Opinion Magazine
Number of visits: 9458900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યનું ભવિષ્ય અને ભવિષ્યનું સાહિત્ય – એક ટૂંકી નૉંધ

સુમન શાહ|Opinion - Literature|23 March 2022

સોશ્યલ મીડિઆ, તેની પાછળ બેઠેલું ઇન્ટરનેટ અને તેની પણ પાછળ બેઠેલી ટૅક્નોલૉજિએ સંક્રમણને વિશ્વવ્યાપી બનાવી દીધું છે. માનવસંસ્કૃતિના ઇતિહાસમાં એને અનેકગણી અપૂર્વ ઘટના ગણવી જોઈશે.

એનું મુખ્ય પરિણામ, ડિઝિટાઇઝેશન છે. ડિઝિટાઇઝેશન સામ્પ્રતમાં થઈ રહેલાં પરિવર્તનોનું ધ્યાનપાત્ર પરિબળ પણ છે.

ડિઝિટાઇઝેશનને કારણે મોટામાં મોટું પરિવર્તન પ્રકાશનક્ષેત્રે આવ્યું છે : હવે પ્રકાશન ઝડપી બન્યાં છે. હાથવગાં પણ થયાં છે – ક્લિક વારમાં વિનિમયો થઈ શકે છે. દાખલા તરીકે, આ લેખ ક્ષણાર્ધમાં વિશ્વના કોઈપણ ખૂણે પ્હૉંચી શકે છે.

ડિઝિટાઈઝેશનને કારણે પ્રકાશનો નવા જ સ્વાંગમાં રજૂ થવા માંડ્યાં છે. સાહિત્યને વિશિષ્ટ હેતુસર અન્ય લલિત કલાઓ સાથે જોડી શકાય છે. જેમ કે, શબ્દ માત્રને તેમ જ સાહિત્યના શબ્દ માત્રને ચિત્ર, ચલચિત્ર, સંગીત સાથે મૂકવાની સગવડ ઊભી થઈ છે.

એ સાયુજ્યથી પ્રગટેલાં પરિણામો આવાં કંઈક છે :

૧ : કૃતિની અર્થવત્તા : હવે જુદા જ સ્વાંગમાં દૃઢ થવા લાગી છે. સાહિત્યનો શબ્દ અર્થસૂચન અને વ્યંજના પરત્વે મૂલ્યવાન હતો જ, પણ તે હવે એવે રૂપે બહુમૂલ્યવાન બની ગયો છે.

૨ : સંક્રમણ : માણસ અભિવ્યક્ત થાય અને સામા વડે તેનું વક્તવ્ય ઝિલાય ત્યારે સંક્રમણનું વર્તુળ પૂરું થયું ગણાય. સામો માણસ પ્રતિભાવ આપે એટલે એ વર્તુળ વિસ્તરે. હવે સંક્રમણ ઝડપી થયાં છે, વેગીલાં. એથી પ્રતિભાવ સુલભ થયા છે, પ્રતિભાવ પણ ઝડપી થયા છે, એ પણ વેગીલા થયા છે. સંક્રમણ-વર્તુળનું વિસ્તરણ અને તેની ઝડપ – ઇમ્મિજ્યસિ – આપણા સમયનાં તમામ સંક્રમણોનું પ્રમુખ લક્ષણ છે.

૩ : ઝડપ : આ ઝડપને કારણે, આ વેગને પ્રતાપે, કેટલાક વિદ્વાનોને એમ લાગે છે કે સાહિત્યનું ભવિષ્ય ભયમાં છે. સાહિત્ય મરી રહ્યું છે. તેનો ક્ષય થવા માંડ્યો છે. આડકતરી રીતે, સાહિત્યના માધ્યમને – સાહિત્યની ભાષાને – પણ રોગ લાગ્યો છે. અને એ રોગ માતૃભાષા લગી વિસ્તર્યો છે. અને માતૃભાષા રોગગ્રસ્ત હોય ત્યારે તે, જે સંસ્કૃતિનો હિસ્સો હોય એ સંસ્કૃતિનું અસ્તિત્વ પણ હાલકડોલક થવા માંડે છે.

સાહિત્યવિચારના ક્ષેત્રે વિવિધ કારણોસર કર્તાનું મૃત્યુ, ભાવકનું મૃત્યુ તેમ જ સિદ્ધાન્તનું મૃત્યુ વિદ્વાનોએ અનુભવ્યું છે અને તેની ઘોષણાઓ કરી છે. હવે સોશ્યલ મીડિઆ અને ડિઝિટાઈઝેશનને કારણે સાહિત્યના મૃત્યુની ઘોષણા ઠેર ઠેર સાંભળવા મળે છે.

પણ અહીં વિવેક કરવાની અથવા જજમૅન્ટ લેવાની જરૂર છે :

૧ : ડિઝિટાઈઝેશનને લીધે જ લખનારા વધ્યા છે તેમ વાંચનારા પણ વધ્યા છે. જેઓ કશા સાહિત્યિક હેતુ વિના લખે છે તેમ કશા જ હેતુ વિના વાંચે છે બલકે જુએ છે, તે દૃશ્યને હું લિટરરી નહીં પણ સોશ્યલ વૅલ્યુ આપું છું. તેવા લેખકો અને વાચકોની હાજરીને હું સાહિત્યક્ષેત્રના અસ્તિત્વ માટે જરૂરી ગણું છું. તેઓને ‘કચરો’ ગણી કાઢવાથી ભૂલ થશે. તેઓ કંઈ નહીં તો સાહિત્યની સમીપે તો છે ! સંભવ છે કે એઓમાંથી જ કોઈ ખરો લેખક કે ખરો વાચક નીપજી આવે.

૨ : સોશ્યલ મીડિઆ અને ડિઝિટાઇઝેશનને કારણે સાહિત્યસ્વરૂપોનો નાશ નથી થયો, તેમાં પરિવર્તનો આવ્યાં છે, તેમાં નવા નવા ઉઘાડ થઈ રહ્યા છે; આત્યન્તિક લાગે તેવું ઉદાહરણ છે, ૬ શબ્દની વાર્તા.

હૅમિન્ગ્વેના નામે ચડેલી એવી એક રચના છે : ફૉર સેલ બેબી શૂઝ નેવર વૉર્ન : વેચવાના છે બેબીશૂઝ કદી નહીં પ્હૅરાયેલા : આમાં સ્ટોરી છે, સ્ટોરી પાછળ વેચનારનો હિસ્ટરી છે, હિસ્ટરીમાં સામાજિક પરિબળો છે. તે ઉપરાન્ત, રચના રસપ્રદ અને સુન્દર અનુભવાય છે. એમાં કલા છે.

૬ શબ્દની વાર્તાને ટૂંકીવાર્તાનો નાશ ગણવાને બદલે કથાસાહિત્યનો સીમાવિસ્તાર ગણવાની જરૂર છે. કથનકલાનો હું એમાં અર્ક જોઉં છું.

૧૯મી સદીમાં, ટૂંકીવાર્તાનો ઉદય થયો ત્યારે તે પોતે જ એક ઉઘાડ હતો, અને એણે નવલકથાના બહુપ્રશસ્ત ગૌરવને ઝાંખું પાડી દીધેલું. એકાંકીના પ્રાદુર્ભાવનો પણ એવો જ ઇતિહાસ છે. આ બન્ને ઉઘાડ વાચકતરફી હતા કેમ કે વાચકો પાસે બસો-ત્રણસો પાનાંની નવલકથામાં પરોવાયેલા રહેવાય એટલો સમય નહોતો.

કહેવાનો મતલબ એ છે કે જિવાતા જીવનનો ઇતિહાસ સાહિત્યને બદલે છે, તેના પ્રકારોને, તેની રીતોને, તેની પદ્ધતિઓને, બદલે છે. જિવાતું જીવન સાહિત્યકારને પણ બદલે છે. સાહિત્યની સમજને પણ બદલે છે.

+ + +

સાહિત્યનું ભવિષ્ય ભયમાં છે એમ કહેવાને બદલે હું એમ કહીશ કે ભવિષ્યનું સાહિત્ય ઘડાઈ રહ્યું છે.

સાહિત્યના ઇતિહાસમાં ક્લાસિસિઝમ, ન્યૂ ક્લાસિસિઝમ, રોમાન્ટિસિઝમ, મૉડર્નિઝમ, પોસ્ટ મૉડર્નિઝમ એમ ઉત્તરોત્તર તબક્કા સંભવ્યા છે. એ ઇતિહાસનો એક સાર એ છે કે સાહિત્ય ક્રમે ક્રમે વ્યાપક થયું; માત્ર સહૃદયભોગ્ય ન રહ્યું, વાચકભોગ્ય થયું.

કૅનન્સને શંકાદૃષ્ટિથી જોવાનું શરૂ થયું. એટલે કે સાહિત્ય વિશેના કોઈ સર્વસામાન્ય કાયદાને સિદ્ધાન્તને, કોઈ સિદ્ધ મતાગ્રહને કે કોઈ પ્રસિદ્ધ સમીક્ષાને વિશે પ્રશ્નો થયા.

સાથોસાથ, ગ્રાન્ડ નૅરેટિવ્ઝને વિશે પ્રશ્નો પણ થયા – જેમ કે, શા માટે નાટ્યકારે ગ્રીક ટ્રેજેડીના સ્વરૂપને કે કૉમેડિના સ્વરૂપને કે તે-તેની ઍરિસ્ટોટલ-કથિત વ્યાખ્યાઓને વળગી રહેવું જોઈએ? કેમ કે આધુનિક મનુષ્યના જીવનમાં ટ્રેજેડિ કે કૉમેડી અકબંધ નથી રહ્યાં. બૅકેટે પોતાના નાટક ‘વેઇટિન્ગ ફૉર ગોદો’-ને ટેગ લગાવી છે, ‘અ ટ્રેજી-કૉમેડી’.

Science Fiction when the future is now

Pic Courtesy : Nature.

સાહિત્યના ઇતિહાસમાં એક બીજી પણ મોટી ઘટના ઘટી છે, સાયન્સ ફિક્શન. હવે, આ અને આવનારી ક્ષણમાં જ ભવિષ્ય જોવાય છે. એ સાહિત્ય રોજે રોજ વિસ્તરી રહ્યું છે, અને વિસ્તરતું રહેશે.

આપણે જાણીએ છીએ કે સાહિત્યકલાના ત્રણ ઉપખણ્ડ છે – ઊર્મિકવિતા – કથનકવિતા – નાટ્યકવિતા. ક્રમે ક્રમે ઊર્મિકવિતા આછરી રહી છે. ખાસ તો કવિતા અને તેમાં રહેલાં અમૂર્ત તત્ત્વ હળવાંથી હળવાં થયાં છે. ઊર્મિ પોતે જ હવે કથનાત્મક અને નાટ્યાત્મક પરિબળોનું ફળ ગણાય છે. તો તે પરિબળોને શા માટે નજરઅંદાજ કરવાં? મહિમા કથા અને નાટ્યકવિતાનો થવા લાગ્યો છે. જીવન એક વાર્તા છે, એક નાટક છે, એની વાત કરીએ, એ વાતમાં જ ઊર્મિની વાત પણ આવી જશે.

ભવિષ્યના સાહિત્યમાં, કૅનન્સ કે ગ્રાન્ડ નૅરેટિવ્ઝ સામે પ્રશ્નો જ નહીં પણ તે-તેનો અનાદર હશે. 

દળદાર પુસ્તકો નહીં હોય. એમાં રચનાઓ સંક્ષિપ્ત રૂપની હશે. એમાં અમૂર્ત અને રહસ્ય તત્ત્વોને જગ્યા નહીં હશે. કવિઓએ પણ રચનામાં કથન અમે કથનતત્ત્વ રસવાં પડશે.

ભવિષ્યનું સાહિત્ય પણ એટલું જ અધિકૃત હશે, કેમ કે, જોડણી કે શબ્દાર્થથી માંડીને વ્યાકરણ કે કશી પણ માહિતીનો લેખકોએ લાભ લીધો હશે.

બીજી રીતે પણ અધિકૃત હશે. લેખકે બધા વારાફેરા પછી કલાસૌન્દર્યનું સર્જન તો કર્યું જ હશે. નહીં કર્યું હોય તો સાહિત્યકાર નહીં કહેવાય કેમ કે કલાસૌન્દર્ય સાહિત્યના અસ્તિત્વનું મૂળ અને ચિરકાલીન રસાયન છે. ત્યારે પણ આ ધોરણે અધિકૃત કોણ અને કોણ નહીં એ ખરાખોટાના તોલમોલ તો થતા જ હશે.

***

ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલા વક્તવ્યની નૉંધ

(March 23, 2022: Ahmedabad)

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

અખિલ ભારતીય સેવા નિયમોમાં સુધારો : કેન્દ્ર-રાજ્ય ટકરામણનો નવો મોરચો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 March 2022

કેન્દ્ર સરકાર હસ્તકના બોર્ડર સિક્યુરિટી ફોર્સનો કાર્યવિસ્તાર વધારતાં રાજ્યો ખફા હતાં જ. પણ તેની લેશ માત્ર તમા વિના કેન્દ્રે રાજ્યો સાથે ટકરામણનો નવો મોરચો ખોલ્યો છે. ભારત સરકારે અખિલ ભારતીય સેવા નિયમો, ૧૯૫૪માં જે  સુધારા કરવાનો પ્રસ્તાવ કર્યો છે, તેનો લગભગ સઘળી વિપક્ષી રાજ્ય સરકારો વિરોધ કરે છે. એક માત્ર આંધ્રની વિપક્ષી સરકાર કેટલીક શરતો સાથે સરકારના આ પગલાંનું સમર્થન કરે છે, પણ એન.ડી.એ.ની ગણાતી બિહાર સરકાર વિરોધમાં છે !

બંધારણના અનુચ્છેદ ૩૧૨માં એક સમાન, એક યા અધિક અખિલ ભારતીય સેવાઓની રચનાની જોગવાઈ છે. અખિલ ભારતીય સેવા અધિનિયમ ૧૯૫૧ અને ૧૯૫૪ના નિયમોથી દેશમાં અખિલ ભારતીય સેવાઓ કાર્યરત છે. હાલમાં વહીવટી, પોલીસ, વન અને ન્યાયિક સેવાઓ અખિલ ભારતીય સ્તરે અસ્તિત્વમાં છે. આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને અન્ય અધિકારીઓની પસંદગી યુ.પી.એસ.સી. દ્વારા થાય છે. કેન્દ્ર સરકાર આ અધિકારીઓને તાલીમ પછી રાજ્યની ફાળવણી કરે છે. સંબંધિત રાજ્ય કેડરમાં ફાળવણી પછી તેમની નિમણૂક, બદલી અને બઢતી રાજ્ય સરકારના ક્ષેત્રનો વિષય છે. રાજ્યોની જેમ અધિકારીઓને કેન્દ્રશાસિત પ્રદેશોની ફાળવણી થાય છે, પરંતુ કેન્દ્ર સરકારની કોઈ સ્વતંત્ર કેડર હોતી નથી. કેન્દ્રને રાજ્ય કેડરના અધિકારીઓ પ્રતિનિયુક્તિથી મોકલવામાં આવે છે અને તેઓ કેન્દ્ર સરકારનો વહીવટ અને પોલીસ તંત્ર સંભાળે છે.

વર્તમાન સેવા નિયમોમાં અધિકારીઓના ડેપ્યુટેશન માટે સંબંધિત અધિકારીની મરજી અને રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. જો તેમાં કોઈ વિવાદ ઊઠે તો કેન્દ્ર સરકાર વિવેકાધીન નિર્ણય કરી શકે છે. ભારત સરકારની દલીલ છે કે હાલના નિયમો મુજબ રાજ્યો નિશ્ચિત ક્વોટાના અધિકારીઓ કેન્દ્રને ફાળવતા નથી એટલે અધિકારીઓની ઘટ સર્જાઈ છે. તેથી તે ૧૯૫૪ના સેવા નિયમોના નિયમ-૬માં સુધારો કરવા માંગે છે. કેન્દ્રના પ્રસ્તાવિત સુધારામાં – રાજ્ય સરકારોએ દર વરસે નિશ્ચિત સંખ્યામાં અધિકારીઓ પ્રતિનિયુક્તિ માટે ફાળવવા, વિશિષ્ટ પરિસ્થિતિમાં કેન્દ્રે માંગેલ અધિકારીઓ ફાળવવા રાજ્ય ઈન્કાર કરી શકે નહીં, ચોક્કસ સમયમર્યાદામાં ડેપ્યુટેશન માટે પસંદ થયેલા અધિકારીઓને જો રાજ્ય ફરજમુક્ત ન કરે તે તેમને એકતરફી છૂટા ગણી લેવાશે – જેવી જોગવાઈઓ છે.

સુધારાના પક્ષમાં કેન્દ્રની અધિકારીઓની ઘટની દલીલમાં પહેલી નજરે વજૂદ જણાય છે. ૨૦૧૧માં વિવિધ રાજ્યોના ૩૦૯  આઈ.એ.એસ. અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા. ૨૦૨૧માં તે ઘટીને ૨૨૩ થયા છે. રાજ્યોએ અખિલ ભારતીય સેવાઓના વિવિધ સંવર્ગમાં ૪૦ ટકા જગ્યાઓ ડેપ્યુટેશન માટે અનામત રાખવાનો નિયમ છે. ૨૦૧૧માં ૩૦૯ (૨૫ ટકા) અને ૨૦૨૧માં ૨૨૩ (૧૮ ટકા) જ સનદી અધિકારીઓ પ્રતિનિયુક્તિ પર છે. એટલે અધિકારીઓની કમીની કેન્દ્રની દલીલ સાચી છે. જો કે અધિકારીઓની ઘટની ફરિયાદ રાજ્યોની પણ છે. ઝારખંડ જેવા નાના રાજ્યમાં આઈ.એ.એસ.ની મંજૂર જગ્યાઓ ૨૧૫ છે, પરંતુ માત્ર ૭૬ ટકા એટલે કે ૧૬૫ અને આઈ.પી.એસ.ની ૧૪૯ મંજૂરમાંથી ૯૫ એટલે કે  ૬૩ ટકા જ ભરાયેલી છે. આ સ્થિતિ લગભગ સઘળા રાજ્યોમાં છે. એટલે અધિકારીઓની ઘટથી પીડિત રાજ્યોને પ્રતિનિયુક્તિની ફરજ પાડવી યોગ્ય નથી.

વિપક્ષી રાજ્ય સરકારોને ડર છે કે જેમ કેન્દ્ર સી.બી.આઈ. અને બીજી કેન્દ્રીય એજન્સીઓનો વિપક્ષશાસિત રાજ્યોમાં દુરપયોગ કરે છે, બી.એસ.એફ.નો દાયરો વધારીને કાયદો અને વ્યવસ્થાના રાજ્ય હસ્તકના વિષયમાં દખલ કરે છે, તેમ અખિલ ભારતીય સેવા નિયમોમાં સુધારા કરીને તે અધિકારીઓની બદલીની સત્તા પોતાના હસ્તક લઈને એકાધિકાર સ્થાપવા, અણગમતા અધિકારીઓને ટાર્ગેટ કરવા માંગે છે. અને સરવાળે વિપક્ષી રાજ્ય સરકારોને અસ્થિર કરવા માંગે છે. એટલે એકી અવાજે વિપક્ષી રાજ્ય સરકારો, વિપક્ષી સાંસદો અને પૂર્વ સનદી અધિકારીઓએ આ સુધારાનો વિરોધ કર્યો છે.

વિપક્ષી રાજ્ય સરકારોની દહેશત ભૂતકાળના કેન્દ્ર સરકારોના અનુભવોને સાચી ઠેરવે તેવી છે. હજુ ગયા જ વરસે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલેપન બંદોપાધ્યાય વડા પ્રધાનની વાવાઝોડાની સમીક્ષા બેઠકમાં મુખ્ય મંત્રી સાથે મોડા પહોંચ્યા તો તેમની આ ગુસ્તાખી બદલ નિવૃત્તિના આગલા દિવસે તેમનો કેન્દ્રમાં ડેપ્યુટેશનનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભા.જ.પા. અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાફલા પર હુમલો થયો ત્યારે પોતાની સત્તાની ઉપરવટ જઈને કેન્દ્રના ગૃહ મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને દિલ્હી બોલાવ્યા હતા અને નડ્ડાની સુરક્ષા સંભાળતા ત્રણ આઈ.પી.એસ. અધિકારીઓની પ્રતિનિયુક્તિના હુકમો કર્યા હતા. ૨૦૦૧માં દ્ર.મુ.ક. પ્રમુખ એમ. કરુણાનિધિ અને બે કેન્દ્રીય મંત્રીઓની ધરપકડ કરનાર આઈ.પી.એસ. અધિકારીઓની તત્કાલીન વાજપાઈ સરકારે પણ પ્રતિનિયુક્તિ પર બદલી કરી હતી. એટલે કેન્દ્ર, રાજ્યના માનીતા અધિકારીઓને પાઠ ભણાવવા પ્રતિનિયુક્તિનું જે શસ્ત્ર વાપરે છે. તેને આ સુધારા દ્વારા કાયદેસરતા મળી શકે છે.

હાલના અખિલ ભારતીય સેવા નિયમો કેન્દ્રની તરફેણના જ છે. તેમાં પ્રસ્તાવિત સુધારાથી રાજ્ય સરકારો વધુ નબળી બનશે અને તેનો વહીવટ કથળશે. ભારતીય ગણતંત્ર રાજ્યોનો સંઘ છે. એટલે કેન્દ્ર રાજ્યો વચ્ચે સોહાર્દપૂર્ણ સંબંધો હોવા જોઈએ. બી.જે.પી. અને ખાસ તો વડા પ્રધાન રાજ્યોના ચૂંટણી પ્રચારમાં ડબલ એન્જિનની અર્થાત્‌ કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર ચૂંટી લાવવા મતદારોને અપીલ કરે છે. જો તે શક્ય ન બને તો આવા સુધારા મારફતે તે રાજ્યો પર એકહથ્થુ સત્તા જમાવવા માંગે છે.

કેન્દ્રે રાજ્યોના વિરોધને અવગણીને સુધારાનો માર્ગ લેવાને બદલે આ પ્રશ્નનો કાયમી હલ કરવો જોઈએ. અખિલ ભારતીય સેવાના અધિકારીઓને નિયુક્તિ વખતે જેમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કેડર ફાળવવામાં આવે છે તેમ કેન્દ્ર સરકારની નવી કેડર ઊભી કરી તેની ફાળવણી કરવાનો સુધારો કરવો જોઈએ. અખિલ ભારતીય ગણાતી હાલની સેવાઓ રાજ્યની ફાળવણી પછી અખિલ ભારતીય રહેતી નથી અને રાજ્ય સેવા જ બની જાય છે. તેથી તેના અખિલ ભારતીય સ્વરૂપ તેમ જ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સેવાનું દાયિત્વ ઊભું થાય તે માટે રાજ્ય અને કેન્દ્રમાં નિશ્ચિત સમયનો સેવાકાળ નક્કી કરવો જોઈએ. નિયુક્તિ પછીના પ્રથમ દસ વરસ રાજ્યમાં, તે પછીના પાંચ વરસ કેન્દ્રમાં અને તે પછીના વરસો સરખા ભાગે કેન્દ્ર અને રાજ્યમાં ફાળવવાથી અધિકારીઓને બંને સરકારોના કામનો અનુભવ થશે, ઈજારાશાહી તૂટશે તથા અધિકારીઓ પણ  રાજકીય હિતોથી દોરવાવાને બદલે તટસ્થતાથી કામ કરી શકશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ભક્તિ

બીજલ જગડ|Opinion - Opinion|22 March 2022

મખમલ જેવું મન તીર્થ જેવી તપસ્યા,
ભક્તિ કેરી જ્યોત જલ બીચ કલિયાં.

જપી લે તું માનવ હરિ હરિ ઓ મનવા,
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રે પૂરણ મળિયા.

અંદર બહાર ફક્ત એક જ બ્રહ્મ છે,
ગગન મંડલ અલખ અલખ અખેડા સુનિયા.

અગ્નિ, પાણી પવન આકાશ ધરતી જી રે,
પાંચ તત્ત્વ લઈ ચૌદ બ્રહ્માંડ લોક પ્રકાશ્યાં.

મૂળ મહામંત્ર થકી ભક્તિ પંથ મહાધર્મ,
ભેદી ચાર વેદો મહાભક્તિનાં મૂળ જડિયાં.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,4591,4601,4611,462...1,4701,4801,490...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved