Opinion Magazine
Number of visits: 9459159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બહુમતીના જોરે ધર્મના પાઠ

બાબુ સુથાર|Opinion - Opinion|2 April 2022

વરસો પહેલાંની વાત છે. એક દિવસે મારા પર સ્વામીનારાયણ સંપ્રદાયના એક સાધુનો સંદેશો આવ્યો. એમાં લખ્યું હતું : મારે તમારી સાથે ગુજરાતી ભાષાના શિક્ષણ વિશે ચર્ચા કરવી છે તો હું તમને ક્યારે મળવા આવું?

એ સંદેશો વાંચતાં જ સૌ પહેલાં તો મને એમની ઉદારતા ગમી ગઈ. બાકી બીજા સાધુઓ આદેશ આપીને આપણને એમની પાસે બોલાવે. મેં પણ એમને વળતા જવાબમાં ઉદારતા બતાવી ને લખ્યું કે તમે મારા ઘેર આવો તો મને ગમે જ. પણ, એના કરતાં હું તમને મળવા આવું તો કેવું?

એ સાધુ સાધુ બન્યા એ પહેલાં હાર્વર્ડમાં ભણતા હતા. અને ત્યારે હું યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાં ભણાવતો હતો. હાર્વર્ડ અને યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા બન્ને આઈ.વી. લીગ. બન્ને અમેરિકાના પૂર્વકાંઠે અને બન્ને વચ્ચે ગુણવત્તાની સ્પર્ધા. આખરે હું એમને મળવા જાઉં એવું નક્કી કર્યું. પણ, મેં એક શરત મૂકી. મેં કહ્યું : આપણે કેવળ ગુજરાતી ભાષાની જ વાત કરીશું. ધર્મની વાત નહીં કરીએ. એ પણ સંમત થયા.

પછી હું એમને મળવા ગયો. લંચનો સમય હતો. એમણે મને કહ્યું, “હું અમારા સંપ્રદાયના નિયમ પ્રમાણે નીચે બેસીને જમીશ. પણ તમારા માટે અમે અલગ વ્યવસ્થા કરી છે. મેં કહ્યું કે ના, હું પણ તમારા સંપ્રદાયના નિયમ પ્રમાણે જમીશ. Your roof, your rules. મને એમાં કોઈ વાંધો ન હતો.

જમ્યા પછી ગુજરાતી ભાષાની અને એના વ્યાકરણની ચર્ચાઓ શરૂ થઈ. મેં એમનાં પાઠ્‌યપુસ્તકો જોઈને એક દલીલ કરી. કહ્યું “તમે આ બધા લેસનોમાંથી સાંપ્રદાયિકતા કાઢી ન શકો?” એમણે ના પાડી. એમણે કહ્યું “ના, એ જ તો અમારો ઉદ્દેશ છે.” મને એમની પ્રામાણિક ગમી ગઈ.

આખરે, “મારા લાયક કંઈ કામકાજ હોય તો મને જણાવજો” જેવી ઔપચારિકતા સાથે એ ચર્ચા પૂરી થઈ.

કોઈ સંપ્રદાય શૈક્ષણિક સંસ્થા શરૂ કરે અને એમાં જે તે સંપ્રદાયનું શિક્ષણ આપે તો એ એમની સ્વતંત્રતા છે. આપણે એની ટીકા ન કરી શકીએ, પણ કોઈ બહુમત એમ કહે કે અમે બહુમતીમાં છીએ એટલે અમારા ધર્મના પાઠ બધાંએ શીખવા જોઈએ તો મને એ યોગ્ય નથી લાગતું. હા, બહુમતી પોતે અલગ શાળાઓ ઊભી કરી એમાં પોતાના ધર્મના પાઠ ભણાવે તો એની સામે કોઈ ફરિયાદ ન કરાય.

સવાલ એ છે કે અત્યારે આપણા વિદ્યાર્થીઓને કયા પ્રકારના જ્ઞાનની જરૂર છે? આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય : આપણા સમાજને / દેશને કયા પ્રકારના વિદ્યાર્થીઓની જરૂર છે? દાખલા તરીકે, બારમા ધોરણ સુધીમાં દરેક વિદ્યાર્થીએ First aid અને CPRના ફરજિયાત કોર્સ લેવા જોઈએ એવું નક્કી કરવામાં આવે તો? તો કદાચ યુવાનો ઘણા બધા લોકોના જીવ બચાવી શકે. ભારતમાં અત્યારે યુવાનોની સંખ્યા વધારે છે. એ લોકો પણ વૃદ્ધ બનશે. એ પરિસ્થિતિમાં જો બારમા ધોરણ સુધીમાં એકાદ કોર્સ Gerontology પર આપવામાં આવે તો?

મેં વૃદ્ધો સાથે કામ કર્યું છે અને હું વૃદ્ધોના અધિકાર માટે ઘણી વાર ઝગડ્યો પણ છું. એક વાર એક વિશ્વવિખ્યાત હોસ્પિટલના દાક્તરે મને કહ્યું કે વૃદ્ધો બાળકો જેવા હોય છે ત્યારે મેં કહેલું કે ના, વૃદ્ધો વૃદ્ધો જેવા જ હોય છે. એમને બાળક જેવા ગણીને એમનું અપમાન ન કરો. ઘણી વાર દાક્તરો નેવું વર્ષની ઉપરના વડીલોની સારવાર કરતી વખતે એવું બોલી જતા હોય છે કે હવે નેવું થયાં … ત્યારે હું એમને કહેતો હોઉં છું કે એમને પણ તમને છે એટલો જ જીવવાનો અધિકાર છે.

જે કામ માનવકલ્યાણ માટે કરવાનું છે એ કામ બાજુ પર મૂકીને સરકાર અમુક પ્રકારનાં ગતકડાં કરે ત્યારે સમજવું કે એને માનવકલ્યાણની કંઈ પડી નથી. એને તો મતબૅંક ઊભી કરવી છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો આપણા વિદ્યાર્થીઓ ગીતાને બરાબર સમજે તો ભા.જ.પ.ને મત નહીં આપે. હા, પછી ભા.જ.પ. સરકાર ગીતાનો અભ્યાસ કેવળ શ્લોકો ગોખવા પૂરતા મર્યાદિત કરી નાખે તો એ એક અલગ વાત છે.

E-mail : basuthar@gmail.com 

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 06 

Loading

ધર્મગ્રંથનું શિક્ષણ આપવાનું કામ સરકારનું નથી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|2 April 2022

શાળાઓમાં છથી બાર ધોરણના અભ્યાસમાં ભગવદ્દ ગીતા દાખલ કરવાના સરકારના નિર્ણય વિશે સાવ પ્રાથમિક વાત.

— અને ‘????, ????’ અભિગમ પ્રમાણે તે શું છે તે સમજતાં પહેલાં, તે શું નથી તેની સમજ.

આ ચર્ચા –

–          ભગવદ્દ ગીતા મહાન ગ્રંથ છે કે નહીં, તે વિશેની નથી.

–          હિંદુઓ સિવાયના બીજા ધર્મના લોકોને ગીતાશિક્ષણ ઉપયોગી છે કે નહીં, તે વિશેની નથી.

–          હિંદુ બાળકોને નાનપણથી ગીતા ભણાવવી જોઈએ કે નહીં, તેની નથી.

–          નાનાં બાળકો માટે ગીતાનું શિક્ષણ ઉપયોગી છે કે નહીં, તે વિશેની નથી.

–          આ રીતે ગીતાનું યોગ્ય શિક્ષણ આપી શકાય કે નહીં, એ વિશેની નથી.

– ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન જેવા વિષયોમાં શિક્ષણની ગુણવત્તાના ગંભીર પ્રશ્નો છે, ત્યારે ગીતાનું ગુણવત્તાસભર શિક્ષણ અપાશે કે નહીં, તેની નથી.

– ભગવદ્દ ગીતાનાં ઘણાં અર્થઘટનો છે. તેમાંથી કયા અર્થઘટનનો ઉપયોગ કરવામાં આવશે, તેની પણ નથી.

– કયા મહાનુભાવે ગીતાની તરફેણમાં કે તેના વિરોધમાં શું કહ્યું, તેની નથી.

– બીજા દેશોમાં ધાર્મિક શિક્ષણમાં સરકાર પડેલી છે કે નહીં, તેની નથી.

ઉપર જણાવેલા બધા મુદ્દા આ ચર્ચામાં પછીના ક્રમે આવે છે. તેમને મુખ્ય ચર્ચામાં ભેળવવાથી ગુંચવાડા થાય છે.

પહેલા નંબરનો મુદ્દો એક જ છે : સરકાર તેના અભ્યાસક્રમમાં કોઈ ધર્મપુસ્તક દાખલ કરી શકે નહીં અને ગીતા ધર્મપુસ્તક છે એ તો સિદ્ધ હકીકત છે.

અહીં વાત ખાનગી સંસ્થાઓની નહીં, સરકારની છે તે યાદ રહે.

એકેય ધર્મગ્રંથનું શિક્ષણ આપવાનું કામ રાજ્ય સરકારનું કે કેન્દ્ર સરકારનું નથી, કારણ કે હજુ સુધી ભારત (પાકિસ્તાનની જેમ) એક ધર્મને વરેલો દેશ બન્યો નથી.

દેશનું, ધર્મનું અને માનવતાનું હિત ઇચ્છતા હો તો આશા રાખો કે તે એવો બને પણ નહીં.

E-mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 06

Loading

અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો પ્રવેશ અને બંધારણ

નેલ્સન પરમાર|Opinion - Opinion|2 April 2022

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ, ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પાઠ ભણાવવામાં આવશે તેવો સરકારનો નિર્ણય જાહેરાત કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવે જોઈએ ધાર્મિક શિક્ષણ વિશે ભારતનું બંધારણ શું કહે છે.

બંધારણના અનુચ્છેદ – ૨૮ : અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા.

(૧) રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.

(૨) રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઇ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને ખંડ(૧)નો કોઈ મજકૂર લાગુ પડશે નહીં.

(૩) રાજ્યે માન્ય કરેલી અથવા રાજ્યનાં નાણાંમાંથી સહાય મેળવી શિક્ષણ સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતાં ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં અથવા તેને સંલગ્ન કોઈ કોઈ મકાનમાં ચલાવતી કોઈ ધાર્મિક ઉપાસના હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં સિવાય કે તે વ્યક્તિએ અથવા તે વ્યક્તિ સગીર હોય તો તેના વાલીએ એ માટે પોતાની સંમતિ આપી હોય.

¶ ભારતનાં બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે, ધાર્મિક શિક્ષણ ન આપી શકાય તો આ શિક્ષણ મંત્રી જાહેરાત કેવી રીતે કરી શકે? આપણે જોઈએ કે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ ગીતાને જ છે. એટલે બંધારણીય રીતે કોઈ પણ ધાર્મિક શિક્ષણ ન આપી શકાય એવું સ્પષ્ટ છે જ .. આવી જાહેરાતો ચૂંટણી આવી એટલે લોકોને છેતરવા લોલીપોપ સમાન છે કે પછી જાણી જોઈને માહોલ બગાડવા કે મતોનું ધ્રુવીકરણ કરવા આવી જાહેરાત કરવામાં આવે છે એ ચર્ચાનો વિષય છે. મને લાગે છે કે આ મુદ્દે પણ ભવિષ્યમાં આ જ સરકાર પોતાનું બયાન પાછું ખેંચશે, ચૂંટણી આવી એટલે ફકત ચૂંટણી લક્ષી નામની જાહેરાત સમજવી બાકી એમને ય ખબર છે કે કોઈ તો વિરોધ કરશે જ, કોઈ હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટે બંધારણીય બાબતોને મહત્ત્વ આપશે તો. ધાર્મિક શિક્ષણ માટે બંધારણ સ્પષ્ટ છે એટલે આ રદ્દ થશે ..

ખરેખર, જો બાળકોના ભવિષ્યની ચિંતા જ હોય તો જે ૭૦૦ શાળાઓમાં એક જ શિક્ષક છે એના પર વિચારો, શિક્ષકોની ઘટ છે એના પર વિચારો, શાળાઓની હાલત પર વિચારો, શિક્ષકોને આપવામાં આવતાં શિક્ષણ સિવાયના કામો દૂર કરો … એવા તો અનેક મુદ્દાઓ છે જેના પર કામ કરો આવી ખોટી ખોટી જાહેરાતો કરી પ્રજાને છેતરવાનું બંધ કરો ….!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 15 

Loading

...102030...1,4451,4461,4471,448...1,4601,4701,480...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved