Opinion Magazine
Number of visits: 9674290
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીંધાતી વાંસળી ..

દેવીકા ધ્રુવ|Opinion - Opinion|25 January 2022

કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!


બોર મીઠાં ચૂંટવાને શબરીની આંગળી, કાંટે તો કેવી ટીચાઈ હશે!



વેદના, સંવેદના, વ્યથા ને ચિંતા,
આફત,અડચણ તકલીફ ને પીડા,
લાગણીની સઘળી આ ફૂંક ને ચૂંક

રૂપાળા વિશ્વમાં વિષમતા આવી, સર્વત્ર શાને લીંપાઈ હશે ?!!!


કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર એ વીંધાઈ હશે!


પથરો, કોલસો, હીરો કે કાંકરો
તાંબું, સોનું, રૂપું કે રત્નો
ઘસાય, તપાય, કેવાં તે કષ્ટો,

અત્તર થઈ મહેકવા, જાતને જાળવતી પાંદડી પણ કેટલી પીસાઈ હશે!


કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!

e.mail : ddhruva1948@yahoo.com

Loading

કદી સાંભળી-વાંચી છે આ વિવેકાનંદવાણી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 January 2022

માત્ર ઓગણચાળીસ વરસની આવરદા ધરાવતા સ્વામી વિવેકાનંદ(૧૮૬૩-૧૯૦૨)ના જન્મને લગભગ એકસો સાઠ અને દેહવિલયને એકસો વીસ વરસો થયાં, છતાં તેઓના ઘણા વિચારો આજે ય પ્રસ્તુત છે. ત્રીસ વરસની ઉંમરે અમેરિકાના શિકાગોમાં યોજાયેલા વિશ્વ ધર્મ સંમેલનમાં આપેલા વ્યાખ્યાનથી તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. વિવેકાનંદની ઓળખ એક એવા ભારતીય આધ્યાત્મિક ગુરુની રહી છે, જેમણે દુનિયાને વેદાંત અને હિંદુ દર્શનનો પરિચય કરાવ્યો હતો. જો કે રાજકીય હિંદુત્વને વરેલા દેશના જમણેરી બળો તેમની પસંદગીના વિવેકાનંદને રજૂ કરીને પ્રખર સામાજિક ચેતના ધરાવતા સમાજવિજ્ઞાની સન્યાસી વિવેકાનંદને ઢાંકી રાખે છે.

વિવેકાનંદ દેશદેશાવરના યુવાનોના ઓલટાઈમ ફેવરિટ હીરો છે. યુવાનોને તેમણે કરેલું આહ્વાન ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ પોપટપાઠની જેમ રટવામાં આવે છે, પણ વિવેકાનંદે યુવાનોને ક્યા ધ્યેય માટે મંડ્યા રહેવાનું કહ્યું હતું તે સગવડપૂર્વક ભૂલાવી દેવાયું છે. અનેક મહાપુરુષોની એ નિયતિ રહી છે કે તેમનાં પૂતળાં પૂજાય છે, પણ તેમનાં પુસ્તકો વંચાતાં નથી ! વિવેકાનંદનાં વ્યાખ્યાનો, વિમર્શ અને લેખન નવ ખંડોમાં પ્રકાશિત થયા છે. ઉપરાંત લઘુ પુસ્તિકાઓના રૂપમાં પણ વિવેકાનંદના વિચારો ઉપલબ્ધ છે. ગુજરાતી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં તેમની ’કાસ્ટ, કલ્ચર અને સોશ્યાલિઝમ’ પુસ્તિકા પ્રકાશિત છે. તેમાં વ્યક્ત વિચારોથી જમણેરી વિચારપરંપરાના પૂર્વજ તરીકે ચિતરાયેલા કરતાં જુદા વિવેકાનંદ આપણી સમક્ષ ખડા થાય છે.

હિંદુ ધર્મની ખૂબીઓ અને ખામીઓથી વિવેકાનંદ બરાબર પરિચિત હતા અને તેને દુનિયા સમક્ષ રજૂ પણ કરતા હતા. પાખંડ અને કર્મકાંડ વિરોધી હિંદુત્વમાં તેઓ માનતા હતા. જન્મ નહીં પણ કર્મ આધારિત વર્ણવ્યવસ્થાના તેઓ સમર્થક હતા .જ્ઞાતિપ્રથાના વિરોધી નહોતા, પણ તેના દૂષણો પર નિર્મમતાથી પ્રહારો કરતા હતા. ‘હું એ ઈશ્વરનો ઉપાસક છું જેને અજ્ઞાની લોકો મનુષ્ય કહે છે’, એમ કહેનાર આ મહાપુરુષ પુરોહિતવાદના પ્રખર વિરોધી હતા.

કુલીન બંગાળી કાયસ્થ પરિવારના આ યુવાને માંડ ચોવીસ વરસની વયે સંન્યસ્ત ગ્રહ્યો ત્યારે સમાજસુધારાને વરેલા એક બંગ સામયિકમાં શૂદ્રને સન્યાસી થવાનો અધિકાર ન હોવાનું લખવામાં આવ્યું હતું. ‘જ્ઞાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ’માં તેનો જવાબ આપતાં વિવેકાનંદે પોતાને શૂદ્ર કહ્યા તેથી જરા ય માઠું નહીં લાગ્યાનું જણાવીને તેમની આવી ઓળખને, ‘તેમના પૂર્વજોએ ગરીબો પર આચરેલા જુલમનું આંશિક પ્રાયશ્ચિત’ ગણાવી હતી. શૂદ્ર જ નહીં પોતે જો જ્ઞાતિવ્યવસ્થાના તળિયે મનાતા સફાઈ કામદાર હોત તો વધુ રાજી થાત એમ જણાવીને તેમણે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો એક પ્રસંગ ટાંક્યો છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ રામકૃષ્ણ પરમહંસ સફાઈ કામદારના ઘરે સફાઈ કરવા તૈયાર થયા હતા. સફાઈ કામદાર તે માટે રાજી નહોતો એટલે પરમહંસ અડધી રાત્રે ઊઠીને સફાઈ કામદારના ભાગની મળ સફાઈ કરી આવ્યા હતા. આ પ્રસંગના અંતે સ્વામીજી લખે છે, ‘આચરણની કિંમત સિદ્ધાંતોના મણના મણ કરતાં વધુ છે.’ અહીં આપણને ગાંધીજીની માફક સમાજના આઘામાં આઘા અને પાછામાં પાછામાં પોતાની ગણતરી થાય તેની અને અધોળ આચરણની ખેવના રાખતા વિવેકાનંદના દર્શન થાય છે.

જ્ઞાતિપ્રથાને તેમણે ‘વેદાંત ધર્મની વિરોધી’ અને ‘ભારતની રાજકીય સંસ્થાઓના બહાર નીકળેલા ફણગા’ જેવી ગણાવીને આ બાબતે પ્રવર્તતા પાખંડ અંગે લખ્યું છે કે, ‘ચોર, દારૂડિયા અને ગુનેગારો આપણા જ્ઞાતિબંધુ હોઈ શકે છે. પરંતુ જો એક ભલો અને ખાનદાન માણસ પોતાના કરતાં કથિત હલકી જ્ઞાતિની પણ પોતાના જેટલી જ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે ભોજન લે તો તેને હંમેશને માટે જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે’. આ સ્થિતિમાં જ્ઞાતિ તૂટે ખરી? વિવેકાનંદનો જવાબ છે કે, ‘કોઈ પણ પ્રકારના ઉપદેશ કરતાં યુરોપ સાથેના વેપારની સ્પર્ધાએ જ્ઞાતિપ્રથાને વધારે તોડી છે.’

રાજનીતિથી વિરક્ત રહેલા વિવેકાનંદ તત્કાલીન સમાજના સવાલોથી જરા ય આઘા રહ્યા નહોતા. એટલે એ જ્યારે લખે કે, ‘ખેડે એક જણ, રક્ષણ કરે બીજો, એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય ત્રીજો અને ખરીદે ચોથો. આમાં ખેડનારાના ભાગે લગભગ કાંઈ જ ન રહેતું. રક્ષણ કરનારો રાજા અને માલ પહોંચાડનાર વેપારી કાંઈ જ પેદા ન કરવા છતાં વધુમાં વધુ અને સારામાં સારો હિસ્સો પડાવી જતા અને કિસાનની કાળી મજૂરીનાં ફળ ખાઈ જઈને તાજામાજા થઈ જતા’. ત્યારે તેમાં હાલમાં સમાપ્ત થયેલા કિસાન આંદોલનનું દર્દ દેખાય છે.

ધર્મ પરિવર્તન વિરોધી કાયદા અને ધર્માંતરિતોની ઘરવાપસીના વર્તમાન માહોલમાં વિવેકાનંદના વિચારો આજે આકરા લાગે તેવા છે. તેઓ કહે છે, ‘એમ વિચારવું એ નર્યું ગાંડપણ છે કે તલવાર અને જોર જુલમથી હિંદુઓને ઈસ્લામ કબૂલાવ્યો છે. સત્ય તો એ છે કે જે લોકોએ ઈસ્લામ અપનાવ્યો તેઓ વાસ્તવમા જમીનદારો અને પુરોહિતોની ગુલામીમાંથી મુક્ત થવા માંગતા હતા. ભારતમાં મુસ્લિમ વિજયે શોષિત, દમિત અને ગરીબ લોકોને આઝાદીનો અહેસાસ કરાવ્યો હતો. એટલે દેશની વસ્તીનો પાંચમો ભાગ ધર્મ બદલીને મુસલમાન થઈ ગયો હતો.’

દેશભક્તિની આજકાલ બહુ દુહાઈ દેવાય છે અને તે જ જાણે કે ભારતીય નાગરિકની કસોટી બની રહી છે. પણ વિવેકાનંદને મન દેશભક્તિ એટલે ‘હ્રદયની ભાવના’. તેઓ આપણને સવાલ કરે છે કે ‘એ જોઈને તમારા હ્રદયમાં ક્યો ભાવ જન્મે છે કે ન જાણે કેટલા સમયથી દેવો અને ઋષિઓના વંશજો પશુઓ જેવું જીવન કેમ જીવે છે? દેશ પર છવાયેલા અજ્ઞાનનો અંધકાર ખરેખર તમને બેચેન કરે છે?’ અને વાતનો બંધ વાળતાં કહે છે : ‘આવી બેચેની જ તમારી દેશભક્તિનું પ્રથમ અને ખરું પ્રમાણ છે.’

માનવસેવા, પ્રેમ અને કરુણાને વરેલા હિંદુ ધર્મના વિવેકાનંદ ઉપાસક હતા. પાડોશી ભૂખે મરતો હોય ત્યારે મંદિરોમાં ચઢાવાતા ભોગને તે પુણ્ય નહીં પાપ ગણતા હતા. મનુષ્ય શરીરે દુર્બળ અને ક્ષીણ હોય તો હવનમાં હોમાતા ઘીને તેઓ અમાનવીય લેખતા હતા. મંદિરોમાં વિરાજમાન દેવીદેવતાઓની પ્રતિમાઓના સ્થાને દેશના ૩૩ કરોડ ભૂખ્યા, દરિદ્ર અને કુપોષિતોને સ્થાપવાની વાત કરનાર વિવેકાનંદ ખરા સમાજવાદી હતા. સ્વપ્નદૃષ્ટા અને આર્ષદૃષ્ટા વિવેકાનંદના દિલોદિમાગમાં પોતાનાં સપનાંના ભારતની સ્પષ્ટ રૂપરેખા હતી. તેમણે લખ્યું છે, ‘અરાજકતા અને કલહ વચ્ચે મારા મનમાં સંપૂર્ણ સાબૂત ભારતની એક એવી તસવીર ઉભરે છે જે શાનદાર અને અદ્વિતીય છે. તેમાં વૈદિક દિમાગ અને ઈસ્લામિક શરીર હશે.’ અહીં વિવેકાનંદને મન ઈસ્લામિક શરીર અર્થાત્‌ ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિમુક્ત સમાજ હશે?

વિવેકાનંદની આ વિરલ વાણી દેશના અબાલવૃદ્ધ સૌએ ન માત્ર વાંચવા-સાંભળવા જેવી, કાળજે ધરવા જેવી છે.

(તા.૧૨.૦૧.૨૦૨૨)

e.mail : maheriyachandu@gmail.com

Loading

અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|24 January 2022

ગુજરાતી સાહિત્ય પરિષદ રણજિતરામ વાવાભાઈએ 1905માં સ્થાપી. એ વાતને 116 વર્ષ થયાં. ત્યારે સંસ્થાનું પોતાનું મકાન ન હતું, આજે નદી કિનારે તેનું પોતીકું મકાન છે. ગોવર્ધનરામથી ગાંધીજી, મુનશીથી ઉમાશંકર અને રઘુવીરથી સિતાંશુ સુધીના અનેક સર્જકો, તેનું પ્રમુખપદ શોભાવી ચૂક્યા છે ને હાલ પ્રકાશ ન. શાહ તેના પ્રમુખ છે. બીજી તરફ 1981માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ ને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવી ભાષાના સંવર્ધનનું કામ કરતી થઈ. દર્શક, ભોળાભાઈ પટેલ જેવા અકાદમીના પ્રમુખ રહી ચૂક્યા હતા, એટલું જ નહીં, તેઓ પરિષદના પ્રમુખ તરીકે પણ કાર્યભાર સંભાળી ચૂક્યા હતા. એ પરથી ખ્યાલ આવશે કે પરિષદ અને અકાદમી સાથે મળીને ગુજરાતી ભાષા માટે કામ કરી રહી હતી. પછી કૈંક એવું થયું કે આ બંને સાહિત્યિક સંસ્થાઓ વચ્ચે ખટરાગ ઊભો થયો.

અકાદમીની, વિકિપીડિયામાં એવી નોંધ છે કે અકાદમી સ્વાયત્ત સંસ્થા છે, જે તેનાં બંધારણ અનુસાર સામાન્ય સભાના 41 સભ્યોની મતદાન પ્રક્રિયા દ્વારા પોતાનો અધ્યક્ષ ચૂંટી શકે છે, પણ 2003થી 2015 દરમિયાન ચૂંટણી પ્રક્રિયા સરકાર દ્વારા થવી જોઈતી હતી તે ન થઈ, એટલે અકાદમીનું અધ્યક્ષનું પદ ખાલી રહ્યું. બાર વર્ષ અકાદમી અધ્યક્ષ વગર ચાલી. એ દરમિયાન પરિષદ પોતાની રીતે કામ કરતી રહી, પણ અકાદમીની સ્વાયત્તતા અંગે તે ચિંતિત ઓછી જ રહી. આ પરિષદ પ્રમુખને આભારી હતું. કોઈ પ્રમુખની અકાદમી તરફ નજર જતી તો સ્વાયત્તતાની યાદ આવતી ને નહીં તો વાત વિસારે પણ પડતી. આ ગાળામાં અકાદમીનો કારભાર પ્રભારી મહામાત્ર તેમ જ મંત્રાલય દ્વારા ચાલતો હતો, પણ એપ્રિલ 2015માં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા વગર જ નિવૃત્ત સનદી અધિકારી તથા લેખક ભાગ્યેશ ઝાને અકાદમીના અધ્યક્ષ તરીકે મૂકી દેવામાં આવ્યા. આ ખોટું થયું. જો વિધાનસભાની, કોર્પોરેશનની, પંચાયતની ચૂંટણી લોકશાહીમાં અનિવાર્ય હોય, અરે, ખાનગી સંસ્થાઓના પ્રમુખ-મંત્રીઓ પણ ચૂંટાઈને આવતા હોય તો, સરકાર અકાદમીનો પ્રમુખ ઉપરથી ઠોકી બેસાડે તે તો ચાલે જ કેમ? આ વાતે ગુજરાતી સાહિત્ય પરિષદને વાંધો પડ્યો. પરિષદ અને બીજા લેખકો વડે આંદોલન ચલાવવામાં આવ્યું. અકાદમીની પ્રવૃત્તિઓનો બહિષ્કાર કરાયો. કેટલાક લેખકોએ અકાદમીના પુરસ્કાર પરત કર્યા, ધીરુ પરીખ અને અન્ય લેખકોએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી, પણ સરકારનું રૂંવાડું ફરક્યું નહીં ને ઝાનો કાર્યકાળ પૂરો થતાં નવા પ્રમુખ વિષ્ણુ પંડયા ધરાર મૂકાયા. અત્યારે 2022 ચાલે છે, પણ અકાદમીના પ્રમુખ 2003થી નથી એ બાબતનું ધ્યાન નારાયણ દેસાઇએ 2007ની આસપાસ, ગાંધીનગર અધિવેશનમાં, પરિષદના અધ્યક્ષ તરીકે ખેંચ્યું હતું. એ પછી ભગવતીકુમાર શર્મા પરિષદના અધ્યક્ષ થયા ને એમના કાર્યકાળ દરમિયાન ભગવતીભાઈ, રઘુવીર ચૌધરી, વિનોદ ભટ્ટ, રવીન્દ્ર પારેખ, જનક નાયક તે વખતના મુખ્ય મંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે રૂબરૂ મળ્યા. તેમણે આશ્વાસન આપ્યું, પણ પરિણામ આવ્યું નહીં. પરિષદનું અધિવેશન ગાંધીનગરમાં યોજાયું ત્યારે મોદી મુખ્ય મંત્રી હતા ને એમને એ વાતે ઓછું આવ્યું હતું કે મુખ્ય મંત્રી તરીકે તો ઠીક, સામાન્ય નાગરિક તરીકે પણ નિમંત્રણ આપવાનો પરિષદે વિવેક દાખવ્યો ન હતો. પરિષદ તેનાં કાર્યક્રમમાં રાજકારણીઓને મંચ આપતી નથી, એ તેની પરંપરા છે, પણ મોદી, મુખ્ય મંત્રી જ ન હતા, કવિ પણ હતા, એટલે આમંત્રણ આપ્યું હોત તો પરિષદ ઝાંખી પડી ન હોત, પણ, આ વાત પરિષદ ભૂલી ગઈ અને મોદીને યાદ રહી એટલે મુખ્ય મંત્રી રહ્યા ત્યાં સુધી તો અકાદમી સ્વાયત્ત ન થાય એ નક્કી હતું. એ પછીના મુખ્ય મંત્રીઓ પણ પરિષદના વ્યવહારથી રાજી ન હતા ને નથી, છતાં અકાદમીની સવાયત્તતા માટે ધીરુ પરીખ, ચંદ્રકાંત ટોપીવાળા, નિરંજન ભગત, સિતાંશુ મહેતા, પ્રકાશ ન. શાહ જેવા પ્રમુખોએ ભરસક પ્રયત્નો કર્યાં, પણ આજ સુધી અકાદમીની સ્વાયત્તતાનું કોકડું ઉકેલાયું નથી.

અકાદમીની સ્વાયત્તતા માટે હાલના પ્રમુખ પ્રકાશ ન. શાહના પ્રયત્નથી અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયા સાથે એક બેઠક થઈ જેમાં અકાદમીના અધ્યક્ષનો સૂર સ્વાયત્તતા સંદર્ભે એવો હતો કે પરિષદ તરફથી થતાં વિધાનોથી સરકાર નારાજ છે. પરિષદ એ બધું બંધ કરે તો અકાદમી અધ્યક્ષ, મુખ્ય મંત્રીની મુલાકાત માટે સરકારને મનાવી શકે. એ બેઠક પરિષદ માટે હાથકાંડા કાપી આપવા જેવી જ પુરવાર થઈ હોત, પણ તેવું શરતી સમાધાન વાજબી રીતે જ પરિષદને મંજૂર ન હતું. એટલે પ્રશ્ન તો હતો ત્યાં જ છે. એટલું છે કે પરિષદના સ્વાયત્તતાને મુદ્દે થયેલા પ્રયત્નોથી અકાદમીને તો બહુ અસર નથી થઈ, પણ પરિષદે પોતાને ઘણી હાનિ પહોંચાડી છે. અકાદમીનો વિરોધ કરવા જે રીતો અપનાવાઈ તે બૂમરેંગ સાબિત થઈ છે. અકાદમીનો તો કાંગરો ય નથી ખર્યો, પણ પરિષદમાં મતભેદો વધ્યા ને તેની શાંતિ ડહોળાઈ. અકાદમીના અસહકાર માટે તેનાં દ્વારા યોજાતા કાર્યક્રમોનો બહિષ્કાર, તેનાં દ્વારા અપાતા પુરસ્કારોનો અસ્વીકાર, તેનાં મુખપત્રનો નકાર જેવા ઘણા વિરોધ પરિષદે કર્યા, પણ અકાદમીને તેથી કોઈ ફેર પડ્યો નહીં, હા, પરિષદનું વાતાવરણ જરૂર ડહોળાયું.

પરિષદના હોદ્દેદારો ને સભ્યો પરિષદના પગારદાર નોકરો નથી, તેમાંના ઘણાં સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે ને એ સંસ્થાઓમાંની ઘણી સંસ્થાઓ અકાદમીની સહાયથી સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવતી આવી છે. હવે એ સંસ્થાના સભ્યો પરિષદ સાથે સંકળાયા હોય ને પરિષદ અકાદમીનો બહિષ્કાર કરવાનું નક્કી કરે તો પેલી સંસ્થાઓની ગ્રાન્ટ કે અન્ય મદદ અકાદમી અટકાવે એમ બને ને એ સ્થિતિમાં પેલી સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાએ પોતાનાં કોઈ વાંક વગર દંડાવાનું આવે. વારુ, પરિષદની પોતાની  આર્થિક ક્ષમતા એટલી નહીં જ કે તે પેલી સંસ્થાઓને સહાય કરવાની તૈયારી બતાવી શકે. અરે, અકાદમીની ઘણી મદદ પરિષદે પોતે સ્વીકારી છે. કેટલાં ય જ્ઞાનસત્રો, અધિવેશનોમાં અકાદમીએ મોટી રકમ પરિષદને ફાળવી છે. હવે પરિષદ સાથે સંકળાયેલા એવા સભ્યોની સ્થિતિ ન પરિષદમાં રહી શકે, ન અકાદમીમાં જોડાઈ શકે એવી થઈ. પરિષદે પોતે અનુદાન મેળવ્યું હોય તો સભ્યોને, તે જે સંસ્થામાં હોય તેને અકાદમીનું દાન લેવા તો ના ન પાડી શકે. પરિષદે એ વખતે પોતાનું વલણ બદલવું જોઈતું હતું પણ, તેમ ન થયું. પરિષદના જે સભ્યો અકાદમીના કાર્યક્રમોમાં ગયા કે અકાદમીને તેમણે પોતાને ત્યાં નોતરી તેમને પરિષદ છોડવાનો વારો આવ્યો, કારણ પરિષદનો આગ્રહ રહ્યો કે અકાદમીની સ્વાયત્તતાને મુદ્દે અકાદમીનો ને તેની સહાયનો વિરોધ કરવો. એ જેમને મંજૂર ન હતું, તેમણે પરિષદ છોડવાનો વારો આવ્યો. કેટલાકે પરિષદ સ્વેચ્છાએ છોડી તો કેટલાકને પરાણે પરિષદ છોડાવાઈ. એમાં કેટલાક સારા સર્જકો ને કાર્યકરો પણ હતા.  એને કારણે પરિષદનું તંત્ર ઝાંખું પડ્યું ને પ્રભાવ અકાદમી પર પાડવાનો હતો તેને બદલે પ્રભાવ, પરિષદ પર પડ્યો. પરિષદનાં મક્કમ વલણથી પરિષદમાં મતભેદો વધ્યા.

જાણીતા સર્જક ચિનુ મોદીનાં અવસાન નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠે અન્ય સંસ્થાઓને સાથે લઈને એક જાહેર શોકસભાનું આયોજન કર્યું, તેમાં પરિષદે ન જોડાવાનું નક્કી કર્યું. કેમ? તો કે શોકસભામાં અકાદમીને પણ જોડવામાં આવી છે. આ ઠીક ન હતું. એક વખત અકાદમીએ જ શોકસભાનું આયોજન કેમ ન કર્યું હોય, પરિષદે બધું ભૂલીને શોકસભામાં જોડાઈને મૃત્યુનો મલાજો જાળવવાની જરૂર હતી, જ્યારે આયોજન વિદ્યાપીઠે કર્યું હતું ને બીજી સંસ્થાઓની જેમ પરિષદે એમાં સહજ રીતે જોડાવાનું હતું, પણ એ વિવેક પરિષદ ન દાખવી શકી ને એ મુદ્દે જાહેરમાં ઠીક ઠીક ચર્ચા રહી. આ લખનારે આ વલણમાં સુધારો આવે એ હેતુથી પરિષદની મીટિંગ બોલાવવી પડેલી ને એ વલણમાં સુધારો આવેલો.

પરિષદનું વલણ સામેથી પ્રયત્ન કરીને પ્રશ્ન ઉકેલવાનું ઓછું જ રહ્યું છે. તેની અપેક્ષા એવી છે કે સ્વાયત્તતાને મુદ્દે ચર્ચા માટે સરકાર નિમંત્રણ આપે. ખરેખર તો પરિષદે સરકાર સુધી પહોંચવાનું રહે, સરકારને સમજાવવાની રહે, પણ તેવું ઓછું જ બને છે. સરકાર અહમ્‌ રાખીને ચર્ચા ન કરે તો પરિષદે ચર્ચા માટેનો સમય માંગી સરકાર સાથે મંત્રણા કરવી જોઈએ, પણ તેવું બનતું નથી. સામેથી પ્રયત્ન કર્યા પછી પણ સરકાર ન ગાંઠે તો પરિષદે જાહેરમાં આવીને રાજ્યવ્યાપી આંદોલન ઉપાડવું જોઈએ ને પ્રજાને સાથે લઈને સરકારને અકાદમીની સ્વાયત્તતા માટે ફરજ પાડવી જોઈએ, એને બદલે કોઈ પ્રયત્ન કરે તો તેને અટકાવવામાં આવે છે.

આ લખનારને તે વખતના એક મંત્રી નાનુ વાનાણીનો પરિચય હતો. તેમની સાથે વાત કરીને મુખ્ય મંત્રી સાથેની મુલાકાત ગોઠવી આપવાનું કહ્યું. આ લખનાર અને બીજા ઉપ-પ્રમુખ રાજેન્દ્ર પટેલ એ વાત કરવા ગાંધીનગર નાનુભાઈને મળવા પહોંચ્યા ને મુખ્ય મંત્રી સાથે મુલાકાત ગોઠવી આપવા સંમત કર્યા. આ વાતની ખબર પડી તો તે વખતના પરિષદ પ્રમુખ ચંદ્રકાંત ટોપીવાળાએ રાજેન્દ્ર પટેલને કહ્યું કે આમ મંત્રીને મળવાની જરૂર ન હતી. જરૂર કેમ ન હતી એ આજ સુધી આ લખનારને સમજાયું નથી. સાચી વાત એ છે કે પરિષદ પાસે અકાદમીની સ્વાયત્તતા માટેની કદાચ સ્પષ્ટતાઓ જ ઓછી છે. એને કારણે નથી અકાદમીની સ્વાયત્તતા આવતી કે નથી તો પરિષદના પ્રજાકીય કામોમાં વેગ આવતો. આજે હાલત એ છે કે પરિષદમાં અંદર અંદર મતમતાંતરોનું વાતાવરણ બદલાતું નથી. સંસ્થાની અન્ય શહેરોમાં શાખાઓ ખોલવી, પુસ્તક પ્રકાશન, વ્યાખ્યાનો, ભાષા પ્રચાર-પ્રસાર, લાઇબ્રેરી વિકાસ જેવાં ઘણાં કામો ખોરંભે પડ્યા છે. છ કરોડની ગુજરાતની વસતિ છતાં, પરિષદના સક્રિય આજીવન સભ્યોની સંખ્યા છ હજારની પણ નથી તેનો પરિષદને સંકોચ પણ નથી. અકાદમીનો વિરોધ કરવા આટલી સંખ્યા અપૂરતી છે. અકાદમીની સ્વાયત્તતા લેવા જતાં પરિષદની સ્વાયત્તતા દાવ પર લાગી હોય તેવી સ્થિતિ છે. પરિષદની આર્થિક સ્થિતિ સુધારવા પણ ઘણું કરવાની જરૂર છે. વધુ અનુદાન માટેના પ્રયત્નો કરવાના રહે જ છે. છેલ્લા કેટલા ય સમયથી અકાદમીના એક જ મુદ્દાના કાર્યક્રમ પર પરિષદ અટકી ગઈ છે, એને લીધે પરિષદનો વિકાસ પણ અટક્યો છે. એમાં વેગ આવે એ દિશામાં વિચારાવું જોઈએ. જે ગતિએ અત્યારે કામ ચાલે છે એ પરિષદના ભવિષ્ય સંદર્ભે ચિંતા ઉપજાવનારું છે.

એનો અર્થ એવો નથી કે આ લખનારને અકાદમીની સ્વાયત્તતા અપેક્ષિત નથી. એ 100 ટકા અપેક્ષિત છે.  ઈચ્છીએ કે સરકાર અકાદમીને સ્વાયત્ત કરવાની દિશામાં ગંભીરતાથી વિચારે ને પરિષદ પણ ઘર બાળીને તીરથ કરવાથી બચે ને સાહિત્યિક વિકાસની દિશામાં અગ્રેસર થાય. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6601,6611,6621,663...1,6701,6801,690...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved