Opinion Magazine
Number of visits: 9570815
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાઉદી અરેબિયાએ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો આમાં અકલ્પનીય શું છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|26 December 2021

જગતમાં કલ્પના પણ ન કરી હોય એવી ઘટનાઓ બની રહી છે. સાઉદી અરેબિયાએ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આરોપ એવો છે કે એ સંગઠન ત્રાસવાદી છે અને કબ્રપરસ્ત છે. જે વાચકો ઇસ્લામ વિષે બહુ જાણકારી નહીં ધરાવતા હોય તેમને આ બીજો આરોપ સહેજે નહીં સમજાય. બીજું, આ લેખનું પહેલું જ વાક્ય વાંચીને કોઈના મનમાં સવાલ ઉપસ્થિત થાય કે સાઉદી અરેબિયાએ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો આમાં અકલ્પનીય શું છે?

છે. તમે એક જમાનમાં મુસલમાનોને વિદાય વખતે ‘ખુદા હાફીઝ’ બોલતા સાંભળ્યા હશે. હવે કેટલાક મુસલમાનો ચાહી કરીને ધરાર ‘અલ્લા હાફીઝ’ બોલે છે. તમે એક જમાનામાં મુસ્લિમ સ્ત્રીઓને સાડીમાં જોઈ હશે, હવે મોટાભાગની મુસ્લિમ સ્ત્રીઓ સલવાર પહેરે છે. તમે એક જમાનામાં મુસ્લિમ પુરુષોને તુર્કી ટોપી, ફેંટો, ચોરણી જેવા જે તે પ્રદેશના સ્થાનિક લેબાશમાં જોયા હશે, પણ હવે તમે મોટી સંખ્યામાં મુસલમાનોને ટૂંકો લેંઘો, લાંબો ઝભ્ભો અને ગોળ ટોપીમાં જોતા હશો. એક જમાનામાં તમે મુસલમાનોને પીરની દરગાહ પર માથું ટેકવતા, ચાદર ઓઢાડતા, કવ્વાલી ગાતા સાંભળ્યા છે; પણ આજે હવે તેનો વિરોધ કરનારા મુસલમાનો મોટી સંખ્યામાં જડી આવશે. એક વાર મુંબઈમાં એન્ટોપ હિલ વિસ્તારમાંથી પસાર થતા મેં મારા મુસ્લિમ ટેક્સી ડ્રાઈવરને મીસરીની દરગાહ તરફ આંગળી ચીંધીને પૂછ્યું હતું કે, મિયાં યહાં ઉર્સ (વાર્ષિક મેળો) કબ હોતા હૈ? તેણે જવાબમાં મને કહ્યું હતું કે કિસી ઝાહીલ (અભણ) કો પૂછો. તમે મુસલમાનોને કોઈના મૃત્યુ પછી માતમ મનાવતા, મૃત્યુભોજન જમાડતા, પહેલા ગર્ભાધાન વખતે સીમંત સંસ્કાર કરતાં જોયા હશે, પણ હવે એવું બહુ ઓછું જોવા મળતું હશે.

આ જે પરિવર્તન થયું છે એ તબલીગી જમાતના કારણે. આ પરિવર્તન શા માટે કરવામાં આવ્યું એનો લાંબો ઇતિહાસ છે.

ભારતમાં અઢારમી સદીમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું, સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા, મુસ્લિમ સૂબાઓ રાજ મેળવવા આપસમાં લડવા માંડ્યા, હિંદુ મરાઠાઓનો ઉદય થયો, અંગ્રેજો વેપારીમાંથી શાસકો બનવા માંડ્યા ત્યારે કેટલાક મુસલમાનોના મનમાં પ્રશ્ન થવા લાગ્યો કે મુસલમાનોના પતનનું કારણ શું? બીજો સવાલ અનુક્રમે સ્વાભાવિક હતો એ પતનને રોકી કેમ શકાય અને ગુમાવેલું ઐશ્વર્ય પાછું મેળવી કેમ શકાય?

એ મનોમંથનમાં એક નિદાન આવ્યું કે મુસલમાનોના પતનનું કારણ ભારતના મુસલમાનોને સાચા મુસલમાનો નથી બનાવવામાં આવ્યા એ છે. જે ભારતીય હિંદુઓ ધર્મપરિવર્તન કરીને મુસલમાન બન્યા છે એ હજુ પણ અડધા હિંદુ છે, તેમને પૂરા અને સાચા મુસલમાન બનાવવા જોઈએ. મુસલમાન એક વખત અલ્લાહપરસ્ત સાચો મુસલમાન બની ગયો પછી અલાહનું કલ્યાણ રાજ્ય આપોઆપ આવવાનું, કારણ કે સાચા મુસલમાનની ઔલાદ પણ સાચા મુસલમાનની બનેલી હશે.

બીજું, મુસ્લિમ શાસકો નામ પૂરતા મુસ્લિમ શાસકો છે, તેમનું રાજ્ય ઇસ્લામિક રાજ્ય નથી. તેઓ સત્તા માટે દરેક પ્રકારનાં સમાધાનો કરે છે. એક મુસ્લિમ શાસક બીજા મુસ્લિમ શાસક સામે લડે છે, લડવામાં હિંદુની મદદ લે છે, સૈનિકો અને સેનાપતિઓ હિંદુ હોય છે, દરબારમાં હિંદુઓને મુસ્લિમ દરબારીઓ જેટલું જ અને કેટલીક વાર તો તેનાથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે, દરબારની ભાષા પર્શિયન છે અને પ્રજા સાથેના વહેવારની ભાષા સંસ્કૃત-પર્શિયન-અરેબીક અને દેશી ભાષાઓથી મિશ્રિત હિંદુસ્તાની છે વગેરે. સૌથી વધુ તો ગરીબ નીચલા વરણના હિંદુઓ જે ધર્માંતરિત થઈને મુસલમાન બન્યા છે તેમની તો સાવ ઉપેક્ષા કરવામાં આવે છે. ટૂંકમાં મુસ્લિમ શાસકોનું રાજ સત્તા માટેનું હતું, તેને ઇસ્લામ અને ઉમ્માહ (મુસ્લિમ પ્રજા) સાથે કોઈ સંબંધ નથી. પણ જો મુસ્લિમ પ્રજા સાચી મુસલમાન બની જાય તો મુસ્લિમ શાસકોની મજાલ નથી કે તે ઇસ્લામિક રાજ્યના આદેશોને લાગુ કરતા રોકી શકે.

એ પછી ભારતીય મુસલમાનોને સાચા મુસલમાન બનાવવાનું અને ભારતીય ઇસ્લામની હિંદુપ્રભાવવાળી અલાયદી ઓળખને મીટાવવાનું એક અભિયાન શરૂ થયું. જો પહેલું થાય તો બીજું આપોઆપ થાય. પણ સવાલ એ હતો કે ભારતીય મુસલમાનને સાચો મુસલમાન બનાવવો હોય તો કેવો અને કોના જેવો બનાવવાનો? ઈરાનીઓ જેવો? ના ભારતીય ઇસ્લામ ઘણે અંશે ઈરાની પ્રભાવ ધરાવે છે એ તો સમસ્યા છે. ઈરાનમાં શિયાઓ બહુમતીમાં છે અને શિયાઓ ઈમામમાં માનનારા શિર્ક (કોઈ વ્યક્તિને પૂજીને એ પૂજ્ય વ્યક્તિને ઈશ્વરની બરાબરીનો દરજ્જો આપવાનું પાપ) અને બુતપરસ્ત છે. એ સિવાય તેઓ તેમની ઇસ્લામ પહેલાંની સંસ્કૃતિ અને તેમની પર્શિયન ભાષા માટે ગર્વ અનુભવે છે. ગર્વ માત્ર અને માત્ર મુસ્લિમ હોવાનો લેવાય. મુસ્લિમ હોવાપણામાં જ બધું આવી ગયું. અલ્લાહનિર્દિષ્ટ સાચા યુગનો પ્રારંભ ઇસ્લામના પ્રાદુર્ભાવથી થયો છે અને તેની પહેલાંનું બધું કથીર છે.

આમ ઈરાન અને ઈરાનીઓ ભારતીય ઇસ્લામ અને મુસલમાનો માટે રેફરન્સ પોઈન્ટ કે રોલમોડેલ ન બની શકે. ઊલટું ભારતીય ઇસ્લામને અને મુસલમાનોને ઈરાની પ્રભાવથી મુક્ત કરવા જરૂરી છે. સત્તરમી સદીમાં આની શરૂઆત થઈ. ભારતમાં વહાબી, સલ્ફી, અહલે હદીસ, દેવબંદી એવી એકબીજાની પુરક, પણ કેટલાક મતભેદ ધરાવતી ચળવળ શરૂ થઈ જે એકંદરે મૂળભૂતવાદી હતી. આ ચળવળને પરિણામે ઉપર ગણાવ્યાં એવાં પરિવર્તનો થવાં લાગ્યાં. આ ચળવળને પરિણામે ભારતીય મુસલમાનો ઉપર ઈરાની પ્રભાવ હતો એ ઘટતો ગયો. આ ચળવળને પરિણામે હિંદુ અને ઈરાની પ્રભાવયુક્ત ભારતીય ઇસ્લામનો ચહેરો બદલાવા લાગ્યો અને ભારતીય ઇસ્લામ સાઉદી ઇસ્લામની નજીક જવા લાગ્યો. મૂળભૂતવાદી મુસલમાનો એમ માને છે કે સાચી સભ્યતાની શરૂઆત ઇસ્લામના પ્રાદુર્ભાવ પછી અરબસ્તાનથી થઈ છે, માટે ભારતીય મુસલમાન માટે રેફરન્સ પોઈન્ટ અને રોલમોડેલ સાઉદી અરેબિયા હોવાં જોઈએ. માટે સાચા મુસલમાને ખુદા હાફીઝ નહીં અલ્લા હાફીઝ કહેવું જોઈએ કારણ કે ખુદા શબ્દ પર્શિયન છે અને તે જરથોસ્તી ધર્મનો શબ્દ છે. પારસીઓ આજે પણ ભગવાન માટે ખુદા અને ખુદાવંદ શબ્દ વાપરે છે. કુરાનમાં ભગવાન માટે અલ્લાહ શબ્દ છે એટલે અલ્લા હાફીઝ કહેવાનું.

તબલીગી જમાત આ કામ કરે છે જે દેવબંદી સ્કૂલની સંસ્થા છે. એમ કહેવાય કે આ જમાત ૧૮૦ દેશોમાં સક્રિય છે અને તેના ચારથી પાંચ કરોડ સભ્યો છે. તેનું કોઈ બંધારણ નથી અને કોઈને સભ્ય તરીકે નોંધવામાં આવતા નથી. તબલીગી જમાત ત્રાસવાદી સંગઠન નથી. તબલીગીઓ ધર્માંતરણ પણ કરાવતા નથી. તેમની તો એવી શ્રદ્ધા છે કે એકવાર મુસલમાન સાચો મુસલમાન બની ગયો પછી અલ્લાહનું કલ્યાણરાજ એની મેળે અવતરવાનું. કલ્યાણરાજને  માણસ બનવા સાથે કે માણસાઈ કેળવવા સાથે સંબંધ નથી, મુસ્લિમ હોવાપણા સાથે સંબંધ છે. આજકાલ હિન્દુત્વવાદીઓ પણ માણસ બનવાની અને માણસાઈ કેળવવાની જગ્યાએ સાચા હિંદુ બનીને રામરાજ ધરતી પર ઉતારવા માગે છે. તબલીગીઓ માને છે કે અલ્લાહનું કલ્યાણરાજ જોઇને કાફિર (ગૈર-મુસલમાન) પોતાની મેળે ઇસ્લામનો સ્વીકાર કરશે.

જે જમાત તેનાં લગભગ સો વરસના ઇતિહાસમાં ભારતીય ઇસ્લામ અને ભારતીય મુસલમાનને સાઉદી ચહેરો આપવાનું કામ કર્યું એનાં ઉપર સાઉદી અરેબિયામાં જ પ્રતિબંધ મુકવામાં આવ્યો એ થોડું વિચિત્ર ભાસે છે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2021

Loading

સાંસદોની સભ્યતા અને સસ્પેન્શનઃ ખુરશી ઉછાળવાથી માંડીને નોટોના થોકડા ફેંકવા સુધી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 December 2021

૧૯૮૯માં લોકસભામાંથી ૬૩ સભ્યોને ૩ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા, સાંસદના સસ્પેશનનો કિસ્સો પહેલીવાર ૧૯૬૩માં થયો હોવાની જાણકારી છે

શેક્સપિયરે લખેલું કે આ દુનિયા એક રંગમંચ છે અને બધાં સ્ત્રી પુરુષો માત્ર તેના અભિનેતાઓ!

ઊંડી ફિલસૂફી ધરાવતા આ વાક્યને જરા વધારે જ ડ્રામેટિક રીતે સમજનારા લોકોની આ દુનિયામાં કોઇ ખોટ નથી. એમાં પાછા રાજકારણીઓનું તો શું કહેવું! મન ફાવે ત્યારે વધુ પડતા ડ્રામેટિક થઇ જનારા સાંસદો અને નેતાઓના કિસ્સા ઘણાં છે. તાજેતરમાં થયેલા સંસદના સત્રની શરૂઆત જ તોફાની રહી. એટલો ડ્રામા થયો કે વિરોધ પક્ષના ૧૨ સાંસદોને તેમની ગેરવર્તણૂક બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવાયા. ઘણીવાર ઉપલા કે નીચલા ગૃહના સાંસદો સસ્પેન્ડ નથી થતા કારણ કે વર્તન એટલું બેહૂદું નથી હોતું પણ છતાં ય મનોરંજક બની રહે છે. જેમ કે, હજી ગયા અઠવાડિયે જયા બચ્ચને રાજ્ય સભામાં કોપ ભવનમાં એન્ટ્રી લઇ લીધી. પનામા પેપર્સ અને ઐશ્વર્યાને ઇડી સામે હાજર થવાની વાતનો ઉલ્લેખ થયો અને જયા બચ્ચને સખત ગુસ્સે ભરાઇને વિરોધ પક્ષના નેતાઓને એમ કહ્યું કે, ‘તમારા ખરાબ દિવસો પણ આવશે, તમારે અમને સાંભળવા નથી, બોલવા નથી દેવા તો અમારું ગળું જ દબાવી દો.’ આમાં જયા બચ્ચન જબરજસ્ત ટ્રોલ પણ થયાં. કોઇએ સોશ્યલ મીડિયા પર તેમને કળિયુગના દુર્વાસાનું ટાઇટલ આપી દીધું. જયા બચ્ચન તો આ પહેલાં પણ ગુસ્સે ભરાયાં છે. પણ ગેરવર્તણૂક માટે સાંસદો સસ્પેન્ડ થયા હોવાના કિસ્સાઓ પર નજર કરીએ.

એક સાથે રાજ્ય સભાના ૧૨ સાંસદો સસ્પેન્ડ થવાનો આ પહેલો કિસ્સો છે અને આ સાંસદો ધરણાં પર બેસીને વિરોધ પણ દર્શાવ્યો. આ સાંસદો નિયમ ૨૫૬ની અંતર્ગત ચોમાસું સત્રના છેલ્લા દિવસે તેમણે જે ગેરવર્તન કર્યું હતું તે બદલ અત્યારના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા સાત દાયકામાં ઘણીવાર નિયમ ૨૫૬નો ઉપયોગ કરીને સાંસદોની સાન ઠેકાણે લાવવાનો પ્રયાસ રાજ્ય સભા અથવા તો લોકસભા દ્વારા કરાયો છે. ૨૦૨૦ના ચોમાસું સત્રથી ખેડૂત ધારાને લઇને ગૃહમાં સંઘર્ષ થતો આવ્યો છે. આ સાંસદોએ ખેડૂત ધારાને મામલે અલગ કમિટી નિમી તેમનું વિશ્લેષણ કરવાની માંગ કરી હતી અને નાયબ અધ્યક્ષ સામે કાગળ ફંગોળ્યા હતા. ત્યારે છ જણાને સસ્પેન્ડ કરાયા હતા. આ વર્ષે પેગેસસ હેકિંગ સિસ્ટમ અને ખેડૂત ધારાને લઇને ચર્ચા કરવાની માંગ થઇ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ પેગેસસ અંગે સ્ટેમેન્ટ આપી રહ્યા હતા ત્યારે ટી.એમ.સી.ના સાંસદ શાંતનુ સેને તેમના હાથમાંથી કાગળ ખેંચી લીધા હતા. ઘોંઘાટ અને ઉગ્ર ચર્ચાઓ પછી શાંતનુ સેનને બાકીના સત્રમાંથી ઘર ભેગા કરાયા હતા.

રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈંકેયા નાયડુએ ગયા વર્ષે આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા. આ પગલું ત્યારે લેવાયું જ્યારે ખેડૂત ધારો – જે હાલમાં પાછો ખેંચાયો તેની પર કામ થઇ રહ્યું હતું. હાલમાં સસ્પેન્ડ કરાયેલા ૧૨માંથી કેટલાક આ આઠની યાદીમાં પણ હતા. કાઁગ્રેસના રાજીવ સતવ, રિપુન બોરા, નઝીર હુસેન સાથે ટી.એમ.સી.ના ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન તથા સી.પી.એમ.ના કે.કે. રાગેશ, ઇલામરમ કરીમ ઉપરાંત આપના સંજય સિંઘને સસ્પેન્ડ કરાયા હતા. તેમની ગેર વર્તણૂક બદલ પાર્લિયામેન્ટરી અફેર્સના રાજ્યમંત્રી વી મુરલીધરને તેમની સામે પગલાં લેવા માંગ કરી હતી.

આ પહેલાં જ્યારે ૨૦૧૦માં મહિલા અનામત ધારા પર રાજ્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે ધારાના દસ્તાવેજને ફાડવામાં આવ્યું હતું અને અમુક મંત્રીઓએ બહુ હોબાળો કર્યો હતો.  વિરોધ પક્ષના અમુક સાંસદોને સસ્પેન્ડ કરવાની માંગ તે સમયના પાર્લિયામેન્ટરી અફેર્સ, સ્ટેટના મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે માંગ કરી હતી.

એક સમયે લોક સભામાંથી ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. ૨૦૧૫માં કાઁગ્રેસના સભ્યોએ સંસદના કામમાં અડચણ ખડી કરી અને તેને આડે રસ્તે ચઢાવવાનો પ્રયાસ કર્યો તેમાં આ નિર્ણય લેવાયો. જો કે સસ્પેન્ડ થયેલાઓને ટેકો આપવા માટે કાઁગ્રેસના બાકી સભ્યોએ આ આખી કામગીરીને બૉયકૉટ કરવાનું નક્કી કર્યું હતું. કાઁગ્રેસ પ્રુમખ સોનિયા ગાંધીએ આ દિવસને લોકશાહી માટેનો કાળો દિવસ ગણાવ્યો હતો. લોકસભામાંથી સભ્યો નિયમ ૩૭૪ અંતર્ગત સસ્પેન્ડ કરાયા હતા. ૧૯૮૯માં લોકસભામાંથી ૬૩ સભ્યોને ૩ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. સાંસદના સસ્પેશનનો કિસ્સો પહેલીવાર ૧૯૬૩માં થયો હોવાની જાણકારી છે.

વિરોધો અને દલીલો તો ઠીક પણ ૨૦૦૮માં જ્યારે ભા.જ.પા.ના નેતા વી.કે. મલહોત્રાએ અધ્યક્ષને સંબોધવાનું શરૂ કર્યું ત્યાં તેમના પક્ષના સાંસદોએ હો હો કરતાં આગળ ધસી ગયા. થોડી ક્ષણો તો કોઇને ગેડ ન પડી કે શું થઇ રહ્યું છે. ભા.જ.પા.ના અમુક સાંસદોએ મીડિયા ગેલેરી તરફ ત્રણ આંગળી ઊંચી કરીને કરોડ કરોડની બૂમો પાડી. શું એક સાંસદ માટે ત્રણ કરોડની વાત હતી કે ત્રણ સાંસદ માટે એક કરોડની વાત હતી. વળી આ આખા નાટકમાં સૌથી અગત્યની વસ્તુ હતી આ હોબાળો કરનારા સાંસદોના હાથમાં રહેલી કરન્સી નોટ્સ. કાઁગ્રેસ સાંસદો પણ આ નોટની ગડીઓ જોવા માટે આગળ ધસી ગયા અને પૈસા કોના છે, આ ખસેડો અહીંથી એવી બૂમરાણ થવા માંડી. ભા.જ.પા.ના સાંસદો એમ કહેવા ચાહતા હતા કે આ પૈસા કાઁગ્રેસ તરફથી આવ્યા છે. લોક સભામાં પહેલી વાર આ રીતે ટેબલ પર રોકડાની થોકડીઓ મુકાઇ. આ તદ્દન સાવ રિવર્સ સ્ટિંગ હતું. સો જેટલા સાંસદોની ધક્કા મુક્કી વચ્ચે આરગલ જેવા સાંસદોએ બેગમાંથી ૧૦૦૦ની નોટોની થોકડીઓ બહાર કાઢી હતી. વળી એક નોટનો થોકડો હવામાં ય ફંગોળાયો હતો. આ ધમાલમાં કાઁગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તત્કાલિન વડા પ્રધાન મનમોહન સિંઘ અને વિદેશ મંત્રી પ્રણબ મુખર્જી સ્તબ્ધ થઇને આ હોબાળો જોઇ રહ્યાં હતાં. સ્વાભાવિક છે આ નાટકને પગલે ગૃહ સ્થગિત કરી દેવાયું. આ કિસ્સાની ચર્ચાઓ પણ લાંબી ચાલી અમર સિંઘ, અહેમદ પટેલથી માંડીને ઘણાંના નામો ભા.જ.પા.ના આ નોટનાં થોકડા ફરકાવવાના કાંડમાં ચર્ચાયા.

બાય ધી વેઃ 

આપણા કુશળ રાજકારણીઓ ક્યાં ય પણ કંઇ પણ કરે છે. સ્થાનિક વિધાનસભાઓમાં પણ આવા ધાંધિયા થતા હોય છે. કાઁગ્રેસના સાંસદ લગડાપતિ રાજગોપાલે તેલંગણા તરફી સાંસદો પર ૨૦૧૪માં પેપર સ્પ્રે છાંટ્યુ હતું. ઉત્તર પ્રદેશની સભામાં ખુરશીઓ અને માઇક ફેંકાયા છે તો ઓરિસ્સાની સભામાં પણ ખુરશીઓ ઉછળી છે. એમ.એલ.એ. અબુ આઝમીએ એક એમ.એન.એસ.ના લેજિસ્લેટરને ધોઇ નાખ્યા કારણ કે તેણે હિંદીમાં શપથ લીધી હતી. હાથમાંથી ધારા લખેલી હોય એવા કાગળો ખેંચાઇ જવાનું પણ ઘણીવાર બન્યું છે. સાંસદોએ અમુક રીતભાત પ્રમાણે જ ગૃહમાં વર્તવાનું હોય છે, તેઓ કોઇ બોલતું હોય ત્યારે વચ્ચે ન બોલી શકે અથવા ચાલુ ભાષણએ કોમેન્ટ પાસ ન કરી શકે વગેરે. પણ આ ખુરશી ઉછાળનારા, નોટનાં થોકડા ઉડનારાઓ અને કાગળ ઝપટી લેનારાઓ ભૂલી જતાં હશે એમ લાગે છે. આ કારણે જ સ્પીકરને નવા નિયમ ૩૭૪એ અંતર્ગત ગૃહની કામગીરીમાં દખલ દેનારા એમ.પી.ને ઑટોમેટિકલી ૫ દિવસ માટે સસ્પેન્ડ કરવાની સત્તા મળી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  26 ડિસેમ્બર 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (66)

સુમન શાહ|Opinion - Opinion|26 December 2021

કોરોનાની પાછળ ડેલ્ટા આવ્યો. ડેલ્ટા પાછળ ઓમિક્રોન. પૂર્વના દેશોમાં તેમ જ પશ્ચિમના દેશોમાં પણ કેટલાયે લોકો રેઢિયાળ થઈ ગયા છે, રીઢા. તેઓ આમાંના એકે ય વાયરસથી નથી નથી ડરતા કે નથી ભડકતા. નથી વિચારતા કે વિચારો માટે જહેમત લઈને મથતા.

લાગે કે એમની પાસે મહામારીને કે એથી નીપજતા રોગોને કે અન્યથા વળગેલા રોગોને સહીને હટાવવા માટેની જિગર રહી નથી. મતલબ, દુ:ખને હળવાશથી જીરવી જાણવાની કશી રીત જાણે માણસ પાસે આજે છે જ નહીં. એવું નથી ભાસતું કે માનવજાત વિવેક ગુમાવીને બાઘી કે ડમ્બ થવા માંડી છે?  વેદના કે સંવેદનાને વિશેની એની સૂઝબૂઝ બુઠ્ઠી થવા માંડી છે? એની બુદ્ધિમત્તાનો ક્ષય થવા લાગ્યો છે? જીવનના પ્રશ્નોનો સામનો કરવાની એની કુનેહ કમજોર પડી રહી છે?

લાગે કે એની પાસે એની પોતાની કહી શકાય એવી જીવનસમજ નથી બચી. એવું જોવા નથી મળતું કે એની પાસે કશો સ્વધર્મ છે, કશી આગવી નીતિરીતિ છે. એણે તારવેલું હોય એવું એની પાસે કશું દર્શન – જવા દો એ તો મોટો શબ્દ છે – નાનું અમથું એકેય સત્ય પણ નથી. એણે સાહ્યો હોય એવો જીવન-લગાવ પણ નથી. એટલે, આત્મસત્યને સારુ જાનફેસાની કરવાનો તો પ્રશ્ન જ કેવો ! કશું છે નથી તો શેનું સમર્પણ કરે એ?

આ કે આવી કોઈપણ કટોકટી જનમી હોય ત્યારે મને માનવજાતે સરજેલા કેટલાક મહામનાઓ યાદ આવે છે. તેઓ આત્મબળે જીવ્યા હતા અને જગતને કશોક સંદેશ આપીને મૃત્યને ભેટ્યા હતા :

સૉક્રેટિસનું મૃત્યુ ઍથેન્સવાસીઓએ ફરમાવેલા મૃત્યદણ્ડથી થયેલું. એમને હૅમલોક પીવું પડેલું.

સૉક્રેટિસે 'ડેફિનેશન્સ'-માં, પ્લેટોએ 'ફૉર્મ્સ'-માં તેમ ઍરિસ્ટોટલે 'મૅટર ઍન્ડ ફૉર્મ'-માં જીવનભર પોતાની ચિત્તશક્તિઓ ખરચી હતી.

કામૂનું મૃત્યુ કાર-અકસ્માતથી થયેલું. ફુલ્લ સ્પીડમાં દોડતી કાર ઝાડ સાથે અથડાયેલી. સુવિદિત છે  કે જીવનની અસંગતતા – ઍબ્સર્ડિટી – વિશે એમણે લાક્ષણિક ચિન્તન કરેલું.

ચાબૂકથી ફટકારાતા એક અશ્વની વેદના જોઈને નિત્શે એને બચાવવા દોડી ગયેલા. અશ્વને બાથમાં લઈ રડી પડેલા, અને પાગલ થઈ ગયેલા. હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા. નિત્શેએ 'ઈશ્વરના મૃત્યુ'-ની વાત કરેલી, એમ કે એ મનોભાવના હવે મરી પરવારી છે. અને એટલે, ઈશ્વરને સ્થાને એમણે ઓવરમૅનની – કશા પરમ પુરુષની – શોધ આદરી હતી. જેટલું શોધી શકેલા એટલું એમણે સ્પષ્ટપણે લખ્યું હતું, આલેખ્યું હતું.

જ્ઞાનમાત્ર અનુભવથી રચાય છે એ વાતને આગ્રહથી આગળ કરનારા ફિલસૂફ ડેવિડ હ્યુમને ઍબ્ડોમિનલ કૅન્સર થયેલું. મરણપથારીએ હતા. ડૉક્ટરને કહ્યું : મારા શત્રુઓ ઇચ્છે – જો હોય તો – જલ્દીમાં જલ્દી પતી જઉં; મારા મિત્રો ઇચ્છે તો સરળતાથી ચાલ્યો જઉં. ત્રણ દિવસ પછી હ્યુમનું અવસાન થાય છે. ડૉક્ટરે કહેલું કે હ્યુમના ચહેરા પર કશી ચિન્તા કે નિરાશા ન્હૉતી. બધાં જોડે હેતભરી નરમાશથી વાત કરતા'તા. અને, જેવા એકલા પડતા'તા, મનગમતાં પુસ્તકોમાં ખોવાઈ જતા'તા.

વિશિષ્ટ વિશ્વસાહિત્યકાર હોર્હે લુઇસ બોર્હેસ છેલ્લે તો સમ્પૂર્ણ અન્ધ થઈ ગયેલા. લીવરના કૅન્સરને કારણે એમનું મૃત્યુ થયેલું. જીનીવામાં અન્ત્યેષ્ઠિ વખતે વડા પાદરીએ કહેલું : બોર્હેસે નિરન્તર સમુચિત પદની શોધ કરી છે. એવું પદ, જે વસ્તુજગતનો અન્તિમ સાર આપતું હોય. ઉપસંહારમાં કહેલું, એ પદને માણસ નથી શોધતો, પદ પોતે જ માણસને શોધી લે છે.

ગાંધીજીનાં બન્ને શસ્ત્ર, સત્ય-અહિંસા, જેનાથી ઉત્તમ શસ્ત્ર એકેય હોઈ શકે નહીં એવાં, અનુત્તમ હતાં. એમની કરુણતમ હત્યા થઈ હતી.

રુમિ ઉપદેશ ભાગ્યે જ આપે, પણ ક્યારેક આવો પોકાર કરે ખરા કે – અનુકમ્પાના કાન વડે સાંભળો – કરુણાની આંખોથી નીરખો – પ્રેમની ભાષા બોલો !

કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટે 'આત્માની આરઝૂ સદા ઝૂરવાની' કહીને ઝૂરણને 'જીવનનું અખૂટ પાથેય' ગણેલું. એમણે આત્મહત્યા કરેલી.

ક્ષયગ્રસ્ત કવિ રાવજી પટેલે 'અલકાતાં રાજ'-ને અને 'મલકાતાં કાજ'-ને 'ડૂબતાં' જોયેલાં પણ એને વાગેલી તો 'સજીવી હળવાશ'. અકાળે અવસાન થયેલું.

સુરેશ જોષીને એમના છેલ્લા દિવસોમાં એક જ વાત ખાસ સતાવતી હતી, પૂછતા કે – મારી પ્રાણઘાતક વેદનાનું શું થશે?

એમ લેખાંજોખાં જરૂર માંડી શકાય છે કે – આ સૌ પૂર્વનાં છે એટલે આમ છે, પશ્ચિમનાં છે એટલે આમ છે; કેટલાક ખરેખર પ્રશસ્ય છે, કેટલાક નથી; કોઈ સુખ્યાત છે, કોઈ અતિખ્યાત છે; ઘણી વાતો સ્વીકાર્ય છે, પણ કેટલીક અ-સ્વીકાર્ય છે; વગેરે.

તેમ છતાં, રીપીટ, તેમ છતાં, કોઈના પણ શક્તિ-સામર્થ્યની તુલના તો શક્ય જ નથી, જરૂરી પણ નથી.

છતાં સૌમાં મને સામ્ય એ દેખાયું છે કે સૌ મનોમન્થનને વરેલા હૃદયવાન મનુષ્યો હતા.

= = =

(December 26, 2021: Ahmedabad)

Loading

...102030...1,6551,6561,6571,658...1,6701,6801,690...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved