Opinion Magazine
Number of visits: 9674482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુલી બાઇ એપ કેસઃ સોશ્યલ મીડિયા, ગુમરાહ યુવાનો અને પાંખી થઇ રહેલી લોકશાહીનો પુરાવો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 January 2022

જો કોઇ એમ માનતું હોય કે આ એપ બનાવનારા છોકરાંઓ હજી નાનાં છે, ગેરમાન્યતાઓમાં સપડાઇને આવી ભૂલ કરી તો તે ખોટું છે. તેમની સાથે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઇએ

ગયા અઠવાડિયે વાઇરસના નવા વેરિયન્ટના ખેલ ઉપરાંત એક બીજા સમચાર સતત ટ્રેન્ડમાં રહ્યા. બુલી બાઇ એપ કેસનું કોકડું ખુલતું ગયું અને સાઇબર ક્રાઇમ, ધિક્કાર, કાવતરાખોરી જેવી લાગણીઓથી ખદબદતા ચહેરાઓ બહાર આવતા ગયા.

વર્ષનો પહેલો દિવસ અમુક મુસલમાન યુવતીઓ માટે આઘાતજનક રહ્યો. સોશ્યલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ ફેલાયલા હતા અને તેમની ‘હરાજી’ થઇ રહી હતી. ભારતમાં મુસલમાન સ્ત્રીઓની હરાજીનો આ કિસ્સો ઉછળ્યો. વળી આ સ્ત્રીઓમાંથી કેટલીક પત્રકાર, નાગરિકો માટે અવાજ ઉઠાવનારી મહિલાઓ, વગેરે હતી. આ કિસ્સામાં સાઇબર ક્રાઇમ ઝડપનાર પોલીસકર્મીઓ ઝડપી કામ કર્યું અને ધરપકડ પણ થઇ અને ચોંકાવનારી વિગતો બહાર આવી. આ લખાઇ રહ્યું છે ત્યારે હજી આ મામલામાં કોઇને કોઇ અપડેટ આવી રહી છે.

કિસ્સાની વિગતો એમ છે કે ૧લી જાન્યુઆરીએ ગિટનો ઉપયોગ કરીને સોફ્ટવેર હોસ્ટ કરનારા અને એપ ડેવલપ કરનારા પ્લેટફોર્મ ગિટહબ પર બુલી બાઇ એપે દેખા દીધી. આ એપ પર લગભગ ૧૦૦ જેટલી મુસલમાન સ્ત્રીઓનાં પ્રોફાઇલ્સ હતાં. આ સ્ત્રીઓમાંથી કોઇ પત્રકાર હતું તો કોઇ સામાજિક પ્રવૃત્તિઓમાં એક્ટિવ હતું. આ પ્રોફાઇલ્સ પર તેમની તસવીરો સાથે અંગત વિગતો નાખી હતી અને તેમની કોઇપણ પ્રકારની મંજૂરી વગર આ કરાયું હતું. ૪થી જાન્યુઆરીએ મુંબઇ પોલીસે આ કિસ્સામાં ૨૧ વર્ષના એન્જિનિયરીંગ વિદ્યાર્થી વિશાલ કુમારની ધરપકડ કરી. એ જ દિવસે ૧૮ વર્ષની શ્વેતા સિંઘ પણ બુલી બાઇ એપ બનાવવાના ષડયંત્રનો ભાગ હોવાથી ઉત્તરાખંડથી ઝડપી લેવાઇ, અને બુધવારે ઉત્તરાખંડના જ એક બીજા વિદ્યાર્થી મયંક રાવતની ધરપકડ કરાઇ. ૧૮ વર્ષની શ્વેતા સિંઘ આ કિસ્સાની મુખ્ય આરોપી મનાય છે, તેણે તેના પિતા કોવિડમાં ખોયા છે અને માતા કેન્સરમાં. ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવીને શ્વેતા વાંધાજનક તસવીરો અને ટિપ્પણીઓ કરતી. શ્વેતાની તપાસ કરતાં એવું બહાર આવ્યું છે કે નેપાળમાં રહેતા તેના કોઇ મિત્રના કહ્યે તે આ એપ પર શું કરવું શું નહીં તે નક્કી કરતી હતી. શ્વેતાનું નામ વિશાલ કુમારની પૂછપરછમાં બહાર આવ્યું હતું, જ્યારે તેણે એમ કબુલ્યું કે તે કોઇ છોકરીના સંપર્કમાં હતો, જે એવા લોકોના સંપર્કમાં હતી જે જણાવતા હતા કે બુલી બાઇ એપ પર શું પોસ્ટ મુકવી અને કેવી ગતિવિધિ રાખવી. પૂછપરછમાં એ પણ બહાર આવ્યું કે શ્વેતા સિંઘ હિંદુવાદી છે (હિંદુ ધર્મમાં માનનારાઓ સાથે આ વાદ-વાળાં વર્ગની સરખાણી કરવાથી મોટી કોઇ મૂર્ખામી ન હોઇ શકે) અને ૨૦૨૧ના ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં જે હિંસા થઇ તેનાથી અને મતતા બેનર્જીની સરકાર ફરી ખડી થઇ, તેનાથી શ્વેતા વ્યથિત હતી અને પરિણામે તેણે વિશાલ સાથે સંપર્ક થતા આવું કંઇ કરવાનું વિચાર્યું. વિશાલ સાથેની ઓળખાણ પછી તેણે હિંદુ તરફી પોસ્ટ્સ પણ વધારી દીધી. બિનસાંપ્રદાયિક દેશમાં કોઇ ચોક્કસ ધર્મની મહિલાઓને ટાર્ગેટ કરીને આટલી બેહૂદી હરકત શરમજનક છે. વળી આ પાછું કંઇ પહેલીવાર નથી થયું.

સલી ડીલ્સનો કિસ્સો શું હતો?

એક્સપર્ટ્સના મતે સલી ડીલ્સ અને બુલી બાઇ વચ્ચે કોઇને કોઇ કડી ચોક્કસ જોડાયેલી છે. સલી ડીલ્સ જુલાઇ ૨૦૨૦માં સપાટી પર આવેલી એપ હતી. તેમાં પણ કેટલી મુસલમાન મહિલાઓની હરાજીની વાત કરાઇ હતી. સલી શબ્દ મુસલમાન સ્ત્રીઓ માટે વપરાતો અપમાનજનક શબ્દ છે. જાણતી મુસલમાન સ્ત્રીઓએ આ વાતે અવાજ ઉઠાવ્યો અને એપને એ પ્લેટફોર્મ પરથી હાટવી લેવાઇ હતી. જો કે બુલી બાઇ એપના વિવાદ સાથે આ મહિલાઓનું કહેવું હતું કે પહેલીવાર જ્યારે આ થયું ત્યારે પોલીસે કડક પગલાં લીધી હોત તો આ ફરી ન થયું હોત.

આ પ્રકારની એપ આપણા દેશના અમુક વર્ગમાં ખદબદતી વાહિયાત માનસિકતા, આપણા દેશના યુવાનોની વિચારસરણીને ઉઘાડી પાડે છે. આપણે એક દેશ તરીકે આટલા અસહિષ્ણુ તો હતા જ નહીં. આ મુસ્લિમ મહિલાઓ જેમના પ્રોફાઇલ આ એપ્સ પર મુકાયા હતાં, તેમાં મોટે ભાગે એવી મહિલાઓ હતી જે હાલની કેન્દ્ર સરકારની ટીકા કરે છે, તેઓ ડિબેટ્સના જાણીતા ચહેરાઓ છે. વળી આ એપ યુઝર્સ નામમાં શીખ નામો વાપરતા જેથી ખાલિસ્તાનીઓ તરફ નિર્દેશ જાય. મુંબઇ પોલીસે ગણતરીના દિવસોમાં ટ્વીટર હેન્ડલ પરથી આ યુવાનોને શોધી કાઢી તેમની ધરપકડ કરી પણ દિલ્લી પોલીસે સલી ડેથ કેસિઝને મામલે ગિટહબ સાથે સંપર્ક કર્યો અને હજી જવાબની રાહ જોવાઇ રહી છે.

વળી આ આખા ખેલમાં જોવું રહ્યું કે ટેક જાયન્ટ્સ જેના માધ્યમો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે વપરાય છે તેઓ ચૂપ રહે છે. ગિટહબની પેરન્ટ કંપની માઇક્રોસોફ્ટ છે. વળી જે ટ્વીટરનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ્સ પરથી ધિક્કાર ફેલાવતી પોસ્ટ થતી હતી, તેની પર પણ બુલી બાઇ વિશે પૂરતી ચર્ચા થઇ છે પણ તેમનો પણ કોઇ પ્રતિભાવ નથી. ભારતીય સત્તાધીશોએ બુલી બાઇ એપના મૂળ અંગે ટૅક જાયન્ટ્સનો કાંઠલો ઝાલ્યો છે, પણ હજી સુધી કોઇ જવાબ નથી મળ્યો.  ટૅક જાયન્ટ્સે વધુ સાબદા રહેવું જોઇએ અને તેમના પ્લેટફોર્મ્સનો ઉપયોગ ધિક્કાર પ્રસારાવવા માટે ન થાય તેની પૂરતી તકેદારી રાખવી જોઇએ.

બાય ધી વેઃ 

ભલભલી લોકશાહીના પાયા સોશ્યલ મીડિયાના દુરુપયોગથી હચમચી જઇ શકે છે. વળી ધ્રુવીકરણની રાજનીતિને આપણે પારખતા હોઇએ – ભલે કોઇ પણ પક્ષ તેનો ઉપયોગ કરતો હોય –  ત્યારે આપણા દેશમાં આવા ગુના થાય ત્યારે આપણે ચેતવું રહ્યું. આ દેશના યુવાનોની વૈચારિક શક્તિ ખોટા રવાડે ચડી રહી છે, તેનું ઉદાહરણ છે બુલીવાઇ અને સલી ડીલ્સ જેવી એપ્સ. જો કોઇ એમ માનતું હોય કે આ છોકરાંઓ હજી નાનાં છે, ગેરમાન્યતાઓમાં સપડાઇને આવી ભૂલ કરી તો તે ખોટું છે. તેમની સાથે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઇએ. સોશ્યલ મીડિયાનો આટલો બેહૂદો ઉપયોગ ડરાવવા, ધમકાવવા અને પૂરી જાણકારી સાથે કરાય છે – આ કરનારાઓને સજા ફટકારવામાં કોઇ ઢીલ ન મૂકવી જોઇએ. તેમણે આઇ.ટી. ક્રાઇમ, સ્ટૉકિંગ, ધાર્મિક લાગણી દુભાવવા જેવા એક કરતાં વધુ કાયદા ભંગ કર્યા છે. કાયદાનો ભંગ થયો હોય, ભંગ કરનારા સગીર ન હોય તો પછી તેમને સજા કરવામાં કોઇ ભેદભાવ ન રાખવા જોઇએ કારણ કે તો જ દૃષ્ટાંત બેસાડી શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  09 જાન્યુઆરી 2022

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|9 January 2022

: ૫ : સભા એટલે જ્ઞાનોત્સવ :

વર્ગખણ્ડની વાતે હમેશાં મને પેલું પ્રાચીન દૃશ્ય યાદ આવે : વૃક્ષની છાયામાં કર્તવ્યતુષ્ટ મૌની ગુરુ 'યુવાન' દીસે છે અને છિન્નસંશયી શિષ્યો ‘જ્ઞાનવૃદ્ધ' દીસે છે. બન્ને પક્ષ પ્રસન્ન છે. કેમ કે સર્વ સમાધાન મળી ગયાં છે. સ્તબ્ધતાભરી શાન્તતા છવાઈ છે. આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે.

આપણા વર્ગખણ્ડો આ આદર્શને વરે એવી મનીષા સેવું છું. બાકી તો બધું એવું એવું સાંભળવા મળે છે કે આપણે અમસ્તા જ સ્તબ્ધ થઈને શાન્ત પડી જઈએ !

દીવાલો વિનાની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિદ્યા-સમીપે હોય છે. સૌ સહભાગીતાનો ઉલ્લાસ માણતાં હોય છે. આ મોટા વિદ્વાન; આ નવસવા; વગેરે પ્રકારની જડતાગ્રસ્ત ઉચ્ચાવચતા નથી હોતી. સૌ, સંવાદથી રસિત અને પ્રફુલ્લિત હોય છે. સૌએ સ્વીકાર્યું હોય છે કે પૂછવું કર્તવ્ય છે અને પૂછવું અધિકાર પણ છે.

આનો વ્યવહારુ લાભ તો એ કે સૌને વિદ્યાકીય મૈત્રીનો મીઠો અનુભવ મળે છે. એટલે લગી કે વ્યાખ્યાતાને કોઈ વાર કોઈ વિદ્યાર્થી-શિબિરાર્થી જરીક તોછડાશથી પણ પૂછી પાડે; પણ ત્યારે વ્યાખ્યાતાને ખોટું નથી લાગતું; એના ચ્હૅરે સ્મિત હોય છે. કેમ કે એવા પ્રશ્નથી પણ એને તેમ જ સભાને જુદું વિચારવાની ફરજ પડે છે. લાગણી થાય છે કે શીખવાનું તો કોઈની પણ પાસેથી હમેશાં સંભવિત છે. જ્ઞાનજ્યોત કોઈ પણ વ્યક્તિ પ્રગટાવી શકે. જ્ઞાનપ્રકાશની આડે કશું પણ આવી શકે નહીં. 

ચીલાચાલુ માન્યતા એવી કે ગુરુ મહાન છે. એને કોઈ શીખવી શકે નહીં. શિષ્યે એની આંગળી પકડીને ચાલવું. સેવા કરવી. એનાં ઘરકામ કરવાં. હમેશાં એની જ ધજા ફરકાવવાની. ગુરુ જો આવો હોય, તો એ પણ મારી દૃષ્ટિએ એક દીવાલ છે. સાચા શિષ્યને હમેશાં અડે-નડે.

દુષ્પરિણામો આવે છે : શિષ્યનો વિકાસ અટકી પડે છે : ગુરુને પણ ‘શિષ્યાત્ પરાજય' નામની ગૌરવશાળી ઘટનાનો કદી અનુભવ નથી મળતો : કેટલાક શિષ્યો આંગળી છોડતા જ નથી : કેટલાક, ખભે ચડી બેસે છે : ગુરુના ટાંટિયા ખૅંચી પાડનારા પણ જડી આવે છે : તો, પોતાની પાલખી ઊંચકીને ફરે એવી વાસનાને જીવતા લાલચુ ગુરુઓ પણ ઘણા હોય છે : નિર્ણય એવો થાય છે કે, ચાલને યાર, કોઈ સાચાને -સદ્ને- શોધી કાઢીએ. ‘સદ્ગુરુ' શબ્દ અમસ્તો નથી શોધાયો.

મને આદિ શંકારાચાર્ય (788–820 CE) અને ‘કર્મકાણ્ડી’ મન્ડન મિશ્ર વચ્ચેનો વિવાદ યાદ આવે છે. શંકર યુવાન હતા. મન્ડન મિશ્રની અરધી જિન્દગી ‘મીમાંસા' પાછળ વપરાઇ ગયેલી. તે કહે, અનુભવ વગરના જુવાનિયા જોડે મારે શો વાદ કરવો ! છતાં, મોટાઇ બતાડવા ‘હા’ પાડી. ન્યાયાધીશ પસંદ કરવા કહ્યું. પ્રસ્તાવનો શંકર સ્વીકાર કરે છે.

મિશ્રની પત્ની ભારતી ન્યાયાધીશ રૂપે નિમાય છે. સભા એટલે કે જ્ઞાનોત્સવ શરૂ થાય છે. જ્ઞાનાતુર નગરજનો શીખવાના હેતુથી રોજ હાજર થઈ જતાં. વિવાદ છ મહિના ચાલેલો.

મન્ડન મિશ્રના તર્ક સુતીક્ષ્ણ પરન્તુ સંચિત જ્ઞાન કુણ્ઠિત હતું – આગળની ઊંચાઇએ પ્હૉંચી શકેલું નહીં. બ્રહ્માનુભૂતિને વરેલા શંકર આગળ, એની શી વિસાત ! સરવાળે, મન્ડન મિશ્ર હાર્યા.

પણ ભારતી વિદ્યાવાન ચતુરા નારી હતી. શંકરને કહે, વિવાદમાં સામાવાળાની પત્નીને પણ હરાવવી ઘટે છે. શંકરને ઝટ એણે પતિ-પત્નીના દામ્પત્ય વિશેના સાંસારિક સવાલો કર્યા. એને વિશ્વાસ કે બ્રહ્મચારી શંકર કશા જવાબો આપી શકશે જ નહીં. શંકરે કહેલું પણ ખરું – હું બ્રહ્મચારી, એ બધું શું જાણું ! શંકરને સમય અપાય છે.

અનુભવાર્થે શંકરે શું કર્યું એ વાર્તા ઘણી લાંબી છે. પણ પાછા ફર્યા ત્યારે એમની પાસે સ્ત્રી-પુરુષ સમ્બન્ધનું, દામ્પત્ય-જીવનનું, પરસ્પરનાં દાયિત્વ વગેરેનું જબરું જ્ઞાન હતું. પરિણામ એ આવેલું કે મન્ડન મિશ્ર અને ભારતી પ્રભાવિત થઈ ગયેલાં. ઝૂકીને બન્નેએ પરાભવનો સ્વીકાર કરેલો. વિવાદ સમાધાનકારી સંવાદ રૂપે સમ્પન્ન થયેલો.

વય-જ્યેષ્ઠ મન્ડન મિશ્ર યુવા શંકરાચાર્યના શિષ્ય બની ગયેલા ને છેવટે વેદાન્તી તરીકે પંકાયેલા – એમનું સ્વરૂપાન્તર થઈ ગયેલું.

પ્રસંગ ઘણું ઘણું સૂચવે છે :

૧ : સભા જ્ઞાનોત્સવ હોય; એમાં નગરજનો સમેતનાં સૌ જ્ઞાન સમીપે હોય. જ્ઞાનપિપાસુ સૌને સરખાં લેખવાં જોઈએ.

૨ :  મન્ડન મિશ્રની જેમ માનીએ કે જ્ઞાન મારી આગળ પૂર્ણ થઈ ગયું છે, તો એ મહા ભ્રમ છે. આપ-મતમાં પુરાયેલા ન રહેવાય.

૩ : ચર્ચાનો અધિકાર સૌને છે. એમાં સ્ત્રી-પુરુષ, બુધ-અબુધ કે ડાહ્યો-ડોબો જેવા ભેદ નથી. શંકારાચાર્ય જેવા મનીષીને એક સ્ત્રી પણ સાગ્રહ પૂછી શકે. એથી પણ શીખવા જ મળે.

૪ : શંકરાચાર્ય સમા પરમ જ્ઞાની પણ ચર્ચામાં આગળ ધપવાની ના પાડે છે. સ્વાનુભવ વિના નથી બોલતા. એને ‘જ્ઞાનાય વિવેક’ કહેવાય. મેં આપણે ત્યાં એવા અવલોકનકારો જોયા છે જેમની પાસે રચનાનો રસાનુભવ હોય નહીં પણ હાંક્યે રાખે. રચનાકારની ઘોર ટીકા કરે. વાસ્તવમાં એમણે આખું પુસ્તક વાંચ્યું જ ન હોય. એને પ્રજ્ઞાનો અપરાધ કહેવાય.

૫ : બન્ને પક્ષના વિદ્વાનોએ સંવાદસુખ-તરફી રહેવું જોઈએ. આપણે ત્યાં ઊધું છે – સામા મળ્યા હોય તો મૉઢાં ફેરવી લે છે ! જ્ઞાન, અહમ્-ની અથડાઅથડી માટેનું ઑજાર નથી.

૬ : આપણે વિરુદ્ધ મતવાદી હોઇએ પણ અન્યના મતનો વિચાર કરવા અને લાગે તો સ્વમત છોડવા તત્પર રહેવું જોઇએ.

ઍરિસ્ટોટલના ગુરુ પ્લેટો, પ્લેટોના સૉક્રેટિસ. પણ સૉક્રેટિસના? સૉક્રેટિસ જેવા સૉક્રેટિસે પણ પોતાના ત્રણ ત્રણ 'ગુરુ' હોવાનો નિર્દેશ કર્યો છે ! આનન્દાશ્ચર્યની વાત એ કે એ ત્રણે ત્રણ 'સન્નારીઓ' હતી. એકે શાણપણની કલા, બીજીએ વાક્-કલા અને ત્રીજીએ એમને પ્રેમ-કલા શીખવેલી. સન્નારી પાસેથી કલા શીખવાનું કોને ન ગમે?

વિવાદ જો તત્ત્વબોધ-તરફી ન હોય, તો એ પણ જ્ઞાનમાર્ગની દીવાલ બની રહે. રકઝક કે માથાકૂટ. એથી વૈમનસ્ય વધે.

વધારામાં કહું કે જ્ઞાન સર્વથા મુક્ત સ્વાયત્ત અને સ્વપ્રતિષ્ઠ છે. આપણે જ એને સ્વાર્થરંજિત પક્ષાપક્ષીથી અભડાવીએ છીએ. એ પર નામનો સજજ્ડ સિક્કો લગાવી દઇએ છીએ – જેમ કે, ‘ઍરિસ્ટોટલિયન’ પોએટિક્સ પર્ફૅક્ટ છે. વાદનો કડક બંદોબસ્ત બેસાડી દઈએ છીએ – ‘પ્રતીકવાદી’ હોય તો જ કવિ. સમ્પ્રદાય-ની સંકડાશમાં દોરી જઈએ છીએ – ’અલંકાર’ સમ્પ્રદાય – ‘રીતિ’ સમ્પ્રદાય. રાગદ્વેષથી કલુષિત કરી મૂકીએ છીએ -જેમ કે, ઉમાશંકર જોશી વર્સિસ સુરેશ જોષી.

ભૂલી જઇએ છીએ કે જ્ઞાન અપૌરુષેય છે. એને જ્ઞાનીઓના ટેકાની પણ જરૂર નથી રહેતી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા-માં ઠરેલા વેદાન્ત-જ્ઞાનને નામસરનામાંની કદી જરૂર પડી ખરી? જ્ઞાન ફલાણા વિવેચકે ઘડેલી-ગોઠવેલી પરિભાષા આગળ કે કોઈ મતીલા ચર્ચકના પક્ષાઘાતી મગજ આગળ પતી નથી જતું.

જો કે એવા સમયો પણ આવે છે જ્યારે સિદ્ધ-પ્રસિદ્ધ જ્ઞાન વિશે ફેરવિચાર કરવાની ફરજ પડે છે. કેમ કે જ્ઞાન અનન્ત છે. નિરન્તરની શોધયાત્રા. જાણીને નવાઇ થશે કે હવે એમ પણ કહેવાઇ રહ્યું છે કે સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ સર્વથા આઉટડેટેડ ફિલસૂફો છે ! એ ત્રિપુટીએ વિચારવાની જે ટેવો પાડી છે એ જરઠ-જડ થઈ ગઈ છે. સમય પાકી ગયો છે કે માણસજાત એ પ્રરૂઢિથી મુક્ત થઈ જુદી જ રીતે વિચારવા માંડે.

માણસને માણસ નહીં, જ્ઞાન દોરવે …

= = =

(January 9, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ

ડૉ. અશ્વિનકુમાર|Gandhiana|9 January 2022

ત્રીસ જાન્યુઆરી, ઓગણીસો અડતાળીસે દેહથી ગયા તે ‘મહાત્મા’ હતા. પણ નવ જાન્યુઆરી, ઓગણીસો પંદરે દેશમાં આવ્યા તે ‘મોહનદાસ ગાંધી’ હતા. જો કે, ગાંધીભાઈએ જીવનનાં એકવીસ વરસ દક્ષિણ આફ્રિકાની ભૂગોળને અને દુનિયાના ઇતિહાસને આપ્યા. તેઓ ગિરમીટિયાઓને દેશી ભાષાઓમાં સમજતા તો ગોરાઓને અંગ્રેજી ભાષામાં સમજાવતા. મો.ક. ગાંધી અધિપતિની હેસિયતથી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગુજરાતી, હિંદી, તામિલ, અને અંગ્રેજી એમ ચાર ભાષામાં લખાણો છાપતા. ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર નહીં પણ શાસ્ત્ર સમજી-સમજાવીને તેઓ હિંદના દરિયાકિનારે ભરતી બનીને આવ્યા. ૦૯-૦૧-૧૯૧૫ના રોજ, ગાંધી મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે એક પારસી ખબરપત્રી તેમની મુલાકાત લેવા સારુ છેક બંદર ઉપર પહોંચી જઈને તેમને મળ્યો. તેને પહેલાં પહોંચી જઈને ગાંધીને મળી લેવાની હોંશ હતી. ‘સૌથી પ્રથમ, તેજ કદમ’નું સ્પર્ધાસૂત્ર એ જમાનાના પત્રકારત્વનું લક્ષણ હોય પણ ખરું. પેલા પત્રકારે તો મળતાંની સાથે જ ગાંધી ઉપર અંગ્રેજીમાં સવાલ છાંટ્યો. પછી શું થયું? … ગાંધીનું નહીં, પેલા પત્રકારનું?! … આ અંગે આપણા સૌના ‘કા.કા.’ને પૂછવું પડે.

કાકાસાહેબ કાલેલકર ‘બાપુની ઝાંખી’(નવજીવન પ્રકાશન મંદિર, પહેલી આવૃત્તિ: ૧૯૪૯, બીજી આવૃત્તિ : ૧૯૫૫, પુનર્મુદ્રણ : ૧૯૬૯, પૃ.૧૨)માં નોંધે છે : “તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું – ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું. તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે. તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો? તમે શું એમ માનો છો કે દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો? અથવા એવું તો માનતા નથીને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે?’ ” આ ઘટના અંગે કાકાસાહેબ વધુમાં લખે છે કે, “ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવાલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.” લેખને સમેટતાં કાલેલકર કહે છે : “તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષામાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્ત્વ સમજે છે એ જાણીને સૌને સંતોષ થયો.” આ જે બન્યું તેને સમાચારની ભાષામાં ઘટના પણ વિચારની ભાષામાં ઘડતર કહેવાય. જેમાંથી એક પત્રકારે નહીં, આખી પ્રજાએ બોધપાઠ લેવો રહ્યો.

ગાંધીના માનમાં ઉત્તમલાલ ત્રિવેદીએ મુંબઈમાં ગુજરાતીઓનો મેળાવડો ગોઠવ્યો હતો. ‘ગાંધીજીની દિનવારી’(માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૦૨)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલની નોંધ મુજબ, ‘આ મેળાવડો ગુર્જર સભા તરફથી ૧૪-૦૧-૧૯૧૫ની સાંજે મુંબઈસ્થિત મંગળદાસની વાડીમાં યોજાયો હતો.’ ગુજરાતી હોવાના નાતે મહમદઅલી ઝીણા પણ એમાં હાજર રહ્યા હતા. આ મેળાવડાના પ્રમુખ કે મુખ્ય વક્તા તરીકે ઝીણાએ ટૂંકું અને મીઠું પણ અંગ્રેજીમાં ભાષણ કર્યું. બીજાં ભાષણો પણ મોટા ભાગે અંગ્રેજીમાં જ થયાં હતાં. હવે ગાંધીનો વારો આવ્યો! આ બનાવનું બયાન કરતાં મો.ક. ગાંધી ‘સત્યના પ્રયોગો’(નવજીવન પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : ૨૦૦૯, પૃ. ૩૪૫)માં કહે છે : “જ્યારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં જ વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડા જ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિશે સંકોચ તો હતો જ. લાંબી મુદ્દતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનઅનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવેક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પણ ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિંમત કરી તેનો કોઈએ અનર્થ ન કર્યો ને સૌએ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.”

દાનત હોય તો, આ દૃષ્ટાંતો ઉપરથી આપણે ધડો લઈ શકીએ છીએ. સવાલો પૂછનાર પત્રકારની માતૃભાષા ગુજરાતી છે એવું જાણી લીધા પછી ગુજરાતીમાં સંવાદ કરવો એ ગૌરવનો વિષય છે, શરમનો નહીં. એનાથી ગેરસમજ ઘટશે, ઠેરસમજ વધશે. ગુજરાતી વ્યવસ્થા-વાતાવરણ-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં વાત વહેતી કરવા માટે હિંમત સિવાય કશું જરૂરી નથી. પછી ભલેને સામે ઝીણા હોય કે મોટા! અંતે એટલું સ્વીકારીએ કે, જાહેરમાં એક વાર માતૃભાષામાં અભિવ્યક્ત થયા પછી કોઈ નવી વાત રજૂ કરવામાં અગવડ નહીં પડે એવો સાર જો મો.ક. ગાંધી ખેંચી શકતા હોય તો આપણે તેમના તરફ ખેંચાવું જ રહ્યું.

પ્રાધ્યાપક, પત્રકારત્વ વિભાગ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, મહાત્મા ગાંધી આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪

વીજાણુ-ઠેકાણું (ઈ-મેઇલ) : ashwinkumar.phd@gmail.com

અક્ષર-આકાશિકા (બ્લોગ) : https://ashwinningstroke.blogspot.com

Loading

...102030...1,6761,6771,6781,679...1,6901,7001,710...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved