Opinion Magazine
Number of visits: 9456358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે કાવ્યો

મીનલ પંડ્યા|Poetry|3 May 2025

શૂન્ય છે 

આ જગત આખું

શૂન્યમાંથી

છે ઉદ્ભવ્યું

શૂન્યમાં પરિણમશે કદી

શૂન્ય ઉમેરો જેટલા

રહેશે છેવટે શૂન્ય

તોયે

જીવન આખું વીતે

શૂન્ય પર શૂન્ય

ઉમેરવામાં, એક

એકડાની પાછળ

પણ અંતે

પાંચ તત્ત્વોનું

આ શરીર, મળી

જશે પાંચ તત્ત્વોમાં

તો શું

માનવી જીવન

પણ  છે શૂન્ય?

શૂન્ય જીવનમાં

થવાય કેમ ધન્ય?

•••

પેઢી – ગઈ એક પોઢી

નવા જમાનાની નવી વાતો જોવા
આંખો જુનીને તમાશા નવા થયા

ઓરડા ગયાને બેડરૂમ થયા
ઓટલા ગયાને પાર્કિંગ થયા
પરસાળ, પાનીહરા, ચોક ને ચોકડી
બસ બાના ઘરના ફોટામાં રહ્યા
આગળો, ઉંબરા, પાટલા ને બાજોઠ
આખી એક પેઢીની સાથે ગયા

ગયા એ સોનેરીકોર વાળા પીતાંબર
ને સુગંધિત વેણી વાળા અંબોડા
આજે તો વાળ ટૂંકા ને પાટલૂન ચુસ્ત થયા

ગયા એ પોળનાં ચબુતરાઓ ને ચોરાઓ
હીંચકા ઉપર ઝુલનારા એ  બોખા વડીલો
આજે તો હોર્નની ચીસો ને ફોનની ઘંટડીઓમાં
પંખીઓ પણ પલાયન થયા

ગયા પેંડા, બરફી, ચુરમું, ને લાપસી
શ્રાદ્ધ અને સંવત્સરીના જમણ
આજે તો વર્ષગાંઠની મિજલસમાં
ચોકલેટ કેક ને પીઝાના માહોલ થયા

આંખો જુનીને તમાશા નવા થયા

e.mail : meenalpandya@gmail.com

Loading

ગુજરાત દિને વિકાસનું આત્મનિરીક્ષણ 

નેહા શાહ|Opinion - Opinion|3 May 2025

નેહા શાહ

ગુજરાત રાજ્યની સ્વતંત્ર ઓળખને ૬૫ વર્ષ થયાં. ૧૯૬૦માં ચાર વર્ષના સંઘર્ષ બાદ ગુજરાતને મુંબઈ સ્ટેટથી અલગ આગવા રાજ્યોનો દરજ્જો મળ્યો, ત્યારથી શરૂ કરીને આજ સુધી આર્થિક પ્રગતિમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. રાજ્યમાં માથાદીઠ આવક ત્યારથી લઈને આજ સુધી દેશની સરેરાશ કરતાં વધારે રહી છે. ઉદ્યોગો અહીં લાવવા માટે દરેક સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે. ઉદ્યોગ – વેપારને પ્રોત્સાહનો આપવાની સાથે સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા રસ્તા અને વીજળીનાં જોડાણ જેવી માળખાંકીય સવલતોને કારણે ઉદ્યોગોનો વિકાસ થયો – પહેલા વાપીથી મહેસાણા સુધીનો ગોલ્ડન કોરીડોર તરીકે ઓળખાતા ભાગમાં, પછી સૌરાષ્ટ્રમાં અને ૨૦૦૧ના ધરતીકંપ પછી કચ્છમાં. આર્થિક પ્રવૃત્તિને ટેકો કરવાની જવાબદારી ચોક્કસ સરકારની છે. સરકાર શરૂઆતની સગવડ ઊભી કરે પછી આર્થિક પ્રવૃત્તિ પોતાના બળે વેગ પકડી લે છે. ગુજરાત જેવા ઉદ્યોગ સાહસી રાજ્યમાં તો ખાસ. કારણ કે,  એક વખત રોકાણ પર વળતર શરૂ થઇ ગયું, એ પછી દરેક રોકાણ એની બાહ્ય અસરમાં બીજા ઘણા વ્યવસાયો ઊભા થાય છે. ગુજરાતના અર્થતંત્રમાં આ બખૂબી દેખાય છે. પરિણામે ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર ભારતની સરેરાશ કરતાં હંમેશાં ઊંચો રહ્યો છે. વધતી જી.ડી.પી.ને કારણે ‘ગુજરાત મોડેલ’ અનેક ગુણગાન ગવાયા અને સમગ્ર દેશમાં ચર્ચાયું.

વિકાસનું કોઈ પણ મોડેલ પ્રશ્નવિહીન નથી હોતું. વિકાસ સાથે અનેક પ્રશ્નો આવે જ અને જો તેને અવગણવામાં આવે તો એ વધુ વકરે. આવું જ ગુજરાત મોડેલનું પણ છે. વિકાસનાં જે ફળ આપણે આજે ભોગવી રહ્યાં છીએ એના સંપૂર્ણ આદર સાથે એની ફ્લીપ (અવળી) બાજુ પર પણ નજર કરવી પડશે, એને સ્વીકારવી પડશે અને એ અંગે પગલાં લેવાં પડશે. જેમ અંગ્રેજીમાં કહે છે એમ, કોઈ પણ ભોજન મફત મળતું નથી. એટલે કે જે વિકાસ થયો છે એની કિંમત છે, જે માત્ર નાણાંમાં જ માપી શકાય એવી નથી. ટકાઉ વિકાસ માટે આ બિન નાણાંકીય-કિંમતની ગણતરી કરવી પડશે કારણ કે આજે આ કિંમત મોં ફાડીને આપણી પાસે હિસાબ માંગી રહી છે. 

વિકાસની અવળી બાજુના બે મહત્ત્વનાં પાસાં છે – એક, રાજ્યમાં માનવ વિકાસની પરિસ્થિતિ અને બે, કુદરતી સાધનો અને પર્યાવરણની નાજુક પરિસ્થિતિ. માનવ વિકાસમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ પડે છે એ વાત તો ઘણાં વર્ષોથી નિષ્ણાતો કહી રહ્યા છે. આર્થિક વિકાસનો ફાયદો નીચેના સ્તર સુધી ઉતરશે અને માનવ વિકાસ સુધારશે એ ધારણા સાચી નથી પડી. ઔદ્યોગિક વિકાસમાં સૌથી આગળ એવું ગુજરાત માનવ વિકાસ સૂચકાંકમાં ઘણું પાછળ રહેતું આવ્યું છે. દા.ત. લૈંગિક સમાનતા સમજવા માટેનો પહેલો સૂચકાંક એવા સ્ત્રી-પુરુષ વસ્તીનો ગુણોત્તર જોઈએ તો રાજ્યમાં દર ૧,૦૦૦ પુરુષે માત્ર ૯૧૯ મહિલા છે. આ ગુણોત્તર ઉત્તરોત્તર ઘટ્યો છે, જે બતાવે છે કે ક્યાં તો બાળકીને જન્મવા દેવામાં નથી આવતી, ક્યાં તો ઘણી મોટી સંખ્યામાં મહિલાઓને સરખું પોષણ નથી મળતું, જેથી મૃત્યુ જલદી થાય છે. માતૃ મૃત્યુ દર પણ ઊંચો છે અને નવજાત બાળ મૃત્યુ દર પણ. બાળ મૃત્યુ દર ૨.૪ ટકા સાથે ગુજરાતનો ક્રમ ૨૪મો છે, જે દર્શાવે છે કે હજુ પણ ઘણી માતા અને નવજાત બાળકને સમય યોગ્ય પોષણ કે સમયસર આરોગ્યની સુવિધા મળી શકતાં નથી. સાક્ષરતામાં પણ રાજ્યનો ક્રમ છેક નવમો છે અને મહિલા સાક્ષરતા હજુ ૭૪ ટકાએ પહોંચી છે જ્યારે કેરલા જેવા રાજ્ય ૧૦૦ ટકા સાક્ષરતાની ખૂબ નજીક છે. જે રાજ્ય આર્થિક રીતે સધ્ધર હોય એને પાયાની સવલતો દરેકે દરેક નાગરિક સુધી પહોંચે એ માટે સાધનોની અછત ના ઊભી થવી જોઈએ. આપણાથી ઓછા સંપન્ન ઘણા રાજ્યો ઘણો સારો માનવ વિકાસ કરી ચુક્યા છે. ગુજરાતે એ દિશામાં એટલું જ ધ્યાન આપવું પડશે જેટલું એ વેપાર -ઉદ્યોગોને ટેકો કરવામાં કરી રહી છે, કારણ કે જેમ આર્થિક પ્રવૃત્તિ આપબળે આગળ વધી શકે છે એ ઝડપ માનવ વિકાસમાં મળતી નથી. એમાં થોડો લાંબો સમય લાગે છે કારણ કે એની પર માત્ર આર્થિક જ નહિ પણ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની પણ અસર પણ હોય છે. વળી, જ્યારે કોઈ પણ પ્રકારના આર્થિક સંકટ સમયે સામાજિક પૂર્વગ્રહો બેવડાઈ જતા હોય છે જે માનવ વિકાસને ઊંધી દિશા ભણી ખેંચે છે. 

જળ-વાયુ સંકટને કારણે આવા આર્થિક સંકટો ઊભા થઇ રહ્યા છે, જે વિકાસને રૂંધવાનું કામ કરી રહ્યા છે. પાણીનાં સતત નીચા જતાં તળ, નદીનાં પાણીનું બેફામ પ્રદૂષણ, નર્મદા જેવા મોટા બંધનાં પાણીના વિતરણમાં દેખાતા આયોજનના ગંભીર પ્રશ્નો, સાગર કાંઠે વધી રહેલા ક્ષારનું પ્રમાણ, જમીનની વધી રહેલી સાંદ્રતા, રાસાયણિક ખાતરના ભરપૂર ઉપયોગ પછી જમીનની ઘટી ગયેલી ઉત્પાદકતા, અને સાથે સાથે અનિયમિત બનેલી વરસાદી સાયકલ જેવા અનેક પ્રશ્નો આપણા વિકાસને ટૂંકા ગાળાનો સાબિત કરી રહ્યા છે. જેની કિંમત રાજ્યનો છેવાડાનો માણસ ચૂકવી રહ્યો છે. આ ગુજરાત દિને આ પ્રશ્નો તરફ વધુ ધ્યાન આપી વિકાસ ટકાઉ બની શકે એવા ગુજરાત મોડેલ ભણી આગળ વધવાનું શરૂ કરીએ.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાષ્ટ્રપિતા

નારાયણ દેસાઈ|Gandhiana|3 May 2025

નેતાજી સુભાષચંદ્ર બોઝને ગાંધીજી સાથે ઘણા મતભેદ હતા. મુખ્ય મતભેદ એમની કાર્યપદ્ધતિ અંગે હતો, દેશને સ્વતંત્ર કરવા બીજા દેશની મદદ મળે તો તે લેવી જાઈએ એમ સુભાષ બાબુ માનતા હતા. ગાંધીજી એમ માનતા હતા કે બીજા દેશની મદદથી જો સ્વતંત્રતા આવે તો એક દેશની ગુલામીને બદલે બીજા દેશની ગુલામી આવી શકે. હિંસા-અહિંસાના મુખ્ય મતભેદ ઉપરાંત આ બીજો મતભેદ હતો. ગાંધીજી અને સુભાષ બાબુ વચ્ચે બીજાયે મતભેદો હતા પણ તે છતાં ય તેમણે ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ કેમ કહ્યા હશે? કારણ તેઓ રાષ્ટ્રભક્ત હતા અને ગાંધીજીને તેમણે રાષ્ટ્રને ઘડતા જોયા જાણ્યા હતા. ગાંધીજી રાષ્ટ્રના ઘડવૈયા હતા.

દેશ એની ભૌગોલિક કે રાજનૈતિક સીમાથી બને છે. રાષ્ટ્ર માત્ર એના ઇતિહાસથી નહીં, પણ એની ભાવનાત્મક એકતાથી બને છે. કેટલાક દેશોને એની ભાવનાત્મક એકતા એની ભાષા આપે છે. બાંગ્લાદેશનું ઉદાહરણ આપણી પડોશમાં જ છે. કેટલાક દેશો ધર્મની એકતાને પોતાના રાષ્ટ્રનો પાયો બનાવે છે. પાકિસ્તાન એનું ઉદાહરણ છે. કેટલાક દેશોને રાષ્ટ્રત્વ ત્યાંના રાજવીને લીધે મળે છે. નેપાળ એનો દાખલો છે. આપણા દેશમાં અનેક ભાષાઓ હતી. આપણા દેશને રાષ્ટ્રત્વ સાંપડ્યું એની ભાવનાત્મક એકતાથી. આ દેશ ગુલામ છે, એને સ્વતંત્રતા મળવી જોઈએ એ વાત કહેનાર ગાંધીજી કોઈ પહેલા માણસ નહોતા. ગાંધીજીના જેટલો જ સ્વતંત્રતાનો પ્રેમ એમના પહેલાંયે ઘણાઓને હતો અને ગાંધીજીની હયાતી દરમિયાન પણ ઘણાને હતો. તો ગાંધીજીની એવી તે કઈ વિશેષતા હતી કે જેને લીધે સ્વતંત્ર દેશની સંસદે તેમને જ રાષ્ટ્રપિતા કહ્યા?

તે વિશેષતા એ હતી કે એમણે આવડા મોટા અને આટલી બધી વિવિધતાવાળા દેશને રાષ્ટ્રીયતાની એક ભાવનાથી જોડ્યો કે ઘડ્યો. એમણે અલગ અલગ પુષ્પો એક સૂત્રમાં બાંધી માત્ર એક માળા જ ન બનાવી પણ તેનો એક ગુલદસ્તો રચ્યો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એ રાષ્ટ્રને માનવોનો મહાસાગર કહ્યો હતો. સાગર-જલમાં જેમ બધી નદીઓ એકરૂપ થઈ જાય છે, તેમ અહીં બધી વિભિન્નતાઓ, એકતામાં સમાઈ જાય છે.

ગાંધીજીનો પુરુષાર્થ આ દેશને આવી એકતા આપવાનો હતો. તેથી તેમને સુભાષ બાબુએ ‘રાષ્ટ્રપિતા’ કહ્યા. એમના એ શબ્દે આખા દેશના અવાજનો પડઘો પાડ્યો હતો.

[સૌના ગાંધી-9]
Pradyot Priyadarshiની વોલ પરથી આભાર સહ.
03 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 303

Loading

...102030...163164165166...170180190...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved