Opinion Magazine
Number of visits: 9570823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છે ‘પારુલ’ આખરી વારસ જમુરા ‘ઓમ શાંતિ’ બોલ.

પારુલ ખખ્ખર|Poetry|14 February 2022

ફરી દીવા, ફરી સરઘસ જમુરા 'ઓમ શાંતિ' બોલ,
તું જોયા કર બધા ફારસ જમુરા 'ઓમ શાંતિ' બોલ.
લઈ અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા,
ફફડતું, ધ્રુજતું ફાનસ જમુરા 'ઓમ શાંતિ' બોલ.
ભલે ઝંડા ઉપાડે ને, ભલે ડંડા ઉપાડે પણ
નથી જીવતો અસલ માણસ જમુરા 'ઓમ શાંતિ' બોલ.
નથી લોહી ઉકળતું કે હવે આંસુ નથી વહેતાં,
ઉપરથી જીભની આળસ જમુરા 'ઓમ શાંતિ' બોલ.
રગેરગ લ્હાય બળશે ને પછી જાતે ઠરી જાશે,
કકળશે વાંઝિયા ખૂન્નસ જમુરા 'ઓમ શાંતિ' બોલ.
કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મરતી,
કરી બેઠી ફરી સાહસ જમુરા 'ઓમ શાંતિ' બોલ.
લખી શકતા, કહી શકતા, મરી શકતા -એ પેઢીના
છે 'પારુલ' આખરી વારસ જમુરા 'ઓમ શાંતિ' બોલ.

Loading

ખીજડાના ઝાડનો રસ્તા ખાતર ખાતમો ?

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|14 February 2022

મારા ઘરની પાસે ખીજડાનું એક ઘણું મોટું ઝાડ છે. તેના થડનો ઘેરાવ અગિયાર ફૂટ – રિપીટ અગિયાર ફૂટ –  જેટલો છે. તેની ઊંચાઈ બે માળના મકાન કરતાં વધુ છે. તેણે ટાઉટે વાવાઝોડાને મચક આપી ન હતી.

સૅટેલાઇટ વિસ્તારમાં આવેલી મારી પારસકુંજ સોસાયટી(વિભાગ 3)ના નાકે ઊભેલા આ ખીજડાને હું 43 વર્ષથી દરરોજ જોઉં છું. સવારે પૂર્વ દિશામાં સૂરજ પહેલાં મને શમીવૃક્ષના દર્શન થાય છે. અને પછી આખો દિવસ થતાં જ રહે છે.

હવે બે-ત્રણ જ દિવસમાં એવું બનવાનું છે કે આ વૃક્ષદેવનાં દર્શન થતાં બંધ થઈ જશે. શમીવૃક્ષને આખું નષ્ટ કરી દેવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે ત્યાં નવો રસ્તો બનવાનો છે.

એ રસ્તો સૅટેલાઇટ રોડ પરના ઝાંસીના પૂતળાની પાસેના ખૂણા પરથી યોગાશ્રમ સોસાયટી તરફ બની રહ્યો છે. પહેલાં અહીં નેળિયું હતું, વર્ષોથી વધુ ને વધુ બિસ્માર થતો રોડ હતો. એની બાજુની મોટી ખુલ્લી જમીનમાં ગયાં ચારેક વર્ષથી બાર-બાર માળની રહેણાંક ઇમારતો બની, તેમાં તો વળી રોડ સાવ તૂટી ગયો.

હવે પચાસેક ફૂટનો મોટો પાકો રસ્તો થવાનો છે. ઝાંસી તરફના છેડેથી ઝાડ કાપવાની શરૂઆત ગઈ કાલથી થઈ ચૂકી છે. ત્યાં હતાં તે, ઘણું કરીને કણજીનાં ત્રણેક ઠીક ઘટાદાર ઝાડનો સોથ વાળી નાખવામાં આવ્યો છે. એકનું થડ જાડું હતું એટલે મશીનની જરૂર પડી. હવે બીજાં સાતેક નાનાં-મોટાં ઝાડ કપાશે જેમાં કણજી અને સપ્તપર્ણી પણ છે.

આ બધાં ઝાડ નીચે દિવસના સમય મુજબ રિક્ષાઓ અને શાકની લારીઓ ઊભી રહેતી. સ્લીપર-ચપ્પલ, રૂમાલ-માસ્ક, પ્લાસ્ટિકની વસ્તુઓ વેચનાર લારીઓ લઈને ઊભા રહેતા. એ બધાં ઝાડ પછી હરોળમાં ખીજડાનો વારો આવશે. 

આ ખીજડાની નીચે લાંબા સમય માટે હું બહુ ઓછી વાર ઊભો રહ્યો હોઈશ, એને અડ્યો તો ભાગ્યે જ હોઈશ. મારી સુખાળવી જિંદગીને આ વડીલનું બરછટપણું કે પાંદડાં સાથેનાં કાંટા શેના ફાવે ? પણ ખીજડા સાથે મારે નજરથી નમન કરવાનો નાતો છે.

હું એને અનેકવાર જોઉં છું કારણ કે મારા ઘરના બે ઉપલા માળની સીડી ઊતરતાં એ સામે જ દેખાય છે, ઉપલા માળની ગૅલરીમાંના વૉશબેસિન પાસેથી પણ દેખાય છે, મારા ઘરનાં બે ધાબાં પરથી પણ દેખાય છે. મને એ ખીજડો વારંવાર દેખાય છે કારણ કે હું દિવસમાં ઓછામાં ઓછી પાંચ વખત વૉશબેસિન પાસે જઉં છું અને દસ વખત સીડી ઊતરીને નીચેના માળે જઉં છું. સવારે ઊઠીને ઉપલા માળના પૅસેજમાંથી બેસિન ચાલુ એટલે પૂર્વ દિશામાં એ શમીરાજ ઊભા જ હોય !

આ ખીજડાની બાજુમાં ઠાકોરવાસ છે. તેમાંના સનાભાઈની સાયકલની દુકાન વર્ષોથી ખીજડાના છાંયડે ચાલી. આ બારમાસી ઝાડનો ત્યાં રહેતા બધાને મોટો  આશરો છે.

મને પાંચેક વર્ષ પહેલાં સુધી મારા દૃષ્ટિક્ષેપના અવિભાજ્ય હિસ્સા સમા આ વૃક્ષની ઓળખ ન હતી, એના નામની ખબર ન હતી. કોઈ વ્યક્તિ, કે કોઈ છોડ કે ફૂલ, કે આકાશમાંના તારા આપણને એમના વિશેની કોઈ માહિતી વિના ગમતાં હોય એવું મારે વર્ષો લગી આ વૃક્ષ વિશે હતું. પછી એના ફોટા જાણકારોને મોબાઇલમાં મોકલીને માહિતી મેળવી. એમાંથી ખબર પડી કે આ ખીજડો છે. વળી એમ પણ માહિતી મળી કે તે ખીજડાની એક પ્રજાતિ છે.

ખીજડાનું નામ મહાભારતની વારતા પરથી જાણું. પાંડવો વનવાસ પછી અજ્ઞાતવાસ ગયાં તે પહેલાં તેમનાં શસ્ત્રો શમીવૃક્ષની ડાળીઓ પર લટકાવીને ગયાં હતાં.

પરિવાર પાસેથી મળતાં રહેલાં સમૃદ્ધ સંસ્કારકોશમાં એ પણ હતું કે દશેરાને દિવસે શમીવૃક્ષની પૂજા કરવામાં આવે છે અને મહારાષ્ટૃમાં ગણેશચતુર્થીની પૂજામાં ગણપતિને ચઢવવામાં આવતાં 21 ઝાડનાં પાંદડાની યાદીમાં શમી છે. આ વર્ષે ગણપતિની પૂજા બોપલમાં મારા ભાઈને ત્યાં હતી. તેના માટે સૅટેલાઇટનાં આ શમી વૃક્ષનાં ચાર પાંદડા લઈને ગયો હતો. લેતી વખતે ખીજડાના કાંટા વાગ્યા હતા. હવે ખીજડા માટે કંઈ થઈ ના શક્યું નહીં એટલે વાગતા રહેશે.

નંદિતા કૃષ્ણા અને એમ. અમિર્તલિંગમે લખેલું ખૂબ અભ્યાસપૂર્ણ પુસ્તક Sacred Plants of India (Penguin 2014) ખીજડાના વૃક્ષનો ઉલ્લેખ ઋગ્વેદ, અથર્વવેદ, તૈત્તિરિય બ્રાહ્મણ, મત્સ્યપુરાણ, સ્કંદપુરાણ અને ગરુડપુરાણમાં ક્યાં અને કેવી રીતે છે તેની આધારપૂર્ણ વિગતો આપે  છે. 

આ પુસ્તકમાં ખીજડાને લગતા એક ઐતિહાસિક બનાવનો ઉલ્લેખ પણ છે. મારવાડના રાજાએ અભયસિંહે 1730માં  જોધપુરથી પંદરેક કિલોમીટર પર આવેલાં ખેજરલી ગામમાં ખીજડાના ઝાડ કાપવા માણસો મોકલ્યા. ખીજડાનું ઝાડ રાજસ્થાનના ગરમ, રેતાળ પ્રદેશમાં વધુ મહત્ત્વનું ગણાય. એટલે પર્યાવરણના રક્ષણ માટે વિખ્યાત બિશ્નોઈ સમુદાયના અમૃતાદેવી બિશ્નોઈ, એમની દીકરીઓ અને એમના સાથીદારોએ ઝાડને બાથ ભીડી રાખીને બચાવ્યાં.

વિકિપીડિયામાં અને ‘સફર મુંબઈચ્યા વૃક્ષતીર્થાંચી’ નામના મરાઠી પુસ્તકમાં આ બનાવનું  વર્ઝન એમ કહે છે કે ઝાડને બચાવવા માટે અમૃતાદેવી અને તેમની દીકરીઓ સહિત બિશ્નોઈ કોમના 363 માણસો શહીદ થઈ ગયા. શહીદોનું સ્મારક અને અમૃતાદેવીનું મંદિર ખેજરલીમાં છે. ઉત્તરાખંડમાં 1973માં વૃક્ષો બચાવવા માટે ચાલેલાં ચિપકો આંદોલનની પુરોગામી ચળવળ તરીકે પણ ખેજરલી હત્યાકાંડ અને શહાદતનો ઉલ્લેખ થતો હોય છે.

રાજાએ ખીજડા એટલા માટે કપાવ્યા કે તેને મહેલ બનાવવાનો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ખીજડો (અને બીજાં ઝાડ) એટલા માટે કાપી રહી છે કે તેને રોડ બનાવવો છે. રાજાની સામે પડવા માટે અમૃતાદેવી અને તેમનાં સાથીઓ હતાં. કૉર્પોરેશનની સામે પડવા માટે આ લખનાર સહિત કોઈ નથી.

હમણાંના દિવસોમાં નારણપુરા, ગોતા, મોઢેરા, ગાંધીનગર, રાજપીપળા, વાપી-વલસાડ, સુરેન્દ્રનગર, બાવળા … અનેક જગ્યાએ રહેતાં, ત્યાં જતાં-આવતાં લોકો પાસેથી ઠેકઠેકાણે મોટાં મોટાં, વર્ષો જૂનાં ઝાડ સરકાર કાપી રહી છે એવા સમાચાર મળતાં જ રહે છે.

કોરોનામાં લોકો ઑક્સિજન નહીં મળવાને કારણે મૃત્યુ પામ્યા હતા અને વૃક્ષો ઑક્સિજન આપે છે, એ હકીકત સંભવત: જાણનારી સરકારોમાં સદ્દબુદ્ધિ આવે એ જ એકમાત્ર આશા !

13 ફેબ્રુઆરી 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ : બેન્જામિન ફ્રેન્કલિન

સોનલ પરીખ|Opinion - Opinion|14 February 2022

આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ  કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.

— બેન્જામિન ફ્રેન્કલિન

કોઈ વ્યક્તિ એક ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતી હોય તો પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. પણ જે વ્યક્તિ અનેકવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતી હોય – તે પણ આજથી બેત્રણ સદી પહેલા અને આખી દુનિયાને ઉપયોગી થાય એવા અનેક નવાં પ્રદાનો કરી ગઈ હોય એને શું કહીશું? 17 જાન્યુઆરીએ જેમનો જન્મદિન હતો, એ બેન્જામિન ફ્રેન્કલિન આવી એક બહુમુખી અને અત્યંત દુર્લભ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. એમના વિશે કહેવું કે જાણવું એ પણ એક પ્રાપ્તિ જેવું છે.

1700ની શરૂઆતમાં ભારતમાં તાજમહાલ બંધાયાને પચાસેક વર્ષ થયાં હતાં. મોગલ સામ્રાજ્ય ટોચ પર હતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાયેલા અંગ્રેજોની ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં કોઠીઓ નાખી હતી, એમનો રાજકીય પગપેસારો શરૂ થઈ ગયો હતો, પણ શાસન શરૂ થવાને થોડા દાયકાઓની વાર હતી.

આ સમયે 1706માં અમેરિકાના બોસ્ટનમાં એમનો જન્મ. તેમના જન્મ સમયનું અમેરિકા એટલે યુરોપના દેશોની, ખાસ કરીને ઇંગ્લૅન્ડની વસાહતો. એ કાળની જે મોટી ઘટનાઓ વિશે આપણે ઇતિહાસમાં ભણીએ છીએ, તેમાંની અનેક એમના જીવનકાળ દરમ્યાન બની અને તેઓ એના સાક્ષી અને ઘડવૈયા બન્યા. વિજ્ઞાનની શોધખોળોનું પણ એવું જ. લાઈટનિંગ રોડ, બાયફૉકલ ચશ્માં, ફ્રેન્કલિન સ્ટવ, ઑડોમીટર, ગ્લાસ આર્મેનિકા આ બધી એમની શોધ. ફૂટપાથ, આગબંબા, લાયબ્રેરીને સર્વસુલભ એમણે બનાવ્યા. યુનિવર્સિટી સ્થાપી. ભાષાઓ શીખ્યા. આગનો વીમો શરૂ કર્યો. પોલિસવ્યવસ્થા અને હૉસ્પિટલની શરૂઆત કરી. પોતે પોસ્ટમાસ્તર અને પ્રકાશક-મુદ્રક-સંપાદક-લેખક તો ખરા, સાથે ઉદ્યોગપતિ પણ ખરા. અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધની નીતિઓ ઘડી. સ્વતંત્રતાનું ઘોષણાપત્ર અને બંધારણ ઘડનારી કમિટીમાં રહ્યા. અનેક મહત્ત્વની સંધિઓ પર એમની સહી છે. યુરોપમાં અમેરિકન રાજદૂત બન્યા. દરેક ક્ષેત્રમાં ભારોભાર મૌલિકતા અને પ્રયોગશીલતા. ગુલામીપ્રથા વિરુદ્ધ પણ કામ કર્યું હતું.

સ્વતંત્ર અમેરિકાની સંસ્કૃતિ ઊભી કરવામાં એમનો મોટો ફાળો છે. તેઓ અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક અને જ્યૉર્જ વૉશિંગ્ટન પછીની બીજી મહત્ત્વની હસ્તી ગણાય છે. અમેરિકાએ તેમને ફર્સ્ટ અમેરિકનનો ખિતાબ આપ્યો અને અનેક માનદ્દ ડિગ્રીઓ, પુષ્કળ ચંદ્રકો, ઢગલાબંધ પ્રતિમાઓ, પદકો, ટપાલટિકિટો, એમના નામની સ્કૂલો-કૉલેજો, માર્ગો, પુલો, વિસ્તારો, મ્યુઝિયમો અને સ્મારકો દ્વારા ઋણસ્વીકાર કર્યો. અમેરિકામાં એમના નામનું યુદ્ધજહાજ પણ છે અને ફ્રેન્કલિન નામનું એક વૃક્ષ પણ છે. સુંદર શ્વેત પુષ્પો આપતું આ નાનું વૃક્ષ હવે ખુલ્લામાં જોવા નથી મળતું, પણ બાગબગીચાને શોભાવે છે.

એવું શું હોય છે જે માણસને મહાન બનાવે છે? બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા વાંચવા જેવી છે. પિતાના સત્તર સંતાનોમાં બેન્જામિન સોળમા. આર્થિક સંકડામણે ભણવાનું છોડાવ્યું, આડાઅવળાં નાનામોટાં મહેનતનાં કામો કર્યાં, ભાઈના પ્રેસમાં શિખાઉ મદદનીશ તરીકે છાપું વહેંચવા જવાથી લઈ, કાઢવા સુધીની કાળી મજૂરી કરી. પુસ્તકો ગમતાં. સમુદ્રયાત્રા આકર્ષતી. સંગીત અને શતરંજના શોખીન હતા. કુશળ તરવૈયા હતા અને અનેક ઓજારો વાપરી જાણતા. પેપર કરન્સીને લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો છે. દરેક અનુભવમાંથી શીખતા ગયા, લખતા ગયા, પ્રયોગો કરતા ગયા, દેશકાળના બદલાતા પ્રવાહોને ઝીલતા ગયા. પોતાનું જ નહીં, સૌનું શ્રેય જોતા ગયા અને બુદ્ધિ, કાબેલિયત, ધૈર્ય અને દૂરંદેશીની મદદથી પોતાની કેડી કંડારતા ગયા. 

જાહેર જીવનની અપ્રતિમ સફળતાએ અંગત જીવનનો ભોગ પણ લીધો. પ્રથમ સંતાન નાની ઉંમરે મૃત્યુ પામ્યું, પત્ની ડેબોરેહ એકલતા અને ડિપ્રેશનનો શિકાર બની. એના મૃત્યુ વખતે ફ્રેન્કલિન પ્રવાસમાં હતા. એમને એક અવૈધ પુત્ર હતો, વિલિયમ. તેને એમણે ન્યૂ જર્સીનો ગવર્નર બનાવ્યો હતો, પણ પિતાપુત્ર વચ્ચે સારા સંબંધ ન હતા. જીવનનાં આખરી વર્ષોમાં તેઓ એકલા અને બીમાર હતા. 1788માં એમણે જાહેર જીવન છોડ્યું અને 1790માં 84 વર્ષની ઉંમરે પ્લુરસીથી એમનું મૃત્યુ થયું. એમની કબર ફિલાડેલ્ફિયાના ક્રાઈસ્ટ ચર્ચ બરિયલ ગ્રાઉન્ડમાં છે.

તેઓ કહેતા, ‘દુનિયામાં નિશ્ચિત બાબતો બે જ છે, પુસ્તકો અને મૃત્યુ.’ બાવીસમાં વર્ષે એમણે પોતાની કબર પર કોતરાવવાનું લખાણ તૈયાર કરેલું, ‘અહીં પ્રિન્ટર બેન્જામિન ફ્રેન્કલિન જૂના પુસ્તકના પૂંઠાની જેમ, કીડાઓથી કોતરાતો સૂતો છે. પણ એનું કામ એટલું નાશવંત નથી. કેમ કે એ ફરી આવશે –  સર્જકે સુધારેલી અને સત્યની વધુ નજીક એવી નવી અને વધારે સારી આવૃત્તિની જેમ.’ જો કે એમની ખરી કબર પર ચાર જ શબ્દો છે : ‘બેન્જામીન અને ડેબોરાહ ફ્રેન્કલિન.’

જિંદગી અને મૃત્યુ વિશે એમના આ શબ્દો યાદ રહી જાય એવા છે : ‘સવારે નવ વાગ્યે હું જાગું છું અને તરત તાજું છાપું હાથમાં લઉં છું. છેલ્લે શ્રદ્ધાંજલિનું પાનું જોઉં છું. મારું નામ એમાં ન હોય તો ઊભો થાઉં છું.’ ‘જો મૃત વ્યક્તિઓની જેમ વિસ્મૃત રહેવું ન હોય, તો કંઈક લખો અથવા કોઈને તમારા વિશે લખવાનું મન થાય એવું કરો.’ ‘કેટલાક લોકો 25માં વર્ષે મરી જાય છે અને 75માં વર્ષે કબરમાં દટાય છે.’ ‘જિંદગીની કરુણતા એ છે કે આપણે વૃદ્ધ ઘણા વહેલા થઈ જઈએ છીએ અને ડહાપણ ઘણું મોડું આવે છે.’ ‘જ્યારે તમે પરિવર્તનનો અંત આણો છો ત્યારે પોતે પણ અંત પામો છો.’ ‘હું મૃત્યુને ઊંઘ જેવું ગણું છું. સવાર પડે એટલે સ્ફૂર્તિ સાથે ઊભા થવાનું.’

એક મિત્રની અંતિમક્રિયા સમયે એમણે કહ્યું હતું, ‘આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ  કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.’

એમણે પોતાના જીવન અંગે પણ અમુક નિયમો નક્કી કર્યા હતા અને એ જ નિયમોની સીમાઓમાં રહી જીવ્યા હતા. આ નિયમો એટલે સ્વચ્છતા, શ્રમ, વ્યવસ્થા, કરકસર, સંકલ્પ, શાંતિ, અંકુશ, વિનમ્રતા, સંયમ, નિષ્ઠા, મિતભાષીપણું, ચારિત્ર્ય અને ન્યાય.

જીવનમાં એમને સફળતાઓ સાથે નિષ્ફળતાઓ પણ મળી જ હતી. તેઓ સફળતાથી ફુલાયા નહીં અમે નિષ્ફળતાથી હાર્યા નહીં. એમનાં થોડાં વચનો સાથે જ વિરમીએ : ‘તમારા શત્રુને ચાહો, કેમ કે એણે જ તમને તમારી ક્ષતિઓ બતાવી’, ‘પોતાની જાત સાથે જેને દોસ્તી હોય, તેનો કોઈ શત્રુ હોતો નથી.’, ‘આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો’, ‘આપણી બારીઓ કાચની હોય ત્યારે બીજાના ઘર પર પથ્થર ન ફેંકાય’, ‘તમે જે બનવા ધારો, બની જ શકો’, ‘વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ’, ‘સ્વતંત્રતા કોઈને આપી શકાતી નથી. એ એક અધિકાર છે, ઈશ્વર અને પ્રકૃતિના કાયદાએ આપેલો અધિકાર.’

અને ‘જે સમાજ થોડી સલામતી મેળવવા થોડી સ્વતંત્રતા જતી કરે તેને છેવટે સ્વતંત્રતા કે સલામતી બેમાંથી એકે મળતી નથી.’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 જાન્યુઆરી 2022

Loading

...102030...1,5981,5991,6001,601...1,6101,6201,630...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved