Opinion Magazine
Number of visits: 9570654
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈદ્ય તું તારો જ ઈલાજ કર …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 December 2021

ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ અને વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય, રંજન ગોગોઈએ, અપેક્ષા પ્રમાણે જ, નવરાશના સમયમાં તેમની આત્મકથા લખી છે. તેનું શીર્ષક છે 'જસ્ટિસ ફોર ધ જજ’ – જજનો ઇન્સાફ. સામાન્ય રીતે જજનું કામ ઇન્સાફ કરવાનું હોય છે, પરંતુ ગોગોઈના કિસ્સામાં તેઓ ઇન્સાફ માગી રહ્યા છે.

કેમ? કારણ કે તેમને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તેમનો જે કાર્યકાળ હતો, તેમાં તેમને અન્યાય થયો છે; તેમની પર આરોપો લાગ્યા છે; તેમની બદનામી થઇ છે; તેમના ચૂકાદાઓ અંગે’ શંકા-કુશંકાઓ કરવામાં આવી છે; તેમની કારકિર્દી પર કલંક લાગ્યું છે. તેની સાફ-સફાઈ કોણ કરશે? ખુદ તેઓ જ. એટલા માટે તેમણે પોતાનો ઇન્સાફ કરવા માટે 'જસ્ટિસ ફોર ધ જજ' શીર્ષકથી આત્મકથા લખી છે.

વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ પુસ્તકના શીર્ષક પર રમૂજ કરતાં કહ્યું હતું, "જજ માટે જસ્ટિસ? 'જજને રાજ્યસભાની બક્ષિશ' એવું શીર્ષક ન હોવું જોઈએ?" ગોગોઈએ સરકાર સામેના કેસમાં સરકારનો જવાબ બંધ કવરમાં સ્વીકારવાનો વિવાદાસ્પદ રિવાજ પાડ્યો હતો, જેથી મીડિયામાં તેની વાતો જાહેર ન થાય (જેવું રફાલે એરક્રાફ્ટની ખરીદીમાં ભ્રષ્ટાચારના કેસમાં થયું હતું). તેને યાદ કરીને તૃણમૂલ કાઁગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ ટોણો માર્યો, "કોઈકે મને પૂછ્યું કે રંજન ગોગોઈનું પુસ્તક બંધ કવરમાં વેચાશે કે ખુલ્લામાં? શું લાગે છે."

તેના જવાબમાં કોઈકે કોમેન્ટ કરી, "એ તો સુપ્રીમ કોર્ટની પેલી મહિલા કર્મચારીને ખબર." ગોગોઈ જ્યારે ચીફ જસ્ટિસની ખુરશીમાં હતા, ત્યારે જ તેમની સામે સેકસુઅલ હેરેસમેન્ટના એક આરોપમાં ખુદને નિર્દોષ જાહેર કરી ચુક્યા હતા, એટલે નિવૃત્તિ પછી તેમણે બાકી રહી ગયેલી બાબતોમાં પણ પોતાનું 'સત્ય' જનતા જનાર્દન સમક્ષ મુકવા પ્રયાસ કર્યો છે.

એપ્રિલ ૨૦૧૯માં, સુપ્રીમ કોર્ટની પૂર્વ કર્મચારીએ એફિડેવિટ દાખલ કરી હતી કે ૧૦-૧૧ ઓકટોબરે, ચીફ જસ્ટિસે તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે અડપલાં કર્યાં હતાં. ગોગોઈએ તેને ન્યાયતંત્રની સ્વતંત્રતામાં અડચણ ઊભી કરવાનું કાવતરું ગણાવ્યું હતું. એક મહિના પછી, સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની આંતરિક સમિતિએ ગોગોઈને નિર્દોષ જાહેર કર્યા. ગુજરાતીમાં એક કહેવત છે : ઘરના ભૂવા અને ઘરનાં ડાકલાં. આરોપી પોતે, કોર્ટે ય પોતાની, પોતે જ તેના જજ.

એ તપાસ ગોગોઈએ જ બેસાડી હતી અને તેની અધ્યક્ષતામાં તેઓ ખુદ હતા. સમિતિના અહેવાલ અને રીતની ત્યારે બહુ ટીકા થઇ હતી. ૮મી ડિસેમ્બરે, તેમની આત્મકથાના વિમોચન પ્રસંગે ગોગોઈએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "એ બેંચની અધ્યક્ષતા મારે કરવાની જરૂર ન હતી. મારે દૂર રહેવાની જરૂર હતી. આપણે સૌ ભૂલો કરીએ છીએ. જજો પણ આખરે માણસ છે અને તેમનાથી ભૂલો થાય, પણ એ યાદ રાખવા જેવું છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર પહેલીવાર આવો આરોપ મુકાયો હતો. ૪૫ વર્ષની ઈજ્જત દાવ પર હતી."

ભારતના ચીફ જસ્ટિસ પર, સુપ્રીમ કોર્ટની જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ મહિલાએ સેકસુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી. ગોગોઈએ જાતે જ તપાસ બેસાડી અને એમાં એમાં એમને ક્લીન ચીટ મળી (એક વર્ષ પછી એ કર્મચારીને પાછી એ જ નોકરી પર લેવામાં આવી, જ્યાંથી તેને કાઢી મુકવામાં આવી હતી). કોર્ટના  ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના હતી, અને “મેં એ તપાસની અધ્યક્ષતા કરી એ ભૂલ હતી” એટલું બોલીને ગોગોઈએ તેમની આત્મકથામાં પૂરી ઘટનાને ‘કાવતરા’માં ખપાવી દીધી છે.

તેમની વાતને માન્ય રાખીએ, તો પણ એવો સવાલ તો જરૂર ઊભો થાય કે જેના હાથમાં દેશના કાનૂનની અને નૈતિકતાની રક્ષા કરવાની સત્તા અને જવાબદારી હોય, તે વ્યક્તિ આવી રીતે પોતાની સામેના આવા સૌથી ગંભીર આરોપમાં જજ બને?

અદાલતી કાર્યવાહીમાં ‘નોટ બિફોર મી’ની એક તંદુરસ્ત પરંપરા છે. જજ સાહેબોને જ્યારે લાગે કે કોઈ કારણસર તેઓ કોઈ ચોક્કસ કેસમાં તટસ્થ રીતે ન્યાય તોળી નહીં શકે, ત્યારે તેઓ તે કેસની સુનાવણી કરવાની ના પાડી દે છે અને બીજા જજને તે જવાબદારી સોંપે છે. ગોગોઈ તેમની સામેના આરોપોની તપાસ કરી રહેલી બેંચમાં ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય કરી જ શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું ન હતું.

ગોગોઈ સામે બીજા પણ આરોપો લાગ્યા છે. જેમ કે અયોધ્યા મંદિર-મસ્જીદ વિવાદમાં, રાહુલ ગાંધી સામેના અદાલતના તિરસ્કારના કેસમાં, કેરલના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાના મામલે અને આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનના મુદ્દે ગોગોઈએ સત્તાધારી પક્ષની તરફેણ કરી હતી.

મીડિયામાં અને લોકોના મનમાં ગોગોઈના વ્યવહારને લઈને શંકા થવાનું કારણ એ પણ હતું કે નિવૃત્તિના ચાર જ મહિનામાં રાષ્ટ્રપતિએ તેમની રાજ્યસભામાં નિમણૂક કરી હતી. આ એ જ ગોગોઈ હતા, જેમણે ભૂતકાળમાં કહ્યું હતું કે જજે તેનું દામન સાફ રાખવા માટે નિવૃત્તિ પછી કોઈ સરકારી હોદ્દા ગ્રહણ ન કરવા જોઈએ.

ગોગોઈએ આ બધા વિવાદોમાં પોતાનો પક્ષ આ પુસ્તકમાં રજૂ કર્યો છે. આત્મકથાઓમાં માત્ર જીવનની ઘટનાઓની તારીખો નથી હોતી. એમાં પોતાની વાતને પૂર્વગ્રહ સાથે મુકવાનો પ્રયાસ હોય છે. એમાં લેખક તથ્યોને ‘પોતાની રીતે’ મૂકે છે. એટલા માટે તટસ્થ આત્મકથાઓ દુર્લભ હોય છે, અને અભ્યાસુ લોકો જ્યારે આપણા નાયકોનું વિશ્લેષણ કરવા બેસે છે, ત્યારે આત્મકથાઓથી આગળ જઈને બીજા લોકોના અનુભવો અને દૃષ્ટિકોણને પણ ધ્યાનમાં લે છે. જસ્ટિસ રંજન ગોગોઈની કારકિર્દીમાં એટલા ઉતાર-ચઢાવ છે કે કદાચ એક પુસ્તકથી તેનો ન્યાય નહીં થાય.

ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલે કહ્યું હતું કે, “આત્મકથાનો વિશ્વાસ ત્યારે જ થાય, જ્યારે તેમાં કશુંક શરમજનક જાહેર કરવામાં આવે. જે માણસ તેની સારી-સારી વાતો માંડે, એ સંભવત: જૂઠ બોલતો હોય છે, કારણ કે જીવનને જ્યારે ભીતરથી જોવામાં આવે, ત્યારે તે પરાજયોનો એક સિલસિલો માત્ર હોય છે.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામેક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 ડિસેમ્બર 2021

Loading

રાજકારણીઓમાં શરમ નથી હોતી તે તો ખબર, પણ આટલા બેશરમ હોય છે તે ખબર ન હતી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 December 2021

છોટાઉદેપુરનું વાગલવાડ ગામ. તેની એક પ્રાઇમરી શાળા 2020માં વરસાદમાં તૂટી પડેલી. આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરવામાં આવી, પણ ડિસેમ્બર, 2021 પૂરો થવા આવ્યો, તો પણ તે ફરી બંધાવાના કોઈ અણસાર ન જણાતાં, એક અંગ્રેજી અખબારે છોટાઉદેપુર જિલ્લાની આ શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રગટ કર્યો, જે ગુજરાત હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું ને તેણે સુઓમોટો દાખલ કરી. ગુજરાત સરકાર પાસે પૈસા ખર્ચવાના ઘણાં બહાનાં છે, પણ કરવા જેવાં કામ માટે બેદરકારી સિવાય કોઈ બહાનું નથી. આમ પણ શિક્ષણ બાબતે અરાજકતાનો કોઈ પાર નથી, પણ સ્કૂલે આવતાં બાળકો માટે શાળાનું મકાન ન હોય એ સ્થિતિ અસહ્ય છે. 2020માં તો સ્કૂલોમાં શિક્ષણ આપી શકાય એવી સ્થિતિ જ ન હતી, ત્યાં બિલ્ડિંગ ન રહ્યું એટલે હવે બાળકો સ્કૂલે આવવાના જ ન હોય તેમ સ્કૂલ બાંધવાના કોઇ લક્ષણો ન જણાયા ને ઓફલાઇન શિક્ષણ તો શરૂ થયું જ ! વિદ્યાર્થીઓ પણ આવ્યા, પણ ભણે કયાં? સ્કૂલના વર્ગો તો હોવા જોઈએ ને ! મહિનોમાસ તો જેમ તેમ ભણ્યા, પણ ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ભણવું કેમ? તો ય, ઠંડીમાં ખુલ્લામાં આદિવાસી બાળકો ભણવા આવ્યાં. તેમની પાસે પૂરતાં કપડાં પણ ન હતાં, ત્યાં ખુલ્લામાં ભર ઠંડીમાં ટકવું કેમ? હાઈકોર્ટનાં ધ્યાનમાં આ વાત આવી ને તેણે સરકારને છ મહિનામાં સ્કૂલનું નવું મકાન ઊભું કરવાનો વચગાળાનો હુકમ કર્યો છે ને શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીને કોર્ટમાં હાજર રહી રિપોર્ટ રજૂ કરવાની ફરજ પાડી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકો ખુલ્લામાં ભણવા લાચાર બને તે ચલાવી શકાય નહીં. વાગલવાડમાં સ્કૂલ ન હોવાથી, મધ્યાહ્ન ભોજનમાં નોકરી કરતાં એક બહેનને ત્યાં બાળકોને બોલાવીને શિક્ષક, શિક્ષણ પૂરું પાડે છે.

હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી સામે પણ ભારે નારાજગી પ્રગટ કરી છે. શિક્ષણ મંત્રી સામે નારાજ થવાનું કારણ પણ છે. 16 ડિસેમ્બરે વડોદરા આવેલા શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પત્રકારોએ છોટાઉદેપુરની એ સ્કૂલ અંગે પૂછ્યું કે હજી સ્કૂલ બંધાઈ નથી ને વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં ભણવાની ફરજ પડી રહી છે. એનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે કાર્યવાહી ચાલે જ છે, કેટલીકવાર શિયાળામાં ખુલ્લામાં બેસાડવામાં આવે છે, શિયાળામાં હું પણ ખુલ્લામાં જ ભણ્યો હતો. હાઇકોર્ટે આવા ઉડાઉ જવાબની આકરી ટીકા કરતાં કહ્યું કે આ બેજવાબદારી ભર્યો શરમજનક જવાબ છે. કોર્ટે આ જવાબની ગંભીર નોંધ લીધી છે. 

શિક્ષણ મંત્રી કક્ષાની વ્યક્તિ શાળા નથી બાંધી શકાઈ એ અંગે લાજવાને બદલે ગાજવા બેસે એ શરમજનક છે. એમની વાતનો તો એવો અર્થ થાય કે ઠંડીમાં આદિવાસી વિદ્યાર્થીઓએ ખુલ્લામાં જ બેસવું જોઈએ, કારણ કે શિક્ષણ મંત્રી પોતે પણ શિયાળામાં ખુલ્લામાં ભણેલા. એવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે શિક્ષણ મંત્રી નાનપણમાં ખુલ્લામાં ભણ્યા હોય તો આદિવાસી વિદ્યાર્થીઓએ, ભલે તેમની પાસે ઠંડીથી બચવાનાં કપડાં ન હોય, તો પણ ખુલ્લામાં જ ભણવું જ જોઈએ. સાહેબને કહી શકાય કે ત્યારે તમારી પાસે સગવડ નહીં હોય ને તમારે ખુલ્લામાં ભણવું પડ્યું હોય તેનો અફસોસ છે, પણ હવે તો તમે મંત્રી છો, એક સ્કૂલ બાંધી આપવાનું જરા ય મુશ્કેલ નથી, તે એટલે નહીં બાંધવાની કારણ તમે ખુલ્લામાં ભણ્યા હતા? આ યોગ્ય છે? તમને સંકોચ થવો જોઈએ, તેને બદલે તમે શરમ છોડીને ઉડાઉ જવાબ આપો છો તે અક્ષમ્ય છે. સાધારણ રીતે જે તકલીફ નાનપણમાં વેઠી હોય તે પોતાનાં સંતાનો ન વેઠે એવું માબાપ ઇચ્છતાં હોય છે. તે એવો બદલો ન લે કે અમે વેઠ્યું છે તો તમે પણ વેઠો, પણ આ તો મંત્રી છે એટલે એ તો કહી શકે પ્રજાને કે હું ઠંડીમાં ભણ્યો, તો તમે પણ ભણો. આ પરપીડન વૃત્તિ છે ને તે કોઈ રીતે મંત્રીને શોભતી નથી.

 એ ખરું કે રાજકારણી કેટલાક ખરેખર સજ્જન હશે, પણ મોટે ભાગના રાજકારણીઓ વિવેકહીન હોય છે અને ઉદ્ધત રીતે વર્તવા ટેવાયેલા હોય છે. એમાં જો કોઈ મંત્રી હોય તો તેનામાં અહંકાર ને ઉદ્ધતાઈ પણ ભળે છે. બીજો એવો એક દાખલો ઝારખંડનો છે. એક પહેલવાનને નિયત ઉંમર કરતાં વધારે ઉંમર છે એમ કહીને કુસ્તીમાંથી બહાર કરી દેવાયો. પહેલવાનને અન્યાય થયાનું લાગતાં તે રજૂઆત માટે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ભા.જ.પ.ના સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પાસે કાર્યક્રમમાં પહોંચ્યો ને પોતાને ખોટી રીતે બહાર કરાયો છે તેવી રજૂઆત કરી તો સાંસદે તેને લાફો મારી દીધો. એકવાર માની લઈએ કે પહેલવાન ખોટો છે, તો પણ તેને ભરી સભામાં લાફો મારવાનો સાંસદને કોઈ અધિકાર નથી. લોકો લાફો ખાવા વોટ આપતા નથી. આવા રાજકારણીનો પ્રજાએ સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ. રાજકારણીઓ ભા.જ.પી. હોય કે કાઁગ્રેસી, વિવેકહીન થવામાં તેઓ હંમેશ સ્પર્ધામાં રહે છે.

કાઁગ્રેસના એક ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પર બી.જે.પી. નેતાઓ અને મહિલા સાંસદો બહુ જ ચિડાયા છે ને એ ધારાસભ્યને સસ્પેન્ડ કરવાની ને એમની પાસેથી માફી મંગાવવાની વાત કરી રહ્યા છે. જેનાં પાર્ટી પ્રમુખ એક મહિલા છે ને એના જ એક ધારાસભ્ય મહિલા સંદર્ભે પૂરી બેશરમીથી વાહિયાત લવારા કરે તો તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ એવો મત ભા.જ.પી. નેતાઓનો પડ્યો છે ને કાઁગ્રેસી નેતા પ્રિયંકા વાડ્રાએ પણ કાઁગ્રેસી વિધાનસભ્ય કે.આર. રમેશકુમારના શરમજનક નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો છે. જો કે, કોઈ કાર્યવાહી કરવાથી કાઁગ્રેસ દૂર રહી છે. કાઁગ્રેસી રમેશકુમારે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન મહિલાઓ સંદર્ભે એવું નિવેદન આપ્યું કે રેપ રોકી શકાય એમ ન હોય તો સૂઈ જાઓ અને તેનો આનંદ લો. આટલી નિર્લજ્જતા એક વિધાનસભ્ય દાખવે ને તે પણ વિધાનસભાની કાર્યવાહી ચાલુ હોય ત્યારે, એ કેવળને કેવળ શરમજનક છે. આ નિવેદન અશ્લીલથી પણ વધુ અશ્લીલ છે. એ ધારાસભ્ય વળી વિધાનસભાના જવાબદાર હોદ્દે રહી ચૂક્યા હોય ને આવું નિવેદન કરે એમાં એમની હીન માનસિકતા જ પ્રગટ  થાય છે. વધુ દુ:ખ તો એ વાતનું છે કે હાલના કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડેકાગેરી રમેશકુમારના આ નિવેદનથી વ્યથિત થવાને બદલે હસી પડ્યા હતા. અધ્યક્ષે ધાર્યું હોત તો રમેશકુમાર પર કાર્યવાહી કરી શક્યા હોત, પણ તેમણે વાતને હસવામાં કાઢી નાખી ! વધારે ઊહાપોહ થતાં રમેશકુમારે ટિપ્પણી બદલ માફી માંગી લીધી છે, પણ ઘણાંને લાગે છે કે એટલું પૂરતું નથી. આમાં પક્ષો રાજનીતિ પણ કરે છે ને આખી વાત પોતાને કઈ રીતે લાભ ખટાવે એમ છે એ રીતે દાખલા ગણે છે, પણ એક વાત નિર્વિવાદ છે, કોઈ પણ પક્ષનો નેતા આવું નિવેદન કરે તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ ને એ સ્થિતિ ઊભી થવી જોઈએ કે કોઈ પણ સભ્ય વિવેક ચૂકીને વાત કરવાની હિંમત ન કરે.

કાઁગ્રેસનો બીજો દાખલો પણ જોઈએ. પંજાબ કાઁગ્રેસના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ ચંદીગઢમાં પત્રકાર પરિષદમાં પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા કશું જ અજુગતું ન હોય એટલી સહજ રીતે ગાળ દઈ દીધી. આ દાખલાઓ છેલ્લા બેત્રણ દિવસોમાં બનેલી ઘટનાઓના છે. આ ઉપરાંત પણ એવું ઘણું હશે જે જાહેર જ ન થતું હોય, પણ જે જાણવા મળ્યું છે તે પણ ઓછું ચિંતાજનક નથી. એ સિદ્ધ થતું આવે છે કે આખા દેશમાં રાજકારણીઓને કોઈ પૂછનાર નથી. તેઓ મનસ્વી રીતે વર્તવા ટેવાયેલા છે ને સૌજન્ય, વિવેક, આભિજાત્ય જેવી કોઈ વાત તેમનામાં દૂર દૂર સુધી નજરે ચડતી નથી. બર્બરતા, હલકટાઈ, આછકલાઇ, વિકૃતિ … જેવી બાબતો જ તેમની સજ્જનતાનાં લક્ષણો છે. એ જ જાણે કે ચરિત્ર છે ! ખોટી રીતે મેળવેલી સંપત્તિનું વરવું પ્રદર્શન ને તેનો દેખાડો અહંકારથી સુસજ્જ હોય છે. લવારાઓ કરીને માફી માંગી લેવાની ફેશન થઈ પડી છે ત્યારે થાય છે કે કઈ વાતે આ દેશ ટકી રહ્યો છે તે સમજાતું નથી. રામને નામે પથરા તરે છે, પણ રામ પથરો નાખે છે તો તે ડૂબી જાય છે, છતાં એટલું છે કે ભલે રામભરોસે પણ દેશ ચાલે તો છે ! તે કયાં સુધી ચાલશે તે યક્ષ પ્રશ્ન છે, પણ તે આજે તો કોઇની ચિંતાનો વિષય હોય એવું લાગતું નથી.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ડિસેમ્બર 2021

Loading

ભારતમાં મધ્યમ વર્ગ સંપત્તિની દૃષ્ટિએ લગભગ નિર્ધન છે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 December 2021

ગયા અઠવાડિયે બહાર પડેલો વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટમાં ભારત વિષે માત્ર એક વાક્યમાં જે કહેવાયું છે એ બોલકું છે. રિપોર્ટ કહે છે : India stands out as a poor and very unequal country, with an affluent elite. બહુ સૂચક વાક્ય છે. વિશ્વ અસમાનતા અહેવાલ મુજબ ભારત એક ગરીબ દેશ તો છે જ, પણ ઉપરથી દેશમાં અતિશય અસમાનતા છે અને એટલું ઓછું હોય એમ સમૃદ્ધ ભદ્રવર્ગ છે. અહેવાલમાં આવું કે આ પ્રકારનું નિરીક્ષણ શ્રીમંત દેશો વિષે કરવામાં આવ્યું નથી, ચીન જેવા પોતાની શરતે અને પોતાના હિતમાં દાદાગીરી કરીને લાભ ઝૂંટવી જનારા દેશ માટે કરવામાં આવ્યું નથી; આવું નિરીક્ષણ ભારત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલ વિષે કરવામાં આવ્યું છે. નિરીક્ષણ લગભગ એક સરખું છે, વાક્યપ્રયોગ અલગ અલગ છે. ભારત, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા.

આ ત્રણેય દેશો આર્થિકવિશ્વના રંગમંચ ઉપર વીંગમાં છે. આ ત્રણેય એટલા મહત્ત્વના વિકાસશીલ દેશો છે કે તેણે મંચ પર આવીને વીંગમાં જગ્યા તો મેળવી લીધી છે, પણ હજુ રંગમંચ પર આવવાનું બાકી છે. આ ત્રણેય દેશો નવા રચાયેલા બ્રિક્સ નામના બ્લોકના સભ્ય છે. બ્રિકસમાં આ ત્રણ દેશો ઉપરાંત ચીન અને રશિયાનો પણ સમાવેશ થાય છે. આ પાંચ દેશો વિશ્વની ૪૨ ટકા વસ્તી ધરાવે છે, વિશ્વના જી.ડી.પી.માં ૨૩ ટકાનો હિસ્સો ધરાવે છે, વિશ્વની ભૂમિમાં ૩૦ ટકાનો અને વિશ્વવ્યાપારમાં ૧૮ ટકાનો હિસ્સો ધરાવે છે. આમ આ પાંચ દેશો કામના છે, તેની ઉપેક્ષા થઈ શકે એમ નથી, પરંતુ ઉક્ત નિરીક્ષણ ભારત, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકા માટે કરવામાં આવ્યું છે અને એમાં પણ ભારત માટે અસંદિગ્ધપણે સોંસરવું છે.

શા માટે? પણ એ પહેલાં અહેવાલમાં ભારતની ગરીબી અને અસમાનતા વિષે શું કહેવાયું છે એ જોઈ લઈએ. અહેવાલ મુજબ ભારતની કુલ વસ્તીના માત્ર એક ટકો લોકો ૨૦૨૧ની સાલમાં ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં ૨૨ ટકાનો હિસ્સો ધરાવે છે. આવકનો પાંચમો ભાગ સોમાંથી ખાલી એક જણનો. એ પછીના દસ ટકા શ્રીમંત લોકો કુલ રાષ્ટ્રીય આવકમાં ૫૭ ટકાનો હિસ્સો ધરાવે છે. આનો અર્થ એ થયો કે જો સો જણનો પરિવાર હોય તો ૧૧ જણ કુલ રાષ્ટ્રીય આવકમાંથી ૭૯ રૂપિયા લઈ જાય છે. સોમાંથી પચાસ જણે માત્ર ૧૩ રૂપિયામાં ગુજરાન ચલાવવાનું. રાષ્ટ્રીય આવકમાં અસમાનતાનું પ્રમાણ એક રૂપિયા સામે બાવીસ રૂપિયાનું છે. એટલે કે એક ટકો અતિ-શ્રીમંતના ખિસ્સામાં બાવીસ રૂપિયા જાય છે અને પચાસ ટકા ગરીબને માત્ર એક રૂપિયો મળે છે. સાઉથ આફ્રિકા અને બ્રાઝીલમાં માથાદીઠ આવકમાં અસમાનતાનું પ્રમાણ અનુક્રમે ૬૩ અને ૨૯નું છે. અમેરિકામાં આનું પ્રમાણ એક સામે ૧૭નું છે.

અહેવાલમાં ચોંકાવનારી વિગત સંપત્તિ (વેલ્થ) વિશેની છે. ભારતમાં સરેરાશ પરિવારદીઠ સંપત્તી ૯,૮૩,૦૧૦ રૂપિયા છે. આમાંથી મધ્યમવર્ગની પરિવારદીઠ સંપત્તિ માત્ર ૭,૨૩,૯૩૦ રૂપિયા છે. દસ ટકા શ્રીમંત લોકો પરિવારદીઠ સંપત્તિ ૬૩,૫૪,૦૭૦ રૂપિયાની ધરાવે છે અને એક ટકો અતિ-શ્રીમંત વર્ગ પરિવારદીઠ ૩,૨૪,૪૯,૩૬૦ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આ કુલ રાષ્ટ્રીય સંપત્તિની પરિવારદીઠ રાષ્ટ્રીય વહેંચણીની સરેરાશ છે. પચાસ ટકા ગરીબો પાસે કાંઈ જ નથી અને વિશ્વ અસમાનતા અહેવાલ મુજબ સંપત્તિની દૃષ્ટિએ ભારતમાં મધ્યમવર્ગ લગભગ નિર્ધન છે. ફરી એકવાર વાંચો : ભારતમાં મધ્યમવર્ગ સંપત્તિની દૃષ્ટિએ લગભગ નિર્ધન છે. આ શબ્દો મારા નથી, અહેવાલમાં આ જ વાક્યપ્રયોગ છે.

હવે શા માટેની વાત. શા માટે આવકની બાબતે દેશના પચાસ ટકા ગરીબો સાવ કંગાળ છે? શા માટે સંપત્તિની દૃષ્ટિએ મધ્યમવર્ગ નિર્ધન છે? એ કદાચ ગરીબની તુલનામાં ઓછા સંઘર્ષે પેટ ભરતો હશે, પણ સંપત્તિ એકઠી નથી કરી શકતો. શા માટે દેશમાં આટલી બધી અસમાનતા છે? શા માટે અસમાનતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે? શા માટે દરેક પ્રશ્ને બોલકો મધ્યમવર્ગ સંપત્તિની દૃષ્ટિએ ક્રમશ: નિર્ધન થઈ રહ્યો હોવા છતાં એ બાબતે ચૂપ છે? શા માટે વિશ્વ અસમાનતા અહેવાલમાં આંખે વળગે એમ કહ્યું છે કે ગરીબી અને અતિશય અસમાનતા ધરાવતા દેશમાં ઓછું હતું તે ઉપરથી સમૃદ્ધ ભદ્રવર્ગ છે? આના દ્વારા અહેવાલ તૈયાર કરનારાઓ શું કહેવા માગે છે? અહેવાલ તૈયાર કરનારાઓ થોમસ પીકેટી જેવા વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ છે.

ગરીબ તો આપણે હતા જ. સંસ્થાનવાદી શોષણના પરિણામે કારમી ગરીબી આપણને આઝાદી ટાણે વારસામાં મળી હતી. એનાથી ભાગી શકાય એમ નહોતું, પણ જો સંકલ્પ બળવાન હોય તો તેને દૂર કરી શકાય એમ હતી. આવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. આઝાદી પછીના પહેલા ત્રણ-સાડા ત્રણ દાયકા દરમ્યાન રાષ્ટ્રીય ચર્ચાનો વિષય ગરીબી-નિર્મૂલનનો જ હતો. આપણે આવા અને બીજા તેવા એવી હલકી ચર્ચાની બિમારી આજના યુગની છે. એ સમયે કેટલાક લોકો ગરીબી-નિર્મૂલન અને આર્થિક સમાનતા માટેના ઈલાજરૂપે કહેતા હતા કે સરકારે અર્થતંત્રનો કબજો લેવો જોઈએ. કેટલાક લોકો કહેતા હતા કે સરકારે અર્થતંત્ર હાથમાં ન લેવું જોઈએ, પરંતુ જરૂરી નિયંત્રણ લાદવા જોઈએ. કેટલાક લોકો કહેતા હતા કે સરકાર અને ખાનગી ઉદ્યોગગૃહો વચ્ચે સમુચ્ચય ભાગીદારી બનવી જોઈએ. કેટલાક લોકો કહેતા હતા કે સરકારે ઓછામાં ઓછા, માત્ર જરૂરી હોય એટલા જ અંકુશો લાદવા જોઈએ અને ખાનગી મૂડી અને ખાનગી સાહસિકોને પ્રોત્સાહન આપવું જોઈએ. કેટલાક લોકો કહેતા હતા કે સરકારનો શૂન્ય હસ્તક્ષેપ હોવો જોઈએ. સરકાર ક્યારે ય સંપત્તિનું સર્જન ન કરી શકે. રહી વાત વહેંચણીની તો એ તો આપોઆપ થતી રહેશે. પૈસો પાણી જેવો પ્રવાહી હોય છે અને તેમાં પાળ બાંધી શકાતી નથી.

દાયકાઓ સુધી ચર્ચાનો વિષય હિંદુ-મુસલમાન નહોતો; પણ ગરીબી-નિર્મૂલન, આર્થિક-સામાજિક સમાનતા અને તેમાં સરકારની ભૂમિકાનો હતો. તો પછી આજ જેવી સ્થિતિ પેદા કેમ થઈ જેમાં આવો ચોંકાવનારો અને નોંધ લેવી પડે એવો અહેવાલ પ્રકાશિત થાય અને દેશનાં અખબારો માટે પહેલાં પાનાનો અને ટી.વી. ચેનલો ઉપર પ્રાઈમ-ટાઈમમાં ચર્ચાનો વિષય ન બને? જે લોકો હિંદુ-મુસલમાનના નામે થનગને છે એ લોકો સંપત્તિની દૃષ્ટિએ લગભગ નિર્ધન અવસ્થામાં છે એવું કહેવામાં આવ્યું હોવા છતાં પોતાનાં ભવિષ્ય વિષે ઉદાસીન છે. શા માટે?

આનો ઉત્તર ભારતની બાબતે અહેવાલમાં આપવામાં આવ્યો છે. ગરીબી અને અસમાનતાનું સંકટ હજુ ઓછું હતું એમ ભારતમાં સમૃદ્ધ ભદ્રવર્ગ અસ્તિત્વ ધરાવે છે. આ વર્ગ પ્રચંડ માત્રામાં આર્થિક તાકાત તો ઠીક, પણ બીજાં દરેક પ્રકારનાં ઐશ્વર્ય ધરાવે છે. આર્થિક તાકાત દ્વારા તેઓ શાસકોને પોતાના કબજામાં રાખે છે અને વિવિધ ઐશ્વર્યો દ્વારા તેઓ બોલકા મધ્યમવર્ગને કબજામાં રાખે છે. આપણે મહાન, આપણો દેશ મહાન, આપણો વારસો મહાન, આપણો ઇતિહાસ મહાન, આપણા ઇતિહાસ-પુરુષ મહાન અને બીજા હલકાનો નશો પ્રજાનો લૂંટ તરફ નજર ન જાય એ માટેનો છે.

આમાં ભારત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલ અગ્રક્રમે છે; કારણ કે આ ત્રણ દેશો પાસે વિપુલ માત્રામાં કુદરતી સંપત્તિ છે, વિશાલ વસ્તી હોવાને કારણે બહોળી સંખ્યામાં ઉપભોક્તા છે, માર્કેટ છે, પ્રચૂર માત્રામાં ભ્રષ્ટાચાર છે એટલે ગમે તેને ખરીદી શકાય છે, ન્યાયવ્યવસ્થા અને કાયદાનું રાજ લકવાગ્રસ્ત છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર શ્રીમંત વિકસિત દેશો જેવું નથી તો પણ ઠીકઠીક પ્રમાણમાં છે માટે આ દેશ કામના છે. વિકસિત દેશો આ ત્રણ દેશોને વીંગમાં ઊભા રાખે છે, પણ રંગમંચ પર પ્રવેશ નથી આપતા. તેને સતત કહેવામાં આવે છે કે એક દિવસ આ મંચ તમારો થવાનો છે, પણ એ દિવસ ક્યારે ય આવતો જ નથી.

શા માટે? કારણ કે અંદરથી ફોલી ખાનારાઓએ રાજ્ય ઉપર કબજો જમાવ્યો છે રાજ્યની મદદ સાથે પ્રજાને નશામાં રાખવામાં આવે છે. આખરે સત્તાધીશો પણ તેને જ પૈસે ખુરશી સુધી પહોંચે છે અને એમાં ટકી શકે છે. જ્યાં સુધી આ સ્થિતિ બદલાશે નહીં ત્યાં સુધી ભારત વીંગમાં જ ઊભું રહેવાનું છે અર્થશાસ્ત્રીઓ કહેશે કે ઓછામાં પૂરું સમૃદ્ધ ભદ્રવર્ગ ભારતને હનુમાન કૂદકો મારતા રોકે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6601,6611,6621,663...1,6701,6801,690...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved