Opinion Magazine
Number of visits: 9456390
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૌત્ર

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|10 May 2025

રમણભાઈ સપોર્ટ વ્હીલવાળી સાયકલ લઈ ઘરમાં દાખલ થયા, પત્નીએ સામે જોઈ પૂછ્યું, “કોના માટે લાવ્યા?”

“મેઘુ માટે.”

“તમે તો મેઘુને સાયકલ અપાવવા માટે તો વિરોધ કરતા હતા. મેં કહ્યું ત્યારે સોઈ ઝાટકીને ના પાડી હતી તો આજે કેમ લાવ્યા?”

રમણભાઈએ જવાબ ન આપ્યો; હકીકતમાં તેની પાસે જવાબ નહોતો. જ્યારે પત્નીએ સાયકલની વાત કરી ત્યારે એમ કહ્યું હતું કે, મેઘુને સાયકલ અપાવીએ તો ઘરમાં દીવાલને ફર્નિચરને નુકશાન થાય અને બહાર ફેરવવા માટે મેઘુ સાથે કોણ જાય. રમણભાઈના પત્ની વિચારમાં પડી ગયાં. રમણભાઈ માંદગીમાંથી સાજા થયા પછી તેમના સ્વભાવમાં ઘણાં ઘણાં ફેરફારની નોંધ તેમણે કરી હતી, એટલે પછી નિરાંતે વાત કરીશું એમ વિચારી વાત આટોપી લીધી હતી.

રમણભાઈ એક વખત ખૂબ બીમાર પડી ગયા; હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ડો. અજયભાઈ રમણભાઈના મિત્ર હતા, અને તેની જ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સમયસરની સારવારથી સાજા તો થઈ ગયા, પણ ત્રણ મહિના નિયમિત દવા અને ખોરાક લેવાનાં હતાં. રમણભાઈનો સ્વભાવ કડક, જીદ્દી અને પોતાનું ધાર્યું ન થાય તો ગુસ્સાથી ઘર માથે લેતા; આ બાબતે ઘરના બધાં ચિંતિત હતા કે ઘરે દવા અને ખોરાક કેમ આપવાં. ડો. અજયભાઈએ ઘરે વાત કરી ત્યારે ચાર વર્ષનો મેઘુ આ વાત સાંભળતો હતો; એ એટલું સમજ્યો કે દાદાને દવા લેવી ગમતી નથી પણ દાદા દવા નહીં લે તો જલ્દી સાજા નહીં થાય.

“દાદા તમે દવા લીધી?”

“હા  લીધી.”

“ના નથી લીધી, બા, દાદાની દવાનો સમય થયો છે.”

“દાદા પરાણે, પરાણે દવા લઈ લે. ઘણી વખત કહે, આને અહીંયાથી લઈ જા ને.”

જમવા પણ મેઘુ દાદા સાથે બેસે અને પરાણે જમાડે.

આ રોજનો કાર્યક્રમ થઈ ગયો. ધીમે ધીમે દાદાની તબિયત સુધારવા લાગી અને બે મહિનામાં સ્વથ થઈ ગયા.

ડો. અજયભાઈ પણ વિચારમાં પડી ગયા. રમણ નામનો અધરો દાખલો આટલો જલ્દી સોલ્વ કેવી રીતે થઈ ગયો. “ભાભી, તમે તો કમાલ કરી નાખી; આ આટલો જલ્દી સાજો કેવી રીતે થઈ ગયો?”

“ભાઈ, મારી કોઈ કમાલ નથી. તમારા આ અઘરા મિત્રને અમારા પૌત્ર મેઘુએ જલ્દી સાજા કર્યા છે.” પછી બધી વાત કરી. 

“વાત ખરી છે ભાભી, વ્યાજ આગળ બધાં ઢીલા પડી જાય છે.”

એક દિવસ બધાં દીવાનખંડમાં બેઠા હતા.

મેઘુએ કહ્યું, “દાદા, એક વાત પૂછું?”

“પૂછ, બેટા.”

“દાદા હું બીમાર પડ્યો ત્યારે તમે મને દવા આપતા એ હું લઇ લેતો, બરોબર જમી લેતો, પણ તમે બીમાર પડ્યાને; તમને સાજા કરવામાં મને બહુ મહેનત પડી, આવું ન ચાલે, દાદા.”

“ભલે મારા દોઢ ડોકટર, હવેથી ધ્યાન રાખીશ.” 

અને દિવાનખંડ હાસ્યથી ગુંજી ઉઠ્યું. રમણભાઈએ પત્ની સામે જોયું, જાણે કહેતા હોય હવે તને સાયકલ લાવવાનો હેતુ સમજાયો ને. અને પત્નીએ પણ આંખોથી કહ્યું, `રૂપિયા કરતાં તેનું વ્યાજ વધારે વહાલું હોય છે એ વાત ખોટી નથી.`

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

ગુજરાતનું બુલડોઝર જસ્ટીસ 

નેહા શાહ|Opinion - Opinion|9 May 2025

નેહા શાહ

ગરીબ શ્રમજીવીને અવૈધ સાબિત કરવાનું કેટલું સહેલું છે. પોલીસ એમની સામે કોઈ પુરાવા વગર કાર્યવાહી કરે તો પણ બાકીનો સમાજ તો એને યોગ્ય જ માનવાનો, કારણ કે એમને શંકાથી જોવા માટે એમનું ગરીબ હોવું, પરપ્રાંતીય હોવું, પરધર્મી હોવું પૂરતું છે. એવું જ અત્યારના ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવ કિનારે વસેલી વસ્તીને તોડી પાડવાના અભિયાનમાં દેખાય છે. 

૨૨મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ગેરકાનૂની રીતે રહેતા બાંગ્લાદેશીઓને તગેડી મુકવા માટે ૨૬મી એપ્રિલથી રાજ્યના ઘણા શહેરોમાં અભિયાન શરૂ થયું. અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, અને આણંદ જેવાં શહેરોમાં પોલીસે જેમની અટકાયત કરી હોય એવા લોકોની જાહેરમાં પરેડ થતી હોય એવા વીડિયો વાયરલ થયા. કહેવામાં આવ્યું કે આ કહેવાતા બાંગ્લાદેશીઓની આતંકવાદી સાથેની સાઠગાંઠ છે જેનાથી દેશની સુરક્ષાને ખતરો થઇ છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરંભાયેલું અભિયાન ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અભિયાન ગણાય છે. ૧,૫૦૦થી વધુ લોકોની અટકાયત થઇ, તેમને ભર રસ્તે ચલાવી પોલીસ થાણે લઇ જવામાં આવ્યા, જેથી આખું ગામ એમને શંકાભરી નજરે જુએ, જેમાંથી નેવું ટકાથી પણ વધારે લોકો ભારતીય નાગરિક હોવાનું પુરવાર થતાં ત્રણ દિવસે છોડી મુકવામાં આવ્યા. તેમની પાસે જરૂરી બધાં દસ્તાવેજ હતા. બિહાર, યુ.પી, ઝારખંડ કે ઓરિસ્સામાં ઘર-કુટુંબનાં ઠામ ઠેકાણાં હતાં. કેટલાક તો ગુજરાતી જ નીકળ્યા. અહીં ત્રણ દાયકાથી પણ લાંબુ રહેતા હોવાના પુરાવા નીકળ્યા. ત્યાર બાદ ૨૯ એપ્રિલથી શરૂ થયું ગેરકાયદે દબાણને હટાવવાનું અભિયાન. આ લખાય છે ત્યાં સુધી ૨,૦૦૦થી વધુ ઘરો તોડી પડાયા છે અને ટૂંકમાં જ બીજા તબક્કાનું અભિયાન શરૂ થવાની વાત છે. દેશની સુરક્ષા માટે શરૂ થયેલું અભિયાન જમીન પરના દબાણ દૂર કરવામાં બદલાઈ ગયું! 

આટલા દિવસોમાં અમદાવાદ શહેરે ૪૪.૮ ડિગ્રી ગરમી પણ જોઈ અને કમોસમી તોફાની વરસાદ પણ જોયો. બેઘર બનેલા ઘણા પરિવાર માથા પર માત્ર ચાદરની છત બનાવી એ જ જગ્યાએ રહ્યા છે, કારણ કે એમની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા જ નથી. જેમની પાસે થોડી ઘણી સગવડ હશે તેઓ કશેક ગોઠવાયા હશે પણ રાતોરાત બેઘર બનેલા પરિવારો પાસે રાતોરાત ઉંચકાયેલા ઘરના ભાડાના દર અને ડિપોઝીટની રકમના પૈસા ક્યાંથી આવવાના? જો એવી સગવડ હોત તો લાલા બિહારી જેવા ગુંડાની જાળમાં ફસાયેલા શું કામ રહ્યા હોત? ચંડોળા તળાવ એ જગ્યા છે જ્યાં ચોમાસા પછી જીવન નિર્વાહ માટે નાની નાની ખેતી થતી. રહેવાની સગવડનાં અભાવે ગરીબ લોકો ત્યાં જ રહેવા લાગ્યા. તળાવનો કાંઠો એટલે વરસાદી પાણી ભરાય, કીચડ થાય છતાં લોકો રહે કારણ કે ગજવાને પોસાય એવી બીજી કોઈ જગ્યા મળે નહીં. સમય જતા અહીં વસ્તી વધી. અહીં મજૂરી કરનારા, નાનો-મોટો ધંધો કરનારા, નાની-મોટી ચીજ વસ્તુની લારી ચલાવનારા, કે અન્ય બિનઔપચારિક કામ કરનારા લોકોનો વર્ગ ઘણો મોટો છે. આ એ જ લોકો છે જેઓ કાચા મકાનમાં રહી શહેરના મકાન – રસ્તા બનાવે છે. પોતે ગંદકીમાં રહી શહેરનાં રસ્તાની સફાઈ કરી ચોખ્ખા રાખે છે. ઘણી વસ્તુઓ અને સેવાના ભાવ એમની સંખ્યાને લીધે સસ્તા છે. શહેરના વિકાસમાં આવા શ્રમજીવીઓના સસ્તા દરે મળી રહેતા શ્રમનો ખૂબ મોટો ફાળો છે. 

જ્યાં ગરીબી અને  લાચારી છે ત્યાં ‘લાલા બિહારી’ ઊભા થતાં વાર થોડી લાગવાની છે? જુગાર, દારુ, ડ્રગ્સ, દેહવેપાર જેવી અનૈતિક અને ગેરકાનૂની પ્રવૃત્તિ પણ અહીં ચાલતી હતી જેની વાતો શહેરમાં બે-ત્રણ દાયકાથી અવારનવાર સંભળાતી હતી. જો શહેરીજનોને ખબર હોય તો પ્રશાસનને ખબર હોય જ પણ, આટલાં વર્ષોમાં એને અટકાવાના જરૂરી મોટાં પગલાં ભરાયાનું યાદ નથી. અહીંના બંગાળ વાસમાં બાંગ્લાદેશી રહે છે એ વાત પણ સૌ કોઈ જાણે છે. રાજકીય ચર્ચાબાજીમાં આ હકીકતનો ઉલ્લેખ અવારનવાર થયા કરતો હોય છે. પણ, એ સિવાય પરદેશી નાગરિકોને એમના દેશ પાછા મોકલવા માટેની જરૂરી કાર્યવાહી કરવાની કોઈ નક્કર પ્રક્રિયા જાણમાં નથી. આજે, પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી અચાનક સરકાર અને પ્રશાસન જાગ્યા છે, ત્યારે પોલીસ પાસે કોણ અને કેટલા બાંગ્લાદેશી છે એટલી પ્રાથમિક માહિતી પણ ન હોવાના કારણે ૧,૫૦૦થી પણ વધુ ભારતીય નાગરિકોની અપમાનજનક રીતે અટકાયત કરવી પડી. ગુજરાત રાજ્યમાં ૨૦૧૦થી  ઝૂંપડાવાસીના પુનર્વસનની નીતિ છે. સુપ્રીમ કોર્ટ પણ બુલડોઝર ચલાવતા પહેલાં પંદર દિવસની નોટિસ આપવાનું સૂચવે છે. ૨૦૨૨માં સ્થાનિક કોર્પોરેટરે ચંડોળાની આજુબાજુ રહેતા લોકોના આ યોજના હેઠળ પુનર્વસનની દરખાસ્ત કોર્પોરેશન સમક્ષ કરી હતી. પણ, મન હોય તો માળવે જવાય ને? આ તો ગામડાંની ગરીબીથી બચવા સ્થળાંતર કરીને આવેલા પછાત વર્ગના લોકો, તેમાં ય મોટાભાગના મુસલમાન એટલે એમના નામે તો રાજકીય રોટલા શેકાય. ચૂંટણી ટાણે દરેક પક્ષ એમના મતદાતા કાર્ડ કઢાવી કે વીજળીના જોડાણ અપાવી એમને રાજી કરે, સામાન્ય સમયમાં સંપૂર્ણ નજરઅંદાજ કરે અને પહલગામ એટેક જેવી કટોકટીના સમયે આતંકી કહીને રંજાડે. 

ગેરકાયદે દબાણોને દૂર કરવાની કોઈ ના નથી. પણ, ત્યાં વસતા લોકો આ દેશના જ નાગરિકો છે એટલે આ કાર્યવાહી કાયદાની જોગવાઈ આધારે થાય તો સૌનો સમાન નાગરિકત્વનો અધિકાર જળવાય.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ભારતમાતા કી જય’ બોલનારા ભારતમાતાને સૌથી વધુ નુકસાન કરે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|9 May 2025

છેલ્લાં બે વર્ષમાં સાત વાર બરોડા જવાનું થયું. બરોડામાં તાંદળજા વિસ્તારમાં રહેતા મુસ્લિમો પ્રત્યે હિન્દુઓને કારણ વગરની સૂગ. એક દિવસ વડોદરામાં અમારી સોસાયટીમાં કેસરી ખેસ પહેરેલા ચાર પાંચ આગેવાનોની આગેવાની હેઠળ પચાસેક લોકોનું એક ટોળું આવ્યું અને કહેવા લાગ્યા કે ‘આ તાંદળજા વાળાને સીધા કરવાના છે. મેં કહ્યું કે એ તો સીધા જ છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી.’ તો કહે કે ‘એ લોકો ખૂબ આગળ વધી ગયા છે. એની દુકાનોએ માલ લેવાનો નહીં. એમના રેસ્ટોરન્ટમાં જમવા જવાનું નહીં. એની દુકાનેથી કારીગરને કોઈ વસ્તુ સર્વીસ કરવા કે રીપેર કરવા બોલાવવો નહીં.’ પછી ટોળું એક સાથે બોલ્યું ભારતમાતા કી જય !

હું સમજી ગયો કે આ મગજ વગરના લોકો છે. એ સાચી વાત સમજી શકશે નહીં. એમના બ્રેઈન વૉશ થઈ ગયા છે અથવા એમના મગજ કોઈએ કાઢી લીધા છે. પણ મને મનમાં પ્રશ્ન થયો કે શું તાંદળજા વિસ્તારના મુસ્લિમો ભારતમાતાના સંતાનો નથી? ભારતમાં રહેતા નથી? એમનો બહિષ્કાર શા માટે? પણ જ્યારથી આ કેસરી ખેસવાળા જોરમાં આવ્યા છે ત્યારથી આખા દેશમાં ચારે બાજુ મુસ્લિમોના બહિષ્કારની વાતો કરે છે.

7 મે 2025ના રોજ, તમે ટી.વી.માં જોયું હશે કે ભારતીય આર્મીની કર્નલ રેન્કની સોફિયા કુરેશી અને એરફોર્સની વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પ્રેસ બ્રીફિંગ માટે ટી.વી. પર આવી હતી. ભારતે કઈ રીતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી એની ડિટેલ વિગતો આપી. આ સોફિયા કુરેશી 44 વરસની છે. વડોદરાના તાંદળજા વિસ્તારમાં જ રહે છે.

સોફિયાએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી M.Sc. કરેલું છે. 1999થી આર્મીમાં જોડાઈને દેશની સેવા કરે છે. સોફિયાના દાદા પણ આર્મીમાં હતા. એના પિતા પણ આર્મીમાં હતા. સોફિયાનો પતિ આર્મીમાં મેજર છે. એનો પુત્ર પણ એરફોર્સમાં જોડાઈ દેશની સેવા કરવા માંગે છે. આવા તો અનેક મુસ્લિમો છે જે દેશની સેવા કરી રહ્યા છે.

અને આ કેસરી ખેસવાળા મુસ્લિમોને આતંકવાદી ચીતરી રહ્યા છે. તેને પંક્ચરવાળા કહીને ઉપહાસ કરે છે. કારણ કે મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત પેદા કરવાથી એમને જનતાના મત મળે છે. કેવી રીતે? કહે છે કે આ લોકોની વસ્તી આપણા કરતાં વધી જશે. આપણે ગુલામ બની જઈશું. આ લોકોથી તમને અમે જ બચાવીશું. અમારા સાહેબ જ તમને બચાવશે. કેવી વાહિયાત વાત છે આ કેસરી ખેસવાળાની ! 80% હિન્દુઓને 17% મુસ્લિમથી ડર લાગે છે ! કેવી મૂર્ખામીભરી વાત ! અરે ભાઈ, 600 વરસના મુસ્લિમ શાસન પછી પણ આ દેશમાં આજે 80% વસ્તી હિન્દુઓની છે. મુસ્લિમોની વસતિ વધી રહી છે એ વાત પણ બિલકુલ બોગસ છે. મેં આજે જ 70 વરસના વસતીના આંકડા જોયા.

નફરત ત્યજી દો, ભાઈ. બધા મુસ્લિમો આતંકવાદી હોતા નથી. 99.99% મુસ્લિમો તમારા મારા જેવા સામાન્ય માણસો હોય છે. બહુ જૂજ સંખ્યામાં અવડે રસ્તે ચડેલા હોય છે. આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. બધા જ ધર્મોમાં આતંકવાદી હોય છે. સારા માણસો પણ દરેક ધર્મમાં હોય છે. હિન્દુ આતંકવાદીઓના નામ જોઈએ તો હું લિસ્ટ આપીશ. બે ચાર નામ નોંધી લો. પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા હતા. ગાંધીજી જેવા પવિત્ર માણસને મારનાર ગોડસે આતંકવાદી ન કહેવાય? ગર્ભવતી બિલ્કિસ બાનુના પરિવારના સાત સભ્યોને તલવારથી માર્યા પછી એના ત્રણ વર્ષના બાળકને માથું પછાડીને મારી નાખનાર હિન્દુઓ આતંકવાદી ન કહેવાય? આટલું કર્યા પછી આ નરાધમોએ બિલ્કિસ બાનુ પર એક પછી એકે બળાત્કાર કર્યો હતો. એટલે નોંધી લો કે સારા ખરાબ માણસો દરેક ધર્મમાં હોય છે. દરેક જાતિમાં હોય છે. ધર્મ જાતિ કે પ્રદેશ જોઈને ક્યારે ય કોઈ વિશે અભિપ્રાય ન બંધાય.

નફરત ફેલાવવી એ કેસરી ખેસવાળાનો ધંધો છે. એમ કરીને એ લોકો એમના રોટલા શેકે છે. માટે આજથી કેસરી ખેસવાળાઓથી સાવધાન ! એ બોલે છે ભારતમાતા કી જય પણ ભારત માતાને સૌથી વધુ નુકસાન એ લોકો જ કરે છે, દેશની એકતા તોડીને !

[સૌજન્ય : અનિલ સિનેજિયા, પૂર્વ એડિશનલ કલેક્ટર, 8 મે 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...156157158159...170180190...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved