Opinion Magazine
Number of visits: 9674466
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુદેવ આપણે આંગણે …

રમજાન હસણિયા|Opinion - Opinion|10 January 2022

વર્ષ ૨૦૨૧નો છેલ્લો દિવસ, ૩૧મી ડિસેમ્બર એટલે દુનિયા માટે ઉજાણીનો દિવસ. મારા માટે પણ એ દિવસથી એક ઉજાણી શરૂ થઈ તે પણ દસ દિવસ ચાલી. આમે આપણે ત્યાં દસ દિવસીય તહેવારોની ભવ્ય પરંપરા છે. માતાજીના ગરબાની પહેલે દિવસે સ્થાપના થાય ને નવ દિવસ આનંદ મજાના જાય. દસમે દિવસે માતાજી વિદાય તો થાય, પણ નવ દિવસના સહવાસે એટલું અજવાળું જીવતરમાં ભરી દીધું હોય કે પાછા આવે ત્યાં સુધી એનો પરતાપ ચાલે.

૩૧મીની બપોરે કૉલેજથી ઘરે પહોંચતાં કામને કારણે થોડું મોડું થયું. ઘરમાં બધા રાહ જોઈને બેઠેલાં. ઘરમાં પ્રવેશતાં જ મારા પરમપ્રિય ગુરુણી ગીતાબહેન જૈન અને દીપકભાઈના પ્રેમભર્યા આભામંડળથી હું ઘેરાઈ ગયો. એ લોકો તો વ્હેલેરા આવી ગયેલાં, પણ જમવામાં મારી રાહ જોઈને બેઠાં હતાં. દર્શનાબહેને વર્ગમાં કહેલું કે, 'જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.' ગીતાબહેનનાં માતૃત્વના સ્થાપનનો આ પહેલો દિવસ હતો.

વર્ષ ૧૯૯૯ની યોગ શિબિરથી ગીતાબહેન સાથે જે અનુબંધ બંધાયો છે, તે ક્રમશઃ વિસ્તરતો ચાલ્યો છે. મારા જીવનવિકાસમાં એમની ભૂમિકા બહુ મોટી છે, એની વાત વળી ક્યારેક નિરાંતે કરીશ. પણ નીલપર આવ્યા પછી દર વર્ષે ગીતાબહેન એક બે વખત તો સમય લઈને ઘરે આવે જ. એમની નીલપર અને રાપરમાં દસ દિવસીય યોગ શિબિર પણ યોજાય. મને તો એક જ લોભ હોય એ બહાને એમની સાથે રહેવા મળે ! એમની સાથે રહેવા માત્રથી જ જીવન ઘડતરના પાઠ અનાયાસ મળી જાય. કોરોનાકાળને લીધે તેઓ બે વર્ષ સુધી આવી ન શક્યાં, એનો સાગમટે પ્રેમ આપવા આ વર્ષે તેઓ દસ દિવસ અમસ્તા રોકાવા આવ્યાં. સંજોગોને આધીન એમની શિબિર કે એમનું વ્યાખ્યાન ગોઠવી વિદ્યાર્થીઓ કે ગ્રામજનોને એમનો લાભ ન અપાવી શક્યો, એનો વસવસો એક તરફ હૈયે હતો તો બીજી બાજુ આ વખતે એકલા અમારા માટે ગીતાબહેન રોકાયાં એનો રાજીપો પણ અંતર ભરી દેતો હતો.

ઈશુના નવલાં વર્ષની પ્રથમ ચા અમે બધાએ સાથે મળીને પીધી. રુહાનીબહેનની નાનકડી ખાટલી અમારી ભોંય પર બેસીને ખાવાનું ડાઈનિંગ ટેબલ બની. નાનીબહેને બારડોલીથી સિવડાવીને મોકલેલ કુર્તામાં સજ્જ થઈ હું વટ પડાવતો હતો, એ વટનું સાચું કારણ સ્વજનોનો સંગાથ હતો.

વર્ષનો પહેલો દિવસ અમસ્તાં ઉજાણીનો દિવસ બની જ રહ્યો હતો, પણ તોયે નિત્ય પ્રવાસી ઘેર આવે ત્યારે બારણે બંધાઈ રહેવું તો કેમ ગમે ? અમે સઈ ગામમાં પાતાળેશ્વર મહાદેવ, હોથલ પદમણી ને પાબુદાદાની જગ્યાઓ જોઈને સાંજે ટીંડલવા અલખધણીના આશ્રમે પહોંચ્યાં. એમની સંગાથે કરેલા પ્રવાસની વાતો કાગ રામ અને જ્યોતિબહેન મોતાએ લખી છે, તેથી તેનું પુનરાવર્તન નથી કરતો, પણ 'જીવ્યા કરતાં જોયું ભલું'માં માનનારા ને ભમતા રહી વિસ્તરતા રહેનાર ગીતાબહેન અને દીપકભાઈ સાથે હતાં એટલે પ્રવાસ વધુ યાદગાર બની રહ્યો એટલું તો કહેવું જ રહ્યું.

બીજા દિવસે થોડાં વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રોને પણ અમારી રખડપટ્ટીમાં ભેળવી દીધાં. રખડુઓની નાત મોટી થાય એટલે આનંદ પણ સ્વાભાવિક વધે જ. સવારે વહેલા નીકળી અમે ફતેહગઢ પહોંચ્યાં. રણમાં દેશાંતરથી આવેલાં સુરખાબને દૂરથી મળીને બધાએ દિવસની શરૂઆત કરી. ડોરાગામથી પણ પાંચેક કિલોમીટર દૂર બોરડીના જંગલમાં બેઠેલા વીડીવાળાપીરની દરગાહે બધાએ સલામ ભર્યાને એથીયે વધુ ચણી-મણી બોર ખાવાની મજા લીધી. બધાને દરગાહથી થોડે દૂર જ ગાડીમાંથી ઉતારી દઈ, ગીતાબહેને જ બધાને બોરની ખાટી-મીઠી ટ્રીટ આપી. શૈલેષભાઈ કાનાણી ને વિદ્યાર્થીઓએ તો કવિતા બનાવી દીધી – 'જેને ખાવા હોય બોરા તે આવે ડોરા ..'

ડોરાથી રા'નવઘણની કથા સાથે જોડાયેલા વરુડી માતાના મંદિરે પહોંચ્યાં. રસ્તામાં ગીતોનો આનંદ તો ખરો જ. બપોરનું ભોજન વ્રજવાણીમાં લીધું. રાધા કૃષ્ણની મનોહર મૂર્તિ ને સાતવીસુ ગોવાલણીઓના ભાવવિશ્વમાંથી નીકળવું અઘરું હતું, પણ હજુ એક બે જગ્યાઓ અમારી રાહ જોઈ રહી હતી. જૂના વિદ્યાર્થી મિત્ર દિલીપભાઈના ફોન પર ફોન આવતા હતા. અમારો સંઘ પહોંચ્યો લોદ્રાણી. દિલીપભાઈ પહેલા અમને લઈ ગયા પંખેરા પીરની દરગાહે. રણની વચાળે પાણીની છેલોર ને પાણીની પ્રેમાળ  છાલકોથી પથ્થરે ધરેલાં રૂપકડાં આકારો જોવાની મજા પડી. બી.એસ.એફ.ના જવાનોને પણ મળવાનું સદ્ભાગ્ય મળ્યું. ગીતાબહેન અને દીપકભાઈએ પોતાના આગળના અનુભવો સંભળાવ્યાં ને એટલા જ ઉમળકાથી અધિકારીઓએ પોતાનો પ્રેમભાવ વરસાવ્યો. વડીલો સાથે હોય ત્યારે આવા લાભ સહજ મળી જાય. વિદ્યાર્થી મિત્રો પરબત અને દિલીપ સતત સેવામાં હાજર હતા. આખરે અમારી સવારી ઉપડી દિલીપના ઘર ભણી. આખી શેરીનાં બાળકો ને ગામના અગ્રણીઓ સહિત માયાભાઈ અને એમના પરિજનો હાથમાં ફૂલહાર લઈ સ્વાગત માટે બારણે જ ઊભા હતા. ગામના ભજનિકોને પહેલેથી જ બોલાવી લીધેલા. બેસતાંવેંત ભજનમંડળીની ભાવ-ધારા શરૂ થઈ ને એમાં અમે સૌ પણ ભળ્યાં. ગીતાબહેને દીપકભાઈ, વિજયભાઈ ને મારી પાસેથી પણ ભજન ગવડાવ્યાં. ચા ને બીજા રાઉન્ડમાં દૂધ પીને પરસ્પર મીઠપની લ્હાણી કરી, અમે આછા અંધકારમાં લોદ્રાણીથી વિદાય લીધી. બધાને ભૂખ લાગી હશે એવું કહી ગીતાબહેન અને દીપકભાઈએ બાલાસર ગાડી ઊભી રખાવી ત્યાં સહજ ઉપલબ્ધ જલેબી, પાપડી ગાંઠિયા ને ડુંગળીનું ભોજન સૌને કરાવ્યું. વર્ષના આરંભે આવા બે મજાના પ્રવાસ ગીતાબહેન થકી થઈ શક્યા.

પછી ચાલુ દિવસોમાં ક્યાં ય બહાર ફરવા ન જવાયું પણ રોજ સાથે ભોજન લેવાનો, વાતો કરવાનો, સાંજે સાથે ચાલવા જવાનો આનંદ ને એક જ શબ્દમાં કહું તો સહવાસનો આનંદ અમે બધાએ લીધો. ગીતાબહેન પાસેથી નિયમિત નવી નવી વાનગી બનાવતાં શીખી. બાળકો સાથે ગીતાદાદી ને દીપકભાઈએ જાતજાતની રમતો રમી એમને પોતીકાં કરી લીધાં. વચ્ચે બે દિવસ તેઓ રણોત્સવમાં જઈ આવ્યાં, પણ એમનાં સામાનને જોઈ જોઈને અમે રાજી થતાં રહ્યાં કે તેઓ અમારી સાથે જ છે. અમારો પ્રેમ તેમને ઝડપથી પાછો નીલપર ખેંચી લાવ્યો ને વળી એ જ સહજ સહવાસનો આનંદ. એક સાંજે બાજુના હંસનિર્વાણ પરંપરાના આશ્રમે જઈ ભજનવાણીનો લાભ પણ સૌએ લીધો. આમ અમારું આનંદલોક વિસ્તરતું ચાલ્યું. રવિવારની બપોરે ભીંની આંખ અને ભીનાં હૃદયે તેમણે નીલપરથી પ્રસ્થાન કર્યું.

બંગાળીના બહુખ્યાત લેખિકા મૈત્રેય દેવીના ઘરે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર રોકાવા પધારતા, ત્યારના અનુભવો તેમણે 'મંગ્પુ તે રવીન્દ્રનાથ' નામક પુસ્તકમાં આલેખ્યાં છે, જેનો રમણીક મેઘાણીએ 'ગુરુદેવ અમારે આંગણે' નામે અનુવાદ કર્યો છે. દરેક વ્યક્તિને પોતપોતાના ગુરુજનોની ઘર આગમનની ક્ષણો એટલી જ ભાવસભર લાગતી હશે. પુસ્તક તો જ્યારે થાય ત્યારે પણ દર્શનાબહેનની તાલીમ મુજબ અમારે ને બદલે આપણે શબ્દ પ્રયોગ કરી, ગુરુજન પધરામણીનો મારો હરખ આપ સૌની સાથે વહેંચું છું.

e.mail : ramjanhasaniya@gmail.com

Loading

બુલી બાઇ એપ કેસઃ સોશ્યલ મીડિયા, ગુમરાહ યુવાનો અને પાંખી થઇ રહેલી લોકશાહીનો પુરાવો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 January 2022

જો કોઇ એમ માનતું હોય કે આ એપ બનાવનારા છોકરાંઓ હજી નાનાં છે, ગેરમાન્યતાઓમાં સપડાઇને આવી ભૂલ કરી તો તે ખોટું છે. તેમની સાથે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઇએ

ગયા અઠવાડિયે વાઇરસના નવા વેરિયન્ટના ખેલ ઉપરાંત એક બીજા સમચાર સતત ટ્રેન્ડમાં રહ્યા. બુલી બાઇ એપ કેસનું કોકડું ખુલતું ગયું અને સાઇબર ક્રાઇમ, ધિક્કાર, કાવતરાખોરી જેવી લાગણીઓથી ખદબદતા ચહેરાઓ બહાર આવતા ગયા.

વર્ષનો પહેલો દિવસ અમુક મુસલમાન યુવતીઓ માટે આઘાતજનક રહ્યો. સોશ્યલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ ફેલાયલા હતા અને તેમની ‘હરાજી’ થઇ રહી હતી. ભારતમાં મુસલમાન સ્ત્રીઓની હરાજીનો આ કિસ્સો ઉછળ્યો. વળી આ સ્ત્રીઓમાંથી કેટલીક પત્રકાર, નાગરિકો માટે અવાજ ઉઠાવનારી મહિલાઓ, વગેરે હતી. આ કિસ્સામાં સાઇબર ક્રાઇમ ઝડપનાર પોલીસકર્મીઓ ઝડપી કામ કર્યું અને ધરપકડ પણ થઇ અને ચોંકાવનારી વિગતો બહાર આવી. આ લખાઇ રહ્યું છે ત્યારે હજી આ મામલામાં કોઇને કોઇ અપડેટ આવી રહી છે.

કિસ્સાની વિગતો એમ છે કે ૧લી જાન્યુઆરીએ ગિટનો ઉપયોગ કરીને સોફ્ટવેર હોસ્ટ કરનારા અને એપ ડેવલપ કરનારા પ્લેટફોર્મ ગિટહબ પર બુલી બાઇ એપે દેખા દીધી. આ એપ પર લગભગ ૧૦૦ જેટલી મુસલમાન સ્ત્રીઓનાં પ્રોફાઇલ્સ હતાં. આ સ્ત્રીઓમાંથી કોઇ પત્રકાર હતું તો કોઇ સામાજિક પ્રવૃત્તિઓમાં એક્ટિવ હતું. આ પ્રોફાઇલ્સ પર તેમની તસવીરો સાથે અંગત વિગતો નાખી હતી અને તેમની કોઇપણ પ્રકારની મંજૂરી વગર આ કરાયું હતું. ૪થી જાન્યુઆરીએ મુંબઇ પોલીસે આ કિસ્સામાં ૨૧ વર્ષના એન્જિનિયરીંગ વિદ્યાર્થી વિશાલ કુમારની ધરપકડ કરી. એ જ દિવસે ૧૮ વર્ષની શ્વેતા સિંઘ પણ બુલી બાઇ એપ બનાવવાના ષડયંત્રનો ભાગ હોવાથી ઉત્તરાખંડથી ઝડપી લેવાઇ, અને બુધવારે ઉત્તરાખંડના જ એક બીજા વિદ્યાર્થી મયંક રાવતની ધરપકડ કરાઇ. ૧૮ વર્ષની શ્વેતા સિંઘ આ કિસ્સાની મુખ્ય આરોપી મનાય છે, તેણે તેના પિતા કોવિડમાં ખોયા છે અને માતા કેન્સરમાં. ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવીને શ્વેતા વાંધાજનક તસવીરો અને ટિપ્પણીઓ કરતી. શ્વેતાની તપાસ કરતાં એવું બહાર આવ્યું છે કે નેપાળમાં રહેતા તેના કોઇ મિત્રના કહ્યે તે આ એપ પર શું કરવું શું નહીં તે નક્કી કરતી હતી. શ્વેતાનું નામ વિશાલ કુમારની પૂછપરછમાં બહાર આવ્યું હતું, જ્યારે તેણે એમ કબુલ્યું કે તે કોઇ છોકરીના સંપર્કમાં હતો, જે એવા લોકોના સંપર્કમાં હતી જે જણાવતા હતા કે બુલી બાઇ એપ પર શું પોસ્ટ મુકવી અને કેવી ગતિવિધિ રાખવી. પૂછપરછમાં એ પણ બહાર આવ્યું કે શ્વેતા સિંઘ હિંદુવાદી છે (હિંદુ ધર્મમાં માનનારાઓ સાથે આ વાદ-વાળાં વર્ગની સરખાણી કરવાથી મોટી કોઇ મૂર્ખામી ન હોઇ શકે) અને ૨૦૨૧ના ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં જે હિંસા થઇ તેનાથી અને મતતા બેનર્જીની સરકાર ફરી ખડી થઇ, તેનાથી શ્વેતા વ્યથિત હતી અને પરિણામે તેણે વિશાલ સાથે સંપર્ક થતા આવું કંઇ કરવાનું વિચાર્યું. વિશાલ સાથેની ઓળખાણ પછી તેણે હિંદુ તરફી પોસ્ટ્સ પણ વધારી દીધી. બિનસાંપ્રદાયિક દેશમાં કોઇ ચોક્કસ ધર્મની મહિલાઓને ટાર્ગેટ કરીને આટલી બેહૂદી હરકત શરમજનક છે. વળી આ પાછું કંઇ પહેલીવાર નથી થયું.

સલી ડીલ્સનો કિસ્સો શું હતો?

એક્સપર્ટ્સના મતે સલી ડીલ્સ અને બુલી બાઇ વચ્ચે કોઇને કોઇ કડી ચોક્કસ જોડાયેલી છે. સલી ડીલ્સ જુલાઇ ૨૦૨૦માં સપાટી પર આવેલી એપ હતી. તેમાં પણ કેટલી મુસલમાન મહિલાઓની હરાજીની વાત કરાઇ હતી. સલી શબ્દ મુસલમાન સ્ત્રીઓ માટે વપરાતો અપમાનજનક શબ્દ છે. જાણતી મુસલમાન સ્ત્રીઓએ આ વાતે અવાજ ઉઠાવ્યો અને એપને એ પ્લેટફોર્મ પરથી હાટવી લેવાઇ હતી. જો કે બુલી બાઇ એપના વિવાદ સાથે આ મહિલાઓનું કહેવું હતું કે પહેલીવાર જ્યારે આ થયું ત્યારે પોલીસે કડક પગલાં લીધી હોત તો આ ફરી ન થયું હોત.

આ પ્રકારની એપ આપણા દેશના અમુક વર્ગમાં ખદબદતી વાહિયાત માનસિકતા, આપણા દેશના યુવાનોની વિચારસરણીને ઉઘાડી પાડે છે. આપણે એક દેશ તરીકે આટલા અસહિષ્ણુ તો હતા જ નહીં. આ મુસ્લિમ મહિલાઓ જેમના પ્રોફાઇલ આ એપ્સ પર મુકાયા હતાં, તેમાં મોટે ભાગે એવી મહિલાઓ હતી જે હાલની કેન્દ્ર સરકારની ટીકા કરે છે, તેઓ ડિબેટ્સના જાણીતા ચહેરાઓ છે. વળી આ એપ યુઝર્સ નામમાં શીખ નામો વાપરતા જેથી ખાલિસ્તાનીઓ તરફ નિર્દેશ જાય. મુંબઇ પોલીસે ગણતરીના દિવસોમાં ટ્વીટર હેન્ડલ પરથી આ યુવાનોને શોધી કાઢી તેમની ધરપકડ કરી પણ દિલ્લી પોલીસે સલી ડેથ કેસિઝને મામલે ગિટહબ સાથે સંપર્ક કર્યો અને હજી જવાબની રાહ જોવાઇ રહી છે.

વળી આ આખા ખેલમાં જોવું રહ્યું કે ટેક જાયન્ટ્સ જેના માધ્યમો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે વપરાય છે તેઓ ચૂપ રહે છે. ગિટહબની પેરન્ટ કંપની માઇક્રોસોફ્ટ છે. વળી જે ટ્વીટરનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ્સ પરથી ધિક્કાર ફેલાવતી પોસ્ટ થતી હતી, તેની પર પણ બુલી બાઇ વિશે પૂરતી ચર્ચા થઇ છે પણ તેમનો પણ કોઇ પ્રતિભાવ નથી. ભારતીય સત્તાધીશોએ બુલી બાઇ એપના મૂળ અંગે ટૅક જાયન્ટ્સનો કાંઠલો ઝાલ્યો છે, પણ હજી સુધી કોઇ જવાબ નથી મળ્યો.  ટૅક જાયન્ટ્સે વધુ સાબદા રહેવું જોઇએ અને તેમના પ્લેટફોર્મ્સનો ઉપયોગ ધિક્કાર પ્રસારાવવા માટે ન થાય તેની પૂરતી તકેદારી રાખવી જોઇએ.

બાય ધી વેઃ 

ભલભલી લોકશાહીના પાયા સોશ્યલ મીડિયાના દુરુપયોગથી હચમચી જઇ શકે છે. વળી ધ્રુવીકરણની રાજનીતિને આપણે પારખતા હોઇએ – ભલે કોઇ પણ પક્ષ તેનો ઉપયોગ કરતો હોય –  ત્યારે આપણા દેશમાં આવા ગુના થાય ત્યારે આપણે ચેતવું રહ્યું. આ દેશના યુવાનોની વૈચારિક શક્તિ ખોટા રવાડે ચડી રહી છે, તેનું ઉદાહરણ છે બુલીવાઇ અને સલી ડીલ્સ જેવી એપ્સ. જો કોઇ એમ માનતું હોય કે આ છોકરાંઓ હજી નાનાં છે, ગેરમાન્યતાઓમાં સપડાઇને આવી ભૂલ કરી તો તે ખોટું છે. તેમની સાથે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઇએ. સોશ્યલ મીડિયાનો આટલો બેહૂદો ઉપયોગ ડરાવવા, ધમકાવવા અને પૂરી જાણકારી સાથે કરાય છે – આ કરનારાઓને સજા ફટકારવામાં કોઇ ઢીલ ન મૂકવી જોઇએ. તેમણે આઇ.ટી. ક્રાઇમ, સ્ટૉકિંગ, ધાર્મિક લાગણી દુભાવવા જેવા એક કરતાં વધુ કાયદા ભંગ કર્યા છે. કાયદાનો ભંગ થયો હોય, ભંગ કરનારા સગીર ન હોય તો પછી તેમને સજા કરવામાં કોઇ ભેદભાવ ન રાખવા જોઇએ કારણ કે તો જ દૃષ્ટાંત બેસાડી શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  09 જાન્યુઆરી 2022

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|9 January 2022

: ૫ : સભા એટલે જ્ઞાનોત્સવ :

વર્ગખણ્ડની વાતે હમેશાં મને પેલું પ્રાચીન દૃશ્ય યાદ આવે : વૃક્ષની છાયામાં કર્તવ્યતુષ્ટ મૌની ગુરુ 'યુવાન' દીસે છે અને છિન્નસંશયી શિષ્યો ‘જ્ઞાનવૃદ્ધ' દીસે છે. બન્ને પક્ષ પ્રસન્ન છે. કેમ કે સર્વ સમાધાન મળી ગયાં છે. સ્તબ્ધતાભરી શાન્તતા છવાઈ છે. આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે.

આપણા વર્ગખણ્ડો આ આદર્શને વરે એવી મનીષા સેવું છું. બાકી તો બધું એવું એવું સાંભળવા મળે છે કે આપણે અમસ્તા જ સ્તબ્ધ થઈને શાન્ત પડી જઈએ !

દીવાલો વિનાની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિદ્યા-સમીપે હોય છે. સૌ સહભાગીતાનો ઉલ્લાસ માણતાં હોય છે. આ મોટા વિદ્વાન; આ નવસવા; વગેરે પ્રકારની જડતાગ્રસ્ત ઉચ્ચાવચતા નથી હોતી. સૌ, સંવાદથી રસિત અને પ્રફુલ્લિત હોય છે. સૌએ સ્વીકાર્યું હોય છે કે પૂછવું કર્તવ્ય છે અને પૂછવું અધિકાર પણ છે.

આનો વ્યવહારુ લાભ તો એ કે સૌને વિદ્યાકીય મૈત્રીનો મીઠો અનુભવ મળે છે. એટલે લગી કે વ્યાખ્યાતાને કોઈ વાર કોઈ વિદ્યાર્થી-શિબિરાર્થી જરીક તોછડાશથી પણ પૂછી પાડે; પણ ત્યારે વ્યાખ્યાતાને ખોટું નથી લાગતું; એના ચ્હૅરે સ્મિત હોય છે. કેમ કે એવા પ્રશ્નથી પણ એને તેમ જ સભાને જુદું વિચારવાની ફરજ પડે છે. લાગણી થાય છે કે શીખવાનું તો કોઈની પણ પાસેથી હમેશાં સંભવિત છે. જ્ઞાનજ્યોત કોઈ પણ વ્યક્તિ પ્રગટાવી શકે. જ્ઞાનપ્રકાશની આડે કશું પણ આવી શકે નહીં. 

ચીલાચાલુ માન્યતા એવી કે ગુરુ મહાન છે. એને કોઈ શીખવી શકે નહીં. શિષ્યે એની આંગળી પકડીને ચાલવું. સેવા કરવી. એનાં ઘરકામ કરવાં. હમેશાં એની જ ધજા ફરકાવવાની. ગુરુ જો આવો હોય, તો એ પણ મારી દૃષ્ટિએ એક દીવાલ છે. સાચા શિષ્યને હમેશાં અડે-નડે.

દુષ્પરિણામો આવે છે : શિષ્યનો વિકાસ અટકી પડે છે : ગુરુને પણ ‘શિષ્યાત્ પરાજય' નામની ગૌરવશાળી ઘટનાનો કદી અનુભવ નથી મળતો : કેટલાક શિષ્યો આંગળી છોડતા જ નથી : કેટલાક, ખભે ચડી બેસે છે : ગુરુના ટાંટિયા ખૅંચી પાડનારા પણ જડી આવે છે : તો, પોતાની પાલખી ઊંચકીને ફરે એવી વાસનાને જીવતા લાલચુ ગુરુઓ પણ ઘણા હોય છે : નિર્ણય એવો થાય છે કે, ચાલને યાર, કોઈ સાચાને -સદ્ને- શોધી કાઢીએ. ‘સદ્ગુરુ' શબ્દ અમસ્તો નથી શોધાયો.

મને આદિ શંકારાચાર્ય (788–820 CE) અને ‘કર્મકાણ્ડી’ મન્ડન મિશ્ર વચ્ચેનો વિવાદ યાદ આવે છે. શંકર યુવાન હતા. મન્ડન મિશ્રની અરધી જિન્દગી ‘મીમાંસા' પાછળ વપરાઇ ગયેલી. તે કહે, અનુભવ વગરના જુવાનિયા જોડે મારે શો વાદ કરવો ! છતાં, મોટાઇ બતાડવા ‘હા’ પાડી. ન્યાયાધીશ પસંદ કરવા કહ્યું. પ્રસ્તાવનો શંકર સ્વીકાર કરે છે.

મિશ્રની પત્ની ભારતી ન્યાયાધીશ રૂપે નિમાય છે. સભા એટલે કે જ્ઞાનોત્સવ શરૂ થાય છે. જ્ઞાનાતુર નગરજનો શીખવાના હેતુથી રોજ હાજર થઈ જતાં. વિવાદ છ મહિના ચાલેલો.

મન્ડન મિશ્રના તર્ક સુતીક્ષ્ણ પરન્તુ સંચિત જ્ઞાન કુણ્ઠિત હતું – આગળની ઊંચાઇએ પ્હૉંચી શકેલું નહીં. બ્રહ્માનુભૂતિને વરેલા શંકર આગળ, એની શી વિસાત ! સરવાળે, મન્ડન મિશ્ર હાર્યા.

પણ ભારતી વિદ્યાવાન ચતુરા નારી હતી. શંકરને કહે, વિવાદમાં સામાવાળાની પત્નીને પણ હરાવવી ઘટે છે. શંકરને ઝટ એણે પતિ-પત્નીના દામ્પત્ય વિશેના સાંસારિક સવાલો કર્યા. એને વિશ્વાસ કે બ્રહ્મચારી શંકર કશા જવાબો આપી શકશે જ નહીં. શંકરે કહેલું પણ ખરું – હું બ્રહ્મચારી, એ બધું શું જાણું ! શંકરને સમય અપાય છે.

અનુભવાર્થે શંકરે શું કર્યું એ વાર્તા ઘણી લાંબી છે. પણ પાછા ફર્યા ત્યારે એમની પાસે સ્ત્રી-પુરુષ સમ્બન્ધનું, દામ્પત્ય-જીવનનું, પરસ્પરનાં દાયિત્વ વગેરેનું જબરું જ્ઞાન હતું. પરિણામ એ આવેલું કે મન્ડન મિશ્ર અને ભારતી પ્રભાવિત થઈ ગયેલાં. ઝૂકીને બન્નેએ પરાભવનો સ્વીકાર કરેલો. વિવાદ સમાધાનકારી સંવાદ રૂપે સમ્પન્ન થયેલો.

વય-જ્યેષ્ઠ મન્ડન મિશ્ર યુવા શંકરાચાર્યના શિષ્ય બની ગયેલા ને છેવટે વેદાન્તી તરીકે પંકાયેલા – એમનું સ્વરૂપાન્તર થઈ ગયેલું.

પ્રસંગ ઘણું ઘણું સૂચવે છે :

૧ : સભા જ્ઞાનોત્સવ હોય; એમાં નગરજનો સમેતનાં સૌ જ્ઞાન સમીપે હોય. જ્ઞાનપિપાસુ સૌને સરખાં લેખવાં જોઈએ.

૨ :  મન્ડન મિશ્રની જેમ માનીએ કે જ્ઞાન મારી આગળ પૂર્ણ થઈ ગયું છે, તો એ મહા ભ્રમ છે. આપ-મતમાં પુરાયેલા ન રહેવાય.

૩ : ચર્ચાનો અધિકાર સૌને છે. એમાં સ્ત્રી-પુરુષ, બુધ-અબુધ કે ડાહ્યો-ડોબો જેવા ભેદ નથી. શંકારાચાર્ય જેવા મનીષીને એક સ્ત્રી પણ સાગ્રહ પૂછી શકે. એથી પણ શીખવા જ મળે.

૪ : શંકરાચાર્ય સમા પરમ જ્ઞાની પણ ચર્ચામાં આગળ ધપવાની ના પાડે છે. સ્વાનુભવ વિના નથી બોલતા. એને ‘જ્ઞાનાય વિવેક’ કહેવાય. મેં આપણે ત્યાં એવા અવલોકનકારો જોયા છે જેમની પાસે રચનાનો રસાનુભવ હોય નહીં પણ હાંક્યે રાખે. રચનાકારની ઘોર ટીકા કરે. વાસ્તવમાં એમણે આખું પુસ્તક વાંચ્યું જ ન હોય. એને પ્રજ્ઞાનો અપરાધ કહેવાય.

૫ : બન્ને પક્ષના વિદ્વાનોએ સંવાદસુખ-તરફી રહેવું જોઈએ. આપણે ત્યાં ઊધું છે – સામા મળ્યા હોય તો મૉઢાં ફેરવી લે છે ! જ્ઞાન, અહમ્-ની અથડાઅથડી માટેનું ઑજાર નથી.

૬ : આપણે વિરુદ્ધ મતવાદી હોઇએ પણ અન્યના મતનો વિચાર કરવા અને લાગે તો સ્વમત છોડવા તત્પર રહેવું જોઇએ.

ઍરિસ્ટોટલના ગુરુ પ્લેટો, પ્લેટોના સૉક્રેટિસ. પણ સૉક્રેટિસના? સૉક્રેટિસ જેવા સૉક્રેટિસે પણ પોતાના ત્રણ ત્રણ 'ગુરુ' હોવાનો નિર્દેશ કર્યો છે ! આનન્દાશ્ચર્યની વાત એ કે એ ત્રણે ત્રણ 'સન્નારીઓ' હતી. એકે શાણપણની કલા, બીજીએ વાક્-કલા અને ત્રીજીએ એમને પ્રેમ-કલા શીખવેલી. સન્નારી પાસેથી કલા શીખવાનું કોને ન ગમે?

વિવાદ જો તત્ત્વબોધ-તરફી ન હોય, તો એ પણ જ્ઞાનમાર્ગની દીવાલ બની રહે. રકઝક કે માથાકૂટ. એથી વૈમનસ્ય વધે.

વધારામાં કહું કે જ્ઞાન સર્વથા મુક્ત સ્વાયત્ત અને સ્વપ્રતિષ્ઠ છે. આપણે જ એને સ્વાર્થરંજિત પક્ષાપક્ષીથી અભડાવીએ છીએ. એ પર નામનો સજજ્ડ સિક્કો લગાવી દઇએ છીએ – જેમ કે, ‘ઍરિસ્ટોટલિયન’ પોએટિક્સ પર્ફૅક્ટ છે. વાદનો કડક બંદોબસ્ત બેસાડી દઈએ છીએ – ‘પ્રતીકવાદી’ હોય તો જ કવિ. સમ્પ્રદાય-ની સંકડાશમાં દોરી જઈએ છીએ – ’અલંકાર’ સમ્પ્રદાય – ‘રીતિ’ સમ્પ્રદાય. રાગદ્વેષથી કલુષિત કરી મૂકીએ છીએ -જેમ કે, ઉમાશંકર જોશી વર્સિસ સુરેશ જોષી.

ભૂલી જઇએ છીએ કે જ્ઞાન અપૌરુષેય છે. એને જ્ઞાનીઓના ટેકાની પણ જરૂર નથી રહેતી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા-માં ઠરેલા વેદાન્ત-જ્ઞાનને નામસરનામાંની કદી જરૂર પડી ખરી? જ્ઞાન ફલાણા વિવેચકે ઘડેલી-ગોઠવેલી પરિભાષા આગળ કે કોઈ મતીલા ચર્ચકના પક્ષાઘાતી મગજ આગળ પતી નથી જતું.

જો કે એવા સમયો પણ આવે છે જ્યારે સિદ્ધ-પ્રસિદ્ધ જ્ઞાન વિશે ફેરવિચાર કરવાની ફરજ પડે છે. કેમ કે જ્ઞાન અનન્ત છે. નિરન્તરની શોધયાત્રા. જાણીને નવાઇ થશે કે હવે એમ પણ કહેવાઇ રહ્યું છે કે સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ સર્વથા આઉટડેટેડ ફિલસૂફો છે ! એ ત્રિપુટીએ વિચારવાની જે ટેવો પાડી છે એ જરઠ-જડ થઈ ગઈ છે. સમય પાકી ગયો છે કે માણસજાત એ પ્રરૂઢિથી મુક્ત થઈ જુદી જ રીતે વિચારવા માંડે.

માણસને માણસ નહીં, જ્ઞાન દોરવે …

= = =

(January 9, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6751,6761,6771,678...1,6901,7001,710...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved