Opinion Magazine
Number of visits: 9569880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કમ સે કમ સુરતને કોમી આગમાં ના ઝોંકશો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 June 2022

કોણ જાણે કેમ પણ આપણને લોહી રેડ્યાં વગર નથી ચાલતું. અનેક પ્રજાઓએ ભારતમાં આવીને આક્રમણો કર્યાં, જગતે બબ્બે વિશ્વયુદ્ધો જોયાં ને કરોડો માણસોને વગર મોતે માર્યાં, જેમણે કોઈનું કૈં બગાડયું ન હતું ને  જેમને ખબર જ ન હતી – મોતનું કારણ, એ પણ કોઈ વાંક વગર લાખોની સંખ્યામાં મર્યાં, યુક્રેન-રશિયાને હજી લોહીનો ધરવ થતો નથી ને યુદ્ધ વધુ વિનાશક બનાવવાની ધમકીઓ અપાયા જ કરે છે, કોરોનામાં લાખો માણસો સ્વજનોની દેખરેખ વગર જ અંતિમ વિધિ પામ્યા, પણ આપણી લાશો ગણવાની લાલચ ઘટતી નથી. કોરોના જેટલો નિયમિત રોગ બીજો આયાત થયો નથી. દર ચાર છ મહિને એ દેશ આખામાં વિઝિટ મારી જાય છે. એણે આવવું નથી, પણ આવે તો આપણા ધંધાપાણી ચાલે એટલે આમંત્રણ આપી આપીને એને બોલાવાય છે. ચોથી લહેર લાવવા બધાં જ મહેનત કરી રહ્યાં છે એટલે વળી થોડી વસતિ ઘટે તો નવાઈ નહીં!

થોડો સમય જાય છે ને લાશો પાડવાની ઈચ્છા તીવ્ર થઈ ઊઠે છે. કોરોનાથી બચી ગયા તે કોમી આગમાં ભડકે એવી તકો પણ આવી જ મળે છે. દાયકાઓ થયા આઝાદીને, પણ કોમી વૈમનસ્ય વકરવામાંથી જ ઊંચું નથી આવતું. આપણી લાગણીઓ એટલી તકલાદી થઈ ગઈ છે કે તે વાતે વાતે દુભાઈ જાય છે. કોઈ પયગંબર વિષે બોલે છે તો કોઈ મહાદેવને ઈંડું ફોડી આવે છે. કોઈ મંદિર તોડે છે તો કોઈ નમાજનો વાંધો પાડે છે. બીજી કોઈ કોમને એક બીજાનો વાંધો નથી, માત્ર હિન્દુ-મુસ્લિમો જ એકબીજાથી કતરાતાં રહે છે. આટલાં કોમી હુલ્લડો થયાં, પણ થોડાકનાં અહમ્‌ સંતોષવા સિવાય કોઈના હાથમાં કૈં આવ્યું હોય એવું જણાતું નથી, છતાં થોડે થોડે મહિને કોરોના આવે છે તેમ કોમી વિવાદ પણ ચાલે છે ને થોડું લોહી રેડાય છે કે ફરી નવું લોહી વહાવવાની રમતો શરૂ થઈ જાય છે.

આમ જોઈએ તો દરેક પક્ષમાં થોડું ‘ઘાસલેટ’ હોય છે તે ગમે ત્યારે ભડકો કરવાનું લાઇસન્સ ધરાવતું હોય છે. તે પક્ષના હિતમાં એવી વાસ મારે છે કે પક્ષ તો નથી ગંધાતો, એ તો પોતાની વાસથી ટેવાઇ ગયો હોય છે, પણ પેલું ઘાસલેટ જરા પણ બહાર ગંધાય છે કે લોકો સળગી ઊઠે છે. એમાં ઘાસલેટને તો બહુ વાંધો નથી આવતો, પણ લોકો મરવા-મારવા પર આવી જાય છે. એનાથી મૂળ પક્ષ તો સલામત રહે છે, પણ લોકો અમસ્તા જ કુટાઈ મરે છે. બહુ ઊહાપોહ થાય છે તો લોકોને ખુશ કરવા ઘાસલેટનો ડબ્બો સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અથવા તો કહી દેવામાં આવે છે કે આ ઘાસલેટ અમારું નથી ને પછી મામલો પક્ષનો નથી રહેતો, ઘાસલેટનો ને લોકોનો થઈ જાય છે. અત્યારે દેશમાં આ ખેલ ચાલી રહ્યો છે. એક પક્ષના ઘાસલેટને કારણે કોમી આગ ભડકી ઊઠી છે ને તોફાનો ફાટી નીકળ્યાં છે. આમાં બળે છે તેનું બળે છે ને મરે છે તેનું મરે છે. બાકી તમાશો થાય છે ને થોડા ઘણાંને પકડીને સળિયા પાછળ ધકેલી દેવાય છે. એમાં બધાં ગુનેગાર જ હોય છે એવું નથી, પણ પકડી લેવાય તે ગુનેગાર – એ જ દાખલો ગણાય છે. ઘણીવાર તો આગ લાગવાનાં કારણો પણ બદલાઈ જાય છે ને રહી જાય છે તે ભડકાનો ફેલાવો. એકમાંથી બીજા ને બીજામાંથી ત્રીજા નગરમાં એમ આગ વધે છે ને પાપડી ભેગી ઇયળ પણ બફાતી રહે છે. જે જવાબદાર છે તે તો આગમાં હાથ તાપે છે.

કરુણતા એ છે કે હવે કોઈ, કોઈને ખોટું લાગતું જ નથી, દરેકને પોતે સાચાં જ લાગે છે ને સત્ય હવે ભડકામાં જ પ્રગટે એવી સ્થિતિ છે. રીતસર ઉશ્કેરવાની ને ભડકાવવાની યોજનાઓ ચાલે છે. સાચું એ છે કે એમાં સાચું કશું હોતું નથી, માત્ર ખોટું, ખરું સાબિત કરવાની કરામતો થાય છે. આ ખોટો છે ને પેલો સાચો છે એ વાત જ નથી, તકલીફ બંને ખોટા છે, એની છે ને ગેરસમજ એ છે કે બંને સાચા છે એવો વહેમ બંનેને છે.

થોડાં ઉદાહરણોથી આ જોઈએ. ભા.જ.પ.નાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર અંગે જે ટિપ્પણી કરી એનો મુસ્લિમ રાષ્ટ્રોને અને દેશના કેટલાક સમ્પ્રદાયોને સખત વાંધો પડ્યો છે. રાંચીમાં વિધર્મીઓએ પથ્થરમારો કર્યો તો પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો, એમાં બે જણાંના મોત થયાં છે. લાઠીચાર્જ થયો. પાર્ક કરેલાં વાહનોની તોડફોડ થઈ. ઉત્તર પ્રદેશનાં ઘણાં શહેરોમાં હંગામો થયો. સહારનપુરમાં રસ્તાઓ જામ કરી દેવાયા. પ્રયાગરાજમાં લોકોએ પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા. મોરાદાબાદમાં, લખનૌમાં પ્રદર્શનો ને સૂત્રોચ્ચાર થયાં. યુ.પી.માં અનેક શહેરોમાં 255ની ધરપકડો થઈ છે. પશ્ચિમ બંગાળમાં હાવડા સહિત અનેક વિસ્તારોમાં તોફાનો ને આગજનીની ઘટનાઓ બની છે. એમાં 60ની ધરપકડ થઈ છે. આની સામે પણ અવાજ ઊઠ્યો છે. કાશીના સંતોએ કટ્ટરપંથીઓની સામે કડક હાથે કામ લેવાની ને હિન્દુ દેવી દેવતાઓની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારાઓને જેલમાં મોકલવાની વાત કરી છે.

આ આગ ગુજરાતમાં પણ ફેલાવા માંડી છે. બોરસદમાં શનિવારની રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારાની ને છરાબાજીની ઘટનામાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે.

તોફાનીઓએ એક પોલીસકર્મીને પણ છરી મારી છે. 14ની અટકાયત કરવામાં આવી છે. નૂપુર શર્માનાં નિવેદનનો પડઘો રાજકોટમાં પણ પડ્યો છે. ત્યાં ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલાં અસંખ્ય પોસ્ટરો રસ્તા પર ચિપકાવવામાં આવ્યાં છે. અમદાવાદમાં વિરોધ રેલીનો પ્રયત્ન થયો છે. અમદાવાદ અને વડોદરામાં પણ પોસ્ટરો લગાવાયાં છે. સુરતમાં પણ પોસ્ટર લગાડવાનો પ્રયત્ન થતાં ત્રણની અટકાયત કરવામાં આવી છે. અહીં પણ હિન્દુ સંગઠનો અને બ્રહ્મસમાજે નૂપુર શર્માનું સમર્થન કર્યું છે. સુરતમાં પોસ્ટરો ઓછાં પડ્યાં ને તેમણે એ અંગેનો મેસેજ કર્યો ને ઉમેર્યું કે અહીં યુ.પી. અને ઝારખંડ જેવું કરવું છે. મતલબ કે આગ ભડકાવવી છે.

આ બધાંનો કોઈ છેડો દેખાતો નથી. નૂપુર શર્માએ પયગંબર અંગે ટિપ્પણી કરી તે એમ જ કરી? શોખ થયો એટલે કરી કે કોઈકે એ અંગેનું કારણ આપ્યું? એ કોઈકને વળી બીજા કોઈકે કારણ આપ્યું હોય ને એમ વાત વધતી જ જાય એમ બને. ટિપ્પણી ન જ કરવી જોઈતી હતી ને થઈ. તેનો કેટલી હિંસા પછી અંત આવશે તે કોઈ કહી શકે? ને શર્માની ટિપ્પણી ખોટી છે તો સામે બીજું કેટલું ખોટું થાય છે ને તે કોણ કરે છે તે પણ જોવું પડશેને ! મહાદેવને માથે ઈંડું ફૂટે છે, મૂર્તિઓ તૂટે છે તે બરાબર છે? દેવી-દેવતાઓની મજાક ઊડે છે તે યોગ્ય છે? પગરખાં પર હિન્દુ દેવી-દેવતાઓ કોણ છાપે છે? આ મજાક તો વિદેશમાં પણ થાય છે. એટલે કોઈ એક જ ધર્મ ટીકા કરે છે એવું નથી. બંને ધર્મો દ્વારા આ થાય છે. જવાબદાર હોય તો બંને છે.

આમ એક ધર્મે ટીકા કરી તો બીજાએ પણ કરી ને સામાન્ય પ્રજાએ એ જ જોયાં કરવાનું છે? બીજા કોઈ કામ જ નથી કે એકબીજાની ખણખોદ કરીને જ દિવસો કાઢવા પડે? આમાં નુકસાન બંને ધર્મો ભોગવે છે. કોઈ લાભમાં નથી. જે ધર્મ બીજાની નિંદા કરીને જ ટકે છે તે ધર્મ કઇ રીતે હોય? કોઈ ધર્મ જો બીજા ધર્મની નિંદા કરવાનું ન કહેતો હોય તો અત્યારે આ શું ચાલી રહ્યું છે? નિંદા એ જ ધર્મ ! ને આ બધું ધર્મપ્રીતિને લીધે થાય છે? ના. આના હેતુઓ ધર્મ પ્રેરિત નથી.

જરા ધ્યાનથી જોઈશું તો બંને ધર્મો કટ્ટરતાને પંથે વિકસી રહ્યા છે. જે નથી તે કટ્ટર થવામાં જ ધર્મને જોઈ રહ્યો છે. જો એકની કટ્ટરતા અધર્મ હોય તો બીજાની ધર્મ કઇ રીતે હોય? વહેમ તો એવો પડે છે કે આ કટ્ટરતા રાજકારણ પ્રેરિત છે. એમાં કાર્યકરોને પહેલાં તો ઝનૂનના સંકેતો આપવામાં આવે છે ને એ ઝનૂનમાં કોઈ કૈં બકવાસ કરી પાડે તો પક્ષ પહેલાં તો ચૂપ રહે છે, પણ પછી, જો એ બકવાસનો વિરોધ ઊઠે તો બકવાસ કરનારને હટાવી દેવાય છે ને એમ પક્ષની છબી ચોખ્ખી રાખવામાં આવે છે. આ બરાબર નથી. કોઈને બલિનો બકરો બનાવીને છબી લાંબો સમય સાફ રાખવાનું મુશ્કેલ છે ને જો કોઈ આઈડિયોલોજી નક્કી  હોય ને કાર્યકરોને એ જ પાઠ ભણાવાયા હોય ને કોઈ ઉશ્કેરાટમાં બાફી મારે ને પ્રજા એ બફાટની સામે પડે તો પક્ષની એ નૈતિક ફરજ છે કે તે ધર્મ વિષેની પોતાની સમજ સ્પષ્ટ કરે ને જે તે કાર્યકરની ભૂલ હોય તો તેની પ્રજાને જાણ કરે ને જરૂર લાગે તો બચાવ પણ કરે. કમનસીબે એવું થતું નથી ને જવાબદારથી ઓચિંતો જ છેડો ફાડી લેવાય છે.

છેલ્લે બે હાથ જોડીને સુરતના તમામ નગરજનોને, પક્ષોને, ધર્મ ધુરંધરોને એ વિનંતી કરવાની કે આ નગરને કોમી આગમાં ન ઝોંકે. આ શહેરનું લોહી ખુન્નસનું ને મારધાડનું નથી. તમામ કોમના લોકો એકબીજા સાથે ધંધાધાપાથી સૈકાઓથી જોડાયેલા છે. અહીં ઈદ ને ઉતરાણ, દિવાળી ને રમજાન, હોળી ને મહોરમ ભાઇચારાથી ઊજવાય છે તે કોમને કારણે તો ખરું જ, પણ કામકાજને લીધે પણ ખરું જ ! આ નગરને બીજા નગર જેવું કિન્નાખોર કૃપા કરીને કોઈ ન કરે. બીજા નગરોનાં લોહી જુદાં હશે, પણ અહીં એવું નથી. આ લોહી મહેરબાની કરીને કોઈ જુદું ન કરશો. એ જુદું થશે તો એકલું લોહી જ સડક પર દેખાશે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જૂન 2022

Loading

નૂપુર શર્માનું સસ્પેન્સન વહેતા જખ્મ પર બેન્ડેડ સમાન છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2022

કોઈ પણ દેશના રાજદૂતોને સાગમટે કામ કરવાનું ત્યારે જ આવે, જ્યારે તેમનો દેશ બીજા કોઈ દેશ સાથે યુદ્ધમાં સામેલ થયો હોય. જેમ કે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે એ બંને દેશોની દુનિયાભરની રાજધાનીઓમાં પથરાયેલી એલચી કચેરીઓમાં કામ વધી ગયું હતું. એક સાથે તમામ રાજદૂતોઓએ યુદ્ધમાં તેમના યજમાન દેશોનું સમર્થન મેળવવા માટે અધરાત-મધરાતે દીવા બાળવા પડ્યા હતા.

કંઇક એવી જ હાલત, ખાડી દેશોમાં ભારતની એલચી કચેરીઓની 5મી અને 6ઠ્ઠી જૂને થઇ હતી. એ કોઈ યુદ્ધનો માહોલ તો નહોતો, પરંતુ કતાર, ઓમાન, કુવેત, જોર્ડન, સાઉદી અરેબિયા, ઈરાન, યુ.એ.ઈ., બહેરીન, ઈરાન, લીબિયા, તુર્કી અને આ તરફ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, માલદીવ તેમ જ ઇન્ડોનેશિયાના વિદેશ વિભાગોએ, ભારતીય એલચીઓને બોલાવીને કે તેમના કાર્યાલયોમાં બયાનો જારી કરીને, જે રીતે ભારતીય અધિકારીઓને જવાબો કે સ્પષ્ટતાઓ આપવા ફરજ પાડી, તે એક નાનકડી લડાઈથી ઓછું નહોતું.

નજીકના ભવિષ્યમાં આવું પહેલીવાર બન્યું હતું. છેલ્લે કદાચ 1999માં, કારગીલ યુદ્ધ વેળા ભારતીય એલચીઓને સાગમટે વિદેશી રાષ્ટ્રો સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવાનું બન્યું હતું. એ પછી આ અઠવાડિયે એક સાથે આટલા બધા ભારતીય એલચીઓ મુસ્લિમ દેશોમાં લાગેલી ડિપ્લોમેટિક આગને ઠંડી પાડવાનું ભગીરથ કામ કરવાનું આવ્યું હતું. કેમ?

ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની (હવે ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભા.જ.પ.ના પ્રવક્તા નવીન કુમાર જિન્દલે મહોમ્મદ પૈગંબરને લઈને કરેલી એક અભદ્ર ટીપ્પણીનાં પગલે મુસ્લિમ દેશોમાં ભડકો થયો હતો. નૂપુર શર્માએ, 27 મેના રોજ, “ટાઈમ્સ નાઉ” ચેનલ પર જ્ઞાનવ્યાપી મસ્જિદ વિષય પરની એક ડિબેટ દરમિયાન, પૈગંબરના અંગત જીવનને લઈને બેજવાબદાર ટીપ્પણી કરી હતી. એ ડિબેટની એક વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઇ હતી.

ફેક ન્યૂઝ પર ફેક્ટ-ચેકિંગ કરતી “ઓલ્ટન્યૂઝ” નામની વેબસાઈટના પત્રકાર મોહમ્મદ ઝુબેરે, ટ્વીટર પર સૌ પહેલાં નૂપુર શર્માની આ ભડકાઉ ટીપ્પણી પર લોકોનું અને ખાસ તો દિલ્હી પોલીસમાં ધ્યાન ખેંચ્યું હતું. પાછળથી, નવીન કુમાર જિન્દલે પણ પૈગંબરનું અપમાન થાય તેવી ટ્વીટ કરીને બળતામાં ઘી હોમ્યું હતું. એમાં નૂપુર શર્માએ “મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે” તેવું કહીને મોહમ્મદ ઝુબેર સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરીને ટ્વીટમાં એવો દાવો કર્યો હતો કે તેના ઇન્ટરવ્યૂને એડિટ કરીને મુકવામાં આવ્યો છે. વધારામાં, નૂપુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ ટેગ કર્યા હતા.

દેખીતી રીતે જ, ઝુબેર પરનો એ આરોપ ખોટો હતો, કારણ કે ત્યાં સુધીમાં તો ચેનલ પરની આખી ડિબેટનો વીડિયો વાઈરલ થઇ ગયો હતો, જેમાં સ્પષ્ટ રીતે જ નૂપુર જે બોલી હતી એ જ સંભળાતું હતું. બીજી બાજુ, નૂપુર સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી, તેને મદદ કરવા માટે ગોઠવાયેલા એક ઇન્ટરવ્યૂમાં નૂપુરે કહ્યું હતું કે, “વડા પ્રધાનની ઓફિસ, ગૃહ પ્રધાનની ઓફિસ અને પાર્ટી અધ્યક્ષની ઓફિસનો તેને ટેકો છે.”

મુસીબત શરૂ થઇ 3જી જૂને. એ દિવસે વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિદ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ત્રણે એ દિવસે કાનપુર ગ્રામ્યમાં રાષ્ટ્રપતિના વતનના એક કાર્યક્રમમાં ઉપસ્થિત  હતા. એ જ વખતે, શુક્રવારની નમાજ પછી કાનપુર શહેરમાં નૂપુર શર્માની ટિપ્પણીને લઈને તોફાનો ફાટી નીકળ્યાં. ટ્વીટર પર તેને લઈને માહોલ ગરમ હતો, ત્યારે જ દેશના અને રાજ્યના ત્રણ સર્વોચ્ચ વડાની હાજરીમાં તોફાનો થાય તે હકીકતની ઉપેક્ષા થાય તેવું નહોતું.

વિશ્વનું ધ્યાન ખેંચાયું

નૂપુર શર્મા અને ભા.જ.પ. આ વિવાદથી પીછો છોડાવા મથી રહ્યા હતા, પણ મેળ ન પડ્યો. જે નુકશાન થવાનું હતું તે થઇ ચુક્યું હતું. ભા.જ.પ. કે સરકારને કંઈ સમજાય તે પહેલાં, આંતરરાષ્ટ્રીય સ્તરે તાબડતોબ નૂપુરના બયાનના પડઘા પડ્યા. સૌથી પહેલાં ઓમાન સલ્તનતના વરિષ્ઠ મુફ્તી અહેમદ બિન હમાદ અલ ખલીલીએ આકારો પ્રત્યાઘાત આપીને કહ્યું કે ભા.જ.પ.ની પ્રવક્તાની ટીપ્પણી “પ્રત્યેક મુસ્લિમ સામે યુદ્ધ” છે. તેનાં પગલે ખાડીને દેશો પણ જાગ્યા અને એક પછી એક તેમણે નૂપુરના બયાનને વખોડતાં નિવેદનો બહાર પાડ્યાં અને ભારતના એલચીઓને બોલાવીને ઠપકો આપ્યો. કુવેતે તો માંગણી કરી કે ભારત સરકાર આ ટીપ્પણી બદલ માફી માંગે.

ભારતને એ ખબર ન પડી કે મધ્ય પૂર્વ અને વેસ્ટ એશિયાનાં વિવિધ ઇસ્લામિક રાષ્ટ્રોમાં, પૈગંબરને લઈને થયેલી અભદ્ર ટીપ્પણીને લઈને જબરદસ્ત ગુસ્સો ભરાઈ રહ્યો હતો. અમુક રાષ્ટ્રોમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર પણ શરૂ થયો હતો. વારાફરતી કુલ ૧૬ દેશો અને ૫૭ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશને ભારતની નિંદા કરી અને નૂપુર તેમ જ જિંદલ સામે કડક પગલાંની માંગણી કરી. અધૂરામાં પૂરું, આતંકના વૈશ્વિક સંગઠન અલ-કાયદાએ “પૈગંબરની માન-મર્યાદાની રક્ષા કરવા માટે” ગુજરાત, મુંબઈ, ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલાની ધમકી જારી કરી.

ભારત માટે એક જબ્બર ડિપ્લોમેટિક સંકટ સર્જાયું હતું. મોટા ભાગના મુસ્લિમ દેશો ભારતના અત્યંત મધુર સંબંધો છે. જે કુવેતે ભારત પાસે માફીની માંગણી કરી હતી, ત્યાં મહેમાન બનેલા મોદીએ તો એવું કહ્યું હતું કે “કુવેત મારું બીજું ઘર છે.” ખાડીના દેશોમાં કુલ 89 લાખ ભારતીયો નોકરી-ધંધો કરે છે. આ દેશોના સૌથી મોટા રિટેલ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ ભારતીયોની માલિકીની છે. એકલા સંયુક્ત આરબ અમિરાતની કુલ આયાતમાં ભારતની હિસ્સો ૯૨ ટકા છે. ભારતનું અડધો અડધ રેમિટેન્સ યુ.એ.ઈ., સાઉદી અરેબિયા, કતાર, કુવેત અને ઓમાનમાંથી આવે છે. ભારતનું ૬૦ ટકા ક્રુડ ઓઈલ ખાડી દેશોમાંથી આવે છે.

ભારતમાં છેલ્લા ઘણા વખતથી ટેલિવિઝનની ડિબેટોમાં કે જાહેર રાજકીય-ધાર્મિક કાર્યક્રમોમાં મુસલમાનો વિરુધ બેરોકટોક ગમે તેમ બોલવામાં આવતું હતું. ખાસ કરીને, જ્યારે પણ કોઈ ચૂંટણી હોય ત્યારે ધાર્મિક ઉન્માદ જગાવવામાં આવતો હતો. ત્યાં સુધી કે કોણ વધુ કટ્ટર છે તેની જાણે હરીફાઈ થતી હોય તેવાં બયાનો કરવામાં આવતાં હતાં. એમાં ન્યૂઝ ચેનલોને ટી.આર.પી. દેખાતી હતી એટલે ડિબેટો જ એવી રીતે ગોઠવવામાં આવતી કે અભિવ્યક્તિની આઝાદીના નામે હિંદુ-મુસ્લિમ ધર્મના કથિત “રખેવાળો” ગમે તે હદ સુધી જતા હતા. નૂપુર શર્મા અને જિંદલે “વહાલા” થવાની હરીફાઈમાં એવું નિવેદન કર્યું હતું જે બદનસીબે ભારતમાં મુસ્લિમો પૂરતું સીમિત રહે તેવું ન હતું. શિવલિંગના વિવાદમાં પૈગંબરને ઢસડવા જતાં મુસ્લિમ દેશો ઊભા થઇ જશે એવું બંનેએ વિચાર્યું નહીં હોય અને વિચાર્યું હોય તો પણ “ઉપરથી ટેકો છે” એવો આત્મવિશ્વાસ પણ હશે.

સરકાર અને ભારતીય જનતા પાર્ટી માટે આ વણ જોઈતી મુસીબત હતી. એક અઠવાડિયા પહેલાં જ, ભા.જ.પ.ની સરકારનાં 8 વર્ષ થયાં તેનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન મોદીએ રાજકોટમાં ગૌરવ સાથે કહ્યું હતું કે આઠ વર્ષમાં તેમણે એક પણ કામ એવું નથી કર્યું કે ભારતનું માથું શરમથી ઝૂકી જાય. અને અહીં, એક સાથે ૧૬ દેશો ભારતની નિંદા કરી રહ્યાં હતાં અને માફી માગી રહ્યાં હતાં. સરકાર સ્વીકારે કે ના સ્વીકારે, પણ નૂપુર શર્માના એક બયાને શરમજનક સ્થિતિ ઊભી કરી હતી.

દસ દિવસ સુધી નૂપુર શર્માના નિવેદન સામે આંખ આડા કાન કર્યા પછી, મુસ્લિમ દેશોના દબાવમાં આવીને આખરે ભા.જ.પ. અને સરકારે નિર્ણાયક કદમ ઉપાડવું પડ્યું, પહેલાં તો પાર્ટીએ બયાન જારી કરીને નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલની ટીપ્પણીથી ખુદને અલગ કરી. એ પછી એક બીજું બયાન જારી કરીને નૂપુર શર્માને છ વર્ષ માટે અને જિંદલને કાયમ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પાર્ટીએ કોઈ નામ લીધા વિના કહ્યું કે, “ભા.જ.પ. કોઈ પણ ધર્મના વડાના અપમાનને સખ્ત શબ્દોમાં વખોડે છે. ભા.જ.પ. કોઈ પણ ધર્મ કે સમુદાયનું અપમાન કરે તેવી વિચારધારાની વિરુદ્ધમાં છે. ભા.જ.પ. આવા વિચારો કે વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી નથી. અમુક “ફ્રિન્જ તત્ત્વો”ની ટિપ્પણીઓ ભારત સરકારનો મત નથી,” વળતાંમાં, નૂપુર અને નવીનને પણ તેમની બયાનબાજીની ગંભીરતા સમજાતાં માફી માગી અને પાર્ટીના નિર્ણયને માથે ચઢાવ્યો.

હવે શું?

રાજકીય વિચારકો માને છે કે ભારત અને મુસ્લિમ દેશોના સંબંધો પરસ્પર સ્વાર્થ આધારિત છે, એટલે આ બંને પ્રવક્તાઓ સામે લેવાયેલાં પગલાંથી વિવાદ શાંત થઇ જવો જોઈએ. ભારત માટે ખાડી દેશોમાં મોટી સંખ્યામાં રહેતાં ભારતીયોની સલામતી અગત્યની છે. એ દેશોને પણ ભારતીયોની અને ભારતમાંથી ચીજવસ્તુઓની આયાતની જરૂર છે. ખુદ મોદી અનેક દેશોમાં જઈને આ આર્થિક સંબંધો મજબૂત કરી આવ્યા છે. બંને પ્રવક્તાઓ પર તલવાર વિંઝાઈ તેનાથી દેશોને સંતોષ થશે અને ભા.જ.પે. પણ સરકારની સાખ બચાવવા માટે બંનેનો ભોગ લેવામાં મોડું ના કર્યું.

સરકાર સ્તરે આ દેશો હવે કોઈ ફરિયાદ નહીં કરે, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભારત કેટલો વિભાજીત દેશ છે તેની ખબર વિશ્વને ખબર પડી ગઈ છે. મોદી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે ગાંધી અને બુદ્ધની, અહિંસા અને સર્વધર્મ સમભાવની, શાંતિ અને સહિષ્ણુતાની વાતો કરતા હોય છે. ભારતમાં હિંદુ-મુસ્લિમના ધ્રુવીકરણના સમાચારો દેશ-દરાજ જતા તો હતા, પણ તેને આંતરિક મામલો ગણીને વિશ્વ ધ્યાન આપતું નહોતું.

પરંતુ પૈગંબરને નિશાન બનાવીને ભારતે તેની જાંઘને ખુલ્લી કરી નાખી છે. મંચ પરથી થતાં ભાષણો અને જમીન પરની હકીકતમાં કેટલો વિરોધાભાસ છે તે વાત હવે દુનિયાની નજર બહાર નહીં જાય. અત્યાર સુધી હેટ સ્પીચ ભારતના શ્રોતાઓના કાન પૂરતી સીમિત હતી. પહેલીવાર તેના શબ્દો દુનિયાના શ્રોતાઓના કાને વાગ્યાં.

વિડંબના એ છે કે, ભારતને આ વખતે અમેરિકા જેવા પશ્ચિમી રાષ્ટ્રોએ માનવાધિકારનું લેકચર આપ્યું નહોતું (હજી આ અઠવાડિયે જ, અમેરિકાએ જારી કરેલા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્યના રિપોર્ટમાં, ભારતમાં ધાર્મિક સ્થળો અને માણસો પર વધતા જતા હુમલાઓથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી). આ વખતે ભારતને તેની ઉદારતા અને સર્વધર્મ સમભાવની ભવ્ય પરંપરાની યાદ અપાવનારાં એ રાષ્ટ્રો હતાં જે ખુદ અનુદાર અને ધાર્મિક છે.

ભારતના રાજકીય પક્ષો અને પ્રબુદ્ધ નાગરિકો સમય-સમય પર નફરતી ભાષણોથી દેશને, સરકારને ચેતવતા હતા, પરંતુ તેમને સાંભળવાને બદલે તેમને જ દેશદ્રોહીનાં લેબલ ચીટકાડીને કલંકીત કરવામાં આવ્યા હતા. આજે વિશ્વના દેશોએ એ જ નફરત સામે અવાજ ઉઠાવ્યો તો ભા.જ.પે તેના અધિકૃત પ્રવકતાઓ વિરુદ્ધ તાબડતોબ કાર્યવાહી કરી, એટલુ જ નહીં, તેણે તેના પ્રવકતાઓ અને નેતાઓએ હવે પછી શું બોલવું અને ના બોલવું તેની ગાઈડલાઈન્સ જારી કરી છે.

સસ્પેન્સન અને ગાઈડલાઈન્સ બંને આવકારદાયક કદમ છે, પણ એ પૂરતાં છે? દુનિયામાં ભારતની નિંદા થઇ તેના બીજા દિવસના સંપાદકીય લેખમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે સંક્ષેપ્તમાં પણ માર્મિક રીતે તેનો જવાબ આપ્યો હતો. તે લખે છે, “દુનિયાને બતાવવા માટે થઈને નફરતી બયાનની ટીકા કરવી એ વહેતા જખ્મ પર બેન્ડેડ ચોંટાડવા જેવું છે. સરકાર જો એમ માનતી હોય કે (ટી.વી. પર) બે સાઉન્ડ-બાઇટ્સ એ સમસ્યા છે અને બે સસ્પેન્સન તેનું સમાધાન છે તો તે ભૂલે છે. લઘુમતીઓને નિશાન બનાવતાં શાસક પક્ષના સભ્યોના મોઢામાંથી આવતાં નફરતી ભાષણો જ અસ્વીકાર્ય છે.

એનાથી ખતરનાક વિભાજન ઊભું થાય છે અને એમાં દેશનું અહિત છે. આવો સંદેશો (પાર્ટીમાં) છેક ઉપરથી આવવો જોઈએ. એના માટે ખાડીના કોઈ દેશની જરૂર નથી.”

પ્રગટ : ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પર્યાવરણની પ્રતિબદ્ધતાનાં પચાસ વર્ષ અને ઇંદિરા ગાંધીનું પ્રભાવી વક્તવ્ય …

કિરણ કાપુરે|Opinion - Opinion|13 June 2022

‘વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે’ની ઉજવણી થવી જોઈએ તે નિશ્ચયને પચાસ વર્ષ પૂરાં થયા છે. પર્યાવરણને સાચવવાનો ઉપક્રમ વિશ્વના તમામ દેશોની હિસ્સેદારી હોવી જોઈએ તેવું ઠર્યું 1972માં સ્વીડનમાં યોજાયેલી સ્ટોકહોમ સંમેલનમાં. આ સંમેલન 5થી 16 જૂનમાં સ્વિડનના સ્ટોકહોમમાં આયોજિત થઈ હતી. ‘યુનાઇટેડ નેશન્સ’ની આ પહેલ હતી અને તેમાં વિશ્વસ્તરે પ્રથમવાર ‘એન્વાયર્મેન્ટલ ગવર્નન્સ’નો ખ્યાલ મૂકવામાં આવ્યો. પર્યાવરણના દરેક મુદ્દાને સ્પર્શે અને તેની સુરક્ષા અર્થે 26 મુદ્દાઓનો ઠરાવ કરવામાં આવ્યો. આજે પણ આપણે થોડાં ઘણાં પર્યાવરણના જાગ્રતિ સાથે જીવી રહ્યા છે તેમાં સ્ટોકહોમ સંમેલનની ભૂમિકા મહત્ત્વની છે. સ્ટોકહોમ સંમેલનમાં તત્કાલિન વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમણે આપેલાં વક્તવ્યમાં પર્યાવરણીય નિસબત ઝળકે છે. આ ભાષણમાંથી કેટલાંક મુદ્દાઓને આજના સંદર્ભમાં જોવા જોઈએ.

ઇંદિરા ગાંધીએ વક્તવ્યના આરંભે જ કહ્યું કે, “હું નસીબવંતી છું કે મને પ્રકૃતિના તમામ સ્વરૂપો સાથે રહેવાની તક મળી. પક્ષીઓ, ગ્રહો અને પથ્થર તમામ મારાં મિત્રો હતાં. તારાચ્છાદિત આકાશ નીચે રાત પસાર કરવાથી હું નક્ષત્રોના નામ અને તેમના ગતિથી પરિચિત થઈ હતી. જો કે તેમના પ્રત્યે મારો ઊંડો લગાવ એક માત્ર પૃથ્વીના કારણે નહીં બલકે તમામ મનુષ્યોના એક ઉપયોગી ઘરરૂપી હતો.” આગળ તેઓ સમ્રાટ અશોકનો હવાલો આપીને પર્યાવરણની વાત મૂકી છે : “કોઈ પણ સાચી વ્યક્તિ અને સભ્ય નાગરિક ત્યાં સુધી નથી બનતી, જ્યાં સુધી તે માત્ર પોતાના મિત્રવત્ લોકોને જ નહીં, બલકે તમામ જીવજંતુઓને પોતાના દોસ્તની જેમ ન જોઈ શકે. પૂરા ભારતમાં, પથ્થરો અને લોહસ્તંભ પર આલેખાયેલા શિલાલેખ તેની સ્મૃતિ કરાવે છે કે 22 સદી અગાઉ સમ્રાટ અશોકે રાજાનું કર્તવ્ય માત્ર નાગરિકોની સુરક્ષા કે ખોટા કામ કરનારને દંડિત કરવા સુધી જ સીમિત ન રાખ્યું, બલકે પશુપક્ષીઓ અને વનને સંરક્ષિત કરવામાં પણ જોયું હતું. થોડાં વર્ષો પહેલાં સુધી અશોક સમ્રાટ એક માત્ર એવાં રાજા હતા જેમણે રમત કે આહાર અર્થે મોટી સંખ્યામાં પ્રાણીઓને મારવાને લઈને પ્રતિબંધ લાધ્યો હતો.”

પર્યાવરણની આ સંમેલનમાં તત્કાલિન વડા પ્રધાન ઇંદિરા ગાંધીના ભાષણમાં ક્યાં ય રાજકીય મુદ્દા દેખાતા નથી અને ભારત સરકારની પર્યાવરણની સિદ્ધિના પણ તેમણે ગુણ ગાયા નથી. તેઓ ભારતની વાસ્તવિક સ્થિતિને બયાન કરતાં હોય તેમ લાગે છે. આગળ તેઓ જણાવે છે : “પૂરી દુનિયા સહિત અમે ભારતીયો પણ અશોકની આ શિખામણને નજરઅંદાજ કરીને અમારાં ભરણપોષણ અર્થે પ્રકૃતિના સ્રોતોની અનિયંત્રિત ઉપેક્ષા કરી છે. વનસ્પતિ અને પશુપક્ષીઓને ઝડપથી નાશ કરવાને લઈને અમારી ચિંતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અમારા વન્યજીવનો કેટલોક હિસ્સો પૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે. ઇતિહાસના મૂક સાક્ષી સમા સદીઓ જૂના સુંદર માઇલો લાંબા જંગલો આજે બરબાદ થઈ ચૂક્યાં છે. જો કે અમારા ઉદ્યોગોનો વિકાસ હજુ આરંભે છે, ત્યારે અમે સૌથી પડકારભર્યા તબક્કામાં છીએ. અને તેનાં કારણે થઈ રહેલા પર્યાવરણીય અસંતુલનને અટકાવવા માટે અમે પગલાં ભરી રહ્યા છીએ. આ પગલાં વ્યાપક સ્તરે લેવાઈ રહ્યાં છે કારણ કે અમારી ચિંતા સમગ્ર માનવજાતિ પ્રતિ છે.”

પ્રદૂષણ સમૃદ્ધિથી નીપજે છે તેવું ઇંદિરા ગાંધીએ અહીં વક્તવ્યમાં જણાવ્યું હતું અને ગરીબીનું પરિણામ કુપોષણ અને બીમારીનું જોખમ છે અને યુદ્ધથી કમજોરીનું. આગળ તેઓ તેમનાં પિતા નેહરુનો એક કિસ્સો ટાંકતા કહે છે : “એવું કહેવાય છે કે પ્રગતિ પ્રકૃતિ પર થઈ રહેલાં હૂમલાની પર્યાય બની જાય છે. આપણે સૌ જે પ્રકૃતિનો હિસ્સો છીએ, અને આપણી દરેક આવશ્યકતા માટે તેના પર આધારીત છીએ, તેમ છતાં તેના શોષણને લઈને અમલ અંગે કશું કરતા નથી. 1953માં જ્યારે દુનિયાના સૌથી ઊંચા પર્વત પર પર્વતારોહી પહોંચ્યો હતો. ત્યારે જવાહરલાલ નેહરુએ ‘એવરેસ્ટ પર વિજય’ના શબ્દપ્રયોગ પર નારાજગી દર્શાવી હતી. અને તેને અહંકારી રૂપ વલણ ગણાવ્યું હતું.” આગળ તેમણે ભાષણમાં વિકસિત દેશોની ઝાટકણી કાઢતાં હોય તેમ જણાવ્યું હતું કે, “આપણે અહીંયા સંયુક્ત રાષ્ટ્રના બેનર નીચે એકત્રિત થયાં છીએ. અમારી અપેક્ષા છે કે આપણે સૌ અહીં એક પરિવારની જેમ છીએ. જેમના ગુણો એકસમાન છે અને આકાંક્ષાઓ પણ. તેમ છતાં આપણે વિભાજિત દુનિયામાં વસીએ છીએ.” આવું કેમ છે? તેનો ઉત્તર આપતાં આગળ ઇંદિરા ગાંધી કહે છે : “આજે પણ આપણી વચ્ચે સમાનતા નથી. અને એકબીજાં પ્રત્યેનું સન્માન પણ નથી. જ્યાં સુધી રંગ અને જાતિ, ધર્મ અને માન્યતાઓનો પ્રશ્ન છે સમાજ પૂર્વનિર્ધારીત ધારણાઓથી સંચાલિત થઈ રહ્યો છે. લોકોની ઉગ્રતા અને શ્રેષ્ઠ હોવાપણાંના દંભથી તનાવ હંમેશાં વધે છે. મહાસત્તાઓની શક્તિ વાસ્તવિકતા હોવા છતાં તે કોઈ સારાં કાર્ય માટે નહીં બલકે કાલ્પનિક ઇચ્છાઓની પાછળ દોડવામાં પોતાની શક્તિ ખર્ચે છે. આ જ કારણે બીજાના અધિકારમાં દખલ કરવી અને કાર્યવાહી કરવાનો હક મેળવી લેવામાં આવે છે. સામાન્ય રીતે તેની મંજૂરી કોઈને આપવામાં આવતી નથી. આજના અનેક વિકસિત દેશો અન્ય દેશોના લોકો પર પ્રભુત્વ મેળવીને સંપન્ન થયા છે. તેમણે પ્રાકૃતિક સંસાધનોનો ખૂબ ઉપયોગ કર્યો છે. તેમણે આરંભથી જ ક્રૂરતાભર્યું વલણ રાખ્યું અને દયા, સ્વાતંત્રતા, સમાનતા અને ન્યાય જેવાં મૂલ્યોને પાછળ હડસેલીને આગળ વધવાનો નિર્ણય કર્યો. નાગરિકોના રાજકીય અધિકાર હોય કે સૌથી નીચેના વ્યક્તિના આર્થિક અધિકાર, તે તમામ બાબતોની ત્યારે જ ચર્ચા થઈ જ્યારે આ દેશોએ પોતાનો પૂરતો વિકાસ કરીને અત્યાધુનિક થઈ ગયા.”

તે વખતે આપણા દેશને આઝાદ થયા અઢી દાયકા જેટલો જ સમય વીત્યો છે અને તેમાં પશ્ચિમના દેશો તરફ આ રીતે ઇંદિરા ગાંધીએ નિશાન સાંધ્યુ હતું. અને આગળ આ સ્થિતિથી કેવી રીતે આગળ વધવું અને તે માટે શું ધ્યાન રાખીશું તે પણ કહ્યું : “આજે આપણે બિલકુલ અલગ સ્થિતિમાં છીએ અને આપણું જીવન વધુ સારું બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે એના પર દૃષ્ટિ રાખીશું કે અમારા આવશ્યક કામ અર્થે પણ પર્યાવરણને નુકસાન ન પહોંચવું જોઈએ. અમે અમારાં આદર્શોથી બંધાયેલાં છીએ. અમે અમારા મજદૂરના અધિકારો માટે પ્રતિબદ્ધ છીએ અને અમે આંતરરાષ્ટ્રિય સંગઠનોના ચાર્ટરમાં લિખિત સિદ્ધાંતોનું પાલન પણ કરીશું. તેનાથી પણ આગળ એ કે, અમે અમારા દેશના રાજકીય અને જાગૃત કરોડો નાગરિકો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. આ તમામ બાબતો પ્રગતિને મોંઘેરી અને જટીલ બનાવે છે.”

પછી તેઓ ભારતમાં મહદંશે તે વખતે ગરીબી વર્ગની સંખ્યા વધુ હતી તેથી તેમણે પ્રદૂષણને ગરીબી સાથે જોડતાં કહ્યું : “પર્યાવરણને નુકસાન થાય તેવું કશું ય કરવાની અમારી ઇચ્છા નથી, પરંતુ અમે એ ભૂલતાં નથી કે મોટી સંખ્યામાં અમારાં નાગરિક ગરીબ છે. શું ગરીબી અને સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારાં એક જ સિક્કાના બે પાસાં છે? દાખલા તરીકે, જ્યાં સુધી અમે જંગલોમાં રહેતાં અમારા આદિવાસી લોકોને રોજગારી આપવા કે કશુંક ખરીદ કરી શકે તે સ્થિતિમાં નથી લાવી શકતા, ત્યાં સુધી તેમનાં આહાર કે આજિવિકા અર્થે તેમને જંગલો પર નિર્ભર ન રહેવાનું અમે ન કહી શકીએ. જ્યાં સુધી તેઓ પોતે ભૂખ્યા છે ત્યાં સુધી અમે તેમને પ્રાણીઓને બચાવવાનો આગ્રહ કેવી રીતે કરી શકીએ? અને જે લોકો ગામડાં અને કાચા મકાનમાં રહે છે તેમને દરિયા, નદીઓ અને હવા બચાવવા માટે કેવી રીતે કહી શકીએ જ્યારે તેમનું જ જીવન બદ્તર સ્થિતિમાં છે. ગરીબોની સ્થિતિમાં સુધાર ન આવે ત્યાં સુધી પર્યાવરણ સુરક્ષા નિશ્ચિત થઈ શકતી નથી. સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિના પણ ગરીબી દૂર ન થઈ શકે.”

ઇંદિરા ગાંધીએ તેમનાં આ વક્તવ્યમાં હજુ પણ અનેક મુદ્દા સમાવ્યાં છે. શબ્દમર્યાદાના કારણે તેની ચર્ચા અહીંયા થઈ શકતી નથી, પરંતુ તેમણે વક્તવ્યના અંતે જે કહ્યું છે તે સારરૂપી વાતમાં તેઓ કહે છે : “આધુનિક મનુષ્યએ પ્રકૃતિ અને જીવન સાથે અતૂટ સંબંધ પુનઃસ્થાપિત કરવો જોઈએ. અને તેણે સદીઓ પહેલાં ભારતના પૂર્વજોએ કર્યું હતું તે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પૃથ્વી અને વાતાવરણથી એટલું જ લઈ શકે જેટલું તે તેને પાછું આપી શકે.”

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,4521,4531,4541,455...1,4601,4701,480...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved