Opinion Magazine
Number of visits: 9570892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માત્ર વિશ્વાસના આધારે પૈસો કેવી રીતે પરમેશ્વર બની ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 December 2021

માણસે તેના પૂરા ઇતિહાસમાં સૌથી મોટી બે કલ્પનાઓ કરી છે; ધર્મ અને પૈસો. બંનેના પાયામાં વિશ્વાસ છે. પૈસાનો જન્મ આપસી વિશ્વાસને નક્કર સ્વરૂપ આપવામાંથી થયો હતો. માણસો એકબીજા સાથે સહકાર અને વિનિમય સાધતા થયા, એટલે વિશ્વાસ કેળવવા માટે પરસ્પર સમજૂતીથી વસ્તુઓનું મૂલ્ય નિશ્ચિત કર્યું. આપણે એ વિશ્વાસના માધ્યમ તરીકે શરૂઆતમાં કોડીઓ વાપરતા હતા અને હવે ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચી ગયા છીએ.

ક્રિપ્ટો કરન્સી પૈસાનું ભાવિ સ્વરૂપ છે. એક રીતે એ પૈસા વગરની દુનિયા કહેવાય. પૈસાને અંગ્રેજીમાં કરન્સી કહે છે. ક્રિપ્ટો વર્તમાન કરન્સીનું જ કોમ્પ્યુટરાઈઝડ સ્વરૂપ છે. તેમાં કરન્સી ડિજિટ એટલે કે કોડ સ્વરૂપે ઓનલાઈન રહે છે. તેની પર કોઈ દેશ કે સરકારની નિયંત્રણ નથી. ટૂંકમાં, ક્રિપ્ટો કરન્સી એક પ્રાઇવેટ કરન્સી છે અને તે પરંપરાગત કરન્સી સામે ચેલેન્જ છે. એટલા માટે બહુ બધા દેશો તેની વિરુદ્ધમાં છે અને અમુક દેશો ખુદની જ ક્રિપ્ટો કરન્સી બનાવવાના પક્ષમાં છે.

ભારત સરકાર તેની વધતા ચલણને જોતાં અમુક પ્રકારની છૂટછાટો સાથે ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવા જઈ રહી છે. એ સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ક્રિપ્ટો કરન્સી લાવવાનું ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. કોડીથી શરૂ થયલા પૈસા ક્રિપ્ટો સુધી કેવી રીતે આવ્યા તેનો ઇતિહાસ રસપ્રદ છે.

પૈસા માટે અંગ્રેજીમાં ‘મની’ શબ્દ લેટિન ‘મોનેટા’ પરથી આવે છે. પ્રાચીન રોમમાં રાજ્યની સંરક્ષક અને સલાહકાર મનાતી દેવી જૂનો મોનેટાના મંદિર પાસે રોમની ટંકશાળ આવેલી હતી, જેથી જૂનો મોનેટોને પૈસાની દેવી તરીકે ઓળખવામાં આવી. મોનેટો પરથી લેટિન (અને પછી અંગ્રેજીમાં) બે શબ્દો આવ્યા; મની અને મિન્ટ (ટંકશાળ).

પૈસા સંપૂર્ણપણે માનસિક ધારણા છે, કારણ કે વિશ્વાસ સંપૂર્ણપણે માનસિક ભાવ છે. વિચાર કરો કે એક માણસ દરિયા કાંઠે મફતમાં મળતી કોડીઓના બદલામાં, પરસેવો પાડીને ઊગાડેલાં સફરજનથી ભરેલો કોથળો શા માટે આપી દે? કારણ કે બંનેએ તેમની સહિયારી કલ્પનામાં કોડીનાં મૂલ્યમાં વિશ્વાસ મુક્યો હતો. કોડીના બદલામાં સફરજન લેનારા માણસને એ વિશ્વાસ હતો કે તે તેના કબીલામાં જઈને કોઈને સફરજન આપશે, તો તેને બદલામાં બે કોડી વધુ મળશે.

સંયુક્ત રાષ્ટ્રસંધે આપેલી માન્યતા અનુસાર વર્તમાનમાં દુનિયામાં ૧૮૦ ચલણો છે. ૪૦,૦૦૦ વર્ષોના ઇતિહાસમાં માણસે એટલા પ્રકારનાં ચલણોનો ઉપયોગ કર્યો છે, તેનો કોઈ હિસાબ રાખવાનું સંભવ રહ્યું નથી. આફ્રિકા, દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને (ઓસ્ટ્રેલિયાને સમાવતા સેન્ટ્રલ અને સાઉથ પેસિફિક મહાસાગરના અનેક ટાપુઓના બનેલા) ઓશેનિયામાં ૪,૦૦૦ વર્ષ સુધી ચલણના રૂપમાં કોડીઓનો ઉપયોગ થતો હતો. ભારતમાં ૧૮૦૫ સુધી કોડીનું ચલણ હતું, પણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને નાબૂદ કરીને રૂપિયાનું ચલણ દાખલ કર્યું હતું.

ઇ.સ. પૂર્વે ૩૦૦૦માં, મેસોપોટેમિયાની પ્રાચીન સભ્યતા સુમેરમાં આર્થિક વ્યવહારો માટે જવના પૈસાનો ઉદ્દભવ થયો હતો. ત્યારે જવ ખાવા માટેનું અનાજ પણ હતા, અને પૈસા પણ. ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત આંકવા માટે એક લિટર સમાન કોઠીનું માપ વાપરવામાં આવતું હતું.

જવ જગ્યા બહુ રોકતા હતા અને તેની હેરફેર બહુ મહેનત માગી લેતી હતી. બે સમસ્યાઓના સમાધાન રૂપે જ સિક્કાનો જન્મ થયો. આ પ્રકારના પૈસા ઇ.સ. પૂર્વે ત્રીજી સહસ્ત્રાબ્દીના મધ્યમાં પ્રાચીન મેસોપોટેમિયામાં ઉદ્દભવ્યા. એ ચાંદીના શેકલ હતા, અને તેમાં ચાંદીના વજન પ્રમાણે સિક્કાનું મૂલ્ય નક્કી થતું હતું.

આજે આપણે જે સિક્કાઓ વાપરીએ છીએ તે કોપર, નિકલ અને ઝિંકના બનેલા હોય છે, અને તેની કિંમત રિઝર્વ બેંકના ગવર્નર જે ઠરાવે તે હોય છે, નહીં કે ધાતુનું વજન. એટલે આ સિક્કાઓને તોળવા પડતા નથી. આ પ્રકારના સિક્કાઓ પહેલીવાર ઇ.સ. પૂવે આશરે ૬૪૦માં, પશ્ચિમ એનાટોલિયા એટલે કે આજના તુર્કીમાં લીડિયાના રાજા અલિયાટીસે ગાળ્યા હતા.

સિક્કાના સ્થાને કાગળના પૈસા આવ્યા તેનું કારણ કિંમતી ધાતુઓની અછત હતી. રાજા-રજવાડાં પાસે તેના એક સમાન ભંડાર ન હતા. જે પ્રદેશમાં કિંમતી ધાતુનું ઉત્પાદન ઓછું હોય તેમણે તેની અછત સહન કરવી પડે અને જેની પાસે મબલખ ભંડાર હોય તે ખૂબ સિક્કા પાડે. આ પ્રાકૃતિક અસંતુલનના સમાધાન રૂપે કાગળના પૈસા આવ્યા.

પૂર્વ એશિયામાં મોંગોલિયામાં ચંગીશ ખાને ૧૨૨૭માં કાગળના પૈસા પ્રચલિત કર્યા હતા. તેનીની પ્રેરણા તેણે ચીનમાં સૌ પ્રથમ છપાવામાં આવેલી બેંકનોટમાંથી લીધી હતી. ૧૨૫૩માં, આ મોંગોલ સેનાપતિએ એક આગવો નાણાંકીય વિભાગ સ્થાપ્યો હતો, જેનું કામ, આજની રિઝર્વ બેંકની જેમ, પૈસાના ચલણનું સંચાલન કરવાનો હતો. ભારતમાં મુગલોના સમયમાં સોના-ચાંદીના સિક્કાઓ પ્રચલિત થયા હતા.

૧૭૬૦ના દાયકામાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પગ જમાવ્યા, ત્યારે સોના-ચાંદીની અછતને લઈને તેમ જ ઉત્તર ભારતમાં આર્થિક અંધાધૂંધીમાંથી રસ્તો કાઢવા તેમણે કાગળના પૈસા જારી કરવાનો વિચાર કર્યો હતો. ટીપુ સુલતાન સામે જંગે ચઢવાની તૈયારી કરી રહેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ ભંડોળ ઊભું કરવા માટે બેંક ઓફ કલકત્તા(જે પછીથી બેંક ઓફ બેંગાલ બની)ની સ્થાપના કરી. આ બેંકને કંપનીએ કાગળના પૈસા છાપવા માટે પરવાનગી આપી હતી.

તમને અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મનું એ દૃશ્ય યાદ હશે, જેમાં તે ફાટેલી નોટનો ટુકડો આપીને દાણચોરીના સોનાની ડિલીવરી લે છે. બેંક ઓફ કલકત્તાએ શરૂઆતમાં જે નોટો છાપી હતી, તે આવી રીતે બે ટુકડાઓમાં વપરાતી હતી. એક ટુકડો પોસ્ટમાં મોકલવામાં આવતો અને તે મળી ગયાની ખાતરી મળે, પછી બીજો ટુકડો મોકલવામાં આવતો. બંને ટુકડા મળી જાય પછી તે નોટને જોડીને ચાંદીના સિક્કાના બદલામાં જમા કરવામાં આવતી. લેવડદેવડ થઇ જાય, પછી નોટને ‘કેન્સલ’ કરવા માટે તેનો હસ્તાક્ષરવાળો હિસ્સો ફાડી નાખવામાં આવતો, જેથી નોટ ફરીથી ઉપયોગમાં ન લેવાય.

તે પછી બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસે ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. ૧૮૬૨માં, ભારત સરકારે ત્રણે બેંકોને સરકારી બેન્કરનો દરજ્જો આપીને નોટો છાપવાની કામગીરી પોતાના હાથમાં લીધી. આ નવી વ્યવસ્થા હેઠળ સરકારે ૧૮૬૪માં રૂપિયા ૧૦, ૧૮૭૨માં રૂપિયા ૫, ૧૮૯૯માં રૂપિયા ૧૦,૦૦૦, ૧૯૦૦માં રૂપિયા ૧૦૦, ૧૯૦૫માં રૂપિયા ૫૦, ૧૯૦૭માં રૂપિયા ૫૦૦, અને ૧૯૦૯માં રૂપિયા ૧૦૦૦ની નોટ જારી કરી હતી.

હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્રિપ્ટો કરન્સી લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં પૈસાનું ભૌતિક સ્વરૂપ ગાયબ થઇ જશે અને તે માત્ર અલગોરિધમનો કોડ બનીને રહી જશે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 ડિસેમ્બર 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

સૌંદર્યનું ગાણું

મકરન્દ દવે|Poetry|6 December 2021

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

Loading

‘જય ભીમ’ ફિલ્મના મૂળ પાત્ર જસ્ટિસ કે. ચંદ્રુના કાયદા સંદર્ભે વિચારો …

કિરણ કાપુરે|Opinion - Opinion|6 December 2021

જસ્ટિસ કે. ચંદ્રુનું નામ આજકાલ ચર્ચામાં છે; કારણ છે તેમના જીવનમાં આવેલાં એક કેસ સંદર્ભે બનેલી તમિલ ફિલ્મ જય ભીમ. મદ્રાસ હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુએ ન્યાયાધિશના પદેથી ટૂંકા ગાળામાં નેવું હજારથી વધુ કેસોના ચૂકાદા આપ્યા છે. તેઓ જાતિગત ભેદભાવના વિરોધી ને વંચિતોના પડખે રહ્યા છે. આજીવન વંચિત વર્ગ માટે લડતા રહ્યા અને આ લડતની શરૂઆત વિદ્યાર્થીકાળથી થઈ ચૂકી હતી. તે વધુ સઘન બની મદ્રાસ હાઇકોર્ટમાં એડવોકેટની પ્રેક્ટિસ દરમિયાન. એડવોકેટ તરીકે પણ તેઓ તમિલનાડુના શોષિત-પીડિત વર્ગ માટે સતત લડતા રહ્યા. ન્યાયાધિશ બન્યા બાદ તેમની ભૂમિકા બદલાઈ, પણ તેમનું હૃદય તે વર્ગ સાથે જ રહ્યું. જય ભીમ ફિલ્મ સમાજની ક્રૂર વાસ્તવિકતા આપણી સમક્ષ મૂકી આપે છે અને તદ્દુપરાંત વ્યવસ્થામાં સામે લડવાનો જુસ્સો પણ પૂરો પાડે છે. આ ફિલ્મ, તેમાં દર્શાવેલા કેસ અને અન્ય કાયદા સંબંધિત બાબતો અંગે જસ્ટિસ કે. ચંદ્રુએ ‘લાઇવલૉ’ નામના એક લિગલ ન્યૂઝ પોર્ટલને ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂના કેટલાંક અંશો જાગ્રત નાગરિક તરીકે જાણવા-સમજવા જેવા છે. ઓવર ટુ જસ્ટિસ કે. ચંદ્રુસ ઇન્ટરવ્યૂ ….

‘લાઇવલૉ’ના પ્રતિનિધિ જસ્ટિસ કે. ચંદ્રુને પૂછે છે કે, જય ભીમ ફિલ્મ તમારા દ્વારા લડવામાં આવેલાં રાજકન્નુ-પાર્વતીના કેસ પર આધારિત છે, જેમાં ઇરુલર આદિવાસીનું પોલીસ કસ્ટડીમાં મોત થાય છે. આ કેસ લડીને તમે ન્યાય ઝંખતી રાજકન્નુની પત્નીને ન્યાય અપાવ્યો, પરંતુ દેશમાં આજે પણ પોલીસ કસ્ટોડિયલ મોતનો સિલસિલો ચાલુ જ છે. ગત્ વર્ષે પણ તમિલનાડુમાં જયરાજ અને બેનીક્સ નામની બે વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા. પોલીસ સામે આવી રીતે અસંખ્ય ચૂકાદાઓ આવ્યા છતાં પોલીસના અત્યાચાર કેમ થંભતા નથી? પોલીસ કેમ અમાનવીય રીતે વર્તે છે? પોલીસ વ્યવસ્થામાં કશુંક મૂળભૂત રીતે ખોટું થઈ રહ્યું છે?

આ વિશે જસ્ટિસ ચંદ્રુ કહે છે કે, “ફિલ્મમાં દર્શાવ્યા મુજબ રાજકન્નુનું પોલીસ કસ્ટડીમાં મોત થાય છે તે ઇરુલર આદિવાસી નથી; બલકે તે કુરવા જાતિનો હતો, જે જાતિને આજે પણ આદિજાતિ તરીકે જાહેર કરવામાં આવી નથી. ફિલ્મના ડિરેક્ટરે ક્રિએટિવ લિબર્ટીના અધિકાર તળે ઇરુલર આદિવાસી કથાવસ્તુમાં લીધા છે, જેઓ પણ આ પ્રકારના જ પોલીસ અત્યાચારના ભોગ બનતા આવ્યા છે. અને આ કારણે ફિલ્મમાં ઇરુલર લોકોની જીવનશૈલીને પણ દર્શાવવામાં આવી છે. પ્રિ-ટ્રાયલ આરોપી માટે સુપ્રિમ કોર્ટ દ્વારા 11 ગાઇડલાઇન નિર્દેશિત કરી આપવામાં આવી છે. ડિ. કે. બસુ વર્સીસ સ્ટેટ ઑફ વેસ્ટ બંગાળના એક કેસમાં પ્રિ-ટ્રાયલમાં આરોપીના અધિકાર દર્શાવવામાં આવ્યા છે. તે કેસ સંદર્ભે સુપ્રિમ કોર્ટે પોલીસ અધિકારી કે મેજિસ્ટ્રેટ સુદ્ધા આ ગાઇડલાઇનને ન અનુસરે તો કન્ટેમ્પ ઑફ કોર્ટ કાર્યવાહી કરવાનો હુકમ આપ્યો છે.

“પોલીસ આ રીતે વર્તે છે તેનું એક કારણ તેમાં રહેલાં અંગ્રેજ કાળનાં મૂળિયાં છે. તમિલનાડુમાં હાલમાં સુધ્ધા ‘મદ્રાસ પોલીસ એક્ટ 1888’ અમલમાં છે. કાયદો વ્યવસ્થા જાળવવામાં અને ગુનાની તપાસ અર્થે હજુ તેઓ સાયન્ટિફિક ઢબ અમલમાં લાવી શક્યા નથી. બ્રિટિશ કાળમાં જુદા જુદા વિસ્તારો મુજબ કાયદો વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમ કે, આદિજાતિઓ અર્થે ‘ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ’ અમલમાં હતો. આ કાયદા મુજબ કોઈ તપાસ કરવાની જરૂર નહોતી. જો આદિજાતિ ક્ષેત્રમાં કોઈ ગુનો બને અને જે વ્યક્તિ શંકાસ્પદ હોય તે વ્યક્તિ જો ચોવીસ કલાકમાં પોલીસ સ્ટેશનમાં હાજર ન થાય તો તેને ગુનેગાર ગણી લેવામાં આવતો. આ કાયદાને દૂર કરવા લાંબી લડત થઈ, પરંતુ આઝાદી મળ્યા પછી તે કાયદો નાબૂદ થયો. જો કે ‘ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ’ નાબૂદ કરવા છતાં આદિજાતિઓને અત્યાચારથી મુક્તિ મળી નથી. આજે પણ ડિનોટિફાઈડ ટ્રાઈબ્સને તેમની આસપાસ થતાં ગુનાઓમાં શંકાની નજરથી જોવામાં આવે છે. જૂજ એવી આદિજાતિ છે જેઓએ ઉન્નતિ કરી અને તેઓ આમાંથી બાકાત થયા છે. બાકી મહદંશે આદિજાતિના લોકોને આજે પણ તે જ પીડાથી પસાર થવું પડે છે.

“આદિજાતિઓ પાસે ન જમીન છે, ન કોઈ નાગરિક હોવાનો પુરાવો કે ન તો તેઓ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમની યાદીમાં તેમનું નામ છે. આ રીતે તેમની કોઈ ઓળખ ન હોવાના કારણે તેમનાં બાળકો શાળાએ પણ જતાં નથી. રોજગારી પણ તેમની પાસે નથી. આ બધું જ ફિલ્મમાં સમાવવામાં આવ્યું છે. ફિલ્મના પ્રથમ દૃશ્યમાં એ જ દર્શાવાયું છે કે કેવી રીતે આ જાતિના લોકોને જે કેસ સોલ્વ ન થયા હોય તેના માટે આરોપી બનાવીને લઈ જવામાં આવે છે. આ કારણે પોલીસે પોતાનું વલણ બદલવાની જરૂર છે અને સાથે સાથે ગુનાની તપાસ કરવાની ટેકનિક પણ અત્યાધુનિક બનાવવાની આવશ્યકતા છે.”

‘લાઇવલૉ’ના પ્રતિનિધિ બીજો પ્રશ્ન જસ્ટિસ ચંદ્રુને પૂછે છે કે, સામાન્ય રીતે ફિલ્મોમાં પોલીસની બહાદુરી દાખવવામાં આવે છે. હૈદરાબાદ એન્કાઉન્ટરમાં આપણે જોયું કે પોલીસે જે કર્યું તે વિશે લોકોએ આનંદ વ્યક્ત કર્યો. જય ભીમમાં પોલીસની ક્રૂરતા સાથે પીડિતની મજબૂરી પણ દર્શાવવામાં આવી છે. શું તમે માનો છો કે આ જય ભીમ ફિલ્મ સામાન્ય લોકોના માનસ પર પોલીસનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે અને પોલીસનું હિરોઇઝ્મ ઉજવવા કરતાં તેમને વધુ જવાબદેહ બનાવે છે.

આ પ્રશ્નના સંદર્ભમાં જસ્ટિસ ચંદ્રુ ઉત્તર વાળતા કહે છે કે, “જય ભીમ જેવી ફિલ્મ સંભવત્ પોલીસ અને ન્યાયિક વ્યવસ્થા સમજણને સ્પષ્ટ કરવામાં ભાગ ભજવે છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીઓના કાર્યને બિરદાવવાનું કારણ મહદંશે ન્યાય મેળવવામાં થતો વિલંબ છે. જો ગુનેગારને સમયસર સજા થાય તો નિશ્ચિત ન્યાયિક વ્યવસ્થામાં લોકોનો ભરોસો વધશે.

તે પછીનો જસ્ટિસ ચંદ્રુને સવાલ છે કે, તમે ઘણા પોલિટિકલ એક્ટિવિઝમમાં રહ્યા અને લિગલ પ્રેક્ટિસ સાથે ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા રહ્યા. તો તમે શું એમ માનો છો કે પોલિટિકલ એક્ટિવિઝમમાં રહેવાના કારણે એડવોકેટ તરીકે અને પછી એક ન્યાયાધિશ તરીકે પ્રજા પ્રશ્નો વધુ સારી રીતે સમજી શક્યા? એડવોકેટ પોલિટિકલ હોવો જોઈએ? ન્યાયાધિશ માટે રાજકીય જાગ્રતતા અગત્યની છે?

જસ્ટિસ ચંદ્રુનો જવાબ : “ડાબેરી આંદોલન સાથે હું વીસ વર્ષ સુધી જોડાયેલો રહ્યો. વિદ્યાર્થીકાળમાં પણ હું એક્ટિવિઝમમાં હતો, અને તે પછી પણ મજદૂર યુનિયન એક્ટિવિઝમ અને પક્ષની કામગીરી સાથે રહ્યો. હા, આ કારણે જ વ્યવસ્થાને વધુ સારી રીતે સમજી શક્યો. લોકશાહી અર્થે રાજકીય સમજ વધુ સઘન હોવી જોઈએ. જો એક એડવોકેટ પોલિટિક્સને સારી રીતે સમજે તો તેને માટે કાયદા સાથે કામ પાર પાડવું વધુ સરળ બને છે. એવી જ રીતે ન્યાયાધિશ રાજકીય સ્થિતિને યોગ્ય રીતે ન જાણતા હોય તો ઘણાં કિસ્સામાં તેઓ ગેરમાર્ગે દોરવાઈ શકે છે.”

ફિલ્મમાં દર્શાવાયેલા એક દૃશ્યના સંદર્ભમાં કે. ચંદ્રુને સવાલ પૂછાયો છે કે, ફિલ્મના દૃશ્યમાં એક શાળાના કાર્યક્રમમાં તમારું પાત્ર એવી કોમેન્ટ કરે છે કે, અહીં ગાંધી અને નેહરુ છે પણ આંબેકર નથી. આપણી શાળાઓમાં અને લૉ કોલેજ સુધ્ધામાં આંબેડકરના વિચારોને જૂજ મહત્ત્વ આપવામાં આવે છે તેનો અફસોસ એ દૃશ્યમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. શું તમે એવું માનો છો કે બાળકોને ડો. આંબેડકરનો પરિચય વહેલો કરાવવો જોઈએ જે તેઓને સારા નાગરિક બનાવે, સામાજિક નિસબત અને પ્રગતિવાદી વિચારધારા સાથે જોડી શકે?

જસ્ટિસ ચંદ્રુ આ વિશે ઉત્તર વાળતાં કહે છે : “હું એવું દૃઢપણે માનું છું કે લોકોને આંબેડકરનો પરિચય જેટલો થવો જોઈએ તેટલો થયો નથી, વિશેષ કરીને વિદ્યાર્થીઓને. આંબેડકરને મહદંશે પાઠ્યપુસ્તકોમાં એ રીતે રજૂ કરવામાં આવ્યા છે જેથી તેમની છબિ અનુસૂચિત જનજાતિના આગેવાન તરીકેની ઉપસે છે, નહીં કે બંધારણ ઘડનાર તરીકે. વિદ્યાર્થીઓને તટસ્થ રીતે તેમની ઓળખ કરાવવી જોઈએ. મારા કિસ્સામાં જ્યારે પણ ધર્મ કે જાતિ બાબતે કોઈ કેસ આવ્યા ત્યારે આંબેડકરનું લખાણ વાંચીને મને નવા વિચારો સ્ફૂર્યા છે. મારી નિવૃત્તિ પછી મેં આવા કેસોની વિગત એકઠી કરીને ‘માય જજમેન્ટ ઇન ધ લાઇટ ઑફ આંબેડકર’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એ ખૂબ દુઃખદ બાબત છે કે લૉ કોલેજમાં સુધ્ધા આંબેડકરનાં લખાણો સંદર્ભ મટિરિયલ તરીકે અપાતા નથી.”

જસ્ટિસ કે. ચંદ્રુએ આ સિવાય પણ ન્યાય, સમાજ અને કાયદા સંદર્ભે અનેક વાતો કરી છે. તે માટે મૂળ ઇન્ટરવ્યૂ વાંચવો રહ્યો, જે WWW. LIVELAW. IN પર ઉપલબ્ધ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,6751,6761,6771,678...1,6901,7001,710...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved