Opinion Magazine
Number of visits: 9674482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—125

દીપક મહેતા|Opinion - Opinion|25 December 2021

આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા!

ખ્રિસ્તી ધર્મ મુંબઈમાં આવ્યો ક્યારે?

પહેલી બિનસરકારી કોલેજ ખ્રિસ્તી મિશનરીઓએ શરૂ કરેલી

આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
દુર્બલ, દીન, નિરાશ, વળેલો,
દૂરથી દેખી શું રોયા? પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

કવિ કાન્તે જેમની સ્તુતિ આ પ્રાર્થના ગીતમાં કરી છે તે ઈશુ ખ્રિસ્તના પ્રાગટ્યનું ટાણું નાતાલ કહેતાં ક્રિસમસ. પોતાની આગવી ભાષા-શૈલીથી ગુજરાતી ભાષાને રળિયાત કરનાર સ્વામી આનંદ આ પર્વ વિષે ‘ઈશુ ભાગવત’ પુસ્તકમાં કહે છે : ‘લાખુંલાખ વશવાસીયુંના તારણહારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વરસો વરસ આ પરબ ઉજવે. દેવળુંના ઘંટ વાગે, ભજનભગતી થાય, નાનાં છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખ શાંતિ થાય, ને માણસું તમામ હૈયાનાં ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને ખમાવે. છોકરાંવને સાટું તો આ નાતાળ કેટલાં ય વરસથી મોટો ભાભો થઈ ગ્યો છે. ઈશુ ભગતને ગભરુડાં બાળ બહુ વા’લાં હતાં. અટલેં આ નાતાળ ભાભો ભગતના જલમદંનની આગલી રાતેં ટાઢવેળાનો રૂ-રજાઈની ડગલી પેરીને ને ગોદડિયું વીંટીને વન વગડાનાં હરણિયાં જોડેલ ગાડીમાં વરસોવરસ નીકળી પડે.  ગાડીમાં ગોળધાણા, સાકરટોપરાં, કાજુદરાખ ને સક્કરપારાની કોથળિયું ને મઠાઇયુંનાં પડા ખડક્યા હોય. પછેં ગામેગામનાં છોકરાંવ ઊંઘતાં હોય તી ટાણે મધરાતેં ઘરે ઘરે જઈને કોઢારાની ગમાણ્યુંમાં, ચૂલાની આગોઠ્યમાં, ભીંતનાં ગોખલામાં કે નેવાને ખપેડે, એવાં એ ઘરેઘરનાં ભૂલકાંભટુડાં સંધાવેં વાટકી, નળિયું, કોરું કોડિયું, જી કાંય મેલી રાખ્યું હોય તીમાં કાંય ને કાંય ઓલ્યાં પડીકા ને કોથળિયુંમાંથી કાઢીકાઢીને ભાભો સારાં શકનનું મેલી જાય! એકોએક છોકરાંવ જી વશવાસ રાખે તી સંધાયને સવારને પો’ર ઈ જડે. ચોકિયાત થઈને પારખાં લેવા સાટુ જાગરણ કરે ને બેશી રે, તીને ના જડે. ઈમ કાંય સાચાખોટાનાં પારખાં દેવુંનાં નો કરાય. ભાભો એવાં ચબાવલાં છોકરાંવનું ઘર તરીને હાલે.’ (ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!

આજે આટલે વરસે પણ બરાબર યાદ છે એ ગિરગામ રોડ. એક બાજુ પ્રિન્સેસ સ્ટ્રીટનું નાકું, બીજી બાજુ ઠાકુરદ્વાર રોડનું નાકું. પ્રિન્સેસ સ્ટ્રીટના નાકે વાડિયાજી આતશ બહેરામ. ઠાકુરદ્વારને નાકે ગોરા રામજી કહેતાં ઝાવબા રામ મંદિર. એ બેની વચમાં, દાદીશેઠ અગિયારી લેનને નાકે ચાર માળનું વજેરામ બિલ્ડિંગ. ચીરા બજારના વિસ્તારમાં ખ્રિસ્તી વસ્તી. મુખ્યત્વે મધ્યમ કે નીચલા મધ્યમ વર્ગની. નાતાલના આઠ-દસ દિવસ પહેલાંથી રોજ સાંજે ફૂટપાથ પર કાગળનાં ફાનસ કહેતાં કન્દીલ અને પૂંઠાના સ્ટાર વેચાવા લાગે. એ વખતે મોટે ભાગે આવી વસ્તુઓ ચીની સ્ત્રીઓ બનાવે અને વેચે. દરેક ખ્રિસ્તી કુટુંબ બે-ચાર ફાનસ અને એક સ્ટાર તો જરૂર ખરીદે. ખાસ પ્રકારના રંગીન કાગળની ગડીઓ વાળીને બનાવેલાં ફાનસ. ઉપર નીચે જાડું પૂંઠું. ઉપર ગોળ બાકોરું. ત્યારે હજી ફાનસમાં ઇલેક્ટ્રિક બલ્બ મૂકવાનો ચાલ નહોતો. સળગાવેલી મીણબત્તી ઉપરના બાકોરામાંથી નીચેના પૂંઠા પર ચોડવાની અને પછી ધીમે ધીમે ફાનસ ખોલવાનું. ઉપર ઝીણો તાર બાંધ્યો હોય તેના વડે ફાનસ બાલ્કની, બારી, કે ગેલેરીમાં લટકાવવાનાં. સાથે પેલો સ્ટાર પણ ખરો જ.

એ જમાનામાં સોનાપુરની બાજુમાં મોટું ખ્રિસ્તી કબ્રસ્તાન. (આજે ત્યાં સ.કા. પાટિલ ઉદ્યાન છે.) ત્યાં સુધી જતી એક સાંકડી ગલીમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચ. નાતાલને આગલે દિવસે બપોરથી એ દેવળમાં માસ કહેતાં પ્રાર્થના થાય. ખ્રિસ્તી શ્રદ્ધાળુઓનાં ટોળાં ચર્ચમાં જવા બપોરથી નીકળી પડે. પોતાની પાસે જે સારામાં સારાં કપડાં હોય તે પહેરે. ઘણાં માથે કાગળની રંગબેરંગી ટોપી પહેરે. બાળકો જ નહિ, મોટેરાં પણ મોટે મોટેથી પીપૂડાં વગાડતાં હોય. ઓચ્છવનું વાતાવરણ. રાતે બાર વાગે ફટાકડા ફૂટે ને હવાઈઓ આકાશને અજવાળે. એ વખતના લોકો વધારે સહિષ્ણુ હતા કે નહિ, એ તો જિસસ જાણે, પણ આવી આવી વાતોથી કોઈ વર્ગની લાગણીઓ દુભાઈ ન જતી. પોલ્યુશનનો હાઉ બતાવી લોકોની બે ઘડીની મોજને મારવાનું સૂઝતું નહિ કોઈને. અને જાહેર જીવનમાં એક ધરમવાળા બીજા ધરમવાળાની આભડછેટ ઓછી પાળતા. એ વખતનું મુંબઈ ઘણે અંશે આચાર-વિચારનું, ભાષાઓનું, સંસ્કૃતિઓનું સંગમસ્થાન હતું. ના, melting pot નહિ, પણ salad bowl. પોતાપણું જાળવીને પણ એકબીજા સાથે સમજણ, સંપ, અને સહકારથી જીવી શકાતું.

અમારા કુટુંબનું વાતાવરણ અમુક બાબતમાં મુક્ત. જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી ઉજવાય તો નાતાલ કેમ નહિ? એટલે અમારી ૫૦-૬૦ ફૂટ લાંબી ગેલેરીમાં રંગબેરંગી ફાનસ બંધાય. ઘરમાં ઈશુનો એક લાકડાનો કટ-આઉટ હતો તેની સામે મીણબત્તી પેટાવાય. છતાં મુક્તિને પણ મર્યાદા તો ખરી જ. શુદ્ધ શાકાહારી ઘર. એટલે કેકને તો હાથ પણ ન લગાડાય! બરાબર યાદ છે. મારા મોટા ભાઈને ભણાવવા પારસી મણિબાનુ આવતાં. દર વરસે પતેતીને દિવસે ઘરે બનાવેલું સોજ્જું મજાનું કેક લઈને આવે. પણ એવન જાય પછી કેક જાય સીધું કચરાના ડબ્બામાં. એટલે નાતાલ કે નવે વરસે ઘરમાં કેક લાવવાનો તો સવાલ જ નહિ.

કેક આવે કે ન આવે, પણ આ ખ્રિસ્તી ધર્મ મુંબઈમાં આવ્યો ક્યાંથી? ક્યારથી? સાધારણ રીતે ઘણાં માને છે કે અંગ્રેજો આવ્યા અને સાથે ખ્રિસ્તી ધર્મ લાવ્યા. પણ ના. આ ધર્મ તો ઘણો વહેલો અહીં આવી ગયો હતો. કોસ્માસ ઇન્ડિકોપ્લેસ્ટસ નામનો એક ગ્રીક વેપારી. વેપાર માટે રાતો સમુદ્ર અને હિન્દી મહાસાગર ખૂંદી વળેલો. દેશ દેશનાં પાણી પીધેલાં. પરિણામે જે અનુભવો થયા, જે જાણકારી મળી તેને આધારે લખ્યું સચિત્ર પુસ્તક ‘ક્રિશ્ચિયન ટોપોગ્રાફી’. આ પુસ્તક લખાયું ઈ.સ. ૫૫૦ની આસપાસ. હિન્દુસ્તાનની મુસાફરી દરમિયાન એ મુસાફરે પશ્ચિમ કાંઠાનાં ઘણાં બંદરની મુલાકાત લીધેલી. એ વખતે થાણા, કલ્યાણ, સોપારા, રેવ દાંડા વગેરે મોટાં બંદર. દેશી-પરદેશી વહાણો વિદેશ સુધી આવન-જાવન કરે. આ પ્રવાસીએ તેના પુસ્તકમાં લખ્યું છે કે કલ્યાણ બંદરે તેણે ખ્રિસ્તીઓની વસાહત જોઈ હતી અને તેમના બિશપની નિમણૂક પર્શિયાથી થતી હતી. એટલે કે છેક છઠ્ઠી સદીમાં પણ મુંબઈ નજીક ખ્રિસ્તીઓની વસતી હતી. એ પછી બીજો ઉલ્લેખ મળે છે ઈ.સ. ૧૩૨૧માં. ફ્રેંચ પાદરી જોર્ડાનસ ઓફ સેવેરાક નોંધે છે કે એ વખતે થાણામાં ૧૫ ખ્રિસ્તી કુટુંબો વસતાં હતાં. તે પોતે સોપારા(મૂળ નામ શૂર્પારક, આજનું નામ નાલાસોપારા)ની ખ્રિસ્તી વસાહતમાં રહી ધર્મપ્રચાર કરતા હતા.

રેવ ડાંડાના ચર્ચના અવશેષ

૧૫૩૪માં પોર્ટુગીઝોએ વસઈ, સાલસેટ, થાણા અને મુંબઈ પર કબજો જમાવ્યો. તેમનાં વહાણોમાં સૈનિકોની સાથોસાથ પાદરીઓ પણ હતા. આ પાદરીઓ આસપાસના મુલકમાં પથરાઈ ગયા અને વ્યવસ્થિત રીતે ધર્મપ્રચારનું કામ શરૂ કર્યું. તેમણે સૌથી પહેલું પોર્ટુગીઝ ચર્ચ ચૌલ (રેવ ડાંડા) ખાતે ઊભું કર્યું. આજે તેના માત્ર થોડા અવશેષ જોવા મળે છે. આજના મુંબઈમાં આવેલાં ચર્ચમાં સૌથી જૂનું મનાતું સેન્ટ માઇકલ્સ ચર્ચ પણ પોર્ટુગાલના ફ્રાન્સિસ્કન સંપ્રદાયે બંધાવેલું. આજના માહિમમાં આવેલું આ ચર્ચ ઈ.સ. ૧૫૩૪માં બંધાયેલું. જો કે એ પછી વખતોવખત આ ચર્ચ ફરી બાંધવામાં આવ્યું છે. અત્યારે જે ઈમારત ઊભી છે તે તો છેક ૧૯૭૩માં બંધાયેલી છે. આ ઉપરાંત દાદર અને ગિરગામ ખાતે પણ પોર્ટુગીઝ ચર્ચ આજે ય ઊભાં છે.

સેન્ટ માઈકલ્સ ચર્ચનું જૂનું મકાન

કંપની સરકારની રાજવટ દરમ્યાન સૌથી વધુ મહત્ત્વનું ગણાતું ચર્ચ હતું આજના હોર્નિમેન સર્કલ પર આવેલું સેન્ટ થોમસ કેથિડ્રલ. આખા મુંબઈનું એ કેન્દ્રબિંદુ મનાતું અને શહેરમાં જુદી જુદી જગ્યાએ માઈલ સ્ટોન પર જે અંતર બતાવવામાં આવતું તે આ ચર્ચથી બતાવાતું હતું. હજી સુધી વખતોવખત આવા માઈલ સ્ટોન શહેરના જુદા જુદા ભાગોમાંથી મળતા રહે છે. ૧૬૬૧માં પોર્ટુગીઝો પાસેથી ચાર્લ્સ બીજાને મુંબઈ દાયજામાં મળ્યું. ૧૬૬૮માં રાજાએ તે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વરસે ૧૦ પાઉન્ડના ભાડાથી આપી દીધું. તે પછી જેરાલ્ડ ઓન્ગિયાર મુંબઈના ગવર્નર હતા તે દરમ્યાન ૧૬૭૬માં આ ચર્ચનો પાયો નખાયો. પણ એનું બાંધકામ પૂરું થયું ચાલીસ વરસ પછી! ૧૭૧૮માં આજના દિવસે, એટલે કે ક્રિસમસના દિવસે, તેને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. મુંબઈના કિલ્લાના ત્રણ મુખ્ય દરવાજા તે બઝાર ગેટ, ચર્ચ ગેટ, અને એપોલો ગેટ. તેમાંના ચર્ચ ગેટ સાથે રસ્તાથી જોડાયેલું તે ચર્ચગેટ સ્ટેશન. મુંબઈમાં કંઈ કેટલાં ય નામ બદલાઈ ગયાં, પણ સારે નસીબે આ નામ હજી બચી ગયું છે.

વિલ્સન કોલેજ

પણ ખ્રિસ્તીઓએ મુંબઈમાં માત્ર ચર્ચ જ નથી બાંધ્યાં. ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાનારી સૌથી પહેલી બિનસરકારી કોલેજ પણ ખ્રિસ્તી મિશનરીઓએ શરૂ કરેલી, વિલ્સન કોલેજ. તેની શરૂઆત ૧૮૩૨માં આમ્બ્રોલી ઇંગ્લિશ સ્કૂલ તરીકે ગિરગામ વિસ્તારમાં સ્કોટિશ મિશનરી રેવ. જોન વિલ્સને કરી હતી. ૧૮૩૬માં એ સ્કૂલમાં ‘કોલેજ વિભાગ’ શરૂ થયો. ૧૮૬૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે તે યુનિવર્સિટી સાથે કોલેજ તરીકે સંલગ્ન થઈ. ગિરગામ ચોપાટી પરનું તેનું મકાન ૧૮૮૯માં બંધાઈ રહ્યું હતું. આ કોલેજનો મોટો (ધ્યાનમંત્ર) છે વિશ્વાસ આશા પ્રેમ. ના. વચમાં અલ્પ વિરામ નથી કારણ આ ત્રણ અલગ શબ્દો નથી. એક જ પરમકૃપાળુ પરમાત્માનાં ત્રણ પાસાં છે, કહો કે આ ત્રિમૂર્તિ છે. આજે નાતાલના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ કે વિશ્વાસ આશા પ્રેમનું પવિત્ર ઝરણું આપણને સૌને પાવન કરતું રહે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 ડિસેમ્બર 2021

Loading

પરિષદ પાસે સાહિત્ય, સંસ્કૃતિ અને વિચારનો વારસો છે

રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|25 December 2021

ભુજ, તા. 24 : સ્વતંત્રતા અને સ્વાયત્તતા એ ફક્ત માનવ માટે નહીં, પરંતુ સંસ્થા માટે પણ આવશ્યક છે અને ઉપકારક છે, એવો ભાવ આજે ભુજ તાલુકાના સેડાતા ખાતે, સૂર્યા વરસાણી એકેડેમી ખાતે, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના 32મા જ્ઞાનસત્રમાં વ્યક્ત કરાયો હતો. આજથી તા. 24-25-26 એમ ત્રિદિવસીય જ્ઞાનસત્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધ્યક્ષીય ઉદ્બોધન કરતાં પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રકાશ ન. શાહે અંબાલાલ સાકરલાલની વાર્તા શાંતિદાસનો જોડો તથા રામનારાયણ વિશ્વનાથ પાઠકની વાર્તા શેષ વિશેષ, ફાર્બસ અને દલપતરામને યાદ કરી ગુજરાત સાહિત્યની ગતિવિધિ અને બદલાવ પર પ્રકાશ પાડયો હતો. તેમણે `ઉમાશંકરની વિચારયાત્રા' તથા હિમાંશી શેલતના વાર્તાસંગ્રહ પાછલા દશકમાં વધારે વંચાવવાં જોઇતાં પુસ્તક છે, પરંતુ ઓછાં વંચાયેલા છે તેનો ખેદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, કચ્છના સાહિત્યકાર ડો. જયંત ખત્રી અને ચળવળકર યુસૂફ મહેરઅલીને પણ યાદ કર્યા હતા.

જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં પોતાની કચ્છ મુલાકાતનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં અને કહ્યું હતું કે, કચ્છ સાથે મારી અંગત આત્મીયતા છે. કચ્છની કોમી એકતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો છે, પણ પ્રદેશથી વધારે છે. તેમણે ઉમેર્યું હતું કે પરિષદ પાસે સાહિત્યનો, સંસ્કૃતિનો, વિચારનો વારસો છે. સ્વતંત્રતા અને સ્વાયત્તતા એ વિચાર પર પરિષદનો ઠરાવ થયો છે, જેને બદલી ન શકાય. વધુમાં તેમણે કચ્છ યુનિવર્સિટી હોવાનાં કારણે સાહિત્યમાં સંશોધન અને સંપાદનની પ્રવૃત્તિનો વ્યાપ વધશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સિંધી સાહિત્યકાર જેઠો લાલવાણીએ સિંધ સાથે ગુજરાતીઓનો સંબંધ જૂનો છે. સૌથી વધુ સિંધીઓ ગુજરાતમાં વસે છે. ગુજરાતી સાહિત્યના અનેક પ્રકારો ટૂંકીવાર્તા, નવલકથા, નાટકનો સિંધીમાં અનુવાદ થયા છે તેની સગર્વ નોંધ લીધી હતી. તેમણે કચ્છને પોતાની કર્મભૂમિ ગણાવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સિંધુ એ વિશ્વની એક માત્ર નદી છે જેના પરથી પ્રદેશ, જાતિ અને ભાષાની ઓળખ બની છે.

સાહિત્ય પરિષદના મહા મંત્રી કીર્તિદા શાહે વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃત્તિઓ અંગે જણાવી ઉમેર્યું હતું કે, પરિષદ ભાષાના રખોપાં અને વિકાસનાં કામો કરે છે. તેમણે કોરોનાકાળ દરમ્યાન પરિષદના કાર્યક્રમો નિયમિત રીતે ઓનલાઇન ચાલુ રાખ્યા હતા અને ગુજરાત સાહિત્ય પરિષદની વેબસાઇટથી માહિતગાર કર્યા હતા તથા ઉમેર્યું હતું કે, જો કોરોનારૂપી કોઇ અડચણ નહીં આવે તો વિચાર કૌશલ, વાંચન કૌશલ, શ્રવણ કૌશલ અને અભિવ્યક્તિ કૌશલના વર્ગો શરૂ કરવામાં આવશે.

આ પહેલાં કાર્યક્રમની શરૂઆત કાજલ અને કૌશલ છાયા અને ટીમ દ્વારા ગવાયેલી જય જય ગરવી ગુજરાત … રચનાથી થઇ હતી અને મંચસ્થો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સ્વાગતના દોરમાં અધ્યક્ષ પ્રકાશ શાહનું રસનિધિ તાણીએ, અતિથિવિશેષ જેઠો લાલવાણીનું હરેશ ધોળકિયાએ, રઘુવીર ચૌધરીનું સૂર્યા વરસાણી એકેડેમીના ટ્રસ્ટી આર.આર. પટેલે, માધવ રામાનુજનું એકેડેમીના ટ્રસ્ટી આર.એસ. હીરાણીએ, પ્રફુલ્લ રાવલ અને કીર્તિદા શાહનું ડો. દર્શના ધોળકિયાએ, વર્ષા અડાલજાનું કીર્તિદા શાહે, છાયાબહેન ત્રિવેદી અને રાજન ભટ્ટનું ઇન્સ્ટિટયૂટ યુથ વ.ના મંત્રી નિલેશ મહેતાએ અને અમીબહેન શ્રોફનું પ્રકાશ હે સ્વાગત કર્યું હતું. ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણીએ સૌને આવકારી સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટિટયૂટ યુવાનોને દિશા-ગતિ આપવાની સાથે તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે. પ્રચાર માટે નહીં, પરંતુ પ્રસારની કામગીરી કરે છે. તેમણે `કચ્છમિત્ર'એ સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર કચ્છનાં આંગણે યોજાઇ રહ્યું છે ત્યારે વિશેષ કવરેજ કર્યું છે, તેની નોંધ લીધી હતી.

પરિષદના અધ્યક્ષ પ્રકાશ ન. શાહનો તથા રઘુવીર ચૌધરીનો પરિચય ડો. દર્શના ધોળકિયાએ અને અતિથિ વિશેષ જેઠો લાલવાણીનો પરિચય હરેશ ધોળકિયાએ આપ્યો હતો. કોરોનાકાળ પછી મોટાં આયોજન માટે વિચારાઇ રહ્યું હતું ત્યારે ઇન્સ્ટિટ્યુટ ઓફ યૂથ ડેવલપમેન્ટના રસનિધિ અંતાણી અને હરેશ ધોળકિયાએ બીડું ઝડપી લીધું તેની બધા વક્તાએ સરાહના કરી હતી.

કચ્છના જાણીતા સાહિત્યસર્જકો ડો. ધીરેન્દ્ર મહેતા, માવજી મહેશ્વરી, રમણીક સોમેશ્વર સહિત શિરિષ પંચાલ, કિરીટ દૂધાત, જયદેવ શુક્લ, સંજય ચૌધરી, પ્રજ્ઞા પટેલ, સતીશ વ્યાસ, વિજય શાત્રી, દક્ષા વ્યાસ, મનીષ પાઠક, કિશોર વ્યાસ, પારુલ દેસાઇ, ડંકેશ ઓઝા, રાજેન્દ્ર ઉપાધ્યાય, રમણ સોની, ડો. કાંતિ ગોર, ભરત પ્રા. ઠાકર, કેળવણીકાર નલિનીબહેન શાહ સહિત સાહિત્યરસિકો અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સંચાલન ડો. દર્શના ધોળકિયાએ સાહિત્યિક શબ્દો દ્વારા આગવી છટાથી કર્યું હતું તો આભારવિધિ પ્રફુલ્લ રાવલે કરી હતી.

પ્રગટ : “કચ્છમિત્ર”, 25 ડિસેમ્બર 2021

Loading

અધર્મ સંસદ: હિટલરના જર્મનીનું ભારતમાં પુનરાવર્તન થશે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|25 December 2021

જે ભગવાધારીઓએ હરદ્વારમાં "ધર્મ સંસદ"માં શસ્ત્રો ઉઠાવીને અન્ય ધર્મના લોકોની "હત્યા" કરવા માટે હિન્દુઓને એલાન કર્યું છે, તેમને ખબર જ નથી કે હિન્દુ ધર્મ શી ચીજ છે. બધા નહિ તો આવા ભગવાધારીઓ હિન્દુ ધર્મની બાબતમાં સાવ અંગૂઠાછાપ છે. એમાંના કેટલા ભગવાધારીઓ હિન્દુ ધર્મનો સાચો અર્થ સમજે છે, એ જ મોટો સવાલ છે.

આ ભગવાધારીઓ અને એમના મળતિયાઓ દેશનું સત્યાનાશ કાઢવા બેઠા છે. તેમને હિન્દુ ધર્મ અને હિન્દુઓની રક્ષા કરવી છે, પણ ખરેખર તો તેઓ જ હિન્દુ ધર્મને અને હિન્દુઓને ભયંકર હાનિ પહોંચાડી રહ્યા છે.

શું આ ભગવધારીઓએ સર્વપલ્લી રાધાકૃશ્ણન્‌ અને સ્વામી વિવેકાનંદ વાંચ્યા છે ખરા? મોટે ભાગે રામ, ભાગવત, હનુમાન અને એવી બીજી બધી કથાઓ કરી ખાતા અને હિન્દુ ધર્મના જાતે બની બેઠેલા ઠેકેદાર આવા ભગવાધારીઓ, પોતાની જાતને "સનાતની હિન્દુ" કહેનારા મહાત્મા ગાંધીને ન વાંચે કે ન સમજે એ તો સાવ જ સ્વાભાવિક છે. આ ત્રણ વ્યક્તિઓને વાંચવાથી પણ સાચો હિન્દુ ધર્મ શો છે એની એમને સમજણ પડે.

તેત્રીસ કરોડ દેવતાઓની માન્યતા હોવાનું અને સૌથી વધુ લોકશાહી હોવાનું ગૌરવ જે ધર્મને પ્રાપ્ત છે એ હિન્દુ ધર્મની જે વિવિધતાભરી સંસ્કૃતિ છે તેને જ ખતમ કરવા માટે જાણે કે હવે ભા.જ.પ., રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સંસ્થાઓ, ભગવાધારીઓ અને એ બધાની અંધ ભક્તિ કરનારા એમના ભક્તો, ભારત નામનો રાજકીય પ્રદેશ ધરાવતો જે દેશ તા.૨૬-૦૧-૧૯૫૦ના રોજ બન્યો છે, તેને છિન્નભિન્ન અને વેરવિખેર કરવાની શક્યતા ઊભી કરી રહ્યા છે, એની એમને જ સમજણ નથી.

જો તમે કોઈને સતત દેશદ્રોહી કે નક્સલી કહીને ગાળ દીધા કરો, તો એ એક દિવસ "જા છું દેશદ્રોહી" એમ ના કહી દે? અને એમ પણ બની શકે કે એ ખરેખર દેશદ્રોહી થઈ પણ જાય! જ્યારે એક આખો સમુદાય આવી વંચિતતાની લાગણી લાંબા સમય સુધી અનુભવે ત્યારે રક્તપાત થાય છે, એ આ ભગવાધારીઓ કે એમના રાજકીય અને સાંસ્કૃતિક રીતે મૂઢ ભક્તોને સમજાતું નથી. એમણે પ્રથમ વિશ્વ યુદ્ધ પછીનો દુનિયાનો ઇતિહાસ વાંચવાની અને એ અંકે કરવાની જરૂર છે કે કેવી રીતે દુનિયામાં દેશોના ટુકડા થયા છે.

આવા ભગવાધારીઓ આવું બેફામ બોલે છે કારણ કે ભારતમાં મોદી સરકાર આવી તે પછી કાયદાનું શાસન નિતાંત રહ્યું નથી. બળાત્કારનો ભોગ બનેલ અને મૃત્યુ પામેલ એક યુવતીને મધરાતે જંગલ જેવા વિસ્તારમાં પોલિસ સળગાવી દે, એક જ ધર્મના કેટલાક યુવાનોને જાહેરમાં રહેંસી નાખવામાં આવે અને સરકાર લગભગ મોં વકાસીને જોયા કરે, ખેડૂતો પર કેન્દ્રના પ્રધાનની કાર ચડાવી દેવામાં આવે અને મોદી સરકાર એને ગર્ભિત સમર્થન આપે, કેન્દ્રના એક પ્રધાન એક ચૂંટણી સભામાં રાજકીય વિરોધીઓને "ગોલી મારો સાલોં કો" એમ કહે અને એ પ્રધાન હોદ્દા પર ચાલુ રહે; અને આવી બીજી અનેક ઘટનાઓ સાથે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાતો રહે; ત્યારે એક મહાન દેશનું જે રાજકીય અને સાંસ્કૃતિક પતન થયું છે, એનો અંદેશો ભારતના બધા નાગરિકોને આવી જવો જોઈએ. પણ હજુ એની કંઈ પતીજ આ નાગરિકો કહેવાતી જણસને પડતી હોય એવું લાગતું નથી.

આ એટલાં ગંભીર પાપ છે કે, જો ગંગા પાપ ધોનારી નદી હોય તો પણ એમાં અનેક ડૂબકીઓ મારવાથી પણ તે આવાં પાપ ધોઈ નહિ શકે એટલું સમજીએ તો સારું.

મહા મહેનતે જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળની સરકારે સરદાર પટેલ અને ભીમરાવ આંબેડકર સહિતના મહાન નેતાઓના અથાગ પરિશ્રમથી હજારો વર્ષોની પ્રાચીન એવી આ ભવ્ય હિન્દુ સંસ્કૃતિ માટે માત્ર અઢી વર્ષના ગાળામાં એક જ રાજકીય નકશો પહેલી વાર ૧૯૫૦માં બનાવ્યો છે. કહેવાતી "ધર્મ સંસદ"માં હિન્દુઓને અન્ય ધર્મો પ્રત્યે હિંસક રીતે ઉશ્કેરવા માટે જે ભાષણો કરવામાં આવ્યાં તે શું આવા દેશના નાગરિકોને અંદરોઅંદર લડીને તેમ જ મારાકાપી કરીને આ દેશના ટુકડા કરવા તરફ લઈ જવા માટેનું ભાથું પૂરું પાડે છે, એવું તો નથી ને? જરા વિચારીએ શાંત ચિત્તે.

વળી, આ ભગવાધારીઓ "સાધુસંત" છે એવું કહેવાની કે માનવાની ભૂલ પણ ના કરવી જોઈએ. 'સાધુ' અને 'સંત' શબ્દોના અર્થ તો સાવ જુદા છે. એટલે આ ભગવાધારીઓ તો હિન્દુ ધર્મ જન્મજાત રીતે કેટલો હિંસક પણ છે તેનો જ ગુનાઇત પુરાવો આપી રહ્યા છે.

તેમના કહેવા મુજબ જો હિન્દુઓ અન્ય ધર્મના લોકો સામે શસ્ત્રો ઉઠાવે તો શું થાય એનું કંઈ એમને ભાન છે ખરું? જો હિન્દુઓ અહિંસક ના હોય કે ન રહે તો પછી બીજા ધર્મના લોકો કંઈ બુદ્ધ, મહાવીર અને ગાંધીના અનુયાયીઓ તો ના જ બની રહેને! જીવ તો સૌને વહાલો હોય ને! આ ભગવાધારીઓ બીજાઓ સામે શસ્ત્રો ઉઠાવવાની સલાહ આપે છે, તેનો અર્થ જ એ છે કે તેઓ ભારતને હિટલરના જર્મનીમાં તબદીલ કરવા માગે છે. ભગવાધારીઓનું આહ્વાન વીરત્વ માટે નથી, પણ નૃશંસતા, અમાનવીયતા અને ઘાતકીપન માટે છે, એ હિન્દુઓ બહુ મોડું થાય તે પહેલાં સમજે. આ અર્થમાં કહેવાતી "ધર્મ સંસદ"ને 'અધર્મ સંસદ' કહેવાનું જ મન થાય.

તા.૨૪-૧૨-૨૦૨૧

સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6941,6951,6961,697...1,7001,7101,720...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved