Opinion Magazine
Number of visits: 9569216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંડિત શિવકુમાર શર્મા અને ‘ઝનક ઝનક પાયલ બાજે’

રમણીક સોમેશ્વર|Opinion - Opinion|15 June 2022

‘નિરીક્ષક’ તા. ૧૬.૫.૨૦૨૨ના અંકમાં નિલય ભાવસારનો પંડિત શિવકુમાર શર્માર્ને ભાવસભર સ્વરાંજલિ આપતો લેખ વાંચી આનંદ થયો. એમાં ‘ઝનક ઝનક પાયલ બાજે’ની વાત વાંચતા પંડિતજીની સ્મરણકથા ‘सन्तूर मेरा जीवन संगीत’ (મૂળ અંગ્રેજી ‘જર્ની વિથ એ હન્ડ્રેડ સ્ટ્રિંગ્સ – માય લાઈફ ઇન મ્યુઝિક’નો શૈલેન્દ્ર શૈલ દ્વારા હિન્દી અનુવાદ) વાંચતાં એ ચલચિત્ર સંદર્ભે થોડી રસપ્રદ વાતો વાંચેલી તે મનમાં તાજી થઈ. ‘નિરીક્ષક’ના વાચકો સાથે એ વાતો વહેંચવાનું મન થયું. તો એ પુસ્તકના આધારે જ થોડી વાતો મૂકું.

વર્ષ ૧૯૫૫. ડૉ. કર્ણ સિંહ એ દિવસોમાં શિવકુમારના પિતાજી પાસે સંગીત-ગાન શીખે. એમના કહેવાથી ૧૭ વર્ષના શિવકુમારને મુંબઈમાં હરિદાસ સંગીત સંમેલનમાં વાદન માટે નિમંત્રણ મળ્યું. એ સંમેલનમાં બડે ગુલામ અલીખાં, ઉસ્તાદ અમીરખાન, પં. ઓમકારનાથ ઠાકુર, પં. પન્નાલાલ ઘોષ, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, પં. રવિશંકર, ઉસ્તાદ વિલાયત ખાન – જેવા અનેક દિગ્ગજ સંગીતકારો ભાગ લેનારા હતા. આવા મહાનુભાવો સાથે ભાગ લેતાં આ તરુણે કેવો આહ્‌લાદ અનુભવ્યો હશે!

શિવકુમાર ત્યારે તબલાવાદન માટે જાણીતા, તેથી તેમને તબલાવાદન માટે કહેવાયું પણ આ યુવાને તો તબલા અને સંતૂર – બંને વગાડવાનો આગ્રહ રાખ્યો. ઘણીબધી રકઝક પછી આ છોકરાની જિદ સામે નમતું જોખી આયોજકોએ કહ્યું, ‘તારી પાસે રોકડી ૩૦ મિનિટ છે. એમાં તારે કરવું હોય તે કર.’

મંચનો સુંદર મખમલી પરદો ઊંચકાયો. શિવકુમાર સંતૂર અને તબલા સાથે પૂરા આત્મવિશ્વાસપૂર્વક મંચ પર આવી ગયા. સંતૂર પડખે મૂક્યું. તબલા પર થાપ દીધી અને એમને મળેલ પૂરા અર્ધા કલાક સુધી તબલાવાદન કર્યું. તાળીઓનો ગડગડાટ અને વાહ વાહ એમને પ્રોત્સાહિત કરતા રહ્યા. અને પછી હાથમાં લીધું સંતૂર. સમ મેળવ્યો અને સંગીતરસિયા શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા કાવશજી જહાંગીર હોલમાં પૂરો એક કલાક રાગ ચમન વગાડ્યો. દ્દઢ મનોભાવ સાથે. બધું ઈશ્વરને સોંપી દઈને અને જમ્મુનો આ યુવક શ્રોતાઓ પર છવાઈ ગયો. ‘દુબારા, દુબારા’ના નાદ ઊઠ્યા – યાદ રહે, જમ્મુ બહાર અને વિશેષ રૂપે મુંબઈ નગરીમાં આ યુવકે પહેલી વખત પગ મૂક્યો હતો.

અહીંથી આરંભાય છે પેલા ચલચિત્રની વાત. વાહવાહોની ગુંજ અને શ્રોતાઓ તેમ જ સંગીતકારોનો પ્રેમ લઈ આ યુવક મોડી રાતે ઉતારે પહોંચ્યો. સવારે હજુ જાગ્યો જ છે ત્યાં એક સુરુચિ સંપન્ન સન્નારી એમની રાહ જોતાં બેઠાં હતાં. એ હતા મધુરા શાન્તારામ. વિખ્યાત ફિલ્મ નિર્દેશક વી. શાન્તારામનાં પુત્રી. તેઓ એમના પિતાનો સંદેશ લાવ્યાં હતાં કે “શું શિવકુમાર એમની આગામી ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’ માં સંતૂર વગાડવાનું પસંદ કરશે?” વિચાર કરો, કેવી ઉત્તેજના અનુભવી હશે આ યુવાને! પણ પંદર દિવસ પછી જ હતી એની કૉલેજની ફાઇનલ પરીક્ષા. એ છોડીને  તો એ ન આવી શકે. એણે પ્રસ્તાવ પાછો વાળ્યો, પણ સાથે સાથે એમ પણ કહ્યું કે ‘પરીક્ષા પછી પણ તમારો પ્રસ્તાવ ખુલ્લો હોય તો, આ રહ્યું મારું સરનામું’, એમ કહી સરનામું આપ્યું.

સંગીત સમારોહની મધુર યાદો સાથે શિવકુમાર જમ્મુ પહોંચ્યા અને બરાબર પરીક્ષાના આગલે દિવસે જ મુંબઈના રાજકમલ સ્ટુડિયોમાંથી એક તાર આવી પહોંચ્યો. ‘ઝનક ઝનક પાયલ બાજે’ના પાર્શ્વ સંગીત માટે આવી જાવ.”… ફરી મુંબઈ.

ત્યાં સ્ટુડિયોમાં વી. શાન્તારામ સાથે હતા સંગીત-નિર્દેશક વસંત દેસાઈ. અન્ય કેટલા ય લોકોની જેમ સન્તૂર સાંભળવાની વાત તો દૂર રહી, એમણે સંતૂર જોયું પણ ન હતું. એમણે શિવકુમારને સંતૂરના થોડા પીસ સંભળાવવાનું કહ્યું. લગભગ એક આખો કલાક શિવકુમારે સન્તૂર વગાડ્યું. વસન્ત દેસાઈ બોલી ઊઠ્યા, “હું તારે માટે સંગીત-નિર્દેશન નહીં કરું. તું પોતે જ ફિલ્મ જોઈને ક્યા દૃશ્ય માટે શું વગાડવું એનો નિર્ણય તારી જાતે જ લે. મને વિશ્વાસ છે કે તું જે કંઈ વગાડીશ એ ઉત્તમ જ વગાડીશ”. અને પછી એક અઠવાડિયું આખું સ્ટુડિયોમાં રહી શિવકુમારે સંગીત આપ્યું. રોમાંચસભર સુંદર દૃશ્યો માટે એવું જ મધુર સંગીત.

વસંત દેસાઈએ જ્યારે શાન્તારામને એવું જણાવ્યું કે શિવકુમારે પોતાના સંગીતનું નિયોજન પોતે જ કર્યું છે ત્યારે તેઓ વિચારમાં પડી ગયા. એમણે ધ્યાનપૂર્વક એ સંગીત સાંભળ્યું. ખુશ થયા અને થોડાં નાનાં – મોટાં સૂચનો સાથે એ સંગીત તરત રેકૉર્ડ કરાવી લીધું.

પછી શાન્તારામે એમની આગામી ફિલ્મ માટે સંગીત-નિર્દેશનનો પ્રસ્તાવ પણ એમની પાસે મૂક્યો અને એમાં અભિનય કરવાની વાત પણ કરી. પણ આ યુવાન સામે લક્ષ્ય હતું સંગીત. બી.એ.ની પરીક્ષા પાસ કરી સંગીત-સાધનામાં લાગી જવાની એમની નેમને ગ્લેમરની દુનિયાના એ પ્રસ્તાવો લલચાવી ન શક્યા.

 આ થોડી વાત ‘ઝનક ઝનક પાયલ બાજે’ના સંગીત-નિર્દેશન અને જોડાયેલી રસપ્રદ સ્મરણ-ગાથાની.

(સંદર્ભ : “सन्तूर मेरा जीवन संगीत’’ – पं. शिवकुमार शर्मा − प्रकाशक भाग्य ज्ञानपीठ, ई.स. ૨૦૧૨)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 15  

Loading

રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોનું દળદર ફીટશે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 June 2022

૧૯૮૪નું વરસ આંતરરાષ્ટ્રીય યુવા વરસ તરીકે મનાવાયું હતું. તેના અનુસંધાને ૧૯૮૮માં દેશની પહેલી રાષ્ટ્રીય યુવા નીતિ ઘડાઈ હતી. તે પછી ૨૦૦૩ અને ૨૦૧૪માં પણ યુવા નીતિ આવી હતી. હાલમાં રાષ્ટ્રીય યુવા નીતિ ૨૦૨૧નો મુસદ્દો જાહેર વિમર્શ માટે દેશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોને જોડવા અને તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વને નિખારવાના હેતુસર ઘડાતી રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોને કેટલો લાભ થાય છે તે સવાલ તો રહે જ છે.

કવિ ઝવેરચંદ મેઘાણી જેના ઘટમાં ઘોડા થનગનતા હોય, જેનો આતમ પાંખ વીંઝતો હોય અને જેની આંખ અણદીઠેલી ભોમ પર મંડાયેલી હોય તેને યુવાન ગણે છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની યુવાનની પરિભાષા ઉંમર કે વય સાથે સંકળાયેલી છે. ૧૫થી ૨૪ વરસની વયની વ્યક્તિને તે યુવાન ગણે છે. ભારત સરકારની યુવા નીતિમાં આ વય બદલાતી રહી છે. ૨૦૦૩માં ૧૩થી ૩૫ વરસ અને ૨૦૧૪માં ૧૫થી ૨૯ વરસની વય યુવાન માટે ઠરાવી હતી. ૨૦૨૧ની યુવા નીતિના મુસદ્દામાં ૧૫થી ૨૯ અને ૧૩થી ૩૫ એમ બંને વયનો ઉલ્લેખ છે.

જેમ સરકારી યુવા નીતિમાં યુવાનની ઉંમર બદલાતી રહે છે, તેમ તેના ઉદ્દેશો પણ બદલાતા રહે છે. યુવાનોને આર્થિક રીતે ઉત્પાદક અને સામાજિક રીતે ઉપયોગી બનાવવા માટે તેમના વ્યક્તિત્વ અને કાર્યાત્મક ક્ષમતાઓને વિકસિત કરવાના અવસર પેદા કરવાનો ઉદ્દેશ ૧૯૮૮ની પ્રથમ યુવા નીતિનો હતો. તે કેટલો ફળીભૂત થયો છે તેની ચર્ચા વિના તે પછીની યુવા નીતિના ઉદ્દેશો ઘડાતા રહ્યા છે. ૨૦૧૪ની નીતિનો ઉદ્દેશ યુવાઓની ક્ષમતાનો વિકાસ સાધી તેમના થકી ભારતને અન્ય રાષ્ટ્રોમાં મોભાનું સ્થાન અપાવવાનો હતો.

૨૦૧૪ની નીતિની પાંચ વરસે સમીક્ષા કરવાની હતી. પણ હવે આઠેક વરસે નવી નીતિ આવી રહ્યાના પડઘમ સંભળાય છે. ભારતને આગળ વધારવા માટે યુવાનોની ક્ષમતાઓને મોકળું મેદાન પૂરું પાડવાનો ઉદ્દેશ ધરાવતી ૨૦૨૧ની યુવા નીતિમાં આગામી દસ વરસ માટે યુવા વિકાસનો દૃષ્ટિકોણ અને સંકલ્પ વ્યક્ત થયા છે. ૨૦૧૪ની યુવા નીતિના પ્રાથમિકતાના ક્ષેત્રો અગિયાર હતા પણ હાલની નીતિમાં પાંચ જ પ્રાથમિકતાના ક્ષેત્રો છે. શિક્ષણ, યુવા નેતૃત્વ અને વિકાસ, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા, તંદુરસ્તી અને રમતગમત તથા સામાજિક ન્યાયની પાંચ પ્રાથમિકતા સાથે ૨૦૩૦ના વરસને લક્ષ્યાંક સિદ્ધિનું વરસ નવી યુવા નીતિમાં ઘોષિત કરવામાં આવ્યું છે.

ડેમોગ્રાફિક ડિવિડન્ડ  કહેતા યુવા ધનથી ભારતવર્ષ છલકાઈ રહ્યું છે. દેશની કુલ વસ્તીમાં ૧૫થી ૨૯ વરસના લોકોનું પ્રમાણ ૨૭.૫ ટકા અને ૧૩થી ૩૫ વરસનું ૪૧.૩ ટકા છે. દેશમાં ૧૫થી ૨૪ વરસના યુવાનો ૨૩.૨૧ કરોડ છે. ઉત્તર પ્રદેશમાં ૬.૩૭ કરોડ અને ગુજરાતમાં ૧.૭૮ કરોડ લોકો ૧૪થી ૨૩ વરસની વયના છે. દેશમાં ૧૫થી ૨૯ વરસના લોકોનો સાક્ષરતા દર ૭૪.૦૪ ટકા અને દેશની સામાન્ય રાષ્ટ્રીય આવકમાં યોગદાન ૩૪ ટકા છે.ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળમાં યુવા વસ્તી વધારે છે. કેરળ અને તમિલનાડુમાં યુવાનો કરતાં વૃદ્ધોની વધુ વસ્તી હોવી એ હકીકતનો નિર્દેશ કરે છે કે ઉત્તરના પછાત રાજ્યોમાં યુવા અને દક્ષિણના વિકસિત રાજ્યોમાં વૃદ્ધ વસ્તી વધુ છે.

લગભગ દરેક યુવા નીતિમાં શિક્ષણ અને રોજગારનો પ્રાથમિકતાના ક્ષેત્રમાં સમાવેશ થયો છે. છતાં આ બંનેની બાબતમાં દેશનો યુવા સૌથી વધુ અજંપ છે. શિક્ષણના ખાનગીકરણનો વ્યાપ વધ્યા પછી ઉચ્ચ શિક્ષણ વધુ દોહ્યલું બન્યું છે. એવું જ રોજગાર અંગે કહી શકાય. કૌશલ વિકાસ અને વ્યવસાયલક્ષી શિક્ષણના થીગડાથી ન તો શિક્ષણનો સવાલ ઉકલે છે કે ન તો રોજગારનો. આ વરસના બજેટમાં કોરોના મહામારીના અનુભવને આધારે ડિજિટલ શિક્ષણ પર ભાર મુકાયો છે. પરંતુ ભૂતકાળના અનુભવો પરથી સફળતાની શક્યતાઓ વર્તાતી નથી. યુવા વિકાસની પ્રત્યક્ષ યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકાર યુવા દીઠ વાર્ષિક રૂ.૧,૧૧૦ ખર્ચતી હોય તો તેનાથી યુવાનોનું દળદર કઈ રીતે ફીટે ? દેશમાં ૩૦ ટકા યુવા શ્રમિકો રોજગારવિહોણા બન્યા હોય અને ૩ કરોડ યુવાનો બેકાર હોય ત્યારે રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની વાત પણ ઠાલી લાગે છે.

યુવા નેતૃત્વ પણ શબ્દફેરે તમામ યુવા નીતિમાં જોવા મળે છે. વહીવટના તમામ ક્ષેત્રોમાં યુવા નાગરિકોની ભાગીદારી, સહાયક વહીવટી તંત્ર ઊભું કરવું અને શહેરી વહીવટમાં યુવા ભાગીદારીને પ્રોત્સાહન જેવી બાબતોના અમલ અંગે ભાગ્યે જ નક્કર વિચારણા થતી હોય છે. રાજકીય પક્ષોની યુવા પાંખો નેતાઓની સભાઓની ભીડ એકઠી કરવાનું સાધન માત્ર છે. દેશમાં યુવા વસ્તી વધે પણ અઠાર વરસના મતાધિકાર પછી સંસદ અને ધારાસભાઓમાં વૃદ્ધો વધે તે ભારતીય લોકતંત્રની બલિહારી છે. ભારતની પહેલી લોકસભામાં ૬૬થી ૭૫ વરસના સભ્યો માત્ર ૧૧ (૨.૩૮ ટકા) જ હતા.પરંતુ વર્તમાન લોકસભામાં ૬૦ વરસથી વધુ ઉંમરના ૧૭૭ સાંસદો છે. પહેલી લોકસભામાં ૨૫થી ૩૫ વરસના યુવા સાંસદો ૮૨ (૧૭.૭૫ ટકા) હતા. જે સોળમી લોકસભામાં ઘટીને ૧૯ (૩.૬ ટકા) છે. પહેલી લોકસભાના સભ્યોની સરેરાશ વય ૪૬.૫ ટકા હતી. પરંતુ સોળમીમાં ૫૬ વરસ હતી. વડીલોના ગૃહ રાજ્યસભાના સૌથી યુવા સભ્યની ઉમર ૩૩ વરસ છે જે યુ.નો.એ યુવાનની ઠરાવેલી ઉંમર કરતાં નવ વરસ વધુ છે ! આ વરસે જ યોજાયેલી યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનેલા ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની સરેરાશ ઉંમર ૫૨.૭ વરસ છે. આ વાસ્તવિકતા યુવા નીતિમાં દર્શાવેલ યુવા નેતૃત્વની પ્રાયોરિટીની પોલ ખોલી નાંખે છે.

યુવા નીતિમાં તમામ યુવાનોને એક જ સરખા ગણવાનું વલણ છે. પરંતુ ગ્રામીણ અને શહેરી, ગરીબ અને તવંગર, અભણ અને ભણેલા, યુવક અને યુવતી જેવા ભેદ ધ્યાનમાં રખાતા નથી. યુવા નીતિમાં ક્યારેક જ લૈંગિક ન્યાય, બાળવિવાહ, સ્ત્રીઓ પ્રત્યે દુર્વ્યવહારનો ઉલ્લેખ છે. જે  અર્ધી આબાદીની ધરાર ઉપેક્ષા છે.

રાષ્ટ્રીય કક્ષાએ ૨૦૩૦ના લક્ષ્યાંક સાથેની નવી યુવા નીતિ ચર્ચામાં છે, ત્યારે રાજ્યકક્ષાએ ગુજરાતની સ્થાપનાના શતાબ્દી વરસ ૨૦૬૦ની યુવા નીતિની તૈયારીઓ ચાલી રહી છે. વિકાસનું ગુજરાત મોડેલ યુથ પોલિસી અંગે પણ ઘણું ઘણું આગળનું વિચારે છે, નહીં ? ૨૦૦૨ના બી.જે.પી.ના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ યુવા ઉત્કર્ષ યોજનાનું વચન અપાયું હતું. હવે રાજ્યમાં મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલી છે ! આ પ્રગતિ કંઈ સાધારણ છે ?

યુવાન એટલે રમતગમત એ બાબત સરકારોના મનમાં એવી ઠસી ગઈ છે કે કેન્દ્ર અને રાજ્યોમાં યુવા બાબતના મંત્રાલય અને વિભાગ સાથે જ રમતગમત પણ હોય જ છે. યુવાન એટલે માત્ર રમતગમત જ નહીં શિક્ષણ અને રોજગાર પણ એ સ્વીકારીને યુવા બાબતો સાથે શિક્ષણ કે  રોજગારનો વિભાગ કે મંત્રાલય પણ જોડાય એટલું પણ યુવા નીતિમાં હોય તો ભયો ભયો.

e.mail : maheriyachandu@gmail.com

Loading

૨૫ જૂન ૧૯૭૫, ૧ જુલાઈ ૧૯૪૬

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 June 2022

નૂપુરના કર્કશંકાર વચ્ચે લખવા બેઠો છું, ત્યારે ખરેખર તો ચિત્તમાં રમતી બે તારીખો, પચીસમી જૂન અને પહેલી જુલાઈ છે. ૧૯૭૫માં ચાલુ પખવાડિયે બંધારણ સભાએ નહીં કલ્પેલ રીતે કટોકટીરાજ લાદવામાં આવ્યું હતું અને સ્વરાજ પણ જાણે તહસનહસ થતું લાગ્યું હતું. ૧૯૪૬ના જુલાઈની પહેલીએ, સ્વરાજ વરસેકમાં આવવાનું હતું અને વસંત-રજબની શહાદત સાથે સ્વરાજ સમક્ષનો રક્તભીંજ્યો એજન્ડા સહસા ઊઘડી આવ્યો હતો.

ખિલાફત અને અસહકારના દિવસોમાં દેશે હિંદુ-મુસ્લિમ એકતાનો જે અહેસાસ કર્યો હતો એ ઉત્તરોત્તર ક્યાં ય ખોવાતો ચાલ્યો અને છેવટે સ્વાતંત્ર્ય ને વિભાજન સાથે આવ્યાં. હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનમાં સાવરકરે સ્પષ્ટોક્તિ કરી હતી કે આપણે ત્યાં ઓછામાં ઓછાં બે રાષ્ટ્રો તો છે જ – હિંદુ ને મુસ્લિમ. તે પછી બેત્રણ વરસે, ૧૯૪૦ના લાહોર અધિવેશનમાં મુસ્લિમ લીગે પાકિસ્તાનનો ઠરાવ કર્યો હતો.

સ્વરાજની વડી પાર્ટી તરીકે કાઁગ્રેસે દેશની હિંદુ/મુસ્લિમ વ્યાખ્યાઓથી ખાસી પરહેજ કરી હતી. ૧૯૧૬માં તિલક-ઝીણા સહભાગિતા સાથે લખનૌ કરાર વાટે ધોરણસરની બેઠક વહેંચણીપૂર્વક વાટાઘાટગત સમજૂતી (નેગોશ્યેટેડ સેટલમેન્ટ) નીયે કોશિશ થઈ હતી. આગળ ચાલતાં, તે પછી પંદરસત્તર વરસે ગાંધીના આમરણ અનશનને પગલે પુના કરાર થયો હતો. દેશનાં દીનદલિતને રાષ્ટ્રજીવનમાં સાંકળવાની દિશામાં એ પણ એક વાટાઘાટગત સમજૂતી (નેગોશ્યેટેડ સેટલમેન્ટ) હતી.

સ્વરાજનું પંચોતેરમું વરસ સંકેલવામાં છે ત્યારે લખનૌ ને પુના કરારોને સાથે મૂકીને જોતાં શું સમજાય છે? ધર્મકોમ અગર વર્ણને ધોરણે વિભક્ત-વિભાજિત અને વળી સામસામી ઓળખોમાં નહીં ગંઠાતાં, નહીં અટવાતાં સરવાળે એક સહિયારી ઓળખની દિશામાં બંધારણીય કોશિશભેર રાજપથ ને જનપથની એ ભૂમિકા છે. છેલ્લા દસકાઓમાં દુનિયાભરમાં જે બે સંજ્ઞાઓ રાષ્ટ્રવાદ સંદર્ભે આપણી સામે આવી છે – કૉન્સ્ટિટ્યુશનલ નૅશનલિઝમ અને સિવિક નૅશનલિઝમ – બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદ, તે આ સંદર્ભમાં જોવા સમજવા જોગ છે.

આ મુદ્દો નહીં પકડાયાથી શું થાય છે એ સમજવા આપણે ઉત્તર ઝીણાનાં બે દૃષ્ટાંતો પકડવાં જોગ છે. હમણાં અમદાવાદનાં હિંદુ મહાસભા ને લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનોની જિકર કરી, લગભગ એ જ ગાળામાં ઝીણાએ અલીગઢના ભાષણમાં એક વિલક્ષણ તર્ક લડાવ્યો હતો : ઇંગ્લૅન્ડમાં મજૂર પક્ષ ને રૂઢિચુસ્ત પક્ષ – લેબર ને કૉન્ઝર્વેટિવ – બે રાજકીય જમાવડા છે જે વારાફરતી સત્તા પર આવી શકે છે. હિંદમાં હિંદુ બહુમતી છે, મુસ્લિમ લઘુમતી છે. એટલે વારાફરતી સત્તા પર આવવાની સગવડ જ નથી જે ઇંગ્લૅન્ડમાં છે. ઝીણાના આ તર્કની માંડણી જ ખોટી બુનિયાદ પર હતી; કેમ કે લેબર કે કૉન્ઝર્વેટિવ એ રાજકીય-આર્થિક-સામાજિક કાર્યક્રમને ધોરણે રચાયેલ પક્ષો છે. એ રીતે એમનું રાજકારણ બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદની પરિધિમાં છે. ઊલટ પક્ષે, હિંદુ કે મુસ્લિમ એ પ્રકારની પક્ષબાંધણી કે રાષ્ટ્રવ્યાખ્યાનો પાયો ધર્મકોમઅધિષ્ઠિત છે. આ પ્રકારનું રાજકારણ (ભલે રાષ્ટ્રકારણના સ્વાંગમાં પણ) ઓળખનું રાજકારણ છે જે તમને ભાગલા સુધી લઈ જાય અને નવા સંદર્ભમાં પણ પરસ્પરસ્પર્ધી કોમવાદના ધોરણે વહેંચાયેલા રાખે. ઉત્તર ઝીણાના હિંદુ અડધિયાનું જે જનસંઘ-ભા.જ.પ. રાજકારણ આપણે ત્યાં વિકસ્યું એનું આ પરિપ્રેક્ષ્યમાં આકલન થતું નથી તે દેશજનતાની કરમકઠણાઈ છે.

જેમ ઝીણાના અલીગઢ ભાષણનો ઉલ્લેખ કર્યો તેમ બીજાયે એક ભાષણનો ઉલ્લેખ કરવા જોગ છે. પાક બંધારણસભામાં એમણે એ મતલબનું હતું કે આપણું બંધારણ અમલમાં આવશે તે પછીનાં થોડાંક જ વરસોમાં પાકિસ્તાનમાં ન કોઈ મુસ્લિમ હશે, ન કોઈ હિંદુ હશે – એમના ધરમમજહબ અલબત્ત પોતપોતાનાં હશે પણ તે સૌ પાકિસ્તાની હશે. ઝીણાના પાક ઉદ્‌ગારો, કેમ કે તે મજહબી ઓળખના રાજકારણની પૃષ્ઠભૂ પર આવ્યા હતા, એની અસર ધૂળ પરના લીંપણથી વધુ ન થઈ. રથી અડવાણીએ પાકિસ્તાનની કટાસરાજ મુલાકાત વેળાએ ઝીણાને નવેસર જોવાની જે શક્યતા ખોલવા ચહી તેનુંયે ક્યાં કોઈ ખરીદાર હતું? જનસંઘે જનતા અવતાર પછી ભારતીય જનતા પક્ષ તરીકે કામ કરવાનું નિરધાર્યું ત્યારે અપેક્ષિત શક્યતા ઓળખના રાજકારણમાંથી નાગરિક રાજકારણ ભણી નવપ્રસ્થાનની હતી, પણ તે ધર્મકોમના રાજકારણના જૂના ચીલે પાછી ફંટાઈ ગઈ. વિકાસ કહો, સુશાસન કહો, એ વરખ હશે તો હશે, ધૂળ પરનું લીંપણ, બીજું શું.

બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદની શિક્ષાદીક્ષાનો સ્વરાજ પછી આવી મળેલો મોટો અવસર જેવી આંદોલન, કટોકટી રાજ ને જનતા રાજ્યારોહણનાં વર્ષોનો હતો. હેબિયસ કોર્પસ અને રાજદ્રોહના આરોપ તો દૂરની વાત થઈ, પણ કાયદાના શાસન (રુલ ઑફ લૉ) માટેની બંધારણીય ભૂમિકા મજ્જાગત બને તે અપેક્ષિત હતું. પણ કાલાન્તરે કટોકટીરાજના સૌથી મોટા લાભાર્થી તરીકે સત્તાની ગલિયારીમાં સ્થિતપ્રતિષ્ઠ ભા.જ.પી. રાજવટમાંએ માટેની માનસિકતાનું ઉછેરગત ટાંચું સતત પડતું રહ્યું છે.

મૌલાના આઝાદે એક તબક્કે સૌ મુસ્લિમ દેશબાંધવોને સંબોધીને સરસ કહ્યું હતું કે ખુદાએ સરજેલ મુલકમાં કોઈ એક ટુકડો જ પાક કેવી રીતે હોઈ શકે– તમે સમજો કે તમે કેવળ લઘુમતી નથી, આ દેશની બીજા ક્રમે આવતી બહુમતી પણ છો. ઉત્તર ઝીણાથી વિપરીત, મૌલાના આઝાદની નસીહત બંધારણીય રાષ્ટ્રવાદ અગર નાગરિક રાષ્ટ્રવાદ તરફની હતી એમ પણ તમે કહી શકો.

આ વાનું ન પકડાયું એટલે પાકિસ્તાન સરજાયું. પ્રજાસત્તાક સ્વરાજની ભારતીય કોશિશ પણ પ્રસંગે મોચવાતી રહી. ઓળખના અતિરંજિત રાજકારણમાં જનસંઘ(ભા.જ.પ.)ને અણધારી મદદ કટોકટીરાજના મનમુરાદ અમલમાંથી – ખાસ કરીને સંજય બ્રાન્ડ તુર્કમાન ઘટના આદિને કારણે મળી. વિલક્ષણ વિપર્યાસ તો એ જોવા મળ્યો કે કટોકટીના જેલબંદી જનસંઘને મન સંજય કદાચ હીરો હશે, અને વચલાં વરસોમાં એમની પાટે આવેલ વરુણ પણ. તુર્કમાન ઘટના ને શાહબાનુ ઘટના બેઉએ અલગ અલગ છેડેથી હિંદુ જમાવટને બળ આપ્યું. ઓળખના રાજકારણની અપ્રીતિકર અજાયબી તીન તલાક બાબતે વેળાસર સુધારો નહીં સ્વીકારી શક્તી મુસ્લિમ નેતાગીરીની માનસિકતામાં જોવા મળે છે. તીન તલાક કોઈ ધર્મતત્ત્વનો મુદ્દો નથી, સામાજિક મુદ્દો છે. બંધારણીય / નાગરિક રાજકારણ ને સમાજકારણની દૃષ્ટિએ તે લૈંગિક ન્યાય અગર જેન્ડર જસ્ટિસનો મુદ્દો છે. નમો ચાહકોને સમજાવું જોઈએ કે આ કોઈ હિંદુ મતનો મુસ્લિમવિજય નથી, નાગરિક ધારાધોરણ ભણી નવયુગી કદમ છે. હિંદુમતે પોતાને પણ આ કસોટીએ મૂલવવાનું રહે છે. અસ્પૃશ્યોના અધિકાર સબબ શાહુમહારાજથી જુવારુ રાખતા કે એથી પણ વધુ તો સંમતિવયના કાયદાનો (‘અમારા ધર્મમાં તમારી દખલ નહીં’ એ ધોરણે) વિરોધ કરતા તિલક મહારાજ બાબતે સમાદરપૂર્વક પુનર્વિચારની તૈયારી હિંદુમતને છે કે કેમ, વિચારીએ.

જ્ઞાનવાપી પ્રકરણમાં આ સંદર્ભે શું કરીશું ? ઔરંગઝેબનું દાનપત્રક ઉજ્જૈનના મહાકાલેશ્વર પાસે હોઈ શકે એ હકીકતને એની મૂર્તિભંજક પ્રતિષ્ઠા સામે કેવી રીતે જોઈશું? હિંદુ રાજાઓએ એકમેકના રાજ્યની લૂંટમાં મંદિરોને બાકાત નહોતાં રાખ્યાં તે વિગતનું શું કરીશું? અયોધ્યાને બાદ રાખી અન્યત્ર ‘સ્ટેટસ કો’નો કાયદો એક વાટાઘાટગત સમજૂતીનો રસ્તો હતો અને પ્રજા જૂનાં વેરઝેર ભૂલી આગળ વધે એવો એવો આશય હતો અને છે.

આ ક્ષણે ચર્ચાનો છેડો નથી. માત્ર, ઉતાવળે પણ સમેટતાં એટલું જ કહીશું કે હિંદુરાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની છેલ્લા બે’ક સૈકાની રાજકીય વિભાવનાબાંધણીને પરબારી ઊચકીને છેલ્લાં હજાર વરસના ઇતિહાસને લાગુ પાડવાની કાલવ્યુત્ક્રમ (એનેક્રોનિસ્ટિક) અંધારીમાંથી બહાર આવીએ અને અમન, એખલાસ ને ઈન્સાફના ધોરણે કાયદાના શાસન વાસ્તે સમર્પિત થઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 01-02 

Loading

...102030...1,4491,4501,4511,452...1,4601,4701,480...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved