શકે.

બાય ધી વેઃ

લાલ બહાદુર શાસ્ત્રીના મોતને લઇને અનેક થિયરીઝ ચાલી. તેની પર ફિલ્મો સુધ્ધાં બની. સુભાષચંદ્ર બોઝ તો ગાયબ જ થઇ ગયા હતા અને તે બીજે ક્યાંક જીવતા હતા તેવી વાતો આજે ય થાય છે. લાલ બહાદુર શાસ્ત્રીના મોત અંગે ભારત સરકારે સેવેલી ચુપકીદી પર ઘણીવાર સવાલ ઊઠ્યા છે. તાશ્કંત કરાર પર સહીં કર્યાના કલાકો પછી શાસ્ત્રીજીનું મોત, ભુરું પડેલું શરીર જેવું કેટલું ય છે જેના કોઇ જવાબ નથી. બદલાયેલા સમય સાથે હત્યાની તકનિકો પણ બદલાઇ છે. આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે મહત્વના રાજકીય ચહેરાઓ, કાબેલ અધિકારીઓને આપણે કોઇ પણ પ્રકારના અકસ્માતોમાં ન ગુમાવીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  12 ડિસેમ્બર 2021

Loading

લાગણીનું વાવેતર

કમલેશ ઓઝા|Opinion - Opinion|12 December 2021

સંવેદનાની સફરમાં

મિ. સ્વપ્નિલ મહેતા, તમે એક તેજસ્વી યુવાન છો. તમારી વિદ્યાર્થી અવસ્થાની કારકિર્દી અદ્દભુત રહી છે. નવચેતન હાઇસ્કૂલના એક આદર્શ શિક્ષક તરીકે નામના મેળવી છે તે જયંતભાઇ મહેતાના એકના એક પુત્ર છો. એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યા પછી કૌટુંબિક જવાબદારી લેવા સાથે તમે અનેક જગ્યાએ નોકરી માટે અરજી કર્યા પછી પણ તમારી તેજસ્વી કારકિર્દીને કોઇએ, ગણત્રીમાં ન લીધી. અને તમે સતત બે વર્ષથી બેકારીના ખપ્પરમાં હોમાયા છો, પણ તમે એક આદર્શ શિક્ષક જયંત મહેતાના આદર્શ પુત્ર હોવાના નાતે, મૂલ્યનિષ્ઠ જીવન જીવવામાં માનો છો અને સમાજની કોઇ પણ બદી તમારામાં આવી નથી. તમને બે વર્ષ સુધી મનગમતી, લાયકાત મુજબની નોકરી ન મળતાં, તમે મિ. સ્વપ્નિલ મહેતા, છેવટે રિક્સા ચલાવવાનો નિર્ણય કરી, સવારના સાતથી સાંજના સાત કલાક સુધી કોઇ પાસેથી ભાડાની રિક્સા ચલાવી તમારા કુટુંબના આર્થિક જરૂરિયાતો પૂરી કરો છો. તમે, મિ. સ્વપ્નિલ મહેતા, તમારામાં પોતાનામાં અખૂટ તાકાત હોવાને નાતે તમે નિરાશા, ઉદાસી, ગમગીનીને તમારી પાસે આવવા દીધી નથી. મિ. સ્વપ્નીલ મહેતા, તમારી કોલેજકાળ દરમ્યાનની તમારી તેજસ્વી કારકિર્દી તમારો માયાળુ સ્વભાવ, અને સ્ટ્રોંગ વિલ-પાવરથી, તમારી પાસે મોટું મિત્રવર્તુળ ધરાવી શક્યા છો. તમારી સાથે ભણતા અનેક મિત્રો કોઇ ડૉક્ટર, કોઇ એન્જિનિયર, કોઇ મોટા વેપારી બની ગયા છે, પણ તમારી સ્થિતિ એક મધ્યમ વર્ગના કુટુંબના માત્ર સામાન્ય જીવનશૈલી ધરાવતા યુવાનની બની ચૂકી છે. છતાં તમે હૃદયથી, અંદરથી ખૂબ જ મજબૂત હોવાથી રિક્સા ચલાવવામાં નાનપ અનુભવ્યા વિના, તમારા કુટુંબ જીવનનું ગાડું ચલાવ્યા કરો છો. તમે તમારા અનેક મિત્રોને અવાર નવાર મળીને ફોન કોલ કરીને સંબંધ જાળવી રાખ્યો છે. પણ ક’દી કોઇ મિત્ર પાસે આર્થિક મદદ માંગી નથી. તમે જ પરિસ્થિતિ છે તેમાં તમારી જાતને પૂરેપૂરી ગોઠવી તમારી પોતાની મસ્તીમાં જીવો છો.

મિ. સ્વપ્નીલ મહેતા, તમારી આર્થિક, નાજુક પરિસ્થિતિના હિસાબે તમારું કુટુંબજીવન ઘરનું ગુજરાન મધ્યમ કક્ષાએ ચાલી રહ્યું છે, અને તમે માત્ર તમારા અંધકારભર્યા દિવસો પસાર કરી, હાર્યા વિના થાક્યા વિના, તમારી ઘરખર્ચી કાઢીને, તમારાં મમ્મી પપ્પાની સારી રીતે સંભાળ રાખો છો. પણ તમારી નાજુક પરિસ્થિતિથી ક’દી તમારા બેંક એકાઉન્ટમાં માતબર રકમ લાવી શક્યા નથી. અને તમે લગભગ કોઇપણ બચત વિનાના કારોબારમાં તમારા દિવસો પસાર કરી રહ્યા છો. તમારા પિતાશ્રી જયંત મહેતા આશરે ૮૦ વર્ષ પહોંચી ગયા છે. મૂલ્યનિષ્ઠ શિક્ષક હોવાના નાતે તમારા પિતાશ્રીએ ક’દી કોઇ વિદ્યાર્થી પાસેથી ટ્યુશનના પૈસા લીધા નથી અને અનેક વિદ્યાર્થીઓને સેવા નાતે શિક્ષણ આપવું એ શિક્ષકની ફરજ છે, તે સિદ્ધાંત સાથે કોઇપણ પૈસા લીધા વિના અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. જેમાના ઘણા વિદ્યાર્થી ડૉક્ટર, એન્જીનિયર, નામાંકિત વેપારી બની ચૂક્યા છે. અને ઘણાં વિદ્યાર્થી અમદાવાદ બહાર પણ જતાં પોતાના આગવી આઇડેન્ટીટી ઊભી કરી લગભગ સેટલ થઇ ગયા છે. મિ. સ્વપ્નિલ મહેતા, આ તમારો હવે ભૂતકાળ બની ગયો છે. અને તમારા પિતાશ્રી મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને ઉમદા વ્યક્તિત્વએ કોઇ બેંકમાં હાથ પર કોઇ ખાસ બચત કરી શક્યા નથી. એટલે રોજિંદી જીવન વ્યવહાર દવા મેડિકલ એક્સપેન્સ માટે પણ કોઇવાર તમે આર્થિક સંકડામણ અનુભવતા હો છો. પણ તમે નિરાશ થયા વગર, તમારી રિક્સા ચલાવવાની પ્રવૃત્તિમાંથી ફારેગ થયા નથી, અને તમારો જીવનરથ મધ્યમ કક્ષાની ગતિએ ચાલ્યા કરે છે.

મિ. સ્વપ્નિલ, તમારા મધ્યમ ગતિએ ચાલતા જીવનરથમાં એકાએક એક દિવસ ભયંકર કટોકટીમાં ફેરવાઇ ગયો. તમારા પિતાશ્રી જયંત મહેતાની તબીયત એકદમ બગડી જતાં શ્વાસ પણ ન લઇ શકે, તેવી પરિસ્થિતિમાં, તમારે તેમને તાત્કાલિક તમારા ઘરથી નજીક ડૉ. સચિન કાપડિયાની અદ્યતન હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા ખિસ્સામાં તમારી પાસે એકપણ રૂપિયો ન હોવા છતાં, હિમ્મત કરીને તમે ડૉ. કાપડિયાને તમારા પિતાશ્રીની તબિયત બતાડવા પહોંચો છો. તમારા પિતાશ્રીની નાજુક પરિસ્થિતિ જોતા ડૉ. કાપડિયા તમારા પિતાશ્રીને આઇ.સી.યુ.માં દાખલ કરી દે છે, અને તેમને વેન્ટીલેટર પર રાખી ડૉ. કાપડિયા તેમના આસિસ્ટન્ટને જરૂરી સૂચના આપી દવાની યાદી બનાવે છે. અને મિ. સ્વપ્નિલ મહેતા, તમને દવા લઇ આવવાનું સૂચન કરે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમે તાત્કાલિક મેડીકલ સ્ટોર પર પહોંચો છો અને દવાનું લીસ્ટ આપી દવા આપવાનું કહો છો. ત્યાં જ તમારો ખાસ મિત્ર આસુતોષ ગજ્જર દવાની દુકાન પાસેથી પોતાની લક્ઝરિયસ કારમાં પસાર થતાં, તમને જૂએ છે અને કાર પાર્ક કરી તમારી પાસે આવીને કહે છે, સ્વપ્નિલ, શું થયું દવા લેવા શું કામ આવ્યો છે, બધા તો ક્ષેમકુશળ છે ? ને તારા પપ્પા કેમ છે ? એકધારા અનેક સવાલોના કોઇ જવાબ દેવાની, સ્વપ્નિલ મહેતા, તમારી કોઇ તાકાત નથી. માત્ર તમે એટલું જ કહો છો કે પપ્પાને બાજુની ડૉ. કાપડિયાની હોસ્પિટલમાં દાખલ કર્યા છે, અને હું દવા લેવા આવ્યો છું. પણ મારી પાસે એક પણ રૂપિયો નથી. દોસ્ત, હું દવાવાળાને સમજાવવા ટ્રાય કરતો હતો, કે પછી પૈસા આપી જઇશ ત્યાં તું આવી ગયો. મિ. સ્વપ્નિલ મહેતા, તમારી વાત સાંભળી, તમારા મિત્ર આશુતોષે કહ્યું કે કોઇ વાંધો નહીં. દોસ્ત, હું શું કામનો છું. ચાલ, કેટલા પૈસા આપવાના છે, આપણે આપી દઇએ. દવાવાળાએ દવાનું પેકેટ આપી ૨૦૦૦/-નું  બીલ આપ્યું અને આશુતોષે ડેબીટ કોર્ડથી રૂા. ૨૦૦૦/- ચૂકવી, સ્વપ્નીલ મહેતા, તમને કહ્યું હું તારી સાથે છું તારે મુંઝાવાની જરૂર નથી. ચાલ જલદી પપ્પા પાસે જઇને તેની દવા ચાલુ કરાવીએ.

મિ. સ્વપ્નિલ મહેતા, તમે અને તમારા મિત્ર આશુતોષ દવાના પેકેટ સાથે હોસ્પિટલ પર પહોંચો છો. ડૉ. કાપડિયાના આસિસ્ટન્ટ ડૉક્ટર શેખ સાહેબને દવાનું પેકેટ આપો છો. અને ડૉ. શેખસાહેબ તેમ જ સ્ટાફ તમારા પપ્પાને દવા આપવાના કામમાં લાગી જાય છે. તમે, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાની કૃત્રિમ શ્વાસ લેવાની પરિસ્થિતિમાં હવે શું થશે, તેની ચિંતામાં પડી ગયા છો. પણ તમારો મિત્ર આશુતોષ જે તમારો જીગરી દોસ્ત છે, તેણે બીજા અનેક કોમન દોસ્તોને ફોન કરી તમારા પિતાશ્રીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, અને બહુ જ નાજુક પરિસ્થિતિ છે, તે સમાચાર આપી બધા જ મિત્રોને તાબડતોબ બોલાવી લે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા સંબંધ નામના કુંડમાં પ્રેમનો આવિશ્કાર થાય છે. બધા જ મિત્રો તાબડતોબ આવતાં, મિ. સ્વપ્નિલ મહેતા, તમને એક અદ્દભુત મોરલ સપોર્ટ અને હૂંફ મળ્યાનો અહેસાસ થાય છે, અને મનમાં બોલી ઊઠો છો કે વાહ, કુદરત ! તારી પણ ગતિ ન્યારી છે. મારા અંધારામાં તે અદ્દભુત દીવો પ્રગટાવ્યો.

આ તરફ ડૉ. કાપડિયા તમારા પિતાશ્રીને ઓળખી ગયા હોય છે કે આ તો મારા એક મૂલ્યનિષ્ઠ ઉમદા શિક્ષક છે, કે જેમની પાસે હું ભણ્યો હતો. અને આજે તેમની શિક્ષાથી જ હું ડૉક્ટર બન્યો. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયા તમને ખભા પર હાથ મૂકીને કહે છે કે દોસ્ત, મુંઝાતો નહીં હો, પપ્પાની તબીયત સારી થઇ જશે. અને તેમની હસતા મુખે એકદમ સાજા સારા કરી ઘરે લઇ જઇશું. બસ પપ્પા પાસે રહી તેમની કાળજી રાખ. અને હોસ્પિટલ સ્ટાફ જે દવા ટ્રીટમેન્ટ આપે તેમાં સહકાર આપજે. મિ. સ્વપ્નિલ મહેતા, કૃત્રિમ શ્વાસ સાથે આંખો ફાડીને જોતા જયંતભાઇ મહેતા, તમારા પિતાશ્રી કોઇને ઓળખતા નથી – આ બાજુ ડૉ. કાપડિયા બધા જ લોહી, ઇ.સી.જી., એન્જિયોગ્રાફી વગેરે કરીને શું કરવું અને કેવી રીતે તમારા પિતાશ્રીને બચાવવા તેની પેરવીમાં પડે છે. અંતે નક્કી થાય છે કે ચાર પાંચ દિવસમાં જયંતભાઇની તબીયત સ્ટેબલ થાય અને વેન્ટીલેટર કાઢી નાખીએ પછી તેમનું બાયપાસ ઓપરેશન કરવું પડશે.

તે મુજબ પછીના આઠ દિવસમાં, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાની તબીયત સ્ટેબલ થતાં એક દિવસ બાયપાસ સર્જરી કરવાનું નક્કી થતાં પાંચ કલાકના સફળ ઓપરેશન પછી તમારા પપ્પાને આઇ.સી.યુ.માં ફરીથી લાવવામાં આવે છે. ઓપરેશન સફળ થાય છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમને ડૉ. કાપડિયા તેમની ચેમ્બરમાં બોલાવે છે; અને કહે છે દોસ્ત, મુંઝાતો નહીં, પપ્પાની તબીયત સારી થઇ જશે. આવતા પંદર દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપીશું અને તું તેમને ઘરે લઇ જઇ શકીશ. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયાના સહૃદયપૂર્વકના વર્તાવથી તમે આનંદિત થઇ જાવ છો. વિચારો છો કે ડૉ. કાપડિયાએ આજ સુધી હોસ્પિટલના બીલના ચૂકવવાના પૈસાની વાત કેમ ન કરી. – સ્વપ્નિલ મહેતા, તમારી આર્થિક રીતે નાજુક પરિસ્થિતિ હોવા છતાં, તમે ડૉ. કાપડિયાને પૂછો છો કે સાહેબ, મારે કેટલા પૈસાની વ્યવસ્થા કરવી પડશે. આપ કહો તો હું એટલા પૈસાની વ્યવસ્થા કરું. ડૉ. કાપડિયા કહે છે કે દોસ્ત, અત્યારે પપ્પાની તબીયત પહેલાં સારી કરવાના છે, તેની જ ચિંતા કર. હોસ્પિટલના બીલની વાત પછી કરીશું. મિ. સ્વપ્નિલ મહેતા, તમે ડૉ. કાપડિયાની વાતથી નિરાંત અને શાંતિનો શ્વાસ લો છો અને નિશ્ચિંત થઇ, પપ્પાની સેવા કરવામાં લાગી જાવ છો.

મિ. સ્વપ્નિલ મહેતા, હોસ્પિટલમાં તમારા બધા જ મિત્રો સતત હાજરી આપી તમારા પપ્પાના ખબર પૂછી, તમારી સાથે અડીખમ મિત્રતા નિભાવે છે. અને તમારા ખાસ મિત્ર આશુતોષ ગજ્જરે બધા જ મિત્રોને સૂચના આપ્યા મુજબ બધા જ મિત્રો તમારા પિતાશ્રીના હોસ્પિટલના બીલ બાબત ચિંતિત હોય છે. અને બધા જ મિત્રોએ ભેગા થઇને આશરે પાંચેક લાખ રૂપિયા ભેગા કરીને એક દિવસ, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા હાથમાં મૂકે છે. દોસ્ત, સ્વપ્નિલ મુંઝાતો નહીં. આ સાથે પાંચેક લાખ રૂપિયા તારા પપ્પા માટે અમે લાવ્યા છીએ, તે તારી પાસે રાખ.

મિ. સ્વપ્નીલ મહેતા, તમારા મિત્રોના આવા ઉમદા સહકારથી, તમે ઘડીભર તો અચંબામાં પડી જાઓ છો, અને મનમાં કહો છો કે સંબંધોના પરિપાકરૂપે મળેલી આ પાંચ લાખ રૂપિયાની રકમ નાની સૂની તો નથી જ. પણ સંબંધોનું યોગ્ય રીતે વાવેતર કરવામાં આવે તો સંબંધોમાં પ્રેમનો કુંડ ભરાઇ જાય. આજે ચારેબાજુ સ્વાર્થ પર નભતો સમાજ ચારે તરફ માત્ર પૈસાને જ મહત્ત્વ આપતી દુનિયા અને માત્ર અને માત્ર સ્વકેન્દ્રીત સમાજવ્યવસ્થામાં મારા મિત્રોની લાગણીસભર પૈસાની મદદ મારા માટે રણમાં મીઠી વીરડી સમાન છે. તેમ કહી, તમે ધન્ય ધન્ય અનુભવો છો. આઠેક દિવસ થાય છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પિતાશ્રીની તબીયત સ્વસ્થ થઇ જાય છે. તમારા પિતાશ્રી હવે સંપૂર્ણ તંદુરસ્ત થઇ, હોસ્પિટલમાં લોબીમાં ચાલતા થઇ જાય છે. અને બધા જ રિપોર્ટ નોર્મલ આવતા, ડૉ. કાપડિયા એક દિવસ આવીને કહે છે કે દોસ્ત, પપ્પાને હવે બહુ જ સારું છે. આપણે કાલે ડિસ્ચાર્જ કરીશું. તું તેને આવતી કાલે ઘરે લઇ જઇ શકીશ. મિ. સ્વપ્નિલ મહેતા, તમે પછી ડૉ. કાપડિયા સાહેબને પૂછો છો કે સાહેબ, હોસ્પિટલનું બીલ કેટલું થયું ? મારે કેટલા પૈસા આપવાના છે ? ત્યારે ડૉ. કાપડિયા કહે છે કે દોસ્ત, તારે એક પણ પૈસો આપવાનો નથી. તારા પપ્પા મારા આદર્શ શિક્ષક હતા, તારા પપ્પાએ અમને મૂલ્યનિષ્ઠાના પાઠો ભણાવ્યા છે. તારા પપ્પાએ અમને જે જ્ઞાન આપ્યું છે તે જ્ઞાનના પરિણામે આજે હું ડૉક્ટર બન્યો છું. દોસ્ત, તેમના શિક્ષણ અને જ્ઞાનને હું આજે પણ વંદન કરું છું. તેમણે જે રીતે મને તૈયાર કર્યો છે તે બીજા કોઇ  શિક્ષક ન કરી શકે. દોસ્ત, તારા પપ્પાએ એક પણ પૈસા લીધા વિના મારા જેવા અનેક વિદ્યાર્થીને ટ્યુશન આપ્યું છે. સ્કૂલમાં પણ પ્રેમથી ભણાવ્યા છે. એટલે તેમના જ્ઞાનની કિંમત રૂપિયામાં ન હોય, દોસ્ત. તારે કોઇ પણ પૈસા દેવાના નથી. દવા જે લખી દઇશું તે નિયમિત આપજે અને પપ્પાનું ધ્યાન રાખજે. એમ કહી મિ. સ્વપ્નિલ મહેતા, કાપડિયા સાહેબ તારા પપ્પાને વંદન કરે છે, અને તેમને યાદ કરાવે છે કે સાહેબ, હું આપનો વિદ્યાર્થી સચિન છું. તમારા પપ્પા યાદ કરે છે અને કહે છે કે હા સચિન, તું આટલો બધો મોટો ડૉક્ટર થઇ ગયો, બેટા, ખૂબ સરસ. હું તો તને ઓળખી જ ન શક્યો. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયા કહે છે કે સાહેબ, તમને મેં જ્યારે હોસ્પિટલમાં દાખલ ક,ર્યા ત્યારે જ હું તમને ઓળખી ગયો હતો. પણ તમારી નાજુક પરિસ્થિતિ હોવાથી ત્યારે મેં ઓળખાણ ન આપી – સાહેબ, આપ ઘરે જઇ શકો છો. આરામ કરજો. તબીયત સાચવજો અને નિયમિત દવા લેજો. અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે અચૂક મારી પાસે આવજો. એમ કહી ડૉ. કાપડિયા, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાને ડીસ્ચાર્જ કરે છે. અને મિ. સ્વપ્નિલ મહેતા, તમે તમારા પપ્પાને લઇને ખૂબ જ આનંદ સાથે તમારા ઘરે લઇ જાઓ છો. અને ઘડીભર શિક્ષક અને વિદ્યાર્થીના અદ્ભૂત પ્રેમને વંદન કરી મૂલ્યનિષ્ઠા અને લાગણીના વાવેતરથી ઊગેલું ફળ કેટલું મધુર હોય તેનો હુબહુ અહેસાસ અનુભવો છો. તે સાથે જ તમારા મિત્રોએ આપેલા પૈસા રૂપિયા પાંચ લાખ તેમને પરત કરી તેમનો પણ આભાર માની, તમારા જીવનરથને ફરીથી એ જ રિક્સા ચલાવવાના નિત્યક્રમમાં જોતરી આગળની જીવનયાત્રા શરૂ કરો છો.

મિ. સ્વપ્નિલ મહેતા, સલામ તમારા આશુતોષ ગજ્જર તેમ જ અનેક બીજા મિત્રોને કે જેઓ તમને ખરેખર કટોકટીના સમયમાં મદદ કરી હૈયાની હૂંફ આપી. અને લાખ લાખ સલામ, પેલા ડૉ. કાપડિયાને કે જેમણે તમારા પપ્પાના હોસ્પિટલના ખર્ચ પેટે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના, તમારા પપ્પાએ આપેલા વિદ્યાદાનનું ઋણ ચૂકવ્યું. અને સલામ મૂલ્યનિષ્ઠ તમારા પિતાશ્રી શિક્ષક જયંત મહેતાને કે જેણે અનેક વિદ્યાર્થીઓનાં જીવનને સાચું જ્ઞાન આપી, તેમના જીવનને ઉજાળ્યું.

e.mail : koza7024@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [5]

સુમન શાહ|Opinion - Opinion|12 December 2021

ચાલો અમેરિકા … કેટલાક બનાવો (4)

મહાયાત્રા એટલે મરણ. એ એવી મોટી અનન્તની યાત્રા છે જેમાંથી પાછા ફરવાનું કદ્દીયે હોતું નથી. વિદ્યા મેળવવી એટલે આ જીવનને, આ જગતને, જાણવું. માણસ દરેક પળે કંઈ-ને-કંઈ જાણતો રહે છે. એમ પણ કહેવાય કે જીવતા રહેવા માટે જાણતો રહે છે. એમ છે, તો વિદ્યાયાત્રા એટલે, સમજો, જીવન.

જીવે ત્યાં લગી માણસે બધું જાણ્યા જ કરવું પડે છે. એ માટે એ અહીંથી તહીં જતો-આવતો રહે છે, ભમતો-ભટકતો રહે છે. વિદ્યા માટે નાનપણમાં એ બાળમન્દિરે જાય, પછી નિશાળે. મોટપણે કૉલેજ જાય, દેશમાં ભણે, વિદેશ જાય.

આ લેખમાળાને હું ‘મારી વિદ્યાયાત્રા’ કહું છું એથી ખાસ શું સમજવાનું છે? એ કે બાળમન્દિરથી હું જ્યાં જ્યાં ગયો, જે કંઈ શીખ્યો, જે કંઈ પામ્યો – તે બધું જ. ડભોઇથી વડોદરા અમદાવાદ, ભારતનાં વિવિધ શહેરોમાં, ઈન્ગ્લૅન્ડ અમેરિકા આમ્સ્ટર્ડામ તેમ જ યુરપ અને આફ્રિકાનાં બીજાં શહેરોમાં; જ્યારે જ્યારે ગયો ત્યારે ત્યારે જે કંઈ મારા વડે આત્મસાત્ થયું ને એ પ્રકારે જિવાયું – તે બધું જ.

અમારે પહેલી માર્ચે ફિલાડેલ્ફીઆ પહોંચી જવાનું’તું. આમ્સ્ટર્ડામથી KLM-ની ફ્લાઈટ ડીટ્રૉઇટ થઇને ફિલા૦ પ્હૉંચાડે. આમ્સ્ટર્ડામના સાઉથ-વેસ્ટથી પંદરેક કિલોમીટર પર આવેલું શિફોલ ઍરપોર્ટ દુનિયાનાં કેટલાંક મહા મહા ઍરપોર્ટોમાંનું એક છે. જોવા-અનુભવવાલાયક મનાય છે. તે વખતના આંકડા અનુસાર કહું કે, ૧૦૦ જેટલા દેશોને અને ૨૦૦થી વધુ શહેરોને જોડે છે. હવે તો આ આંકડા કેટલા ય આગળ નીકળી ગયા છે. મુમ્બઇ-આમ્સ્ટર્ડામ-મુમ્બઈ જેવી અનેક ડેઈલી ફ્લાઈટ્સથી સુખ્યાત KLM, કહે છે, દુનિયાની પહેલી ઍર-ફ્લાઈટ છે. પણ એણે અમને બન્નેને કેવી તો વીતાડી એ વાર્તા સાંભળવા જેવી છે :

અમે ઘરેથી વહેલી સવારે નીકળેલાં. રીપોર્ટિન્ગ ટાઈમથીયે પ્હૅલાં પહોંચેલાં. જોયું તો, ઍરપોર્ટ પર ખાસ્સી ભીડ હતી. બૅગેજીસ ચૅક-ઈન કરાવવા માટેનાં લગભગ બધાં જ કાઉન્ટરો પર લાંબી લાંબી લાઇનો હતી. એટલે અમારે ચિ. મદીર, પૌત્ર તેજ અને પુત્રવધૂ લેતિઝ્યાથી મહાબૅળે પણ છૂટાં પડવું પડેલું. અમારા સૌના ચહેરે એક જ પ્રશ્ન ખૅંચાયેલો હતો – ફરી ક્યારે મળાશે …

ફરીથી તો અનેકાનેક વાર મળ્યાં છીએ. પણ એ દિવસ તો ઠીકઠીક વસમો હતો.

તરત અમે ટૂંકામાં ટૂંકી દેખાતી લાઇનમાં અમારી બૅગેજીસની બન્ને કાર્ટ અને વળી બે ઍટેચી સહિત ઉચાટભર્યાં ઊભાં રહી ગયેલાં. ધીરે ધીરે ખસનારી અમારી એ લાઈને છેવટે અમને કાઉન્ટર અને તે પરની રૂપાળી બાળાનો સાક્ષાત્કાર કરાવ્યો.

હું પાસપોર્ટ અને ટિકિટ રજૂ કરું એ પહેલાં જ એ સ-સ્મિત બોલી : આર્યુ ઈન્ડિયન? : મેં પણ એવા જ સ્મિતથી ‘યસ્સ’ કહ્યું ને હું અને રશ્મીતા એને આતુર જિજ્ઞાસાથી જોઇ રહ્યાં. કહે : માય હસબન્ડ ઈઝ ઈન્ડિયન, પંજાબ સે હૈ : મને મનમાં થતું’તું આ જગ્યા શું કોણ કોનું સગું છે એના વાર્તાલાપ માટે થોડી છે … કામ પતાવે તો, અગાઉની વીતકથી આગળ ધપાય. છતાં મેં પૂછ્યું : આપકો હિન્દી આતી હૈ? : થોરી થોરી : હું શોધી રહેલો કે – હવે શું પૂછવું. રશ્મીતાને ઈશારાથી પૂછ્યું તો એ પણ ચૂપ. પરિણામે, બાળા કશું બોલી નહીં. વિધિ પૂરો થયો.

પણ એણે છેલ્લે જે કહ્યું તે મહત્ત્વનું હતું. એણે સમજાવ્યું કે : હમણાં તમને બન્નેને હું જુદા જુદા સીટનમ્બર્સ આપું છું, આયૅમ ઍક્સ્ટ્રીમલિ સૉરિ, ક્રાફ્ટ ઈઝ સો ક્રાઉડેડ; આફ્ટર અ વ્હાઇલ, ધિસ વિલ્બી ઓકે : મેં ઈશારાથી પૂછેલું -'નમ્બર્સ?’ : એણે ડોકું હલાવી ‘યસ્સ’ કહેલું.

મને ગમેલું નહીં. કેમ કે એના કહેવાનો મતલબ એ હતો કે મારે અને રશ્મીતાએ જુદાં જુદાં બેસીને એ બારેક કલાકની યાત્રા કરવી. ફરજ્યાત વિ-યોગ વેઠવો. અને સાચે જ એમ બન્યું.

અમે પસાર થતાં’તાં ત્યાં બે-ત્રણ છોકરીઓ સૌ મુસાફરોને હથેળીમાં સમાય એવો એક એક નાનો ફૅન – પંખો – ભેટમાં આપતી’તી. મેં ન લીધો પણ રશ્મીતાએ લીધો. કેમ કે, એ પંખાથી હવા ખાવાની મારા શરીરની કે મારા મનની તૈયારી ન્હૉતી.

એ ચૅક-ઈન કાઉન્ટર પછીના ત્રણેક તબક્કે દરેક વખતે અમને કહેવામાં આવ્યું કે ‘ઈટ વિલ્લ બી ઓકે’ અને અમે બન્ને જુદાં જુદાં બેઠાં પછીયે ઍરહૅસ્ટોસોએ પણ એમ જ કહ્યું કે ‘ઇટ વિલ્લ બી ઓકે સૂન’. અમે જુદે જુદે બેઠાં ને શ્રદ્ધા રાખી કે ઓકે થઇ જશે …

Schiphol Airport, Amsterdam, NL.

જે શુભ અને રસપ્રદ કાર્ય માટે અમેરિકા જઇ રહેલાં એને યાદ કરીને હું મન મનાવવા માંડેલો : અમદાવાદમાં મળેલા એ પત્રમાં યુનિવર્સિટીએ મને છૂટ આપેલી કે રાઈટર-ઈન-રૅસિડેન્સ કાર્યક્રમને મારે જે ઘાટ આપવો હશે એ આપી શકાશે. જો કે એક માગણી પણ મૂકેલી કે મારે એક પબ્લિક લૅક્ચર તો આપવું જ.

એ જાહેર વ્યાખ્યાનના મને કેટલાક વિષયમુદ્દા સૂચવેલા – જેમાંથી મેં ગ્લોબલિઝેશનનો મુદ્દો પસંદ કરેલો અને વ્યાખ્યાનનું શીર્ષક બાંધેલું : ‘ફેટ ઑફ અ રીજ્યોનલ રાઇટર ઈન ધ ડેઝ ઑફ ગ્લોબલિઝેશન’ : ‘ગ્લોબલિઝેશનના દિવસોમાં પ્રાદેશિક ભાષાના લેખકની નિયતિ’.

ગુજરાત એક પ્રદેશ કહેવાય અને એમાં લખતા સૌ લેખકોની જેમ હું પણ પ્રાદેશિક લેખક કહેવાઉં. એની, એટલે કે, આમ તો મારી, અથવા એ સૌની, આજે નિયતિ શું છે, ગ્લોબલિઝેશનના દિવસોમાં એનું ભાગ્ય શું છે – એટલે કે, આવનારા સમયમાં પ્રાદેશિક ભાષાના લેખકનું ભાવિ શું છે, વગેરે વિશે મારે સુગઠિત વ્યાખ્યાન આપવું એમ નક્કી થયેલું.

મને કદાચ પહેલી વાર ગડ બેઠેલી કે હું અને ગુજરાતીમાં લખતા બધા જ લેખકો પ્રાદેશિક છીએ, રાષ્ટ્રીય નહીં, વૈશ્વિક પણ નહીં. વિષય નક્કી કરતાં તો કરી નાખેલો પણ ધીમેથી આ વાત ખૂંચવા લાગેલી. કેમ કે શું વૈશ્વિક, કે શું રાષ્ટ્રીય, અરે લેખક માત્ર, મૂળે તો કોઈ ને કોઈ પ્રદેશની જ પેદાશ હોય છે ને ! એ હકીકતને ભૂલીને કશી પણ વાત થાય જ શી રીતે? મેં નક્કી રાખેલું કે વ્યાખ્યાનમાં આ વાતનું બરાબરનું પૃથક્કરણ કરવું ને કહેવું કે યોગ્ય શું હોઇ શકે છે – ખૂંચારો સંઘરી નથી રાખવો.

= = =

(December 12, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7071,7081,7091,710...1,7201,7301,740...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved