Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અટક વગરનું નામ; સમતાવાદી સમાજના નિર્માણની દિશામાં એક કદમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 May 2025

રાજ ગોસ્વામી

આ વર્ષની આઈ.એસ.સી. (ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડની ધોરણ 12ની પરીક્ષામાં 100 ટકા, એટલે કે 400માંથી 400 માર્ક્સ સાથે ટોપ કરનારી કોલકત્તાની 17 વર્ષની વિદ્યાર્થિની સૃજની માત્ર તેના રિઝલ્ટના કારણે જ ચર્ચામાં નથી, પણ તેના નામને લઈને પણ જિજ્ઞાસાનું કેન્દ્ર બની છે. 

સૃજનીએ તેના નામ પાછળથી તેની અટક કાઢી નાખી છે. તેનાં માતા અને પિતા પણ અટકનો ઉપયોગ નથી કરતાં. સૃજનીનો પરિવાર માત્ર માનવતામાં માને છે અને તેને જ તેની જાતિ કે ધર્મ ગણે છે. સૃજનીની માતા ગોપા મુખર્જી પ્રોફેસર છે. તેમણે લગ્ન પછી નામની પાછળ પતિનું નામ કે અટક નથી લગાવ્યું. એવી જ છૂટ દીકરીને પણ છે. તેણે બોર્ડ પરીક્ષાના ફોર્મમાં ધર્મની કોલમમાં ‘હ્યુમેનિટી’ લખું હતું.

તેના પિતા દેવાશીષ ગોસ્વામી આઈ.એસ.આઈ.માં ગણિતજ્ઞ છે. તેમણે તેમની દીકરીઓને અટક પસંદ કરવાની છૂટ આપી હતી. દીકરીઓના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમણે તેમનાં નામો પાછળ અટક નોંધાવી નહોતી. માતા-પિતા બંને ધર્મ કે જાતિના આધારે માણસોનું વિભાજન કરવાની વિરુદ્ધમાં છે.

ભારત જેવા ધર્મ અને જાતિ આધારિત ઓળખાણોમાં તીવ્ર રીતે વહેંચાયેલા સમાજમાં, એક છોકરીની તેની અટકનો અસ્વીકાર કરવાની હરકત એક તાકાતવર સંદેશ છે. અલબત્ત, છોકરી લઘુમતીમાં છે અને બહુમતી સમાજ આને સ્વીકારે તેવો નથી, પરંતુ માણસ ધારે તો વ્યક્તિગત સ્તરે શું ક્રાંતિ કરી શકે છે તેનું આ નાનું પરંતુ નોંધપાત્ર ઉદાહરણ છે. તેની સરાહના થવી જોઈએ.

માત્ર ભારતમાં જ નહીં, પૂરી દુનિયામાં ધર્મ અને જાતિએ સમાજમાં વિભાજનો ઊભાં કર્યા છે અને તેના કારણે જ સંઘર્ષો અને ભેદભાવ પેદા થયા છે. માણસો તેમની ધાર્મિક કે જાતીય ઓળખાણોમાં સામુદાયિક ભાવનાનો અનુભવ કરે છે તે સાચું, પરંતુ તે સમાજમાં ઊંચ-નીચ અને બીજી અસમાનતાઓને પણ ઉચિત ઠેરવે છે.

અટક પરિવારના વારસાને ઈંગિત કરવા માટે અસ્તિત્વમાં આવી છે અને અટક પરથી પરિવાર કઈ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે તે પણ નક્કી થાય છે. તેમાં ધર્મ અને જાતિની ઓળખાણ તો બહુ પાછળથી જોડાઈ હતી.

લોકો પ્રાચીન સમયથી અટક રાખતા નહોતા. કહેવાય છે ચીન સૌથી પહેલી સભ્યતા હતી જેણે ત્રણ હજાર વર્ષ પૂર્વે વ્યક્તિનાં નામ પાછળ પરિવારનું નામ જોડવાનું શરૂ કર્યું હતું. વર્ષો સુધી તે નામ માતા તરફથી આવતું હતું. આજે, ચીન સહિત મોટાભાગના દેશોમાં અટક પિતા તરફથી આવે છે.

ભારતમાં પણ અટકનો ઇતિહાસ પ્રમાણમાં આધુનિક છે. પ્રાચીન સમયમાં લોકો નાનાં-નાનાં ગામડાઓમાં રહેતા હતા અને એકબીજાને સારી રીતે ઓળખતા હતા એટલે અટકની જરૂર નહોતી પડતી. સમય જતાં વસ્તી વધી, ગામડાં મોટાં થયાં અને બીજા ગામડાં સાથે સંપર્ક વધ્યો તે પછી એકબીજામાં તફાવત કરવા માટે અટકોની જરૂરિયાત ઊભી થઇ હતી.

દાખલા તરીકે, મહાભારતમાં સૌ પાત્રોનાં નામ એકલ છે. જેમ કે – કૃષ્ણ, કુંતી, યુધિષ્ઠિર, દુર્યોધન, દ્રૌપદી વગેરે. સમ્રાટ અશોકને આપણે અશોક મૌર્ય તરીકે નથી ઓળખતા. શિવાજીએ ક્યારે ય તેમની ભોંસલે અટક વાપરી નહોતી. મુઘલ રાજાઓની અટક શું હતી? કબીર કે તુલસીદાસનાં નામ પાછળ અટક નથી લાગતી.

ભારતમાં આ પદ્ધતિ અંગ્રેજો લઇ આવ્યા હતા. પહેલું નામ, વચલું નામ અને છેલ્લું નામ રાખવાથી અંગ્રેજોને ભારતીયોને વિવિધ જાતિઓમાં વર્ગીકૃત કરવામાં સરળતા રહેતી હતી. અંગ્રેજો આવતાં પહેલાં રાજાઓ, વેપારીઓ, આધ્યાત્મિક પુરુષો અને સામાન્ય લોકો પહેલા નામથી જ ઓળખાતા હતા. યુરોપમાં વ્યક્તિને તેના વ્યવસાય, પિતા, સ્થાન કે હોદ્દા અનુસાર ઓળખવાની પદ્ધતિ છે. અંગ્રેજો એ જ રીત અહીં લઇ આવ્યા.

એ વાતમાં તથ્ય છે કે સામૂહિક જીવન જીવવાની સહુલિયત માટે અટકો અસ્તિત્વમાં આવી હતી, પરંતુ તેમાંથી અંદરોઅંદર સંઘર્ષોનો પણ જન્મ થયો. પ્રાચીન સમયમાં ધાર્મિક કે જાતિય ઓળખો પરથી એટલી હિંસા થતી નહોતી જેટલી આજે થાય છે. અંગ્રેજોએ જ જાતિને અલગ કરવા માટે અટકોને પ્રોત્સાહન આપ્યું હતું. 

સામાજિક સંઘર્ષો મૂળભૂત રીતે ઓળખના સંઘર્ષો છે. એવો એક પણ સમાજ નથી જેમાં એક યા બીજી રીતના તનાવ ન હોય. તેના મૂળમાં સામુદાયિક ઓળખ છે, કારણ કે દરેક સમુદાયની માન્યતાઓ, જીવન રીતો અલગ અલગ હોય છે અને બધા પોતાને ચડિયાતા માને છે. 

ધર્મનું મૂળ કામ તો પ્રાકૃતિક જગતને બોધગમ્ય બનાવવાનું અને માનવીય જીવનને અર્થ આપવાનું હતું, પરંતુ જેમ જેમ વિજ્ઞાને પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાની જવાબદારી સંભાળી એટલે ‘નવરા’ પડેલા ધર્મોએ સામાજિક બાબતોમાં દખલ શરૂ કરી અને અંતે તે મનુષ્યોને વિભાજીત કરીને ટકરાવ ઊભો કરવા લાગ્યો.

એટલા માટે જ માનવતાને ધર્મ તરીકે ઘોષિત કરવાના ઇતિહાસમાં ઘણા પ્રયાસો થયા છે કારણ કે તેમાં સમુદાયોની પૃથક ઓળખો સમાપ્ત થઇ જાય છે અને સમાનતાની ભાવના પેદા કરે છે. છેક 18મી સદીમાં ઓગસ્ટ કોમ્ટે નામના ફ્રેંચ ચિંતક અને લેખકે રીલિજિયન ઓફ હ્યુમેનિટી (માનવતાનો ધર્મ) નામના એક બિનસાંપ્રદાયિક ધર્મની સ્થાપના કરવાનો વિચાર આપ્યો હતો.

પાછળથી યુરોપ અને અમેરિકામાં ઘણા લોકો પર આ વિચારનો પ્રભાવ પડ્યો હતો, જેમાંથી નૈતિક સમાજ અને સંસ્કૃતિનો ખ્યાલ પ્રચલિત થયો હતો. માનવતા એ શ્રેષ્ઠ ધર્મ છે એવું તમામ ધર્મો કહે છે, પરંતુ ઓળખોના આધારે વિભાજીત મનુષ્યએ તેને માનવતા વિરોધી કરી દીધો છે. 

ભારતમાં તમિલનાડુમાં 20મી સદીના પ્રારંભે સ્વાભિમાન અંદોલનના ભાગ રૂપે અટકોને ત્યજવાનું શરૂ થયું હતું. તેના આગેવાન પેરિયર ઈ.વી. રામાસામી માનતા હતા કે અટકો જાતિ વ્યવસ્થાનું રક્ષણ કરવાનું કામ કરે છે, તેને ત્યજવાથી સમાન સમાજનું નિર્માણ થશે (તેમની અટક નાઈકર હતી, અને પેરિયરે તેને પડતી મૂકી હતી. પેરિયર એટલે ‘વડીલ’, આપણે ત્યાં ‘મોટા’ કહીએ છીએ તેવું ).

મહાભારતમાં એવું કહેવામાં આવે છે કે ધર્મનો સાર એ વાતમાં છે કે પોતાની આત્માને દુઃખ પહોંચાડે તેવો વ્યવહાર બીજા સાથે ન કરવો જોઈએ. 

તેનાથી મોટો ધર્મ બીજો શું હોય! ધર્મનો અર્થ થાય છે – સ્વભાવ. જેમ કે પાણીનો સ્વભાવ શીતળતા છે, વાયુનો સ્વભાવ કોમળતા છે, ધરતીનો સ્વભાવ કઠોરતા છે, વગેરે. તેવી જ રીતે મનુષ્યનો સ્વભાવ માનવતા છે. ધર્મના નામ પર લોકો મરવા-મારવા તૈયાર થઇ જાય છે, પરંતુ જો મનુષ્ય જ નહીં બચે તો ધર્મનું શું કરવાનું?

(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 મે 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ઑપરેશન સિંદૂર’ના આ શહીદોને સલામ !

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|12 May 2025

‘કહાં ગયે યે લોગ?’ – એવો સવાલ થયા કરે છે.  

લડાઈની વાતો બધે જ પૂરજોશથી ચાલી. પણ જે ખરેખર લડી રહ્યા છે, સરહદ પર ઘાયલ થઈ રહ્યા છે, જાનની બાજી લગાવી રહ્યા છે, માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરી રહ્યા છે તેમના વિશેની માહિતી  વીણવી પડે એમ છે. 

ટી.આર.પી. થકી ટંકશાળ માટે ભૂખી વિઘાતક ચૅનલો તો છેલ્લી પાટલીએ બેસીને વિશ્વસનિયતા ગુમાવી ચૂકી છે. અખબારોમાં શહીદોની વિઝિબિલિટી – કોઈ પણ હિસાબે નહીંવત છે.

સત્તાવાર પત્રકાર પરિષદોમાં આ વિગતો સાંભળવામાં આવી નથી. પણ છતાં એક યા બીજા સત્તાવાર સૂત્રો શહીદોની માહિતી આપી રહ્યા છે.

સવાલ એમને આપવામાં આવતા સ્ક્રીન ટાઇમ અને પ્રિન્ટ સ્પેસનો છે. ચૅનલો અને છાપાંએ ભારે નિરાશા કરી છે.

શક્તિશાળી રાજકીય વ્યક્તિઓ અને માથે ચડાવેલા સેલિબ્રિટિઝની તદ્દન એટલે શરમજનક રીતે વાહિયાત માહિતી માટે મહત્ત્વનો ટાઈમ  અને મહત્ત્વની સ્પેસ ફાળવવામાં આવે છે.

શહાદતોની માહિતી શેર કરવાની દાનત બોદી અને દંભી ચાંપદબાઉ વૉટ્સૅપિયા-ટ્વિટરિયા દેશભક્તોમાં નથી.

નાની ઉંમરમાં (કે કોઈપણ ઉંમરમાં) દેશ માટે કુરબાની આપનારા, ભર્યો સંસાર સમાજની હિફાઝત માટે છાંડીને જનારા આપણા સૈનિકોના બલિદાનની થઈ રહેલી ઉપેક્ષા ખૂબ નિંદનીય છે. 

અહીં એકઠી કરીને મૂકેલી વિગતો ધ્યાનથી વાંચતાં ઘણી બાબતો હૃદયને સ્પર્શી જાય તેના માટે દેશભક્ત હોવું અનિવાર્ય નથી. 

… … …

શહીદ લાન્સ નાયક દિનેશ કુમાર 

હરયાણાના પલવાલ જિલ્લાના ગુલાવટ  ગામના વતની એવા બત્રીસ વર્ષના લાન્સ નાયક દિનેશ કુમાર 7મે ના બુધવારે રાત્રે વીરગતિને પામ્યા. 

ભારતે ઑપરેશન સિંદૂર શરૂ કર્યા બાદ પાકિસ્તાને મંગળવારે લાઇન ઑફ કન્ટ્રોલ પાસેના વિસ્તારોમાં જોરદાર અનૈતિક હુમલો શરૂ કર્યો. તેનો સહુથી વધુ ભોગ બનનારા પૂંચમાં 12 નાગરિકો માર્યા ગયા અને દિનેશ કુમાર શહીદ થયા. 

ગુરુવારે બપોરે હજારો લોકોએ આપેલા ‘ઇન્ડિયન આર્મી જિંદાબાદ’ અને ‘દિનેશ કુમાર અમર રહે’ના નારાની વચ્ચે તેમના પાર્થિવ દેહને, ગામના રસ્તા પરથી સન્માનપૂર્વક અંતિમ યાત્રા બાદ, અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. 

દિનેશ કુમારનાં પત્ની સીમા, પલવલ જિલ્લા અદાલતમાં વકીલાત કરે છે. તેમણે સંભાર્યું કે તેમને પતિનો ફોન બુધવારે આવ્યો હતો, ગર્ભાવસ્થા દરમિયાન લેવાની દવાને કારણે તેમની આંખ ન ખૂલી અને વાત ન થઈ શકી જેનો તેમને જિંદગીભર રંજ રહેશે. 

સીમાબહેને એમ પણ કહ્યું કે તેમની સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો પણ લશ્કરમાં જશે. તેમના પિતા દયાચંદે જણાવ્યું કે પાંચ ભાઈઓમાંથી સહુથી મોટા દિનેશકુમારે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારથી જ સૈનિક બનવાનું નક્કી કર્યું હતું. 

તેમના બે ભાઈ જલંધર અને જબલપુરમાં અગ્નિવીર છે. તેમાંથી વીસ વર્ષના હરિ દત્તે કહ્યું કે મોટા ભાઈએ તેને પોતાને તેમ જ વિસ્તારના અનેક યુવાનોને લશ્કરમાં જોડાવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં.

ઉમદા માણસ દિનેશકુમાર વર્ષમાં બે વખત એક-એક મહિનાની રજા પર  ઘરે આવતા અને પૂરો સમય પરિવારની સાથે વીતાવતા. દિનેશકુમાર જે રાત્રે શહીદ થયા તે જ તારીખ 2014માં તેમના લશ્કરી ફરજ માટે પસંદગી પામવાની તારીખ હતી. 

* * * * *

શહીદ એમ. મુરલી નાઇક

લાઈન ઑફ કન્ટ્રોલ પરથી પાકિસ્તાનના હુમલામાં માત્ર 23 વર્ષના એમ. મુરલી નાઇક 9 મેના શુક્રવારે વહેલી સવારે શહીદ થયા. 

મુંબઈના ઘાટકોપરના કામરાજ નગરમાં રહેતાં તેમનાં માતાપિતા આંધ્ર પ્રદેશમાંથી આવીને વર્ષોથી બાંધકામ મજૂરી કરતાં હતાં. તેમનો એકનો એક દીકરો ડિસેમ્બર 2022માં અગ્નિવીરની પહેલી બૅચમાં પસંદ થયા બાદ તેઓ સત્ય સાઈ જિલ્લાના તેમના વતનનાં આદિવાસી ગામ કલ્લીથાન્ડમાં જઈને વસ્યાં.

તેઓ દીકરાને છેલ્લે છ જાન્યુઆરીએ તે પંદર દિવસની રજા પર આવ્યો હતો ત્યારે મળ્યા હતા. 851 લાઈટ રેજિમેન્ટના જવાન મુરલીએ તેનાં મા-બાપ સાથે છેલ્લે ગુરુવારે સવારે વીડિયો કૉલ પર વાત કરી હતી ત્યારે તે યુનિફૉર્મમાં હતા, અને રાતની ફરજ પરથી પાછા આવ્યા હતા.  

મુરલીના પર્થિવ દેહને બેન્ગ્લુરુના વિમાન મથકેથી રોડ માર્ગે વતનમાં લાવવાના રસ્તે અનેક ગામોના લોકોએ તેમને ભાવભરી અંજલિ આપી. મુરલીના અંતિમ સંસ્કાર આજે રવિવારે તેમના વતનમાં હજારોની મેદનીએ આપેલી વીરાંજલિ સાથે કરવામાં આવ્યા હતા. 

* * * * * 

શહીદ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિઆઝ

બૉર્ડર સિક્યુરિટી ફોર્સના સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિઆઝ લાઇન ઑફ કન્ટ્રોલ પર આર.એસ. પુરા સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ભારે ગોળીબારમાં 10 મેના શનિવારે શહીદ થયા. તેમની સાથેના છ જવાનો ઘાયલ થયા જે સારવાર હેઠળ છે. 

બિહારના છાપરા કસબાના વતની મોહમ્મદભાઈએ તેમના ભાણિયા મોહમ્મદ આફતાબ સાથે થોડા દિવસ પહેલાં અને તેમના ગામના મિત્ર અર્જુન રાય સાથે શુક્રવારે વાત કરી હતી જેમાં તેમણે પરિસ્થિતિ બહુ ગંભીર હોવાનું જણાવ્યું હતું. 

* * * * *

શહીદ સાર્જન્ટ સુરેન્દ્રકુમાર મોગા

ભારતીય હવાઈ દળના 36 વર્ષના સાર્જન્ટ સુરેન્દ્રકુમાર મોગા પાકિસ્તાની હુમલામાં શનિવારે ઉધમપુર ખાતે શહીદ થયા. પાકિસ્તાને છોડેલા ડ્રોન્સ ભારતીય સેનાએ તોડી પાડ્યાં. પણ તે વખતે તેનો કાટમાળ સુરેન્દ્રકુમાર પડતા તેમનું મૃત્યુ થયું.

ચૌદ વર્ષથી વાયુસેના સાથે જોડાયેલા સુરેન્દ્રકુમાર મૂળ બેન્ગલુરુની 36 વિન્ગના મેડિકલ આસિસ્ટન્ટ હતા, જેઓ તાજેતરમાં ઉધમપુરના લશ્કરી હવાઈ મથકના દવાખાનામાં પોસ્ટ થયા હતા. પાકિસ્તાન શ્રીનગર, ઉધમપુર અને અવન્તિપુરના તબીબી કેન્દ્રો તેમ જ શાળાઓને નિશાન બનાવી રહ્યું હતું. 

રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના મેહરાદાસી ગામના રહેવાસી સુરેન્દ્રકુમારના પરિવારમાં તેમનાં માતુશ્રી નાનુ દેવી, પત્ની સીમા, 11 વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો છે. તેમણે બંધાવેલાં ઘરનું વાસ્તુ થોડા દિવસ બાદ થવાનું હતું.   

* * * * *

શહીદ સુબેદાર મેજર પવન કુમાર જરિયાલ

સુબેદાર મેજર પવન કુમાર જરિયાલે પૂંચ પર પાકિસ્તાને રાજૌરી સેક્ટરમાં કરેલા શેલિંગમાં શહાદત વહોરી. પચાસ વર્ષના પવન કુમાર 32 વર્ષની સેવા બાદ 31 ઑગસ્ટે નિવૃત્ત થવાના હતા. 

25 પંજાબ રેજિમેન્ટના આ સૈનિકે નિવૃત્તિ પહેલાંની આખરી પોસ્ટની પસંદગીની તકનો ઉપયોગ સરહદ પર દેશ માટે પ્રાણ આપવા માટે કર્યો ! 

આ માહિતી પવન કુમારના 75 વર્ષના પિતા ગરજ સિંગે આપી જેઓ પંજાબ રેજિમેન્ટના જવાન તરીકે નિવૃત્ત થયા હતા.

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના શાહપુર ગામના વતની પવન કુમારના પરિવારમાં તેમના માતાપિતા, પત્ની તેમ જ યુવાન દીકરા અભિષેક અને દીકરી અનામિકાનો સમાવેશ થાય છે.

ધરમશાલામાં અભ્યાસ કરી રહેલા અભિષેકે કહ્યું કે પિતાજી તેને રોજ સવારે ‘ગુડ મૉર્નિન્ગ’નો મેસેજ કરતા, જે શનિવારે સવારે ન આવ્યો. 

* * * * *

શહીદ રાઇફલમૅન સુનિલકુમાર

જમ્મુ ઍન્ડ કશ્મીર લાઈટ ઇન્ફન્ટ્રીના રાઇફલમૅન સુનિલકુમાર આર.એસ. પુરા સેક્ટરમાં પાકિસ્તાને કરેલાં હુમલામાં શહીદ થયા. તેમના અંતિમ સંસ્કાર તેમના જમ્મુમાં આવેલા વતન ત્રેવામાં હજારો નાગરિકોએ આપેલી અંજલિ વચ્ચે સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવ્યા. 

‌‌‌‌—————————————————–

માહિતી : અનેક માધ્યમો  ∙ કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી
11 મે 2025
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુદ્ધ સમયે લોકશાહી ઉપર બોમ્બમારો?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 May 2025

હેમન્તકુમાર શાહ

લોકશાહીનો અર્થ ચૂંટાયેલા સભ્યોની જવાબદારી, સાચી માહિતીનો નાગરિકોનો અધિકાર અને વાણી સ્વાતંત્ર્ય જેવો પણ થાય છે. એ સંદર્ભમાં કેટલાક મુદ્દા:

(૧) પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી એટલે કે ત્યાંની લોકસભા યુદ્ધ સમયે ચાલુ હતી. ભારતમાં નહીં. ભારતમાં એનું ખાસ સત્ર થોડાક સમય માટે પણ બોલાવી શકાયું હોત પણ એવું કંઈ થયું નહીં. ભારતમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી લોકસભાની બેઠક બોલાવવાની માંગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ૨૮ એપ્રિલે પહેલી વાર એ માગણી કરેલી, પછી હમણાં પણ ફરી કરી. રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ એ માગણી કરી છે. પણ મોદી સરકાર હજુ તેને માટે તૈયાર નથી લાગતી. આ રાજાશાહી માનસિકતા છે, લોકશાહી નહીં. 

(૨) ચાલુ યુદ્ધે પાકિસ્તાનના સાંસદો ત્યાંની નેશનલ એસેમ્બલીમાં બોલે છે અને ત્યાંના વડા પ્રધાન પણ જવાબ આપે છે અને ચર્ચા થાય છે. આપણે ત્યાં લોકસભા અને રાજ્યસભા મળે તો એવું કશું થાય ને.

(૩) પહેલગામની ઘટના બન્યા પછી વિદેશ પ્રવાસ ટૂંકાવીને આવેલા નરેન્દ્ર મોદી સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેતા નથી અને જતા રહે છે બિહારમાં ચૂંટણી સભા સંબોધવા. જાણે કે તેમને અન્ય રાજકીય પક્ષો મહત્ત્વના લાગતા જ નથી! ચૂંટાયેલા સર્વોચ્ચ નેતા તરીકે તેમણે તેમાં હાજર રહેવું જોઈએ કે નહીં? 

(૪) ચાર દિવસના યુદ્ધ દરમ્યાન અનેક જુઠ્ઠાણાં ટી.વી. ચેનલો પર ચાલ્યાં. સાચી માહિતીનો અભાવ રહ્યો એ તો શસ્ત્રવિરામ થયો પછી વધારે ખબર પડી લોકોને. આવું જ પાકિસ્તાનમાં પણ થયું હોઈ શકે છે. એમ થાય છે જ દુનિયામાં બધે બધાં યુદ્ધો પહેલાં, યુદ્ધ દરમ્યાન અને યુદ્ધ પતે પછી પણ. યુદ્ધ થાય એટલે અસત્ય હાવી થઈ જાય. અને હા, ભારતમાં માહિતી અધિકાર કાયદા હેઠળ લશ્કર પાસેથી ઝાઝી માહિતી મેળવી શકાતી નથી. એ ગોપનીય ગણાય છે. લશ્કર કહે તે માનવાનું. જેવા દાવા ભારત કરે છે એવા જ દાવા પાકિસ્તાન પણ કરે છે. બંને બાજુ નાગરિકો માટે સાચી માહિતીનો દુકાળ પ્રવર્તે છે. 

(૫) ભયંકર અસત્ય બોલનારી ટી.વી. ચેનલો પર ભારત સરકારે કોઈ જ પગલાં ભર્યાં નહીં. શું એ સરકાર જાણતી નહોતી કે પછી સરકારની મીઠી નજર હતી એમના પર? હવે ભરી શકે? 

(૬) ચાર દિવસના યુદ્ધ દરમ્યાન ભારતમાં એક પણ મહત્ત્વના રાજકીય નેતા દ્વારા એટલે કે વડા પ્રધાન કે સંરક્ષણ પ્રધાન દ્વારા કે પછી ગૃહ પ્રધાન દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી નહિ. લશ્કરી અધિકારીઓ કે વિદેશ સચિવ દ્વારા જ એ કામ થયું. લોકો નેતાઓને ચૂંટે છે, એ અધિકારીઓ લોકોના પ્રતિનિધિઓ નથી. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઈ જવાબદારી ખરી કે નહીં? 

યુદ્ધો લોકશાહી ઉપર પણ બોમ્બમારો કરતાં હોય છે એ સમજવાની જરૂર છે, જેમને લોકશાહીની ચિંતા હોય એમણે. 

તા.૧૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...153154155156...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved