Opinion Magazine
Number of visits: 9962064
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિવારની વ્યવસ્થા તૂટે, એટલે ઘરમાં ટીવી સ્ક્રીન વધે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 May 2022

આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. વ્યક્તિના અને સમાજના વિકાસમાં પરિવારની ભૂમિકા કેટલી મહત્ત્વની છે તેની જાગૃતિ ફેલાય તે માટે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૧૯૮૩માં, દર વર્ષે ૧૫મી જૂને ‘ઇન્ટરનેશનલ ડે ફોર ફેમિલીઝ’ ઉજવવાનું નક્કી કર્યું હતું. પૃથ્વી પર અંદાજે ત્રણ લાખ વર્ષથી પરિવારનું અસ્તિત્વ છે. મનુષ્યજાતિની કોઈ જૂનામાં જૂની (ઇવન લગ્ન પહેલાંની) કોઈ સિસ્ટમ હોય તો તે પરિવાર છે. તો પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘને તેના વિશે જાગૃતિ ફેલાવાની આની જરૂરિયાત કેમ લાગી? તેના જવાબમાં આપણે એક ફિલ્મની વાર્તા જાણીએ.

૧૯૯૦માં, બેરી લેવિન્સન નામના હોલીવૂડના નિર્દેશકે “એવલોન” નામની ફિલ્મ બનાવી હતી. એવલોનનો શબ્દશ: અર્થ થાય છે “સફરજનનો ટાપુ.” પ્રચલિત અર્થમાં તેને સ્વર્ગ કહેવાય છે. પ્રાચીન ઇંગ્લેન્ડની દંતકથાઓમાં ૫મી સદીના કિંગ આર્થરની એક વાર્તા મશહૂર છે. તેમાં, કામલાનના યુદ્ધમાં કિંગ આર્થર જખ્મી થયો ત્યારે, તેને નવજીવન માટે એવલોન નામના ટાપુ પર લઇ જવાયો હતો.

બેરી લેવિન્સને એવલોનના સ્વર્ગની કલ્પનાનો આધાર લઈને એવા પાંચ યહૂદી ભાઈઓ પર ફિલ્મ બનાવી હતી, જે પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે પોલેન્ડમાંથી માઈગ્રેશન કરીને, સ્વર્ગ સમાન અમેરિકા આવ્યા હતા અને ત્યાં વોલપેપરનો ધંધો ઊભો કર્યો હતો. સામ ક્રિચિન્સકી અને તેના ચાર ભાઈઓ, તેમના મૂળ વતનની માફક, અમેરિકામાં સાથે રહેતા હતા અને સાથે કામ કરતા હતા. આપણે ત્યાં જેમ મકરસક્રાંતિ અથવા બૈશાખી ઉજવાય છે, તેવી રીતે અમેરિકામાં થેન્ક્સ ગિવિંગની પ્રથા છે. ફિલ્મમાં એવા એક પ્રસંગે, આ પાંચે ભાઈઓના કુલ ૨૬ પરિવારજનો ડીનર પર ભેગાં થયાં હતાં.

એ લોકો જ્યાં રહેતા હતા તે ૪૦ અને ૫૦ના દાયકાનું બાલ્ટીમોર શહેર  કૂદકે ને ભૂસકે વધી રહ્યું હતું, પરિવારોમાં ટેલિવીઝન આવ્યું હતું, ટેલિફોન આવ્યો હતો, નવાં સબર્બ બની રહ્યાં હતાં, નોકરી-ધંધામાં તેજી હતી અને માણસો વ્યસ્ત થઇ રહ્યા હતા. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ, ક્રિચિન્સકી પરિવાર વિખરાવા લાગે છે. અમુક સભ્યો વધુ મોકળાશ અને પ્રાઈવસી માટે સબર્બમાં રહેવા જાય છે. એક ભાઈ બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે. પરિવારના વડા સામ માટે સૌથી મોટો આઘાત એ હતો કે થેન્ક્સ ગિવિંગ ડીનર પર વિલંબથી આવે છે તો તેના વિના જ સૌ ખાવા બેસી ગયા હોય છે.

આપણી જેમ, યહૂદી પરિવારોમાં પણ ઘરની વડીલ વ્યક્તિને મૂકીને ખાવાનું ચાલુ કરી દેવું એ અનાદર કહેવાય છે. પરિવાર તુટવાની એ શરૂઆત કહેવાય. પ્રથા તૂટે એટલે પરિવાર તૂટે.

વર્ષો વીતે છે અને કુટુંબ-કબીલો નાનો થતો જાય છે. ૬૦ના દાયકા સુધીમાં તો વિસ્તૃત પરિવાર સાવ ખતમ થઇ જાય છે. હવે ભાઈઓ અને તેમના પરિવારમાંથી કોઈ આવતું નથી. સૌ તેમના કામમાં અને પરિવારમાં વ્યસ્ત છે. હવે, થેન્ક્સ ગિવિંગ ડીનર પર માતા-પિતા, દીકરો અને દીકરી ટેલિવીઝન સામે બેસીને ખાય છે. પછી તો દીકરો-દીકરી પણ ‘ઊડી’ જાય છે. ફિલ્મના છેલ્લા દૃશ્યમાં, સામ ક્રિચિન્સકી નર્સિંગ હોમમાં એકલતામાં જીવે છે અને વિચારે છે કે પરિવાર ક્યાં વિખરાઈ ગયો? તમે આખી જિંદગી પરિવારની મોટો કર્યો હોય, એકજુટ રાખ્યો હોય, પૈસા ભેગાં કર્યા હોય અને છેલ્લે તમે વૃદ્ધાશ્રમમાં એકાકી જીવન ગુજારીને મોતનો ઈન્તેજાર કરો.

આ ફિલ્મ આમ તો યહૂદીઓના માઈગ્રેશન પર હતી, પરંતુ એમાં મુખ્ય ચિત્રણ સ્વર્ગ સમા અમેરિકામાં પરિવારની વ્યવસ્થાના પતનનું હતું. ફિલ્મનો નિર્દેશક બેરી લેવિન્સન પોતે યહૂદી હતો અને તેણે આ ફિલ્મની વાત કરતાં એકવાર કહ્યું હતું, “મારા બાળપણમાં, અમે દાદા-દાદીઓને વળગીને બેસતા હતા અને અમારા પરિવારોની વાર્તાઓ સાંભળતા હતા … આજે લોકો ટી.વી. સામે એકલા બેસીને બીજા પરિવારોની વાર્તાઓ જુવે છે. ફિલ્મનો મુખ્ય વિષય પરિવારનું વિભાજન છે. આજે પણ એ વિભાજનની પ્રક્રિયા ચાલુ છે. એક સમયે, પરિવારો કમ-સે-કમ એક સાથે ટેલિવીઝન સામે બેસતા હતા. આજે દરેક વ્યક્તિ પાસે તેનો આગવો સ્ક્રીન છે.”

પશ્ચિમમાં પરિવારો તૂટી રહ્યા છે અને આ ફિલ્મ તેનું પ્રતિક છે. ન્યુક્લિયર ફેમિલી અથવા વિભક્ત કુટુંબની નવી પ્રથા સંયુક્ત કુટુંબની વ્યવસ્થાના પતનનું કારણ બની છે. લગ્ન, બાળકો, પેરન્ટીગ, સહજીવન વગેરે પારંપરિક બાબતોનો અર્થ બદલાઈ ગયો છે. ૬૦ના દાયકામાં બાળકોનો જન્મ પરિવારોમાં થતો હતો. આજે દશમાંથી ચાર બાળકો એકલી સ્ત્રી અથવા લગ્ન વગર કોઈની સાથે રહેતી સ્ત્રીના પેટે જન્મે છે. અમેરિકામાં વધુને વધુ સ્ત્રીઓ કામકાજ કરવા લાગી છે એટલે તેમની માતૃત્વની ભૂમિકા પણ બદલાઈ ગઈ છે.

૧૯૬૦માં, ‘બેબી બૂમ’ વખતે ૭૩ ટકા બાળકો સંયુક્ત પરિવારમાં વૈવાહિત પેરેન્ટ્સ સાથે રહેતાં હતાં. ૧૯૮૦ સુધીમાં એવાં બાળકોની સંખ્યા ૬૧ ટકા થઇ ગઈ હતી. આજે માત્ર ૪૬ ટકા બાળકો જ એવા પરિવારમાં છે. પશ્ચિમમાં પરિવારનું માળખું કેમ બદલાઈ રહ્યું છે? થોડાં કારણો :

– બાળકો ૧૮ વર્ષનાં થાય એટલે તેમને ફરજિયાતપણે ઘર બહાર સ્વતંત્ર જીવવા મોકલી દેવામાં આવે છે.

– અભિવ્યક્તિની આઝાદી અને પસંદગીની સ્વતંત્રતાના કારણે બાળકો વડીલોના વિચારોનું સન્માન કરતાં નથી અને તેમને સહજીવન તેમ જ સહકારના પાઠ ભણવા મળતા નથી.

– ધાર્મિક અથવા સાંસ્કૃતિક મૂલ્યો એક જમાનામાં પરિવારમાંથી આવતા હતાં. પશ્ચિમમાં જે જવાબદારી સ્કૂલો પર નાખી દેવામાં આવી છે. 

– વૃદ્ધાશ્રમો, અથવા પશ્ચિમની ભાષામાં કહીએ તો રીટાયરમેન્ટ હોમ્સે, એક્સ્ટેન્ડેડ ફેમિલીની ઘોર ખોદી છે. બાળકોને ગ્રાન્ડપેરેન્ટ્સના અનુભવો નથી મળતા.

– હાથમાં મોબાઈલ અને ઘરમાં ટેલિવીઝનનાં કારણે સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે. સાથે બેસવું અને ગપસપ કરીને લગાવ મજબૂત કરવો હવે જરૂરિયાત રહ્યું નથી.

– નારી-સ્વતંત્રતાના મજબૂત અભિગમના કારણે પશ્ચિમમાં, વિશેષ તો અમેરિકામાં, ડિવોર્સ રમતવાત થઇ ગયા છે. લગ્નો આજીવન માટે નથી. સાથે રહેવું એ જરૂરિયાત ઓછું અને અનુકૂળતા વધુ છે.

– પશ્ચિમની સંસ્કૃતિ વર્કોહોલિક છે. ત્યાં સૌ ખૂબ કામ કરે છે. પરિણામે પરિવારજનો સાથે ભાવનાત્મક લગાવ ઊભો થાય તેવી સહિયારી પ્રવૃતિઓ ઘટી ગઈ છે. કોઈને એકબીજા માટે ટાઈમ નથી, એ આમ ફરિયાદ છે.

છેક ૧૯૩૩માં, ક્રિસ્ટોફર ડાવસન નામના ઇતિહાસકારે “ધ પેટ્રિઆર્કલ ફેમિલી ઇન હિસ્ટ્રી” નામના પુસ્તકમાં કહ્યું હતું કે ગ્રીક અને રોમન સામ્રાજ્યનું પતન તેના સમાજોમાં પરમ્પરાગત પરિવાર વ્યવસ્થાના પતનના કારણે આવ્યું હતું. આ વાત સાચી છે. સભ્યતાઓના પાયામાં પરિવારની વ્યવસ્થા છે. જ્યારે પરિવારના પાયા જ હચમચવા લાગે, ત્યારે સભ્યતા પણ જોખમમાં મુકાય.

ભારતમાં આપણે જાગવા જેવું છે. “પશ્ચિમ જેવો” વિકાસ કરવાની આંધળી દોડમાં આપણે પારિવારિક રીતે વિખરાઈ જઈએ એ એક અસલી જોખમ છે, કાલ્પનિક નહિ. ટેલિવીઝન સામે ભેગાં થઇને બીજા પરિવારોની વાર્તાઓ જોવાની શરૂઆત આપણે ત્યાં થઇ ગઈ જ ગઈ છે, અને હવે દરેકમાં હાથમાં મોબાઈલની દુનિયા પણ છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર

હરેશ ધોળકિયા|Opinion - Opinion|16 May 2022

કોરોના મહામાહી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકારો – સંપાદકો : રજની દવે, ડૉ. કિરણ સિંગ્લોત અને પારુલ દાંડીકર – પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, વડોદરા – કિંમત : રૂ. ૩૦૦

કોરોના! છેલ્લાં બે વર્ષથી જગત સામે, શેષનાગ પોતાની ફેણ ઊંચી કરી ફુત્કારતો હોય તેમ, ડાચું ફાડીને ઊભો છે. કરોડોને ડંખ મારી ભસ્મીભૂત કરી નાખ્યા છે. આજે પણ દરરોજ હજારોને ભરખી જાય છે. પહેલીવાર આધુનિક્તા વચ્ચે, અદ્‌ભુત વૈજ્ઞાનિક સંશોધનો અને મેડિકલ પ્રગતિ વચ્ચે, માનવજાત લાચારી અનુભવી રહી છે કે આ રાક્ષસથી કેમ છૂટકારો મેળવવો. આજે ભલે ઘટતો દેખાય છે, પણ અનેક દેશોમાં હજી તેની ફેણના ઝેરી લબકારાનો ભોગ હજારો લોકો બની રહ્યા છે.

કોરોનાએ તો જગતને સ્તબ્ધ કરી દીધું છે. તેણે જે નુકસાન કર્યું છે અને આજે પણ કરી રહ્યો છે, તેના રિપોર્ટો હચમચાવે છે. તે ચાલુ થયો ત્યારથી તેના પ્રભાવની નોંધો, ખાસ કરીને, પશ્ચિમના સંશોધકો કરી રહ્યા છે. ગુજરાતીમાં તેના વિશે છૂટક લેખો કે આંશિક માહિતી આપતાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે, પણ કોરોના વિશે સમગ્ર દર્શન કરાવતો કોઈ ગ્રંથ હજી પ્રકાશિત થયો હોય તેવું જાણમાં નથી.

સદ્‌ભાગ્યે, આ મહેણું હવે ટળ્યું છે. ગુજરાતમાં સર્વોદય ક્ષેત્રે કામ કરતી સંસ્થા અને ‘ભૂમિપુત્ર’ નામનું લોકોને જાગૃત કરવા મથતું સામયિક પ્રકાશિત કરતી સંસ્થા ‘યજ્ઞ પ્રકાશને’ કોરોનાનું સમગ્ર દર્શન કરાવતું એક અત્યંત સુંદર વિશ્લેષ્ણાત્મક પુસ્તક ‘કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર’ નામે પ્રકાશિત કર્યું છે. યજ્ઞ પ્રકાશને આગળ પણ કેન્સર, પર્યાવરણ, પ્લાસ્ટિક, ખેડૂતના પ્રશ્નો, માનવ અધિકાર જેવા મુદ્દાઓ પર પુસ્તકો પ્રકાશિત કરી લોકજાગૃતિું ગાંધીનિષ્ઠ કાર્ય કરેલ છો. એટલે તેના દ્વારા આ મુદ્દા પર વ્યાપક એ નિષ્પક્ષ દૃષ્ટિકોણ ધરાવતું પુસ્તક પ્રકાશિત થાય તે સ્વાભાવિક છે.

પહેલાં તેનો સ્થૂળ પરિચય કરીએ. આ કુલ ૬૦૮ પાનાં ધરાવતું દળદાર પુસ્તક છે. તેમાં અગિયાર વિભાગો પાડવામાં આવ્યા છે, જેમાં કુલ ૮૨ લેખોનો સમાવેશ કર્યો છે. આ લેખો ભારતના અને ગુજરાતના અભ્યાસી અને ખૂબ જ તટસ્થ લેખકોએ લખ્યા છે. એટલે તેની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા જળવાઈ છે. જે વિભાગો છે તેનાં શીર્ષકો છે તબીબી વિજ્ઞાન, આર્થિક પ્રવાહો, દલિતો, બહેનો, બાળકો, ગ્રામજનો અને કામદારોની સ્થિતિ, સામાજિક પ્રવાહો અને વલણો, કોરોના કાળમાં શિક્ષણ, પર્યાવરણ-ઈકોલોજીના સંબંધો અને અસરો, જનસ્વાસ્થય, સરકારની જવાબદેહી, વિવિધ લેખો, તેને લગતાં પ્રકાશિત થયેલાં પુસ્તકો. આ ઉપરાંત કાવ્યો અને ચિત્રો પણ આપેલ છે. એક એક લેખ વાચકને અસ્વસ્થ કરી શકવાની તાકાત ધરાવે છે.

સંપાદકીય વાંચતાં જ પુસ્તકનું મહત્ત્વ સમજાઈ જાય છે. તેમાં લખે છે, “મહામારીએ માનવીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત સામાજિક, આર્થિક, વ્યાવસાયિક, શૈક્ષણિક, ધંધારોજગાર અને જનજીવન પર વ્યાપક અસરો પેદા કરી છે … તેના કારણે એક નવું જ કલ્ચર ઊભું થયું છે … તેનો સામનો કરવામાં બુદ્ધિશાળી માનવજાતે થાપ ખાધી છે. સૌ એકબીજાને ડરથી જોતા જાય છે … સારવારમાં ઔષધો અને રસીઓના સંશોધનો કોની કેવી સ્વાર્થી દાનત હતી … તેણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવા પ્રકારની ભૌગોલિક અને રાજકીય તાણ ઊભી કરી છે … દુશ્મનોના ચહેરા માસ્ક પાછળ સંતાયેલા હોવાથી કોઈ કોઈનો ભાવ કળી શકતું નથી … ઑફિસ કામમાં હાઈબ્રીડ કલ્ચરનો ઉદય થયો છે … એટલે વિચારકો માને છે કે આને લીધે હવે નજીકના સમયમાં ભૂતિયાં શહેરો અસ્તિત્વમાં આવશે.”

દરેક વિભાગના લેખો વાંચવાથી પણ કોરોનાની વાસ્તવિક્તા ખ્યાલમાં આવે છે. કોરોનાની રસી વિશેના લેખોમાં ઘણે ઠેકાણે તેની અસરકારકતા વિશે ખુદ વિજ્ઞાનીઓ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. તો આર્થિક પેકેટ બાબતે અર્થશાસ્ત્રી હેમંત શાહ જણાવે છે કે આ પૅકેટ જી.ડી.પી.ના માત્ર ૨.૯૫ ટકા છે. તેની જાહેરાતો મોટી છે, પણ વાસ્તવિક ખર્ચ તદ્દન ઓછું છે. વળી રાજકોષીય ખાદ્ય વધતી જાય છે. દેવું વધતું જાય છે. તેમાં વિદેશીઓને રાહત છે, ભારતીયોને નહીં, લોન મળે છે, રાહત નહીં. એટલે કે તે તેને મજાક ગણાવે છે.

કોરોના કાળમાં બહેનો, બાળકો, કામદારો કે ગ્રામજનોની હાલત બાબતના લેખો વાંચીએ તો તો હચમચી જ જવાય છે. બાળકોના શિક્ષણની ચર્ચા કરતાં એક લેખક કહે છે કે ચારે બાજુ ડિજિટલ અંધારું છે. બાળકો ભણવા માટે નિરંતર કમજોર થઈ રહ્યાં છે. દુનિયાભરમાં ૨૧.૪ કરોડ બાળકોના ભણવામાં ૭૫ ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે શાળાઓ ખુલશે પછી પણ કરોડો બાળકો શાળામાં નહીં આવી શકે.

કોરોનાની સામાજિક અસરો નોંધતાં ડંકેશ ઓઝા જાણીતા ઇતિહાસકાર યુવાલ હરારેનું વાક્ય નોંધે છે કે આવાં સમયમાં પ્રજા વધારે નમાલી બનશે. વધારે આદારિત બનશે. વધુ ડરપોક બનશે. દરેક દેશમાં રાજકીય સત્તા વધારે મજબૂત બનશે. તે વધારે ડર ફેલાવશે અને એકાધિકારવાદી બનશે. તો ક્યાંક હકારાત્મક અસરો પણ નોંધાઈ છે, જેવી કે, લોકો સ્વાવલંબન તરફ વળ્યા છે. પરસ્પર સહયોગ માટે તત્પરતા વધી દેખાય છે. પરસ્પર વિશ્વાસની ભાવના વિક્સી રહી છે. સર્જનાત્મકતાનાં દ્વાર ખૂલ્યાં છે. ચિંતન માટે સમય મળ્યો છે.

અન્ય લેખોનાં માત્ર શીર્ષકો જોઈએ તો પણ વિષયોનું વૈવિધ્યનો ખ્યાલ આવે છે. પર્યાવરણ પર બાયોમેડિકલનું જોખમ, ઝૂનોટિક રોગચાળો – માનવસર્જિત મહામારી, ધરતીને પડતી તકલીફો વગેરે. તો જાહેર આરોગ્ય વિભાગમાં ગુજરાતના અને દેશના આરોગ્ય માળખાની ચર્ચા છે. પ્રાણવાયુની કટોકટીની ચર્ચા છે. અન્ય રોગોની સારવાર વિશે ચર્ચા છે. સરકાર સંદર્ભના લેખોમાં પી.એમ. કેર્સ નિધિના દુરુપયોગની ચર્ચા, સરકારની કામ લેવાની ચર્ચા, મત અને મોતની ચર્ચા વગેરે વિષયો પર લેખો છે. તો વિવિધ લેખોમાં બાબા રામદેવ, આયુર્વેદ, હોમિયોપેથી, કોરોના અને માનસિક સવાલો, કોરોના અને કોમવાદ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.

છેલ્લા વિભાગમાં કોરોના બાબતે વિશ્વમાં લખાયેલ પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો છે. તેમાં કોરોનાની માહિતી આપતાં પુસ્તકો સાથે અંગ્રેજીમાં લખાયેલ “કોરોના કાળમાં ભૂલોની હારમાળા”, “કોરોના મહામારી અને અકરાંતિયો મૂડીવાદ”, “પેન્ડેમિક–હાઉ ટુ સ્ટોપ નેકસ્ટ વન?”, ઉપરાંત હિન્દી પુસ્તકોનો પરિચય પણ આપ્યો છે.

કેટલાંક કાવ્યો પણ ધ્યાન ખેંચે છે. એક કાવ્યમાં કહે છે :

“માણસોએ
માણસોને પૂછ્યું,
ક્યાં ગયા
માણસો.”

બીજા એક કાવ્યમાં કહે છે :

“યે જો મિલાતે ફિરતે હો તુમ હર કિસીસે હાથ,
ઐસા ન હો કિ ધોના પડે જિંદગીસે હાથ.”

વગેરે.

સમગ્ર પુસ્તક વાંચીએ છીએ ત્યારે કોરોના વિશે અનેક દૃષ્ટિકોણો જોવા મળે છે. માનવ મર્યાદાઓ, સરકારી મર્યાદાઓ, માણસની સ્વાર્થી વૃત્તિ વગેરેની ચર્ચા છે, તો સમાંતરે ત્યારે થયેલાં ઉત્તમ અને હકારાત્મક કામો કે પગલાંઓ પણ જોવા મળે છે. આ દરમ્યાન જે પગલાં લેવાયાં તેની પણ સરસ માહિતી આપી છે. ભવિષ્યમાં શું પગલાં લેવાં જોઈએ તેનાં પણ સૂચનો છે. આમ, આ પુસ્તકમાં સ્થાનિકે, રાજ્યમાં, દેશમાં અને વિશ્વમાં કોરોના વિશે જે પણ કામગીરી થઈ છે કે ચિંતન થયું છે, તેના વિશે આપણને માહિતી મળે છે. આ ગ્રંથના મુદ્દાઓ પર માત્ર નજર પણ ફેરવીએ તો એક સંદર્ભ ગ્રંથ જેવો લાગે છે. જાણે પીએચ.ડી.નો થીસિસ હોય તેવું અનુભવાય છે. ગુજરાતીમાં એક જ ગ્રંથમાંથી આટલી બધી વ્યાપક, અભ્યાસી અને પ્રમાણભૂત માહિતી મળે તે તો આનંદજનક ઘટના ગણી શકાય. આ માટે પુસ્તકના સંપાદકો રજની દવે, ડૉ. કિરણ શિંગ્લોત અને પારુલ દાંડીકર તથા લેખકો ખૂબ અભિનંદનને પાત્ર છે.

આ ગ્રંથ સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, નીતિ ઘડનારી સંસ્થાઓને તે ઉપયોગી છે જ, પણ સાથે સાથે સામાન્ય વાચકને પણ માહિતી આપવા સાથે જાગૃત કરે છે કે આવી વૈશ્વિક કટોકટી આવે તો શું કરવું છે જ, પણ સાથે સાથે સામાન્ય વાચકને પણ માહિતી આપવા સાથે જાગૃત કરે છે કે આવી વૈશ્વિક કટોકટી આવે તો શું કરવું જોઈએ અને કેમ વિચારવું જોઈએ.

આશા રાખીએ કે પુષ્કળ વાચકોના હાથમાં આ પુસ્તક જાય અને તેનું અધ્યયન થાય.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 11 તેમ જ 10

Loading

શહેરીકરણથી જ્ઞાતિવ્યવસ્થા નબળી પડી છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 May 2022

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતના ગામડાંને સંકુચિતતા, અજ્ઞાન, કોમવાદ, સામંતશાહી અને જાતિપ્રથાનું કેન્દ્ર માનતા હતા. તેથી તેમણે કથિત અસ્પૃશ્યોને ગામડાં છોડી શહેરોમાં વસવા આહ્વાન કર્યું હતું. બાબાસાહેબને મતે જ્ઞાતિની નાબૂદીમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ મહત્ત્વનું કારક બની શકે છે. જ્ઞાતિ નિર્મૂલનની આ આંબેડકરી આશા આઝાદીના અમૃતકાળમાં વાસ્તવિકતાની સરાણે ચકાસવા જેવી છે.

ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ૨૦૦૧માં ૨૭.૮૧ ટકા, ૨૦૧૧માં ૩૦.૧૬ ટકા અને ૨૦૧૮માં ૩૩.૬ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ૨૦૦૧માં દેશમાં ૫,૧૬૧ શહેરો હતા, જે ૨૦૧૧માં વધીને ૭,૯૩૬ થયા છે. એક અંદાજ મુજબ આ દાયકાના અંતે દેશની ચાલીસ ટકા વસતિ શહેરોમાં વસતી હશે. ૨૦૨૫ સુધીમાં તમિલનાડુની સાઠ ટકા તો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકની પચાસ ટકા વસતિનું શહેરીકરણ થયું હશે.

શહેરોમાં જ્ઞાતિનું સામંતી વાતાવરણ હોતું નથી. ગામડાંની તુલનામાં શહેરમાં જ્ઞાતિગત ઓળખ પ્રચ્છન્ન રહી શકે છે. સરકારી અને અન્ય નોકરીનાં સ્થળો, જાહેર પરિવહન, શાળા-કૉલેજ, મોલ, થિયેટર અને મોટા જાહેર મંદિરો વગેરેમાં આભડછેટ પાળી શકાતી નથી. જ્ઞાતિગત ધંધાને બદલે કહેવાતા ઉજળા ધંધાની પણ તક મળી શકે છે. ગામડાં કરતાં શહેરમાં નોકરી-ધંધાના સ્થળોએ જાતિ ઓગળી જઈ શકે છે. આ બધાં કારણોસર દલિતોનું ગામડાં છોડી શહેરોમાં વસવું પ્રમાણમાં ઓછું તકલીફદાયક છે. શહેરો તેમને સારું શિક્ષણ અને રોજગાર તો મેળવી આપે છે તેમની જ્ઞાતિગત ઓળખને પણ ભૂંસી શકે છે.

ડૉ. આંબેડકરની સલાહ અને શહેરીકરણના આટલા બધા ફાયદા પછી દલિતોનું શહેરીકરણ મોટા પાયે થયું હોવું જોઈએ, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. રાજધાની દિલ્હીમાં શહેરની કુલ વસતિમાં ૧૫.૭૬ ટકા, પચરંગી મહાનગર મુંબઈમાં ૬.૪૬ ટકા, નાગપુરમાં ૧૯.૮ ટકા, ચેન્નઈમાં ૧૬.૭૮ ટકા, બેંગલુરુમાં ૧૧.૩૭ ટકા અને કોલકાતામાં ૫.૩૮ ટકા જ દલિતો આવી વસ્યા છે. દીર્ઘ ડાબેરી શાસન ધરાવતા પશ્ચિમ બંગાળમાં દલિતોની વસતિ ૨૩ ટકા છે, પરંતુ નવજાગરણ અને સમાજસુધારાના કેન્દ્ર કોલકાતામાં દલિત વસ્તી માંડ પાંચ ટકા જ છે.

ગુજરાતના ચાર મોટા શહેરોમાંથી અમદાવાદની કુલ વસ્તીમાં ૧૦.૭ ટકા, રાજકોટમાં ૬.૫ ટકા, વડોદરામાં ૬.૬૨ ટકા અને સુરતમાં ૨.૫ ટકા જ દલિતો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસ્તીમાં દલિતોનું પ્રમાણ ૬.૭૪ ટકા છે તેના કરતાં વધુ પ્રમાણમાં દલિતો એક માત્ર અમદાવાદમાં જ વસ્યા છે.

ભારતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં દલિતોનો વસવાટ ગામથી અલગ ન હોય. તો શું શહેરોમાં દલિતો જ્ઞાતિભેદ વિના સૌની સાથે વસી શકે છે ? જૂન ૨૦૧૮માં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ’, બૅંગુલુરુએ પ્રકાશિત કરેલ ભારતના મેટ્રો સિટીઝમાં વસવાટ અને પાડોશ તરીકે દલિતો સાથે આચરાતો સામાજિક ભેદભાવ ગ્રામીણ ભારત કરતાં જરા ય ઉતરતો નથી. નવીન ભારતી, દીપક મલગન અને અંદલીબ રહમાનનું સંશોધન જણાવે છે કે “દેશના સાત સૌથી મોટાં શહેરોમાં વસવાટમાં સામાજિક-આર્થિક કરતાં જ્ઞાતિના આધારે વધારે ભેદ છે.” આ સંશોધકોના અભ્યાસનો આધાર ૨૦૧૧ની બ્લોકવાઈઝ થયેલી વસ્તી ગણતરી છે. અગાઉ વૉર્ડવાર થતી વસ્તી ગણતરી કરતાં આ વસતિગણતરીમાં ઓછી વસતી આવરી લેવામાં આવતી હોઈ તેમાં કેટલી દલિત વસ્તી છે તે તારવવું વધુ સહેલું બન્યું હતું.

ગામડાંની જેમ દેશના મહાનગરોમાં દલિતોની વસ્તી જુદી હોવાનું કે શહેરની બિનદલિત વસ્તીમાં બહુ ઓછા દલિત વસતા હોવાનું બ્લોકવાર વસ્તી ગણતરીના આંકડાઓ પરથી પુરવાર થયું છે. આઈ.આઈ.એમ., બૅંગલુરુ પ્રકાશિત અભ્યાસનું તારણ છે કે કોલકાતાના ૬૦ ટકા મહોલ્લાઓમાં એક પણ દલિત નથી. આઈ.ટી. ક્રાંતિ માટે સુખ્યાત દેશના આધુનિક શહેર બૅંગલુરુની આધુનિક નવી વસાહતોમાં કોઈ દલિતનો વસવાટ શક્ય બન્યો નથી.

શહેરોના સૌથી સલામત, સૌથી સ્વચ્છ, સૌથી મોંઘા, સૌથી સસ્તા, સૌથી પ્રદૂષિત એવા જે વિભિન્ન રેંકિંગ થાય છે તે મુજબ દેશના સૌથી વધુ અલગ દલિત વસતિના શહેર તરીકેનો પ્રથમ ક્રમ ગુજરાતના રાજકોટના ફાળે જાય તેમ છે. ૮૭.૬ ટકા સાક્ષરતા ધરાવતા અને ૮૯.૯ ટકા હિંદુ વસતિના શહેર રાજકોટમાં ૮૬,૨૬૫ દલિતો વસે છે. પરંતુ રાજકોટ શહેરની ૮૦ ટકા વસતિમાં એ કપણ દલિત વસતો નથી.

દલિતોને શહેરી વસ્તીની બહાર વસાવવાનું સૌથી વધુ ચલણ ધરાવતા ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં દલિતોની અલગ વસ્તી બહારપુરા કે સામાકાંઠે તરીકે વસાવી છે. મિશ્ર વસવાટ અને તેને કારણે જાતિનો નાશ શહેરોમાં થઈ શક્યો નથી. આર્થિક રીતે સક્ષમ દલિતો જ્યારે મકાનની ખરીદી માટે જાય છે ત્યારે શહેરોની કથિત સવર્ણ સોસાયટી કે ફ્લેટમાં તેમને જાકારો મળે છે. માલિક કે બિલ્ડર તેમને આડકતરી રીતે, સીધી રીતે કે ક્યારેક કાયદાની બીકે  ઠાવકાઈથી ના પાડે છે.

એકલા અમદાવાદ શહેરમાં જેમાં માત્ર દલિતો જ વસતા હોય તેવી દલિતોની અલગ આશરે ચારસો હાઉસિંગ સોસાયટીઓ છે. દલિતોનું પોતાના જાતભાઈઓ સાથે અલગ વસવાનું કારણ ન તો તેમની પસંદગીનું છે કે ન તો દલિત અસ્મિતાની કોઈ સભાનતાથી છે. કથિત ઉજળિયાત હિંદુ સમાજના દુર્ભાવપૂર્ણ વલણનું તે પરિણામ છે. ગુજરાત અને ભારતના શહેરોમાં ગરીબ દલિતો અલગ ચાલીઓ-ઝૂંપડપટ્ટીઓમાં અને સંપન્ન દલિતો અલગ સોસાયટીઓ – ફ્લેટ્‌સમાં રહે છે. જાણે “ઘેટો(ghetto)માં રહેવું અને જીવવું તે દુભાયેલા દલિતોની જાતિ-ધર્મે સર્જેલી નિયતિ છે.

શહેરોમાં દલિતોને માત્ર વસવાટમાં જ નહીં શિક્ષણ અને વ્યવસાયમાં પણ જ્ઞાતિના કારણે ભેદભાવ સહન કરવા પડે છે. અર્થશાસ્ત્રના અધ્યાપક અસદ ઈસ્લામ અને અન્યએ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની મોબાઈલ સેવાના દરદીઓ અને ડૉકટરો વિશે સર્વેક્ષણ કર્યું હતું.

કાનપુરના ચાળીસ સ્થળોએ મોબાઈલ આરોગ્ય સેવાના આ સર્વેમાં દરદીને અપાયેલા વિકલ્પો પરથી જાણવા મળ્યું હતું કે ઉચ્ચ જ્ઞાતિની અટક ધરાવતા પણ ઓછો અનુભવ અને ઓછી નિષ્ણાત ડિગ્રી ધરાવતા ડોકટરની સરખામણીએ નીચલી જ્ઞાતિની અટકના વધુ અનુભવી અને નિષ્ણાત ડૉકટરની દરદીઓ ઓછી પસંદગી કરતા હતા. અર્થાત દરદી માટે ડોકટરની ડિગ્રી, અનુભવ અને નિષ્ણાતપણું નહીં તેમની જ્ઞાતિ રોગના નિદાન અને સારવાર માટે મહત્ત્વની હતી.

દલિતોને ડૉકટર થયા પછી જ નહીં મેડિકલના શિક્ષણ દરમિયાન પણ ભેદભાવ સહેવા પડે છે. એઈમ્સ દિલ્હીમાં દલિત વિધ્યાર્થીઓ સાથે આચરાતા ભેદભાવ અને તેને કારણે તેમની આત્મહત્યા અંગે તપાસ કરવા યુ.જી.સી.ના પૂર્વ ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિની રચના સરકારે કરી હતી. થોરાટ સમિતિએ રાજધાનીની સૌથી મોટી હોસ્પિટલ અને તબીબી સંસ્થાનમાં દલિત વિદ્યાર્થીઓની કનડગત અને ભેદભાવ અંગે ચોંકાવનારા તારણો રજૂ કર્યા હતા. સમિતિના રિપોર્ટ મુજબ દલિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બિનદલિતને બદલે દલિત સાથે જ રહેવાની ફરજ પડે છે. ૮૫ ટકા દલિત વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે મેડિકલની પરીક્ષામાં સુપરવાઈઝર તેમને ઓછો સમય આપતા હતા, આંતરિક મૂલ્યાંકન પરીક્ષા વખતે ૭૬ ટકા દલિત વિદ્યાર્થીઓની જ્ઞાતિ જાણવા પરીક્ષક પ્રયત્ન કરતા હતા અને ૮૪ ટકા દલિત વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. થોરાટ સમિતિએ તેના અહેવાલમાં એવી ટિપ્પણી કરી હતી કે, “વિજ્ઞાનના નિયમો ભણનારા, વૈજ્ઞાનિક અભિગમ કેળવવાને બદલે વાસ્તવિક જીવનમાં જ્ઞાતિને પ્રાધાન્ય આપીને પોતાની જ્ઞાતિગત ઉચ્ચતા જાળવી રાખવા માગે છે.”

દિલ્હી યુનિવર્સિટીના ૨,૦૦૦ વિદ્યાર્થીઓના સર્વેના તારણમાં, ‘દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની પ્રકૃતિ અનામત વર્ગના વિદ્યાર્થીઓના બહિષ્કરણની હોવાનું’ નોંધી જણાવ્યું છે કે, “એક કુલીન વિશ્વ વિદ્યાલયમાં શહેરી પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓ વચ્ચે મોટા પાયે જાતિઆધારિત ભેદભાવ મોજુદ છે.” રોહિત વેમુલાથી પાયલ તડવીની આત્મહત્યાઓ તેનું જ પરિણામ છે. ભારતની સાયન્સ, ટેકનોલોજી અને મૅનેજમેન્ટની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવોએ પૂરવાર કર્યું છે કે વિજ્ઞાન, તકનિકી અને પ્રબંધનનું શિક્ષણ ગ્રહણ કરનારા પણ જાતિ નિરપેક્ષ બની શક્યા નથી. દલિતોનો શહેરોમાં પણ જાતિભેદથી પૂર્ણ છૂટકારો થઈ શકતો નથી.

અમદાવાદ – મુંબઈની કાપડમિલો હોય કે કોલકાતાની શણની મિલો, દલિતો તેમાં પણ આભડછેટ અને જાતિપ્રથાનો ભોગ બન્યા છે ડો. આંબેડકર સાચું જ કહે છે કે ‘જાતિપ્રથા એ માત્ર શ્રમનું વિભાજન નથી શ્રમિકોનું વિભાજન છે’. જો કે ગટરસફાઈ જેવું જ્ઞાતિગત અને જોખમી કામ શહેરોમાં પણ દલિતોના માથે જ મરાયું છે. ૨૬થી ૩૦ માર્ચના પાંચ જ દિવસોમાં લખનૌ અને રાયબરેલી (ઉ.પ્ર), બીકાનેર (રાજસ્થાન) નૂંહ (હરિયાણા) અને દિલ્હીમાં અનુક્રમે ૨, ૨, ૪, ૨ અને ૬ એમ કુલ ૧૬ દલિતોના ગટરમાં અંદર ઉતરી સફાઈ કરાવવાને કારણે મોત થયા હતા. શહેરોમાં વળી ક્યાં ભેદભાવ કે આભડછેટ જેવું કંઈ છે તેમ કહેનાર જ્ઞાતિગત ગટરસફાઈનાં કામ અને મોત અંગે મૌન રહે છે.

વિશ્વ બૅંકના મતે ભારતમાં આડેધડ, અસ્તવ્યસ્ત અને અઘોષિત શહેરીકરણ થયું છે. નિયોજિત, સતત અને સમાવેશી શહેરીકરણ જાતિવ્યવસ્થાને અટકાવી શકે છે. બહોળી વસતિને એક જ જગ્યાએ વસાવીને કે એક સાથે રાખીને માનવીય વ્યવસ્થામાં સુધારો લાવી શકાય છે સમાજ પરિવર્તનમાં તે ઉત્કૃષ્ઠ ભૂમિકા ભજવી શકે છે ગાંધીનગર અને ચંદીગઠનો આ દૃષ્ટિકોણથી અભ્યાસ કરતાં પણ નિરાશા જ સાંપડે છે. ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓને સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝ ડ્રોથી વસવાટ માટેની જમીન ફાળવાઈ હોવા છતાં દલિતોને એક જથ્થે દૂરના કે અવિકસિત સેકટરોમાં અને એક જથ્થે જમીન ફાળવાય તેવું જાતિગત ભેદ સિવાય કઈ રીતે શક્ય છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને ગુજરાતનું પાટનગર ગાંધીનગર રહેઠાણ અને પાડોશની બાબતમાં સર્વસમાવેશી બની શક્યા નથી. એવું જ મહારાષ્ટ્રના લાતૂર અને ગુજરાતના કચ્છના ભૂકંપ પછીના જાતિઆધારિત પુનર્વસનનું  છે.

૧૯૭૦માં રાષ્ટ્રીય અખબારોમાં દલિતોની લગ્ન વિષયક જાહેરાતોનું પ્રમાણ ૧.૫ ટકા હતું, તે ૨૦૧૦માં વધીને ૧૦ ટકા થયું છે. જ્યાં શહેરીકરણ વધુ છે તેવા રાજ્યોમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધારે છે અને શહેરી મધ્યમવર્ગમાં દલિતોનો પ્રવેશ અને પ્રભાવ શક્ય બન્યો છે તે સ્વીકારીને પણ કહેવું પડશે કે  ભારતની જડ જાતિપ્રથા આધુનિકીકરણ, શહેરીકરણ અને કુદરતી આફતને પણ ગાંઠ્‌યા વિના અકબંધ રહે છે.

ગાંધીજીએ કહ્યું હતું, “અંત્યજોનો પ્રશ્ન કોઈપણ રીતે આ પેઢી દરમિયાન અથવા આવતી કેટલીક પેઢીઓ દરમિયાન નહીં પણ હમણા જ ઉકેલવાનો છે. નહીં તો તે કદી ઉકલવાનો નથી.” ગામડાં કે નાનાં નગરોમાં જ નહીં મહાનગરોમાં પણ આઝાદીના પંચોતેર વરસો પછીની વર્ણગત વિભાજીતતાની વાસ્તવિકતા પછી પ્રશ્ન થાય છે કે શું ભારતમાંથી જ્ઞાતિ વ્યવસ્થા અને તેના બાહ્ય સ્વરૂપ જેવી અસ્પૃશ્યતા ક્યારે ય નાબૂદ થશે નહીં ? ડૉ. રામમનોહર લોહિયા કહેતા હતા તેમ “જાતિ વો હે જો કભી જાતી નહીં” કાયમી સત્ય બની રહેશે ?

Email : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 06-07

Loading

...102030...1,6041,6051,6061,607...1,6101,6201,630...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved