Opinion Magazine
Number of visits: 9674348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસહમતીનું શિક્ષણ

રોહિત શુક્લ|Opinion - Opinion|13 January 2022

"અસહમતીનું શિક્ષણ અને સાંપ્રત સમસ્યા" એ વિષય પર રોહિતભાઈ શુક્લએ, તારીખ 08 જાન્યુઆરી 2022ને શનિવારે, સુરત જિલ્લા શિક્ષણ સંસદ અને કીમ એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પરિસંવાદ કર્યો હતો.

******************************************

શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર ભારતની લોકસભાના સભ્ય હતા, ત્યારે આ શબ્દો વપરાયા. તેમણે વાપરેલાં બે શબ્દ – 'નો સર', ખૂબ ખ્યાતિ પામ્યા. આ શબ્દો સત્તા સામે હતા અને અસહમતીસૂચક હતા.

બીજી તરફ વીસમી સદીના મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલ 'સત્તા' (પાવર) નામના પોતાના નિબંધમાં નોધે છે કે સત્તા "ના" કહેવાથી ઓળખાય છે.' (પાવર લાઈઝ ઈન સેવિંગ "નો"!)

આપણે ત્યાં જાણીતી એક જૂની વાર્તા પ્રમાણે સાસુ કહે છે : 'ના પાડનાર એ (વહુ) કોણ?'

આવી જુદી જુદી માનસિકતાનાં મૂળ ક્યાં હશે? તેનાં સાંસ્કૃતિક મૂળિયાં ક્યાં અને તેના સંદર્ભો ક્યા તે એક લાંબી મિમાંસાની ભૂમિકા સર્જે છે. હિંદુત્વની પરંપરામાં 'ડાહ્યા, વિવેકી અને સદ્દગુણી' ગણાવા માટે આજ્ઞાંકિત બનવું જરૂરી છે. (નમૂના દાખલા) સાંસ્કૃતિક મૂળિયાં જોઈએ :

ન વદેત સત્યમ્‌ અપ્રિયમ્‌
મહાજનો યેન ગત: સ પંથ:
સંશયાત્મા વીનશ્યતિ.

ડાહી માનો દીકરો – મગનું નામ મરી ન પાડે.

પરાપૂર્વથી બોલતા આ વિધાનો ઉપરાંત રામાયણ, મહાભારત, ભાગવત, અન્ય પુરાણો જેવા અનેક ગ્રંથોમાં સંસ્કાર અને વિવેકના અભિવ્યક્તિ કે ઓળખરૂપે આજ્ઞાંકિતતા, વડીલોનું કહ્યું કરવું, સમાજની અડધો-અડધ વસતી એવી સ્ત્રીઓએ પુરુષોની આજ્ઞામાં રહેવું, વગેરેનું મહત્ત્વ છે. પરણ્યા પહેલાં સ્ત્રીએ પિતાની આજ્ઞામાં અને પછી પુત્રની આજ્ઞામાં રહેવું જોઈએ, એમ 'શાસ્ત્ર' કહે છે.

આ પ્રકારની વર્તણૂક ઈસ્લામમાં પણ છે. બુરખો, હિજાબ, લગ્ન અને છૂટાછેડા વગેરેમાં સ્ત્રીઓનો અવાજ હોઈ જ ન શકે. તાલિબાની શાસન તેનો એક આત્યંતિક નમૂનો છે.

લોકોના સ્વત્રંત વિચાર અને અસહમતીને કોઈ પણ સામ્યવાદી દેશમાં સ્થાન નથી. સોવિયત યુનિયન હતું ત્યારે પૂર્વ યુરોપથી માંડીને ચીનના પૂર્વ છેડા સુધી લોકોને વિરોધ કે સ્વત્રંત વિચારની અભિવ્યક્તિની કોઈ છૂટ ન હતી.

ઇસ્લામી અને સામ્યવાદી જગતને સ્વત્રંત વિચાર અને અભિવ્યક્તિથી વેગળા કરીએ તો અસહમતી એક અમૂલ્ય બાબત તરીકે જગતની ખૂબ મર્યાદિત જનસંખ્યા ભાગે આવી શકે.

પશ્ચિમી જગતના 'મૂડીવાદી' ગણાતા દેશોમાં પણ વિચારો પ્રચાર માધ્યમો વડે પ્રભાવિત હોય છે તે પણ યાદ રાખીએ.

છતાં ''નો સર'' જરૂરી તો ખરું જ ને! 'ચીલે ચાલે બળદિયા' જેવી કહેવત પણ કાઢી નાખવા જેવી નથી. બે ઉર્દૂ પંક્તિઓ પણ વિચાર અને કથનના સ્વાતંત્ર્યને બખૂબી વ્યકત કરે છે :

ગિરતે હૈ રાય સવાર હી જંગે મેદાન મેં
વો ઇંસાં ક્યાં ગિરેગા જો ઘૂટનોં કે બલ ચલે.
બોલ કે લબ આઝાદ હૈ તેરે,
બોલ કે જુબાં અબ તક તેરી હૈ.

નચિકેતાએ પિતાને સત્ય કહ્યું તો સગા પિતાએ પણ તેને યમદ્વારે મોકલ્યો.

સાચું અને તથ્યપૂર્ણ વિધાન ન બોલવાની તરફેણમાં કહેવતો અને ઉક્તિઓનો ઢગલો છે.

'જગતને સુધારવાને બદલે શાક સુધારો તો ખાવા ભેગા થશો'; સત્તા આગળ શાણપણ નકામું' અને કબીરજી પણ કહી ગયા છે :

'એસી બાની બોલીએ મન કા આપા ખોય
ઔરન કો શીતલ કરે આપ ભી શીતલ હોય'

જો ડહાપણ, વિવેક, સામંજસ્ય, વગેરેની તરફેણમાં આટઆટલો ઝૂકાવ હોય તો, તાલિબાન, સરમુખત્યારશાહી, સામ્યવાદ, વગેરેમાં વાણીસ્વાતંત્ર્ય ન હોવા સબબ આટલો બધો ઊહાપોહ શાને?

અસહમતી લોકશાહી સમાજનું હાર્દ અથવા આત્મા છે. પોપટને પાંજરામાં પૂરીને ફળફળાદિ ખાવા અપાય પણ ખૂલ્લું આકાશ ન મળે તો?

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસૈનને 'અબ્બુખાં કી બકરી' નામની સુંદર વારતા લખી હતી. અબ્બુખાં બકરીને રોજ રાત્રે ઓરડીમાં બાંધી રાખતા, પણ એક દિવસ, 'પિંજરા તોડ' કરીને તે ભાગી ગઈ. જંગલમાં વરુ મળ્યું. તેની સામે ખૂબ લડી પણ આખરે મરી ગઈ. બીજે દિવસે અબ્બુખાંએ તેના અવશેષો જોયા; પણ તેના સ્વતંત્રાચાહક ઝમીરથી પ્રભાવિત થયા.

તો માણસે હવે નક્કી કરવાનું છે. સામ્યવાદ, ધાર્મિક ઝનૂન અને સરમુખત્યારી સ્વીકારવાં છે કે નીલાકાશમાં મુક્ત ચિત્તે વિહરવું છે. ખુલ્લા જંગલમાં વરુ સાથે 'દો દો હાથ' થઈ જવું છે કે બંધ પિંજરમાં ફળફ્ળાદિ ખાતાં રહેવું છે!

આ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન શિક્ષણના ક્ષેત્ર દ્વારા થઈ શકે. તથ્યોની ખોજ, જૂનાં વળગણોનો સાવચેતીપૂર્વકનો ત્યાગ, ખુદારીની ચાહ અને માનવતાલક્ષી તર્કવિવેક વગર શિક્ષણ પાંગળું છે.

ભારતમાં પૂર્વમાં ટાગોરે અને પશ્ચિમમાં ગાંધીએ સમાજલક્ષિતા સાથેના સ્વતંત્ર વિચારવાળા સત્ય અને અહિંસામૂલક શિક્ષણની નીંવ મૂકી આપી છે. અભ્યાસકર્મો ગોખાવતા અને પ્રચલિત વિચારોને અનુસરતા અને શિક્ષણ માટે ત્યાજ્ય ગણાવાં જોઈએ. જ્ઞાનની યાત્રા આગળ ચલાવવા વાસ્તે અગાઉના મતોનું ખંડન અને નવા મતનું મંડન સતત ચાલવું જોઈએ.

ફ્રેંચ ફિલસૂફ રેને દકાર્ત (1596-1650) કહે છે. :

'I think and therefore I am.'          

માણસને રાની પશુથી જુદો પાડનારું તત્ત્વ 'વિચાર' છે. વિચાર સ્વતંત્ર ન હોય અને મોકળા મને અભિવ્યક્ત થતો ન હોય તે દેશની દયા ખાવી રહી.

કવિવર ટાગોર પણ કહે છે :

Where the mind is without fear,
And head is held high.'

ટાગોર પ્રાર્થે છે, 'હે પિતા, તે સત્યના સ્વર્ગમાં મારા દેશનું પરોઢ પ્રગટે!'

ભારત એક ખોજનો દેશ રહ્યો છે. વિદ્ધત સભાઓ, વાદ-વિવાદ, ખંડન-મંડન અને વૈચારિક ક્રાંતિઓનો આ દેશ છે. અમર્ત્ય સેને તો એક દળદાર ગ્રંથ, 'ધ આર્ગ્યુમેન્ટેટિવ ઈંડિયન' – વાદવિવાદી ભારતીયના નામે લખ્યો છે.

ઉમાશંકરભાઈ પણ લખે છે :

'છોને છોડે એ શહેરના કિનારા ને મહેલના મિનારા,
હોડીને દૂર શું નજીક શું?

સ્વતંત્ર વિચારની ભૂમિમાં કેટકેટલા મહાન આત્માઓ વસે છે – સોક્રેટિસ, ક્ણાદ, બૃહસ્પતિ (ચર્વાક), નિત્શે, સાત્ર, ટાગોર, ગાંધી, વીરાંગના લક્ષ્મીબાઈ, ફુલે દંપતી, આંબેડકર, નહેરુ, અબ્રાહમ લિંકન …. બધાં જ સ્વનામધન્ય !

આ બાબતે કેટકેટલા નવલોહિયાઓએ ઈન્કલાબ ગજવ્યો છે – ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસમિલ, નેતાજી બોઝ, સરદાર પૃથ્વીસિંહ ….

વિચાર અને અભિવ્યક્તિ સ્વતંત્રતા વગરના માણસો સજીવ અને તાજમાજા જણાય છે, પણ તેમના ફેફસાંમાં કોરોના પ્રવેશી ચૂક્યો છે તે નકકી !

(શ્રી રોહિત શુક્લ …… અર્થશાસ્ત્રી શિક્ષણવિદ)

Loading

આજના સંબંધો લાગણીના નહીં, પણ માગણીના છે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 January 2022

જ્યારથી આ દુનિયામાં સ્ત્રી અને પુરુષ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી બંનેને એકબીજા સાથે રહેવાનું બન્યું છે. સ્ત્રી અલગ ચોકો કરીને રહી હોય કે પુરુષ જુદા જ આકાશમાં વિહરતો હોય એવું બન્યું નથી. જેણે પણ સ્ત્રી કે પુરુષને ધરતી પર મૂક્યાં તેનો હેતુ જ એ હતો કે સ્ત્રી અને પુરુષ સાથે રહે. સાથે જ રહે. કુદરતનો હેતુ એ હતો કે પૃથ્વી ખાલી ન રહે. તેનો ખૂણેખૂણો પ્રકૃતિ, પશુપંખી અને મનુષ્યોથી કિલ્લોલતો રહે. મનુષ્ય આ બધાંમાં વિચાર – વાણીથી જુદો પડતો હતો. અભિવ્યક્તિ તો પશુપંખી અને પ્રકૃતિમાં પણ હતી. ઋતુ પ્રમાણે પ્રકૃતિ ખીલતી, કરમાતી હતી, પશુપંખી પણ હરખશોક પ્રગટ કરતાં હતાં, પણ મનુષ્ય પાસે વાણી, વર્તનની વિશિષ્ટ અભિવ્યક્તિ હતી. શરૂઆતમાં તો મનુષ્ય પાસે ભાષા નહીં આવી ગઈ હોય, પણ વૈચારિક સમૃદ્ધિએ વિશિષ્ટ ધ્વનિ-ઉદ્ગારોને શબ્દો આપ્યા હશે, ભાષા આપી હશે ને એમ વાણીનો વ્યવહાર શરૂ થયો હોય એમ બને. આ વ્યવહારે જ હૃદયની લાગણીનું ભાન પ્રગટાવ્યું હોય ને એને જ પ્રેમની અભિવ્યક્તિ ગણવાનું શરૂ થયું હોય એ શક્ય છે. એ સમયે લાગણી જ હશે, માગણી ખાસ નહીં હોય. આ લાગણી પિતા-પુત્રની, માતા-પુત્રીની ને એમ સામાજિક સંબંધોની હોય એવી જ, પ્રેમી-પ્રેમિકાની કે પતિ-પત્નીની પણ હોય એવું નથી. એ જુદી જ લાગણી છે. એ પણ કહેવાય તો છે પ્રેમ જ, પણ એ પિતા-પુત્રની કે માતા-દીકરીની કે પિતા-પુત્રી કે માતા-દીકરાની લાગણી કરતાં જુદી છે. પ્રેમીઓમાં એકબીજાને પામવાનો, એકબીજાના થવાનો જે તીવ્ર તલસાટ છે તે અન્ય લાગણીથી જુદો પડે છે. અન્ય સંબંધોમાં એવી તીવ્રતા કદાચ નથી. બીજા બધા સંબંધોમાં સંબંધ યાદ રહે છે જ્યારે પ્રેમમાં સંબંધ કે સમાજ કૈં જ યાદ નથી આવતું.

સ્ત્રી-પુરુષનું એકબીજાને ચાહવું એ પિતા-પુત્રીની કે મા-દીકરાની ચાહત કરતાં જુદી બાબત છે. એ ચાહત છે તે વિજાતીય આકર્ષણને કારણે. મા-દીકરા કે પિતા-પુત્રીમાં પણ વિજાતીય તત્ત્વ તો પડેલું છે જ, પણ એમાં વાત્સલ્ય ભળે છે જે પેલાં વિજાતીય તત્ત્વને મોળું પાડે છે, જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનાં પ્રેમમાં વિજાતીય આકર્ષણ જ કેન્દ્રમાં રહે છે ને એ જ એકબીજાને પામવાની વૃત્તિ તીવ્ર બનાવે છે. છોકરીને છોકરો ગમી જાય કે પુરુષને સ્ત્રીનું ખેંચાણ થાય ત્યારે તે એટલું પ્રબળ હોય છે કે એ પાત્ર સિવાય બીજી કોઈ વાત મહત્ત્વની લાગતી નથી. એમાં જો બંને પાત્રો એકબીજાનો સ્વીકાર કરવા રાજી હોય તો કોઈ પણ રીતે તે એક થવા આકાશપાતાળ એક કરીને રહેશે. ન સમાજ, ન જાતિ, ન ધર્મ, ન શિક્ષણ કે કૈં કરતાં કૈં જ પ્રેમીઓને નડતું નથી. તે એટલે કે એ લાગણી જ કુદરતી રીતે પ્રગટતી હોય છે ને સમાજ, ધર્મ કે જાતિ એ કુદરતી નથી, એ વાત મનુષ્યે વિકસાવી છે. એ વ્યવસ્થા છે. જ્યારે પ્રેમ અવ્યવસ્થામાંથી પણ પ્રગટતો હોય છે. કુદરતે તો સ્ત્રી અને પુરુષ એ બે જ જાતિને પ્રમાણી છે એટલે એ જે લાગણી સ્ત્રી કે પુરુષમાં પ્રગટાવે તે મૂળભૂત હોય છે ને સમજ અને સમાજ તે પછી આવે. એ જ કારણ છે કે સમાજને સ્ત્રી-પુરુષ પ્રેમના વાંધા પડે છે. સમાજ ઈચ્છે છે કે પ્રેમ પણ તે કહે ત્યાં ને તે રીતે જ થાય ને પ્રેમનું એવું છે કે એ થઈ જાય છે ને પછી જ્ઞાન અને ભાન પ્રગટે છે. એ જ કારણ છે કે પ્રેમ બહુ ઓછો સફળ થાય છે. મોટે ભાગે તો ત્યાં કુટુંબ, સમાજ સખતાઈ બતાવીને પ્રેમીઓને લોહીના આંસુ રડવા છૂટાં પાડી જ દે છે. એ ખરું કે પ્રેમીઓ નાદાન પુરવાર થાય, પણ ઘણું ખરું તો સમાજ કે કુટુંબ જ વધારે નાદાન પુરવાર થાય છે.

એટલું છે કે પ્રેમ કુદરત કરાવે કે સમાજ, એ થઈને રહે છે. કોઈ સ્ત્રી કે પુરુષ પ્રેમથી વંચિત રહે એવું બનતું નથી. કોઈ ઉંમરે એ લાગણી અનુભવાય તો છે જ. એ સફળ થાય કે નિષ્ફળ જાય એ જુદી વાત છે. પણ અદ્ભુત હોય છે એ લાગણી. જમીનમાંથી પહેલું પહેલું તૃણ ફૂટતું હોય તેમ હૃદયમાં પહેલી પહેલી ફૂટતી કોમળ લાગણી કોઈને જોવાની, કોઈને મળવાની થાય એ રોમાંચક ઘટના છે ! કોઇની પહેલી જ વાર ઝંખના થાય ને એની રાહ જોવાય, એની સામે મન મોકળું કરવાની અધીરાઈ જાગે, એની સાથે જીવવાની ઈચ્છા થાય ને ઝીણી ઝીણી લખોટી જેવી ક્ષણો કેવી રીતે ધબકાર થવા લાગે એ અનુભવે જ સમજાય. સપના બદલાય અને રાતદિવસ એક જ ચહેરો સપનામાં ય પ્રગટવા લાગે, એ જ પ્રગટે એવું હૈયે થવા લાગે ને આપણું હૈયું એ આપણું ન રહે ને એ પરાયાની વેદના ઝીલવા લાગે એને તો શું કહેવું? કોઈને ખભે માથું મૂકીને રડી લેવાથી હળવાશ અનુભવાય એ પણ કેવું? કોઈ આપણું થાય ને આપણે કોઈના થઈએ એમાં જ ઘણા જીવોને સાર્થકતા અનુભવાય છે, તો કેટલાકને આવું કૈં થતું નથી. એ નિર્લેપ રહી શકે છે, પણ ભીતરે એને ય કોઇની ઝંખના તો રહે જ છે. ઝંખના વગરનું કોઈ માણસ જ નથી.

એમાં જો કુટુંબને કે સમાજને વાંધો પડે છે તો બધી ભીની ભીની લાગણીઓ સાથે છૂટા પડવાનું ને જાતને બીજે જોડવાનું પણ થાય છે. કોઈ સાહસી હોય તો સમાજને કે કુટુંબને ફગાવીને પ્રેમ પામે પણ છે ને એવું નથી થતું તો સિલકમાં આંસુ રહે છે. જીવનમાં નવી વ્યક્તિ પ્રવેશે છે ને તે ભલી હોય તો પીડામાં થોડી રાહત થાય છે, પણ પહેલો પ્રેમ કાયમને માટે દેહમાં વહેતું લોહી થઈ જાય છે ને દુનિયા બદલાઈ જાય તો પણ એ બદલી શકાતો નથી. કોઈ ઘા નથી પડતા, પણ વિરહ જેવી બીજી પીડા નથી. યાદનું એવું છે કે એને આવવાનો જ માર્ગ છે એટલે પાછા ફરવાનું બનતું જ નથી. આપણે પાછા થઈ જઈએ છીએ, પણ યાદ પાછી થતી નથી.

પણ, આજે સંજોગો બદલાયા છે. લાગણીનું મહત્ત્વ ઘટ્યું છે. નાની નાની વાતોમાં પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ થાય છે. બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ બદલાઈ જાય છે. પતિ-પત્ની છૂટાં થઈ જાય છે ને બીજા જીવનસાથી સાથે ગોઠવાઈ પણ જાય છે. એ ન ફાવે તો ત્રીજા, ચોથા સુધી પણ વાત આગળ જાય છે. એ બધું ધીમે ધીમે જાણે કોઠે પડી જાય છે. રાચરચીલું બદલાય એટલી સહેલાઈથી વ્યક્તિ બદલી કઢાય છે. એ બદલી પછી ફરિયાદો મટી જાય છે? એવું તો બહુ થતું નથી. નથી ફાવતું તો પ્રેમી કે પતિ-પત્ની બદલી કઢાય છે, પણ પછી ફાવે જ એવું નક્કી નથી. ઘણુંખરું તો ફાવતું હોતું જ નથી. થોડા દિવસ ઠીક ચાલે છે ને પછી ફરિયાદો ચાલુ થઈ જાય છે. વ્યક્તિ બદલાય છે, પણ ફરિયાદો એની એ જ રહે છે.

આપણા સંબંધો હવે અપેક્ષાના, માગણીના સંબંધો છે. અપેક્ષા કે માગણી સંતોષાય ત્યાં સુધી સંબંધો ટકે છે ને એ પછી ફરિયાદો શરૂ થઈ જાય છે. પછી ફરિયાદો સાથે સંબંધો નભે છે ને એમાં જ જન્મારો પૂરો પણ થઈ જાય છે, પણ એમાં જીવ નથી હોતો. ઉમંગ નથી હોતો. ઉત્સાહ નથી હોતો. હોય છે તો કેવળ એક રૂટિન ! એમાં જે સંવેદનશીલ હોય છે એ વેઠે છે. ઘણીવાર તો એટલું વેઠે છે કે અનેક માનસિક સમસ્યાઓનો એ ભોગ થઈ પડે છે. એમાં બંને લાગણીશીલ હોય કે બંને જડ હોય તો બહુ વાંધો નથી આવતો, પણ એક લાગણીશીલ હોય ને બીજી વ્યક્તિ જડ હોય ત્યાં મુશ્કેલીઓ વધે છે. કોઈ, કોઈને સમજી શકતું નથી ને પછી જીવન વેંઢારવાનું જ થાય છે. એવી વ્યક્તિઓ સાથે રહેવા છતાં એક પ્રકારનો ખાલીપો, વિરહ અનુભવે છે.

આજની મોટા ભાગની સમસ્યાઓ એકબીજાને સમજી ન શકવાની છે. એમ થવાનું કારણ પણ છે. આજે સંબંધો લાગણીના નથી, માગણીના છે. લાગણીનું ખાસ મહત્ત્વ જ નથી રહ્યું. ઘણાંને એમાં રોતલપણું લાગે છે. સાચું તો એ છે કે એકબીજા તરફ લાગણીનું હોવું હવે આઉટડેટેડ ગણાય છે. કોઈને માટે પ્રેમ હોવો એ અદ્ભુત વાત છે એ વાત જ હવે બહુ મહત્ત્વ ધરાવતી નથી. કોઇની ઝંખના થવી, કોઇની પ્રતીક્ષા કરવી, કોઇની યાદ બનવું એ હવે દુર્લભ બાબત છે. કોઇની યાદમાં આંસુ સારવાં એ રમત કે ગમ્મત નથી. આંસુ વહેવાથી પણ હળવા થવાય છે એ બહુ સમજાતું નથી હવે. આંસુ પાડવા ને પડાવવા એ બે વચ્ચે ફરક છે. એમાં જ કોઈ ન કહે ને કોઈને માટે સહજ રીતે આંખો ભીની થાય એ લાગણી છે ને કોઈને રડાવવામાં તો ઊંડે ઊંડે કોઈ માગણી પડી હોય છે એ ભૂલવા જેવું નથી. આપણે ગમે એટલા સુધરી જઈએ તો પણ જ્યાં સુધી આંસુ છે ત્યાં સુધી લાગણી રહેવાની છે ને એ ઈચ્છવા જેવુ છે કે આંસુ રહે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

કલારૂપી પ્રાચીન વારસો પાછો મેળવવાની કવાયત …

કિરણ કાપુરે|Opinion - Opinion|11 January 2022

થોડા સમય અગાઉ કાશીના વિશ્વનાથ મંદિરમાં અન્નપૂર્ણા મૂર્તિની વિધિવત્ રીતે સ્થાપના થઈ. આ વિધિને ધર્મ સાથે સાંકળીને જોવાય; પણ તે માત્ર ધર્મની બાબત નથી. ખરેખર તો તે વિશેષ કરીને પુરાતત્વની બાબત છે. સોએક વર્ષ પહેલાં અન્નપૂર્ણાદેવીની આ મૂર્તિની ચોરી થઈ હતી. આ મૂર્તિ અઢારમી સદીની છે અને તેનું માપ 17x9x7 સેન્ટીમીટર એમ કાઢવામાં આવ્યું છે. અન્નપૂર્ણા મૂર્તિના એક હાથમાં ખીરનો બાઉલ છે અને બીજા હાથમાં ચમચી. અન્નપૂર્ણા માનું માહાત્મ્ય હિંદુ ધર્મમાં અન્નની દેવીથી જાણીતું છે; પણ વારાણસીમાં તેનું આગવું મહત્ત્વ છે. તેઓને માત્ર અન્નનાં દેવી તરીકે નથી પૂજવામાં આવતાં બલકે તેમની આરાધના શિવના અર્ધાંગિની તરીકે પણ થાય છે. અને એટલે જ વારાણસીમાં તેમનું એક અલાયદું મંદિર છે.

1913માં આ મૂર્તિ કેનેડાના એક એડવોકેટ નોર્મન મેકેન્ઝી ભારતમાંથી ગેરરીતિથી કેનેડા લઈ ગયા હતા. તે સમયે આ મૂર્તિ ગંગા કિનારે આવેલા એક મંદિરમાં સ્થાપિત હતી. આ પછી મેકેન્ઝીની પુરાતત્વની સંપત્તિ જેમાં અન્નપૂર્ણાદેવીની આ મૂર્તિ પણ હતી, તે કેનેડાની ‘યુનિવર્સિટી ઓફ રેગિના’ દ્વારા સ્થપાયેલા નોર્મન મેકેન્ઝી આર્ટ ગેલેરીમાં મૂકવામાં આવી. નોર્મને જ્યારે અન્નપૂર્ણા મૂર્તિ વિશે સાંભળ્યું ત્યારે તેને મેળવવાની તાલાવેલી લાગી અને તેની ચોરી કરાવવવામાં આવી. હવે તે સંપત્તિ ભારતને ફરી મળી ચૂકી છે.

એ જાણીતું છે કે ભારતનું મબલખ આર્ટવર્ક અમેરિકા, યુરોપના દેશોના મ્યુઝિયમને શોભાવી રહ્યું છે. તેમાં અનેક આર્ટ વર્ક ગેરરીતિથી ત્યાં પહોંચ્યા છે. અંગ્રેજોના શાસન દરમિયાન પુરાતત્ત્વની દૃષ્ટિએ મહામૂલી આર્ટ ભારતમાંથી લઈ જવામાં આવ્યાં અને તે પછીના કાળમાં પણ ભારતીયોનું આર્ટવર્ક વિદેશોમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે વિદેશોમાં પહોંચતું રહ્યું છે. આ બાબતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગંભીરતાથી ધ્યાને લીધી છે અને તે આર્ટવર્કને સ્વદેશમાં લાવવાની કવાયત આદરી છે. અત્યારે અન્નપૂર્ણાદેવીની મૂર્તિ પાછી લાવવામાં આવી એ રીતે અમેરિકાએ પણ ભારતની 248 અલભ્ય પ્રાચીન વસ્તુઓ પાછી આપી છે. આમ તો તે બધી અલભ્ય છે પણ તેમાં બારમી સદીનું શિવ નટરાજની પણ છે, જેની કિંમત માર્કેટ પ્રમાણે 15 મિલિયન ડોલર આંકવામાં આવે છે. આજે પ્રાચીન વસ્તુઓ ભારતમાં પાછી ફરી છે તેને વિદેશ પહોંચડનારા તરીકે આર્ટ ડિલર સુભાષ કપૂરનું નામ ખૂલ્યું છે. સુભાષ કપૂર ભારતની આવી અસંખ્ય મૂલ્યવાન વસ્તુઓને ગેરરીતિથી વિદેશ પહોંચાડતો રહ્યો છે. સુભાષ કપૂર આવું કામ કરનારો એક માત્ર નથી, આ ચીજવસ્તુઓની ટ્રાફીકિંગ માટે ઇન્ટરનેશનલ સ્તરે નેટવર્ક ગોઠવાયેલું છે.

વિદેશમાંથી મૂળ ભારતનું આર્ટવર્ક મેળવવું તે મોટી સફળતા છે, કારણ કે આ પૂરી કવાયત કરવામાં વર્ષોનો સમય જાય છે અને તેના ઠોસ પુરાવા જે-તે દેશોને આપવા પડે છે. જે વસ્તુ મૂળ ભારતની છે તે માહિતી મળતાં છતાં તેને આપવામાં ગલ્લાંતલ્લા થાય છે. પરંતુ આ વખતે આ પૂરી પ્રક્રિયા પછી ભારત સારી એવી એન્ટિક વસ્તુઓ પાછી મેળવી શક્યું છે.

ભારત અને તેના પાડોશી દેશો પુરાતત્ત્વની રીતે સમૃદ્ધિ ધરાવે છે. દેશના ખૂણેખૂણે આપણને હજારો વર્ષો પુરાના મંદિરો મળે છે. તેમાં પણ અનેક મંદિરો કે સ્થાપત્યો એવાં છે જેની નોંધ સરકારે ચોપડે નથી. નોંધ ન હોય તો તેનું મહત્ત્વ કે મૂલ્ય તો ક્યાંથી અંકાયું હોય! નોંધ નથી તેની કેટલું મોટું નુકસાન ભોગવવું પડે છે તે એક દાખલા પરથી સમજી શકાય. આપણે ત્યાં ‘હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોરર્વમેન્ટ’ નામની સરકારી સંસ્થાએ 2018ના વર્ષમાં એક અભ્યાસ કર્યો અને તેમાં આ રીતે ચોરી થયેલી મૂર્તિઓનો એક અંદાજ કાઢવામાં આવ્યો. આ અભ્યાસ મુજબ માત્ર તમિલનાડુમાંથી 1992થી 2017 સુધીમાં 1,200 પ્રાચીન મૂર્તિઓની ચોરી થઈ છે. આ ગાળા દરમિયાન દેશમાંથી 3,676 સંરક્ષિત ક્ષેત્રમાંથી ચાર હજારથી વધુ પ્રાચીન વસ્તુઓ ચોરાઈ છે. આ વસ્તુઓમાંથી પોલીસ માત્ર 1,493 પાછી મેળવી શકી છે, જ્યારે અન્ય 2913 પ્રાચીન વસ્તુઓની કશી ભાળ મળી નથી અથવા તો દુનિયાના અલગ-અલગ જગ્યાએથી તેના વેચાણની માહિતી મળી છે.

પોતાના વારસાને સુરક્ષિત રાખવા અર્થે ભારતમાં કાયદા પણ સખ્ત નથી અને તે માટે કોઈ સમર્પિત તપાસ એજન્સી નથી, તે કારણે આ વેપાર ફૂલ્યોફાલ્યો છે. આ ગેરકાયદેસર વેપારમાં ભારતના સુભાષ કપૂરનું નામ અવ્વલ આવે છે. તેઓ અમેરિકામાં આ બિઝનેસ ફેલાવીને બેઠા છે. સુભાષ કપૂરની જેમ અન્ય આર્ટ ક્રિમિનલનો બેઝ ન્યૂયોર્ક છે. અહીંયાથી જ વિશ્વનું આર્ટ ક્રાઇમ મેનેજ થાય છે. આ દિશામાં વર્ષોથી કામ કરનારા આર્કિયોલોજિસ્ટ અને કાયદાના અભ્યાસી ટીસ ડેવિસ છે. આ માટે ટીસ ડેવિસે ‘એન્ટીક્વાટીસ કોઅલિઝન’ નામની સંસ્થા પણ બનાવી છે. તેમના મતે માત્ર ગત્ દાયકામાં ગેરકાયદેસર રીતે ભારતમાંથી અમેરિકા આવેલા આર્ટની કિંમત સાતસો મિલિયન ડોલર છે. ટીસ એવું માને છે કે આનાથી પણ અનેકગણું આર્ટ ભારતમાંથી આવ્યું હોઈ શકે. ટીસ ડેવિસ આંતરરાષ્ટ્રિય સ્તરે કળા ક્ષેત્રે થઈ રહેલાં ગુના સંદર્ભે જોરશોરથી લડત ચલાવી છે અને તેમનું કહેવું છે કે ચિંતાની વાત તો એ છે કે ઘણાં દેશોમાં સરકારી મ્યુઝિયમ સ્મગલર પાસેથી આર્ટ વર્ક ખરીદીને પોતાની ગેલેરીમાં ડિસપ્લે કરે છે. આ પ્રેક્ટિસ અનેક દેશો કરી રહ્યા છે સાથે સાથે ટીસ ડેવિસનું એવું પણ માનવું છે કે આ બિઝનેસ દ્વારા મોટા પાયે આંતકવાદી પ્રવૃત્તિને નાણાં મળે છે. મૂળે આખો ધંધો કરોડો બિઝનેસનો છે અને તેમાં ગુનાઇત માનસિકતા ધરાવતા લોકો સામેલ છે. બીજું કે આર્ટનો આ બિઝનેસ આંતરરાષ્ટ્રિય સ્તરે થઈ શકે છે. તેથી પણ તેના તાર આંતકવાદી પ્રવૃત્તિ સાથે જોડાય છે.

ભવિષ્યમાં ભારતનો આ વારસો સહિસલામત રહે અને ચોરી કે અન્ય ગેરરીતિથી તે વિદેશોમાં ન પહોંચે તે માટે દિલ્હી સ્થિત આર્કિયોલોજિસ્ટ ડો. કિરીટ મંકોડી પાયાનું સૂચન કરે છે. તેઓ જણાવે છે કે સૌથી પહેલાં દેશના તમામ આવી વસ્તુઓનું કેટલોગિંગ અને તેનું પદ્ધતિસરનું ડોક્યુમેન્ટશન થવું જોઈએ. ઇતિહાસકારો પણ એમ કહે છે કે આપણા દેશનો વારસો સુરક્ષિત રાખવાની જવાબદારી  ‘આર્કિયોલોજિ સર્વે ઓફ ઇન્ડિયા’ની છે, અને તેના દ્વારા દરેક મંદિરો સહિત અન્ય સ્થાપત્યોની એક રાષ્ટ્રિય સ્તરની યાદી બનવી જોઈએ. આમ ન થાય તો દેશમાંથી ક્યારે શું બહાર જાય છે તેની ઠોસ માહિતી નહીં મળે.

છેલ્લાં વર્ષોમાં દેશની અલભ્ય પ્રાચીન વસ્તુઓને પાછી મેળવવામાં સારી સફળતા મળી છે. મિનિસ્ટ્રી ઑફ કલ્ચરની યાદી મુજબ 1976થી 1921 સુધી મહામૂલી 54 મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ પાછી મેળવી શકાઈ છે. જ્યાંથી આ મૂર્તિઓ-વસ્તુઓ પાછી મળી છે, તેમાં જે દેશો છે તેમાં મુખ્યત્વે બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા છે. વસ્તુઓ પાછી મેળવવાની બાબતને રાજકીય રીતે પણ જોવામાં આવે છે. 1976થી આ વર્ષ સુધી કુલ 55 મૂર્તિઓ પાછી મેળવવામાં આવી છે, તેમાં 1976થી 2014 સુધીની સંખ્યા 14 હતી જ્યારે તે પછી વર્તમાન સરકારના કાળમાં 30 આવી અલભ્ય મૂર્તિઓ પાછી મળી છે. તમિલનાડુમાંથી લઈ જવામાં આવેલી પાર્વતી, ચક્રવથવલવાર, પ્રત્યંગીરા, દુર્ગા, નટરાજ, દ્વારપાલ, રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. તમિલનાડુ, મધ્ય ભારત, બિહારમાંથી મહદંશે આ મૂર્તિઓ વિદેશમાં પહોંચી છે. જો કે હજુ પણ આ વિદેશમાં ભારતની પ્રાચીન વસ્તુઓ લાવવાની બાકી છે તેમાં શિવાજીની તલવાર છે. આ તલવાર હાલ લંડનમાં આવેલા બકિંગહામ પેલેસમાં છે. એ પ્રમાણે ટીપુ સુલતાનનો વાઘ પણ લંડનના વિક્ટોરિયા મ્યૂઝિયમમાં છે. લાકડાનો આ વાઘ એક બ્રિટિશ સૈનિક પર હૂમલો કરતો દર્શાવાયો છે. આ વાઘ અઢારમી સદીના અંતમાં બ્રિટન લઈ જવામાં આવ્યો હતો, જે પછી પાછો મળ્યો નથી. ટીપુ સુલતાનની વીંટી, મધ્ય પ્રદેશની અંબિકાની મૂર્તિ, શાહજહાનનો વાઇન કપ, સુલ્તાનગંજના બુદ્ધ, આંધ્ર પ્રદેશના અમરાવતીના નક્શીકામ કરેલાં પથ્થરો પણ મહામૂલી વારસો છે, જે હજુય વિદેશોના મ્યૂઝિયમમાં છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,6731,6741,6751,676...1,6801,6901,700...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved