જેમ અડધી આલમને
બંધનની બંગડીઓમાં પૂરી
રખાઈ છે,
એમ જ
મારા દેશની લોકશાહીને
બંગડી આકારનાં પાર્લામેન્ટમાં
પૂરી દેવાઈ છે …
એ
બંગડીમાં બેઠેલાં બગલા જેવાં સફેદ વસ્ત્રધારીઓ
એકબીજાને કલંકિત
કાળાંમેશ વસ્ત્રધારી કહીને
બસ,
ભાંડ્યા કરે છે,
એક દળ બીજા દળને ચોર
કહે છે,
બીજું દળ પહેલા દળને
ચોર કહે છે,
પછી એકબીજા પર
માઈકો ફેંકવાની રમત રમે છે
પછી એકબીજા ને ભેટી
ખાધું પીધું ને રાજ કરે છે …
બંગડીની બહાર
દલ દલ કાદવમાં
બેરોજગાર
ઉછળતું લોહી ખૂંપી રહ્યું છે,
પેટ્રોલના ઊંચા ઉછળતાં ભાવ મોંઘવારીના નશામાં ચકચૂર છે,
નીચે ને નીચે પડી રહેલો,
ખાંસતો, ગબડતો, બબડતો
રૂપિયો ….
મોંઘીદાટ કોલેજોની દુકાનોની
બહાર ઊભાં ઊભાં
ચમકદાર, ભભકદાર
શૉકેસને જોયાં કરતાં
યુવક યુવતીઓ,
વિન્ડો શોપિંગમાં ખોવાઈ
ગયેલાં છાત્ર છાત્રાઓ …
ડોક્ટરોએ
લખી આપેલાં દવાઓનાં લાંબા પ્રિસ્ક્રીપ્શનના કાગળોને સુંઘી રહેલાં વૃદ્ધો
ને વૃદ્ધાઓ ..
ખિસ્સામાં અફવાઓનાં
ટોળાં લઈ ફરતાં ચહેરાઓ
જે
મરેલી ગાયનાં ચામડાં
ઉતરડનારને અસ્પૃશ્ય
ગણી પાણીનાં છાંટે
સ્નાન કરે છે
એ
જીવતાં માણસની
ચામડી
ઉતરડી નાંખવાના
સામૂહિક આનંદનાં
મેળા યોજે છે …
બધું જ દલદલમાં
ખૂંપી રહ્યું છે ..
ભૂખ્યાં તરસ્યાં લોકોની
ખાલી થાળીઓની
ઉઠાંતરી કરી
ભકતો
થાળીઓના મંજીરાં
બનાવી
લોકશાહીનાં ભજનો
ભસી રહ્યાં છે ..
મારા દેશની લોકશાહી
બંગડી આકારનાં
પાર્લામેન્ટના
બંધનમાં
બંધાઈ ગઈ છે ..
22 જુલાઈ 2018
(મને અંધારાં બોલાવે – કાવ્ય સંગ્રહમાંથી)
![]()


1946ની સાલથી વિશ્વમાં યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું, યુ્દ્ધમાં માર્યા જનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે ઓછી થાય. પરંતુ શું આ પછી હિંસાનું અને માનવીય સંઘર્ષનું પ્રમાણ ઘટ્યું? બદનસીબે આનો જવાબ છે ના. યુનેસ્કોના એક અહેવાલ અનુસાર સંઘર્ષ અને હિંસાનું પ્રમાણ વધ્યું છે. પ્રાદેશિક તાણ, કાયદાનો ભંગ, આર્થિક લાભ માટે ગેરકાયદે થતી પ્રવૃત્તિ અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ્યારે જીવન જરૂરિયાતની ચીજોની તાણ પડે ત્યારે તે મેળવવા માટે પણ સંઘર્ષ થતા આવ્યા છે. 2016 પછી હિંસક સંઘર્ષનો સામનો કરનારા દેશોની સંખ્યા વધી, અને એટલી હદે વધી કે છેલ્લાં 30 વર્ષમાં આ હિંસક બનાવોની સંખ્યા જેટલી નહોતી તેટલી થઇ. જેમ કે સીરિયાના સિવિલ વૉરમાં શરૂઆતમાં આઠેક જૂથ હતા તે પછી હજારોની સંખ્યાએ પહોંચ્યા. વળી જેમ પ્રદેશોમાં હિંસા થાય તેમ હિંસાનું પ્રાદેશિકરણ પણ થાય – તેમાં રાજકારણ, આર્થિક સામાજિક અને લશ્કરના મુદ્દાઓ સરહદોને પાર પણ પ્રસરેલા હોય જેને કારણે સંઘર્ષો લાંબા ચાલે અને તેનો ઉકેલ જલદી ન આવે કારણ કે પારંપરિક રીતે તે સંઘર્ષોને રોકવાના જે પણ રસ્તા હોય તે પ્રત્યે આ પ્રકારના સંઘર્ષો પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે. આવો એક સંઘર્ષ આપણે એક રાષ્ટ્ર તરીકે કાશ્મીરમાં જોયો છે અને જોઇ રહ્યા છીએ.