Opinion Magazine
Number of visits: 9961934
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મીરા’ 16મી સદીનો વિદ્રોહ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 May 2022

રાણા ભોજરાજ : “ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?”

મીરા : “જો સ્વામી સે હોના ચાહિયે.”

રાણા : “ઔર હમસે?”

મીરા : “આપ તો મેરે રાણા હો.”

•

હેમા માલિનીને એક રંજ રહી ગયો છે કે લતા મંગેશકરે તેમની ફિલ્મ “મીરા”નાં ભજનોને તેમનો અવાજ ન આપ્યો. સ્વરસામ્રાજ્ઞીના અવસાન પછી એક ઇન્ટરવ્યૂમાં ડ્રીમ ગર્લે કહ્યું હતું કે, “નિર્માતા પ્રેમજીએ મારી અને ધરમજી સાથે હીટ ફિલ્મો બનાવી હતી અને મેં તેમને મીરાબાઈનો વિષય સૂચવ્યો હતો. તેનું નિર્દેશન કરવા માટે મેં જ ગુલઝાર સાથે વાત કરી હતી. મારી ઈચ્છા હતી કે લતાજી તેનાં ભજનો ગાય. લતાજી પૂરી કારકિર્દીમાં મારો અવાજ રહ્યાં છે અને હવે હું જ્યારે મારી સૌથી ગમતી ભૂમિકા કરી રહી હતી ત્યારે તેમણે ના પાડી. મેં જાતે તેમને કહ્યું હતું કે તમે નહીં ગાવ તો મીરાબાઈ કી આવાજ નહીં હોગી. તેમણે નમ્રતાથી ના પાડી.” કેમ?

એક બીજા ઇન્ટરવ્યૂમાં લતાજીએ તેનો ખુલાસો કરતાં કહ્યું હતું, “મેં મારા ભાઈ હૃદયનાથ મંગેશકર સાથે ‘ચલા વહી દેશ’ આલ્બમમાં મીરાનાં ભજન ગાયાં હતાં. એટલે મેં નક્કી કર્યું હતું કે હું બીજા કોઈ માટે એ નહીં ગાઉં.” એ પછી વાણી જયરામ પાસે ફિલ્મનાં ભજનો રેકોર્ડ કરવામાં આવ્યાં અને વાણીને “મેરે તો ગિરધર ગોપાલ” માટે સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં કુલ બાર ભજન હતાં. હેમા કહે છે કે વાણી સુંદર ગાયિકા છે, પણ તેનો અવાજ મારા માટે અનુકૂળ નહોતો. લતાજીએ મીરામાં મારા માટે ન ગાયું તેનો મને વસવસો છે. ગુલઝાર જો કે લતાજીએ કેમ ન ગાયું તેનું થોડુંક જુદું કારણ આપે છે, પણ તેની વાત પછી કરીએ.

“મીરા” 25 મે 1979ના રોજ રિલીઝ થઇ હતી. “મીરા”માં, એક બાજુ ૧૬મી સદીના એક રાજસ્થાની રજવાડામાં શાહી વ્યૂહરચનાઓના ભાગ રૂપે અટપટી ગોઠવણો અને સમજૂતીઓ હતી તો બીજી તરફ એના કેન્દ્રમાં રહેલી રાજપૂતાણી મીરા બાઈનો વિદ્રોહ હતો. ગુલઝાર મીરાને પૌરાણિક મીથ રૂપમાં નહીં, એક ઐતિહાસિક રૂપમાં જુએ છે અને મીરાને પહેલી આઝાદ નારી ગણે છે, જે તેની નિયતિ ખુદ પસંદ કરે છે.

ફિલ્મ પત્રકાર અનુરાધા ચૌધરી સાથેની એક મુલાકાતમાં ગુલઝાર કહે છે, “આ ફિલ્મ બનાવવા માંગતો હતો તેનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે 1981ના વર્ષને મહિલા મુક્તિ વર્ષ તરીકે મનાવવામાં આવવાનું હતું. હું મીરાને દેશની પહેલી મુક્ત નારી તરીકે જોઉં છું. તેનામાં ઊંચું આત્મસન્માન હતું, તે જ્ઞાની હતી, બુદ્ધિશાળી હતી, કવયિત્રી હતી અને તેણે તેના પતિનો ધર્મ સ્વીકારવાની ના પાડી દીધી હતી.”

મીરાની ખ્યાતિ એક આધ્યાત્મિક ભકત તરીકેની છે, પણ ગુલઝારને તેના અસલી જીવનમાં રસ હતો. એ કહે છે, “દેખીતી રીતે જ, હું વાર્તામાં આધ્યાત્મિક તત્ત્વ તો રાખવા માંગતો જ હતો, પરંતુ મારે મીરાની માઈથોલોજીક્લ છબીમાં ઔર રંગ પૂરવા નહોતા. હું એક ઐતિહાસિક ફિલ્મ બનાવવા માંગતો હતો જેમાં ઉચિત સંદર્ભો હોય. મેં જ્યારે મીરા વિશે સંશોધન શરૂ કર્યું તો મારા આશ્ચર્ય વચ્ચે કશું જ ઉપલબ્ધ નહોતું. એ ૪૦૦ વર્ષ પહેલાં જ જીવી ગઈ હતી, પણ ભારતમાં લેખિત ઇતિહાસની પરંપરા જ નથી, આપણી મૌખિક પરંપરા છે. મને કર્નલ ટોડના પુસ્તક “હિસ્ટ્રી ઓફ રાજસ્થાન”માં બધી જ વિગતો મળી ગઈ.”

“મીરા” પીરિયડ ફિલ્મ હતી, પણ તેની માવજત આધુનિક હતી. ફિલ્મમાં એક જગ્યાએ મીરાનો પતિ રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) તેના કૃષ્ણપ્રેમ અંગે પૂછે છે, “ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?”

મીરા જવાબમાં કહે છે, “જો સ્વામી સે હોના ચાહિયે.”

રાણા પૂછે છે, “ઔર હમસે?”

મીરા કહે છે, “આપ તો મેરે રાણા હો.”

૧૬મી સદીની એક સ્ત્રી કેવી રીતે તેના પતિ સાથે સામાજિક સંબંધ નિભાવવા તૈયાર છે, પણ પત્ની તરીકેનો સંબંધ કૃષ્ણ માટે અબાધિત રાખે છે તેની “સ્વામી અને રાણા”માં ખૂબસૂરત ગોઠવણ છે. ૧૬મી સદીના ભારતમાં જ્યાં સ્ત્રી પિતા, ભાઈ, પતિ અને પુત્રના આશ્રયમાં જીવતી હતી અને એ ચારેને પૂછીને તે પગલું ભરતી હતી, ત્યારે મીરા એવું જીવન જીવી હતી જે આજની ભણેલી-ગણેલી આધુનિક સ્ત્રીઓ પણ કલ્પના કરી ન શકે. મીરાએ ત્યારે પતિ, પિતા, ધર્મ, શાસન, સમાજ કે પરિવારના તિરસ્કારને સહન કરીને એ જ કર્યું હતું જે તેના દિલને યોગ્ય લાગ્યું હતું.

પતિનું બાળક જણવામાં કે પત્નીધર્મ નિભાવવામાં નિષ્ફળ ગયેલી મીરાને જ્યારે મેણા મારવામાં આવે છે ત્યારે તે કહે છે, “મૈ આત્મા હૂં શરીર નહીં. મૈ ભાવના હૂં, કિસી સમાજ કા વિચાર નહીં. મૈ પ્રેમી હૂં, પ્રેમિકા હૂં, કેવલ પ્રેમ નામ કી જોગન. કિસી સંબંધ કી કડી નહીં., કિસી પરિવાર કી ખૂંટી સે બંધી સાંકલ નહીં.”

આ વિધાનમાં મીરાના એક એવા સ્વતંત્ર વ્યક્તિત્વની ઘોષણા હતી, જે રીતિ-રીવાજો અને જબરદસ્તીની ફરજોનું ગુલામ નથી. જે જમાનામાં બુદ્ધ બનાવાનું આસાન હતું પણ મીરા બનવાનું અશક્ય હતું, ત્યારે આ ભકતાણીએ ભક્તિના પથ પર આગળ જવાનો રસ્તો બતાવ્યો હતો.

ફિલ્મની વાર્તા અકબર(અમજદ ખાન)ના સમયની છે. રાજસ્થાનના મેડતા રજવાડાના રાજા વીરમદેવ રાઠોડને બે દીકરીઓ મીરા (હેમા), ક્રિશ્ના (વિદ્યા સિન્હા) અને એક દીકરો જયમલ (દિનેશ ઠાકુર) છે. મીરા ભગવાન કૃષ્ણની એટલી દીવાની છે કે તેમને જ પોતાના પતિ માને છે. વીરમદેવ એકમાત્ર એવો રાજા છે જે અકબરની સલ્તનત સામે ઝૂકવા તૈયાર નથી, અને એ માટે રાજા વિક્રમજીત (શમ્મી કપૂર) સાથે હાથ મિલાવે છે. એ સમજૂતીના ભાગ રૂપે, મીરાને વિક્રમજીતના દીકરા રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) સાથે પરણાવી દેવામાં આવે છે.

ઈચ્છા વિરુદ્ધ સાસરે વળાવાયેલી મીરાનો કૃષ્ણપ્રેમ અકબંધ રહે છે, જે ભોજરાજ અને તેના પરિવારને મંજૂર નથી. એમાં ખટરાગ વધી જાય છે અને મીરાને પતિ માટે પત્નીધર્મ ન બજાવતી, પરિવાર માટે વહુની ફરજ ન બજાવતી અને સમાજ માટે આદર્શ સ્ત્રી બનવાનો ઇન્કાર કરતી સ્ત્રી ગણીને તેનો બહિષ્કાર કરવામાં આવે છે. તેને જેલમાં કેદ કરવામાં આવે છે પણ તે ઝૂકતી નથી. તેને મૃત્યુદંડ ફરમાવામાં આવે છે અને સાર્વજનિક રીતે ઝેરનો કટોરો પીવાની સજા કરવામાં આવે છે. મીરાનો કૃષ્ણપ્રેમ એટલો અડગ છે કે તે હસતાં મોઢે ઝેર પીને કૃષ્ણનું ભજન ગાતી ગાતી મહેલ છોડી દે છે.

વાર્તાની દૃષ્ટિએ “મીરા” કૃષ્ણભક્તિ પરની ફિલ્મ છે, પરંતુ ઊંડેથી જુઓ તો તે એક સ્ત્રીના તેના શરીરને લગતા, સમાજને લગતા અને તેની ભક્તિને લગતા સ્વતંત્ર નિર્ણયોની કહાની છે. તેમાં તેને બેઈજ્જતી કે મૃત્યુનો ભય નથી. જે ધર્મ અદાલતમાં તેને મૃત્યુદંડ આપવામાં આવે છે તેમાં રાજ્યના કુલગુરુ (ઓમ શિવપુરી) સાથે મીરાનો એક સંવાદ છે :

“મીરા, ક્યા તુમને અપને પતિ કા ધર્મ સ્વીકાર કરને સે ઇન્‌કાર કિયા?”

“મ્હારો ધર્મ તો એક હી સાંચો, ભવ સાગર સંસાર સબ કાચો.”

“ક્યા તુમ સ્વીકાર કરતી હો કી રાજકુંવર ભોજરાજ કે સિવા ભી તુમ્હારા કોઈ ઔર પતિ હૈ?”

“જાકે સિર મોર-મુકટ મેરો પતિ સોઈ.”

“તો અદાલત યે માન લે કી તુમ્હારે એક નહીં દો પતિ હૈ?”

“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ.”

“જો પરિવાર તુમ્હે જિંદા રખતા હૈ ઔર જિસ સમાજ મેં તુમ રહતી હો, ક્યા ઉસકે’ નિયમ તુમ્હારે લિયે કોઈ મહત્ત્વ નહીં રખતે?”

“આજ, ઇસ પલ, મેં અપના પરિવાર ઔર આપકે સમાજ દોનો કા પરિત્યાગ કરતી હૂં.”

“અપને અપરાધ કા દંડ જાનતી હો?”

“મેરા દંડ ક્યા હોગા યે આપ ભી જાનતે હૈ, મેં ભી જાનતી હું. મેં આપકો અપની હત્યા કે પાપ સે મુક્ત કરતી હૂં.”

હેમા માલિની આ દૃશ્યને તેનું સૌથી ગમતું દ્રશ્ય ગણાવે છે. હેમા કહે છે, “એમાં એક ગંભીર સામાજિક સંદેશ હતો. સાંકળોમાં બંધાયેલી મીરાને જ્યારે અદાલતમાં લાવવામાં આવે છે ત્યારે તેનો મોટો પડછાયો કુલગુરુ પર પડે છે અને તેઓ ગભરાઈ જાય છે. એ દૃશ્ય ઘણું પ્રતિકાત્મક હતું.”

“મીરા” માટે બે કલાકારો પહેલેથી જ નક્કી હતા; હેમા માલિની અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ. ગુલઝારના ગમતા કમ્પોઝર તો આર.ડી. બર્મન હતા, પરંતુ નિર્માતા પ્રેમજી માટે થઈને તેમણે લક્ષ્મી-પ્યારે સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. ગુલઝારે અગાઉ “પલકો કી છાંવ મેં”માં લક્ષ્મી-પ્યારે સાથે કામ કર્યું હતું અને આ વખતે પણ ઉત્સાહી હતા. બધાએ એવું પણ ધારી લીધું હતું કે મીરાનાં ભજનો લતા મંગેશકર સિવાય બીજું કોણ ગાય! ગુલઝાર કહે છે;

“ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થઇ ગઈ અને સંગીતની ચર્ચા માટે હું લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે બેઠો. અમે ડઝન જેટલાં મીરા ભજન પસંદ કર્યાં. અમે ટ્રેડ પેપરમાં આગોતરી જાહેરાત છપાવી હતી; આજની મીરા (લતા મંગેશકર) મીરા ફિલ્મનો મુહૂર્ત શોટની કલેપ આપશે. મેં મેરે તો ગિરિધર ગોપાલ ભજન પહેલાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું, પણ લક્ષ્મી-પ્યારેએ જ્યારે ગીત કમ્પોઝ કર્યું ત્યારે લતાજીએ ગાવાની ના પાડી દીધી. તેમણે મને કહ્યું કે તેમણે હજુ હમણાં જ તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર માટે મીરાનાં ભજનો રેકોર્ડ કર્યા છે અને હવે એ જ ભજનો કોમર્સિયલ ફિલ્મ માટે નથી ગાવાં.”

ગુલઝારે તેમને આગ્રહ ન કર્યો અને વાતને ત્યાં પડતી મૂકી. એમાં બીજી મુસીબત થઇ. લતાજીએ ભજનો ગાવાની ના પાડી દીધી છે એવી ખબર પડી એટલે લક્ષ્મીકાંત-પ્યારેલાલ પણ ઊભા થઇ ગયા. “લતાબાઈ વગરની મીરા કેવી હોય?” એવું વર્ષો પછી પ્યારેલાલે કહ્યું હતું. ગુલઝારે બીજા વિકલ્પ તરીકે આશા ભોંસલેનો સંપર્ક કર્યો, પણ આશાએ દીદીનો ખ્યાલ રાખીને સલુકાઇથી ના પાડી દીધી, “જહાં દેવતા ને પાંવ રખે હોં, વહાં ફિર માનુષ પાંવ નહીં રખતે.”

ગુલઝાર કહે છે, “હવે હું ગભરાયો. અમારો સેટ તૈયાર હતો. પંચમ (આર.ડી. બર્મન) આમાં કારણ વગર ભરાઈ ગયો. હું એને હવે સંગીત માટે કહું તો તેની ઈજ્જત જાય એવી હતી. મારે એવા સંગીત દમદાર નિર્દેશકની જરૂર હતી જે લતાજી અને આશાજી વગર ભજનો કરી શકે. એમાં પંડિત રવિ શંકરનું નામ સુઝ્યું. એ વખતે એ ન્યૂયોર્કમાં હતા.”

ગુલઝાર પહોંચ્યા અમેરિકા. પંડિતજીને સ્ક્રીપ્ટ ગમી. ગુલઝારે કહ્યું કે તમે ધૂન પર અત્યારે જ કામ શરૂ કરો, હું રોકાઈ જઈશ. પંડિતજીને ગુલઝારની ઉતાવળ સમજાઈ ગઈ, પણ લતા મંગેશકરવાળો વિવાદ તેમણે પણ સાંભળ્યો હતો એટલે થોડા અચકાતા હતા.

ગુલઝાર કહે છે, “અમારા સદ્દનસીબે લતાજી એ જ વખતે અમેરિકામાં હતાં. મેં તરત તેમને ફોન કરીને મામલો સમજાવ્યો. તેમણે તરત કહ્યું કે તમ તમારે આગળ વધો. પછી પંડિતજીએ પૂછ્યું કે ગીતો કોણ ગાશે. મારા મનમાં વાણી જયરામનું નામ હતું, પણ બોલ્યો નહીં. મેં કહ્યું કે તમે જ પસંદ કરો. એ બોલ્યા- વાણી જયરામ ચાલે?”

પંડિતજીએ અમેરિકામાં ધૂનો તૈયાર કરી અને પછી ભારત આવીને નવ દિવસમાં 12 ભજનો અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક રેકોર્ડ કરીને અમેરિકા પાછા વળી ગયા. પંડિતજીની જેમ હેમાએ પણ ઘણું એડજસ્ટમેન્ટ કર્યું હતું. ગુલઝારે હેમાને કહ્યું હતું કે એક દિવસ તારાં બાળકોને આ ફિલ્મ માટે ગર્વ થશે. વિનોદ ખન્ના ત્યારે તેની સફળતા અને શોહરતની ટોચ પર હતો પરંતુ કંઇક અંશે અંદરથી વિચલિત હતો અને સિનેમા છોડીને રજનીશ આશ્રમમાં જતા રહેવા માંગતો હતો. તેણે પણ મીરા પૂરી કરવા માટે બહુ સહકાર આપ્યો હતો. તેને કોઈ ફિલ્મ અધૂરી છોડવી નહોતી.

વિનોદ દિલથી આધ્યાત્મિક હતો અને તેને શાંતિ મળતી નહોતી. મીરા કરતી વખતે તે એટલો પ્રભાવિત થયો હતો કે એક દિવસ ગુલઝારને કહ્યું હતું, “હું મીરાની લાગણીઓ સાથે એટલું તાદામ્ય અનુભવું છું કે મને એવું થાય છે કે મારે મીરાની ભૂમિકા કરવા જેવી હતી.”

પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

સન્નાટો

નયના પટેલ|Opinion - Short Stories|12 May 2022

‘ચાલ મોઢું ખોલ, માર્ટિન’….

‘અં ……..હ’…..’

‘કમ ઑન, તારે સાજા થવું છે ને?’

‘પણ તને કોણે કહ્યું કે હું માંદો છું?’

‘જો તું માંદો નથી તો આ વોર્ડમાં કેમ આવ્યો?’

‘હું જાતે નથી આવ્યો …. મને …. પરાણે ….. મને કોણે અહીં ધકેલ્યો છે તને ખબર છે, નર્સ?’

‘ધેર યુ આર, તારે યાદ કરવું છે ને કે તને કોણે અહીં મોકલ્યો?’

‘યા .. યા.’

‘ઓ.કે. તો ડાહ્યો થઈને આ દવા પી લે. આ દવા તને એ યાદ કરવામાં મદદ કરશે.’ કહી જીનાએ દવાની ગોળીઓ માર્ટિનને આપી. આંખમાં શંકા સાથે માર્ટિન દવા ગળી ગયો.

‘જો, હવે ત્યાં કોમનરૂમમાં જઈને બધા સાથે બેસ. ઓ.કે.’ કહી જીના બીજા વોર્ડમાં ચાલી ગઈ.

મેન્ટલહેલ્થના વોર્ડમાં દરદીઓ માટે જીના ‘ફ્લોરેન્સ નાઈટિંગેઈલ’.

બીજા વોર્ડના પેલા ઇન્ડિયન દરદી – ધીરુ પાસે ગઈ એટલે ધીરુએ ગુજરાતીમાં બોલવા માંડ્યું. એમાં ધીરુનો વાંક નથી ઈટાલિયન પિતા અને અંગ્રેજ માને પેટે જન્મેલી જીનાની તાંબાવર્ણી ચામડી, ડાર્ક બ્રાઉન વાળ અને એવી જ કથ્થઈ આંખોની કીકીને લીધે ઇન્ડિયન જેવી જ લાગે.

એટલે હમણાં જ નવા નવા આવેલા ધીરુને ખાતરી જ હતી કે એ ઇન્ડિયન છે.

‘સ્ટોપ’નો ઈશારો કરી જીનાએ રમણને, જેને બધા ‘રે’ કહે છે એને બોલાવ્યો. એનું કામ પડતું મૂકી એ આવ્યો.

મોઢા પર અણગમો લીંપી એ આવ્યો, ‘યસ, જીના. હવી આજે શું કર્યું આણે?’ કહી ધીરુ સામે થોડા તિરસ્કારથી જોયું.

ધીરુ ભીંત તરફ મોં ફેરવી સૂઈ ગયો.

જીના નાના બાળકને સમજાવતી હોય તેમ, ‘જો ધીરુ, તારે જે કહેવું હોય તે હવે આ રેને કહે, ઓ.કે.?’

ધીરુ ચૂપચાપ ભીંત તરફ મોંઢું કરી સૂઈ રહ્યો.

જીના અંગ્રેજીમાં પૂછતી ગઈ અને રે એનું જેવું આવડે એવું ગુજરાતી કરતો ગયો.

‘તને અહીં રહેવાનું નથી ગમતું ને, ધીરુ?’

મોં ભીંત તરફ જ રાખી એણી માથું હલાવી ‘ના’ કહી.

‘ઓ.કે. તો હવે જલદી જવું હોય તો દવાની અસર કેટલી થાય છે તે જોવું પડેને?’

‘જે કે’વું એ કે, પન લોહી ટો ઉં ની જ લેવા દેઉં.’ રે એ કહ્યું કે એ બ્લડ ચેક કરાવવાની ના પાડે છે.

‘તને વાંધો શું છે, ધીરુ?’

એકદમ ગુસ્સામાં મોં જીના તરફ ફેરવી ધીરુ હાથ બતાવતા ઘાંટો પાડી બોલ્યો, ‘રાતના રોજ પેલો આવીને લોઈ પી જાય છે. મારામાં એણે લોઈ જ કાં રે’વા દીઢું છે?’

રેએ ફરી અનુવાદ કર્યો.

ભારોભાર કરુણાથી ધીરુ સામે જીના જોઈ રહી. વળગાડ, ભૂત-ડાકણ જેવા અંધશ્રદ્ધાની દુનિયામાંથી આવેલા ધીરુને લાગે છે કે કોઈ ખરાબ માણસ આવીને એનું લોહી રાત્રે પી જાય છે.

એને અપાતી દવાની માત્રા નક્કી કરવા માટે બ્લડ ચેક કરવું ખૂબ જ જરૂરી હતું, પણ આને કેમ કરી સમજાવવું એ જીનાને પણ સમજાયું નહીં.

ત્યાં તો બહાર એકદમ બૂમરાણ સાંભળી. આમ તો આ વોર્ડમાં એ કાંઈ નવી વાત નથી.

છતાં જીનાએ કોરીડોરમાં ડોકિયું કર્યું.

કોઈ આફ્રિકન-કેરેબિયન યુવાનને એડમિટ કરવા માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ અને ઍમ્બ્યુલન્સવાળા લોકો એને માંડ માંડ પકડી રાખતા હતા. પડછંદ દેખાતા એ યુવાનને હવે ગમે-તેમ બળજબરી કરીને ઈંજેક્શન દ્વારા દવા આપવી પડશે. આ પ્રોસીજર કરવા માટે સોશિયલ વર્કર, ટ્રોમા યુનિટનાં સીનિયર્સ વગેરે સૌ હાજર હતાં.

આવું જોઈને હંમેશની જેમ આવતાં આંસુને ખાળી જીના માંડ માંડ સ્વસ્થ થઈ અને એના કામે વળગી.

વોર્ડનું કામ પતાવી એ ઓફિસમાં આવી અને રિપોર્ટ્સ લખવા બેઠી.

મનને સ્વસ્થ રાખવાનો ધરખમ પ્રયત્ન કરતી જીનાને એક નર્સ ઉતાવળે ઉતાવળે બોલાવવા આવી, ‘માઈ ગૉડ, જીના, કમ ઑન, જલ્દી ચાલ.’

જીનાને થયું કે કોઈ દરદી માનતો નહીં હશે, એટલે, ‘આટલું લખવાનું પતાવી ….’ બોલવા જતી હતી, પરંતુ પેલી નર્સે વાક્ય પૂરું પણ કરવા ન દીધું અને એને લગભગ ઘસડીને બહાર લઈ ગઈ.

શું છે? શું છે? – જીના પૂછતી રહી પણ એ નર્સ પણ એટલી અવાચક હતી કે શું કહેવું તે એને ખબર નહોતી પડતી અને ત્યાં તો એડમિશન રૂમ આવી ગયો. 

જીનાને જોઈને ત્યાં ઊભેલા સોશ્યલ વર્કર, મેટ્રન, કન્સલ્ટંટ પણ પેલી નર્સની જેમ આશ્ચર્યચકિત બની એને તાકી રહ્યાં.

આ બધાના મોંઢાં પરના ભાવો જોઈને એ મૂંઝાઈ ગઈ. અને બીજી સેકંડે એની નજર દરદી પર પડી અને … અને એ પણ….!

સામે સૂતેલો દરદી શૂન્યમાં જોતો હોય તેમ બારણા તરફ કોરી ધકોડ આંખે જોતો હતો.

આંખમાં સન્નાટો!

આજુબાજુ શું બને છે તેનાથી બે-ખબર સૂતેલો એ દરદી નખશીખ ઇન્ડિયન હતો, વાળ કાબરચિતરા હતા, તે સિવાય આબેહૂબ જીનાનો જ ચહેરો! અરે, જમણા જડબા પર એવો જ મોટો તલ અને એ પણ એ જ જગ્યાએ!

પણ એ બને જ કેમ એના પિતા તો ઈટાલિયન છે!

જીના દોડીને ખાટલા પાસે ગઈ પણ દરદી તો ગૂમસૂમ ખૂલ્લી આંખે સૂતો હતો.

જીના એ ત્યાં ઊભેલા સૌની સામે જોયું.

બધાએ ખભા ઉલાળ્યા.

આવા અણજાણ્યા મળેલા આઘાતથી શૂન્યમનસ્ક જીના રૂમ બહાર નીકળી ગઈ.

કળ વળી પછી થયું, હશે, કો-ઈન્સિડન્ટ.

ઘણીવાર બે જણના ચહેરામાં સમાનતા હોય …. પણ મોંનો શેઈપ, નાકનો આકાર, અરે, આંખોના પોપચાં પણ જીના જેવાં જ ભારે!

ચાલો બીજું બધું તો બરાબર પણ તલ એ પણ જડબા પર અને વળી જમણા જડબા પર અને એક્ઝેક્ટ એક સરખી જ જગ્યાએ!!!!

સ્વસ્થ રહેવાનો દેખાવ કરતી જીના પેનને હાથમાં રમાડતાં રમાડતાં સ્વસ્થ થવાના ધમપછાડા કરતી રહી પણ ….

સોશ્યલ વર્કરે કહ્યું તે મુજબ દરદીનું નામ અવિનાશ. પરંતુ બધા એને ‘એવી’ કહેતા. છેલ્લાં ૨૫ વર્ષથી એને સીવિયર ડિપ્રેશન છે..

ઈઅન એવીનો નિમાયેલો સોશ્યલ વર્કર છે. સામાન્ય રીતે એવી શાંત, ધીર-ગંભીર. જરૂર પૂરતી જ વાત. ઈઅનને એટલી ખબર હતી કે એવીની ગર્લ ફ્રેંડ એને મૂકીને ભાગી ગઈ હતી, ત્યારથી એનું ડિપ્રેશન શરૂ થયું હતું. સ્યુસાયડલ (આત્મઘાતી) દરદી તરીકે ઈઅને એનું ખાસ ધ્યાન રાખવું પડતું.

આ વખતે પણ એવીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ફરીથી દવા લેવાનું બંધ કર્યું હતું તે જ હતું.

પેલા દરદીને ફરી જોવાની અદમ્ય ઈચ્છા રોકી એ સૂનમૂન બેસી રહી.

બીજા સ્ટાફની જેમ જીના ક્યારે ય શીફ્ટ ક્યારે પૂરી થશેની રાહ ન જોતી. પરંતુ આજે તો મનમાં ઉલ્કાપાત મચ્યો હતો. એ અધીરી થઈ ગઈ હતી. એને ઘરે જઈને પાપાને આજના આ કો-ઈન્સિડન્ટની વાત કરવી હતી.

શીફ્ટ પૂરી થઈ અને પેલા દરદીને જે વોર્ડમાં રાખ્યો હતો ત્યાં ડૉકિયું કરવાની પ્રબળ ઈચ્છાને યુનિફોર્મની સાથે એના લોકરમાં ટીંગાડી એ ઘર તરફ ભાગી.

પ્રેમાળ અને આનંદી પાપાનો એ પ્રાણ છે. જીનાની ઉદાસી ડીનોથી એક ક્ષણ માટે પણ સહન ન થઈ શકે. મા અને બાપ બન્નેની બેવડી જ્વાબદારીઓ અને સાથે નાનકડુ રેસ્ટોરંટ, બસ ડીનોની આ જ દુનિયા. જીના માટે પણ પાપા અને હોસ્પિટલ આ બે જ દુનિયા.

આજે એનું મન એટલું બધું અસ્વસ્થ હતું કે કંઈ જ કરવાનું સૂઝ્યું નહીં. બસ, ઘરે જઈને અન્યમનસ્ક બેસી રહી.

પછી પાપાને ફોન કરવા જ ગઈ, ત્યાં ડીનોનો જ ફોન આવ્યો, ‘કેમ છે મારી પ્રીંસેસ?’થી રોજની જેમ એણે શરૂ કર્યું. જીનાએ મહામહેનતે અવાજને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીને કહ્યું, ‘હું મઝામાં છું, પાપા’ અને આગળ કંઈ બોલે તે પહેલાં જ એના અવાજ પાછળ છૂપાયેલી અકળામણ ડીનો કળી ગયો હોય તેમ, ‘શું થયું, ડારલિંગ? તારા અવાજ પરથી નથી લાગતું મઝામાં છે. હું અહીંથી કંઈ ખાવાનું લેતો આવું છું, રાંધવાની માથાકૂટ ન કરતી, હવે ખુશને, મારી દીકરી?’ અને જીના સાચે જ ખુશ થઈ ગઈ, મનમાં થયું , ચાલ આજે જે વાત જાણવી છે તે પૂછવાનો હવે ટાઈમ મળશે.

ડીનોએ આવીને જીનાને કપાળે ચુંબન કરી એના મોઢા પર રોજની જેમ પ્રેમથી હાથ ફેરવ્યો.

ને … ને .. જીનાની આંખમાંથી અચાનક શ્રાવણ-ભાદરવો ઊમટી પડ્યો.

ડીનો ઘડીભર તો અવાચક બની ગયો. જીના શાંત છે પણ ક્યારે ય આવી ઉદાસ તો હતી જ નહીં!

એને બાથમાં સમાવી માથે હાથ ફેરવતો રહ્યો.

કેટલી વારે જીનાના ડૂસકા સમ્યા.

‘બોલ તો, મારી દીકરીને કોણે દુભવી?’

આટલા પ્રેમાળ પિતાને કઈ રીતે જીના પૂછે કે ‘તું જ મારો પિતા છે? મારી મા કોણ છે, ક્યાં છે?’

જો કે નાની હતી ત્યારથી એના ‘મારી મમ્મી ક્યાં છે’ના નિર્દોષ પ્રશ્નના જવાબમાં ‘તારી મમ્મી નથી’ જ સાંભળ્યું છે.

આજે એને સાંભળવું હતું સત્ય – કેવળ એના અસ્તિત્વનું સત્ય!

માથું હલાવી પહેલા તો, ‘સોરી, પાપા’ કહી સ્વસ્થ થઈ.

હજુ અવઢવમાં છે. સત્યની પાછળથી ભોરીંગ નીકળશે તો?

આખા દિવસના થાકેલા આ મીડલ એઈજ માણસ જેણે એને આપ્યું જ છે ક્યારે ય કંઈ જ એટલે કંઈ જ લીધું નથી – અરે, અપેક્ષા સુધ્ધાં નથી રાખી તેને દુઃખી કરવાની જરા ય ઈચ્છા ન થઈ, પરંતુ પેલા દરદીનો ચહેરો પણ આંખ આગળથી હટતો નહોતો.

બન્ને જમી પરવાર્યા ….

ડીનોએ ફરી એની બાજુમાં બેસીને, ‘ડારલિંગ, મારાથી આવી જીના નથી જોવાતી, બેટા! જે કહેવું હોય તે કહી દે.’

જીના આ મા-કમ –બાપ સામે જોઈ રહી.

એણે ગળું ખંખેર્યું, ‘ઓ.કે. પાપા, મારે જે પૂછવું છે એનાથી આપણા પ્રેમમાં જરાકે ય ફેર પડવાનો નથી એની હું ખાતરી આપું છું.’

ડીનોને વર્ષોથી જેનો ડર હતો તે ક્ષણ આવી પહોંચેલી જોઈ, ‘પૂછ બેટા, આજે હું જે કહીશ તે સાચું જ કહીશ.’ કહી જીનાને માથે હાથ ફેરવ્યો.

પેલો આવનારી પળથી ડરતો – ધ્રૂજતો અવાજ એકદમ સ્વસ્થ ક્યારે થઈ ગયો જીનાને ખબર ન પડી, ‘પાપા, મને જન્મ આપીને જતી રહેલી સ્ત્રી કોણ હતી? મારે એ પણ નથી જાણવું કે એ જીવે છે કે મરી ગઈ.’

ડીનો પળ-બે પળ એની સામે જોઈ રહ્યો. કઈ રીતે શરૂ કરવું તે હજુ તો મનમાં ગોઠવતો હતો અને જીનાએ ફરી બોલવાનું શરૂ કર્યું, ‘પાપા, આજે કેમ અચાનક પૂછ્યું એમ થાય છે ને, તમને? તમે કાંઈ કહો તે પહેલા આજે શું બન્યું તે કહી દઉં,’ પછી ઊંડો શ્વાસ લીધો, ‘આજે એક દરદી મારા વોર્ડમાં એડમીટ થયો, એનું નામ ‘એવી-અવિનાશ’ છે – ઇન્ડિયન છે, પાપા.’

આવા કોઈ સંજોગો ડીનોએ કલ્પ્યા જ નહોતા એટલે એ પણ આશ્ચર્યથી જીનાને તાકી રહ્યો.

‘પાપા, હું એકલી જ નહીં મારા વોર્ડનો આખો સ્ટાફ એના ચહેરામાં અને મારા ચહેરામાં સામ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છે – એટલે સુધી કે આ તલ પણ’ કહી એના જમણા જડબા પરનો તલ બતાવ્યો.

ડીનો ભૂતકાળની એ દોઝખ જેવી ગર્તામાં ડૂબી ગયો.

જીના પણ કંઈ જ બોલી નહીં, એને ખબર છે કે આ પ્રેમાળ પિતાએ ભૂતકાળનો કોઈ ખૂબ મોટો ઘા મનમાં ધરબી રાખ્યો છે. એને ફરી ખોતરવા એ બેઠી હતી. મલમ લગાડવાની જગ્યાએ એના પ્રેમના બદલામાં એના દૂઝતા ઘા પર નિમક છાંટવા બેઠી હતી! પણ એ પણ મજબૂર છે.

એને થયું કે પેલો કમનસીબ માણસ જો વોર્ડમાં ન એડમીટ થયો હોત તો આ રીતે દુનિયાના સૌથી પ્રેમાળ પાપાને આમ પીડત નહીં, પણ હવે એમના જવાબ પર કરોળિયાની જેમ ટિંગાતી જીનાએ ડીનોનો હાથ પોતાના હાથમાં લીધો.

એ સ્પર્શમાં માફી, પ્રેમ, ઋણ અને કંઈ કેટલું ય હતું.

જીના સામે ડીનો જોતો રહ્યો પછી ભૂતકાળ ખંખેરતો હોય તેમ જોરથી ડાબે-જમણે માથું હલાવ્યું, ‘બેટા, એ વાત સાંભળવી જ છે?

જીનાએ આંખોથી હા કહી.

મોઢું નીચું રાખી થોથરાતા અવાજે કહ્યું, ‘તારા પ્રશ્નનો જવાબ એ છે કે હું જ્યારે એને મળ્યો ત્યારે ….. એ …. રેડલાઈટ એરિયામાં રહેતી હતી’.  રેડલાઈટ એરિયામાં જનાર વ્યક્તિને કદાચ શરમ ન આવે પણ એક બાપને એની દીકરીને કહેતાં શું થયું હશે એ ડીનો જ જાણે!

‘ઓ, એટલે કે એ વેશ્યા હતી?’ ડીનો ચૂપચાપ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની તૈયારી સાથે ફ્લોરને જોતો રહ્યો.

આખા રૂમમાં એક સેકંડ માટે રેડ લાઈટ ઝબકી …. જીના એના પિતાને જોતી રહી પછી ભારોભાર સહાનુભૂતિ સાથે બોલી, ‘પાપા, તમે ઈટલીથી ત્યારે નવા નવા જ આવ્યા હતા ને?’

ડીનોએ નીચુ માથું રાખી ધીમે ધીમે માથું હલાવી ‘હા’ કહી.

‘પાપા, તમે એકદમ યુવાન હતા અને એકદમ હેન્ડસમ હતા ..’ પછી જીભ કચરી બોલી, ‘અરે, હજુ પણ છો જ’ …

‘બસ બેટા, મને કહેવા દે એ મારા પતનની વાત. એકલો હતો, કામ કરવા જ આવ્યો હતો, પરંતુ યુવાનીને ઉંબરે પગ દીધો હતો અને શરીર ….’

‘બસ પાપા, હું સમજી શકું એટલી યુવાન છું, છું ને?

જીના વાતાવરણને હળવું કરવા મથામણ કરતી હતી, ડીનો મ્લાન હસ્યો.

‘તને ખબર છે છોકરી, મને ઊંડી ગર્તામાં જતો તેં બચાવી લીધો હતો?’

‘એ કેવી રીતે, પાપા?’

‘કોઈ પણ સ્ત્રી પાસેથી મળતાં છીછરાં આનંદ કરતાં મને મારી દીકરીનાં વ્હાલની કિંમત સમજાઈ. અને પછી ક્યારે ય એ તરફ ફરીને જોયું નથી.’

ભૂતકાળનો પોપડો ઉખડ્યો, અસહ્ય પીડાને દબાવી એ બોલ્યો,

‘જ્યારે હું એને પહેલીવાર મળ્યો ત્યારે એણે મને કહ્યું કે એને જુદી જુદી નેશનાલિટીના લોકો અંગ્રેજ લોકો કરતાં વધારે ગમે છે. હું ઈટાલિયન હતો એટલે એને મારામાં રસ પડ્યો, એમ કહ્યું એટલે મેં માન્યું કે એ મારા પ્રેમમાં પડી છે. થોડા દિવસ રોજ મળ્યા અને એક દિવસ બિસ્ત્રા-પોટલાં સાથે મારા ઘરના ઉંબરે આવી ઊભી. મને તો પાછળથી ખબર પડી હતી કે ભાડું નહોતું ચૂકવ્યું એટલે વગર પૈસે મારા છાપરા નીચે આશ્રય લેવા જ આવી હતી, પણ મેં મૂર્ખાએ માન્યું એ મને પ્રેમ કરે છે એટલે સાથે રહેવા આવી.’

બોલીને એણે જીના સામે જોયું. જીના કરુણાથી વાત સાંભળતી હતી.

‘એ ઉંમર અને એકલતાએ મને ભોળવ્યો હતો ….. હું એનો વાંક નથી કાઢતો’.

પછીની કડવી વખ જેવી વાત કરતાં ડીનોને ખૂબ જહેમત પડતી હોય તેમ ધીરે ધીરે વાત આગળ વધારી, ‘થોડા દિવસ તો ખૂબ જ આનંદમાં પસાર થયા. પછી એને મોર્નીંગ સીકનેસ શરૂ થઈ. એ બહાવરી બની ગઈ.’

ડીનોને હવે આગળની વાત કરવા માટે સહારો જોઈતો હોય તેમ જીનાનો હાથ પકડી રાખ્યો, ‘એ જ સવારે જઈને એ પ્રેગ્નનસી ટેસ્ટ્નું કીટ લઈ આવી. ટોયલેટ્માંથી મોટેથી ગાળ સાંભળી. મને ખ્યાલ આવી ગયો એ પ્રેગ્નન્ટ હતી.’

હું ખુશ થઈ ગયો, પરંતુ એણે તો બહાર નીકળી ડોક્ટરની ઈમર્જન્સી એપોંઈટમેન્ટ લીધી. એને ચોથો મહિનો પૂરો થવામાં હતો. કોઈ મેડિકલ કારણ વગર એબોર્સન આમ તો ઈંગ્લેંડમાં મોટે ભાગે ન કરે અને હું તો એબોર્સનનો પાક્કો વિરોધી.

તે દિવસે હું ચૂપ રહ્યો….’ ડીનોને હવેની વાત કહેતા તકલીફ પડતી હતી, પરંતુ હવે ભૂતકાળને ખોદ્યો જ છે તો ભૂતાવળથી કેટલું બીવાનું?

‘હું તો એને મળ્યો હતો માત્ર બે મહિના પહેલા જ … હું કાંઈ ન બોલ્યો, એટલે એણે માની લીધું કે હું મૂર્ખ છું.

તને જ્યારે તાજી જ જન્મેલી જોઈને ત્યારે સાચું કહું, બેટા, મને બાપ કરતાં ય અદકેરું વ્હાલ છૂટ્યું.’

બીજે દિવસે ઘરે આવ્યા. મને થયું કાંઈ નહીં હવે તારો જન્મ થયો છે એટલે કદાચ એનો ધંધો છોડી દેશે. પણ …. એ તને છોડીને ત્રીજે જ દિવસે જતી રહી.’

‘અવિનાશ’ની આંખમાં હતો એ જ સન્નાટો જીનાની પાછળ પાછળ છાનોમાનો આવીને રૂમમાં જ ધામા નાંખી બેસી ગયો.

****************

e.mail : ninapatel47@hotmail.com

Loading

દવે દંપતી : સાચાં સમાજસેવી

ભૈરવી યોગેશ મણિયાર|Opinion - Opinion|11 May 2022

રસિકભાઈ અને સરલાબહેન સ્વતંત્રતાની લડતમાં વિવિધ સ્થળે, વિવિધ કાર્યો સાથે સતત પ્રવૃત્તિમય રહેલાં. તેમ જ મહાગુજરાત આંદોલન, ગુજરાત યુનિવર્સિટીની રચના હોય કે વર્ષોની મહેનત બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રચનાનો પાયાનો ખ્યાલ હોય એને મૂર્ત સ્વરૂપ સુધી લઈ જવામાં  રસિકભાઈની નોંધપાત્ર ભૂમિકા રહી છે. એક અલગ ઇતિહાસ બને એટલી એમની વિધેયાત્મક પ્રવૃત્તિઓ હતી.

અહીં મહદંશે એમનાં જીવનના છ દાયકા વડનગર માટે સમર્પિત હતા, તે બાબતને અત્યંત સંક્ષિપ્તમાં જાણીએ.

રસિકલાલ દવે અને સરલાબહેન દવે એટલે આજીવન ભેખધારી ‘સારસબેલડી’

1950ના અરસામાં વડનગર આવીને વસ્યાં ત્યારે એમના માટે આ નગર તદ્દન અજાણ્યું હતું .પરંતુ રસિકભાઈને પોતે જ્યાં જાય તે વિસ્તારનાં ઇતિહાસ, ભૂગોળ અને સમાજવ્યવસ્થા સમજવામાં ઊંડો રસ પડે એ નાતે વડનગરને સમજવા પ્રયત્ન કર્યો. વડનગરનું ઐતિહાસિક મહત્ત્વ સમજવામાં એવો તો રસ પડ્યો કે 200 કરતાં વધુ પુસ્તકો, પુરાતત્ત્વવિદો, ઇતિહાસકારો અને ત્યાંના સ્થાનિકો પાસેથી મળેલી માહિતીને સુગઠિત કરી તે સમયે (1956) મુંબઈ રાજ્યના રાજ્યપાલને રુબરુ મળીને વડનગરને 'હેરિટેજ વિલેજ' તરીકે પ્રસ્થાપિત કરવા માટે રજૂઆત કરેલી, અને કલકત્તાની લાયબ્રેરીમાં પણ તેનું સાહિત્ય મોકલી આપ્યું હતું અને સમયાંતરે તેને લગતી કાર્યવાહી કરતા રહ્યા, જેને પરિણામે વડનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી. અને સાથોસાથ એમનો નાતો વડનગર સાથે અતૂટ બન્યો. એવામાં  મોરારજી દેસાઈએ આ વિસ્તારમાં શિક્ષણ થકી સમાજનાં ઉત્થાનનું કામ સોંપ્યું. એમણે કહેલું કે, “વડનગરમાં કન્યા કેળવણી માટે એક શાળા ખોલો. અને સરલાબહેનને તેની જવાબદારી સોંપી, તમે અન્ય કાર્યો કરીને સમાજને ઉપયોગી બનો.” આમ, વડનગર નામનાં અજાણ્યાં નગરમાં આવી ચડ્યાં અને પછી તો વડનગરને પોતીકું બનાવી સવાયા વડનગરી બનીને આજીવન સેવા કરતાં રહ્યાં.

તો ચાલો  એમનાં  વિવિધ કાર્યો થકી એમને ઓળખીએ :

1960ના સમયમાં હજુ વડનગર બાળવિવાહ, કન્યા કેળવણી, અસ્પૃશ્યતા, વગેરે ઘણી રીતે જૂનવાણી હતું. દીર્ઘદૃષ્ટા એવું આ યુગલ ધીમે ધીમે શિક્ષણ થકી જનજાગૃતિ કરી રહ્યું હતું. 1964માં વડનગર ગર્લ્સ હાઇસ્કૂલ શરૂ કરી. આ શાળામાં કોઈ બહેન પોતાનું બાળક લઈને ભણવા આવતી, તો કોઈ વિધવા કે ત્યકતા હોય છતાં અહીં માનભેર ભણતી. એટલું જ નહિ ત્યારબાદ તેને PTC કે ગ્રેજ્યુએશન પૂરું કરાવી પગભર બને તેની પણ તકેદારી રાખતાં. ધીમે ધીમે ગામનાં રાજકીય વિરોધીઓ પણ પોતાની દીકરીને અહીં સોંપી જતા. અને ઘણી દીકરીઓને સાસરિયાંએ તેડાવી, જેઓ સ્વમાનભેર નોકરી અને ઘરની જવાબદારીઓ સુપેરે નિભાવી રહી છે. 

વડનગર એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા, તે સમયે આખા ખેરાલુ તાલુકામાં કૉલેજ નહોતી એટલે ઘરઆંગણે  જ  ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુસર વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પણ (1968) શરૂ કરી.

ઉપરોક્ત બંને સંસ્થાઓમાં સાચા અર્થમાં કેળવણી અપાય તે હેતુસર અનેક પ્રવૃત્તિઓ યોજતાં.

દર વર્ષની પહેલી જુલાઈએ વસંત-રજ્જબ દિનની ઉજવણી કરાય છે, જેના કારણે વડનગરમાં આજ દિન સુધી કોમી હુલ્લડો નથી થયાં. હિંદુ – મુસ્લિમ શાખપાડોશી તરીકે સૌહાર્દપૂર્ણ રીતે રહે છે. અને બજારમાં દુકાનો પણ ભેગી જ જોવા મળે છે.

દીકરીએ પરણીને સંયુક્ત કુટુંબમાં જવાનું હોય. ત્યાં દેરાણી, જેઠાણી  કે નણંદનાં બાળકોને નવડાવીને તૈયાર કરવાં પડે ત્યારે સૂગ ન ચડે અને મદદરૂપ થવાય તે હેતુથી અહીંની વિદ્યાર્થિનીઓને લઈને સરલાબહેન ઠાકોરવાસ, હરિજનવાસ જેવાં સ્થળોએ જતાં અને ત્યાંના બાળકોને નવડાવી તૈયાર કરતાં. અને ઘર તથા શેરી સાફ કરતાં. આની બેવડી અસર જોવા મળી, છોકરીઓ ભાવિ માટે ઘડતર પામી અને ગામની બહેનો ઘર અને શેરી સ્વચ્છ રાખતાં શીખી.

શાળામાં ક્યારેક બેન્કના મેનેજર, ક્યારેક DDO, DEO, તો ક્યારેક પુરાતત્ત્વવિદ વગેરે આવીને વિદ્યાર્થીઓને (અહીં 10+2 થતાં આનર્ત શિક્ષણ કેન્દ્ર નામ અપાયું. તેમાં છોકરા છોકરીઓ બંનેને) તેમની ખાતાકીય માહિતીથી વાકેફ કરતા અને બેંક, તાલુકા કચેરી, કોર્ટ કે ઉત્ખનન થતું હોય તે સ્થળે લઇ જઈ કામગીરી સમજાવતા. આથી અહીંથી નીકળતો વિદ્યાર્થી ગભરાટ વગર જે તે ક્ષેત્રમાં કુશળ બની શકે. ક્યારેક ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર જેવા સાહિત્યકાર, તો પુરુષોત્તમ માવલંકર, ચીમનભાઈ પટેલ જેવા મહેમાનો પણ આવતા, જેમનાં જ્ઞાનનો લાભ આ સૌને મળતો રહ્યો છે.

વડનગરની નગરરચનાનું પુરાતત્ત્વીય મહત્ત્વ જળવાઈ રહે તે માટે સતત પ્રજાને ત્યાંના ઐતિહાસિક ખજાનાથી વાકેફ કરવી અને તેનું જતન કરતાં શીખવવાનો પ્રયાસ કરતા. આ માટે ઇતિહાસ પરિષદ, તાનારીરી સંગીત મહોત્સવ, વડનગરનો સ્થાપનાદિન વગેરેમાં પ્રજાને સાંકળતા. તેમ જ પ્રજાજનોને સારા શ્રોતા બનતાં પણ શીખવ્યું, તેનું એક ઉત્તમ ઉદાહરણ કે વસુબેન ભટ્ટ જ્યારે આકાશવાણીના ડાયરેક્ટર હતાં ત્યારે તેમણે રસિકભાઈને જાહેર સંગીત મહોત્સવનું આકાશવાણી દ્વારા રેકોર્ડિંગ કરવાની ઈચ્છા દર્શાવી. અને આ અઘરું કામ તદ્દન સરળ બનાવી આપ્યું. 10,000ની જનમેદની વચ્ચે ખૂબ જ શાંતિમાં રેકોર્ડિંગ થયું. અને તેમાં રાજ્યભરના મોટા કલાકારોએ ભાગ લીધેલો, જેનો લ્હાવો જનતાને મળ્યો.

વડનગરની જનતાનું વૈચારિક સામર્થ્ય કેળવવા એક વિશિષ્ટ કાર્યક્રમ શરૂ કરેલો. વડનગરમાં આવેલી ભોગીલાલ ચકુલાલ લાયબ્રેરીને 50 વર્ષ પૂરાં થયાં ત્યારે સૌ પ્રથમવાર પુસ્તકમેળાનું આયોજન કર્યું. ઘણા પ્રકાશકો અને પુસ્તકવિક્રેતાઓ આ નવતર પ્રયોગમાં હોંશભેર જોડાયા અને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો. એ સમયે તમામ નગરજનોને લાયબ્રેરીમાં ફરજિયાત જવાનું સમયપત્રક બનાવ્યું. આબાલવૃદ્ધ સૌ ત્યાં જતાં થયાં. ભણેલાં હોય તે અભણને વાંચી સંભળાવે. બાળકો જે પુસ્તક ઘરે લઇ ગયાં હોય તે બીજીવાર જાય ત્યારે અન્યને તે પુસ્તક વિષે માહિતી આપે. આમ નગરજનો સાંપ્રત સમસ્યા હોય કે ઊંચી સાહિત્યકૃતિ હોય, તેની રસપૂર્વક ચર્ચા કરતાં થયાં.

એક ઉલ્લેખનીય બાબત એ છે કે ગામનું કોઈ પણ બાળક ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જતું હોય તો તેને શાળાને નામે જરૂરી પુસ્તકો ખરીદી લેવાનું કહેતાં, જેથી તેને ખર્ચ ન થાય અને તો ય ભણી શકે અને ભણી લીધા બાદ તે શાળાની લાયબ્રેરીમાં પરત કરે, જેનો ઉપયોગ અન્ય વિદ્યાર્થી પણ કરી શકે. આમ શાળાનું પુસ્તકાલય ઘણું સમૃદ્ધ બન્યું છે.

શાળા શરૂ થઈ ત્યારથી શાળામાંથી જ પાઠ્યપુસ્તકો આપવાની પ્રથા પાડી છે, જેથી સગવડ ન હોય એવાં બાળકો પણ ભણી શકે. વર્ષ પૂર્ણ થતાં અન્ય માટે ઉપયોગ થવાનો હોવાથી દરેક વિદ્યાર્થી પુસ્તકનું સરસ જતન કરતાં પણ શીખે. જેને યુનિફોર્મની મદદની જરૂર હોય તેને શાળામાંથી તેની પણ સગવડ કરાય. અહીં કોઈ માલેતુજાર ન હોવા છતાં સ્વૈચ્છિક મદદ સ્ટાફ દ્વારા જ કરાય. આ ભાગ્યે જ કોઈ સંસ્થામાં બનતું હશે.

બીજો એક સરસ પ્રયત્ન :

વડનગરમાં વોટરવર્કસ વડે ઘરે ઘરે પાણી પહોંચાડવાનું પ્રાથમિક કાર્ય પૂર્ણ થતાં તેનાં ઉદ્દઘાટનપ્રસંગે વડનગરના શ્રેષ્ઠી અને કલકત્તામાં સ્થાયી થયેલા તાહેરઅલી શેઠને મહેમાન તરીકે આમંત્ર્યા અને તેમના હસ્તે પાણી ચાલુ કરાયું, જેમાંથી પહેલો ઘડો હરિજનબાળાએ ભર્યો. તેમ જ પહેલું કનેક્શન ડોક્ટર વસંત પરીખનાં પિતાશ્રીને ત્યાં આપ્યું કે જેઓ ચુસ્ત વૈષ્ણવ હોવાથી એમનો પાણીનો કૂવો પણ અલગ હતો. ખરેખર આ યોજના વડે બધા ધર્મ કે પંથવાળા એક બન્યા.      

વડનગરનું તળાવ સ્વચ્છ રહે અને સ્વચ્છતાની સૂઝ કેળવાય તે હેતુથી કોલેજના વિદ્યાર્થીઓની હરીફાઈ યોજાય, જેમાં શિંગોડાની ખેતી સાથે સંકળાયેલા છોકરાઓ મેદાન મારી જાય. આ છોકરાઓને અભ્યાસલક્ષી પ્રોત્સાહક ઇનામ અપાય અને એ ગ્રેજ્યુએટ થઇ આગળ પણ વધે. તો  'નગર સફાઈ અભિયાન'નું આયોજન કરી, નગરજનોમાં સ્વચ્છતાની પ્રત્યે સભાનતા કેળવવાનો પ્રયાસ કર્યો.

વડનગરને લાઈટ, પાણી, રસ્તા, વગેરેથી સજ્જ કરવાનો સતત પ્રયત્ન કરતાં રહ્યાં. વડનગરને બસવ્યવસ્થાનો મહત્તમ લાભ મળે તે માટે અથાગ પ્રયત્નો કર્યા. આને કારણે સોમનાથ કે દ્વારિકા, મુંબઈ કે હૈદ્રાબાદ જેવાં સ્થળો સાથે વડનગરને સીધી બસ વડે જોડ્યું. અને વડનગરને ટેલિફોન એક્ષ્ચેન્જ, તાલુકો, કોર્ટ, એસ.ટી. ડેપો જેવી અનેક સુવિધાઓ પૂરી પાડી. અરે, એક જ જગ્યાએ શાક મળે તે હેતુથી શાકમાર્કેટ બનાવડાવ્યું. તેના કારણે ફેરિયાની જેમ ફરવાને બદલે કાછિયાઓ પણ સહજ વ્યાપાર કરતા થયા. પરંતુ એ શાક માર્કેટને સ્થાને જ્યારે શૉપિંગ સેન્ટર બનાવાયું અને શાકવાળા રસ્તા પર પાથરણાં પાથરી શાક વેચવા મજબૂર થયા ત્યારે બારોટી બજારમાં તળાવની પાળે એમને જગ્યા ફાળવવાની ભલામણ એમણે નગરપાલિકાના વહીવટીતંત્રને કરેલી.

એમની સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ થાય. એટલે જે તે ક્ષેત્રે રસ ધરાવનાર એમાં સક્રિય ભાગ લે. મહેમાનને નિમંત્રણથી લઇ ને કાર્યક્રમનાં સમાપન સુધી શિક્ષકો માર્ગદર્શકની ભૂમિકા ભજવે. આને કારણે સારા વક્તાઓ અને સારા આયોજકો સમાજને સતત મળતા રહ્યા છે.

એટલું જ નહિ મહેસાણા જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અને ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન હતા ત્યારે ખેતીવાડી અને બોરવેલમાં ચાલતી ગેરરીતિઓને ઉજાગર કરી, ભ્રષ્ટાચાર અટકાવવાના પ્રયત્નો કર્યા, જેને કારણે પ્રજામાં જાગૃતિ આવી.

માત્ર વડનગર જ નહિ છાબલિયા જેવા ગામના ઠાકોરોને દારૂની લત છોડાવી, રચનાત્મક માર્ગે વાળ્યા. વડનગર અને આસપાસના ઠાકોરોને સન્માર્ગે વાળવા રસિકભાઈએ સહકારી મંડળી શરૂ કરી.

વડનગરના ગોળના વ્યાપારીઓની સહકારી મંડળી બનાવી કોલ્હાપુર સાથે સાંકળી  આપ્યા.

'60ના દાયકામાં વડનગરમાં માથે મેલું ઉપાડવાની પ્રથા હતી. દરેક ઘરમાં ખાળકૂવા બનાવડાવીને આ પ્રથાથી છૂટકારો મળતાં એ પ્રજા ખૂબ ખુશ થઈ.

જ્યારે જ્યારે કુદરતી આફતમાં મદદરૂપ થવાનું હોય, ત્યારે ત્યારે સમગ્ર શાળાપરિવાર વિવિધ રાહતકાર્યો કરી ભંડોળ એકઠું કરી, મુખ્ય મંત્રીના રાહતફંડમાં જમા કરાવતા. આ કાર્યોમાં રસ્તા બનાવવા, તળાવો ઊંડા કરવા, ઘરે ઘરે ફરીને વાટકી અનાજ એકઠું કરવું અને જરૂરિયાતમંદને પહોંચાડવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આમાં સરલાબહેન અને રસિકભાઈ પણ ખૂબ જ ખંતથી કાર્યરત રહેતાં.

આવાં કાર્યો કરવા માટે એમની આગવી સૂઝ અને વિવિધ ક્ષેત્રે સક્રિયતા જવાબદાર છે. જેમ કે નાનામાં નાનાં કામ માટે કયા વિભાગમાં, કયા સ્તરે (સ્થાનિક પંચાયતથી લઈને છેક રાષ્ટ્રીય સ્તર હોઈ શકે, યુનિવર્સિટી કે યુનેસ્કો હોઈ શકે), કોને પત્ર લખવો, સંદર્ભો અને તથ્યોને પુરાવા તરીકે બીડાણ કરવાં, એ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત યાદ કરાવતાં રહેવું, પૂર્ણ થયે આભાર માનવો. રસિકભાઈ બોલે અને સરલાબહેન લખે. જરૂર જણાય ત્યાં ચર્ચા કરે. આમ હજારો પત્રો આ બેલડીએ લખ્યા હશે. એટલું જ નહિ, જ્યાં પણ જરૂરી હોય ત્યાં રૂબરૂ રજૂઆત માટે પહોંચી જતાં. સરલાબહેન ગુજરાત એસ.ટી. બોર્ડ, ગુજરાત સ્પોર્ટસ કાઉન્સિલનાં સભ્ય તરીકે ખૂબ સક્રિય રહ્યાં. ઘણાં વર્તમાનપત્રોમાં ખબરપત્રી તરીકે અંતરિયાળ વિસ્તારોની ખબર પ્રજા સમક્ષ મૂકતાં રહ્યાં. તો રસિકભાઈ વડનગર નગરપાલિકાના પ્રમુખ હતા. ઓલ ઇન્ડિયા રેલ્વે ટ્રેડ યુનિયનના સેક્રેટરી, ચેમ્બર ઑફ કૉમર્સ, અનેક ટ્રેડ યુનિયન્સ, મહેસાણા જિલ્લા ખરીદવેચાણ સંઘ, વગેરે અનેક ક્ષેત્રે સક્રિય હતા.

વળી, સાહિત્યક્ષેત્રે પણ એમનું ઘણું પ્રદાન રહ્યું છે. કોઈ પણ રચનાત્મક વિચાર હોય કે કોઈ લેખ અંગેનો મત દર્શાવવો હોય, અનેક સામયિકો એમનાં લેખ છાપતાં રહ્યાં છે. જેવાં કે, ‘નવચેતન’, ‘કુમાર', ‘નિરીક્ષક’, ‘પરબ', ‘નવનીત સમર્પણ', ‘ઉદ્દેશ’, ‘Outlook’, ‘The Hindu’, ‘National Herald’, વગેરે. 'અખંડ આનંદ'માં તો એમની એક વાર્તા 'સંસ્કાર વારસો' માટે એમને 'વિશ્વ ગુર્જરી' તરફથી પ્રથમ ઈનામ પણ મળેલું. 'રેડિયો ટૉક', ‘ટી.વી. ટૉક' અને વડનગરનાં સ્થાપત્ય, તેમ જ ઐતિહાસિક મહત્ત્વ માટે એમણે અનેક લેખો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યાનો પણ આપ્યાં છે. એ માટે એમને ગુજરાતમાં CEPT Uni. અને ગૂજરાત વિદ્યાપીઠ ખાતે થયેલ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ખાસ આમંત્રણ મળેલ અને એમની રજૂઆતને ખૂબજ સારો પ્રતિભાવ મળ્યો હતો.

સમયાંતરે વિવિધ સામયિકો પણ પ્રજા સમક્ષ મૂકતાં રહ્યાં છે. જેમ કે, 'The Centiner', 'જનતા', 'વડનગર' વગેરે સાતેક સામયિકો શરૂ કરેલાં. વડનગરની વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે અનેક નાનીમોટી પુસ્તિકાઓ પણ છાપેલ. જેમ કે, 'શમેળા', 'વડનગરનો 1845મો સ્થાપનાદિન', 'નગર સફાઇ અભિયાન', તાનારીરીની સ્મૃતિમાં વગેરે.

અહીં એક હકીકત જાણીએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક સામયિક 'સિંધુડો' શરૂ કરેલું. શરૂઆતમાં એની હસ્તલિખિત પ્રતો તૈયાર થતી. સરલાબહેનના નાનાજી બેરિસ્ટર ડોડિયા સાહેબ તે સમયે પોરબંદર રાજમાં જજ હતા. 11 ઓરડાનો મોટો બંગલો, એટલે એવડી મોટી અગાશીમાં કાળી છત્રી નીચે ફાનસ લઈને સૌ આખી રાત લખતાં. અને પરોઢિયે બીજી ટૂકડી સાયકલ ઉપર મહોલ્લે મહોલ્લે અને આસપાસનાં ગામોમાં પહોંચાડતી. સરલાબહેનનાં માતુશ્રી ભાગિરથીબહેન આમાં લેખન, સંકલન જેવાં કાર્યો ઉપરાંત તમામ કાર્યની વ્યવસ્થા સાથે સંકળાયેલાં. આ માહોલમાં સ્વાભાવિક રીતે જ સરલાબહેન પણ જોડાઈ ગયેલાં. રસિકભાઈ તે સમયે વિવિધ માહિતીનું એકત્રીકરણ કરવાની જવાબદારી સાથે સંકળાયેલા. વળી, આ તો અંગ્રેજો સામેની પ્રવૃત્તિ, એટલે ગોપનીયતા જળવાઈ રહે તે માટે આ છાપાનું મુદ્રણસ્થળ 'રાણપુર' દર્શાવાતું. આમ, આ બંનેના પરિવારો પણ સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ સક્રિય રહ્યા હતા.

1857નો બળવો કે જે સમયે  દેશના અનેક ખૂણેથી તરવરિયા જુવાનોને અંગ્રેજોએ ફાંસી આપેલી. સમૌ હોય કે પાટણ હોય, રસિકભાઈએ આવા શહીદોના વંશજો પાસેથી માહિતી મેળવી તેમની સ્મૃતિમાં આનર્ત શિક્ષણકેન્દ્ર અને વડનગરના નાગરિકોને સાથે લઈ વડનગરથી પદયાત્રા દ્વારા લોકજાગૃતિ આણી, સ્મારક રચ્યાં. એટલું જ નહિ ગેઝેટમાં આ હકીકતો પ્રકાશિત થાય તે માટે સઘન અને સફળ પ્રયત્ન કરેલા.

રસિકભાઈ અને સરલાબહેન બંનેએ વડનગર રેલવે લાઈન અંબાજી સુધી લંબાય તેવું સ્વપ્ન સેવેલું અને એ સ્વપ્ન વડનગરની પ્રજાને જોતાં શીખવ્યું. અને તે સાકાર કરવા અનેકવાર સત્યાગ્રહ કરેલ અને જેલ પણ થયેલ. અત્રે આ સ્વપ્ન ત્વરિત ગતિએ સાકાર થાય એવી શ્રદ્ધા છે.

"અંબાજી મંદિરનાં સ્થાપત્ય ઉપર મોગલ સ્થાપત્યની અસર છે અને એને હિંદુ સ્થાપત્ય મુજબ ગર્ભગૃહ, નાટ્ય મંડપ અને સભામંડપ હોવા જોઈએ. રસિકભાઈ તમે જ આ કામ કરી શકશો." આવું 'સ્કૂલ ઑફ પ્લાનિંગ'ના વિદ્વાન આચાર્ય પનુભાઈ ભટ્ટે વડનગરમાં યોજાયેલ ઇતિહાસ પરિષદ દરમિયાન કહ્યું. પછી તો સહી ઝૂંબેશ, લોકજુવાળ અને પત્રવ્યવહારને અંતે આ સાચું બાંધકામ ધરાવતું મંદિર તૈયાર થયું.

એકવાર વિજાપુર તાલુકાના કેટલાક ખેડૂતો દુકાળને કારણે હિજરતની વાત લઈને આવેલા ત્યારે રસિકભાઈએ એમને થોડીક ધીરજ રાખી, ધરોઈ કેનાલ વડે પાણી મળશે એવી હૈયાધારણ આપી. ઇંદિરા ગાંધીને આ વાતની ગંભીરતા સમજાવી. ડૅમનું ઉદ્દઘાટન થયું. આજે વિજાપુર તાલુકો સૌથી સમૃદ્ધ ગણાય છે.

રાજકારણ હોય, કે સામાન્ય નાગરિકની સમસ્યા હોય, એમની પાસે ઉકેલ હોય જ. અહીં દવે દમ્પતીની અનેક ક્ષેત્રે સક્રિયતાને પરિણામે હિતેન્દ્ર દેસાઈથી લઇને આનંદીબહેન પટેલ સુધીનાં તમામ મુખ્ય મંત્રીઓ, તેમ જ વડાપ્રધાન મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ અને નરેન્દ્ર મોદીએ વડનગરની મુલાકાત લીધી છે.

અન્ય મંત્રીઓ તો વિકાસલક્ષી કાર્યોમાં સલાહસૂચનો મેળવવા અને પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવા સતત આવતા રહ્યા છે.

મને આવાં સક્ષમ માતાપિતાનું  સંતાન હોવાનો ગૌરવ છે.

15/8/2019.

[એમના સ્મૃતિગ્રંથમાં મારો લેખ.]

સૌજન્ય : ભૈરવીબહેન મણિયારની ફેઈસબીક દિવાલેથી સાદર

Loading

...102030...1,6121,6131,6141,615...1,6201,6301,640...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved