Opinion Magazine
Number of visits: 9569216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુત્વાકર્ષણનાં વમળો

સુરેશ જાની|Opinion - Opinion|7 June 2022

ભલે આઈઝેક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હોય, અને આઈન્સ્ટાઈને એમાં મહત્ત્વનાં અને દૂરગામી ફેરફારો સૂચવ્યા હોય; આઈન્સ્ટાઈનની પરિકલ્પના મુજબનાં ગુરુત્વાકર્ષણનાં ખરેખર અસ્તિત્વ ધરાવતાં વમળો શોધી કાઢવામાં વડોદરાના, તરવરિયા તોખાર જેવા, ૨૭ વર્ષના એક છોકરડાએ બહુ જ મહત્ત્વની મદદ કરી છે. ડો. કરણ જાની અમેરિકાના પેન્સિલ્વાનિયા રાજ્યની સંસ્થામાં આ અંગે સંશોધન કરતી ટીમનો એક સભ્ય છે, અને આ શોધમાં તેનું બહુ જ મોટું પ્રદાન છે. આ સંસ્થાએ ૨૦૧૬માં  ગુરુત્વાકર્ષણનાં વમળો અંગે રજૂ કરેલ સંશોધન લેખથી ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ખળભળાટ મચી જાય તેવાં, વમળો સર્જાયાં છે. કિરણ તે લેખનો સહ-લેખક છે, અને આ માટે તેને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રનું પહેલું ઈનામ આપવામાં આવ્યું છે.

કરણ વડોદરાની શ્રેયસ વિદ્યાલયનો વિદ્યાર્થી હતો. ૨૦૦૬માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ભૈતિકશાસ્ત્રમાંથી બી.એસ.સી. કર્યા બાદ તે અમેરિકાની પેન્સિલ્વાનિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી ખગોળ વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર અને ખગોળને લગતા ભૌતિક શાસ્ત્ર વિષયોમાં સ્નાતક થયો હતો. તેને ડોકટરેટની પદવી એટલાન્ટા ખાતેની જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેકનોલોજીમાંથી મળી હતી.

સપ્ટેમ્બર – ૨૦૧૫માં બે ‘બ્લેક હોલ’ની ટકકર અંગે કરણે વિચારો વ્યક્ત કર્યા હતા, અને પછી આવી અથડામણ માટે આઈન્સ્ટાઈનનાં સમીકરણો વાપરી સુપર કોમ્પ્યુટરમાં એલ્ગોરિધમ બનાવી અમુક તારણો કાઢ્યાં હતાં. બહુ જ આશ્ચર્યજનક રીતે અવકાશમાંથી જવલ્લે જ પકડી શકાતાં કિરણોમાંથી તારવાતાં અવલોકનો સાથે આ તારણો બહુ જ સામ્ય ધરાવતાં હતાં.

પોતાના કિશોરકાળ અંગે કરણ કહે છે –

તે વખતે ‘વિજ્ઞાન શું છે?  તેનો બહુ જ ધૂંધળો ખ્યાલ મને હતો. ચોપડીઓમાંથી ગોખી ગોખી, સારા માર્ક મેળવી ઘર, મિત્રો અને નિશાળમાં પ્રશંસા મેળવાય, તે સિવાય કશો ઊંડો વિચાર મને ન હતો. પણ ૧૬ વર્ષની ઉમરે જ્યારે વિજ્ઞાનના શિક્ષકે કહ્યું કે, ‘અનંતનો ખ્યાલ આવ્યા વિના બ્રહ્માંડનાં રહસ્યો ન સમજી શકાય.’ તે રાતે હું આકાશના તારા સામે કલાકો સુધી જોતો જ રહ્યો.

એ ઘડીથી મને ખગોળ અને ભૌતિક શાસ્ત્રોમાં રસ પડવા લાગ્યો. વધારે ઊંડાણથી આ બધું સમજવા મેં જ્યોતિષીઓ, ગુરુઓ અને વિજ્ઞાનના અધૂરા જ્ઞાનવાળા, નિષ્ણાતોનો સહારો પણ લીધો હતો. આ વિષયમાં આગળ અભ્યાસ ન કરવા મારી ઉપર બહુ જ દબાણો પણ આવવા માંડ્યા. ડોક્ટર કે એન્જિનિયર થયા વિના કાંઈ શુક્કરવાર ન વળે – એમ મને કહેવામાં આવતું. બી.એસ.સી. કર્યા બાદ બહુ બહુ તો હું એમ.બી.એ. થયો હોત અને સામાન્ય કારકીર્દિમાં ફસાઈ ગયો હોત.  અમેરિકા આવીને એના ઊંડાણોમાં મેં ડૂબકી લગાવી ત્યારથી હું એનો આશક બની ગયો.

પેન યુનિવર્સિટીના ગુરુત્વાકર્ષણનાં વમળોના કેન્દ્રના ડિરેક્ટર ડો. અભય અષ્ટેકર સાથેના સંવાદોના પ્રતાપે અને પેન યુનિવર્સિટીના ઊંડા અભ્યાસ અને સંશોધનની લગનના માહોલમાં અવકાશના ઊંડાણોમાં કરણ તણાતો જ રહ્યો, તણાતો જ રહ્યો. NASA દ્વારા આવા કિરણો પકડી પાડવા દૂર અવકાશમાં મોકલેલા સેટેલાઈટના પ્રોજેક્ટમાં પણ કરણે મદદ કરી હતી. આઈનસ્ટાઈનના ગુરુત્વાકર્ષણ અંગેના સિદ્ધાન્તોમાં કરણને વધારે ને વધારે રસ પડવા લાગ્યો અને બીજા વર્ષની ઉનાળુ વેકેશનમાં તેને જર્મનીની આલ્બર્ટ આઈનસ્ટાઈન ઇન્સ્ટિટ્યૂટમાં ટૂંકા ગાળાનો અભ્યાસ કરવાની તક મળી. ત્રીજા વર્ષે તો કેનેડાની(Perimeter Institute for Theoretical Physics)માં ‘બ્લેક હોલ’ અંગે સંશોધન કરવાનો લ્હાવો પણ  કરણને મળ્યો. એ સંસ્થાના ડિરેક્ટર વિશ્વ વિખ્યાત સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાની સ્ટિફન હોકિંગ છે. કરણ ગર્વથી કહે છે કે, આ વિભૂતિ સાથે એક દિવસ સવારનું જમણ લઈ હું અભિભૂત બની ગયો. લુઇસિયાનાની LIGO નામની વિશ્વ વિખ્યાત સંસ્થામાં પણ કરણે થોડોક વખત સંશોધનનું વધારે ઊંડાણનું કામ કર્યું.

પણ જેમ જેમ આ બાબત કરણ વધારે ને વધારે ઊંડાણમાં ઊતરતો ગયો, તેમ તેમ તેને આઈન્સ્ટાઈનનાં સમીકરણોને સુપર કોમ્યુટર પર વાપરી, ‘બ્લેક હોલ’ના સંશોધન વિશે લેબોરેટરી અને સેટેલાઈટોમાંથી મળતી માહિતીને સૈદ્ધાંતિક પીઠબળ આપવાની તાતી જરૂર સમજાવા લાગી. આ નવી દિશા જ કરણને આટલી મહાન સિદ્ધિના રાજમાર્ગ પર દોરી ગઈ. આઈન્સ્ટાઈનના કાગળ પર  લખેલા સમીકરણો સમજનારા પણ બહુ જ ઓછા છે, એનો એલ્ગોરિધમ બનાવવો એ તો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે !

ભારતમાં પણ કરોડો પ્રકાશ વર્ષ દૂરથી આવતાં કિરણોનું સંગીત સાંભળવા મથતા અને આવું સંશોધન કરતી સંસ્થા છે – તે જાણીને આપણે ગૌરવની લાગણી સાથે વિરમીએ.

વીડિયો : https://www.youtube.com/watch?v=3JOlYTpV7Xo

સાભાર   –   The Better India, Promote science

સંદર્ભ

http://www.thebetterindia.com/102154/karan-jani-gravitational-waves-research/

http://cgwp.gravity.psu.edu/news/

http://www.gw-indigo.org/tiki-read_article.php?articleId=94

આવાં વમળોના કિરણો પકડી સંશોધન કરતી લુઇસિયાનાની સંસ્થા (LIGO )અંગે –

https://en.wikipedia.org/wiki/LIGO

Loading

‘લોકપ્રિયતા’નું આટલું સાંકડું અર્થઘટન ?

નિસર્ગ આહીર|Opinion - Literature|7 June 2022

દિવ્યાશાબહેન ડી. દોશીની ફેઈસબૂક દિવાલે 16 ફેબ્રુઆરી 2018ના રોજ મૂકાયેલો આ લેખ ફેર-ભ્રમણ કરી રહ્યો છે. એમના સૌજન્યે અહીં સાદર છે. દિવ્યાશાબહેન કહે છે, ‘સાહિત્ય રસિકોએ નિસર્ગ આહીરનો આ લેખ વાંચવા જેવો છે’ –

હમણાં એક ‘લોકપ્રિય’ વક્તાએ મંચ પરથી કહ્યું કે તમારે લોકપ્રિય થવું હોય તો છાપામાં કૉલમ લખતા થાવ. આ જ વક્તાને કહેતા સાંભળ્યા છે કે ઘણા ગુજરાતી લેખકો એવું લખે છે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે છે. આ વક્તાની જેમ એક ‘લોકપ્રિય’ બહેન છે, જે વ્યંગમાં કહે છે કે અમે તો લોકપ્રિય છીએ, અમારાં આટલાં બધાં પુસ્તકો વેચાય છે, પણ અમે સાહિત્યકાર ન ગણાઈએ …

આવું સાંભળીને કોઈ પણ સાહિત્યરસિકને દુઃખ થાય એ સ્વાભાવિક છે. આજના આવા ‘લોકપ્રિય’ ગુજરાતી લેખકોએ સાહિત્યની સામે જાણે કે છૂપો મોરચો માંડ્યો છે. જોનાર તો એવું પણ જોઈ શકે કે આવી લોકપ્રિયતા એમને વરેલી નથી, પણ ઉઘરાવેલી છે, અથવા તો જાતે સ્થાપેલી છે. એક અર્થમાં એમને સ્વસ્થાપિત લોકપ્રિય લેખકો કહી શકાય. તેઓ સ્માર્ટ છે, એટલે, જાતજાતની સ્માર્ટનેસ દ્વારા તેઓ માર્કેટિંગ કરે છે. ખૂબ મોટી ફી લઈને વ્યાખ્યાન આપવા જતા આવા લોકપ્રિય લેખકો કે વક્તાઓ પછી ગુજરાતી ભાષા અને સાહિત્યની ચિંતા જાહેરમાં કરે ત્યારે બહુ જ વરવા-વિકૃત લાગે છે. જો ખરેખર ગુજરાતી ભાષાસાહિત્યની ચિંતા હોય તો એમણે કશી ફી લીધા વિના જ વ્યાખ્યાન આપવાં જોઈએ, સમગ્ર ગુજરાતમાં ભાષાસજ્જતા માટેનાં વ્યાખ્યાન આપવાં જોઈએ. એમણે નોંધવું જોઈએ કે કશું પણ આર્થિક યોગદાન લીધા વિના, ખૂબ મહેનત કરીને ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કામ કરનારા ઘણા બધા સાહિત્યકારો છે જ. વિદ્યાતપ માટે આખી જિંદગી ખર્ચી નાખે છતાં ન લોકપ્રિયતાની ખેવના રાખે, ન આર્થિક ઉપાર્જનનો ધખારો. તેઓ તો પોતાનું કર્તવ્ય જાણીને સાહિત્યપદાર્થ માટે સતત કર્મરત રહેતા હોય છે. નિસબત જ એમની મૂડી છે.

સાહિત્યના સંદર્ભે ‘લોકપ્રિય’ શબ્દ ખરાબ નથી જ. કોઈ પણ સાહિત્યકારની ખેવના હોય કે એમનું સર્જન વધારે ને વધારે લોકો સુધી પહોંચે. પરંતુ, માત્ર લોકોને પ્રિય હોય એવું જ લખવું એમ કોઈ સાહિત્યકાર નક્કી કરે તો તે વેપારી કહેવાય. કેમ કે, સાહિત્યકાર એક સાંસ્કૃતિક પ્રતિનિધિ પણ છે. એણે લોકોનાં રસ અને રુચિ ઘડવાનાં હોય છે. એટલે, લોકો ઈચ્છે તેવું તે ન લખે, પણ ઉત્તમતા તરફ લોકોને દોરી જાય. સાહિત્યકાર લોકોનો છેદ પણ ન ઉડાડે. કારણ કે, કોઈ પણ લેખન આખરે તો ભાવન માટે જ રચાતું હોય છે. ‘હું તો મારા માટે જ લખું છું. લોકોને સમજવું હોય તો સમજે’ એવી ગર્વોક્તિ સાહિત્યકારને ન જ શોભે. ભાવક ચોક્કસપણે સર્જનના કેન્દ્રમાં હોય જ છે. પરંતુ, ખરો લેખક એ છે જે લોકોની સમજ અને સજ્જતાને પણ સંકોરે. સર્જકે પોતાના સ્થાનથી નીચે ઉતરીને માત્ર લોકપ્રિય થવા માટે તાયફા કે નાટક ન કરવાનાં હોય.

એક ચિંત્ય મુદ્દો છે કે ગુજરાતમાં અત્યારે એક પ્રકારનો નીઓ-રિચ વર્ગ ઊભો થઈ રહ્યો છે. તેઓ પોતે કલારસિક છે એમ એમને દર્શાવવું છે, પણ કલા વિશેની એમને ઝાઝી ગતાગમ નથી. કલા એક અત્યંત ગંભીર અને જવાબદારીપૂર્ણ પ્રવૃત્તિ છે એમ તેઓ નથી જાણતા. તેઓ સાહિત્યરસિક અને સંગીતરસિક છે એમ ગાઈવગાડીને કહેવા માગે છે. એટલે, મોટી રકમ લઈને યોજાતા સંગીત-સમારંભોમાં, વ્યાખ્યાનોમાં હાજરી પૂરાવી આવે છે. એમની સાહિત્યની સમજ પેલા મીડિયોકર લોકપ્રિય વક્તાએ કહેલી સપાટી પરની ચબરાકીપૂર્ણ વાતો સાથે પૂરી થઈ જાય છે. આવા શ્રોતાઓ કશું જ ગંભીર પચાવી શકે તેમ નથી. કેમ કે, કલા એમને માટે પ્રેમ નથી, પ્રદર્શન છે. ગુજરાતીભાષી આવો મીડિયોકર વર્ગ વધી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. આવા પૈસાપાત્ર લોકોની ભાવનાને પોષીપોષીને લોકપ્રિય થનારા વક્તાઓ અને લેખકોની સંખ્યા વધી રહી છે તે એક સાંસ્કૃતિક કટોકટી કહી શકાય. ગુજરાતી સાહિત્યકારો વિશે પૂછવામાં આવે તો મીડિયોકર લોકો એવા સ્વસ્થાપિત લેખકો-વક્તાઓ સિવાયનાં બીજાં નામ નહિ આપી શકે. આવી સ્થિતિને શું કહીશું ? ગોવર્ધનરામ, લાભશંકર ઠાકર, રાજેન્દ્ર શાહ, સુરેશ જોષી, મધુ રાયનાં તો તેમણે નામ પણ નહિ સાંભળ્યાં હોય !

માણસ જે રીતે આઈસક્રિમ પાર્લરમાં આઈસક્રિમ ખાઈને બહાર આવે એવી રીતે એવા લોકો લોકપ્રિય વક્તાના વ્યાખ્યાનમાંથી બહાર આવે છે. શ્રોતા અને વક્તા બન્ને ખુશ હોય છે. વક્તાને મોટી રકમ મળે છે, શ્રોતાને ‘સંસ્કારી’ હોવાનો સંતોષ મળે છે. આઈસક્રિમ થોડા સમયની મજા માટે હોય છે એમ એવાં વ્યાખ્યાન પણ થોડા સમયની મજા માટેનાં હોય છે. શબ્દરમત, ચબરાકીપૂર્ણ વાત, થોડા જોક્સ, સામે બેઠેલા લોકો સાથે પોતાને અંગત સંબંધ છે એ રીતે એમને સંડોવીને ખુશ કરવાની કે મુજરો ભરવાની ચાલાકી, પોતાના વિશેની આપવડાઈઓ, તાળીઓ ઉઘરાવવા માટે જ ઈરાદાપૂર્વક બોલવામાં આવતી પંચ લાઈન્સ, થોડાક વિદેશના અનુભવો, થોડાક વિદેશી લેખકોનાં અવતરણો – આવીઆવી લોકપ્રિયતા માટેની ચાવીઓ એમણ હસ્તગત કરી લીધી હોય છે. કોઈ તાજા વિચાર, કોઈક વિક્ષુબ્ધ કરી નાખે એેવી વાત, વિચારતા કરી મૂકે એવા વિષયો, મૂંઝવી નાખે એવા પ્રશ્નોને લોકપ્રિય લેખનમાં કે વક્તવ્યમાં સ્થાન નથી હોતું. એમાં તો શ્રોતાને, એ રિસાઈ ન જાય એ રીતે પંપાળવાનો હોય છે, કે જેને કારણે પોતાનો વેપાર બંધ ન થઈ જાય. સ્માર્ટનેસ એટલી કે મીડિયોકર લોકોને મમળાવવા ગમે એવા વિષયો પર જ વાત કરવાની – કૃષ્ણ, રામાયણ, મહાભારત, લગ્ન, પ્રેમ, સૅક્સ, સફળતા, ગાંધીજી, સરદાર પટેલ, યુવાનો, યુવાનોની કારકિર્દી વગેરે એમના પ્રિય વિષયો છે.

કોઈ પણ સાહિત્યપ્રેમીએ એ સમજી લેવાની જરૂર છે કે સાહિત્ય માનવે સિદ્ધ કરેલી ઉત્તમ પ્રકારની સાંસ્કૃતિક ઉપલબ્ધિ છે. એ ઉપલબ્ધિને ઊર્ધ્વગામી કરવાની હોય, નિમ્ન નહિ. એટલે, શબ્દવૈભવ, વાક્યસંરચના, લય-લહેકા-કાકૂનું સૌંદર્ય, અલંકારો, પ્રતીકો, ધ્વનિ, વ્યંજના, પદાન્વય એવી ભાષાકીય ઉપલબ્ધિનો સમુચિત ઉપયોગ કરવો જ રહ્યો. સાહિત્યની ભાષા વ્યવહારની ભાષાથી ભિન્ન છે એવું લોકોને સમજાવું જોઈએ. વ્યવહાર ચલાવવા માટે તો બસો-પાંચસો શબ્દો જ પૂરતા છે. પણ પેલા સમાનાર્થી શબ્દોની દીર્ઘ આવલિ હોય તો તે આપણી ઉપલબ્ધિ છે. સરળતાનું સૌંદર્ય ચોક્કસ હોય છે, પરંતુ અર્થઘન સાહિત્ય માટેની અનેક પ્રયુક્તિઓનો પણ મહિમા કરવો જ રહ્યો. એનો ઉપહાસ ન હોય. ભારતીય કાવ્યશાસ્ત્ર ધ્વનિ, અલંકાર, રસ ઈત્યાદિ વિશેની એક અત્યંત સમૃદ્ધ સંપદા ધરાવે છે તેને અત્યારના ‘લોકપ્રિય’ શબ્દથી હાનિ પહોંચી શકે છે. હજારો વર્ષની ભાષાકીય કે સૌંદર્યશાસ્ત્રીય પરંપરાને સમજ્યા વિના માત્ર લોકોને ગળચટ્ટી વાતો કરીને જે ‘લોકપ્રિય’ થવા મથે છે તે સમગ્ર ભાષાકીય પરંપરાના અપમાન સમાન છે. આપણે એટલું સમજી લઈએ કે સાહિત્યકારનું લોકપ્રિય હોવું એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ જે પોતાની ગરિમાથી નીચે ઉતરીને લોકોને રીઝવે છે તે તો હીન પ્રવૃત્તિ છે. સાહિત્યના સર્જકને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. લોકપ્રિય તો છે વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, તુલસી, કબીર, નરસિંહ વગેરે. લોકપ્રિયતા એ સારો જ શબ્દ છે, પરંતુ માત્ર લોકપ્રિય થવા માટે જ મથામણ કરવામાં આવે તો સાહિત્ય અને સમાજ માટે ચોક્કસપણે હીન પ્રવૃત્તિ કહી શકાય. જે લોકરુચિને ઘડીને સહજ સમાદર પામે તે જ લોકપ્રિય કહેવાય. આપણે ‘લોકપ્રિય’ શબ્દને લાંછન ન લગાડીએ તો સારું.

[સંપાદકીય, ‘શબ્દસર’ સામયિક; ફેબ્રુઆરી, ર૦૧૮]

Loading

શિક્ષણ એટલે શિક્ષણ સિવાયનું જ બધું ..,

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 June 2022

ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું. એમાં સુરતનું પરિણામ 87.52 ટકા આવ્યું. સુરતના A1, A2 ગ્રેડમાં પણ અનુક્રમે 643 અને 4,382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગોપી વઘાસિયા નામની રત્ન કલાકારની દીકરીએ 96.28 ટકા સાથે પ્રથમ રહી A1 ગ્રેડ મેળવ્યો છે. આ દીકરી સી.એ. બનવા ઈચ્છે છે. જેનાં માર્કસ 91-100ની રેન્જમાં છે તેને A1 અને 81-90ની રેન્જમાં છે તેને A2 ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. મતલબ કે સુરતમાં જ A1 ગ્રેડવાળા 643 વિદ્યાર્થીઓ એવા છે જેમના ઓછામાં ઓછા 91 ટકા તો આવ્યા જ છે ને એ જ રીતે A2 ગ્રેડવાળા 4,382 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 81 ટકા તો લાવ્યા જ છે. આ વખતે વિદ્યાર્થીઓ 84.67 ટકા પાસ થયા છે અને વિદ્યાર્થિનીઓ 89.23 ટકા સાથે 5 ટકા આગળ છે. પર્સન્ટાઇલ રેન્ક 99થી વધુ મેળવનાર 3,610 છે ને 98થી વધુ મેળવનાર 7,112 છે.

આ નમૂના દાખલ જ પરિણામ લીધું છે. વિદ્યાર્થીઓ હોંશિયાર છે ને ખૂબ મહેનત કરી A1 અને A2 ગ્રેડ મેળવે છે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે ને શિક્ષકો મહેનત કરાવે પણ છે ને સારી ટકાવારી મેળવે છે. 2021નું પરિણામ 100 ટકા આવ્યું તે માસ પ્રમોશનને કારણે, પણ છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછું પરિણામ 54.62 ટકા 2016માં આવ્યું. આ પરિણામ કેમ ઓછું આવ્યું તે નથી ખબર, કારણ પરીક્ષા પદ્ધતિ જ એવી છે કે પરિણામ ઉચ્ચ ટકાવારીમાં સહેલાઈથી મેળવી શકાય. સુરતમાં 38,551 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 643 વિદ્યાર્થીઓ 91થી 100 ટકા વચ્ચે માર્કસ લાવ્યા છે. એમાં પણ સૂરતની એક જ સ્કૂલના 209 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે, એટલું જ નહીં, એ જ સ્કૂલના 125 વિદ્યાર્થીઓ એવા છે જેમને જુદા જુદા વિષયમાં 100માંથી 100 માર્કસ મળ્યા છે. એ સૌને અભિનંદનો જ ઘટે છે, પણ આટલા બધા ટકા પરિણામ આપીને શિક્ષણ વિભાગ કરવા ને કહેવા શું માંગે છે તે નથી સમજાતું. આ ટકા ખરેખર જ આવ્યા છે કે અપાયા છે તે આ તબક્કે નક્કી કરવાનું મુશ્કેલ છે. મોટી ટકાવારી દેખાડવાથી, એ દેખાડાય છે કે વિદ્યાર્થીઓ ખરેખર જ પાત્રતા ધરાવે છે? આ શંકા એટલે પડે છે કે 2020ની 10માંની પરીક્ષામાં એવું પણ બન્યું છે કે 80માંથી 26 માર્કસ પાસ થવા જોઈએ ને વિદ્યાર્થીને ગણિતમાં પાસ કરવા 21 માર્કસ ગ્રેસિંગના અપાયા હોય. રિઝલ્ટ સારું આપવાનું, ઊંચું આપવાનું, વધારે આપવાનું દબાણ ન હોય તો 5 માર્કસવાળાને 21 ગ્રેસિંગના ન અપાય. ન જ અપાય, પણ અપાય છે. એ નથી ખબર કે 5 માર્કસ સાચા છે કે 100? કદાચ બંને સાચા છે અથવા તો બંને ખોટા છે.

એમ લાગે છે કે મૂળ પરિણામ એ નથી જે બતાવાય છે. જે પરિણામ આવે છે તે ઓછું હોય છે. એટલું ઓછું પરિણામ ખરેખર જાહેર થાય તો ઘણી કોલેજોને તાળાં લાગે એમ બને. કોલેજો ભરાય એટલે પરિણામની ટકાવારી વધારવી પડે છે. ગ્રેડ વધારાય તો એડ્મિશનમાં સ્પર્ધાઓ વધે ને ચોક્કસ સીટ માટેની રકમ પણ વધે. આ બધું મેનેજ થાય છે, ક્રિએટ થાય છે, આ કુદરતી નથી. એમાં કેટલુંક સાચું ને સારું પણ હશે, પણ સાચું તો એ છે કે જે દેખાડાય છે તે સાચું નથી.

આ બધું કેમ થાય છે? એનો સાદો જવાબ છે, ધંધા માટે. કોલેજો ચાલે એટલે. મોટું પરિણામ ન અપાય તો છાશવારે ખૂલતી કોલેજો ભરાય નહીં, એડમિશન માટે સ્પર્ધા ન થાય તો વાલીઓની દોડધામ ને ખર્ચ વધે નહીં. એ પણ તપાસવા જેવું છે કે જે બોર્ડમાં ફર્સ્ટ આવે છે તે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે છે? બધાં ન આવે તે ખરું, પણ કોઈ જ ન આવે એવું તો ન હોય ને ! કોઈ અપવાદ હશે, બાકી હાયર સેકંડરીમાં ફર્સ્ટ આવનારા યુનિવર્સિટીમાં ઘણા પાછળ રહી ગયાના ઢગલો દાખલાઓ છે. કહેવાનું એ છે કે હાયર સેકંડરીનાં પરિણામો અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. જે પરીક્ષકો પેપરો તપાસે છે એમાંના કેટલા ટકા 96. 28 ટકા માર્કસ પોતે લાવ્યા છે એ તપાસીએ તો અપવાદ પણ જડે એમ નથી. એમને એ સવાલ નથી થતો કે કેવી રીતે એ આટલા માર્કસ મૂકે છે? એ માર્કસ સાચા છે કે ઉપજાવેલા છે? બને કે પેપર જ એવાં સેટ થતાં હોય કે 100માંથી 100 મેળવવાનું સહેલું થઈ પડે. એવું હોય તો આ પ્રકારની પરીક્ષાનું માળખું બદલાવું જોઈએ એવું નથી લાગતું? આ પરિણામોમાંથી બુદ્ધિનું, હોંશિયારીનું સાચું માપ નીકળે છે?

સવાલ એટલે છે, કારણ, બોર્ડમાં ને આખા ય શિક્ષણ વિભાગમાં જે ઉચ્ચ સ્થાને બિરાજે છે ને નિર્ણયો લે છે તે સાહેબો કોણ છે? તેમને શિક્ષણ સાથે કોઈ સંબંધ છે કે તે શિક્ષણ સિવાયની અન્ય કોઈ લાયકાતને કારણે એ સ્થાને છે? સાચું તો એ છે કે તમામ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દાઓ પર રાજકારણીઓ બિરાજે છે ને નિર્ણયો એવી વ્યક્તિઓ જ લે છે. આવડત ન હોય ને મંત્રી થયા હોય એવું ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે. શિક્ષણ જોડે લેવાદેવા ન હોય ને સાહેબ મંત્રી થઈ ગયા હોય તો સારું અકસ્માતે જ થાય એમ બને. કરુણતા એ છે કે એવી વ્યક્તિઓ પોલિસી નક્કી કરે છે ને પરિણામો આપે છે. એમાં ભલીવાર ન હોય તે સમજી શકાય એમ છે. યુનિવર્સિટીઓમાં નીમાતા કુલપતિઓ શિક્ષણને કારણે નહીં, પણ રાજકીય વગને કારણે જે તે પદ પર ગોઠવાયા હોય એ અશક્ય નથી. ગુજરાતની જ યુનિવર્સિટીના 11 કુલપતિઓ યોગ્યતા વગરના જ ઠઠાડી દેવાયાની વાત છાપે ચડી ચૂકી છે. આ પરિસ્થિતિએ અન્ય ક્ષેત્રોને કેટલું નુકસાન પહોંચાડ્યું તે તો નથી ખબર, પણ તેણે શિક્ષણની પથારી ફેરવી નાખી છે એમાં શંકા નથી. નવી શિક્ષણ નીતિમાં ઘણું જુદું છે ને સારું પણ છે, પણ એને અમલમાં લાવનારા લોકો રેઢિયાળ હોય તો તેનાથી શિક્ષણ નીતિમાં જે કૈં સારું છે તે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં ન પહોંચે એમ બનવાનું ને એ સંજોગોમાં શિક્ષણ નીતિ સારી કે નબળી હોય તેનાથી કોઈ ફરક નથી પડતો.

યોગ્ય વ્યક્તિ યોગ્ય પદે ન હોય તો શું થાય તેનો એક દાખલો જોઈએ. અમદાવાદની એક યુનિવર્સિટીના કુલપતિએ તેનાં સ્ટાફને ચાલુ નોકરીએ ફિલ્મ જોવા મોકલ્યા. આ રીતે 300 લોકો એક સાથે ફિલ્મ જોવા ગયા. વાત આટલેથી અટકી નહીં, બીજી એક ગુજરાતી ફિલ્મ જોવા પણ સ્ટાફના 100 લોકોને એ જ કુલપતિએ મોકલ્યા. ફિલ્મમાં સ્ટાફને હજારો રૂપિયાનું કન્સેશન પણ મળ્યું. સ્ટાફ માટે કોઈ સ્પોન્સર મળી ગયો. કુલપતિનું કહેવું છે કે આ ખર્ચ યુનિવર્સિટીમાં પડ્યો નથી ને જે સ્ટાફ ફિલ્મ જોવા ગયો તેણે અડધી રજા મૂકેલી. આટલી વાત કહીને કુલપતિ એમ માને છે કે બધું બરાબર છે. તેમને કશું ખોટું થયાનું લાગતું નથી. યુનિવર્સિટીની નોકરીના સમય દરમિયાન 100 જણાં સાથે ફિલ્મ જોવા જાય એ કઇ રીતે યોગ્ય છે? ભલેને અડધી રજા મુકાઇ હોય, પણ એ કયા હેતુસર મુકાઇ છે એ કુલપતિ જાણે છે, બલકે, એમની જાણમાં આ બન્યું છે. આવી રીતે એક સાથે રજાઓ મંજૂર કરાય એ યોગ્ય છે? એ દુ:ખદ છે કે યુનિવર્સિટીનો સ્ટાફ ફિલ્મ જોવા મોકલાય છે ને તેમાં કુલપતિને કશું ખોટું નથી લાગતું ને આવું આ પહેલી વખત નથી બન્યું. અગાઉ સ્ટાફના 300 સભ્યો આ જ રીતે ફિલ્મ જોવા થિયેટરમાં મોકલાયેલા. આવા કુલપતિ શિક્ષણનું કોઈ હિત જુએ છે એવું કઇ રીતે માનવું? એવું ઘણું બધું શક્ય છે કે સાહેબ, કોઈ રાજકારણીની ગુડ બુકમાં હોય ને એમણે જ એમને કુલપતિ તરીકે ગોઠવી દીધા હોય. ઔપચારિક્તાઓ પૂરી થઈ હોય, પણ શિક્ષણશાસ્ત્રીનું તેજ શોધવું પડે તો કુલપતિ કે અન્ય અધ્યાપક વચ્ચે ઝાઝો ફરક ન રહે. યુનિવર્સિટીનો કુલપતિ કે કોલેજનો આચાર્ય, વહીવટી કુશળતા ધરાવવાની સાથોસાથ જ જ્ઞાન, શિક્ષણ અને સંચાલનનું સહજ તેજ ન ધરાવતો હોય તો કોઈને પણ ગોઠવી દો તો ફરક પડતો નથી. તો, પછી કુલપતિ અને ક્લાર્કમાં કોઈ ફરક રાખવાનો કે ચોક્કસ રાજકીય વગ, એટલી લાયકાત જ કોઈને પણ માટે પૂરતી થઈ પડે?

શિક્ષણને સરકારે બહુ હળવાશથી લીધું છે. યુનિવર્સિટી કે શિક્ષણ વિભાગ કે અન્ય ક્ષેત્રોમાં લાયકાત એટલે રાજકીય ખુશામત એમ જ સમજવાનું છે કે બીજી કોઈ પાત્રતા પણ અપેક્ષિત છે? આ સદીની સૌથી મોટી નબળાઈ, શિક્ષણ અને તબીબી ક્ષેત્રમાં ઉત્તમતાનો, ગુણવત્તાનો આગ્રહ જતો કરાયો છે તે છે. એને કારણે ઓછી પાત્રતાવાળો ને વધુ વગવાળો શિક્ષક, આચાર્ય કે અધ્યાપક જે તે ક્ષેત્રના હેડ તરીકે ખપી જાય છે. ઉત્તમ શિક્ષકો, અધ્યાપકો, કુલપતિઓ નથી એવું નથી, પણ તેમની પાસે રાજકીય વગ નથી ને તેનાં વગર પણ તેમણે સ્વમાનથી રહેવું છે. તેમને શોધીને માનભેર યોગ્ય જગ્યાએ મૂકવાનું થાય તો જે બહુ નથી જાણતા એવા રાજકીય વગવાળા માણસો તુક્કાઓથી કામ કાઢે છે તેમાં ફેર પડશે. જે પોલિસી નક્કી થશે તેમાં દીર્ઘ દૃષ્ટિ હશે ને દેખાડા ને અખાડા ચાલે છે, તેને બદલે નક્કર ને સાચાં પરિણામો મળશે. આખા શિક્ષણ વિભાગ પર નજર કરશું તો તેનું તેજ હણાઈ ગયેલું લાગશે. હવે એવાં બોર્ડનાં કે યુનિવર્સિટીનાં 100માંથી 200 ટકા પરિણામ આવે તો પણ તેનાં પર ભરોસો પડવાનું અઘરું છે. તમામ ક્ષેત્રોમાંથી વિશ્વસનીયતા વિદાય લઈ રહી છે ને અફસોસ છે તે એનો છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જૂન 2022

Loading

...102030...1,4591,4601,4611,462...1,4701,4801,490...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved