Opinion Magazine
Number of visits: 9456330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાલ, પ્રો. મહમૂદાબાદને જામીન મળ્યાઃ અલબત્ત, માત્ર એથી વાત પતતી નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 May 2025

પરિપ્રેક્ષ્ય –  

‘ઓપરેશન સિંદૂર‘ના બ્રીફિંગ સાથે જે એક ભાવભૂમિ સરજાઈ છે એની જાળવણી ખાસ માજત માગી લે છે … રખે મોરચાબંધી એને ભરખી જાય!

પ્રકાશ ન. શાહ

અશોકા યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક અલી ખાન મહમૂદાબાદને સર્વોચ્ચ અદાલતે વચગાળાંના જામીન આપ્યાં એથી બુધવાર બપોર પછી આપણે કંઈક આશ્વસ્ત અવશ્ય થઈ શકીએ – પણ આશ્વાસનની આ લાગણી પરત્વે ‘કંઈક’ એ વિશેષણ મહત્ત્વનું છે, કેમ કે જામીન પછી અને છતાં ખાસો મોટો કોઠો ભેદવો રહે છે. 

પ્રોફેસર મહમૂદાબાદ પર હરિયાણવી પોલીસ ધોંસ એમની સોશ્યલ મીડિયા પોસ્ટ સંદર્ભે હતી અને છે. આ ધોંસની પૂંઠે હરિયાણાનું મહિલા આયોગ છે, અને ભા.જ.પી. યુવા મોરચો પણ છે. મહમૂદાબાદ અંગ્રેજી ભાષાસાહિત્યના અચ્છા અધ્યાપક છે, સ્વાધ્યાય અને સહૃદયતાએ એમને સોશ્યલ મીડિયાઈ સક્રિયતા પણ બક્ષેલી છે. 

એમણે ઓપરેશન સિંદૂર સંદર્ભે દેશમાં વૈવિધ્યના સમાદર પૂર્વક જે ઐકયનું દર્શન થયું એની સાનંદ નોંધ લીધી હતી અને આશા દાખવવા સાથે ટકોર કરવાની તક પણ ઝડપી હતી કે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘનાં બ્રીફિંગ થકી જે તસવીર ઊભરી છે તે માત્ર પ્રતીકાત્મક બનીને ન રહી જાય એ જરૂરી છે. આવું નામ કે વાસ્તે ‘ટોકનિઝમ’ એ સહજ સ્થાયી ઐક્યનો અવેજ નથી. પ્રોફેસર મહમૂદાબાદે આ વિચારો વ્યક્ત કરવા માટે કટાક્ષ કે વક્રોક્તિનો રાહ લીધો હોય તો પણ તે વિરમે તો છે. રાષ્ટ્રીય એકતાની ભાવભૂમિ પર જ. વળી અહીં લક્ષમાં રાખવાની વાસ્તવિકતા એ પણ છે કે વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને આ દિવસોમાં ટ્રોલિંગનો જે વરવો અનુભવ થયો એણે સૂચિત ‘ટોકનિઝમ’ની મર્યાદાઓ પણ બહાર આણી છે. 

અલી ખાન મેહમૂદાબાદ

આ ટિપ્પણી લખાઈ રહી છે તે જ સમયે મધ્ય પ્રદેશની વડી અદાલતમાં મચેલ જંગનો માહોલ, આપણી ચર્ચા પરત્વે પૂરક સામગ્રી શો છે. મધ્ય પ્રદેશ મંત્રીમંડળના સભ્ય વિજય શાહે સોફિયા કુરેશીનું ઓઠું લઈને (અલબત્ત નામ પાડ્યા વગર) ‘આતંકવાદીઓની બહેન’ પ્રકારના ઉલ્લેખો કર્યા હતા અને રાજ્ય સરકારે તેમ ભા.જ.પ. નેતૃત્વે એમને વારવાની કોઈ અસરકારક કોશિશ ન કરી તે સંજોગોમાં હાઇકોર્ટે સ્વમેળે સંજ્ઞાન લઈને કારવાઈ શરૂ કરવાની નોબત આવી છે. ઊલટ પક્ષે, હરિયાણામાં ભા.જ.પ. સરકારે નીમેલ મહિલા આયોગે પ્રો. મહામૂદાબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં મહિલાઓની અવમાનના જોઈ છે અને ભા.જ.પી. યુવા મોરચાએ એમાં રાજદ્રોહ વાંચવાની ચેષ્ટા કરી છે. મધ્ય પ્રદેશ અને હરિયાણાનો ઘટનાક્રમ કમનસીબે અલી ખાન મહમૂદાબાદની આશંકા અને ચિંતાને અનુમોદન આપે છે એમ કહેવું એ વાસ્તવકથન માત્ર છે. 

જો કે, સર્વોચ્ચ અદલાતની કારવાઈ પણ કંઈક અમૂઝણ જગવનારી છે. એણે મહમૂદાબાદને જામીન તો આપ્યાં પણ પાસપોર્ટ પોલીસમાં જમા કરવાનું કહ્યું છે તેમ જ એમણે જે કોઈ પોસ્ટ લખી છે એમાં ડબલ મીનિંગ તો નથી ને તે તપાસવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ(એસ.આઈ.ટી.)ની રચના કરી છે. સાહિત્યના અધ્યાપકે વ્યંગ કે વક્રોક્તિનો આશરો લીધો હોય તો કંઈ કાયદાની કલમોએ કોચવાની વાત નથી. એ વસ્તુતઃ સહૃદય સમજનો એક એવો ઇલાકો છે જેને વિશે યોર લૉર્ડશિપે જુદી જ રીતે વિવેકનો રાહ લેવો રહે છે. કદાચ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે તે માટેની દિશા ખોલી પણ છે. પંચે સ્વમેળે સંજ્ઞા લઈ એવી પ્રતિક્રિયા આપી છે કે મહમૂદાબાદની પોસ્ટ અંગે કારવાઈની વાત પ્રથમદર્શી ધોરણે એમના માનવ અધિકાર ભંગની અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગની છાપ આપે છે. 

જ્યાં સુધી સત્તાપક્ષનો સવાલ છે, વિજય શાહ ઘટનામાંથી ધડો લીધા વિના એ એક પ્રકારની રાજકીય મોરચાબંધીનું રાજકારણ રમી રહ્યો છે. પ્રો. મહમૂદાબાદ સામે કારવાઈની માગણી માટે શિક્ષણ જગતના લોકોનું ખાસ નિવેદન (જેમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તા પણ જોડાયાં છે) જોતા આ વાત સમજાઈ રહે છે.

સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ, સત્તાપક્ષ-વિપક્ષ અને નાગરિક સંગઠનો સહિત સૌ સામે એપ્રિલ 2025નો મિજાજ ઘટતા સંસ્કરણ સાથે ટકાવી રાખવાનો પડકાર છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 મે 2025

Loading

ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 May 2025

ચંદુ મહેરિયા

બંધારણના અનુચ્છેદ એકવીસ અનુસાર ભારતીય નાગરિકનો પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર, તેના જીવન જીવવાના અધિકારનો, મહત્ત્વનો હિસ્સો છે. પરંતુ દેશ આખામાં, સવિશેષ શહેરોમાં, મોટા પાયે પ્રદૂષિત વાતાવરણમાં આપણે જીવવું પડે છે. હવા, પાણી, અવાજ અને જમીનનાં પ્રદૂષણની સમસ્યા બહુ ગંભીર છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દસ દેશોમાં આપણી ગણના થાય છે.

વૈશ્વિક જળ ગુણવત્તા સૂચકાંકમાં ૧૨૨ દેશોમાં ભારતનો ક્રમ ૧૨૦મો હોવાનું નીતિ આયોગના અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે. પીવાનું શુદ્ધ પાણી માનવ જીવન માટે અતિ આવશ્યક છે. પરંતુ આપણા દેશનાં પાણીના સિત્તેર ટકા સ્રોત પ્રદૂષિત છે. ગંગા અને બીજી નદીઓને મા ગણતા નદીપ્રધાન દેશમાં પીવાનું ચોખ્ખું પાણી જાણે કે દોહ્યલું છે.

વાયુ ગુણવત્તા અહેવાલ ૨૦૨૪માં આપણે ત્રીજા ક્રમે છીએ અગાઉ આપણે પાંચમા નંબરે હતા. એટલે વાયુ ગુણવત્તામાં આપણું સ્થાન સુધર્યું છે. પણ એથી બહુ હરખપદૂડા થવાની જરૂર નથી. કેમ કે જે દેશો આપણા કરતાં વધુ ગંદી હવામાં જીવે છે તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને કોન્ગો છે. એટલે આ સુધારાથી વિશ્વગુરુએ હરખાવાનું ન હોય. દુનિયાના મોખરાના પ્રદૂષિત શહેરોમાં ભારતના તેર શહેરો છે. તેમાં રાજધાની દિલ્હી બીજા નંબરે છે. પ્રતિ વર્ષ દિવાળી પછીના દિવસોમાં દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. દિલ્હીના પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા  અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ખેતરોમાં પરાળ સળગાવે તેનો ધૂમાડો અને પ્રતિબંધ છતાં દિલ્હીવાસીઓના પોતાના દિવાળીના ફટાકડાના પ્રદૂષણે માઝા મૂકી છે. દર વરસે આ વિકરાળ સમસ્યાથી પાટનગર દિલ્હી પીડાય છે. વાહનો માટે ઓડ ઈવન, ભારે વાહનો પર પ્રતિબંધ, શાળાઓમાં રજાઓ, સરકારી અને ખાનગી કંપનીઓમાં વર્કફ્રોમ હોમ કે કામના કલાકોમાં ફેરફાર, વૃક્ષો પર પાણીનો છંટકાવ જેવા પગલાં છતાં સમસ્યા કાયમી બની ગઈ છે. 

ધ્વનિ પ્રદૂષણની જિકર થાય કે તરત મસ્જિદોના લાઉડ સ્પીકર યાદ આવે છે. પરંતુ જન્મ, લગ્ન અને મરણ જેવા સામાજિક પ્રસંગો કે તમામ ધાર્મિક પ્રસંગો આપણે અવાજ કર્યા વિના ઉજવી શકતા નથી, તે સહેલાઈથી ભૂલી જઈએ છીએ. હવે તેમાં ડી.જે.નું દૂષણ ઉમેરાયું છે. તે કેટલું ખતરનાક ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે તેનો અનુભવ હજુ હમણાંનો તાજો છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના કડાણા ગામે લગ્નના વરઘોડામાં ડબલ ડી.જે.નો અવાજ એટલો ઘાતક બન્યો કે ઘોડે બેઠેલા વરરાજાની મગજની નસ ફાટી ગઈ હતી! 

પ્રદૂષણની સૌથી માઠી અસર માનવીના આરોગ્ય પર થાય છે. ફેફસાં, હ્રદય, મગજ અને લોહીને વાયુ પ્રદૂષણ અસર કરે છે. અસ્થમા, સ્ટ્રોક, હ્રદય રોગ અને માનસિક તણાવ જેવા રોગોના દર્દીઓને તે સવિશેષ અસર કરે છે. અકાળે મોત, ગર્ભપાત, જન્મ સમયે બાળકનું ઓછું વજન અને મૃત બાળકનો જન્મ પણ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. વિશ્વમાં ૮ મિલિયન લોકોના અકાળે મોતનું કારણ વાયુ પ્રદૂષણ છે. ૨૦૧૯માં ભારતની અર્થવ્યવસ્થામાં વાયુ પ્રદૂષણે જી.ડી.પી.ના ત્રણ ટકા નુકસાન કર્યું હતું. દુનિયામાં ૧.૨ લાખ કરોડ કામના દિવસો તેના લીધે ઘટ્યા હતા.

પર્યાવરણ, પ્રદૂષણ અને જળ વાયુ પરિવર્તન વૈશ્વિક સમસ્યાઓ છે. સરકારો અને સમાજે મળીને તેનું નિવારણ કરવાનું છે. નાગરિકોની જાગૃતિ અને ભાગીદારી મહત્ત્વની છે જ પરંતુ સરકારોની પ્રાથમિકતા આ મુદ્દે કેટલી છે તે પણ અગત્યનું છે. ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને યોજનાઓ છે છતાં સમસ્યા વકરી રહી છે. ૨૦૧૮માં ભારત સરકારે પ્રદૂષણ નિયંત્રણ યોજના શરૂ કરી હતી. સંપૂર્ણપણે કેન્દ્રપોષિત આ યોજનાનો મહત્ત્વનો હિસ્સો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ(N CAP) છે. યોજનાના ઊંચા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. દેશના ૧૩૧ શહેરોમાં ૨૦૧૯-૨૦માં અસ્વચ્છ હવાનું જે સ્તર હતું તેને ૨૦૨૬ સુધીમાં ૪૦ ટકા સુધારવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ ગમે તેવી સારી યોજના પણ અમલદારશાહીનો  ભોગ બનતી હોય છે. 

ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સભ્ય ભુવનેશ્વર કલિતાના અધ્યક્ષપણા હેઠળની સંસદની સ્થાયી સમિતિનો સંસદના ગત સત્રમાં રજૂ થયેલા અહેવાલની કેટલીક વિગતો ચોંકાવનારી અને ચિંતાજનક છે. વરસ ૨૦૨૪-૨૫ માટે કેન્દ્ર સરકારે રૂ. ૮૫૮ કરોડ પ્રદૂષણ નિયંત્રણ યોજના માટે ફાળવ્યા હતા. પરંતુ સમિતિના જણાવ્યા મુજબ વર્ષાંતે તેમાંથી માત્ર રૂ.૭.૨૨ કરોડ અર્થાત એક ટકા કરતાં ઓછો ખર્ચ થયો હતો. આ નાણાં કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રદૂષણ નિયંત્રણ માટે આપવાના  હતા. પરંતુ નાણાકીય  વરસ પૂરું થયું ત્યાં સુધી બાબુશાહીએ યોજનાને મંજૂરી જ ન આપી એટલે ચોપાસ બેફામ ફેલાઈ રહેલાં પ્રદૂષણને અટકાવવા માટે કરોડો રૂપિયા વણવપરાયેલા રહ્યા હતા.

હવે દિલ્હીની નવી રાજ્ય સરકારે ચાલુ વરસના બજેટમાં રૂ.૫૦૬ કરોડની જોગવાઈ વન અને પર્યાવરણ માટે કરી છે. દિલ્હી સરકાર તેનો પૂર્ણ ક્ષમતા અને રાજકીય ઈચ્છાશક્તિથી ઉપયોગ કરે છે કે કેમ તેની કસોટી આ વરસની દિવાળીએ જ થશે. કેન્દ્રે નિયંત્રણ માટે જે રૂ.૮૫૮ કરોડ ફાળવ્યા હતા તે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયના કુલ બજેટનો ૨૭ ટકા જેટલો મોટો હિસ્સો હતો. તે તો વણ વપરાયેલો રહ્યો જ છે, પરંતુ સંસદીય સમિતિએ નોંધ્યું છે તેમ ૨૦૨૪-૨૫માં મંત્રાલયે તેને ફાળવેલ નાણાંનો ૫૭ ટકા જ ખર્ચ કર્યો છે. દેવભૂમિ ઉત્તરાખંડની રાજ્ય સરકારે તો તેના પર્યાવરણ ફંડનો ગેરઉપયોગ કર્યો હોવાનું સી.એ.જી.ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પર્યાવરણ માટેનું રાજ્ય સરકારનું ફંડ રાજ્યના ચીફ સેક્રેટરીના બંગલાના રંગરોગાન, તેમના માટે એકાધિક લેપટોપ અને આઈ ફોન ખરીદવામા વાપર્યું છે. ઉત્તરાખંડને પ્રકૃતિએ કેટલું બધું આપ્યું છે. પરંતુ માનવીય ભૂલો અને જાગૃતિના અભાવે ઉત્તરાખંડનું પ્રાકૃતિક સોંદર્ય નષ્ટ થઈ રહ્યું હોય ત્યારે પર્યાવરણ ફંડનો ગેર ઉપયોગ ભારે ચિંતાનો વિષય બનવો જોઈએ. 

૧૯૪૪થી ૧૯૫૫ના ગાળામાં પ્રગટ થયેલ ભગવદ્ગોમંડળમાં અને ૧૯૨૯માં પ્રગટ સાર્થ ગુજરાતી જોડણી કોશમાં પર્યાવરણ શબ્દ નથી. પરંતુ પ્રદૂષણ શબ્દ છે! ભગવદ્ગોમંડળમાં  પ્રદૂષણનો અર્થ નષ્ટ થવું તે અને સાર્થ ગુજરાતી જોડણી કોશમાં હાનિકારક કે ઝેરી તત્ત્વોથી વાતાવરણનું દૂષિત થવું કે બગડવું તે જણાવેલ છે. એટલે  પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યા વીસમી-એકવીસમી સદીની છે. ખરાબ પર્યાવરણ અને અને પ્રદૂષણને કારણે અનેક હાનિકારક અસરો થઈ રહી છે. તેને નાથવાના  સરકાર અને સમાજના પ્રયત્નો બહુ પાંખા જણાય છે. તેમાં સરકારી નાણાં વણવપરાયેલાં રહેવા કે બીજો ઉપયોગ થવો તે ગંભીર સમસ્યા છે. પ્રદૂષણના સ્રોત કે કારકો ઓછા કરવા એ પ્રદૂષણ નિવારણની સૌથી કારગર  રણનીતિ છે. જો પ્રદૂષણ નિયંત્રણ કે નિવારણ માટે સર્વસંમતિ છે, પૂરતી કાયદાકીય જોગવાઈ છે તો હવે તેના નિયંત્રણ અને અંતે નિવારણ માટે ભગીરથ પ્રયાસો થવા જોઈએ. તો જ આપણી આવતીકાલ પ્રદૂષણમુક્ત હશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !

રમેશ સવાણી|Opinion - Opinion|22 May 2025

વાલજીભાઈ પટેલ

શું કોઈ સરકારી IAS અધિકારી સરકારના પરિપત્રને બદલવા સરકારને ફરજ પાડી શકે ખરા? પણ પ્રવીણ ગઢવીએ એ કામ કર્યું. જેનો હું સાક્ષી છું. 

અમરેલીમાં પ્રવીણ ગઢવી કલેકટર હતા અને હું અમરેલીમાં જમીન આંદોલન ચલાવતો હતો ત્યારે અમે આ કામ પાર પાડેલું. અને દલિતોને ફાળવેલ 3,000 એકર જમીનો બચી ગઈ. 

અમે આનંદિત થયેલા, પણ પ્રવીણભાઈ મારો સ્વભાવ જાણે એટલે એમણે મને આ પ્રસંગ જાહેરમાં ન કહેવાની સૂચના આપેલી. હું ચૂપ રહ્યો. કારણ કે, મારે તેમની નોકરીની મર્યાદા પણ જોવાની હતી.  

આજે પ્રવીણ ગઢવી આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે આવા સવાયા દલિતનો ઉપકાર હું ભૂલી જાઉં તો નગુણો ગણાઉં. એટલે વિગતે વાત કરીશ. 

ખેત જમીન ટોચ મર્યાદા કાયદા-૧૯૬૦ની કલમ-29 હેઠળ દલિતોને ફાળવેલ જમીનો નવા કરારની જમીન ગણાય. અને આવી નવા કરારની જમીનો આ કાયદાની કલમ-30ની જોગવાઈ અન્વયે જિલ્લા કલેકટરની મંજૂરી વગર વેચી શકાય નહિ. આમ આ જોગવાઈ બિન દલિતો  માટે આડખીલીરૂપ હતી.

ગુજરાતમાં તે વખતે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. મોદી સરકારે આ અવરોધ દૂર કરવા નવા કરારની જમીનો ૧૫ વર્ષ પછી જૂના કરારમાં ફેરવી શકાય અને એવી જમીનો વેચી પણ શકાય તેવો હુકમ કર્યો. એટલું જ નહીં, કાયદાની જોગવાઈ અન્વયે આવી જમીનો વેચવાની મંજૂરી આપવાના અધિકાર માત્ર કલેકટર પાસે જ હતા. તેના બદલે સરકારે એવા અધિકાર મામલતદારોને પણ આપ્યા. 

પ્રવીણભાઈ ગઢવી

પરિણામે દલિતોના નામે મંડળીઓ બનાવી કબજો કરી બેઠેલા રાજકીય દલિત નેતાઓ આ કરોડો રૂપિયાની સેંકડો એકર જમીનોના માલિક બની ગયા. અને માત્ર કાગળો ઉપર સભ્યો કરી બનાવેલી મંડળીઓનાં રાજકીય દલિત નેતાઓએ મામલતદારો પાસેથી આ જમીનો વેચવાની મંજૂરીઓ મેળવી સવર્ણોને 3,000 એકર જમીનોના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા. 

રોકડિયો લાભ મેળવવા આ દલિત આગેવાનોએ પાંચ લાખમાં વેચેલી જમીનોમાં ત્રણ લાખ રોકડા લઇ દસ્તાવેજ તો માત્ર બે લાખમાં કર્યા. ત્રણ હજાર એકર જમીન ધરાવતી અમરેલીની સૌથી મોટી ખેત મંડળીનાં માલિક કાઁગ્રેસની હરિજન વિકાસ પરિષદના ગોવા કાળા મારુ અને તત્કાલીન નિવૃત્ત ડેપ્યુટી કલેકટર ડી.કે. મારુએ 70 લાખ રૂપિયાના દસ્તાવેજો કરેલા.  

અમે કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટીસે અમરેલી રજીસ્ટારની  કચેરીમાં નાણાં ભરી બધા વેચાણ દસ્તાવેજોની નકલો મેળવી. અને અમરેલી કલેક્ટરની કોર્ટમાં શરતભંગનાં મેં કેસ દાખલ કર્યા. જેમાં કાયદાની કલમ-30 હેઠળ કલેકટરની મંજૂરી વગર થયેલ દસ્તાવેજો  તેમ જ  બિનઅધિકૃત  અધિકારી મામલતદારની મંજૂરી મેળવી થયેલ વેચાણ દસ્તાવેજો કાયદા વિરોધી હોઈ આવા દસ્તાવેજો  રદ્દ કરવા લેખિત ફરિયાદ કરી. 

મારી ફરિયાદ કલેકટર પ્રવીણ ગઢવીની કોર્ટમાં સુનાવણીમાં આવી. તેમણે મારી ફરિયાદ વાંચી મને કહ્યું, “વાલજીભાઈ, મને બે દિવસ વિચારવા આપો.” 

બે દિવસ પછી હું તેમની ઓફીસમાં મળવા ગયો. અને તેમણે  મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પાસેથી માર્ગદર્શન મેળવવા પત્ર લખેલો એ પત્ર મને વાંચવા આપ્યો. પ્રવીણભાઈએ મારી ફરિયાદના સંદર્ભે અગ્ર સચિવ મહેસૂલને લખેલ પત્રમાં સ્પષ્ટ જણાવેલ કે, કાયદાની કલમ-30ની જોગવાઈ હેઠળ નવા કરારની જમીન કલેકટરની મંજૂરી વગર વેચી શકાય નહિ તેવી જોગવાઈ છે. તેમ જ સરકારના પરિપત્ર મુજબ આવી જમીન વેચવા મામલતદાર પણ મંજૂરી આપી શકે તેવો હુકમ પણ થયેલ છે. જેથી મારી સમક્ષ આવેલ આ ફરિયાદમાં નિર્ણય લેવા મને  માર્ગદર્શન આપશો. બસ, આ પત્રે મહેસૂલ ખાતામાં હલચલ મચાવી દીધી.

મામલતદારને સરકારે આપેલ અધિકાર કાયદા વિરુદ્ધનો હતો. એટલે સરકારે તાત્કાલિક મામલતદારને અધિકાર આપતા પરિપત્રને રદ્દ કરવાનો અને કલમ-30 હેઠળ માત્ર કલેકટરને જ અધિકારો આપતી જોગવાઈનો જ અમલ કરવો તેવો હુકમ થયો. 

આમ કાયદાની દૃષ્ટિએ મામલતદારની મંજૂરીથી થયેલ મંડળીના દસ્તાવેજો આપોઆપ  ગેરકાયદેસર બની ગયા. ત્યારબાદ પ્રવીણ ગઢવીની તો અમરેલીથી બદલી થયેલી અને  ઝાલાવાડિયા નવા કલેકટર આવ્યા. એટલે નવા કલેકટર ઝાલાવાડિયાની કોર્ટમાં દોઢ વર્ષ સુધી મારા બધા જ કેસ ચાલ્યા અને આખરે કલેકટર અમરેલીએ કાયદાની કલમ-30 હેઠળ આ મંડળીઓએ કરેલ બધા જ વેચાણ દસ્તાવેજ ગેર કાયદેસર ઠેરવી રદ્દ કરવાનો હુકમ કર્યો. 

આમ જો દિવંગત પ્રવીણ ગઢવીએ માર્ગદર્શન મેળવવાના બહાને મારી ફરિયાદ લઇ અગ્ર સચિવને  પત્ર લખ્યો ન હોત તો આ પરિણામ ન આવત.  સરકારની નજરમાં આવું જોખમ લઈને પણ સરકારને પરિપત્ર રદ્દ કરવાની ફરજ પડે તેવી દિવંગત પ્રવીણ ગઢવીની હિંમત અને કુનેહમાં મને તેમની દલિતો પ્રત્યેની કટીબધ્ધતાનાં દર્શન થયા.  

કદાચ આ જગ્યાએ કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું કામ કરનાર પ્રવીણભાઈ, તમારો દલિત સમાજ પર મોટો ઉપકાર છે. મને માફ કરશો, મારી પાસે આપને શ્રદ્ધાંજલિ આપવા માટે માત્ર ઠાલા શબ્દો સિવાય બીજું કંઇ જ નથી. તમારી યાદ મારી મોંઘી મૂડી છે. કદીએ નહિ ભૂલાય પ્રવીણભાઈ ! 

[વાલજીભાઈ પટેલ, એક્ટિવિસ્ટ, કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ, 20 મે 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...143144145146...150160170...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved