Opinion Magazine
Number of visits: 9663876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દ્વિશતાબ્દીપુરુષ દાદાભાઈ નવરોજી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 September 2025

જન્મ : 4-9-1825 • મૃત્યુ : 30-6-1917

રાષ્ટ્રવાદ એક રુમાની અપીલે ન અટકતાં આર્થિક બુનિયાદ પર મુકાયો એમાં કંઈક ઈંધણ, કંઈક ઊંજણ આંતરરાષ્ટ્રીય ધોરણે વિચરી અને વિચારી શકતી આ પ્રતિભાને નામે તવારીખમાં નોંધાયેલ રહેશે

પ્રકાશ ન. શાહ

તે દિવસે હું ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ લેખનની પિતૃપ્રતિમાવત ડો. રતન રુસ્તમ માર્શલ પાસે જઈ ચડ્યો ત્યારે ડોસા મોટો ચશ્મો ચડાવી દાદાભાઈ નવરોજીનું બૃહદ્ ચરિત્ર વાંચી રહ્યા હતા. કંઈક ‘શર’માં આવ્યા હશે કે કેમ, મને સહસા એ 1893ની લાહોર કાઁગ્રેસનું એમનું અધ્યક્ષીય ભાષણ સંભળાવવા લાગ્યા:

‘હંમેશ એટલું યાદ રાખીએ આપણે કે આપણે સૌ એક જ માતૃભૂમિનાં સંતાન છીએ. ખરે જ, હું એક હિંદીજન છું અને મારા વતન ને સૌ હમવતનીઓ તરફે ફરજથી બંધાયેલ છું – પછી હું હિંદુ હોઉં કે મુસ્લિમ, પારસી કે ખ્રિસ્તી કે અન્ય કોઈ ધરમ મજહબનો, એ બધાથી અધિક હું એક હિંદીજન છું; ને હિંદી હોવું એ સ્તો આપણી રાષ્ટ્રીયતા છે.’

ઇચ્છું કે દ્વિશતાબ્દીપુરુષ દાદાભાઈનું અસહ્ય અંગ્રેજી ગદ્ય રતન માર્શલની ઢબે જાણે બુઝુર્ગ સોરાબ મોદી બેતબાજીની તરજ પર ધ્રોપટ જતા હોય તેમ રજૂ કરી શકું? 

વારુ, કાઁગ્રેસના પ્રમુખપદે તો દાદાભાઈ એ પહેલાં પણ ચૂંટાયા હતા, છેક 1886માં. એટલે કે સ્થાપનાના બીજે વરસે જ. પણ 1893નું એમનું પ્રમુખપદ એક જુદો જ ચમકારો લઈને આવ્યું હતું: હવે એ લંડનના ફિન્સબરી સેન્ટ્રલ મત વિસ્તારમાંથી નીચલા ગૃહ(હાઉસ ઓફ કોમન્સ)માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. લંડનથી હિંદ પહોંચ્યા, પ્રમુખપદ સંભાળવા ત્યારે મુંબઈ, પુણે, અમદાવાદ-વડોદરા, દિલ્હી, અમૃતસર થતે થતે એ લાહોર પહોંચ્યા ત્યાં સુધીમાં દેશ આખામાં એક ચૈતન્યનો સંચાર થઈ ગયો હતો. 

પુણેના સ્વાગત સમારોહમાં લોકમાન્ય તિલકે વ્યક્ત કરેલ હૃદયભાવમાં એ ચૈતન્યની ઝલક ઝિલાયેલી છે : ‘હિંદના નવા રાજકીય ધર્મના તમે નેતા છો’, કહી તિલકે ઉમેર્યું હતું, ‘એક એવા જણ છો જે નાના-મોટા સઘળા ભેદભાગલાને ઓળાંડી ગયા છો.’

તિલકે આ દર્શન કર્યાં ત્યાં સુધી દાદાભાઈ જરી જુદે છેડેથી પહોંચ્યા હતા. વંદેમાતરમની રુમાની કુરબાનીની એમને કદર તો હશે, પણ એમણે પકડેલો છેડો આર્થિક રાષ્ટ્રવાદનો હતો – ‘ડ્રેઈન થિયરી’નો. અંગ્રેજ અમલ અને અમલદારો, અહીંથી કમાઈ અહીં નથી ખરચતા કે નથી રોકાણ કરતા, મહેસૂલી આ‌વકનો નોંધપાત્ર હિસ્સો ઇંગ્લેન્ડભેગો થઈ જાય છે. એ મુદ્દો એમણે 1867ના અરસામાં લંડનમાં છેડ્યો હતો જ્યારે હજુ કાઁગ્રેસની સ્થાપના આડે પણ 18 વરસ હતાં.

લંડનની બ્રિટિશ મ્યુઝિયમ લાઈબ્રેરી જ્યાં આસન જમાવી કાર્લ માર્ક્સે ‘કેપિટલ’નો લેખનજગન માંડ્યો હતો, દાદાભાઈ ત્યાં જ પ્રાપ્ય સત્તાવાર સ્રોતોને આધારે ડ્રેઈન થિયરી પર કામ કરી રહ્યા હતા. (જો કે એમનું મીની ક્લાસિક, ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ તો મોડેથી આવ્યું, 1901માં; પણ ગૃહમાં ને ગૃહની બહાર તે પૂર્વે અઢી દાયકાથી એમણે ધૂણી ધખાવી હતી. 

ઔદ્યોગિક ક્રાંતિ અને મૂડીવાદના સર્જનથી માંડી સર્વહારા વર્ગ થકી સંભવિત ક્રાંતિ સહિતની થિયરી માર્ક્સના નામે ઇતિહાસદર્જ છે. પણ કેવળ મૂડીવાદ નહીં, ખુદ રાજ્ય જ સંસ્થાનવાદને રસ્તે સાંસ્થાનિક પ્રજાની બેહાલી સર્જે છે એ આખી શોષણ યંત્રણાની નિરૂપણા તે દાદાભાઈનો વિશેષ છે. એમની ને માર્ક્સ વચ્ચે આછાપાતળા પરોક્ષ સંબંધના સંકેતો મળે છે, પણ વિગતબદ્ધ અભ્યાસઆપલેને સારુ અવકાશ મળ્યો જણાતો નથી.

માર્ક્સ અને દાદાભાઈ વચ્ચે સ્વલ્પ પણ પરિચયનિમિત્ત બેઉના સોશિયલ ડેમોક્રેટ મિત્ર હિંડનબર્ગ હોઈ શકે એવી ગણતરી છે. લિબરલ ઘરાણાના દાદાભાઈ આંતરરાષ્ટ્રીય સોશિયલિસ્ટ સંધાન પણ ધરાવતા એટલે સ્તો 1906માં ‌વળી એક વાર કાઁગ્રેસ પ્રમુખ તરીકે તિલક-ગોખલે બેઉ છેડેથી એમના પર કળશ ઢળ્યો હતો. (જો કે 1907 આવતા સુધીમાં દાદાભાઈ અંગે મવાળ અભિપ્રાય વધુ પડતા જહાલ પ્રકારનો ને જહાલ અભિપ્રાય વધુ પડતા મવાળનો વરતાવા લાગ્યો હતો. પરિણામે તે વરસે સુરત કાઁગ્રેસ માટે એમનું નામ બાજુએ રહ્યું હતું. નવસારીનું સંતાન સુરતમાં વણપોંખાયું રહ્યું!)

હમણાં મેં આંતરરાષ્ટ્રીય સંપર્કોની જિકર કરી. સ્ટુટગાર્ટની પરિષદ જે માદામ કામાના ધ્વજપ્રાગટ્યે ઇતિહાસમંડિત છે તેની યોજક સંસ્થા સાથે દાદાભાઈ હતા. જેનું ધ્રુવગાન મેઘાણીની કલમે ઊતરી આવ્યું છે તે સેકન્ડ ઈન્ટરનેશનલના કોઈક કાર્યક્રમમાં રોઝા લકઝમબર્ગ અને કૉટ્સ્કી સાથેનો એમનો ફોટો પણ હમણેનાં વરસોમાં રમતો થયો છે. હાઉસ ઓફ કોમન્સના ચૂંટણી જંગમાં એમને મળી રહેલા સહયોગીઓમાં ફ્લોરનેસ નાઈટિંગેલ અને એમિલી પેન્કહર્સ્ટ જેવાંયે હતાં. પેન્કહર્સ્ટ સાથેના એમના પરિચયનું રહસ્ય સફેરજેટ મૂવમેન્ટ (મહિલા મતાધિકાર ચળવળ) સાથેના સંધાનનું હતું.

પેન્કહર્સ્ટ-દાદાભાઈના સંપર્કવશ વિકસેલી નાગરિક સમજ એ હતી કે મતાધિકારવંચિત સ્ત્રીઓની ‘ગુલામી’ જો ખોટી છે તો સંસ્થાન હેઠળની સ્ત્રી-પુરુષ સૌની ગુલામી પણ ખોટી છે. ઇંગ્લેન્ડમાં દાદાભાઈના ચૂંટણી પ્રચારમાં મુંબઈ બેઠે બહેરામજી મલબારીએ ચાપ ચડાવેલો તર્ક એ હતો કે મુંબઈ કોઈ ચડાઈથી જીતાયેલ મુલક નથી. એ સમજૂતીની (ચાર્ટરગત) વ્યવસ્થા છે એટલે ઇંગ્લેન્ડમાં નાગરિકને હોય એવા જ અધિકાર મુંબઈવાસીના હોમરુલ ઝુંબેશના પાયામાં આગળ ચાલતાં તમને આ તર્કનું અનુસંધાન જોવા મળે છે.

એલ્ફિન્સ્ટન કોલેજમાં એકાઉન્ટન્સીના અધ્યાપક રહેલા દાદાભાઈએ ગાયકવાડીમાં થોડોક વખત દીવાનપદું પણ કીધું’તું, પણ મુંબઈના જાહેર જીવનમાં એમના નામ સાથે ઇતિહાસજમે એક વિશેષ મુદ્દો છ-સાત કન્યાશાળાઓ મિત્રો સાથે શરૂ કરી તે છે. પારસી ધર્મ સંસ્કાર અને સમાજ સુધારને વરેલ ‘રાસ્તગોફતાર’ એ ગુજરાતી પત્ર પ્રકારની કામગીરી માટે પણ તે સંભારાશે. આગળ ચાલતાં કરસનદાસ મૂળજી સ્થાપિત ‘સત્યપ્રકાશ’ આ પત્ર સાથે જોડાઈ ગયું હતું.

ગોખલે-ગાંધી સહિત એક આખી ઝળહળતી યાદી દાદાભાઈને ઓછેવત્તે અંશે સેવનારાઓની છે. રાષ્ટ્રવાદ નકરી એક રુમાની અપીલે ન અટકતાં આર્થિક બુનિયાદ પર મુકાયો એમાં કંઈક ઈંધણ, કંઈક ઊંજણ આંતરરાષ્ટ્રીય ધોરણે વિચરી અને વિચારી શકતી આ પ્રતિભાને નામે તવારીખમાં નોંધાયેલ રહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2025

Loading

સત્તાના આસને બિરાજતા જનપ્રતિનિધિઓનું વૈચારિક દળદર ક્યારે ફીટશે? 

હિતેશ રાઠોડ|Opinion - Opinion|2 September 2025

હિતેશ રાઠોડ

એક સમય હતો જ્યારે સંસદીય પ્રણાલિમાં સત્તાના સિંહાસને બિરાજમાન શાસકપક્ષ અને સત્તાપક્ષની વિપરીત બાજુએ બિરાજમાન વિપક્ષ વચ્ચે મતભેદો રહેતા હતા, પરંતું મનભેદ કે વાણી-વ્યવહારમાં કટુતા કે દ્વેષ ન હતા. સત્તામાં બેઠેલા લોકો વિપક્ષનો અવાજ કાન દઈને સાંભળતા અને એમાંથી સારા મુદ્દાઓને તારવી લેતા હતા અથવા કહો કે સેરવી લેતા હતા અને અમલ કરવા જેવી બાબતોનો અમલ પણ કરતા હતા. ચર્ચા માટે સદનના પટલ પર લાવવામાં આવતી કોઈપણ બાબતના સઘળાં પાસાઓ અંગે વ્યાપક વિચારવિમર્શ કરવામાં આવતો હતો અને લોક-કલ્યાણની પાયાની વિભાવનાને કેન્દ્રમાં રાખી લોકહિતાર્થે આખરી નિર્ણયો કરવામાં આવતા હતા. વ્યક્તિગત મતભેદો, મનભેદો, અહંકાર કે હું-પણાને બાજુ પર રાખી, સંસદીય ચર્ચાના મૂળમાં લોક-કલ્યાણ, લોકહિત, લોકસમસ્યાઓ અને પાયાના પ્રશ્નોનું નિવારણ રહેતા હતા. લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને સંસદભવનમાં પ્રવેશતા લોકોની પહેલી જવાબદારી લોકો પ્રત્યે રહેતી. પક્ષ, પાર્ટી, પક્ષાધ્યક્ષ, વ્હીપ કે પક્ષાદેશ એ સઘળું પછીના ક્રમે રહેતું. લોક હિતાર્થે પદ જતું કરતા અથવા પદ કે પક્ષ ત્યાગ કરતા લોકપ્રતિનિધિઓ જરા ય ખચકાતા નહોતા. એક સમયે ચર્ચામાં ગરમાગરમી આવી જતી તો પણ પછીથી સાથે બેસી લોકહિતાર્થે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતું હતું અને એ રીતે ઘીના ઠામમાં ઘી પડી જતું અને લોકશાહીના પ્રાણ સમાન લોકહિત જળવાઈ રહેતું. આ બધાનું કારણ એ હતું કે ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓ ભલે ઓછા ભણેલા હોય પણ એક વાતે બહુ સ્પષ્ટ હતા કે લોકોએ તેમને સંસદમાં બેસાડ્યા છે અને એટલે જ લોક-ફરજ એ તેમની સૌ પહેલી જવાબદારી રહેતી. પક્ષીય હિત કે વ્યક્તિગત હિતને પછીથી જોવાતું. લોકહિતમાં ન હોય એવી બાબત પર કોઈ કાળે સમાધાન કરવામાં આવતું નહિ, પછી ભલે એ માટે સત્તા કે પદ છોડવું પડે. લોક-હિત અને લોક-કલ્યાણની વાત ગમે તેવા ચમરબંધીની સામે પણ નિ:સંકોચ અને બેબાક રીતે કહેવામાં આવતી હતી. જનહિતમાં અને પદની ગરિમા જાળવવા પદનો ત્યાગ કર્યો હોય એવા દાખલા ભૂતકાળમાં જોવા મળતા હતા. 

સંસદ ભવન એ લોકશાહીનું મંદિર છે જ્યાં લોકવાચા કે લોકલાગણીને પ્રાર્થનાની જેમ વિવેકી શબ્દો અને ભાષામાં રજૂ કરવામાં આવે છે. જે રીતે મંદિરમાં પ્રવેશતી વખતે વ્યક્તિ સહજ શિસ્ત, સૌમ્યતા અને શીલતા ધારણ કરી લેતી હોય છે એવી રીતે લોકશાહીના મંદિર સમા સંસદભવનમાં પ્રવેશતી વખતે પ્રજાએ ચૂંટીને મોકલેલા લોકપ્રતિનિધિ પાસેથી લોકોને એટલી અપેક્ષા હોય કે તેઓ લોકહિતાર્થે સ્વયંશિસ્તમાં રહી લોકોનો અવાજ, લોકોની સમસ્યાઓ, લોકોની વેદના, લોકોની પીડા, લોકોની વ્યથા, લોકોની હાડમારી, જીવન જીવવા માટે લોકોએ વેઠવા પડતા સંઘર્ષ અને મથામણોને વાચા આપી વિનમ્ર કે ક્યારેક આક્રંદના સૂરે લોકશાહીના મંદિરમાં રજૂ કરે, જ્યારે અન્ય જનપ્રતિનિધિઓ પણ એ લોકવાચાને એટલા જ ધ્યાનથી સાંભળતા અને એમાં છુપાયેલી લોકોની વેદના કે વ્યથાઓને સમજવા પ્રયાસ કરતા.

પરિસ્થિતિ આજે ક્યાં જઈને ઊભી છે! પ્રજાએ ચૂંટીને મોકલેલા આપણા કહેવા પૂરતા જનપ્રતિનિધિઓ પ્રજાના સેવક તરીકે નહિ પણ પ્રજાના હાકેમ બની સત્તાના મદમાં ચૂર થઈને મહાલતા હોય છે. લોકહિતના ઓઠા હેઠળ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા અને ‘સ્વ-અર્થ’માં સતત રચ્યાપચ્યા રહેતા આ નામના લોકપ્રતિનિધિઓને પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓ દૂર કરવાનું ભાગ્યે જ સૂઝે છે એમ કહો કે એ લોકહિતની વાતને સાવ વિસરી ગયા છે. લોકોની સમસ્યાઓ, લોકોની વેદના, લોકોની પીડા, લોકોની વ્યથા, લોકોની હાડમારીને લગતા પ્રશ્નો અને સમસ્યાઓ સદનના પટલ પર લાવવાને બદલે લોકકલ્યાણ સાથે નહાવા-નિચોવવાનો સંબંધ ન હોય એવી સાવ વાહિયાત અને ફાલતુ બાબતો પર અર્થહીન ચર્ચા કરી પ્રજાના પૈસાની બરબાદી કરવાની સાથે સાથે દેશની આમજનતાનું ધ્યાન મૂળ સમસ્યાઓથી ભટકાવી અન્યત્ર વાળવાના સહેતુક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રજાહિતના નામે મુઠ્ઠીભર માલેતુજારોના અંગત હિતો સચવાતા હોય એવી પરિયોજનાઓ પાછળ પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. લોકોના પ્રાણપ્રશ્નો માટે નિર્મિત લોકશાહીના મંદિર એવા સંસદભવનમાં પ્રજાના પ્રાણપ્રશ્નોનો અવાજ હવે ગુંગળાઈ રહ્યો હોય એમ લાગે છે. પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ લાવવાની જાણે કે કોઈનામાં ઇચ્છાશક્તિ જ બચી નથી. સંસદમાં ગરીબી, બેરોજગારી, મોંઘવારી, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના આસમાને જતા ભાવો, જાહેર આરોગ્ય પ્રત્યે સેવવામાં આવતું દુર્લક્ષ્ય, ખેતી છોડી રહેલ ખેડૂતો અને ખેતીની પાયમાલી, આર્થિક સંકડામણને કારણે થતી આત્મહત્યાઓ, સારવારને અભાવે મોતને શરણ થતા લોકો, સરકારી બેદરકારીને કારણે વારેવારે થતી મોટી દુર્ઘટનાઓ અને એમાં હોમાતા અનેક લોકો, કુપોષણ, ઘરવિહોણા માનવીઓનાં ટોળાં, કૃત્રિમ સંગ્રહખોરી, ખાદ્યપદાર્થોમાં કરવામાં આવતી ભેળસેળ, ચીજવસ્તુઓની અછત, ખેત પેદાશોની રક્ષા કરવા સામે બેદરકારી, આઝાદીનાં ૭૫ વર્ષો પછી પણ ગામડાઓની બદથી બદતર હાલત, લોકશાહીના પાયારૂપ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસેથી છીનવાતી જતી સત્તાઓ અને અધિકારો, દેશની સૌથી અગત્યની પુંજી એવા યુવાધનની શક્તિઓના ઉપયોગ સામે સેવવામાં આવતું દુર્લક્ષ, ……., આવા તો અનેક મુદ્દાઓ છે જેના પર છેલ્લાં કેટલાં ય વર્ષોથી સંસદભવનમાં ના તો કોઈ ચર્ચા છેડાઈ છે કે ના એના પર ચર્ચા કરવા કોઈ જનપ્રતિનિધિ રાજી છે, ના સરકારોને એ બધું સાંભળવા માટે રસ કે સમય છે. લોકશાહીના કહેવાતા સેવકો પ્રજાની સામે રાજાની જેમ વર્તી રહ્યા છે, અતિશયોક્તિનો દોષ વહોરીને પણ કહી શકાય કે રાજાઓને પણ સારા કહેવડાવે એ રીતે આપણા જનસેવકો વર્તી રહ્યા છે.

સત્તાના સિંહાસને બિરાજતા લોકોમાં હોવી જોઈતી સમભાવી, નિષ્પક્ષ અને સાત્ત્વિક વિચારસરણી પર જાણે કે કુંઠિત વિચારોનો લુણો લાગી ગયો હોય એમ સર્વત્ર વિચ્છેદ, વિભાજન, વિઘટન, વિખવાદ, વિવાદ, વિરોધ, વિદ્વેષનું વિકરાળ વાવાઝોડું દેશને ચારેકોરથી અજગર ભરડો લઈ રહ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે. પાયાના પ્રશ્નોની સતત અવગણના કરી વિકાસના નામે મહામૂલી ખેતભૂમિ પર પાકી સડકોના લિસોટા અને ઊંચી તોતિંગ બિલ્ડિંગોની કતારો ખડી કરી દેવામાં આવી છે. આઝાદીનાં ૭૫ વર્ષે ય જમીન પરની મૂળ સમસ્યાઓ તો ઉકેલી શકાઈ નથી ને ચાંદ પર વસવાના સપના દેખાડવામાં આવે છે! લોકશાહીના નામે પક્ષ અને સત્તાના ધણીઓને વફાદાર આ સત્તાલક્ષી રાજકારણમાં સત્તા જ એક માત્ર કારણ અને પરિણામ બની ગયું છે. લોકશાહીમાં લોકલાજ તો હવે કોઈને રહી નથી. યેનકેન પ્રકારેણ સત્તા હાંસલ કરવા આંબા-આંબલી દેખાડી મતદાર પાસેથી તેનો ‘અમૂલ્ય’ મત છીનવી લઈ ચૂંટાઈ આવતા આ કહેવાતા જનપ્રતિનિધિઓ સત્તા પ્રાપ્ત કરી લીધા પછી મતદારને ‘બાપડો’ કે ‘બિચારો’ બનાવી દેતા જરીકે ય અચકાતા નથી. પ્રજાની અરજ સાંભળવા રચાયેલા સંસદ અને વિધાનસભાના મંદિરોમાં પ્રજાનાં કામો પાછળ ફક્ત ‘ટોકન” સમય ફાળવવામાં આવે છે જ્યારે પ્રજાના પૈસાની બરબાદી કરતી ચૂંટણીઓ અને ચૂંટણી પ્રચાર પાછળ દિવસોના દિવસો વેડફી નાખવામાં આવે છે. પ્રજાના પૈસાનો બરાબર ધુમાડો થાય એ માટે ચૂંટણીઓને હવે ‘પર્વ’ બનાવી દેવામાં આવ્યું છે. મહિનાઓ સુધી ચાલતા રહેતા ચૂંટણી પ્રચારમાં પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓ પર સમ ખાવા પૂરતી પણ કોઈ વાત થતી નથી. કહેવાતા ધુરંધર નેતાઓ પણ બીજાની લીટી કાપી પોતાની લીટી મોટી દેખાડવા કોઈપણ હદે જતા અચકાતા નથી. ચૂંટણી પ્રચારના નામે ગલીચ ભાષામાં એકબીજા પર કાદવ-ઉછાળની રમતો ચાલ્યા કરે અને આચારસંહિતા પાલનના નામે સરકારમાં પ્રજાનાં કામો અટવાયાં કરે અને તો પણ એને ‘પર્વ’ તરીકે ઉજવવામાં આવે! વાહ રે લોકશાહી વાહ!

સત્તાકેન્દ્રિત એવા આ રાજકારણમાં નેતાઓનું વૈચારિક દળદર નહિ ફિટે ત્યાં સુધી પ્રજાએ આમ જ સહન કરતા રહેવાની હેરાન-પરેશાન થતા રહેવાની તૈયારી રાખવી પડશે. કૂવામાં હોય તો અવેડામાં આવે એ ન્યાયે જે પ્રજા પોતાની ખુદની મૌલિક વિચારસરણી પર વિશ્વાસ કરવાને બદલે બીજાની ધડમાથા વિનાની વાતો અને વચનોમાં આવી જતી હોય ત્યાં વળી નેતાઓ પાસેથી વૈચારિક સમૃદ્ધિની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. આખરે તો નેતાઓ પણ પ્રજામાંથી જ આવતા હોય છે. 

ઉપાય રૂપે મતદારોએ હવે ખરા અર્થમાં શાણા બનવું પડશે અને બુડથલ, અડબંગ, અબૂધ, પોતાની આગવી વિચારસરણીનો અભાવ ધરાવતા, કોઠાસૂઝ વગરના, સમસ્યાનું સમાધાન કરવાની સૂઝ વિનાના, લોકહિતની અવગણના કરનારા, આત્મશ્લાઘામાં રચ્યાપચ્યા રહેનારા, છીછરા વિચારો અને છીછરી માનસિકતા ધરાવતા, લોકોને ગેરમાર્ગે દોરનારા, દૂરંદેશીતા વિનાના તેમ જ ગુનાહિત ઇતિહાસ અને વિકૃત માનસિકતા ધરાવતા લોકોને જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલવાનું બંધ કરવાનું પડશે. માત્ર ઉમેદવારને જ નહિ તેની સાથે સંકળાયેલ રાજકીય પક્ષો અને એની ગતિવિધિઓને પણ સારી પેઠે પિછાણવી પડશે. કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપતા પહેલા કોઈના દોરવાયા દોરાઈ જવાને બદલે ખુદની બુદ્ધિ, સ્વવિવેક અને સમજણનો ઉપયોગ કરતા શીખવું પડશે. સૂફિયાણી વાતો, ખોખલા વચનો અને દિવા-સ્વપ્નોથી લોકોના પેટ ભરાતા નથી કે પાયાની સમસ્યાઓ હલ થતી નથી. મત માગવા આવનાર નેતાઓને જનહિતને લગતા પ્રશ્નો કરી સાણસામાં લેવાની અને “પ્રજાહિતના નક્કર કામ કરનારને જ મત” એ નીતિ હવે લોકોએ અપનાવવી પડશે. 

ભાવિ પરિસ્થિતિ વિકટ થઈ રહી હોવાના અણસાર આવે ત્યારે મતદારોએ પણ સજાગ, સચેત અને સમજદાર થઈ પોતાના બહુમૂલ્ય મતનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો રહ્યો.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

વારસો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|2 September 2025

આજે ન્યાયાધીશ સાહેબની કોર્ટમાં એક અજીબ પ્રકારનો વારસાઈ તકરારનો કેસ હતો. તકરારી બે પુત્ર, એક પુત્રી અને મૃતક પૂનમચંદ શેઠનાં પત્ની હતાં. ચારેયનો એવો દાવો હતો કે પૂનમચંદ શેઠ જ્યારે જીવિત હતા, ત્યારે પૂનમચંદ શેઠે સંપૂર્ણ મિલકત તેમને આપવાની વાત કરી હતી, પણ, કોઈ પાસે દાર્શનિક પુરાવા નહોતા, આથી કોઈ એક બીજાનો દાવો માન્ય રાખતા નહોતા. પૂનમચંદ શેઠનું આકસ્મિક મૃત્યુ થયું હતું અને પૂનમચંદ શેઠે વિલ બનાવ્યું છે એ બધાંને ખબર હતી, પણ તે કોની પાસે છે એ કોઈને ખબર નહોતી. શેઠશ્રીની મિલકત ઘણી હતી એટલે વારસાઈ ઝગડો પણ મોટો હતો. સૌને સંપત્તિમાં રસ હતો. 

ભાઈઓનું કહેવું હતું બહેનને લગ્નમાં દહેજમાં ખૂબ જ આપવામાં આવ્યું છે, એટલે તે હક ન માગી શકે. પૂનમચંદ શેઠની પત્નીનું કહેવું હતું, હું તેમની પત્ની છું એટલે સઘળી મિલકત ઉપર મારો પ્રથમ અધિકાર છે. એક બીજાં પોતાનો દાવો સાચો છે, એ પુરવાર કરવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. ચારેય દાવેદારને પૂરી મિલકત જોઈતી હતી. વારસાઈ ભાગ પાડવા તૈયાર નહોતા અને વિલ શોધવા કે વિલ કોની પાસે છે એ જાણવા પણ તૈયાર નહોતા.

જજ સાહેબે ચારેયને સાંભળીને કહ્યું, “તમને ખબર છે કે મૃતક પૂનમચંદ શેઠે વિલ બનાવ્યું છે?”

 “હા, સાહેબ, અમને વાત કરી હતી કે મેં વિલ બનાવ્યું છે અને તે પ્રમાણે કરશો તો જ મારી સંપત્તિ મળશે.”

 “તો તમે વિલ કેમ નથી શોધતા?”

 “સાહેબ, અમને બીક છે કે વિલ અમને લાભ અને સંતોષ આપતું ન હોય તો. અમે કંઈ ન કરી શકીએ.” 

“તો પહેલાં વિલની તપાસ કરો, અને વિલ મળે મારી હાજરીમાં ખોલવામાં આવશે, એ પહેલાં હું એ જાણવા માગું છું કે મૃતક પૂનમચંદ શેઠનાં પત્ની અને તમારા માતુશ્રીની જવાબદારી કોણ લેવા તૈયાર છે, મિલકત મળે તો અને મિલકત ન મળે તો પણ ?” કોઈએ જવાબ ન આપ્યો. “તમારી ચુપકીદીમાં મને જવાબ મળી ગયો છે, એટલે વિલ શોધીને કોર્ટમાં હાજર થજો.”

કોર્ટનો ઓર્ડર થયો એટલે વિલ શોધવાના પ્રયત્ન ચાલુ થયા. પૂનમચંદ શેઠનાં પત્નીએ કહ્યું, “વકીલ મુકેશભાઈ વોરા તેમના મિત્ર હતા, તેમને ખબર હોય તો તેમને પૂછી જોઈએ. “

“મારી પાસે પૂનમચંદ શેઠે વિલ બનાવડાવ્યું છે, અને તમે ન માગો ત્યાં સુધી તમને વાત કરવાની ના કહી હતી.”

 “પિતાજીએ એમ કેમ કર્યું હશે?”

 “એટલાં માટે કે તેમને શંકા હતી કે તમે તમારી માતુશ્રીનું ધ્યાન રાખવાને બદલે મિલકતના ઝઘડામાં પડશો, અને થયું પણ એમ જ. હું વિલ કોર્ટમાં રજૂ કરીશ.”

“પૂનમચંદ શેઠના વિલનું વાંચન કરવામાં આવે”, જજ સાહેબે આદેશ કર્યો.

“જજ સાહેબ, પૂનમચંદ શેઠના વિલમાં લખ્યું છે કે જે મારી પત્નીની જવાબદારી સ્વીકારે તેને મારી સંપત્તિ મળશે અને જો કોઈ તૈયાર ન થાય તો કોર્ટના ઓર્ડર પ્રમાણે મિલકતનો વહીવટ કરવાનો રહેશે.”

“બોલો, કોણ તૈયાર છે?” બંને ભાઈઓ તૈયાર થઈ ગયા કે માતાજીનું અમે ધ્યાન રાખશું, બંને ભાઈઓ વચ્ચે સંપત્તિની વહેંચણી કરી દ્યો.”

 “દીકરી, તું કેમ કાઈ ન બોલી, તે પણ સંપત્તિમાં ભાગ માગ્યો છે.” 

“જજ સાહેબ, હું મારા ઘરે ખૂબ સુખી છું. મારે સંપત્તિમાં ભાગની જરૂર નથી. બંને ભાઈઓ વચ્ચે જ્યારે સંપત્તિ માટે ઝગડા જોયા, પણ ક્યાં ય મારી માતાનું સ્થાન ન જોયું ત્યારે મેં નક્કી કર્યું, હું પણ કાયદેસરની વારસ છું સંપત્તિમાં ભાગ માગી ભાઈઓને તેમની ભૂલનું ભાન કરાવીશ. જજ સાહેબ અમારે સંપત્તિ નથી જોઈતી.”

 “જજ સાહેબ, માતુશ્રી અમારી સાથે રહે તેવી વિનંતિ છે.” 

“તમે કોણ છો?”

 “સાહેબ એ મારા પતિદેવ છે.”

“વાહ, અહીં દીકરાને સંપત્તિ મળે તો માતાને રાખવી છે, જ્યારે દીકરી જમાઈને સંપત્તિ નહીં, માતા જોઈએ છે. હવે કંઈ સમજાય છે.”

 “જજ સાહેબ, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે પિતાજીના વિલનો આદર કરીએ છીએ અને માતાજીની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ.”

“મુકેશભાઈ વોરા, તમે પૂનમચંદ શેઠના મિત્ર હતા, આથી વિલ પ્રમાણેની વ્યવસ્થા અને સંચાલન હું તમને સોપુ છું.” 

“જજ સાહેબ, મને વિલના લખાણની ખબર હતી પણ દીકરીના સહકાર વગર સોલ્યુશન શક્ય નહોતું, કારણ કે કોઈ વાત માનવા કે સ્વીકારવા તૈયાર નહોતું, એટલે આપ સાહેબની મદદ લેવી પડી. જજ સાહેબ ખૂબ ખૂબ આભાર.”

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...156157158159...170180190...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved