Opinion Magazine
Number of visits: 9570901
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શતરંજનો ખેલાડી

જાગૃત ગાડીત|Opinion - Opinion|1 November 2021

નાનો હતો ત્યારથી મને ચેસ રમવાનું બહુ ગમે છે. મને જીતવાનું ગમે છે. ચેસમાં આપણી પાસે રાજા, વજીર વગેરે સાથે આખું લશ્કર હોય. કહીએ એમ કૂચ કરે, દુશ્મનને હરાવે. લગભગ ઈશ્વરની લગોલગ ફીલિંગ્સ આવે. ક્યારેક દુશ્મન પણ આપણને હરાવી શકે. પણ આપણને પહેલેથી જ સામે એવા અનાડી ખેલાડી મળી ગયા કે તે જ હારે. અનાડીની ઉપર બે વાલ હોઈએ એટલે બસ! આને કહેવાય રાજયોગ!

ચેસબોર્ડ પર પ્યાદાંનો ઉત્સાહ અને વટ અનેરો જ હોય. એમનો દોરદમામ જોઈ ક્યારેક મને લાગણી થઈ આવે. કોઈને હાથમાં લઈ પંપાળું કે હવામાં ઉછાળી કૅચ કરું. જો કોઈ પ્યાદાની ખોટી ચાલથી (ભલે એ ચાલ મેં જ ચલાવી હોય) બાજી બગડતી દેખાય, તો ગુસ્સો કરું, પછાડું પણ ખરો. વિશ્વમાં થોડી વિચિત્રતાઓ પણ છે. અનાડીઓ પણ ક્યારેક સ્માર્ટ કામ કરી નાંખે; બિલકુલ અનાયાસ, કોઈ પરિશ્રમ વગર! એ રીતે જો સામેવાળો સારી ચાલ ચાલી જાય અને આપણી બાજી વધુ પડતી બગડી જાય તો મને કંટાળો આવે. હું એક બગાસું ખાઉં અને આખું ચેસબૉર્ડ જ ઊંધું વાળી દઉં. અમુક વાર, જસ્ટ ફોર અ ચેન્જ, ઉછાળી પણ દઉં. લોકો તો એ બોલ્ડ મૂવ પર આફરીન! હવામાં ઉછળી ગુરુત્વાકર્ષણ સામે સંઘર્ષ કરતા પ્યાદાંના હાવભાવ, છટપટાહટ, ઝીણા ચિત્કાર, અવકાશમાં એમની વિવિધ ટ્રેજેક્ટરી વગેરે જોઈ મનમાં થોડી રમૂજ થાય, પણ હસું એવો ક્રૂર નથી.

ઢગલો થઈ પડેલા પ્યાદાં જોઈને થોડો અફસોસ પણ થાય. ક્યારેક તો રાજા કે વજીરની ઉપર સિપાઈઓ પડેલા હોય. જો રાજા ઉપર હાથી કે ઊંટ હોય તો વળી તેમને હટાવું અને થોડી હવા જવાની જગ્યા કરી આપું. ધ્યાનથી સાંભળો તો દુઃખી થઈ કણસતા હોય એમ પણ લાગે. પણ એમાં શું કરી શકાય? પ્યાદાંએ સમજવું પડે કે તે પ્યાદાં છે. અને આમે ય થોડીવારમાં બંદાનો મૂડ પાછો આવી જ જાય અને પ્યાદાં પાછાં બમણા ઉત્સાહથી ચેસબોર્ડ પર કૂચ કરવા માંડે.

ઘણી વાર પ્યાદાંનો આખો સેટ જ બદલી નાંખવાનો. ગામલોકો અને સામેવાળા અનાડીઓનો રસ પણ ટકવો જોઈએ ને! અલગ અલગ આકાર, મટીરિયલ, ડિઝાઇન. પણ પ્યાદાં જ. પહેલાં કાષ્ઠનાં આવતાં, પછી પ્લાસ્ટિક આવ્યું. ઘણામાં હાથી પાતળો અને ઘોડો હૃષ્ટપુષ્ટ તો ક્યારેક તો વજીર સામે રાજા માયકાંગલો લાગે. બધા સેટમાં એક વાત ઘણી સમજદારીવાળી. રાજા અને વજીર ઊંટ કરતાં પણ ઊંચા. પછી મને થયું લશ્કરના ગણવેશમાં હોય એવાં પ્યાદાં લાવું કે પછી બાના લાલા માટે હતા, એવા અલગઅલગ વાઘા બનાવડાવું. પણ પછી લાગ્યું કે મૂળ રમત પરથી લોકોનું ધ્યાન બહુ ન હટવું જોઈએ.

મોટો થયો ત્યારે સાંભળ્યું, પહેલાંના રાજાઓ સોનાચાંદીનાં રત્નજડિત પ્યાદાં વાપરતા. પણ પ્યાદાંની હેસિયત બદલી એમની માનસિકતા કેવી રીતે બદલી શકાય? માનસિકતા જ મુખ્ય છે. ત્યાં જ અસલ રમત રમાય છે. પછી તો ઇતિહાસના એક ઉત્સાહી શિક્ષકે એમ પણ જણાવ્યું કે મોગલ બાદશાહો પ્યાદાંને બદલે અસલી હાથીઘોડા અને નર્તકીઓ રાખતા. આ ધરમૂળથી ખોટું છે, એ હું સ્કૂલમાં હતો ત્યારે જ જોઈ શકતો હતો. નર્તકીને જોવામાં તમે ખોટી ચાલ ચાલી શકો. રમતમાં લાગણીઓ અને મનોવિજ્ઞાન ભળવાં ન જોઈએ. કોઈ મોગલ શહેનશાહ મોટો ખેલાડી ન બન્યો અને છેવટે અંગ્રેજો પાસે રાજપાટ ખોઈ બેઠા એમાં નવાઈ નથી!

કૉલેજમાં એક પ્રોફેસરે મારા ચેસના રસ વિશે જાણી એક ફિલ્મ જોવાનો આગ્રહ કર્યો. કોઈ દેશદ્રોહી દિગ્દર્શકે તેના જેવા જ કોઈ લેખકની વાર્તા પરથી ફિલ્મ બનાવી કાઢી હતી. આપણા મહાન દેશની ગરિમા અને સંસ્કૃતિને બિલકુલ ન છાજે એવા મોગલ સલ્તનતના વધેલા બે નમૂના પર કંઈ ફિલ્મ બનાવાય ?

પ્યાદાં અને ગામના લોકોમાં પણ બહુ ફરક નથી. લોકો મને ‘ચેમ્પિયન ઑફ ચૅમ્પિયન્સ’ માને છે. હું છું જ. અમુક ખણખોદિયા કહે છે, ચેસ તેના ચોક્કસ નિયમો પ્રમાણે જ રમાવી જોઈએ, હું કોઈ ચૅમ્પિયન નથી, હથોડો છું, વગેરે. તેઓ થોડાં કાળાંધોળાં ચોપાનિયાંમાં લેખ લખ્યા કરે છે, જે તમે તો સપનાંમાં પણ નહીં જોયા હોય. એમના જેવા જ થોડા અક્કરમીઓ એ વાંચે છે, પણ એ બધા પેલા અનાડીઓ જેવા જ છે. બાજી જીતવાની કોઈ ગતાગમ જ નથી. અમુક સમય પછી રમત પોતાના નિયમોથી જ રમવાની હોય. પહેલાં જીત નક્કી કરીને જ મેદાનમાં ઊતરવાનું હોય.

રમતને વધુ આકર્ષક બનાવવા નવા-નવા નુસખા લોકો લઈ આવે છે. પ્યાદાં ખસેડવા ઊંચાનીચા થવાની કે હાથ ઉપરનીચે કરવાની શું જરૂર છે? રિમોટથી પણ કરી શકાય. એવા રિમોટ પણ છે જેનાથી બીજે ગામ કે વિદેશથી પણ હું ચાલ ચાલું કે આખું બૉર્ડ ઉથલાવું. હવે મોટા ભાગે સામેવાળા અનાડીને પ્રત્યક્ષ દર્શન આપતો જ નથી. દૂરથી જ કામ પતાવું છું. કોઈ વળી સ્માર્ટફોનનાં બટન દબાવીને જ પ્યાદાં ચાલે એવું શોધી લાવ્યા. પણ આ યંત્ર તમારી ઘણી શક્તિઓને હણી લેનારું છે. હું બને એટલો દૂર જ રહું.

અમુક શ્રદ્ધાળુ ચેસ રમવા માટે કમ્પ્યૂટર લઈ આવ્યા. પણ કમ્પ્યૂટર અલગ રીતે અનાડી હોય છે. આપણી સ્ટાઇલ કે પ્રતિષ્ઠાનો કોઈ પ્રભાવ જ ન પડે. અને પેલા કૃત્રિમ બુદ્ધિના પ્રયોગો કરનાર ખડૂસ પ્રોફેસરો તેને પ્રોગ્રામ કરે. ગમે ત્યારે આપણી ચડ્ડી જ કાઢી નાંખે! અને આમે ય હાથમાં માઉસ પકડીને એકલા બેઠા-બેઠા ક્લિક કરતાં લલ્લુ જેવી લાગણી જ થાય. એમાં પડવાનું જ નહીં!

પણ હવે આ બધા કામચલાઉ નુસખાથી ઉબાઈ ગયો છું. શાંતિથી આંખો બંધ કરી મનમાં વિચાર કરીને જ પ્યાદાં ચલાવી શકાય એવી સિદ્ધિ મેળવી છે. લોકો જાણતા નથી, પણ આમ તો મારી ઋષિપ્રકૃતિ છે. મારો મૂળ રસ તો આધ્યાત્મિકતા જ છે. થોડી દાઢી રાખો તો ઓર ખીલે છે. નાનપણમાં સીધો હિમાલય માટે જ નીકળ્યો હતો, પણ આ રમતમાં થોડો રસ પડી ગયો. પણ હવે શાંતિથી હિમાલયમાં ચીને કબજે ન કરી લીધી હોય એવી કોઈ સ્વચ્છ સુઘડ ગુફામાં ધ્યાનમગ્ન થઈને જ હું રમીશ. બે-ત્રણ ગુફા ધ્યાનમાં પણ છે.

બંધ આંખે એક સાથે અનેક રમત સમાંતરે રમી શકો. લાખોકરોડો પ્યાદાં દોડાવો, ઉછાળો, પટકો. બધું જ શાંતચિત્તે,બંધ આંખે. બિલકુલ ઈશ્વર જેવી ફીલિંગ! ઈશ્વર જ!

E-mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 15

Loading

મૂલ્યાંકનપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઇવૅલ્યુએટરી સ્ટેટમૅન્ટ્સ :

સુમન શાહ|Opinion - Literature|1 November 2021

નૉંધ : આ લેખ અનિવાર્યપણે દીર્ઘ છે. વિનન્તી છે કે ધીરજ પ્હૉંચે ત્યાંલગી જ વાંચવો. 

કૃતિને ચોપાસથી નીરખીને વર્ણવી શકાય છે. ઊંડાણથી સમજવા એનું અર્થઘટન કરી શકાય છે. એની આવશ્યક સમજૂતી આપી શકાય છે. એ દરેક પ્રસંગે વિવેચકને કૃતિ સીધી મદદમાં આવે છે. પરન્તુ મૂલ્યાંકન વખતે કૃતિ વિવેચકને એવી કશી સીધી મદદ કરે છે ખરી?

કૃતિ કે આ દુનિયાની કોઈ પણ ચીજ પોતે જ પોતાના મૂલ્યાંકન માટે બીજાને શું કામ મદદ કરે?

એ મદદ તો મૂલ્યાંકનકારે, વિવેચકે, પોતાની પાસેથી મેળવવાની હોય છે, મળતી પણ હોય છે. એ રીતે કે એણે કૃતિનું ભાવન કર્યું હોય, કૃતિના રસવિશ્વને પામ્યો હોય, કૃતિનો એને કલાનુભવ મળ્યો હોય, લેખકના લેખન / સર્જનકર્મ માટે એને માન થયું હોય.

વગેરે ભૂમિકાએ ઊભો રહીને એ કૃતિની પ્રશંસા કરવા, કૃતિની સારી સારી વસ્તુઓનાં વખાણ કરવા, તલપાપડ થઈ ગયો હોય છે. એનો એવો બહુવિધ મનોભાવ એને કૃતિનું મૂલ્ય આંકવા તેમ જ એ મૂલ્યને જાહેરમાં મૂકવા મજબૂર કરી મૂકે છે.

અને ત્યારે સાહિત્ય અને કલાના સૌન્દર્યને વિશેનું એનું જ્ઞાન એની મદદે આવે છે. ત્યારે એને મૂલ્યાંકનનાં ઉપકારક ધોરણો અને માપદણ્ડ દેખાવા લાગે છે, અને એ મૂલ્યાંકનપરક વિધાનો કરવા માંડે છે.

વાતનો સાર એ પકડવાનો છે કે મૂલ્યાંકન માટે કૃતિના કલાનુભવનું અનર્ગળ મહત્ત્વ છે. એના અભાવે મૂલ્યાંકન થાય જ નહીં, કર્યું હશે તો ફિસ્સું રહી જશે; ફોગટ અને હાસ્યાસ્પદ નીવડશે.

વત્તેઓછે અંશે બધી જ સાહિત્યકૃતિઓમાં, અને સર્વોત્તમ મનાયેલી સાહિત્યકૃતિઓમાં તો ખાસ, સ્થાપત્ય શિલ્પ ચિત્ર અને સંગીતના, એ લલિત કલાઓના, ગુણ ભળ્યા હોય છે. કેટલાક વિદ્વાનોએ તો સાહિત્યને બધી લલિત કલાઓથી ચડિયાતી ગણી છે. સમજવાનું એ છે કે સાહિત્ય એક કલા છે, અને તેથી, કલાને મૂલવવા માટેના માપદણ્ડ સાહિત્યને પણ એટલા જ લાગુ પડે છે, જેટલા કોઈ પણ કલાકૃતિને લાગુ પડે છે.

કોઈ પણ વસ્તુ કે સાહિત્યકૃતિ સુન્દર કેમ લાગે છે? કેમ કે સૌન્દર્ય, રેખા સરખાઇ ભાત સપ્રમાણતા સૌષ્ઠવ સંરચના રચના સંતુલન સંયોજન કદ ઘાટ વગેરે ગુણોનું પરિણામ હોય છે. કોઇ પણ સુન્દરીને કે કોઇ પણ રૂપાળા પુરુષને ચિત્તમાં લાવો, સમજાઈ જશે.

એ ગુણોના સર્જનાત્મક સંયોજનથી પ્રભવેલા સૌન્દર્યને કારણે કૃતિ કલા ઠરે છે અને રસ રૂપે અનુભવાય છે, જીવને આનન્દ થાય છે. એટલે, એ ગુણોને સર્વકાલીન માપદણ્ડ કહેવા જોઈશે. એ ગુણોની તપાસથી જ સાહિત્યકલાને મૂલવી શકાય, એમ સ્વીકારવું જરૂરી છે. એમ કહેવાય છે કે કૃતિને મૂલવવા માટેના માપદણ્ડ કૃતિમાં જ હોય છે. એ સાચું છે, પણ એ માપદણ્ડ સર્વકાલીન હોય છે કેમ કે ત્યારે કૃતિના કલાસૌન્દર્યનું માપ આપતા હોય છે.

વિવેચનને હું વરસોથી ત્રિ-ધરી વ્યાપાર કહું છું – કર્તા – કૃતિ – ભાવક. કોઈ પણ વિવેચન એ ત્રણથી સંભવે છે, ઉપરાન્ત, એ ત્રણની અથવા કોઈ એક કે બે-ની વાત કર્યા કરે છે.

વિવેચકે એ દરેકના ગુણદોષ દર્શાવવા જરૂરી હોય છે. કર્તાનું કે કૃતિનું એકલું ગુણદર્શન કરવાની ના નથી પણ એ વસ્તુલક્ષી હોવું જોઈશે, ભાટાઈ ન બની બેસે તે જોવું જોઈશે. હું તો એમ પણ માનું છું કે કર્તાના અને કૃતિના દોષ પૂરા વિવેકથી પુરવાર કરાયા હોય, તો એ પણ એક સાચું મૂલ્યાંકન જ છે.

મૂલ્યાંકનમાં કર્તાને મુખ્ય રાખીએ ત્યારે એના સામાજિક-રાજકીય મોભાને ગૌણ ગણવો જોઈશે, અને સાહિત્યકાર તરીકેના વ્યક્તિત્વને, એના રાઇટરલિ કૅરેક્ટરને, ધ્યાનમાં લેવું જોઈશે. લેખન / સર્જનના એના સામર્થ્યને, એની શૈલીને, લક્ષ્ય કરવાં જોઈશે. એની કોઇ એક સિદ્ધિને વારંવાર જરૂર બિરદાવવી જોઈએ, પણ ત્યારે દરેક વખતે એમાં કંઈક જુદું જોવાનો અને મૂલ્યાંકનમાં કંઈક નવું ઉમેરવાનો વિવેચકે ઇરાદો રાખવો જોઈશે. વિવેચન રેઢિયાળ અને વાસી ન હોઈ શકે.

મૂલ્યાંકનમાં કૃતિને મુખ્ય રાખીએ ત્યારે એનાં અંગોપાંગને અને અંગોપાંગનાં સૌન્દર્યોને નીરખવાં જોઈશે. કૃતિને શક્ય બનાવનારા લેખન / સર્જનકર્મને વીગતવાર વર્ણવવું જોઈશે. ભાષા શી રીતે કાર્યસાધક સાહિત્યભાષા બની તે પણ સદૃષ્ટાન્ત કહેવું જોઈશે.

દાખલા તરીકે, ‘તે આ જાય શકુન્તલા …’ પંક્તિમાં એના છન્દોલયે કાવ્યાર્થ અંગે શો ભાગ ભજવ્યો તે કહેવું જોઈએ. સમજાશે કે દીકરીની વિદાયના પ્રસંગે સ્વજનો અને મિત્રો વ્યથા લાચારી તેમ જ કિંચિત્ સંતોષ અનુભવતાં હોય તે બધું એ પંક્તિમાં રસપ્રદ રીતે આકારિત થયું છે. પંક્તિનું લયાનુસારી પઠન અને તેનું ભાવવાહી ગાયન કરવાથી આ હકીકતની પ્રતીતિ થશે.

મૂલ્યાંકનમાં ભાવકને કેન્દ્રમાં લાવીએ ત્યારે એનાયે રાજકીય-સામાજિક મોભાને નહીં પણ એના રીડરલિ કૅરેક્ટરને મહત્ત્વ આપવું જોઈશે. પણ આ સ્થાને, મૂલ્યાંકનની વાતમાં થોડું જુદું ઉમેરાય છે.

જુઓ, સાહિત્યકલાનું ઉપાદાન શબ્દ છે. પણ બીજી લલિત કલાઓનાં ઉપાદાનથી શબ્દ ઘણો જ ઘણો અર્થસભર છે. કૃતિનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવે છે, એ અર્થ સાથે અને એ અર્થ ઉપર લેખકે / સર્જકે કામ કર્યું હોય છે અને કૃતિસમગ્રનો એક આગવો અર્થ સરજ્યો હોય છે.

પણ ત્યારે ભાવકનું રીડરલિ કૉમ્પિટન્સ – સામર્થ્ય – વચ્ચે આવે છે, અડે-નડે છે, ચૉક્કસ ભૂમિકા ભજવે છે. બને છે એવું કે, દાખલા તરીકે, નારીવાદી કોઈ કૃતિનો સમગ્રદર્શી અર્થ નારીન્યાયતરફી હોય તો અમુક ભાવકોને માફક નથી આવતો, અસ્વીકાર્ય લાગે છે. અમુકને એ જ કારણે માફક આવે છે, સ્વીકાર્ય લાગે છે. દાખલા તરીકે, ઈશ્વરની કૃપાની સ્તુતિ કરતું કાવ્ય, સંભવ છે કે નિરીશ્વરવાદીઓને અનુકૂળ ન આવે, ઈશ્વરવાદીઓને મનભાવન લાગે.

એ કારણે, વિવેચકે કૃતિના બધા જ સંભવિત અર્થોને ખુલ્લા રાખવા જોઈશે, મૂલ્યાંકનને પણ ઓપન-ઍન્ડેડ રાખવું જોઈશે. ત્યારે વિવેચક જો પોતાને પ્રતીત થયેલા મૂલ્યાંકનને જ વળગી રહે, ફાઇનલ કરી દે, તો તે અયોગ્ય છે. વિવેચનમાં વિવેકી રહેવાય, હઠીલા ન થવાય.

બૉદ્લેરે ઊંધું કહેલું. આગ્રહથી કહેલું કે વિવેચન જુસ્સાદાર અને રાજકીય રંગ દર્શાવનારું હોવું જોઈએ. વિવેચકે વિશિષ્ટ દૃષ્ટિબિન્દુ અપનાવવું જોઈએ. એથી ક્ષિતિજવિસ્તાર થશે. એમના કહેવાનો સાર એટલો જ હતો કે વિવેચક પક્ષકાર હોવો જોઈએ.

બૉદ્લેરનો આ મત હું નથી સ્વીકારતો. કેમ કે રાજકીય રંગ તો પ્રતિ-પક્ષકારોને પણ તેડી લાવે અને પછી ખૂંખાર વૈચારિક વિવાદ શરૂ થાય. મનુષ્યો વચ્ચે વિષનાં બી પણ વવાય. રીસન્ટ વાયરલ છે કે એક મુખિયાએ ઉપમુખિયાને કહ્યું – તારામાં એવું ઝેર ભર કે સામાવાળો તને અડતાંમાં જ ચિત્ થઈ જાય …! પેલો બઘવૈ ગયેલો.

વિવાદમાં તો એવું કે દરેક પક્ષના સંગાથીઓને લાગે કે પોતે સામાને કેવો પાડી દીધો – કાખલી કૂટતાં થાકે નહીં. રંગમાં આવી ગયેલો મોવડી મલક્યા કરે, બધા એની દાઢી પસવારે. ઝાંખો પડી ગયેલો મોવડી છાંછિયાં કરે, ડારા દે. પણ સાહિત્યપદાર્થ? ચૂપ બચારો !

તેમ છતાં, બિન-સાહિત્યિક લેખનો માટે પક્ષ લેવાય તે કદાચ બરાબર છે. વિવેચક સાહિત્યકૃતિની કશીક ઉચ્ચ ગુણવત્તાનો પક્ષધર બને, એ તો મોટું ગનીમત, બાકી, સાહિત્યવિવેચન મતિયાઓની બાથંબાથીને માટેનો અખાડો નથી.

કેમ કે, સાહિત્યકલાસર્જનોની મુલવણી એમ ન થાય, એ મુક્ત હોય. નહિતર, ઊઘડેલી ક્ષિતિજો પણ ડૂલ થઈ જશે. સર્જકો ભુલાઈ જશે. ભાવકો પણ પક્ષીલ થઈ જશે.

યાદ રહે કે બધાં સાહિત્યોમાં વાચકોની સરખામણીએ ભાવકો જૂજ હોય છે. જેમ સર્જકો વિના કલા ન હોઈ શકે તેમ ભાવકો વિના પણ ન જ હોઈ શકે. અને તેથી, ભાવકોની સર્વ વાતે સંભાળ લેવી વિવચકધર્મ છે.

કવિ દાવો કરે કે – મારું આ કાવ્ય સર્રીયલ છે, નાટ્યકાર દાવો કરે કે – મારું આ નાટક ઍબ્સર્ડ છે, વાર્તાકાર દાવો કરે કે – મારી આ વાર્તા દલિત સમસ્યા પર રચાઈ છે, નવલકથાકાર દાવો કરે કે – મારી આ નવલકથા કોરોનાવ્યથાને વાચા આપે છે, તો એ દાવાઓની કડક તપાસ મૂલ્યાંકનમાં ઉમેરાશે.

માણસે નવલકથા સૉનેટ ટૂંકીવાર્તા એકાંકી ગીત કે ગઝલ લખ્યાં હોય, તો એ સાહિત્યપ્રકારોનાં લક્ષણોની આકરી પરીક્ષા વધારાનો માપદણ્ડ બનશે. સરખાવી જુઓ ને – ખેલાડી સુન્દર અને રસપ્રદ રમી રહ્યો છે કે કેમ, એ પાયાની વાતની પરીક્ષા તો કરીએ જ છીએ, પણ, દાખલા તરીકે, એ જો ક્રિકેટ રમતો હોય, તો ક્રિકેટના નિયમો અને ધોરણો સાચવે છે કે નહીં તેની તપાસ પણ કરીએ જ છીએ ને !

તેમ છતાં, નિયમસરની સારી ગેમ રમનારને આપણે મોટો ખેલાડી નથી ગણતા, તેમ ૧૪ લીટીનું પાક્કું સીધુંસાદું સૉનેટ લખી પાડ્યું હોય તેને પણ મોટો કવિ નહીં કહેવાય. નાનીમોટી લાઇનોમાં કોઈ વિચારભાવને કે ગદ્યના કોઈ ટુકડાને ગોઠવી કાઢીને કરેલું લઘુ કે દીર્ઘ લખાણ અછાન્દસ કાવ્ય નથી બની જતું. છન્દ ન હોય એટલે અછાન્દસ? ના, ભૈ ના ! અછાન્દસ કાવ્યમાં બીજું ઘણું હોવું ઘટે છે.

૪ બૉલમાં, ૪ વિકેટ કે ૧ ઓવરમાં ૧ ચૉગ્ગો અને ૨ છગ્ગા ક્રિકેટના નિયમોમાં રહીને જ રમાયા હોય છે, પણ ત્યારે એ ખેલાડીની સર્જકતાનાં ફળ હોય છે. ગેમના નિયમોમાં રહીને આહ્લાદક ‘પ્લે’ કરનાર જ, લીલા કરનાર જ, મોટો ખેલાડી છે !

મારે એ જણાવવું અતિ જરૂરી છે કે મૂલ્યાંકનનો મહા શત્રુ છે, અંગતતા અથવા સબ્જેક્ટિવિઝમ.

ફ્લાવરવાઝનું હું મૂલ્યાંકન કરું છે ત્યારે વાઝને વિશેની મારી અંગતતાએથી કરું છું. પણ મને ખબર હોય છે કે વાઝનું કન્ટેન્ટ શું હોઈ શકે, તેનું ફૉર્મ શું હોઈ શકે, તેનું ફન્કશન શું હોઇ શકે. મેં વિધવિધનાં વાઝ જોયાં હોય. કેટલાંકને નાનામોટા ખરચા કરીને વસાવ્યાં હોય, વાપરી જોયાં હોય. વાઝ વિશે અધ્યયન કર્યાં હોય. વગેરે મારી બહુવિધ જાણકારીને કારણે, વાઝ સાથેના મારા સમ્બન્ધ-અનુબન્ધ અને અનુભવને કારણે, મારી અંગતતાનું બિન-અંગતતામાં રૂપાન્તર થઈ ગયું હોય છે.

એટલે, વાઝના મારા મૂલ્યાંકનમાં હું હોવા છતાં હું નથી હોતો પણ વાઝને વિશેનું મારું તેમ જ સૌનું સહિયારું વસ્તુલક્ષી જ્ઞાન હોય છે. વસ્તુલક્ષીતા અથવા ઑબ્જેક્ટિવિટી જ મૂલ્યાંકનનો પ્રાણ છે.

પરન્તુ હું જો એમ કહું કે કેટલું સરસ છે, કેમ કે મને મારા જન્મદિવસે મારી આ પ્રિયાએ આપેલું છે. ત્યારે હું સબ્જેક્ટિવ બની ગયો હોઉં છું. હું એ નથી કહેતો કે વાઝ એની કઈ ગુણવત્તાને કારણે સરસ છે. એથી એટલું જ ઠરે છે કે જન્મદિવસને નામે હું મારી પ્રિયાને વ્હાલો થવા નીકળ્યો છું.

મોટા વિવેચક કહે કે – વડોદરામાં ભણતો’તો ત્યારે મને પ્રેમાનંદનાં આખ્યાનો ગમતાં’તાં પણ અમેરિકા આવ્યા પછી બકવાસ લાગ્યાં. ત્યારે એ મુરબ્બી પોતાના ગમા-અણગમાને ધોરણ બનાવતા હોય છે.

પૂર્વોક્ત બન્ને દાખલામાં ધોરણો વસ્તુલક્ષી – ઑબ્જેક્ટિવ – નથી, સબ્જેક્ટિવ છે – અંગતતાલક્ષી. એને ધોરણો કહેવાં તે ઉદારતા છે. અંગત ગમાઅણગમા વિવેચન છે જ નહીં, અભિપ્રાયો છે, ક્યારેક તો શુદ્ધ બકવાસ હોય છે. એ મોટાએ કે કોઈએ પણ ગમા કે અણગમાનાં એવાં કારણો આપવાં જોઈએ જે પ્રેમાનંદની આખ્યાન-કલા સાથે અવિનાભાવે સીધાં સંકળાયેલાં હોય.

એવા જ મોટા કોઈ કહે કે ફલાણાભાઈ ઉમાશંકર જોશી અને સુરેશ જોષીની જોડે બેસી શકે તેવા નવપ્રસ્થાનકાર છે; બીજા કહે કે આ તો ગુજરાતના / ભારતના મોટા નવલકથાકાર છે; ત્રીજા કહે કે આ બેન બહેનોમાં સર્વોત્તમ કવિ છે; ત્યારે એ મોટાઓ જોખમ વ્હૉરી લે છે. વિવેચકે એવી મોઢા મોઢાની લાપસી ન પીરસવી જોઈએ, પોતાનાં એવાં વિધાનોને પૂરાં સમર્થિત કરવાં જોઈએ. નહિતર, ખોટા ઇતિહાસ લખાશે ને તેનું પાપ એ મોટાઓને શિરે ચડશે.

બાકી, એવું બોલતી વખતે વટ બહુ પડે છે. લોકો કહે છે – તમે ‘બકવાસ’ કહીને પ્રેમાનંદ જેવા પ્રેમાનંદને ઝાટકી કાઢ્યો, તમે જોરદાર વિવેચક છો. મોટાઓને પણ બધા નવાજવા માંડે છે, કહેતા હોય છે – તમે કેટલું જુદું કહ્યું, કેટલા જાણતલ છો. પણ એ જ લોકો શાણા હોય છે. પેલાને ઓળખી ગયા હોય છે. ખાનગીમાં કહેતા હોય છે – ભૈબંધને આગળ કરે છે – લૅણાદેણી કરે છે. કોઈ કોઈને તો એમાંનો કોઈ 'હાસ્યાસ્પદ ગાંડિયો' લાગતો હોય છે -અંગ્રેજીમાં જેને બફૂન કહેવાય છે. કરુણતા એ છે કે એ ખાનગીની ઓલાને ખબર પડતી જ નથી ને ફૂલ્યો સમાતો નથી.

કોઈ બની બેઠેલો સમ્પાદક કહે કે – તમારી રચના ટૂંકીવાર્તા નથી બનતી. એ ત્યારે, કયાં કારણોને લીધે નથી બનતી એ નથી ક્હૅતો. સ્ટ્રક્ચરાલિઝમ શી બલા છે એમ પૂછનારાઓ, પશ્ચિમના સાહિત્યવિચાર કે વાદોની વાતો બંધ કરો એમ હુકમ ફરમાવનારાઓ, એ ‘બલા’, એ ‘વાદો’, અહીં શા માટે ન હોવાં જોઈએ તેની શાસ્ત્રીય ચર્ચામાં નથી ઊતરતા.

મેં બૉદ્લેર વિશે ‘સુજોસાફો'ના ઉપક્રમે અમદાવાદમાં બે-દિવસીય પરિસંવાદ કરેલો. ત્યારે એક મિત્રે મને કહેલું – બૉદ્લેરનું અહીં ગુજરાતી સાહિત્યમાં શું કામ છે. એ મિત્ર  એમ નથી ક્હૅતા કે એ પોતાની પ્હૉંચનું બ્હારનું છે. શું કામ છે, બંધ કરો, વગેરે તૉરી બતાવવી તે સાહિત્યકલાની વાતમાં કેમ ચાલે? 

પણ ચાલે છે. કેમ કે સાહિત્યની દુનિયામાં જ આવું ઇકડમ્ તિકડમ્ નભી જાય છે કેમ કે સાહિત્યકલા જેટલું સમુદાર આ સંસારમાં કશું છે નહીં !

Picture courtesy : SheThePe

વાંચ્યા વિનાનાં બારોબારનાં લાઇક્સથી માત્ર મૈત્રી જ ટકી શકે છે. લાઇકમાં લાઇકની લિજ્જત ભળી હોય, તો સારી વાત છે. કૃતિનાં દેખાદેખીથી કરેલાં ઉભડક વખાણને પણ મૂલ્યાંકન ન કહેવાય. એકે નીવડેલા લેખકને અઘરો કહી નાખ્યો એટલે હું ય એ રે-લોલમાં જોડાઈ જઉં, મૉંફાટ ને બિનધાસ્ત ગણાઈશ – પ્રકારની મહેચ્છાથી વિવેચકપદવાંછુએ બચવું. હેટ-સ્પીચનું સ્થાન ફળિયાશેરીમાં હોય, કેમ કે ત્યાં સામાવાળો મારામારીથી વાતનો ફૅંસલો લાવી શકતો હોય છે. બાકી, ગાળાગાળીથી સાહિત્યજગતમાં મૉં ગંધાવા સિવાયનું કશું નીપજે નહીં.

ટીકા અને ટીકાની ટીકા કરનારો મોટો વિદ્રોહી જરૂર ગણાય, પણ એ બિન-ધાસ્તે તો બરાબર સમજી રાખવું જોઈશે કે વિદ્રોહ મહા મોટી વિદ્યાકીય જવાબદારી છે, અબુધના બૂમબરાડા નથી. ડ્હાવાં નાખવાથી કે બચકાં ભરવાથી સાહિત્યજગતમાં વિદ્રોહી ન થવાય. એ પ્રવૃત્તિ સરવાળે તો આત્મઘાતક પણ છે.

ખરા વિદ્રોહીઓએ તો અધ્યયનોનાં ભારોભાર અધ્યયન કરીને નવતર માર્ગ કોર્યા હોય છે, ક્ષિતિજવિસ્તાર કર્યા હોય છે, જેને સૌએ પ્રેમથી નીરખવા જોઈએ. અને, કોરાંમોરાં વખાણ જ કરવાં હોય – જાતભાતના મતલબ પાર પાડવાને – તો ભલે, પણ એમાં સાહિત્યને સંડોવો નહીં.

સાહિત્યકૃતિ એક સ્વાયત્ત અને સ્વશક્તિએ ઊભેલી હસ્તી છે, એનું સમુચિત મૂલ્ય કરીને એનો માનમરતબો જાળવવો, મનુષ્યનું કર્તવ્ય છે. કશું ન બોલો તો પણ એ કર્તવ્ય બજાવ્યું કહેવાશે. નહિતર એ, મા સરસ્વતીનું અપમાન ગણાશે.

= = =

(October 30, 2021: USA)

Loading

ભારતને મહાન હિન્દુ રાષ્ટૃ બનાવવું હશે તો મહાન હિન્દુઓની જરૂર પડશે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 October 2021

મહર્ષિ પતંજલિએ માનવીને તેનું જીવન સાર્થક કરવા જે અનોખું દર્શન આપ્યું છે, એની વાત આપણે જોઈ. જીવન સાર્થક પુરુષાર્થ દ્વારા જ થઈ શકે અને પુરુષાર્થને વર્તમાન સાથે સંબંધ છે. ભૂતકાળમાં રમનારાઓ, મીઠી યાદોને વાગોળનારાઓ, ભૂતકાળના જખમોને ખોતરતા રહીને તેને ક્યારે ય રૂઝાવા નહીં દેનારાઓ, પીડાઓને યાદ કર્યા કરીને તેને ઘનીભૂત કરનારાઓ, વેરવૃત્તિને પાળનારાઓ, ભોગવેલી પીડા અને હવે પછી દુ:શ્મનને આપવાની પીડા એમ બન્ને પીડાઓની કલ્પના કરીને તેનું સુખ અનુભવનારાઓ ક્યારે ય વર્તમાનમાં જીવી ન શકે અને જે વર્તમાનમાં જીવી ન શકે એ જીવનને સાર્થક ન કરી શકે. એ પછી મહર્ષિ પતંજલિએ પુરુષાર્થના માર્ગમાં અવરોધરૂપ પગની બેડી સમાન વૃત્તિઓને કઈ રીતે નિવારી શકાય અને કઈ રીતે તેનાથી મુક્ત થઈ શકાય એની પ્રક્રિયા બતાવી છે. ભગવાન પતંજલિનું અંતિમ લક્ષ તો માનવીના મહાપુરુષાર્થ અર્થાત્ મોક્ષ હતો, પણ ભૌતિક સાંસારિક જીવનમાં પણ આ દર્શન પ્રસ્તુત છે. જે માણસ વર્તમાનમાં જીવે છે અને વર્તમાનની વાસ્તવિકતા સ્વીકારીને મોકળા મને નીરક્ષીર વિવેક કરીને સમય અને શક્તિ ખર્ચે છે એ પુરુષાર્થી સાબિત થાય છે અને કાંઈક કરી બતાવે છે. બીજી બાજુ જે લોકો ભૂત અને ભવિષ્યનાં સુખ અને દુખનાં કલ્પનાચિત્રો રચીને જીવે છે એ લોકો ક્રોધી અને રોતલા સાબિત થાય છે.

માટે રવીન્દ્રનાથ ટાગોર હોય કે ઉમાશંકર જોશી, વિક્રમકુમાર સારાભાઈ હોય કે ડૉ. અબ્દુલ કલામ, સત્યજિત રાય હોય કે શ્યામ બેનેગલ, અમર્ત્ય સેન હોય કે જગદીશ ભગવતી, સરોજિની નાયડુ હોય કે કમલા હેરિસ હોય; કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ મૌલિક અને મેધાવી માણસને તપાસી જુઓ, તેમનામાં એક ચીજ સરખી જોવા મળશે; તેમાંના કોઈ વૃત્તિથી ભૂત અને ભવિષ્યગ્રસ્ત નહોતા કે નથી. તેઓ પુરુષાર્થી હતા અને એટલે વર્તમાનમાં જીવતા હતા. પુરુષાર્થને વર્તમાન સાથે અવિનાભાવી સંબંધ છે. બીજી બાજુ જે લોકો ચોવીસે કલાક ભૂત અને ભવિષ્યમાં રમમાણ રહે છે એ પુરુષાર્થી નીવડતા નથી. એ જમાત હિન્દુત્વવાદીઓની હોય, ઇસ્લામવાદીઓની હોય, કોમવાદી ખ્રિસ્તીઓની હોય કે બીજી કોઈ પણ ધાર્મિક કોમવાદી પ્રજા હોય. આ સનાતન સત્ય છે. મેં અહીં લખ્યું હતું એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સો વરસની આયુષની નજીક પહોંચ્યો છે, પણ સંઘે સો વરસમાં એવા દસ વિલક્ષણ માણસ નથી આપ્યા જેની મેધા અને મૌલિકતા જોઇને આપણે નતમસ્તક થઈ જઈએ. આ શ્રેણીમાં ઘૂંટીઘૂંટીને વાત કર્યા પછી અને પાથીએ પાથીએ તેલ નાખ્યા પછી આશા રાખું છું કે સુજ્ઞ વાચકને આનું રહસ્ય તો સમજાઈ ગયું હશે.

હવે અહીં સ્વાભાવિકપણે સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે જે લોકો મહાન હિંદુ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું સપનું જુએ છે એ સપનું મહાન હિંદુ વિના કેવી રીતે સાકાર થઈ શકે? મહાન રાષ્ટ્રનો મૂળભૂત પદાર્થ તો શક્તિશાળી, મૌલિક, મેધાવી એવો મહાન પુરુષાર્થી માનવી જ હોવાનો. મહાન રાષ્ટ્રો સ્વર્ગમાંથી ઉતરતા નથી એને ઘડવા પડે છે. મહાન પ્રાચીન ભારતને એ સમયના પુરુષાર્થી મહામાનવોએ ઘડ્યું હતું. કલ્પનાઓમાં રાચવાથી મહાન કૃતિઓ સર્જાતી થતી નથી. જો ભારતને મહાન હિંદુ રાષ્ટ્ર બનાવવું હશે તો મહાન હિંદુઓની જરૂર પડશે.

સમસ્યા એ છે કે મહાન હિંદુ રાષ્ટ બનાવવા માટે મહાન હિંદુની જરૂર છે અને એ લાવવા ક્યાંથી? હિંદુ રાષ્ટ્રને વરેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો તેના સો વરસના ઇતિહાસમાં દસ મહાન પુરુષાર્થી હિંદુને પેદા કરી શક્યો નથી, તો સંઘ કાશીએ પહોંચશે કઈ રીતે? વિચારવું પડશે. માટી હોય તો માટલું ઘડી શકાય અને અહીં તો માટીનો જ અભાવ છે. એવું નથી કે ભારતમાં મૌલિક મેધાવી મહાન પુરુષાર્થી હિંદુઓનો અભાવ છે, હજારોની સંખ્યામાં આવા હિંદુઓ છે, પણ તેઓ પોતાને સંઘની પરિભાષામાં હિંદુ તરીકે ઓળખાવતા નથી અને તેમને હિંદુ રાષ્ટ્ર જોઈતું પણ નથી. તેમને ભારતીય રાષ્ટ્ર જોઈએ છે અને એ પણ સંવૈધાનીક ભારતીય રાષ્ટ્ર કે જેથી કોઈ કોમ સંખ્યાના જોરે દાદાગીરી કરે નહીં.

કમાલ છે નહીં? જ્યાં રેતી ચૂનો અને માટી છે ત્યાં હિંદુ રાષ્ટ્રના ભવનનું નિર્માણ કરવાનું કોઈ સપનું જ નથી અને જે લોકો હિંદુ રાષ્ટ્રના ભવનનું નિર્માણ કરવાનું સપનું જોઈ રહ્યા છે ત્યાં રેતી, ચૂનો અને માટી નથી. કફોડી સમસ્યા છે. હિંદુ રાષ્ટ્રનું સપનું જોનારા આ કાંઠે છે અને તેને સાકાર કરવાની ક્ષમતા ધરાવનારાઓ સામે કાંઠે છે. બે કાંઠા સમાંતરે ચાલે છે જે ક્યારે ય મળ્યા નથી અને મળવાના નથી.

ખુદવફાઇ ધરાવનારા પ્રમાણિક હિન્દુત્વવાદીએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે એવું તે શું છે કે જે ઐશ્વર્યવાન હિંદુ છે એ પોતાને સંકુચિત અર્થમાં હિંદુ તરીકે ઓળખાવવા અને હિંદુ રાષ્ટ્રના નિર્માણ માટે પુરુષાર્થ કરવા તૈયાર નથી અને જેમને હિંદુ રાષ્ટ્ર સાકાર કરવું છે એ ઐશ્વર્યવાન હિન્દુને પેદા કરી શકતા નથી? પ્રાચીન હિંદુ ભારત માટે ગૌરવ અનુભવતા હો તો આ સમસ્યાનું નિદાન મહર્ષિ પતંજલિએ કરી આપ્યું છે જેની વાત અહીં કરવામાં આવી છે. રાગ-દ્વેષ-ઈર્ષા-ક્રોધથી ખરડાયેલું વાસણ ક્યારે ય ચળકે નહીં. એ ત્યારે જ ચળકે જ્યારે તેને રોજેરોજ માંજવામાં આવે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7071,7081,7091,710...1,7201,7301,740...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved