Opinion Magazine
Number of visits: 9570901
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંપ્રત વિકાસ અંગે વિચારણા પર ડૉ વર્ગીસ કુરિયનની દેણગી : કેરળ ઉપરાંત અન્ય પ્રદેશો પર તેના પ્રત્યાઘાત

જોસ ચાથુકુલમ ટી.એમ. જોસેફ અને માનસી જોસેફ|Opinion - Opinion|3 January 2022

લેખકો : ડૉ. જોસ ચાથુકુલમ : સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટના નિયામક

         ટી.એમ. જોસેફ : સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટ ખાતે બી.એસ. ભાર્ગવ ચેર – વિકેન્દ્રિત વહીવટ અને વિકાસના માનદ્દ પ્રાધ્યાપક અને હાલમાં માઉન્ટ કાર્મેલ કોલેજના પ્રાધ્યાપક 
           માનસી જોસેફ : સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટ ખાતે રિસર્ચ ફેલૉ 

અનુવાદ : આશા બૂચ

(અમૂલ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ‘અમૂલ્ય’માં છે, જેનો અર્થ અતિ મૂલ્યવાન થાય. અમૂલ ડેરી Anand Milk Union Limitedનું એ લઘુ રૂપ છે. અમૂલ ડેરીની સ્થાપના આણંદ – ગુજરાત ખાતે 1946માં થઈ હતી.

Institute of Rural Management Anand (IRMA) આણંદમાં પ્રીમિયર બિઝનેસ સ્કૂલ છે જે એક સ્વાયત્ત સંસ્થા છે. તેનો આશય વ્યવસાયિક વહીવટનું શિક્ષણ પૂરું પાડવાનો છે. આ ડૉ. કુરિયનનું મહત્ત્વનું પ્રદાન છે.) 

— આશા બૂચ

પ્રસ્તાવના : 

26 નવેમ્બર 2021 એ ‘ભારતના મિલ્કમેન’ તરીકે સુપ્રસિદ્ધ થયેલા ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ શતાબ્દી દિન. તેમણે ભારતને દુનિયાના સહુથી વધુ દૂધ ઉત્પાદક દેશ તરીકે ઉચ્ચ સ્થાને પહોંચાડી દીધો. ડૉ. કુરિયન ભારતની શ્વેત ક્રાંતિના ઘડવૈયા. તેમણે એક વખત કહેલું, “ભારતનું આ સૂર્યમાળામાં સ્થાન તેની ગ્રામ્ય પ્રજાના શાણપણ અને વ્યવસાયિક નિષ્ણાતો વચ્ચેની ભાગીદારીમાંથી આવશે.” બીજા એક પ્રસંગે ડૉ કુરિયને કહ્યું, “ભારતે પોતાનો પ્રામાણિક, દયાળુ અને માનવીય ચહેરો દુનિયાને બતાવવો જોઈએ, નહીં કે હાલના શક્તિશાળી દેશો બતાવે છે તેવો ઉદ્ધત ચહેરો.” ખાસ કરીને જ્યારે દેશના કૃષિ અને સહકારી ક્ષેત્રને અનુલક્ષીને ઘડવામાં આવતી ખામીયુક્ત નીતિઓને કારણે ખેતીને લગતા વ્યવસાયોની દુર્દશાના સમાચારો મળે છે, ત્યારે તેમના આ દૃષ્ટિકોણ અને તત્ત્વજ્ઞાનની આજે ઘણી મહત્તા છે. 

ડો. કુરિયને સાધારણ ‘ગોવાળો’ અને ‘ગોવાલણો’ તથા દૂધાળા ઢોર ઉછેરનારા ખેડૂતોનું પાયાના સ્તરે સશક્તિકરણ કરીને સહકારી ડેરીની ચળવળના પાયા નાખ્યા, અને તેમને ભારતના આર્થિક વિકાસ અને પ્રગતિમાં ચાવીરૂપ ખેલાડી બનાવ્યા. ડો. કુરિયનનું દૃષ્ટિબિંદુ એવું હતું કે ડેરી ઉદ્યોગ ભારતના ગ્રામ્ય લોકોના જીવનને પરિવર્તિત કરવામાં મદદરૂપ થાય; અને તેમને સહકારી મંડળીઓ દૂધાળા ઢોરના ઉછેરના ઉદ્યોગની સુધારણામાં ઉદ્દીપક તરીકે કામ કરી શકે તેમ લાગતું. અને એ રીતે ભારતના ગ્રામ્ય લોકોનું સશક્તિકરણ થાય. ‘પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટ’નો ખ્યાલ આપણી સમક્ષ મુકવાનો યશ ડો. કુરિયનને જાય છે, કે જેમાં અમૂલ જેવી સહકારી ડેરીનું ધ્યેય તેના લાખો ખડૂતોને ડેરીના ભાગીદાર ગણીને નફો કરી શકાય એ હતું. ડો. કુરિયને ડેરીના વહીવટ અને વ્યવસ્થામાં એક પ્રકારનો વ્યવસાયિક દૃષ્ટિકોણ ઉમેર્યો અને પુરવઠાની મજબૂત સાંકળની સહાયથી, આધુનિક ટેક્નોલોજી અને ઉત્પાદન પદ્ધતિની વ્યવસ્થા થકી, વેચાણ, સંગઠિત પ્રયાસો અને યુક્તિપૂર્વકની દૃષ્ટિના અમલથી ‘પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટ’ની અગુવાઈ કરી. તેમના આ અભિગમને પરિણામે ગ્રામીણ કૃષિ સમાજમાં એક નવીન આર્થિક-સામાજિક ક્રાંતિના મંડાણ થયાં. આ ‘પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટ’ના નેજા હેઠળ ગામડાઓમાં વસતા ખેત ઉત્પાદકો પોતાની ઉપજના વેચાણ અને ઉત્પાદનના પોતે જ નિર્ણાયક બને તે માટે તેમનું સશક્તિકરણ કરવામાં આવ્યું. આમ થવાથી એ ખેડૂતો દલાલોની દખલગીરી વિના ગ્રાહકોને સીધા જ પોતાની ઉપજ વેંચતા થયા. આજે ભારતને ‘પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટ’ને અપનાવે તેવા સંગઠનો અને ડૉ. કુરિયન જેવા ખેડૂતોની સંપોષિત રોજગાર દ્વારા આવક  થતી રહે તે માટે તેમના વતી મુદ્દો ઉઠાવે તેવા દૃષ્ટિવાન વ્યક્તિઓની વધુ ને વધુ જરૂર જણાય છે. તેમણે ગ્રામ્ય વિસ્તારનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે ખેડૂતો દ્વારા સંચાલિત સહકારી મંડળીઓ સ્થાપી.  

ડૉ. કુરિયને સ્થાપેલી અમૂલ ડેરીની સફળતામાંથી પ્રેરણા મેળવીને દેશમાં ઘણા સહકારી સંગઠનો સ્થપાયાં. દેશની મોટામાં મોટી દૂધ સહકારી મંડળીઓમાંની એક, તે કેરળની મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (MILMA તરીકે ઓળખાતી) છે. કેરળ બહુ થોડા રાજ્યોમાંનું એક છે જ્યાં સહકારી મંડળીઓ અને સામાજિક કેન્દ્રો દ્વારા પ્રોત્સાહિત થતી ખેતી કરવામાં આવે છે અને તેમાં દેશભરમાં સહુથી મોટી એવી મહિલાઓની સહકારી મંડળી ‘કુડુંબશ્રી’ (Kudumbashree) નોંધપાત્ર સંગઠન છે. આજે કેરળમાં ખેતી, ડેરી, ઉદ્યોગો તથા બેન્ક, કોલેજ અને હોસ્પિટલ જેવાં સેવાનાં ક્ષેત્રોમાં સહકારી સંગઠનોનું મોટું જાળું સક્રિય થયેલ જોવા મળશે. વિવિધ ક્ષેત્રોમાં સહકારી મંડળીઓના પ્રસાર અને વ્યાપે રાજ્યની આર્થિક પ્રગતિ અને સમગ્ર વિકાસમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ડૉ. કુરિયને રાજકીય અને તુમારશાહીની દખલગીરીનો સહકારી સંસ્થાઓના સંચાલનમાં હંમેશ હિંમતપૂર્વક સામનો કર્યો હતો, જ્યારે કેરળમાં સહકારી સંસ્થાઓ હંમેશ ‘રાજકારણનું માનસ સંતાન’ ગણાઈ છે. રાજકીય પક્ષોના વર્ચસ્વ અને મજબૂત સહકારી ચળવળના ઘડતરમાં તેનો ફાળો આ પરિસ્થિતિને વધુ ગૂંચવાડા ભરી બનાવે છે. આમ છતાં એ હકીકત છે કે રાજ્યના સામાજિક અને માળખાકીય વિકાસમાં સહકારી સંગઠનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ઘણા લોકોના મતે સહકારી યુનિયન મિનિસ્ટ્રીની રચના સહકારી સંગઠનો ઉપર વધુ અંકુશ રાખવા માટેની રાજકીય અને તુમારશાહીની ચાલ છે. ડૉ. કુરિયનની જન્મશતાબ્દી સમયે કેરળના વિકાસ અંગે વાર્તાલાપ કરવા તેમની પ્રોફેશનલ રૂરલ મેનેજમેન્ટની વિભાવના ઉપર દૃષ્ટિપાત કરવો યોગ્ય ગણાશે.

સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટ, કોટ્ટાયમ – કેરળ, ગ્રામીણ ઉત્થાનને વરેલ હોવાથી ડૉ. વર્ગીસ કુરિયનને અંજલિ આપવા ‘સાંપ્રત વિકાસ અંગે વિચારણા ઉપર ડૉ વર્ગીસ કુરિયનની દેણગી : કેરળ ઉપરાંત અન્ય પ્રદેશો પર તેના પ્રત્યાઘાત”, એ શીર્ષક હેઠળ ડૉ વર્ગીસ કુરિયનના માનસ સંતાન સમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ – આણંદના સહકારથી એક દિવસીય વેબિનારનું આયોજન કરેલું.  એચ.એસ. શૈલેન્દ્ર, વી. વેંકટકૃષ્ણન્‌, જોસેફ થારામંગલમ્‌, વી. મેથ્યુ કુરિયન, પી.પી. બાલન અને જ્હોન એસ. મુલાકાટુ પ્રમુખ વક્તાઓ હતાં. પ્રાસ્તાવિક અભિપ્રાયમાં નોંધ લેવામાં આવી, જે આ મુજબ છે : કેરળના ગૌરવ લઇ શકાય તેવા સપૂત ડૉ વર્ગીસ કુરિયન, જેઓ આગળ જતાં ‘ભારતના દૂધવાળા’ તરીકે પંકાયા, તેમણે ‘શ્વેત ક્રાંતિ’ની આગેવાની લઈને દેશના ગ્રામવાસીઓના જીવનને પરિવર્તિત કરવામાં કેન્દ્રીય ભૂમિકા બજાવી.

ડૉ વર્ગીસ કુરિયન : એક સમાજવાદી લોકશાહીના ટેકેદાર અને સંસ્થાઓના શ્રેષ્ઠ નિર્માતા

એચ.એસ. શૈલેન્દ્ર, કે જેમને ડૉ. કુરિયનની કાર્યપદ્ધતિ વિષે સારી એવી જાણકારી હતી, તેમણે કહ્યું કે ડૉ. કુરિયનની અંગત અને વ્યવસાયિક શક્તિઓનો પ્રભાવ તેમણે વિવિધ ક્ષેત્રો અને પ્રકલ્પોમાં કરેલ કાર્યોની ગુણવત્તા અને સંખ્યા ઉપર પડેલો. ડૉ. કુરિયન એક ‘નિષ્ઠાવાન અને હિંમતવાન વ્યક્તિ’ હતા, કે જેમણે પોતાનું સમગ્ર જીવન – લગભગ 60 વર્ષો – ખેડૂતોના કલ્યાણ અને તેમના સંગઠનોની સ્થાપના અને વિકાસ ખાતર અર્પણ કર્યાં. ડૉ. કુરિયન ઉચ્ચ પદ પર બેઠેલા રાજકારણીઓ, તુમારશાહીના અમલદારો અને અનેક સ્થાપિત હિત ધરાવનારાઓ સામે ગરીબ કિસાનોના હિત ખાતર લડ્યા હતા. ડૉ. કુરિયન ન્યાયનિષ્ઠ અને પ્રામાણિક હતા, અને પોતાના સઘળાં કાર્યો વિવિધ પ્રકલ્પો અને સંસ્થાઓ દ્વારા પાર પાડીને આ સુપ્રસિદ્ધ દાર્શનિકે પૂરવાર કર્યું કે ન્યાયપ્રિયતા અને પ્રામાણિકતા તેના શાબ્દિક અને તાત્ત્વિક રૂપમાં દરેક તબક્કે આપણાં કાર્યોમાં ભળી જઈ શકે  અને આત્મસાત થઇ શકે. શૈલેન્દ્રે ડૉ. કુરિયનને એક સમાજવાદી લોકતંત્રમાં શ્રદ્ધા ધરાવનાર ગણાવ્યા, જેઓ મિશ્ર અર્થવ્યવસ્થામાં, રાજ્ય અને બજારની ભૂમિકા અને સમાજ, ખાસ કરીને ખેડૂતના વર્ગની મહત્તામાં માનનારા હતા. ડૉ. કુરિયન પોતાની જાતને ક્રાંતિકારી નહીં પણ સુધારક માનતા હતા જેઓ વ્યવસ્થાતંત્રમાં પદ્ધતિસરનો બદલાવ લાવવામાં માનતા જેથી કાયમી ધોરણે ઇચ્છિત પરિણામો મેળવી શકાય. ડૉ. કુરિયન એક ઉચ્ચ કક્ષાના સંસ્થાઓનું નિર્માણ કરનારા અને અત્યંત કુશળતાપૂર્વક સંચાલન કરનારા હતા. જે વ્યક્તિને સંસ્થાની આગેવાની કરવા માટેની નિષ્ઠા હોય તેમણે આગળ આવવું જોઈએ, નહીં કે કોઈ નોકરશાહીનો વહીવટદાર જે આજ આવે અને કાલ જતો રહે. અમૂલ અને IRMA જેવી સંસ્થાઓ હંમેશ ઉત્તમ વહીવટ કરનારી, સાફ ચરિત્ર ધરાવનારી અને પ્રબળ નિષ્ઠાવાન ગુણો ધરાવનારી હોવી જોઈએ તેમ તેઓ માનતા. સંસ્થાઓ હંમેશ વ્યવસાયિક દૃષ્ટિબિંદુ જાળવીને ઉત્તમ પરિણામો લાવવા આગળ ધપવું જોઈએ તેવું તેમનું માનવું હતું. ડૉ. કુરિયન નિર્મિત ‘ઓપરેશન ફ્લડ’ તેના કદ અને અદ્વિતિયતા માટે ડેરી અને ગ્રામ્ય વિકાસના કાર્યક્રમમાં સહુથી આગળ પડતો નોખો તરી આવનાર પ્રકલ્પ હતો. જો કે તે વિષે એવી ટીકા થયેલી કે ડૉ. કુરિયને વિદેશી નાણાંનો ઉપયોગ કરીને એ નવીન પ્રકલ્પ કરેલો, પરંતુ એ વિદેશી સહાય વિકાસ યોજનામાં રોકાણ કરવા માટે હતી જેમાંથી સતત વળતર મળતું રહે.

ડૉ. કુરિયને સહકારી મંડળીઓ કોઈ પણ પ્રકારની વિકાસ યોજનાઓના અમલ માટે અત્યન્ત આવશ્યક છે અને વ્યવસાયિક સંચાલન તેમ જ ટેક્નોલોજી સાથોસાથ કામ આપે એ ભારપૂર્વક જણાવેલું. કેટલીક ટીકાઓ થઇ હોવા છતાં એ હકીકત છે કે ઓપરેશન ફ્લડનો ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર કરવામાં અત્યંત મહત્ત્વનો ફાળો હતો. ડૉ. કુરિયનનું માનવું હતું કે આ સાહસની સફળતા ખેતીને સંલગ્ન હોય તેવા ક્ષેત્રોમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. તેમના મતે ઓપરેશન ફ્લડ દૂધ ઉત્પાદન સુધારવા ઉપરાંત બીજું પણ મહત્ત્વ ધરાવે છે. વિકાસના સંદર્ભમાં જોઈએ તો તેનાથી વિશાળ લક્ષ્યો, જેવાં કે સશક્તિકરણ, ખેડૂતોની ભાગીદારી, આર્થિક સમાનતા, દૂધ ઉત્પાદકોની સામેલગીરી વગેરે પણ સિદ્ધ થયાં. સહકારી સંગઠનોમાં આ ક્ષેત્રોમાં આવતા પડકારો ઝીલવાની ક્ષમતા છે. ડૉ. કુરિયનની એવી માન્યતા હતી કે સહકારી વ્યવસ્થા સમાનતા અને લોકતંત્રની સહાયતા કરે છે. તેમના જીવન અને કાર્ય થકી આપણા મર્યાદિત મિશ્ર અર્થકારણની સિદ્ધિઓમાં પણ ઘણા પાઠ મળી શકે તેમ છે. કેરળના ડેરી ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં તેમના ફાળાને મૂલવીએ તો કહી શકાય કે ‘ઓપેરશન ફ્લડ’નું પ્રદાન કેરાલા કોઓપરેશન મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(ભારતના મોટામાં મોટા સહકારી સાહસમાંના એક અને MILMA તરીકે પંકાયેલા)ના વિકાસમાં પાયાનું રહ્યું છે. જો કે ડૉ. કુરિયને એક તબક્કે MILMAનું વિસર્જન કરવાનું સૂચન કરેલું કેમ કે તેમને લાગ્યું કે એ માર્કેટિંગ માટે પણ એ પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી નથી શકતું અને સહકારી પ્રવૃત્તિના સિદ્ધાંતોમાં સમાધાન કરી બેસે તેવી દહેશતને કારણે તેને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથેના સંયુક્ત સાહસમાં જોડાતું પણ રોક્યું હતું. ડૉ. કુરિયને શરૂના તબક્કામાં આ આગ્રહ સેવ્યો તેને કારણે MILMA જે શક્તિશાળી સહકારી સંગઠન તરીકે આજે આપણે પહેચાનીએ છીએ એ ઉભરી આવ્યું.

ડૉ. વર્ગીસ કુરિયન : એક આર્ષદૃષ્ટા અને ગ્રામ વહીવટના પ્રણેતા

વી. વેંકટકૃષ્ણન્‌, જેમને ડૉ. વર્ગીસ કુરિયનનાં કાર્યોનો નિકટથી અભ્યાસ કરવાનો મોકો મળેલો, તેમણે કહ્યું કે ‘ગ્રામ વ્યવસ્થા’નો નવીન વિચાર એ ડૉ. કુરીયનનું એક મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. તેમણે કર્ણાટકમાં Central Arecanut and Cocoa Marketing and Processing Co-operative Limited (CAMPCO) ખાતે કોકો ઉગાડનારાઓને કઈ રીતે મદદ કરી એ નોંધ પાત્ર છે. જ્યારે બહુ-રાષ્ટ્રીય કંપનીઓએ કોકો પેદા કરનારાઓને તેમની પેદાશની વ્યાજબી રકમ મેળવવાના અધિકારનો ઇન્કાર કર્યો, ત્યારે ડૉ. કુરિયને આગળ આવીને એ પેદાશ ખરીદી લઈને કેરળ અને કર્ણાટકના ખેડૂતનાં હિતની રક્ષા કરેલી. ભારતમાં ચોકલેટ બનાવવાના ઉદ્યોગની સફળતાનો કેટલોક હિસ્સો ડૉ. કુરિયનના કોકો પેદા કરનાર ખેડૂતોને અપાયેલ રક્ષણને ફાળે જાય છે. IRMAના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ચોકલેટના ઉત્પાદનમાં ખાસ કરીને કેરળમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ડૉ. કુરિયને જે કોઈ સંસ્થા સ્થાપેલી તેણે દેશના વિકાસમાં ફાળો આપ્યો છે, અને ગ્રામ વહીવટમાં ભારતને મોખરાનું સ્થાન આપવાનું શ્રેય તેમને જાય છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયને સમયપાલન જેવા અનેક નૈતિક મૂલ્યો પોતાની કાર્યપ્રણાલીમાં સ્થાપિત ક,ર્યા જેનાથી બીજા કર્મચારીઓ પણ પ્રેરિત થયેલા. દરેક ક્ષેત્રમાં રાજકીય દખલ થવા લાગી, છતાં રાજકારણીઓને પણ સહકારી સંગઠનોમાં રસ હતો. ડેરી ઉદ્યોગનો મૂળ હેતુ અન્ન સુરક્ષાનો પ્રશ્ન હલ કરવાનો નહોતો એ બાબત નોંધવા લાયક છે.

‘અમૂલ’નું દૃષ્ટાંત કેરળના કૃષિ ક્ષેત્રને ચેતનવંતુ બનાવી શકે તેમ છે ? 

આ વેબિનારના અન્ય પ્રવક્તા જોસેફ થારામંગલમે એક મહત્ત્વનો મુદ્દો પ્રસ્તુત કર્યો : અમૂલ કે ડૉ. કુરિયનનો નમૂનો કેરળની ખેતીને સુધારી શકે, તેને બચાવીને સંપોષિત ખેતી તરફ લઇ જઈ શકે ખરો? તેનાથી અન્ન સુરક્ષા અને તેથી ય આગળ જઈને અન્ન સ્વાવલંબન સિદ્ધ કરી શકવાની સંભાવના છે ખરી? કેરળ અન્ય કેટલાક રાજ્યોની માફક અન્નની તંગી ભોગવનારું રાજ્ય છે, એ માત્ર એક કલ્પના નથી પણ વાસ્તવિકતા છે. એક પછી એક આવી પડેલી કટોકટીને પરિણામે કેરળના ખેત ઉદ્યોગની માત્ર પડતી નથી થઇ, પણ ભારે સંકટમાં આવી પડી છે. કેરળ અન્ય વિકસિત દેશોની માફક ઔદ્યોગિક ઢાંચાની ખેતી અપનાવી શકે તેમ નથી, કે નથી એ ભારત સરકારની નિગમની માલિકીની ખેતીની નીતિને અનુસરી શકે તેમ; કેમ કે તેનું પ્રાકૃતિક સંતુલન ઘણું નાજુક છે અને પર્યાવરણના બદલાવની શક્યતા ઘણી ઊંચી છે. આમ છતાં ડૉ. કુરિયનના નમૂનાને અનુસરે તો કેરળ સંપોષિત ખેતીના માર્ગ પાર જઈ શકે તેમ છે. તેમણે સૂચવેલું તેમ જો ગ્રામ્ય વિસ્તારના લોકોનું શાણપણ અને નિષ્ણાત લોકોની શક્તિનો સુમેળ કરીએ તો અન્ન ઉત્પાદનનો નમૂનો તૈયાર કરી શકાય તેમ છે.  થારામંગલમે સમાપન કરતાં કહ્યું કે કેરળે વિકેન્દ્રિત અને સ્વાયત્ત વહીવટી વ્યવસ્થા તરફ પગલાં ભરવા જોઈએ, કે જે જૈવિક અને પ્રાકૃતિક રીતે તે ટકાઉ પુરવાર થાય જે તેની મૃતઃપ્રાય ખેતીને સજીવ કરી શકે અને જૈવિક વૈવિધ્યની રક્ષા કરી શકે. જો કે આ નમૂનાનો અમલ તાત્કાલિક થવો ઘટે કેમ કે ખેત ઉદ્યોગ હાલમાં બચાવી ન શકાય તેવી પડતીની દશામાં છે એવી ચેતવણી પણ તેમણે આપી.

ડૉ. વર્ગીસ કુરિયન :  એક આદર્શ સામાજિક સાહસ ખેડનાર અને તેમનો કેરળ પર પ્રભાવ

મેથ્યુ કુરિયને ડૉ. વર્ગીસ કુરિયનનાં પ્રશંસાપાત્ર કાર્યો, તેનો બહોળા ક્ષેત્રો પર પડેલ પ્રભાવ અને તેમના સમાજ અને અર્થતંત્ર ઉપરના પ્રયોગો તથા કેરળની હાલની પરિસ્થિતિને ડૉ. કુરિયન જેવા દૃષ્ટિવાન લોકોના વિચારોની કેટલી જરૂર છે તે વિષે વાત કરી. ડૉ. કુરિયન એક સફળ કોઓપરેટીવ વ્યક્તિ તરીકે પંકાયેલ છે કે જેમણે પોતાના અથાક પ્રયાસો દ્વારા સાબિત કર્યું કે સમાજ અને સહકાર એ નિષ્ફ્ળ ગયેલી હરીફાઈ પ્રધાન બજારતંત્ર અને જબરદસ્તી કરનાર રાજ્ય વ્યવસ્થા જેવી વર્ચસ્વશાળી અર્થ વ્યવસ્થાનો વૈકલ્પિક નમૂનો બની શકે. તેમણે નોંધેલું કે જોસેફ એ. શુમ્પીટરનો કાળ વીત્યા બાદ વિકાસ અને પ્રગતિ માટે પરિવર્તનની કેટલી જરૂર છે. મૂડીવાદી વ્યવસ્થામાં ખાનગી ઉદ્યોગપતિઓ અને સાહસિકો દ્વારા સંશોધનો અને ફેરફારો થતા હોય છે, જ્યારે  ડૉ. કુરિયન એક આદર્શ સામાજિક સાહસ ખેડનાર હોવાને નાતે વ્યક્તિગત લાભ અર્થે નહીં, પરંતુ સામાન્ય જન અને ગ્રામીણ પ્રજાના હિતાર્થે સામાજિક સાહસિકતાના દૃષ્ટિકોણવાળા અનેક પરિવર્તનો લાવી શક્યા. મેથ્યુ કુરિયને ગાંધીજીના ગ્રામ સ્વરાજના ખ્યાલ અને ડૉ. કુરિયનના ગામડાના લોકોના સશક્તિકરણનાં સ્વપ્ન વચ્ચે સમાન્તર રેખા દોરીને તેમને ખરા ગાંધી વિચારના અનુયાયી ગણાવ્યા. ભારતના સહકારી ડેરી ઉદ્યોગના અધ્યેતા માનતા કે લોકશાહી ત્યારે સફળ થશે જ્યારે દેશના ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક લોકશાહી આવશે; અને એ દૃષ્ટિએ ડૉ. કુરિયનને ખરા ગાંધીના અનુયાયી ગણી શકાય. લોકોની દૃષ્ટિમાં તેઓ એક અચ્છા વ્યૂહરચના કરનારા અને સફળ વહીવટકર્તા હતા. જ્હોન કેનેથ ગાલબ્રેથના ‘પ્રતિકારી શક્તિ’ના ખ્યાલની માફક ડૉ. કુરિયને પોતાનો અલગ એવો સહકારી સંગઠન સ્વરૂપનો ‘પ્રતિકારી બજાર શક્તિ’નો ખ્યાલ વિકસાવ્યો. 

કેરળ રાજ્યમાં આણંદની સહકારી દૂધ ડેરી જેવાં સંગઠનોની હાજરી ડૉ. કુરિયનનો પ્રભાવ સૂચવે છે. રબર પ્રોડ્યૂસર્સ સોસાઈટીની સ્થાપનામાં પણ તેમના વિચારોની અસર જણાય છે. સાક્ષરતા અને સ્વાસ્થ્યની બાબતમાં કેરળ વિકસિત દેશોની હરોળમાં છે, છતાં કેરળનું અર્થતંત્ર ઘણું નબળું છે અને માલના કુલ ઉત્પાદન તથા રોજગારીની તકો ઊભી કરવાની બાબતમાં એ અંશતઃ નિર્બળ છે. જ્યારે કેરળના વિકાસની તરાહની પુનઃ ખોજ કરવા પ્રયાસ થાય, ત્યારે આણંદનો અનુભવ જરૂર પ્રેરણાદાયક બની શકે. મેથ્યુ કુરિયને સમાપન કરતા કહ્યું કે કેરળની અર્થવ્યવસ્થા પુનર્જીવન માંગે છે. એ માટે ગંભીરતાથી વિચાર કરવો રહ્યો. દેશ અને દુનિયાના બીજા દેશો પાસેથી કોઈ પણ બળે બીજા કોઈ પાઠ શીખવામાં છો આવે, પરંતુ આણંદના અનુભવની સહાય અમૂલ્ય સાબિત થશે.

ડૉ. વર્ગીસ કુરિયનના જીવન પરથી મળેલ શિક્ષા : પંચાયતી રાજના સંગઠનો માટે લઈ શકાય તેવો પાઠ

ડૉ. વર્ગીસ કુરિયનના જીવન પરથી મળેલ શિક્ષા પરથી પંચાયતી રાજના સંગઠનો કેવા અમૂલ્ય પાઠ લઇ શકે તેની ચર્ચા પી.પી. બાલને કરી. ‘ભારતના દૂધવાળા’ ડૉ. કુરિયન પ્રજાના વિકાસમાં લોકોએ ખુદ કેવી મધ્યવર્તી ભૂમિકા ભજવવાની જરૂર છે, એ વિષે ઘણા સભાન હતા. ભારતની સહુથી મોટી મૂડી તે તેની પ્રજા છે, અને સાચો વિકાસ તો જ સાધી શકાય જો વિકાસનાં સંસાધનો તેમના જ હાથમાં મુકવામાં આવે. તેમના મતે સ્થાનિક સ્વાયત્ત સરકારી સંસ્થાઓની ભૂમિકા ઘણી પાયાની અને વિવિધ પાસાંઓને સ્પર્શનારી છે, અને સહકારી સંસ્થાઓનું પણ તેમ જ છે. પંચાયતી રાજના સંગઠનો અને સહકારી સંસ્થાઓના લક્ષ્યો અને મૂલ્યો સમાન છે. શ્વેત ક્રાંતિના ઘડવૈયાએ સમાન મૂલ્યોવાળી દૃષ્ટિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલું અને એ પાસાં પંચાયતી રાજના સંગઠનોના કિસ્સામાં પ્રતિબિંબિત થાય તેવું સૂચવેલું. ડૉ. કુરિયને હંમેશ પ્રજાના સમૂહને સશક્ત બનાવવા અને મોટા સમૂહ દ્વારા ઉત્પાદન કરવા નહીં કે જથ્થાબંધ ઉત્પાદન પાછળના વિચાર પર જોર આપેલું. આજીવિકાના સાધનો ઊભા કરવા અને ગરીબી નિર્મૂળ કરીને તે દ્વારા આર્થિક વિકાસ સાધવા પર ડૉ. કુરિયને ધ્યાન કેન્દ્રિત કરેલું. એ જ રીતે ગ્રામ પંચાયતોએ તૈયાર કરેલ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનની કલ્પના પણ આર્થિક વિકાસ મારફત તમામ માનવીના સમગ્ર વિકાસના ધ્યેયને સિદ્ધ કરવાની હતી, એ વાત પર ભાર મુકેલો. તેમણે ધ્યેયલક્ષી અને અર્થલાભ થતો હોય તેવી પ્રવૃત્તિઓ કરવા પર ભાર મુકેલો અને પંચાયતી રાજના સંગઠનોએ એવાં જ પરિવર્તનો પર ધ્યાન આપવું હિતાવહ છે, તેમ પણ સૂચવેલું. સહકારી ડેરી ઉદ્યોગમાં વ્યવસાયિક નિપુણતાના દૃષ્ટિકોણનું ઘણું મૂલ્ય અંકાયું છે, તો પંચાયતી રાજના સંગઠનોએ પણ પોતાના ક્ષેત્રમાં એ સિદ્ધાંત અપનાવવા જેવો છે, એવો તેમનો આગ્રહ હતો. બાલને જેમ ડૉ. કુરિયને કરેલું તેમ પંચાયતી રાજના સંગઠનોએ વધુ ને વધુ ઉચ્ચ શિક્ષિત અને કુશળ યુવા કર્મચારીઓની ભરતી કરવાનું સૂચન કર્યું. ડૉ. કુરિયનના ગ્રામ્ય પ્રજાને સશક્ત કરવાના સ્વપ્નને સાકાર કરવા પંચાયતી રાજના સંગઠનો અને સહકારી સંસ્થાઓએ હાથમાં હાથ મેળવીને કામ કરવું જોઈએ, એવો બાલનનો મત છે.

ડૉ. વર્ગીસ કુરિયન : વ્યાવસાયિક વિશેષજ્ઞતા અને સહકારી પ્રવૃત્તિના વિચારને વરેલી વ્યક્તિ

જ્હોન એસ. મૂલકકટ્ટુએ જણાવ્યું કે વ્યાવસાયિક વિશેષજ્ઞતાનો ખ્યાલ ડૉ. કુરિયનને મન ઘણો મહત્ત્વનો હતો. સહકારી સંગઠનોની નિષફળતા, અથવા કહો કે અમૂલના નમૂનાને અનુસરવાની નિષ્ફ્ળતાની પાછળ વ્યાવસાયિક વિશેષજ્ઞોના અભાવનું કારણ જવાબદાર છે. ‘કેરળ શા માટે અમૂલના નમૂનાનું અનુકરણ ન કરી શકે?’ એ વિષય ઉપર બોલતાં જ્હોન એસ. મૂલકકટ્ટુએ ડૉ. કુરિયનના શબ્દો ટાંક્યા, “કેરળ પાસે ઘણા કુરિયન છે, પણ કોઈ ત્રિભુવનદાસ પટેલ નથી.” ડૉ. કુરિયન સાચું કહેતા હતા. તેઓ એમ કહેવા માંગતા હતા કે કેરળના રાજકીય વર્તુળમાં ખરેખર દૃષ્ટિ, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને, વ્યાવસાયિક વિશેષજ્ઞતાનું મહત્ત્વ સ્વીકારવાની અશક્તિ વર્તાય છે; અને આ જ મુખ્ય કારણ છે, જેનાથી ઘણા સહકારી ઉત્પાદકો પોતાના સાહસ શરૂ કરવામાં નિષ્ફળ ગયા. સહકારી ઉત્પાદકોએ ટકી રહેવું હોય તો વ્યાવસાયિક વિશેષજ્ઞતાને થોડે ઘણે અંશે પોતાની કાર્ય પ્રણાલીમાં ભેળવવી જોઈએ. રાજ્યમાં સહકારી સંગઠનોમાં પણ વ્યાવસાયિક વિશેષજ્ઞતાનો અભાવ જણાય છે. મૂલકકટ્ટુ ડૉ. કુરિયનને ગાંધીઅન નહીં, પણ સહકારી પ્રવૃત્તિઓને વરેલા અને નહેરુના સહકારી સંગઠનોની શક્તિના સિદ્ધાંતોમાં માનનારા ગણાવે છે. જો કે સત્ય, પ્રામાણિકતા, સ્પષ્ટવકતાપણું અને સ્વાયત્તતાના પ્રખર હિમાયતી હોવાને કારણે તેમને એ રીતે ગાંધીઅન ગણાવી શકાય, પણ તેમને તંતોતંત ગાંધીઅન તરીકે ન ઓળખાવી શકાય. એ જ રીતે ડૉ. કુરિયને મોટી સંખ્યાના દૂધ ઉત્પાદકોના વિકેન્દ્રિત ઉત્પાદન પર ભાર મુકેલો કે જે ગાંધી વિચાર પ્રમાણે ખરો ઉતરે, પણ તેમની ડેરીની કલ્પના કેન્દ્રિત ડેરીની હતી, મજૂરની મજૂરી આધારિત નહીં પણ મૂડી આધારિત ડેરી. ડૉ. કુરિયન ગાંધી કરતાં વિકાસની બાબતમાં નહેરુ-પટેલના માપદંડની વધુ નજદીક હતા.

વક્તાઓનાં વક્તવ્ય અને શ્રોતાઓની પ્રશ્નોત્તરી બાદ એવું તારણ નીકળ્યું કે કેરળમાં વ્યાવસાયિક વિશેષજ્ઞતાની ખામી જણાય છે, તો સહકારી વહીવટ એક વિષય તરીકે શાળા-કોલેજોમાં ભણાવવો જોઈએ અને આર્થિક લોકશાહીના સંસ્કાર નાની ઉંમરના વિદ્યાર્થીઓના મનમાં રોપવા જોઈએ. પંચાયત, સહકારી સંગઠનો, કુડુંબશ્રી અને રાજકીય પક્ષો સમગ્ર રીતે વ્યવસાયિક તજજ્ઞો ધરાવતા થવા જોઈએ. કેરળની ગ્રામ પંચાયતોમાં વ્યાવસાયિક વિશેષજ્ઞતાની કમી છે, તો કર્ણાટકની માફક તેમાં ઉચ્ચ શિક્ષિત કર્મચારીઓની ભરતી કરવી જોઈએ. એક મત એવો પણ દર્શાવાયો કે કેરળ રાજ્ય ગ્રામ્ય વિસ્તારમાં પ્રવર્તતી ગરીબી અને પોષક આહારની ખામીને દૂર કરવાની બાબતમાં શ્વેત ક્રાંતિના સિદ્ધાંતોને અપનાવવામાં નિષ્ફ્ળ ગયું. શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયનને રાજકારણ સાથે જોડાણ હોવા સામે કોઈ હરકત નહોતી, પણ તેઓ માનતા કે રાજકીય હેતુ માટે કોઈ ડેરીનો દુરુપયોગ ન કરી શકે અને તેના તમામ નિર્ણયો ફેડરેશન અને ડેરીની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને જ લેવાવા જોઈએ. તેઓએ ડેરી ઉદ્યોગ અંગે નિર્ણય લેવાની સત્તા ફરતે વાડ બાંધીને બાહ્ય રાજકીય વગને બહાર રાખી.

ડૉ. કુરિયન અદ્દભુત શાણપણ, તેજસ્વી મેધા અને અપૂર્વ નૈતિક ગુણો ધરાવનાર વ્યક્તિ હતા. ડૉ. કુરિયન અને અમૂલની સફળતા ટેક્નોલોજીની શક્તિ, વ્યાવસાયિક વિશેષજ્ઞતા અને લોકશક્તિને એક સાંકળે જોડવામાં સમાયેલી છે.

e.mail : 71abuch@gmail.com

Loading

જે જોડો વિરોધીને ડંખતો હોય તો એમાંથી તેને પગ કાઢવા ન દેવો એ ખરું રાજકારણ

રમેશ ઓઝા|Opinion - Opinion|2 January 2022

એક મિત્રનો મને ફોન આવ્યો કે ધર્મસંસદમાં બાવાઓ એલફેલ બોલે એ કેમ ચલાવી લેવાય? બંધારણમાં નિષ્ઠા ધરાવતા ભારતના ઉદારમતવાદી સેક્યુલર નાગરિકોએ કાંઈક કરવું જોઈએ, તમારી શું સલાહ છે? મેં તેમને કહ્યું કે તમારે શાસકોને એ જગ્યાએ લઈ આવવા જોઈએ જેનાથી તેઓ ડરતા હોય અને ભાગતા હોય. બાવાઓ એલફેલ બોલતા નથી, બોલાવડાવવામાં આવી રહ્યા છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને પ્રજા ઠીકઠીક પ્રમાણમાં નારાજ છે. જો ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો પરાજય થાય તો તેનાં દૂરગામી રાજકીય પરિણામો આવી શકે છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી તેમના માટે નિર્ણાયક છે, એ તમે જાણો છો એનાં કરતાં એ લોકો વધુ જાણે છે.

કઈ વાતનો ડર છે વર્તમાન શાસકોને અને તેઓ શેનાથી ભાગે છે?

ડર એ વાતનો છે કે જગત આખામાં બહુમતી પ્રજાનું (ભારતમાં હિંદુઓનું) ગમે એટલું કોમી ધ્રુવીકરણ કરવામાં આવે, લગભગ અડધી બહુમતી પ્રજા કોમી ધ્રુવીકરણનો અને અસ્મિતાઓના રાજકારણનો વિરોધ કરે છે. વધુમાં વધુ ૬૦ ટકા પ્રજાનું ધ્રુવીકરણ કરી શકાય છે, પણ એમ કરવામાં ધ્રુવીકરણ કરવા માગનારાઓએ દરેક મર્યાદા ઓળંગવી પડતી હોય છે અને તેમાં જોખમ હોય છે. જે કોમવાદનો વિરોધ કરે છે એ સ્વાભાવિકપણે બુદ્ધિમાન હોવાના અને તેઓ કોઈ પણ સંજોગોમાં સાથ આપવાના નથી. બહુમતી પ્રજા સિવાય લઘુમતી પ્રજાનો પણ તેમને ટેકો મળવાનો નથી. તેમને ખબર છે કે તેમનું અને તેમની આવનારી પેઢીઓનું ભવિષ્ય માત્ર અને માત્ર કાયદાના રાજમાં સુરક્ષિત છે. એમાં ભારતના હિંદુઓના ડી.એન.એ.માં ઉદારતા છે. ઉપરાંત જર્મનીના જર્મનોથી ઊલટું ભારતમાં હિંદુઓ જ્ઞાતિઓમાં વહેચાયેલા છે. સવર્ણો દ્વારા કરવામાં આવેલા શોષણનો ઇતિહાસ તેઓ ભૂલ્યા નથી. આ સિવાય ભાષા અને પ્રદેશની અસ્મિતાઓ પણ તેમને પ્રભાવિત કરે છે. એટલે જેઓ સામે પક્ષે છે તેઓ ક્યારે ય શાસકોને ટેકો આપવાના નથી.

તેમને ડર એ વાતનો પણ છે કે શાસનના મોરચે તેઓ નાદાર સાબિત થયા છે. સરકારની ઈમેજ ગરીબવિરોધી હોવાની છે. ખેડૂતવિરોધી હોવાની છે. દલિતવિરોધી હોવાની છે. શ્રીમંત તરફી હોવાની છે. પ્રજાના અવાજોને નહીં સાંભળનારા તુમાખી શાસકોની ઈમેજ વર્તમાન શાસકો ધરાવે છે. આર્થિક મોરચે તેમ જ વિદેશવ્યવહારના મોરચે સરકારને સદંતર નિષ્ફળતા મળી છે. ચીન છાતી પર ચડીને બેઠું છે અને પાડોશી દેશો સાથેના સંબંધો તળીયે ગયા છે. દેશમાં કાયદાનું રાજ નથી અને લખીમપુર ખીરી જેવી ઘટના બને કે આંદોલનમાં ૭૦૦થી વધુ ખેડૂતોનાં મોત થાય ત્યારે જાહેરમાં દિલગીરી વ્યક્ત કરવા જેટલી પણ સંવેદના તેઓ ધરાવતા નથી. કોરોનાની મહામારીનાં બીજાં મોજા વખતે સરકારની આબરૂના જગત આખામાં ધજાગરા થયા હતા. ગંગા નદીમાં વહેલી લાશોનાં દૃશ્યો હજુ લોકો ભૂલ્યા નથી. તેઓ નિષ્ઠુર અને નીંભર હોવાની ઈમેજ ધરાવે છે. તેમને ડર એ વાતનો છે કે આ બધાં કારણે એક સમયે કોમી ધોરણે વટલાવાયેલા હિંદુઓ વાડામાંથી નાસી જઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે સામા પક્ષે છે તેઓ તો સાથ આપવાના નથી, પરંતુ જેઓ સાથ આપતા હતા એ મોઢું ફેરવી લે તો! આ ભય તેમને સતાવે છે અને તેનાથી તેઓ ભાગવા માગે છે.

તેમને ડર એ વાતનો પણ છે કે બી.જે.પી.ના અથાક પ્રયત્નો પછી પણ તેના ઝનૂની હિન્દુત્વવાદી રાજકારણને પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાંની હિંદુ પ્રજા સ્વીકારતી નથી. કેરળ, તામીલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડીશા અને બિહાર વિધાનસભાઓની તાજેતરની ચૂંટણીઓએ આ બતાવી આપ્યું છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી અંદાજે ૨૫૦ જેટલી બેઠકો બી.જે.પી.ના પ્રભાવથી મુક્ત છે. બી.જે.પી.નો પ્રભાવ ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં સઘનતાપૂર્વકનો છે અને અન્યત્ર પારવો છે. જ્યાં સઘન પ્રભાવ છે તે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાંથી મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. ટૂંકમાં પૂર્વ અને દક્ષિણ ભારતમાં જોઈએ એટલો પ્રવેશ મળતો નથી અને જ્યાં પ્રવેશ મળ્યો છે ત્યાં પણ પક્ષ પૂરી પકડ ધરાવતો નથી. એ પકડ ઢીલી થઈ શકે છે એનો તેમને ડર છે. 

યાદ રહે, આ સ્થિતિ અયોધ્યામાં મંદિર, કાશ્મીરનું વિભાજન, આર્ટીકલ ૩૭૦, કાશીવિશ્વનાથ કોરીડોર, સમાન નાગરિક ધારો વગેરે હિંદુઓને ભાવે એવાં પગલાં લીધાં પછી પણ છે. અને આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની છે, ત્યારે તેઓ હડકાયા લોકોને છૂટા ન મૂકે તો શું કરે? જે થઈ રહ્યું છે એ ગણતરીપૂર્વક થયું છે. જે સાથે નથી એ તો ક્યારે ય સાથ આપવાના નથી, પણ જે સાથે આવ્યા હતા એ નાસી ન જવા જોઈએ. સમર્થકોમાં ઉમેરો થવાની કોઈ શક્યતા નથી, પણ ઘટાડો થવાનો ડર છે. ધ્રુવીકરણ સામે પક્ષે પણ થયું છે અને એ વધારે ટકાઉ છે, કારણ કે એ વિચારધારા પર આધારિત છે, ભાવનિક નથી. માટે મેં મારા મિત્રને કહ્યું હતું કે જો બંધારણપ્રણિત કાયદાના રાજવાળું સેક્યુલર ભારત તમે બચાવવા માગતા હો તો તમારે વર્તમાન શાસકોને એ જગ્યાએ પાછા લઈ આવવા જોઈએ જેનાથી તેઓ ડરે છે અને જ્યાંથી તેઓ ભાગવા માગે છે.

પણ ભારતના સેક્યુલર નાગરિકો દેશના ભવિષ્યને લઈને એટલા બધા ચિંતિત છે કે સમજદાર હોવા છતાં પણ આ વાત સમજતા નથી, અને બાવાઓના એલફેલ ઉચ્ચારણો સામે મોરચો માંડીને તેઓ તેમને અનાવધાને મદદ કરે છે. વિરોધ પક્ષો પણ આ જ ભૂલ કરે છે. તેમને એ વાતનું ભાન નથી કે તેઓ અજાણતા ડરેલા શાસકોને ભાગવામાં મદદ કરી રહ્યા છે. સેક્યુલર ભારતે પોતાનો ગોલ-પોસ્ટ નક્કી કરવો જોઈએ. સેક્યુલર ભારતે પોતાની પીચ પર રમવું જોઈએ અને પ્રજાને ચીનની, ખાડે ગયેલા અર્થતંત્રની, બેરોજગારીની, મોંઘવારીની, ગરીબવિરોધી તેમ જ શ્રીમંતતરફી નીતિની, ૭૦૦ ખેડૂતોના મૃત્યુની, માનવીય સંવેદનાના અભાવની, તુમાખીની, છેલછોગાળી જીવનશૈલીની, કોવીડના ફૂહડ મેનેજમેન્ટની, વિદેશમાં ખરડાયેલી ભારતની આબરૂની યાદ અપાવતી રહેવી જોઈએ. જે જોડો વિરોધીને ડંખતો હોય એમાંથી પગ કાઢવા ન દેવો એ ખરું રાજકારણ. બાકી તેઓ જેમાં મહારત ધરાવે છે એવી તેમની પીચ ઉપર તમે રમશો તો ક્યારે ય તમે જીતવાના નથી. સદ્ગુણવિકૃતિના સાવરકરીય સંસ્કાર તેમણે ઘૂંટીઘૂંટીને આત્મસાત કર્યા છે એટલે તેઓ કોઈના પણ વિષે કાંઈ પણ બોલી શકશે જે તેમ બોલી શકવાના નથી.

માટે તેમની પીચ પર રમવાની ભૂલ છોડીને સેક્યુલર ભારતે એવી રણનીતિ અપનાવવી જોઈએ કે ડંખતા જોડામાંથી તેઓ પગ ન કાઢી શકે. જે આ કામ કરી શકશે એ આવતી કાલનો ભારતનો મહાન નેતા હશે અને તેનું સ્થાન નેહરુની સમકક્ષનું હશે એ નક્કી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જાન્યુઆરી 2022

Loading

રિલાયન્સ ઇન્‍ડસ્ટ્રીઝ લિમિટેડ : ભવિષ્યની ગણતરી અને મૂળિયાંની સમજનો પરફેક્ટલી ગણાયેલો દાખલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 January 2022

કોર્પોરેટ પરીકથાના લેજન્ડ઼્ઝ સમા ધીરૂભાઇ અને મૂકેશ અંબાણીની કામ કરવાની શૈલી આવનારી પેઢીઓ માટે દૃષ્ટાંત રૂપ

તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી  લિમિટેડની એન્યુઅલ જનરલ મીટિંગ થઇ અને તેમાં આગલી પેઢીને સુકાન આપવાનો ઉલ્લેખ ચેરમેન મૂકેશ અંબાણીએ કર્યો. દેશના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશનનું ઉત્તરદાયિત્વ મળવું કોઇ નાની સૂની વાત નથી. આમ પણ ધીરૂભાઈ અંબાણીએ જે શરૂ કર્યું તેને આગળ ધપાવવા માટે, વિકસાવવા માટે મૂકેશ અંબાણીએ જે કર્યું તે કોઇ દંતકથાથી કમ નથી. બહુ પહેલાં મેં ક્યાંક વાંચ્યું હતું કે દલાલ સ્ટ્રીટમાં એક જાણીતો જોક છે કે ભારતીય અર્થશાસ્ત્રને સમજવું હોય તો સેલ્ફ – રિલાયન્સ(આત્મ નિર્ભરતા)થી રિલાયન્સ સુધીના પરિવર્તનને સમજી લેવું. રિલાયન્સના સામ્રાજ્યની આસપાસ અહોભાવ અને સફળતાનો તેજોવલય જાણે રહેલો છે.  દેશમાં બીજા કોઇ પણ ખાનગી કોર્પોરેશને જૂના અને નવા બન્ને અર્થતંત્રમાં અને એ પરિવર્તન દરમિયાન પણ આટલો બધો વિકાસ નથી કર્યો. અમુકે કર્યો છે તો તે પચાવી નથી શક્યા, સંભાળી ન શક્યા. રિલાયન્સની વિકાસ ગાથા કોઇ કોર્પોરેટ પરીકથાથી કમ નથી.

ધીરૂભાઇની શરૂઆતી જિંદગી વિશે ઘણું લખાઇ ચુક્યું છે, ચોરવાડના શિક્ષકના દીકરા હોવું, સામાન્ય નોકરી કરવી, પોલિસ્ટર, શેર માર્કેટ અને ઘણું બધું. જોવાનું તો એ છે કે ધીરૂભાઇ અંબાણી જ્યારે ૨૦૦૨માં મૃત્યુ પામ્યા ત્યારે તે કોઇ વસિયત લખીને નહોતા ગયા. બન્ને દીકરાઓ મૂકેશ અને અનિલ અંબાણી વચ્ચેના મતભેદ ૨૦૦૪માં સપાટી પર આવ્યા. જ્યારે ઔદ્યોગિક મિલકતની માલિકીના વિખવાદો ચાલતા હતા, ત્યારે મૂકેશ અંબાણી તરફથી  રિલાયન્સના દરેક કર્મચારીને ઇ-મેઇલ ગયો હતો, જેનો સાર હતો કે ધીરૂભાઇના વારસાને મામલે કોઇ અસ્પષ્ટતા નથી અને મૂકેશ અંબાણી જ RILને લગતી તમામ બાબતોમાં આખરી સત્તા ધરાવે છે.

ધીરૂભાઇના સમયમાં જે ઔદ્યોગિક માળખું હતું તે મૂકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ સામ્રાજ્ય બનીને વિકસતું રહ્યું. ૧૯૭૭માં ૫૦ કરોડના રોકાણ અને ૬૦ હજાર શૅર હોલ્ડરથી શરૂ થયેલા RILએ ક્યારે ય કોઇ પણ ક્ષેત્રે હરણફાળ ભરવામાં પાછું વળીને નથી જોયું. રિવર્સ એન્જિનિયરિંગ જે ધીરૂભાઇએ અપનાવેલું તે મૂકેશભાઇએ પણ અપનાવ્યું અને કોઇ પણ ક્ષેત્ર હોય તેનું શ્રેષ્ઠ જ ખડું કરવું, શ્રેષ્ઠ જ અપનાવવું એ જ તેમનો સિદ્ધાંત રહ્યો છે. ધીરૂભાઇ અંબાણીના RILની સફર ટેક્સ્ટાઇલથી હાઇડ્રોકાર્બન સુધીની રહી છે. ૨૦૦૪માં રિલાયન્સ ભારતની પહેલી ખાનગી કંપની બની જે ફોર્ચ્યુન 500 કંપનીઝના લિસ્ટમાં મુકાઇ. રિફાઇનરી સ્થાઇ થઇ અને બીજી હરણફાળની તૈયારીઓ માટે મેદાન તૈયાર હતું. ૧૫ વર્ષ પહેલાં રિટેલ બિઝનેસિઝમાં ટોચ પર પહોંચવાનો નિર્ણય લેવાયો અને આજે રિલાયન્સ રિટેલ નેટવર્ક ૧૨,૦૦૦ જેટલા તો સ્ટોર્સ સાથેનું ૭,૦૦૦ શહેરોમાં વિસ્તરી ચૂક્યું છે. આમ તો રિલાયન્સ કોર્પોરેશન એક યા બીજી રીતે આપણી રોજિંદી ઘટમાળનો ભાગ રહ્યું પણ બદલાતા સમય સાથે ડેટા ઇઝ ધી ન્યુ ઓઇલના ફંડાને દૂરંદેશી ધરાવતા મૂકેશ અંબાણી સારી પેઠે સમજતા હતા અને આ સમજણ માત્ર સમજણ ન રહેતા વાસ્તવિકતામાં પણ ફેરવાઇ. જિઓ લૉન્ચ થયું અને લાખો લોકોની જિંદગી સુધી રિલાયન્સની પહોંચ વિસ્તરી. ભારતના ટેલિકોમ સેક્ટરમાં જિઓએ અણધાર્યા ફેરફાર કર્યા. આજે જિઓ દેશનું અગ્રણી ટેલિકૉમ ઑપરેટર છે. લૉંચ થયાના ચાર વર્ષના ગાળામાં તો જિઓનો માર્કેટ શેર ભારતીય ટેલિકૉમ સેક્ટરના ૩૩ ટકાથી વધુ થઇ ગયો. ૨૦૨૦માં RILના અલગ અલગ હિસ્સાઓ જેમ કે ટેલિકૉમ, રિટેલ, પેટ્રોલિયમ વગેરેમાં વિશ્વ ભરના જાયન્ટ્સે એક યા બીજી રીતે રોકાણ જાહેર કર્યા. લૉકડાઉન અને વાઇરસમાં સપડાયેલા દેશના અર્થતંત્રમાં જે હિલચાલ આંખે ઊડીને વળગી એવી રહી તે રિલાયન્સના રોકાણ જ રહ્યા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

ટેસ્લાના ઇલોન મસ્કને પાછળ છોડનારા મૂકેશ અંબાણીએ ભૂતકાળમાં પણ કહ્યું છે કે તે ભવિષ્યના બિઝનેસિઝને અપનાવવામાં પાછું વળીને નહીં જુએ. રિટેલ અને ડિજીટલ સેક્ટરમાં રિલાયન્સનો પગદંડો જે રીતે જામ્યો છે તે આ વિધાનનો પુરાવો છે. આર્થિક ધક્કાઓને આ સેક્ટર્સ પહોંચી વળ્યા છે. ધીરૂભાઇ અંબાણીનું દૂરંદેશી વિઝન દીકરા મૂકેશ અંબાણીને વારસામાં મળ્યું છે. સામાજવાદી નીતિઓને ધંધા પર લાગુ નહીં કરીને હવે કયું ક્ષેત્ર વિકસશેની ગણતરીઓ યોગ્ય રીતે માંડવી એ RILની વિચારશૈલી છે. મૂકેશ અંબાણીએ પોતાની આ સમજને ઇન્ટ્યુશન એટલે કે આંતરસૂઝ ગણાવી છે, પણ તેમના મતે એક સારા બિઝનેસમેનમાં આ સમજ હોવી સ્વાભાવિક છે. 5Gમાં રોકાણ કરીને બેઠેલા મૂકેશ અંબાણીને વાંચનનો શોખ છે અને ટેક્નોલૉજી આર્ટિકલ્સ વાંચવાના શોખીન મૂકેશ અંબાણીએ આ ટેક્નોલૉજીની સમજ સાથે વૈશ્વિક રાજકીય પરિબળોને પણ ગણતરીમાં લીધા. વર્તમાન વૈશ્વિક સંજોગોમાં 5Gને મામલે ચીન સિવાયના દેશો સાથે કામ કરવા માગતા ઘણાં રાષ્ટ્ર છે. સ્વાભાવિક છે ભારત અને તેમાં ય RIL જે આ માટે સજ્જ છે તેની પર જ પસંદગીનો કળશ ઢોળાશે.

વળી ડાઇવર્સિફિકેશન અને નવું કરવાના પડકાર ઓછા નથી હોતા, પરંતુ તેની સાથે ડિલ કરવા માટે RILમાં ક્ષેત્રના શ્રેષ્ઠ માઇન્ડ્ઝને કામે લગાડાય છે. વળી RILના ડાઇવર્સિફિકેશનમાં યુવાનો માટે નોકરીની તકો વધારે હોય તેની ગણતરી પણ કરાય છે. આ એક લક્ષી નહીં પણ બહુકોણિય વિકાસ હોય છે જેમાં માત્ર એક કંપનીની નહીં પણ તેની સાથે એક યા બીજી રીતે જોડાતા દરેકનો આગવો – પોતાની ક્ષમતા અનુસારનો વિકાસ થાય.

મૂકેશ અંબાણીની આ સૂઝ માત્ર આધુનિક વિશ્વનાં પરિવર્તનોને સમજવાથી નથી બની પણ તેમાં આંતરિયાળ ભારતની જરૂરિયાત, તેમની માનસિકતા અને તેમની ક્ષમતાઓ માટેની સમજ પણ કામ કરે છે. જિઓનું કામ માત્ર ફોન નેટવર્ક સુધી સિમિત નથી આ પ્લેટફોર્મથી ખેતી, શિક્ષણ, હેલ્થકેર, ગેમિંગ, મીડિયા, એન્ટરટેઇનમેન્ટ, ઇકોમર્સ – રિટેલ, ઇપેમેન્ટ્સ અને બ્રોડબેન્ડ બધાંને આવરી લેવાયા છે.

અંબાણી ભાઇઓના વ્યક્તિત્વમાં આસમાન જમીનનો ફેર છે. મૂકેશ અંબાણી લો પ્રોફાઇલ રહેવામાં માને છે, ચિવટ તેમનો સ્વભાવ છે, સતત કામ કરતા રહેવું તેમની વૃત્તિ છે અને ભવિષ્યની ગણતરીઓની ત્રિરાશી માંડીને આજનું પ્લાનિંગ કરવામાં તેમને કોઇ ન પહોંચે. અનિલ અંબાણીની લાઇફ સ્ટાઇલ ગ્લેમરસ રહી છે, પરિણામોથી આપણે વાકેફ છીએ. આ અને બીજા અનેક પરિબળોને પગલે રિલાયન્સના ભાગલા થયા અને પછી જે થયું તે આપણી નજર સામે છે અને સમાચારોમાં RILના વિકાસ વિશે સાંભળવું હવે સાહજિક બની ગયું છે.

બાય ધી વેઃ

હંમેશાં સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જોવા મળતા મૂકેશ અંબાણી કૌશલ્ય અને શિક્ષણ પર ભાર મૂકે છે. ઊંમરના છ દાયકા પાર કરી ચૂકેલા મૂકેશ અંબાણી આજના પંદર વર્ષના યંગસ્ટર્સને કાલે શું જોઇ શકે છે તેની પર ગંભીરતાથી વિચાર કરે છે, નવી પેઢીના વિચારોને ગણતરીમાં લે છે. તેમને કોઇ ગુજરાતીમાં પૂછે કે કેમ છો? તો ઇન્ડિયન વોબલ અને મંદ સ્મિત સાથે તેમનો કાયમી જવાબ હોય છે, ‘ફર્સ્સ ક્લાસ.’ તેમના સંતાનો ઇશા, આકાશ અને અનંત ત્રણેયે પિતાને કામ કરતાં જોયા છે. તેમની દીકરીમાં રહેલો સ્પાર્ક આંખે ઊડીને વળગે છે અને દીકરાઓની આવડત અને સૂઝના દૃષ્ટાંત વાર્ષિક મીટિંગ્ઝમાં જોવા મળે છે.

કયા બિઝનેસ ફેમિલીમાં આવનારી પેઢીને સત્તા સોંપવાના વિવાદો વકર્યા અને કોનું કામ શાંતિથી થયું?

ગોદરેજ પરિવાર : 

વિખ્રોલીની ૩,૦૦૦ એકરની જમીનને લઇને ગોદરેજ પરિવારમાં વિખવાદ થયા. અદી, જમશેદ અને નાદિર – ગોદરેજ ભાઇઓ વચ્ચેનો સંપ જમીનને કારણે તૂટ્યો. ત્રીજી પેઢીએ ગોદરેજમાં પાંચ પરિવારો છે. પાંચ કુટુંબો ૨૦૧૯થી પોતાના શૅર્સ ધીમે ધીમે ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી રહ્યા છે જેથી આ વિભાજન સરળ બને પણ એમ થવું મુશ્કેલ છે. બની શકે કે ગોદરેજ ગ્રૂપમાં એક તરફ અદી અને નાદિર હશે તો બીજી તરફ જમશેદ અને સ્મિતા હશે. રિશાદને સંતાન નથી અને તેના શૅર્સ તેના નિધન પછી બાકીના સભ્યોમાં સરખે ભાવે વહેંચાશે. પરિવારનું નામ ન ખરડાય તેની કાળજી રાખીને કોઇ પણ હો હા વગર તેઓ પાંચ પરિવારો વચ્ચે કોર્પોરેશનને વહેંચવા ધારે છે.

સિંઘાનિયા પરિવાર :

રેમન્ડ ગ્રૂપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ જ્યારે પિતા વિજયપત સિંઘાનિયા સાથે શિંગડા ભેરવ્યા ત્યારે એ વિખવાદો જગ જાહેર થયા. ૨૦૧૯માં ગૌતમે પિતા સાથે વાતચીત કરવાની તૈયારી બતાડી. વિજયપતે પોતાના દીકરાના હાથમાં બધો બિઝનેસ સોંપી દીધાને પોતાની મૂર્ખતા ગણાવી. વિજયપતે લખેલા પુસ્તક પર બોમ્બે હાઇકોર્ટે સ્ટે મુકાવ્યો છે. ગૌતમ સિંઘાનિયા નાના દીકરા છે, પણ વિજયપતને પોતાના મોટા દીકરા મધુપતિ સાથે પણ નથી બનતું તે પરિવાર સાથે છેડો ફાડીને સિંગાપોર સેટલ થઇ ગયા છે.

તાતા ગ્રૂપ :

સાયરસ મિસ્ત્રીને તાતા ટ્રસ્ટ સાથે જે કજિયા થયા તેનાથી સૌ વાકેફ છે. રતન તાતાને મામલે બીજી પેઢીને સુકાન આપવાનો પ્રશ્ન ખડો થતો નથી. તાતા ગ્રૂપનું સુકાન કોણ સંભાળશે તે મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે રતન તાતાએ ગ્રૂપને જે સ્તરે મૂક્યું છે તે પછી કોઇ અણઘડના હાથમાં આ લગામ સોંપાય તેમ નથી. તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બીજી ટર્મ મળશે કે નહીંની ચર્ચાઓ ચાલ્યા કરે છે. ચંદ્રશેખરે કોઇ પણ વિવાદો વિના અત્યાર સુધી સંતુલન જાળવ્યું છે. સૉલ્ટ ટૂ સૉફ્ટવેર સુધીના બિઝનેસિઝને ડિસ્ટર્બ કર્યા વિના ચલાવી શકે તેવી જ કોઇ વ્યક્તિને શોધવી પડે જે બોર્ડ અને ટ્રસ્ટના વિચારોને રફેદફે ન કરી દે.

બજાજ પરિવાર : 

રાહુલ બજાજે બજાર ઓટોના ચેરમેન તરીકે એપ્રિલ ૨૦૨૧માં રાજીનામું આપ્યું. તેમણે કહેલું કે મૂર્ખાઓ જ રિટાયર થાય પણ છતાં તેમણે પોતાની ચેરમેનશીપને અલવિદા કહ્યું. આ કરતા પહેલાં તેમણે પોતાના ભાઇઓ, પિતરાઇઓ અને દીકરાઓ વચ્ચે ગ્રૂપ કંપનીઝની માલિકીની શાંતિપૂર્વક વહેંચણી કરી. બજાજ પરિવારમાં આ ચોથી પેઢી છે. ફાઇનાન્સ, ફિનસર્વ અને ઑટોમોબાઇલ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ બજાજ ગ્રૂપ વિશ્વની ટોચની મૂલ્યવાન કંપનીઓમાંની એક રહી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  02 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6451,6461,6471,648...1,6601,6701,680...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved