Opinion Magazine
Number of visits: 9569947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—150

દીપક મહેતા|Opinion - Opinion|18 June 2022

જે દૂરી દેશનો ગરીબ દરદમાં ફશે, તે મુંબઈમાં હર જોશી પાસે જશે

‘સર’નો ઈલ્કાબ મેળવનારા પહેલા હિંદુ હતા મંગળદાસ નથુભાઈ 

કુટુંબ, કબીલો, ખાનદાન, વંશ, ઘરાણું, અંગ્રેજીમાં કહે ‘ફેમેલી.’ કુટુંબની પરંપરા, એની જાળવણી, એક જમાનામાં ખૂબ મહત્ત્વની મનાતી. એ જાળવવા માટે માણસો ખુવાર થઈ જતા, પણ ખચકાતા નહિ. હવે વાત માંડવી છે મુંબઈનાં આવાં કેટલાંક ખાનદાનની. ભલે આજે તેમાંનાં ઘણાંનાં નામ ભૂલાઈ ગયાં હોય, પણ મુંબઈના જીવનને ઘડવામાં, મુંબઈના લોકોને નાની-મોટી સગવડ પૂરી પાડવામાં, પોતાની જમાતના જ નહિ, સૌ કોઈ માટે મોટી મોટી સખાવતો કરનારાં કેટલાંક કુટુંબોની કથા માંડીએ હવે.

ગ્રાન્ટ મેડિકલ કોલેજનું અસલ મકાન

૧૮૪૫ના નવેમ્બરની પહેલી તારીખથી શિક્ષણ આપવાનું શરૂ કરનાર ગ્રાન્ટ મેડિકલ કોલેજ તે માત્ર મુંબઈ ઈલાકાની જ નહિ, આખા દેશની પહેલવહેલી મેડિકલ કોલેજ. એટલે તે પહેલાં મુંબઈ ઇલાકામાં એક પણ ‘દેશી’ ડોક્ટર નહોતો. હા, હોસ્પિટલ હતી, તેમાં ડોકટરો હતા, પણ બધા અંગ્રેજ. અને ત્યાંની સારવાર પોસાય કાં અંગ્રેજ અમલદારોને, કાં બહુ તવંગર ‘દેશી’ઓને. તો એ વખતે માંદા પડે ત્યારે લોકો શું કરતા? કોની પાસે જતા? વૈદરાજ પાસે. આ વૈદરાજ જોશી તરીકે પણ ઓળખાતા. આવા એક બહુ જાણીતા વૈદરાજ હતા કરસન જોશી કે કરશણા જોશી. મુંબઈથી લગભગ ૮૦ કિલોમીટર દૂર આવેલા કેળવે-માહિમના વતની. ઈ.સ.૧૬૯૧ના અરસામાં પોતાના કુટુંબ-કબીલા સાથે મુંબઈ આવ્યા અને વૈદનો વ્યવસાય શરૂ કર્યો. ઝાઝી મૂડી તો હતી નહિ તેમની પાસે. છતાં એક નિયમ રાખેલો : પામતા-પહોંચતા દરદી આવે તેની પાસેથી ફી લેવાની. ગરીબ-ગુરબાં પાસેથી નહિ લેવાની. એટલું જ નહિ, બહારગામથી આવેલા ગરીબ દરદીઓનું રહેવા-ખાવાનું ખરચ પોતે આપતા અને ઘરે પાછા જવા માટે વાટખરચી પણ આપતા! એટલે એમની નામના માત્ર મુંબઈમાં જ નહિ, તેની આસપાસ પણ ફેલાઈ હતી. ઈ.સ. ૧૭૦૧માં જન્મેલો દીકરો ધરમ જોશી પણ બાપને પગલે ચાલ્યો. ધરમ જોશીને ત્રણ દીકરા. નાનો ગોવિંદ પોતાને વતન જઈને રહ્યો એટલે તેને વિષે ઝાઝું જાણવા મળતું નથી. પણ હર જોશી અને સદાશિવ જોશીએ કુટુંબનો વ્યવસાય ચાલુ રાખ્યો. બંનેની નામના પણ પુષ્કળ થઈ. તે એટલે સુધી કે એક અજ્ઞાત કવિએ તો કવિત પણ જોડી કાઢેલું :

જે દૂરી દેશનો ગરીબ દરદમાં ફશે, તે મુંબઈમાં હર જોશી પાસે જશે.
માવજત જેની જ્યાં પિતા પેરે થાય, રોડે ત્યાં સુધી તે મફતનું ખાય.
ઘણાઓએ તેવણનો આશરો લીધો, વતન જાયે ત્યારે તો સામણ સીધો.

કાલબાદેવી રોડ, ૧૮૯૦

આજનો કાલબાદેવી રોડ એક જમાનામાં ઉજ્જડ વેરાન હતો. એ વિસ્તારમાં કાલબાદેવીનું મંદિર બંધાયું તે પહેલાં આ રસ્તા પર આ જોશી કુટુંબે પોતાની વિશાળ હવેલી બંધાવી હતી. અને એટલે એ રસ્તો ‘હર જોશી રોડ’ તરીકે ઓળખાતો હતો. પણ કહે છે ને કે ‘ચડે તે પડવા માટે.’ હર જોશીના વંશજો ખાનદાની વ્યવસાયને જાળવી શક્યા નહિ. વળી હવે મુંબઈમાં બીજા વૈદો પણ આવી વસ્યા હતા. એટલે લોકો હર જોશીના વંશજો પાસે જવા કરતાં વિઠોબા, ભવાનીશંકર, જગન્નાથ, જેવા બીજા વૈદો પાસે જવા લાગ્યા. હર જોશીના કેટલાક વારસોએ નાની-મોટી નોકરી શોધી લીધી.

જોશી કુટુંબનું વંશવૃક્ષ

અહીં એક વાત નોંધવા જેવી છે. ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી જે-જે લોકો ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી મુંબઈ આવી વસ્યા તે બધા દરિયાઈ માર્ગે મુંબઈ આવ્યા હતા. કારણ એક તો મુંબઈના સાત ટાપુઓ જ એક બીજા સાથે જોડાયા નહોતા એટલે જમીન રસ્તા જેવું ભાગ્યે જ કશું હતું. અને ખાસ કરીને ગુજરાત અને મુંબઈ વચ્ચે તો રસ્તા હતા જ નહિ. બી.બી.સી.આઈ.ની મુંબઈ-અમદાવાદ વચ્ચેની ટ્રેન તો છેક ૧૮૭૦માં શરૂ થઈ. એટલે જે ગુજરાતીઓ અહીં આવ્યા તે સુરત, ભરૂચ, ઘોઘા, દીવ જેવાં બંદરોએથી દરિયાઈ રસ્તે મુંબઈ આવેલા.

આ રીતે આવેલા એક ગુજરાતી તે રૂપજી ધનજી. વતન ભાવનગર પાસેનું ઘોઘા ગામ. અને મુંબઈ આવવા વહાણે ચડ્યા પોર્ટુગીઝ હકુમત હેઠલના દીવ બંદરેથી. રહેતા પણ દીવ અને પોર્ટુગીઝ સરકારને જરૂરી માલસામાન મેળવી આપવામાં આડતિયા તરીકે કામ કરતા. શુ થયું એ તો રામજી જાણે, પણ ૧૬૯૨માં દીવ છોડી રૂપજી ધનજી દરિયા વાટે મુંબઈ આવ્યા. એ પહેલાં ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખથી મુંબઈ પરથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ શરૂ થઈ. મુંબઈ આવીને રૂપજી શેઠે કામ તો દીવમાં કરતા હતા તે જ કર્યું. પણ અહીં તેઓ પોર્ટુગીઝ સરકારને બદલે બ્રિટિશ સરકારને જરૂરી માલ-સામાન પૂરો પાડવા લાગ્યા. તેમના દીકરા મનોરદાસે બાપીકો ધંધો તો ચાલુ રાખ્યો, પણ સાથોસાથ શરાફીનો ધંધો પણ શરૂ કર્યો, એટલું જ નહિ, મુંબઈના નગર શેઠ બન્યા. મનોરદાસને પાંચ દીકરા. નાના નાગરદાસ નાનપણથી જ અપંગ અને વહેલા ગુજરી ગયા. પણ બીજા ભાઈઓ અને ભત્રીજાઓએ શેઠ કેશુરદાસ રણછોડદાસને નામે સરાફી ધંધો ખૂબ વિકસાવ્યો અને હિન્દુસ્તાનના બીજા પ્રાંતો સાથે વેપારી સંબંધો વિકસાવી આડતિયાના ધંધામાં લાખો રૂપિયા કમાયા. શેઠ રામદાસ અને તેમના ભત્રીજા શેઠ દેવીદાસે પોતાની અલગ પેઢી રામદાસ હરજીવનદાસના નામે કાઢી હતી.

ઈ.સ. ૧૮૦૭ના અરસામાં રામદાસ શેઠ ગુજરી ગયા ત્યારે પોતાની પાછળ વિધવા બાઈ રામકોર બાઈ અને બે દીકરાઓ મૂકતા ગયા હતા. તેમાંના નથુભાઈની ઉંમર હતી સાડા છ વરસ અને વિઠ્ઠલદાસની ઉંમર હતી ત્રણ વરસ. દીકરાઓ નાના હોવાથી રામદાસશેઠે પોતાની મિલકતના એડમિનિસ્ટ્રેટર તરીકે બે ભત્રીજાઓને નીમ્યા હતા. પણ નથુભાઈ અને વિઠ્ઠલદાસ બંને નાની ઉંમરના હતા તેનો ગેરલાભ લઈને પેલા બે ભત્રીજાઓ મોટા ભાગની મિલકત હડપ કરી ગયા. પુખ્ત વયના થયા પછી એ મિલકત પાછી મેળવવા માટે કોર્ટ-કચેરીનાં પગથિયાં ચડવામાં જ નથુભાઈનાં ઘણાં વરસ ગયાં. છેવટે સારી એવી મિલકત તેઓ પાછી મેળવી શક્યા હતા. ત્યાર બાદ વાલકેશ્વર ખાતે એક ધરમ શાળા અને શિવાલય બંધાવવાનું તેમણે શરૂ કર્યું, પણ તે પૂરું થાય તે પહેલાં જ ૪૧ વરસની ઉંમરે તેમનું અવસાન થયું.

સર મંગળદાસ નથુભાઈ

મંગળદાસ નથુભાઈનો જન્મ મુંબઈમાં ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૫મી તારીખે. જ્ઞાતિ કપોળ વાણિયા. નથુભાઈ શેઠ ગુજરી ગયા ત્યારે દીકરા મંગળદાસની ઉંમર અગિયાર વરસ. ફરી એ જ વાત. પિતાએ નીમેલા વકીલો મિલકત હડપ કરવા માગે છે એ વાતનો ખ્યાલ મંગળદાસને આવી ગયો. મુંબઈની મેઈન વોરિંગની અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા એ છોડીને મિલકત બચાવવા પાછળ મંડી પડ્યા. સોળ વરસની ઉંમરે ૧૮૪૮માં રુખમણીબાઈ સાથે ભારે ધામધૂમથી લગ્ન કર્યાં ત્યારે ત્રીસ હજાર રૂપિયાનો ખરચ કિધેલો, જે એ વખતે ઘણી મોટી રકમ ગણાય. સોળ વરસના લગ્નજીવનમાં તેમને ઘરે ત્રણ દીકરા અને બે દીકરીનો જન્મ થયો હતો. મંગળદાસની ૩૨ વરસની ઉંમરે ૧૮૬૪માં પત્નીનું અવસાન થયું. એ જમાનામાં પુરુષ એક પછી એક બે-ત્રણ-ચાર લગ્ન કરે તે સ્વાભાવિક ગણાતું. પણ મંગળદાસે બીજાં લગ્ન કર્યાં નહિ. એટલું જ નહિ, સદ્ગત પત્નીની યાદમાં પચાસ હજાર રૂપિયાના ખર્ચે કલ્યાણમાં હોસ્પિટલ શરૂ કરી હતી. પોતાના વસિયતનામામાં તેઓ યુનિવર્સિટી ઓફ બોમ્બેને સાડા ત્રણ લાખ રૂપિયાનું દાન આપી ગયા હતા. આજે પણ આ યુનિવર્સિટી તરફથી દર વરસે ‘સર મંગળદાસ નથુભાઈ ટ્રાવેલિંગ સ્કોલરશીપ અને બીજી બે સ્કોલરશીપ ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે અપાય છે.

મંગળદાસ શેઠનું એકંદર વલણ સુધારાવાદીઓ તરફી હતું. એ વખતે હોળી ટાણે જે બિભત્સ ગીતો જાહેરમાં ગવાતાં અને આવતી-જતી છોકરીઓ અને સ્ત્રીઓની જે છેડતી થતી તેના પર તેમણે મુંબઈ પોલીસમાં અરજી કરીને પ્રતિબંધ મૂકાવ્યો. પરિણામે એ બદી નાબૂદ તો ન થઈ પણ તેનું પ્રમાણ ઘણું ઘટી ગયું.

મંગળદાસ શેઠનું વલણ ઘણે અંશે સમાજ સુધારાની તરફેણ કરનારું હતું. સ્ટુડનટ્સ સાયન્ટિફિક એન્ડ લિટરરી સોસાયટીએ બહારકોટમાં છોકરાઓ માટે સ્કૂલ શરૂ કરી ત્યારે તેને મંગળદાસે ઘણી આર્થિક મદદ કરી હતી. આ જ સોસાયટીએ છોડીઓ માટેની પાંચ નિશાળ શરૂ કરી ત્યારે એ નિશાળોને પણ તેમણે છુટ્ટે હાથે દાન કર્યું. નામદાર જગન્નાથ શંકરશેઠે પોતાની માલિકીની જમીન દાનમાં આપીને તેના પર હિંદુ સ્મશાનભૂમિ ઊભી કરવાની દરખાસ્ત રજૂ કરી ત્યારે કેટલાક સનાતનીઓએ તેનો વિરોધ કર્યો હતો. પણ મંગળદાસે આ દરખાસ્તને ટેકો આપ્યો હતો. તો સાથોસાથ તેઓ ઉદારમતવાદી પણ હતા. સુરતથી મુંબઈ આવીને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખથી ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું તે માટેની બધી મૂડી શેઠ મંગળદાસ નાથુભાઈએ રોકેલી. પછીથી ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થયું તે પણ મંગળદસ શેઠની મૂડીથી. છતાં ‘ગુજરાતી’ સાપ્તાહિકના તંત્રી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સોનાપુરની દરખાસ્તનો વિરોધ કર્યો ત્યારે મંગળદાસે તેમના વિચાર સ્વાતંત્ર્યનો આદર કર્યો.

દેશમાંથી કંપની સરકારનું રાજ ગયું અને રાણીનું રાજ આવ્યું તે પછી મુંબઈ ઈલાકાના વહીવટ અંગે સલાહ-સૂચન કરવા નિમાયેલી કાઉન્સિલના મંગળદાસ સભ્ય નિમાયા હતા – એક વાર નહિ, ચાર વાર. કાઉન્સિલમાંની તેમની ઉમદા કામગીરીને ધ્યાનમાં રાખીને સરકારે સી.એસ.આઈ.ના ઈલકાબથી નવાજ્યા હતા અને ત્યારથી તેઓ ‘ધ ઓનરેબલ મંગળદાસ નથુભાઈ’ બન્યા હતા. તો મુંબઈ ઈલાકાના હિંદુઓમાં ‘સર’નો ઈલ્કાબ મેળવનારા મંગળદાસ સૌથી પહેલા હતા. ૧૮૭૫માં રાણી વિક્ટોરિયાએ તેમને સર નાઈટનો ખિતાબ આપ્યો હતો. ૧૮૭૭માં પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવ્યા ત્યારે તેમણે મંગળદસ શેઠને રૂપાનો ચાંદ આપેલો. એટલું જ નહિ, મંગળદાસના દીકરાઓના લગ્નમાં જાતે હાજર રહ્યા હતા. ૧૮૯૦ના માર્ચ મહિનામાં મંગળદાસનું અવસાન થયું.

ઘણા વખતથી વણઉકલ્યો એક કોયડો સર મંગળદાસ નથુભાઈ અંગે ખાંખાંખોળાં કરતાં આપોપાપ ખૂલી ગયો. એ કોયડો તે કિયો, અને એ ઉકલ્યો તે કઈ પેરે, એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx    

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 18 જૂન 2022

Loading

પતિ, પત્ની, વો, કુટુંબ અને મોબાઈલ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 June 2022

તમને એવું લાગે છે કે કોઈ છેતરી રહ્યું છે? મને તો લાગે છે. મોટે ભાગે બે પ્રકારના માણસો જોવા મળે છે. એક છેતરે છે ને બીજા છેતરાય છે. છેતરપિંડી એ આજના યુગનો લઘુત્તમ સાધારણ અવયવ છે. એ એક જ ક્ષેત્રમાં છે એવું નથી. કોઈ ક્ષેત્ર એમાંથી બાકાત નથી. જે એમ માનતા હોય કે પોતાને કોઈ છેતરી ન શકે, તો એ ભીંત ભૂલે છે. કોરોનાનો જ દાખલો લઇએ. ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ફતવાઓ બહાર પડી ચૂક્યા છે. એમાં સાચું ખોટું કૈં પરખાય છે? કોરોના હોય અને તેની કાળજી રાખવાની હોય તેની ના નથી, પણ જે રીતે એની લહેર ઊઠે છે તે કૈં લીલાલહેર માટે તો નથી જ ! એ એક પ્રકારનું ટેન્શન ઊભું કરે છે. મોટે ભાગે બે મોઢાંની વાતો ચાલે છે. એક કહે છે એમાં ડરવા જેવું કૈં નથી ને બીજું કહે છે ચિંતા કરવા જેવું તો છે જ ! આ વાતો નિયમિત રીતે થોડે થોડે મહિને આપણા કાન ખોતર્યા કરે છે. જરા સ્કૂલો ચાલવા પર આવે છે કે આ ડર ફેણ પછાડીને બેઠો થાય છે. કોઈ રોગ આટલો નિયમિત જોયો નથી. આ તે રોગ છે કે પ્રીમિયમ લેવા આવતો કોઈ એજન્ટ ! કોરોના આવે છે કે કોઈ લાવે છે તે જ નથી સમજાતું.

કોઈ જાણે નક્કી કરીને બેઠું છે કે ભણતર સરખું ચાલવા ના દેવું. ભણતર હવે માસ પ્રમોશનનું જ બીજું નામ હશે કે શું? આ દેશમાં ધંધાધાપા જરા ગતિ પકડે છે કે કોરોનાની બૂમરાણ મચે છે. લોકો માસ્ક કાઢીને ફરતાં  થાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની આલબેલ ફરી પોકારાય છે. આ કુદરતી નથી લાગતું. લોકો ડરેલા જ રહે એવી વ્યવસ્થા તો ઊભી નથી થઈને? આમાં કોનો શું ઇરાદો છે તે નથી સમજાતો, પણ એટલું છે કે ઘરથી માંડીને મહાનગર સુધી કોઈ ઠેકાણે ન પડે એવો રાક્ષસી ખેલ ખેલાઈ રહ્યો હોય એવું લાગે છે.

થોડું લાઉડ થિંકિંગ કરવા જેવું છે.

એક તરફ આપણો દેશ અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. દેશવિદેશમાં ભારત નામ કમાઈ રહ્યું છે ને બીજી તરફ ઘણી બધી બાબતોમાં તેનો નંબર વિશ્વમાં પાછળને પાછળ જઈ રહ્યો છે. અન્નક્ષેત્રે ભારત એટલું સ્વાવલંબી થયું છે કે તે બીજા દેશોનું પેટ ભરવા લાગ્યું છે, તો અહીં ઘરનાં ઘંટી ચાટે … એવું કેમ થાય છે? આ અઠવાડિયામાં જ સરકારે દસ લાખ નોકરી ઊભી કરવાનું આશ્વાસન આપ્યું છે, તો સવાલ એ છે કે નોકરી ન હોવાને કારણે કે નોકરી છૂટી જવાને કારણે એ કયા લોકો છે જે આત્મહત્યા કરે છે? એક તરફ સરકાર અગ્નિપથ સ્કિમમાં યુવાનો માટે ચાર વર્ષની નોકરી સૈન્યમાં લઈને આવે છે ને એને એક દિવસ પણ નથી થતો ને બિહાર, હરિયાણા … જેવાં સાત રાજ્યોમાં ટ્રેન રોકવા – સળગાવવાના, રસ્તા રોકવાના હિંસક વિરોધ શરૂ થઈ જાય છે, રોહતકમાં એક વિદ્યાર્થી આ જ મામલે આત્મહત્યા કરી લે છે. ચાર વર્ષ પછી એમને અર્ધલશ્કરી દળોમાં કે આસામ રાઈફલ્સમાં અગ્રિમતા આપવાની સરકાર ખાતરી આપે છે, પણ કોઈ ટાંપીને બેઠું હોય તેમ સ્કિમ જાહેર થાય છે તે સાથે જ વિરોધ પણ શરૂ થઈ જાય છે.

એક જ દિવસમાં બે સમાચાર એવા આવે છે જેમાં મોંઘવારી વધે છે ને મોંઘવારી ઘટે પણ છે. આપણે ટેકનોલોજીમાં, વિજ્ઞાનમાં, કૃષિમાં, ઉદ્યોગોમાં બધી જ દિશાએ પ્રગતિ કરી છે. આ સાચું હોય તો લોકો પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ ન રહે એટલાં કામ હોય. કોઈ કામધંધા ને નોકરી વગરનું જ ન હોય, પણ હકીકત એ છે કે લોકોને રોજગારી નથી ને શિક્ષિત બેકારો આત્મહત્યા કરે છે. સરકાર લાખોની સંખ્યામાં દર વર્ષે જેટલી નોકરીઓ ઊભી કરે છે, એટલામાં તો કોઈ નોકરી વગરનું જ ન રહે, પણ સૌ જાણે છે કે હાલત શું છે? ચિત્ર તો એવું ઉપસે છે કે આપણે પાયામાંથી જ ભ્રષ્ટ અને અપ્રામાણિક છીએ. અહીં કોઈ સરકારની ટીકા કરવાનો હેતુ નથી. સારું પણ આ દેશમાં થાય જ છે, પણ તંત્રો કે મીડિયા જે રીતે સક્રિય છે તે સાચું ચિત્ર લોકો સુધી પહોંચવા નથી દેતાં.

અને લોકો? શું કહેવું લોકોને ! એ જીવે છે કે કેમ એની જ ખબર જ નથી પડતી. પેટ્રોલના ભાવ વધે છે, તો ચૂપ છે. ઘટે છે તો ચૂપ છે. પેટ્રોલની અછત ઊભી થાય છે તો લાઇન લાગવા માંડે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ વધે છે તો અહીં ભાવ વધારાની ચેતવણી અપાયાં કરે છે. કેમ જાણે ત્યાં ભાવ ઘટે તો અહીં પણ ભાવ ઘટી જવાના હોય ! ભાવ વધે કે ઘટે લોકો નિર્જીવની જેમ એ વેઠી લે છે. આ અવાજ વગરની, વિરોધ વગરની પ્રજા છે. આ પ્રજા ઘરમાં પણ ચૂપ છે, પણ એની શાંતિ ભારેલા અગ્નિ જેવી છે. તમે નહીં માનો મારી વાત, પણ આ સાવ નવરી પ્રજા છે. એ માત્ર ટાઈમપાસ કરે છે. આમ તો સમય કોઇની પાસે નથી ને કામ પણ કોઈની પાસે નથી. એમની પાસે એક જ કામ છે ને તે મોબાઈલ મચડવાનું. કામ હોય કે ન હોય, લોકો પાસે મોબાઇલની નોકરી તો છે જ ! લોકો એમાં જોતરાયેલા રહે છે. મોબાઈલને આ લોકો નવરો પડવા જ દેતા નથી.

આમ તો મોબાઇલની નોકરી નથી, તો ય તેની ઘણી ફરજો લોકો બજાવે છે. પોતે તો બહુ મેસેજ કરી શકતા નથી, પણ આવેલા મેસેજ ફોરવર્ડ કરવાની વણલખી ફરજ લોકો એવી રીતે બજાવે છે કે એમ ન કરે તો ગુજરી જાય. કેટલા બધા વીડિયો ઉતારવાના ને વાયરલ કરવાના હોય છે ! કેટલા બધા વીડિયો, એવા જ નવરા મિત્રો, ગ્રૂપ્સમાં મોકલે તે ફોરવર્ડ નહીં કરવાના? નોકરીધંધો ન થાય તો ચાલે, પણ ફોરવર્ડ ન થાય તો જીવવું ઝેર થઈ જાય ! આખા દેશમાં જાણે મોબાઈલ ઇન્ડસ્ટ્રી ચાલે છે ને ઘણાં એમાં જોડાયેલાં છે. એનું આઉટ પુટ આમ જુઓ તો કૈં નથી, છતાં લાખો લોકો એમાં ગાંઠના ખર્ચીને વ્યસ્ત હોવાની ‘પવિત્ર’ ફરજ બજાવે છે.

કેટલાંક ઘરોમાં મોબાઈલને કારણે મરણ થયું હોય એવી શાંતિ પથરાઈ જાય છે. મિત્રો, મોંમાં મોં નાખવા જેટલા નજીક હોય, છતાં વાત કરવાને બદલે તેઓ એક બીજાને મોબાઈલ ‘મારે’ છે. કાનમાં કહેવાના મેસેજ હવે ફોરવર્ડ થયા વિના રહેતાં નથી. ઘરમાં માબાપ અને દીકરો કે દીકરી જ હોય, એક જ રૂમમાં ટી.વી. જોતાં બેઠાં હોય, પણ તેમની વચ્ચે કોઈ વાત નથી થતી ને એ ત્રણે પાછાં બીજાઓ જોડે મેસેજ, વીડિયોની આપલે કરતાં રહે છે. આ ત્રણે પાસે પાસે છે, પણ નજીક કોઈ નથી. નજીક તો દૂરના લોકો જ છે. ઘરનાં લોકો દૂર થઈ ગયા છે ને દૂરનાં લોકો ઘરમાં આવી ગયા છે.

મોબાઈલે બીજું કૈં કર્યું હોય કે ન કર્યું હોય, પણ લોકોએ એકબીજા પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે. દરેક જણ કોઈ કાવતરું કરી રહ્યું હોય એવું જ લાગે છે. એ ખરું કે સોશિયલ મીડિયા પર કોઈ રાખડી બંધાવવા આવતું નથી કે માબાપ કે કાકાકાકી શોધવા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર લોકો ડોકાય છે એવું પણ નથી. જે મૈત્રી થાય છે તેમની વચ્ચે જ્ઞાન વિજ્ઞાનની વાતો થાય છે એવું પણ નથી. મોટે ભાગે તો નામ છુપાવીને એકબીજાનો લાભ લેવાની ગણતરીએ જ લોકો સોશિયલ મીડિયામાં મળતાં હોય છે. એમનો હેતુ આમ તો એકબીજાના ઉપયોગનો જ હોય છે. આ બધું જાહેર થાય એવું હોતું નથી એટલે ઘરથી છુપાવવાની ફરજ પડે છે. પતિ, પત્નીને પણ હવે તો બીજા સ્ત્રી, પુરુષ મિત્રો હોય છે. એમની સાથે ચેટિંગમાં ઘણો સમય જતો હોય છે. એટલો સમય પતિ, પત્ની પર કે પત્ની, પતિ પર ધ્યાન આપી શકતાં નથી. પત્ની સામે બેઠી હોય, પણ વ્યસ્ત એ દૂરના પુરુષ મિત્રમાં હોય છે તો એ જ રીતે પતિ પણ સ્ત્રી મિત્ર સાથે ગપાટતો હોય એમ બને. આ પાછું જાહેર ન થઈ જાય તે સાચવવાનું હોય છે. એ સચવાય છે, પાસવર્ડથી. વાત ગુપ્ત છે ને ગુપ્ત રાખવાની છે એટલે પાસવર્ડ નાખવો જ પડે છે. પતિ, મિત્ર સાથે કેવી વાત કરે છે તે જાણતો હોય છે એટલે એવી જ વાત પત્ની પણ કરતી હશે એવું એ ધારી લે છે. એ જાણવાની તેને ઈચ્છા હોય છે, પણ જાણી શકે એમ નથી, કારણ, પત્નીએ પાસવર્ડ નાખેલો છે. એવું જ પતિ પણ કરી બેઠો હોય છે એટલે પત્ની પણ જાણી શકતી નથી. વારુ, કોઈ, કોઈને પાસવર્ડ આપવા રાજી નથી. આપે તો પોતાની વાત પતિ કે પત્ની જાણી જાય એવી શંકા છે. જેમની વચ્ચે સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ તે પતિપત્ની એક બીજા પર જ વિશ્વાસ ન મૂકે એવી સ્થિતિ છે ને જે દૂરનાં મિત્રો છે, જેમને કદાચ જોયા પણ નથી, તેના પર વિશ્વાસ મૂકીને અંગતમાં અંગત વાત પણ કહી દેવાતી હોય છે. પછી કૈં વાંકું પડે છે તો આ જ મિત્રો એકબીજાને ઉઘાડા પાડવામાં જરા પણ શરમ રાખતા નથી.

પતિ કે પત્ની મોબાઇલમાં વ્યસ્ત હોય, વીડિયો કે મેસેજ વાયરલ કરવામાં પડ્યાં હોય ને એમાં ઘરમાં ધ્યાન ન અપાતું હોય તો પતિ કે પત્નીને વાંકું પડે જ છે. કેટલી ય પત્નીઓએ તેમના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદો કરી છે તો કેટલાક પતિઓએ પણ પત્નીની મોબાઈલ પરની વ્યસ્તતાને મામલે વાંધો ઉઠાવ્યો છે. ફરિયાદો ન થઈ હોય તો પણ, કુટુંબનાં અન્ય સભ્યો પણ મોબાઇલમાં વ્યસ્ત રહેતાં જ હોય છે. બાળકો મોબાઈલ ગેમ્સમાં એટલાં વ્યસ્ત થઈ ગયાં છે કે કેટલીક જોખમી રમતોમાં જીવ પણ ગુમાવે છે. થોડા દિવસ પર જ એક માએ દીકરાને પબજી ન રમવા દેતાં માને ગોળીએ દેવાના સમાચાર હતા. કાલના જ સમાચાર છે કે એક 16 વર્ષની છોકરી મોબાઈલ રીપેર નહીં થાય એમ જાણતાં ફાંસો ખાઈ લે છે. આમાંનું કોઈ, કૈં પણ ન કરે તો મરી જાય એમ નથી, પણ મોબાઇલના વ્યસને નવરાશ એટલી ઊભી કરી છે કે મહત્ત્વનાં કામો બાજુએ મૂકીને પણ લોકોએ મોબાઈલને શરણે જવામાં જ મોક્ષ જોયો છે.

આ કૈં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવાથી અટકવાનું નથી. મોબાઇલના સારા ઉપયોગો પણ છે જ, પણ વાત એટલા પૂરતી જ મર્યાદિત થાય તો ફેર પડે. એ તો થાય કે નયે થાય. ટૂંકો ને સાચો રસ્તો એ છે કે જરૂર પૂરતા ઉપયોગની વાત જે તે વ્યક્તિ પોતે જ શરૂ કરે. એટલું તો જે તે વ્યક્તિના હાથમાં છે જ. બાકી બધાંને સુધારવાનું શક્ય નથી. દરેક જણ પોતાનો વિવેક જાગ્રત કરે તો ય ઘણું છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જૂન 2022

Loading

પિતૃત્વ દોષિત નથી, પણ માતૃત્વ દોષિત હોઈ શકે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 June 2022

સ્ત્રી-પુરુષના સંયોગથી બાળક જન્મે છે ને સ્ત્રી માતા બને છે ને પુરુષ પિતા બને છે. આમ તો આ સહજ ને સરળ લાગે છે, પણ દરેક કિસ્સામાં એવું નથી. ઘણીવાર બાળક જન્મવાનું સહેલું નથી પણ હોતું. કેટલાક કિસ્સાઓમાં પુરુષની ક્ષમતા પિતા બનવામાં ઓછી પડે છે અથવા તો સ્ત્રી માતા બનવામાં ઓછી પડે છે. ઘણીવાર બધાં પ્રયત્નો છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી તો તબીબી સલાહ લેવામાં આવે છે. એ સારવાર પછી કેટલાંક યુગલો બાળક મેળવવામાં સફળ થાય છે, તો તબીબી સારવાર પછી પણ એવું બને છે કે બાળક પ્રાપ્ત ન જ થાય. ટૂંકમાં, માતા બનવું દરેક વખતે સહેલું નથી. એટલે જ આપણે માતૃત્વને પવિત્ર વરદાન ગણ્યું છે. કેટલાંકને એમાં કૈં નવું લાગતું નથી. બચ્ચાં તો પશુપંખી પણ પેદાં કરે છે, એમાં પવિત્ર શું ને વરદાન શું? પણ બાળક ન થવાની ચિંતા મનુષ્યોની છે. પશુપંખીમાં બચ્ચું જન્મશે કે નહીં એવી ચિંતા હોય છે કે કેમ તેની આપણને ખબર નથી, પણ મનુષ્યને અભિવ્યક્તિની અનુકૂળતા કુદરતે આપેલી છે એટલે આનંદ કે ચિંતાની ખબર પણ તેને જ વધારે પડે છે.

જો કોઈ સંજોગોમાં ઉપચાર પછી પણ બાળક શક્ય નથી બનતું તો કેટલાંક યુગલો અનાથ બાળકને દત્તક લે છે ને એને પોતાનાં બાળકની જેમ જ મોટું કરે છે. ઘણાં યુગલોનો એવો આગ્રહ હોય છે કે બાળક પોતાનું જ હોય. પોતાનું જ બીજ વિકસે ને એને મોટું કરવાની ઈચ્છા પણ, પતિ-પત્નીની, બાળક માટેની ઝંખના વધારે એમ બને. એના એક ઉપાય તરીકે હવે સરોગસીનો આશરો પણ લેવાય છે. એમ લાગે કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે એમ જ નથી, તો ભાવિ માતા-પિતાનું બીજ, બીજી સ્ત્રીની કૂખમાં ઉછેરવામાં આવે છે. એ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ને પૂરા સમયે બાળકને જન્મ આપે છે. એ પછી મૂળ માતાપિતાને તે બાળક પરત કરે છે. ખરેખર તો મા, કૂખ ભાડે આપનાર સ્ત્રી બને છે, પણ અગાઉથી ઠરાવ્યા મુજબ માબાપ બીજા જ બને છે. એ યુગલ બને છે જેનું બીજ આ ભાડૂતી કૂખે ઉછેર્યું છે. આ સ્ત્રી પણ માતા થઈ છે, ખરેખર તો તે જ થઈ છે, કારણ બાળકને જન્મ તો આ સ્ત્રીએ જ આપ્યો છે, પણ તે ભાડૂતી માતા પણ ગણાતી નથી. ઇન ફેક્ટ તે માતા જ ગણાતી નથી. માતાપિતા તો બીજા જ બને છે. બાળક પર કાનૂની અધિકારો પણ તેમના જ રહે છે. જન્મ આપનાર સ્ત્રી આ કામ આર્થિક વળતરની અપેક્ષાએ કરે છે. આમ તો હમણાં હમણાં આવી સ્ત્રીને રક્ષણ મળે એવા કાયદાઓ બન્યા છે, પણ માતૃત્વનો અધિકાર તેને નથી જ મળતો, કારણ કરાર જ એવો થયો હોય છે, પતિપત્ની અને કૂખ ભાડે આપનાર સ્ત્રી વચ્ચે. એટલે કોઈ વિશેષ અધિકાર એ ભાડૂતી સ્ત્રી આગળ કરી શકતી નથી. હા, આર્થિક વળતર આપવામાં મૂળ માબાપ ગલ્લાંતલ્લાં કરે તો તેની સામે ફરિયાદ થઈ શકે છે અથવા તો બાળક ખામીવાળું જન્મે તો પેલી ભાડૂતી સ્ત્રી દાદ માંગી શકે છે, પણ નાજુક મુદ્દો ક્યારેક સંવેદનાનો ઊઠે છે ને તેનું કોઈ વળતર તેને મળતું નથી. ખરેખર તો એ વાત જ વળતરની હોતી નથી. 

બને છે એવું કે જે સ્ત્રી કૂખ ભાડે આપે છે તે બરાબર જાણે છે કે તેનો હક વળતર પૂરતો જ છે, પણ જે બીજ તે ધારણ કરે છે, તે જો બહાર રહ્યું હોત તો મોટે ભાગે તે વેડફાયું જ હોત. એને ભાડૂતી સ્ત્રી ધારણ કરે છે. તેને લોહીમાંસ સીંચે છે. આકાર આપે છે. એમાં જીવ રેડે છે એટલે જીવ પ્રગટે પણ છે. મહિનાઓ સુધી આ ભાડૂતી સ્ત્રી પોતાની છાયામાં જીવંત, નાજુક શરીર વિકસાવે છે. છોડ પર આવેલાં ગુલાબનું ખેંચાણ થતું હોય તો આ તો પેટમાં ખિલવેલું સંતાન છે, એને માટે લાગણી ન થાય? ન થાય ત્યાં સુધી તો વાંધો જ નથી, પણ થાય તો, શું? આમ તો ભાડૂતી મા બરાબર જાણતી હોય છે કે જે જન્મ્યું છે તે બાળક મૂળ સ્ત્રી પુરુષને સોંપી જ દેવાનું છે, પણ હકીકત તો એ છે કે મૂળ સ્ત્રી કરતાં માતૃત્વનો પહેલો અને સઘન રક્તજીવી અનુભવ તો આ ભાડૂતી માનો છે. તે તેણે થોડા પૈસાની લાલચમાં, લોહીમાંથી કાઢીને બાળક સીધું સોંપી જ દેવાનું? એના પર એનો કોઈ અધિકાર જ નહીં? એ બાળક ફરી ક્યારે ય જોવા ન મળે તો પેલી નોટોની થોકડી પર આંસુ સારીને જ તેણે રહી જવાનું? એ મા છે કે મશીન? એને કૈં થાય જ નહીં એવું તો કેમ બને?

પણ એના વલોપાતનો કોઈ અર્થ રહેતો નથી. કૈં પણ થાય, એણે બાળક તો છોડવું જ પડે છે. આવી ભાડૂતી માતાનું માતૃત્વ પણ સ્વાર્થ ગણાય છે. તે એ કારણે વગોવાય છે કે તેણે પૈસા માટે કૂખ ભાડે આપી છે. એનાં કારણોમાં ગરીબી મુખ્ય હોય, તો પણ તેને માટે તેણે સાંભળવાનું થાય છે. જ્યારે મૂળ પતિ-પત્ની દોષી નથી. એમને સંતાન નથી ને સંતાન વગર તેઓ તો ઝૂરે છે. બાળક માટે કોઈ કૈં પણ કરે તેમ તેઓ પૈસા આપીને જીવતી કૂખ થોડા સમય માટે ખરીદે છે. એ નિસ્વાર્થ ભાવે સંતાન મેળવે છે ને પેલી સ્ત્રી સ્વાર્થી છે, કારણ પૈસા માટે એ પેટ ઉછીનું આપે છે !

સાચું તો એ છે કે આપણે ત્યાં માતૃત્વ બાબતે બેવડાં ધોરણો છે. બેવડી નીતિ છે ને કમાલ એ છે કે  માતૃત્વની પ્રક્રિયા તો કોઈ પણ સ્ત્રી માટે એક જ છે, પણ સંજોગો પ્રમાણે માતૃત્વ વખણાય છે તો વગોવાય પણ છે. દીકરી પરણે ને માતા બને તો તે બાળકને અને તેની માતાને ફૂલડે વધાવાય છે. બાળકનાં જન્મોત્સવો થાય છે, પણ જો તે કુંવારી માતા બનવાની હોય તો? તો, એ પાપ થઈ જાય છે. એ દીકરીને કોઈ સંઘરવા રાજી નથી થતું. તેણે અપમૃત્યુ વહોર્યે જ છૂટકો થાય છે. એ ખરું કે સમાજે નક્કી કરેલાં ધોરણોનો એમાં ભંગ થાય છે એટલે કુંવારું માતૃત્વ સ્વીકાર્ય નથી બનતું, પણ એને માટે જે જવાબદાર છે તે પુરુષનું સમાજ કૈં બગાડી શકતો નથી, તે પણ એટલું જ સાચું કે નહીં? સગીરવયની કન્યાઓ પ્રેમમાં પડે છે કે કોઈ તેનાં પ્રેમમાં પડે છે ને જો પ્રેમીની દાનત માત્ર પ્રેમનાં નાટકની જ હોય તો ભોગવવાનું સગીરાએ થાય છે. કહેવાતા પ્રેમીની એ ચિંતા હોતી નથી કે લગ્ન વગર તે માતા બનવા તરફ ગઈ તો તેની શી વલે થશે?

હવે તો જો કે, સ્ત્રીઓ પણ માતૃત્વથી બચવાના માર્ગો જાણે છે, એટલે પ્રેમી દગો કરે તો તે એવી સ્થિતિથી બચે છે જેમાં બાળકનો સીધો સામનો કરવાનો આવે. તેમ છતાં કેટલાક બનાવો એવા બને છે કે ગર્ભપાત સુધી સ્ત્રીએ જવું પડે કે ગર્ભ ત્યજી દેવો પડે છે. આજની તારીખમાં પણ ભ્રૂણ કે નવજાત શિશુ કચરામાંથી મળી આવે છે એ બતાવે છે કે કોઈ સગીરા કે સ્ત્રીને ન જોઈતું માતૃત્વ માથે પડ્યું છે ને બદનામીના ડરે ગર્ભ કે બાળકથી છુટકારો તેણે મેળવવો પડે છે. આ તો થઈ એવી મહિલાઓની વાત જે ખરી કે ખોટી રીતે થોડી ઘણી જવાબદાર છે ને એણે પરાણે માતૃત્વ સ્વીકારવું પડે છે, પણ જ્યાં મહિલાઓ બળાત્કારનો કે શારીરિક શોષણનો ભોગ બને છે તેમાં તેની સીધી કોઈ ભાગીદારી પણ હોતી નથી ને તેનો પરાણે ભોગ લેવાય છે. અહીં પણ બળાત્કાર કરનાર એ વિચારતો નથી કે ભોગ બનનાર સ્ત્રી ગર્ભવતી થઈ તો તેની સમાજમાં શી દશા થશે? તે તો શિકાર કરીને ચાલતો થાય છે. પછી ભોગ બનનાર ગર્ભ ધારણ કરે તો તેણે તેનાથી છુટકારો મેળવવો પડે કે બાળકને જન્મ આપીને ક્યાંક ત્યજી દેવુ પડે કે અનાથાશ્રમને આંગણે છોડવું પડે છે. બહુ ઓછી સ્ત્રીઓ એ સંજોગોમાં સ્વસ્થ માતૃત્વ ધારણ કરી શકતી હોય છે.

કહેવાનું એ છે કે આ બધાં જ માતૃત્વના પ્રકારો છે. એમાં લગ્નને બાદ કરતાં એક પણ માતૃત્વ એવું નથી જે ઇચ્છિત હોય. એ ખરું કે લગ્નથી મળતાં માતૃત્વમાં જે માન સ્ત્રીને મળે છે તે અન્ય કોઈ રીતે પ્રાપ્ત થતાં માતૃત્વમાં મળતું નથી. માતા તો આ બધી પણ છે. એ પણ એ જ રીતે ગર્ભવતી થઈ છે જે રીતે લગ્ન પછી કોઈ સ્ત્રી થઈ હોય ને છતાં તે અપમાનિત થાય છે કે તેણે જીવન બહુ મુશ્કેલીથી વિતાવવું પડતું હોય છે. આ માતૃત્વ તેણે ઇચ્છયું નથી, તે આવી પડેલું છે, પણ જવાબદાર તો તે સ્ત્રીને એકલીને જ ઠેરવાય છે. આવાં અનિચ્છનીય માતૃત્વની લહાણી કોણ કરે છે? આવું એ સ્ત્રીઓએ ઇચ્છયું નથી, પણ માતૃત્વ સાચી ખોટી રીતે તેનાં પર થોપ્યું છે, પુરુષે. એને માટે જવાબદાર પુરુષ છે, પણ તેને સમાજ કે કાયદો ભાગ્યે જ કોઈ પાઠ ભણાવે છે. તે સહેલાઈથી બીજો શિકાર કરી શકે છે, લગ્ન કરી શકે છે, છૂટો થઈ શકે છે, બીજે ગોઠવાઈ શકે છે. ક્યાં ય તેનું પુરુષત્વ કે પિતૃત્વ ચર્ચામાં નથી આવતું, જ્યારે માતૃત્વ ડગલે ને પગલે દંડાય છે. સીધું પૂછવું એ છે કે આ યોગ્ય છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,4471,4481,4491,450...1,4601,4701,480...

Search by

Opinion

  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved