Opinion Magazine
Number of visits: 9570275
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલા પૂજારી : પુરુષ વર્ચસના ગઢમાં ગાબડું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 February 2022

મંદિરોમાં મહિલાઓનો પ્રવેશ બાધિત અને સીમિત છે, એટલે તેમના માટે મંદિરના પૂજારી બનવું તો સાવ અશક્ય છે. એ સ્થિતિમાં તમિલનાડુ સરકારે તાજેતરમાં સરકારી નિયંત્રણ હેઠળનાં કેટલાંક મંદિરોમાં મહિલાઓ અને બિનબ્રાહ્મણ પુરુષોની પૂજારી તરીકે નિયુક્તિ કરતાં પુરુષ અને જાતિ વર્ચસના ગઢમાં ગાબડું પડ્યાનું અનુભવાય છે. મંદિરોમાં પૂજા અને લગ્ન કે અન્ય ધાર્મિક પૂજાપાઠ કરાવવાનો અધિકાર લિંગ કે જાતિના ભેદથી પર રાખવાની ચર્ચા પણ ઊઠી છે.

વર્ષ ૨૦૦૪માં તમિલનાડુના મદુરાઈ નજીકના નકલુથેવનપટ્ટી ગામના દુર્ગા મંદિરના બ્રાહ્મણ પૂજારી પન્ના થેવર બીમાર પડ્યા. બીમારી દરમિયાન તેમના એક માત્ર સંતાન એવાં યુવાન પુત્રી પિન્નિપાક્લની મદદથી પૂજા વિધિ ચાલતી રહી, પણ ૨૦૦૬માં તેમનું અવસાન થતાં જ્યારે તેમના પુત્રીએ સ્વતંત્ર રીતે પૂજાવિધિ કરવા માંડી તો ગામ લોકોએ મંદિરના પૂજારી મહિલા ન હોઈ શકે તેમ કહીને વિરોધ કર્યો. તેમના પુત્રીની દલીલ હતી કે તેઓ વંશપરંપરા મુજબ પૂજારી બનવાનો અધિકાર ધરાવે છે, પરંતુ ગામ લોકોને કોઈ કાળે મહિલા પૂજારી સ્વીકાર્ય નહોતા. એક સદી જૂના આ મંદિરના દેવી દુર્ગાની મૂર્તિને પુરુષ પૂજારી નવડાવે, ધોવડાવે, વસ્ત્રો-આભૂષણ પહેરાવે કે શ્રુંગાર કરે તેમાં કોઈને વાંધો નહોતો. પણ કોઈ બ્રાહ્મણ મહિલા પૂજારણ બની આ કામ કરે તે ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધનું લાગતું હતું.

થોડા મહિના પહેલાં ગુજરાતના ડાકોરના રણછોડરાયના મંદિરમાં વંશ પરંપરાગત વારાદારીનો દાવો કરી બે મહિલાઓએ પૂજાનો હક માંગ્યો હતો. મંદિરના સેવક એવા તેમના પિતાના એક માત્ર સંતાન તરીકે આ મહિલાઓ મંદિરમાં પૂજારણ બનવા માંગતાં હતાં. પરંતુ તેમને રણછોડરાય મંદિરના બારસો વરસના ઇતિહાસમાં કોઈ મહિલાને પૂજારી તરીકેની સેવાની પરવાનગી મળી ન હોવાનું જણાવાયું હતું. જો કે કચ્છના માતાના મઢના આશાપુરા મંદિરમાં હજુ ગયા વરસે જ હવાનાષ્ટમીએ પતરી વિધિ કચ્છ રાજવંશનાં મહારાણીએ કરી હતી. કચ્છના મહારાજા પરંપરાથી આ વિધિ કરતા હતા, પણ ગયા વરસે તેમનું અવસાન થયું હતું. તેઓ નિઃસંતાન હોઈ મંદિરના સાડાત્રણસો વરસના ઇતિહાસમાં પ્રથમવાર તેમના પત્નીના હસ્તે વિધિ સંપન્ન થઈ હતી.

આજે મહિલાઓએ જીવનનાં લગભગ સર્વ ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ કેરળના સબરીમાલા સહિતનાં ઘણાં મંદિરોમાં તેમને પ્રવેશ મળતો નથી. તે માટે જાતભાતનાં કારણો આગળ ધરાય છે. સ્ત્રીઓ મહિનાના અમુક દિવસ માસિકની પીડા વેઠે છે પણ તેમના આ દિવસોને અપવિત્ર માની તેમનો મંદિર પ્રવેશ રોકવામાં આવે છે. કોઈ મંદિરમાં બ્રહ્મચારી દેવ વિરાજમાન હોવાનું જણાવી મહિલાને અટકાવવામાં આવે છે. ૨૦૧૬માં નાસિકના ત્રયમ્બકેશ્વર મંદિરમાં મહિલા પ્રવેશનું આંદોલન થયું તો ગર્ભગૃહમાં સ્ત્રી-પુરુષ બેઉનો પ્રવેશ બંધ કરી દેવાયો હતો.

માત્ર સામાન્ય વ્યક્તિને જ નહીં અગ્રણી રાજનેતાઓને પણ મંદિરમાં પ્રવેશ ન મળ્યાનું બન્યું છે. વડાપ્રધાન હોવા છતાં ઇન્દિરા ગાંધીને ક્યારેક મહિલા તરીકે તો ક્યારેક પારસી પુરુષ સાથે લગ્ન કર્યાનાં કારણે મંદિરમાં પ્રવેશતાં રોકાયાં હતાં. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દલિત હોવાથી પુરીના જગન્નાથ મંદિરમાં તેમની સાથે અપવર્તન થયું હતું. સાઠ ટકા કરતાં વધુ દલિત વસ્તીના ઉત્તર પ્રદેશના હમીર જિલ્લાના ગામ મુસ્કરાખુદેના એક મંદિરમાં બી.જે.પી.ના દલિત મહિલા ધારાસભ્ય મનીષા અનુરાગીને હજુ હમણાં જ પ્રવેશ મળ્યો નહોતો. લોકસભાના પૂર્વ સ્પીકર મીરાં કુમારે બંધારણ દિનની ઉજવણીના સમારોહમાં કહ્યું હતું કે, “હું જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું, પૂજારીઓએ હંમેશાં મારું ગોત્ર પૂછ્યું છે.” આ અનુભવ પરથી મીરાં કુમાર કહે છે, “દેશમાં બે પ્રકારના હિંદુઓ છે, એક બેરોકટોક મંદિરમાં જઈ શકે છે, અને બીજા મારા જેવા છે જે જઈ શકતા નથી.”

ડો. બાબાસાહેબ આંબેડકરે ‘એનીહિલેશન ઑફ કાસ્ટ’ ગ્રંથમાં પુરોહિતનું પદ વંશાનુગત રાખવાને બદલે યોગ્યતાના આધારે રાખવા પર ભાર મૂક્યો હતો. ૨૦૦૮માં મદ્રાસ હાઈકોર્ટના જજ કે. ચન્દ્રુએ એક ચુકાદામાં “ઈશ્વરની પૂજા લૈંગિક પૂર્વગ્રહોથી મુક્ત હોવી જોઈએ” તેમ જણાવ્યું હતું. આ દિશામાં ઘણા સરકારી-બિનસરકારી પ્રયાસો દેશમાં થઈ રહ્યા છે. ૨૦૦૭માં તમિલનાડુમાં એમ. કરુણાનિધિ સરકારે એક મહિલાને પૂજારી બનાવ્યાં હતાં. તેથી પણ આગળ વધીને ૨૦૧૩માં કર્ણાટકના મેંગલોરના કુદ્રોલી મંદિરમાં ચાર વિધવા મહિલાઓને પૂજારી બનાવવામાં આવ્યાં હતાં. તમિલનાડુની હાલની ડી.એમ.કે. સરકારે જાતિ કે વંશને બદલે યોગ્યતાના આધારે પૂજારી બનાવવાનું નક્કી કર્યું છે. પૂજાપાઠ અને ધર્મકર્મ સંબંધી અનુષ્ઠાન સંહિતા ‘આગમ શાસ્ત્ર’ ભણાવવાના તાલીમ વર્ગો ખુદ સરકારે શરૂ કર્યા છે.

કોલકાતામાં ૨૦૦૯માં લગ્ન અને ધાર્મિક ક્રિયાકાંડ માટે મહિલા પંડિતો તૈયાર કરવા ‘શુભમસ્તુ’ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. આ મહિલા પંડિતોની માંગ હવે વધી રહી છે. આ વરસે કોલકાતાની સાર્વજનિક દુર્ગા પૂજા આ મહિલા પંડિતોએ કરાવી હતી. મહારાષ્ટ્રમાં અહમદનગર અને પૂણેમાં મહિલા પંડિતો તૈયાર કરાઈ રહ્યાં છે. ૧૯૯૦માં મુંબઈમાં બ્યાસી વરસનાં અંજલિ કાળેએ ‘રુદ્રાલી પુરોહિત મંડળ’ની સ્થાપના કરી હતી. તેમના દ્વારા અઢીસો કરતાં વધુ મહિલા પંડિતો તૈયાર થયાં છે. પુરુષોને મુકાબલે આ મહિલાઓ પાસે લગ્નની વિધિ કરાવનારા યુવાનો વધી રહ્યાં છે.

દક્ષિણ ભારતના એક બે રાજ્યોના સરકારી તાબા હેઠળનાં મંદિરોમાં મહિલા કે બિનબ્રાહ્મણ પૂજારીઓની નિયુક્તિ મહિલા કે દલિત મુક્તિની દિશામાં એક સાવ જ નાનકડું કદમ છે. મહિલાઓ અને દલિતો માટે ધર્મ સંસ્થાઓના દ્વાર હજુ ભીડાયેલાં જ છે; કેમ કે તે સત્તા અને સંપત્તિ પરનું નિયંત્રણ જવા દેવા માંગતા નથી, અને તે માટે કાયમ ધર્મશાસ્ત્રોનો ડારો દે છે.

દેશના લોકશાહી બંધારણ મુજબ ધર્મસ્થળો સહિતનાં સર્વ જાહેર સ્થળોએ નાગરિક માત્રની સમાનતાનો અધિકાર પળાવો જોઈએ. તે રીતે મહિલાઓ અને દલિતોની મંદિર પ્રવેશ અને પૂજા-અર્ચનાની માંગણી વાજબી છે. પરંતુ એક માત્ર તેનાથી જ તેમનો ઉગારો થવાનો નથી. આધુનિકતા અને લોકતંત્ર જ તેમના વાસ્તવિક ઉદ્ધારકો છે. તે વાત જરાયે વિસારે પાડ્યા વિના તેમણે આ લડત અને બિનસરકારી પ્રયાસો જારી રાખવાના છે. ભલે સરકારની સત્તાના ડરે જે આજે તમિલનાડુ અને બીજે શક્ય બન્યું છે તે કાલે શેષ ભારતમાં પણ શક્ય બની શકે છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 14

Loading

મારાં પડોશીઓ

રેખા સિંધલ|Diaspora - Features|17 February 2022

બર્ફીલાં વાવાઝોડાંને કારણે ઘરની બહાર નીકળી શકાય તેમ ન હતું. હવામાનમાં અણધાર્યા પલટાને કારણે બે દિવસથી અમે ઘરમાં પૂરાયા હતા અને બીજા બે દિવસ સુધી નીકળી શકાય તેમ લાગતું ન હતું. ઈલેક્ટ્રીક પાવર ચાલુ હોવાથી ઘરની અંદરની દુનિયા યથાવત હતી. ફક્ત દૂધ ખલાસ થઈ ગયું હતું. રસ્તા પર ગાડી ચલાવવાનું જોખમ લેવા કરતાં દૂધ અને ચા વગર ચલાવી લેવું ઠીક લાગ્યું.

બીજી સવારે લગભગ નવ વાગ્યે પડોશમાં રહેતી સમેંથાનો ટેક્ષ્ટ મેસેજ આવ્યો કે તારા ઘરના દરવાજા પાસે દૂધનું ગેલેન મૂક્યું છે તે અંદર લઈ લેજે. અમે આ ઘરમાં રહેવા આવ્યાને હજુ અગિયાર મહિના થયા હતા, અને સમેંથાની ઓળખાણ તો ફક્ત છ મહિનાની જ હતી. વાવાઝોડાંને કારણે એણે અમારી ખબર પૂછવા ફોન કર્યો, ત્યારે મેં અમસ્તુ જ જણાવ્યું હતું કે દૂધ ન હોવાથી ચા બની શકી નથી. દર શુક્રવારે સવારે રોડસાઈડ પર મૂકેલા ગારબેજ કેન અને રીસાઈકલ ભંગારના ખાલી કેન ગરાજમાં પાછા મૂકવામાં અમે થોડા મોડા પડીએ તો સમેંથાના પતિ જોનાથને અમારા ગરાજ પાસે મૂકી જ દીધા હોય. આ અને આવા બીજા પ્રસંગોમાં સીનિયર સિટીજનને મદદ કરવાની ભાવના મુખ્ય જણાય. શ્રીમંત છતાં નમ્ર એવા આ પડોશીની વર્તણૂકથી એક વિશ્વાસ બંધાયો છે જે અમને હૂંફ પૂરી પાડે છે. અમારા ઘરની જમણી તરફ રહેતાં જેરેમી અને ક્રિસ્ટીની વાત પણ નિરાળી છે. ૨૫ વર્ષના સુખી દાંપત્યનું ફળ આ દંપતીનાં સંસ્કારી બાળકોમાં જોવા મળે. તેના પૂર્વજોના મૂળ ઇંગ્લેંડમાં. જેરેમીના મુખ પર હંમેશાં પ્રસન્નતા છલકાતી હોય. એકવાર મારે ત્યાં કેબલ રીપેર કરનાર સમય કરતાં વહેલો આવી ગયો. બારણુ ખૂલ્લું હતું પણ મને ઉપરના માળેથી નીચે આવતા વાર થઈ. નીચે આવીને મેં જોયું તો જેરેમી પણ તેની સાથે ઊભો હતો. કહેવા લાગ્યો, ‘બારણું ખૂલ્લુ હતું છતાં જવાબ ન મળવાથી અમને તારી ચિંતા થઈ.’ એક વાર થોડા મહિના મારે એકલા રહેવાનું થયું તે જાણી મને કહે, ‘તને વાંધો ન હોય તો તારી દીકરીના ફોન નંબર મને આપી રાખ, ક્યારેક જરૂર પડ્યે કામ લાગે.’ એની આટલી અમથી નાની વાત મને આ નવી જગ્યાએ હું એકલી નથી એવી મોટી હૂંફ આપી ગઈ. મિશનરી માતા-પિતા સાથે જેરેમીએ બાળપણનાં કેટલાંક વર્ષો ચીનમાં ગાળ્યા હતા. વિવિધ દેશોની વિવિધ સંસ્કૃતિ એ અમારા બંનેનો રસનો વિષય એટલે ફળીમાં ઊભા ઊભા વાતોમાં ક્યારેક કલાક નીકળી જાય.

અમેરિકન કલ્ચરની આવી જ એક વાતના સંદર્ભમાં મને જાણવા મળ્યું કે અમેરિકાના એક ભૂતપૂર્વ પ્રમુખની પુત્રી હા ઈસ્કૂલના વર્ષો દરમ્યાન જેરેમીની સહાધ્યાયી હતી. તેણે જોયું કે પ્રધાન પુત્રી હોવાને કારણે તેને વિશેષ મહત્ત્વ ન અપાય જાય એવી ચીવટ રાખવામાં આવતી હતી, કારણ કે પ્રગતિમાં બાધક એવા આ પરિબળની અસર પોતાના સંતાન પર થાય તેવું પ્રમુખ પોતે પણ ન ઈચ્છે. જેરેમી અહીંની સ્ટેટ યુનિવર્સિટીમાં ધર્મનું શિક્ષણ આપવાની સાથે સાથે નજીકના એક ચર્ચમાં નિયમિત માનદ્દ સેવાઓ પણ આપે છે. તેની પત્ની ક્રિસ્ટી પણ સ્વભાવે મળતાવડી! એની વાતોમાં મુખ્યત્વે ગૃહિણીના વિષયો હોય. એક વાર તેના ઘરના ઓવનમાંથી છૂટેલી પાઈની સુંગધનાં વખાણ મારા મોઢે સાંભળીને તરત અમારા માટે તાજી બનેલી પાઈના બે મોટા પીસ આપી ગઈ. દાઢમાં રહી જાય એવી સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી પાઈ મેં પહેલીવાર ચાખી, એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય. હાઈ સ્કૂલમાં ભણતા તેમના પુત્રો જેસ અને રાયનને સ્વાવલંબી થવાના પ્રથમ પાઠની શરૂઆત પડોશીઓના યાર્ડમાં ઘાસ કાપવાથી કરી, જેમાં મારા ઘરનો પણ સમાવેશ થાય છે. દીકરાએ ઘાસ બરાબર કાપ્યું કે નહીં તે ચેક કરવા જેરેમી કાયમ છેલ્લે આંટો મારી જાય. એકવાર એક ઝાડ ફરતે થોડું રહી ગયેલું. જેરેમીએ ત્યાં ઊભા રહી જેસને બૂમ પાડી, તે સાંભળી મેં કહ્યુ કે વાંઘો નહી જવા દે, ચાલશે તો કહે, ‘ના, આ ન ચલાવી લેવાય કામની ગુણવત્તા જાળવવાની તેને આ તાલિમ છે.’  જેસ સ્કોલર હોવા છતાં પણ કારકિર્દી વિશેના તેના વિચારોમાં સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય, તે મુખ્ય અને સાથે પૈસા કઈ રીતે બને તે બીજા ક્રમે હતું. નાની મોટી સામાજિક મૂંઝવણમાંથી માર્ગ કાઢવામાં જેરેમીનો પ્રામાણિક અભિપ્રાય અમને કેટલીકવાર ઉપયોગી થતો. તેની પાસેથી અમને અહીંની આસપાસની દુનિયાની જરૂરી માહિતી અને એલર્ટ મળી રહેતાં.

અમારી સામેના ઘરમાં રહેતો પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતો આરબ યુવાન સૈફ આઈ.ટી. પ્રોફેશનલ છે. તેની નવ વર્ષની પુત્રી લીલિયન થોડા વખતથી મારી પાસે નિયમિત ગણિત શીખવા આવે છે. એક દિવસ સૈફે મને પૂછ્યું કે, ‘તું શિક્ષક છે તો મારી પત્નીને ઇંગ્લિશ શીખવીશ?’ મેં કહ્યું, ‘મને અરેબિક નથી આવડતું, અને તારી વાઈફને ઇંગ્લિશ તો કઈ ભાષામાં શીખવું?’ થોડી દલીલોને અંતે એણે મને વિચાર કરવા મજબૂર કરી દીધી. મેં વિચાર કરવાનો સમય માંગ્યો તો કહે, ‘મને ખાતરી છે કે તું એને શીખવી શકીશ.’ એણે મૂકેલા વિશ્વાસે મને જીતી લીધી. આ માટે ચર્ચમાં પણ વર્ગો ચાલે છે, તેની તેને ખબર હતી પણ તેમાં રોજ લેવા-મૂકવાનો પ્રશ્ન હતો. તેની પત્નીને કાર ચલાવતા શીખવાનું હજુ બાકી હતું. એક નવો પ્રયોગ આ વિશ્વાસને આધારે શરૂ થયો. તેની સ્વરૂપવાન પત્ની આ કારણે અઠવાડિયામાં બે વાર મારે ત્યાં આવે ત્યારે અમારી વચ્ચે ભાષાની મુશ્કેલીને કારણે સર્જાતી કોમેડી થકી, ખડખડાટ હાસ્યના અજવાળા પાથરતી જાય. એકબીજાંની ભાષા સમજવામાં ગુગલ મહારાજ અમને સહાય કરતા રહે.

આ નવા ઘરમાં ગૃહપ્રવેશ વખતે જે પડોશીએ અમને સૌ પહેલા આવકાર્યા હતાં, તે અમેરિકન દંપતી મેથ્યૂ અને કૈલા મોટા ભાગે તેનાં ત્રણ બાળકો, ઘર અને નોકરી વચ્ચે દોડાદોડી કરતાં જોવા મળે. ફૂરસદના અભાવે કે સ્વભાવને કારણે તેઓ બહુ કોઈ સાથે ભળતા નહીં, પણ સ્મિતની આપ-લે હંમેશની.

ઈજીપ્તથી માઈગ્રેટ થયેલ પડોશી નાદિયાની દીકરી મિલી મારા ત્રણ વર્ષના પૌત્ર જેવડી. અમને આંગણામાં જુવે એટલે તરત રમવા માટે દોડતી આવે. નાદિયાનું ઇંગ્લિશ ભાગ્યું-તૂટ્યું પણ કામ ચાલી જાય. હમણાં વેકેશનમાં બે મહિના ઈજીપ્ત જઈ આવ્યા પછી, ત્યાંના પડોશીઓના પ્રેમને યાદ કરી અહીંના પડોશીઓ સાથે વધારે સંબંધ કેળવવાનો પ્રયત્ન કરતી હોય તેમ તેની વાતો પરથી જણાય. નાદિયા ચાર સંતાનોની માતા છે, અને દર રવિવારે સવારે નિયમિત તેના પતિ અને બાળકો સાથે ચર્ચમાં જતી જોવા મળે.

અમારા ઘરની એક માઈલના વિસ્તારમાં ચાર ગુજરાતી કુંટુંબો પણ રહે છે. સવાર-સાંજ ચાલવા નીકળીએ, ત્યારે કોઈ ક્યારેક આંગણામાં દેખાય તો એમની સાથે ઘડીક દેશનાં સંસ્મરણો વાગોડી લઈએ. સ્મિત આપવામાં આપણે ગુજરાતીઓ થોડા કંજૂસ, એટલે પરિચય સુધી પહોંચતાં વર્ષ નીકળી ગયું. એમાંના એક બળદેવભાઈ ઘણા પ્રેમાળ. તેમના કહેવા પ્રમાણે યુવાનીમાં તેમણે વડા પ્રધાન નરેંદ્ર મોદી સાથે એક ઓફીસમાં કેટલોક સમય સાથે કામ કરેલ. મોદી કચરો વાળે અને પોતે પોતું કરે તે દિવસોની વાતો કરે. મોદીના દિવસો ત્યારે ગરીબીના હતા અને ખાલી દાળભાત ખાઈને દિવસ કાઢતા, તે તેમણે નજરે જોયું છે, તેવી બીજી પણ કેટલીક વાતો આદરપૂર્વક કરે. દેશ પ્રત્યેનો એમનો પ્રેમ એમની વાતોમાં છલકે અને દેશસેવાની ઈચ્છા સેવતા હોય તેમ લાગે. અહીં જવાબદારી ઓછી થાય તો વર્ષના છ મહિના ગુર્જરીને ખોળે જઈને રહેવાની ઈચ્છા મમળાવે! બીજા એક ગુજરાતી પરિવારની નાનકડી બે પુત્રીઓ નાવ્યા અને દ્રશ્યાને મારામાં એના દાદીમા દેખાય એટલે એમનું વ્હાલ મને શીતળ પવનની સુરખી જેવું ક્યારેક ક્યારેક મળ્યા કરે! એના ડેડી-મમ્મી જોબ અને સ્ટડીમાં ખૂબ વ્યસ્ત તેથી વાતો ઓછી કરે પણ ગુજરાતી સમભાવની હૂંફ આપે તેવાં.

આમ ઘરબહાર લટાર મારવા નીકળીએ ત્યારે શેરી અને પડોશ થકી આ પ્રદેશ પોતાનો લાગે.

અમેરિકા આવ્યા બાદ લગભગ એક દાયકો અમે ભાડાના ઘરમાં રહેતા હતાં અને તે સમયે પડોશમાં કોણ રહે છે તે જાણવાની વૃતિ અને ફૂરસદ બંનેનો અભાવ હતો. એટલે ગુડમોર્નીંગ, ગુડઈવનીંગથી આગળ વાત ભાગ્યે જ થતી. અલગ અલગ દેશના અલગ અલગ લોકોના પહેરવેશ અને ચહેરાના નાક નકશાથી પરદેશની અને એટલે પારકી ધરતી પર છીએ તે અહેસાસ શરૂઆતમાં કાયમ રહેતો, એમાં કેટલાંક ભારતીય પણ ખરા. સૌ melting potમાં છીએ તેમ લાગે. એક દાયકા પછી મેસેચ્યૂસેટસ રાજ્ય છોડી ટેનેસી આવીને સ્થિર થયાં પછી ૨૧ વર્ષમાં ત્રણ ઘર બદલ્યા. ઘર-પડોશની વાત કરીએ ત્યારે પહેલા ઘરને ૧૦૫ (ઘરનો નંબર) કહીએ. બીજાને ૫૦૨૨ અને હાલના ઘરને ૪૧૬નું લેબલ આપોઆપ લાગી જાય.

૧૦૫ની પડોશમાં કેથી અને રેમંડ રહેવા આવ્યાં ત્યારથી અમેરિકન સંસ્કૃતિ વિશેનો ભ્રમ તૂટવાની શરૂઆત થઈ. મેં ત્યાં નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો ત્યારે પ્રીમા નામની દક્ષિણ કોરિયાની પડોશણે ચોકલેટના બોકસ સાથે પડોશી તરીકે મીઠો આવકાર આપેલ, તે રીતે આ મૂર (અટક) દંપતીને મેં પણ ચોકલેટી મફીન સાથે આવકાંર્યા. અમારા બંનેના ઘરની પાછળના ભાગમાં ઘાસનું મોટું મેદાન હતું, ત્યાં ખુરશીઓ નાંખી અમે અવારનવાર સાથે બેસી વાતો કરતાં. શરૂઆતમાં દેશ દુનિયાની અને હવામાનની વાતો થતી પણ જેમ જેમ મિત્રતા વધતી ગઈ તેમ તેમ ઘર, શાળા અને બાળકોની વાતો પણ થવા લાગી. આ કારણે અમેરિકન સમાજ જ નહીં પણ કેળવણી વિશે અને વ્યવસાય વિશે પણ હું અલગ દૃષ્ટિકોણથી વિચારતી થઈ. બાળકોને આપત્તિઓથી દૂર રાખવા કરતાં આપત્તિઓમાંથી કેમ માર્ગ કાઢવો, તે શીખવતી પશ્ચિમી સંસ્કૃતિ આપણા કરતાં એમના બાળકોને આથી જ કદાચ વધુ છૂટ આપી શકે છે. પાણીના પ્રવાહમાં બાળક ભૂલથી તણાઈને ડૂબી ન જાય તે માટે પૂર્વની સંસ્કૃતિ તેને પાણીથી દૂર રાખવાનો વિચાર પહેલાં કરે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરતા શીખવવાનો વિચાર પહેલાં કરે.

એકવાર વાતો વાતોમાં મેં એને કહ્યુ કે ‘મારી દીકરીને યુનિવર્સિટી કેંપસ પર રેસીડેંસ આસિસ્ટંટની જોબ મળે તેમ છે. અભ્યાસમાં બરાબર ધ્યાન નહીં અપાય તેની ચિંતાથી શું કરવું તેનો હું નિર્ણય નથી લઈ શકતી.’ ચિંતાની આ વાત જ નથી તે તેણે મને બહુ ટૂંકમાં સમજાવી દીધુ. એ કહે, ‘ પહેલી વાત તો એ છે કે તું ચિંતા કરે છે એવી શક્યતા ઈંટરવ્યુ દરમ્યાન લાગશે તો યુનિવર્સિટી તેને જોબ ઓફર જ નહીં કરે, અને બીજી વાત, એ કે ભવિષ્યમાં તેણે ફૂલટાઈમ નોકરી સાથે પરિવારની ફૂલટાઈમ સંભાળ લેવાની જ છે તો ભલેને એને અત્યારથી ટ્રેનીંગ મળે. અને સૌથી મુખ્ય વાત તો એ છે કે આ નિર્ણય તારી દીકરીએ લેવાનો છે, તારે નહીં. ક્યાં સુધી તારા નિર્ણય તું એની પર લાદીશ? મારી દીકરીએ એ વાતનું સમર્થન કર્યું હતું કે સિલેક્શનની પ્રોસેસ ઘણી અઘરી છે. જો રેમંડે મારી સાથે વાત ન કરી હોત, તો દીકરી માટે ગૌરવ લેવાને બદલે કદાચ જોબ કરવાની ‘હા-ના’નો વિવાદ અમારી મા-દીકરી વચ્ચે સર્જાઈ જાત. એકાદ વર્ષ બાદ મેં ઘરે ગણિતના વર્ગો શરૂ કર્યા, ત્યારે તેની દીકરી મેડલીન મારી સૌ પ્રથમ વિદ્યાર્થિની હતી. કર્ણોપકર્ણ જાહેરાતની શરૂઆત આ પડોશીથી થઈ હતી.

અમારી બદલી બીજા શહેરમાં થઈ ત્યારે ત્યાંના પડોશીઓમાંની એક આલ્બર્ટ આઈનસ્ટાઈનના ભાઈની પૌત્રી છે, તે ખબર મને એની ઓળખાણ થયા પછી એક વર્ષે પડી હતી. એ પણ બીજા પડોશી પાસેથી. Ms. Dana Pitts એનું નામ. વિશ્વભરમાં પ્રખ્યાત એવા વૈજ્ઞાનિક સાથે લોહીનો સંબંધ છતાં ગૌરવ પ્રદર્શીત કરવાની પણ ટેવ નહીં. સરળ સ્વભાવની ડાના અને હું બંને HOA(HomeOwner Association)ની કમિટીનાં સભ્યો હોવાથી મળવાનું થયા કરે. શિસ્તનો જે દૃઢ આગ્રહ પૂર્વીય સંસ્કૃતિ પ્રમાણે મારા માબાપ રાખતાં હતાં તેવી જ દૃઢતા અને સિદ્ધાન્તો વચ્ચે તે પણ ઊછરી હતી. એકબીજાંના પિતાની વાતો સાંભળીને અમને બંનેને નવાઈ લાગી હતી, એટલી સમાનતા પાયાનાં મૂલ્યોમાં જોવા મળી હતી. જેટલો રસ અહીંના લોકોને પૂર્વીય સંસ્કૃતિ વિશે જાણવામાં છે તેટલો કદાચ આપણને પશ્ચિમી સંસ્કૃતિ વિષે જાણવામાં નથી. આપણી કુંટુંબ ભાવનાની અને સંસ્કૃતિની પશ્ચિમના દેશોમાં કદર થાય છે, પણ આપણે જાણે-અજાણે માટે ભાગે પશ્ચિમી સંસ્કૃતિની ટીકા અથવા તો અવગણના કરતા રહીએ છીએ. બે સંસ્કૃતિઓ ભિન્ન હોય એનો અર્થ એવો નથી કે એક ખરાબ અને બીજી સારી છે.

બીજા એક પડોશી જિમ મરફીએ ક્રિશ્ચિયન ધર્મના ફેલાવા માટે ઇંડિયા સહિત દેશ-વિદેશમાં ફરીને ઘણા વ્યાખ્યાન આપ્યા છે, અને કેટલાં ય લોકોએ એ સાંભળી ધર્મપરિવર્તન કર્યુ છે. એના કહેવા પ્રમાણે કારણ એ છે કે એમાં એના અનુભવની સચ્ચાઈનો રણકો છે. એના જીવનપરિવર્તનની વાત એકવાર અમે પિકનીક દરમ્યાન સાથે લંચ લેતા હતા ત્યારે એણે કરી. સોબતની અસરથી કિશોરાવસ્થામાં તે દારૂ, ડ્રગ અને છોકરીઓમાં ફસાઈ ગયેલ. ધાર્મિક પ્રકૃતિના એના ડેડીની બધી સમજાવટ નિષ્ફળ ગઈ તેથી તેઓ નારાજ હતા. દિવસે દિવસે વણસતી જતી પરિસ્થિતિ પર કાબૂ લેવાની નિષ્ફળતાએ જિમને આત્મહત્યા કરવા પ્રેર્યો. એક સાંજે ડેડીની પિસ્તોલને તેણે લમણા પર મૂકી ટ્રીગર દબાવી. અવાજ સાંભળી તેના ડેડી દોડી આવ્યા. પિસ્તોલમાંથી થોડા કલાકો પહેલાં જ એમણે ગોળીઓ કાઢી લીધી હતી તેથી જિમ બચી ગયો. ડેડીને જોઈ જિમ ધૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો. તે દિવસે તેના પિતાની સમજાવટ પછી તેને ખાતરી થઈ કે જીસસ તેને બચાવવા માંગે છે. લોર્ડ જીસસના દર્શન તેને એ રાતે થયા. પ્રકાશથી તેની આંખો અંજાઈ ગઈ તેમ તેનું કહેવું હતું. આ ચમત્કાર પછી તેનું હ્રદય પરિવર્તન થયું. એના ડેડીએ તો માફી આપી જ પણ જિમે કરેલા દુષ્કૃત્યોના પાપનો ભાર પણ જીસસને નામે એના મનમાંથી દૂર કરી નવજીવનની શરૂઆત કરાવવામાં સફળ રહ્યા. એ પછી એ કાયમ માટે ભક્તિ તરફ વળી ગયો. કદાચ દારૂના નશા હેઠળ જીસસના દર્શન તેનો ભ્રમ હોય તો પણ તેનું જીવનપરિવર્તન તો સત્ય ઘટના જ હતી. તેની પત્ની ગ્લેંડાએ હાસ્ય સાથે એની વાતમાં સૂર પૂરાવ્યો હતો કે, ‘છેલ્લાં પચાસ વર્ષથી તો જિમે દારૂને હાથ અડાડ્યો નથી એની હું સાક્ષી છું.’ લોર્ડ જીસસના કેટલાક વચનો અને ગીતામાં કહેલા ભગવાન કૃષ્ણના વચનો વચ્ચે કેટલું સામ્ય છે તે જિમ સાથે વાત કરીએ ત્યારે જાણી અંચબો જાગે. જિમનો પરિવાર બહોળો છે પણ અહીંની પ્રથા પ્રમાણે તે અલગ રહે છે. અમારા પરિચય પછી ત્રણ વર્ષે તેની હાર્ટસર્જેરી થઈ ત્યારે આસપાસનાં પડોશીઓ અને ચર્ચે મળીને તેને જે ટેકો આપ્યો તે જોઈ આપણને પણ એના માટે ભલે થોડું પણ કંઈક કરી છૂટવાની ભાવના જાગે.

અમારા ઘરની પાછળના ભાગમાં રહેતાં કેથી અને વોલ્ટર બંને સ્વભાવે ખૂબ નિખાલસ અને પ્રમાણિક. અમે રહેવા ગયાં પછી ટૂંક સમયમાં કેથી સાથે મારી મૈત્રી વિકસી હતી. મારી દીકરીના લગ્ન માટે હું ગુજરાત આવવાની તૈયારી કરતી હતી, ત્યારે કેથીએ મારી દીકરીના જન્મથી માંડીને લગ્ન સુધીના ફોટામાંથી વર્ષોના ક્રમ પ્રમાણે એક સુંદર આલ્બમ તૈયાર કરીને ભેટમાં આપ્યું જેની મને આશા કે અપેક્ષા ન હતી. એક વખત હું ગુજરાતમાં હતી, ત્યારે અમારા ઘર નજીક વાવાઝોડું આવ્યું તે વખતે બધુ સલામત છે તેવી કેથીની ઈમેલ મને વાવાઝોડાંના સમાચાર પહેલાં જ મળી ગઈ. તેને મેં ક્યારે ય મારા ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું ન હોવા છતાં પડોશી ધર્મને અનુસરીને વર્ષો બાદ હજુ ય મને ફોનથી મારા આ ભાડે આપેલ ઘર વિષે વાકેફ કરતી રહે છે.

જાણીતા ગાયક નીતિન મૂકેશની પિત્રાઈ બહેનની દીકરી સુરભી મારી પડોશમાં રહેવા આવી, તેનું એક કારણ એ કે તેનાં બાળકોને હું ગણિત ભણાવતી હતી. જે અરસામાં મેં મારું ઘર ખરીદ્યું તે અરસામાં તેઓ એપાર્ટમેંટમાં રહેતા હતાં અને મકાન શોધતાં હતાં. બાળકોને મારે ત્યાં લેવાં-મૂકવાં આવતી વખતે મારા ઘરની સામેનો ખાલી પ્લોટ જોયો અને તેમને ગમી ગયો. અમે બારીમાંથી વાત કરી શકીએ તે માટે તેણે ઘર બંધાવ્યું ત્યારે રસોડામાં એક વધારે બારી ખાસ નખાવી. તેના પતિ પ્રતીક અને બાળકો રિયા તથા અમૃત પણ અમારી સાથે એટલા ભળી ગયાં કે ‘પહેલાં સગાં પડોશી’ યથાર્થ લાગે. કયારેક એ દંપતી બહારગામ જાય તો બાળકો રાત્રે મારે ત્યાં સૂઈ રહે. આ બાળકોની મીઠી વાતોએ અમને સભર બનાવ્યાં છે. બાજુના બીજા એક નવા બંધાયેલા ઘરમાં મિશેલ તેની મા જ્યૂડી સાથે રહેવા આવી, ત્યારે શિયાળો હતો અને બરફની વર્ષા શરૂ થઈ ચૂકી હતી. ખાસ્સા ચાર મહિના તો બાજુમાં કોણ રહેવાં આવ્યું છે, તે પણ અમને ખબર નહોતી. ક્રિસ્ટમસના તહેવાર દરમ્યાન એમનું કાર્ડ અમારા મેઈલ બોક્ષમાં પોસ્ટ ઓફીસની સ્ટેમ્પ સાથે આવેલ જોઈ નવાઈ લાગી હતી. સાવ અડોઅડ રહેતાં પડોશી નવા વર્ષની શુભેચ્છાઓ માટે કાર્ડ પોસ્ટથી મોકલે, તે વિચાર જ અમારા માટે નવો હતો. જો કે અમેરિકાના ધારા-ધોરણ પ્રમાણે રસ્તા પરના તાળા વગરના કોઈના મેઈલ બોક્ષને ખોલવું એ ગુનો ગણાય, એટલે બીજી ટપાલો સાથે પોસ્ટ કરવાનું એમને ઉચિત લાગ્યું હશે. શિયાળો પૂરો થયા બાદ એમને વારંવાર મળવાનું થવા લાગ્યુ તેથી વધુ નજીક આવ્યાં. ત્યાંથી મૂવ થયા પછી પણ વારે તહેવારે ફોનથી શુભેચ્છાઓની આપ-લે થયા કરે.

‘Good Friends should not discuss politics or religion’ (સારા મિત્રોએ રાજકારણ કે ધર્મની ચર્ચા ટાળવી જોઈએ). ૮૨ વર્ષના આર્થર કે જેનું હુલામણુ નામ ‘આર્ટ’ હતું તેણે જ્યારે ચૂંટણી વિષેની મારી વાતના જવાબમાં આમ કહ્યું ત્યારે હું તેની દીકરી જેવડી હોવા છતાં એમણે મને મિત્ર કહી, તે મને ખૂબ ગમ્યું. નવી જગ્યાએ અમારી બાજુના અપાર્ટમેંટમાં રહેતા મિ. આર્થર સાથેનો પરિચય ટૂંક સમયમાં જ ખૂબ ગાઢ થયો. જેના ઘરના દરવાજો ગમે તે સમયે ખખડાવી શકાય તેવા એરફોર્સના આ રિટાયર્ડ મેજરની પત્ની વિવિયન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરની બહાર નીકળતી, પણ ખૂબ પ્રેમાળ. મારા દોહિત્ર સાથે હું અવારનવાર એમને ત્યાં જતી. અમારી મૈત્રી ગાઢ થયા પછી તેણે લખેલ જે પુસ્તક મને ભેટ આપ્યું, તે વાંચી પ્રમુખ ઓબામાએ ૨૦૧૬માં તેને પત્ર લખી ધન્યવાદ આપ્યા હતા. આ પુસ્તકમાં તેનો કરુણ ભૂતકાળ છે. જેકોબ આર્થરનો જન્મ અને ઊછેર અમેરિકામાં થયો હોવા છતાં, બાર વર્ષની ઉંમરે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેને નાઝી માનીને જર્મનીની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં સાત વર્ષ તેણે યાતનાઓ ભોગવી. જગતના દરેક નાગરિકે જાણવા જેવા આ કિસ્સામાં તેના પિતા જર્મની હોવાથી અમેરિકન સરકારે તેને જર્મની (નાઝી) ગણી હદપાર કર્યો અને અને જર્મની લોકોએ અમેરિકન ગણી તરછોડ્યો હતો. બાળપણના કરુણ અનુભવો છતાં જન્મભૂમિને તેણે દિલથી ચાહી છે. તેને જેલમાંથી છોડાવનાર અમેરિકન દંપતીની સાર-સંભાળને કારણે એક ઉત્તમ નાગરિક બની શકનાર મિસ્ટર આર્થર જેકબની બાલ્કનીમાં અમેરિકન ફ્લેગ ફરફરતો મેં દરરોજ જોયો છે. એમની ઉંમરને માન આપી કેટલી ય વાર મેં એમને ગ્રોસરી, દવા કે સૂપ સેંડવીચ લાવી દેવા માટે મારી મદદ સ્વીકારવા વિનંતિ કરી છે, પણ નમ્રતાપૂર્વક એમણે ઢળતી ઉંમરે પણ જાત મહેનતને જ પ્રાધાન્ય આપ્યું છે. મક્કમતાથી એટલું જ કહે કે, ‘ના હજી તો મારાથી થઈ શકે છે, જરૂર પડશે તો કહીશ’. અમે ફરી ટેનેસી આવ્યાં ત્યાં સુધી આ વૃદ્ધ દંપતીને મારી મદદની કદી જરૂર પડી ન હતી. ચાર સંતાનોના એમના બહોળા પરિવારમાં પૌત્રો-પ્રપૌત્રો સાથે ન રહેતાં હોવા છતાં એમના ચહેરાની લાલી બનીને વિસ્તર્યાં છે. એમના ફોટાઓ બતાવી સૌનો પરિચય કરાવી ખુશ થાય. એક પૌત્રની પત્ની ભારતીય છે તેનું તેમને ગૌરવ છે.       

અમેરિકાની પચરંગી પ્રજાની સ્વીકાર ભાવના પરદેશથી આવેલાઓને સંર્વાગી વિકાસની તક પૂરી પાડે છે. પિયર છોડીને આવેલ દીકરી જે રીતે નવા ઘરને પોતાનું કરી પ્રેમનો વિસ્તાર કરે છે, તે રીતે સ્થાળાંતરવાસીઓની આ દેશ પ્રત્યેની પ્રેમભાવનાનો વિસ્તાર પણ થતો રહેશે, એવો વિશ્વાસ પડોશીઓના સાથેના સ્નેહાળ સબંધો થકી કેળવાય છે.

મરફ્રીસબરો, ટેનેસી, યુ.એસ.એ.

e.mail : rekhasindhal@gmail.com

પ્રગટ : “ગુર્જરી ડાયજેસ્ટ”, જાન્યુઆરી 2022; પૃ. 19 – 23

Loading

ભારતીય માર્ગો પર બુલંદી લાવનાર રાહુલ બજાજ

કિરણ કાપુરે|Opinion - Opinion|17 February 2022

ઉદ્યોગગૃહોની સામાજિક નિસબત અપેક્ષિત છે. આ અપેક્ષા ઉદ્યોગગૃહો ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ના દાયરામાં રહીને કરે છે, કેટલાંક તેનાથી આગળ વધીને પણ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવે છે. પરંતુ બિઝનેસ પર જોખમ આવી પડે તે રીતે સમાજને દર્પણ દાખવનારા ઉદ્યોગ સાહસિકો સ્મૃતિમાં ઝડપથી આવતા નથી. રાહુલ બજાજ એવા અંતિમ ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખાવી શકાય, જેઓએ શાસકોની મર્યાદા દાખવવામાં શબ્દો ચોર્યા નથી. જે અનુભવ્યું તે સરકારોને અનેકવાર ખોંખારીને કહ્યું છે. આમ કરવું ઘાતક સાબિત થઈ શકે છે, પણ રાહુલ બજાજે તેની પરવા ન કરી. છેલ્લે તેઓએ સરકારની આવી ટીકા 2019માં એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. મંચ પર ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સિતારામન ઉપસ્થિત હતાં. તે વખતે મોબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંઘના નાથુરામ ગોડસેના નિવેદન સંદર્ભે રાહુલ બજાજે અમિત શાહને પ્રશ્નો કર્યા હતા. સાથે એમ પણ કહ્યું કે અત્યારે સરકાર સામે પ્રતિક્રિયા આપતાં લોકો ડર અનુભવે છે. આ પ્રશ્નનો ઉત્તર અમિત શાહે ‘બજાજસાહબ …’ તેમ સંબોધીને પ્રેમથી આપ્યો હતો. જો કે પ્રશ્ન-ઉત્તરના આ ઉપક્રમની અસર તે પછીના દિવસોમાં સોશિયલ મીડિયા પર દિવસો સુધી રહી, જેમાં ભા.જ.પ.ના આગેવાન અને કેન્દ્રિય મંત્રીઓએ સુધ્ધા રાહુલ બજાજને નિશાન બનાવ્યા.

આ રીતે બેબાક બોલનારાં રાહુલ બજાજ હવે આપણી વચ્ચે નથી. 83 વર્ષના રાહુલ 12 ફેબ્રુઆરીના રોજ પૂણેમાં અવસાન પામ્યા. તેઓ ગાંધીયુગનો વારસો લઈને જીવ્યા અને તે વારસો પોતાના પરિવારને આપી ગયા. દાદા જમનાલાલ અને પિતા કમલયનય બજાજના વારસાને રાહુલ જાળવીને વિસ્તારી પણ શક્યા. તેમણે 1965માં બજાજ ગ્રૂપની બાગડોર સંભાળી અને બજાજ ઓટોનું ટર્નઓવર સાડા સાત કરોડથી બાર હજાર કરોડ સુધી લઈ ગયા. તેમના આ ટર્નઓવરનો આંકડો જેમ જેમ વધતો ગયો, તેમ તેમ દેશના ઘરે ઘરે બજાજ સ્કૂટર પહોંચ્યું. એક સમયે દેશના માર્ગો પર ટુ-વ્હિલર બજારમાં બજાજનું એકચક્રીય શાસન જોવા મળ્યું. જો કે બજાજ ગ્રૂપે આ ઇજારાને બિઝનેસની જેમ ન જોયું, બલકે તેમણે ‘હમારા બજાજ’વાળું ટેગ આપીને દેશવાસીઓને સપનું આપ્યું. એ સમયે સ્કૂટર વસાવવું સરેરાશ મધ્યમવર્ગીય ભારતીયનું સપનું બન્યું. તેને સાકાર કરવા માટે જ્યારે બજાજનું વિસ્તરણ જરૂરી બન્યું, ત્યારે કેન્દ્રની કૉંગ્રેસ સરકારે અનુમતિ ન આપી. અનુમતિ ન આપવાનું મહત્ત્વનું કારણ રાહુલ બજાજના પિતા કમલનયન બજાજ દ્વારા 1969માં કૉંગ્રેસ વિભાજનની વેળાએ ઇંદિરા ગાંધીની ટીકા હતી. તે પછી ગાંધી-બજાજ પરિવારના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયા. દેશના આ બંને પરિવારો વચ્ચેની આત્મીયતા જાણીતી હતી. એ એટલે સુધી કે જવાહરલાલ નેહરુ કમલનયનના ઘરે દીકરો જન્મ્યો ત્યારે તેમના ઘરે જઈને રાહુલ એમ નામકરણ કર્યું હતું. જવાહરલાલ અને જમનાદાસના જવાથી નેહરુ-બજાજ પરિવારમાં દરાર આવી અને પછી તે ક્યારે ય ન પૂરાઈ.

પરિવારોની દરારનો ભોગ બજાજ ગ્રૂપ બન્યું અને તે કારણે બજાજ સ્કૂટરની નોંધણી પછી તેની ડિલવરી લેવામાં ગ્રાહકોને વર્ષો સુધી રાહ જોવાની આવતી. લાયસન્સ રાજના આ સમયને યાદ કરીને રાહુલ બજાજે અનેક વખત જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો હતો. આ બંદીશ છતાં રાહુલ બજાજ પોતાનો માર્ગ કાઢતા રહ્યા. 1972માં પિતા કમલનયનના નિધન બાદ તેઓ બજાજ ગ્રૂપના ચેરમેન બન્યા. તેમણે સ્કૂટરની લોકપ્રિયતા ટોચે પહોંચાડી. બજાજ સ્કૂટરની માંગ-પુરવઠામાં એટલી અસમતુલા હતી કે ઘણાં વખત સુધી તેની કાળાબજારી થતી. જે નસીબવંતા ગ્રાહકોને ચેતક કે સુપર બજાજ મળી જતું, તેઓ બમણી કિંમતે વેચી નાખવાના દાખલા પણ બન્યા છે. તે પછી ટુ-વ્હીલરમાં નવી કંપનીઓ આવી તેમ છતાં બજાજનો એકાધિકાર કાયમ રહ્યો અને આમ ત્રણ દાયકા સુધી બજાજ સ્કૂટર મધ્યમવર્ગીય ભારતીય પરિવારની સવારી બની રહી. ભાગ્યે જ કોઈ કંપનીને આ રીતે બજારમાં એકાધિકાર ભોગવવા મળે છે. કોઈ કંપની આ સ્થિતિમાં આવે તો તેનો લાભ લેવાનું મુનાસિબ માને છે. બજાજ ગ્રૂપ દ્વાર આમ ન થયું અને તેનું કારણ રાહુલ બજાજે એક મુલાકાતમાં આપ્યું પણ છે. તેઓએ કહ્યું છે : “બાળપણમાં ગાંધીવાદી ટ્રસ્ટીશીપ અમે સમજ્યા હતા અને તેનું અનુકરણ કરતા. ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટ ન્યૂનત્તમ કિંમત પર મળે અને દરેક કર્મચારીને યોગ્ય વળતર મળે તે માપદંડ અમે રાખ્યા છે.” બજાજ ઓટો ગ્રૂપ બજારમાં ડિમાન્ડ મુજબ સપ્લાય મળે તે રીતે પ્રોડક્શન વધારી શક્યા જનતા પક્ષની સરકારમાં. જનતા પક્ષમાં ઉદ્યોગમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ હતા અને તેમણે તરત આવીને પ્રોડક્શન બમણું કરવાની મંજૂરી આપી.

તે પછી ઇંદિરા ગાંધી ફરી શાસનમાં આવ્યાં ત્યારે તેમાં કોઈ મર્યાદા ન લગાવવામાં આવી અને રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા ત્યારે તો એક વર્ષમાં દસ લાખ સ્કૂટર પ્રોડક્શનની મંજૂરી મળી. આ દરમિયાન અનેક વખત બજાજ ગ્રૂપ પર આવકવેરા વિભાગની રેડ થઈ ચૂકી હતી. જો કે સઘન તપાસ છતાં ય બજાજ ગ્રૂપ વિરુદ્ધ સરકારને એવું કશું ન મળ્યું જેનાથી ગ્રૂપની શાખને નુકસાન પહોંચી શકે. આટઆટલાં વિરોધ છતાં કંપનીનો ગ્રોથ કાયમ રહ્યો.

1992માં જ્યારે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી, ત્યારે પણ રાહુલ બજાજે પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમનું માનવું હતું કે આ રીતે વિદેશી કંપનીઓને આવકાર આપવો તે સ્થાનિક કંપનીઓ માટે વધુ પડકાર ઊભો કરશે. સ્વાભાવિક છે કે આ પ્રતિક્રિયા તેમણે સમગ્ર દેશના નાનાં-મોટાં ઉદ્યોગો સંદર્ભે આપી હતી. બાકી તો તેમની બજાજ ગ્રૂપની કંપનીઓ વધે જતી હતી, જેનો આંકડો આજે ચાળીસથી વધુ પહોંચ્યો છે. કર્મચારી પણ 36,000થી વધુ છે. આ રીતે કંપની દેશના હૃદય સુધી પહોંચી. કંપનીની આ ભાવનાને અનુરૂપ જ પછીથી ‘હમારા બજાજ …’નું જાણીતી એડનું સર્જન થયું. આ એડ જોઈને હજુ પણ અડધું ભારત નોસ્ટાલ્જિયામાં સરી પડે છે.

સામ્રાજ્ય સર્જવા અવિરત સંઘર્ષ અનિવાર્ય થઈ પડે છે અને રાહુલ બજાજના કિસ્સામાં જેમ સરકાર સાથે દ્વંદ્વ થતો રહ્યો તે રીતે ઇટાલિયન કંપની પિયાજિયો સાથે પણ સંઘર્ષ થયો. બજાજ સ્કૂટરનું પ્રથમ કારખાનું પિયાજિયો સાથે મળીને શરૂ થયું હતું. પણ એક સમયે પિયાજિયોએ કરારને આગળ વધારવાનો ઇન્કાર કરી દીધો. બજાજ એ સ્થિતિમાં આવી ગયું કે તે સ્કૂટર ન બનાવી શકે, પરંતુ રાહુલ સ્કૂટરને લોકોની જરૂરિયાત તરીકે જોતા હતા. માર્કેટમાં સ્કૂટરની ડિમાન્ડ પણ હતી, તેથી તેમણે કરારના અંત છતાં સ્કૂટર બનાવવાનું ચાલુ રાખ્યું. આ પૂરો મામલો પછી આંતરરાષ્ટ્રિય ન્યાયાલય સુધી પહોંચ્યો, અને ત્યાં પણ તેઓ લાંબી કાનૂની લડત લડ્યા. આ રીતે સમાધાન નહીં કરવાના અનેક દાખલા રાહુલ બજાજના જમા ખાતે બોલે છે. તેમની આ છબિના કાયલ અન્ય ઉદ્યોગપતિઓ પણ હતા, અને તેથી જ તેમના અવસાનના ન્યૂઝ આવ્યા ત્યારે જાણીતા ઉદ્યાગપતિ હર્ષવર્ધન ગોયન્કાએ તેમના એક એક્સરે પ્લેટની તસવીર ટ્વીટ કરી. આ તસવીર સાથે હર્ષવર્ધને લખ્યું છે : “અમે એક માત્ર ઉદ્યોગસાહસિકની ખોટ અનુભવીશું, જેમનો આ એક્સરે છે. તસવીરમાં એક કરોડરજ્જુ છે. એકદમ ટટ્ટાર કરોડરજ્જુ.”

આ ઉપરાંત પણ તેમની અનેક સિદ્ધિઓ છે જે તેમના અવસાન પછી સર્વત્ર મુકાઈ છે. રાહુલનું જેમ જાહેર જીવન હતું તેમ તેમની અંગત જીવનની પણ કેટલીક વિશેષતા છે. જેમ કે તેઓ મારવાડી-રાજસ્થાની પરિવારમાંથી આવતા હતા અને તેમણે લગ્ન મહારાષ્ટ્રીય યુવતિ સાથે કર્યું. તેમના પરિવારમાં આ પ્રથમ લવ-મેરેજ હતું. તેમનાં પત્ની રૂપા મહારાષ્ટ્રના બ્રાહ્મણ પરિવારમાંથી આવતાં હતાં. રૂપાના પિતા સિવિલ સર્વન્ટ્સ હતા અને તેથી આ બંને પરિવારોને એકબીજા સાથે તાલ બેસાડવામાં સમય ગયો. જો કે રાહુલ તેમની સફળતાનો શ્રેય રૂપાને આપે છે. તેમનું કહેવું છે કે રૂપા પાસેથી તેઓ ઘણું શીખ્યા છે. રાહુલ બજાજ એક વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. ભારતીય ઉદ્યોગ સંઘ ‘સી.આઈ.આઈ.’, ‘સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ’ના અધ્યક્ષ રહ્યા છે. ઇન્ડિયન એરલાઇન્સના તેઓ ચેરમેન પણ હતા અને તેઓને પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. રાહુલ બજાજનું દીર્ઘ જીવન આમ અનેક ઘટનાઓથી ભર્યુંભર્યું છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,5931,5941,5951,596...1,6001,6101,620...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved