Opinion Magazine
Number of visits: 9670968
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામ્રાજ્યની સફર અને વિભિન્ન દેશોમાં વસતા  મૂળ વતનીઓ

આશા બૂચ|Diaspora - Features|9 August 2022

સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ – લંડન (SOAS) દ્વારા, સાઉથ એશિયન હેરિટેજ મન્થના નેજા હેઠળ, ગઈ તારીખ 15 અને 16 જુલાઈના, ગ્રીષ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ખાદી લંડનનાં સક્રિય સભ્ય તરીકે તેમાં ભાગીદાર થવાનું સદ્દભાગ્ય સાંપડ્યું.

આ કાર્યક્રમના આયોજનના કેન્દ્રમાં બ્રિટિશ સામ્રાજ્યના દક્ષિણ એશિયાના વતનીઓ, કે જેઓ પોતાના મૂળ વતનથી વિખુટા પડીને દુનિયાના અન્ય વિસ્તારોમાં જઈને સ્થાયી થયા, તેમની અસ્મિતા ઉપર થયેલી અસરો અને સામે પક્ષે તેઓએ જે તે દેશોને શું શું પ્રદાન કર્યું છે તેની કહાણી ગૂંથવાનો પ્રયાસ રહ્યો છે. આ વર્ષે ભારતની આઝાદીનાં 75 વર્ષ થયાં તેમ જ અખંડ ભારતના ભાગલાની સાથે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાને પણ 75 વર્ષ થયાં; અને યુગાન્ડાના એશિયનોની ઇદી અમીને કરેલી હકાલપટ્ટીને 50 વર્ષ થયાં તે બે મહત્ત્વની દૂરગામી અસરો છોડી જનાર ઘટનાઓનું પણ આ ઉત્સવમાં પ્રતિબિંબ ઝીલાયું હતું.

ગ્રીષ્મ ઋતુ દરમ્યાન, બે દિવસ માટે, આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાંસ્કૃતિક સંગઠનો દ્વારા સંગીત, નૃત્ય, નાટક, દસ્તાવેજી ફિલ્મ, પ્રદર્શન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે કળા, હસ્ત ઉદ્યોગો અને સાહિત્ય કૃતિઓનું પઠન વગેરે પીરસવામાં આવે છે. બ્રિટનના ભૂતપૂર્વ સામ્રાજ્યના નાગરિકો અલગ અલગ દેશોમાં સ્થાયી થયા. યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાયી થયેલાં એશિયન લોકોનાં સ્થળાંતર સમયના અનુભવોનો હજુ આજે પણ તેમના જીવન પર શો પ્રભાવ પડ્યો છે તે દર્શાવવાનો હેતુ આ વાર્ષિક કાર્યક્રમનો રહે છે. સ્થળાંતર અને દેશવટાનો ભોગ બનેલાઓને બે કે ત્રણ પેઢી સુધી પોતાની અસ્મિતા જાળવી રાખવા માટે ઝઝૂમવું પડતું હોય છે; પરંતુ એવા ઇતિહાસના અંશો પ્રત્યે આપણે જોઈએ તેટલું ધ્યાન નથી આપતા; જેની રજૂઆત આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાના માધ્યમથી સુંદર રીતે રજૂ થાય છે.

સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ – લંડન (SOAS)ના પ્રવેશ દ્વાર પર તમિલના પ્રખ્યાત કવિ થિરુવલ્લુવરની પ્રતિમા દૃષ્ટિગોચર થાય છે. આ ગ્રીષ્મોત્સવના પ્રથમ દિવસે છ દાયકાઓ દરમ્યાન ભરતનાટ્યમ્‌ નાટ્યકલા દ્વારા ભારતના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસની કથા કેવી રીતે લોક માનસ સુધી પહોંચાડી તેની વાત શ્રીકલા ભારતે રજૂ કરી. આપણા ભૂતકાળને ઉજાગર કરતી, વર્તમાનને સમજવા સક્ષમ બનાવતી અને ભાવિને અલગ દૃષ્ટિથી જોવા પ્રેરતી કવિતાઓ પણ રજૂ કરાઈ. ભારતના ભાગલા અને તેની અનેકવિધ અસરોને વિભાજનના હત્યાકાંડોમાંથી બચી જવા પામેલા અને તેમના પછીની પેઢી પાસેથી સાંભળેલી કહાણીઓનું સ્ક્રીનિંગ પણ બતાવવામાં આવ્યું.

ગુજરાતથી આફ્રિકા ખંડના અલગ અલગ દેશોમાં સ્થાયી થયેલા અને ત્યાર બાદ યુ.કે.માં સ્થળાન્તર કરીને વસેલા પ્રજાજનોએ બ્રિટિશ સંસ્થાનના સમયથી ચાલતા આવેલા વ્યાપાર અને વ્યવસાય તેમ જ નવરાશના સમયમાં કેળવેલી કલાકારીગરીની કુશળતાને કેવી રીતે સાચવી અને આ દેશમાં પણ બે ત્રણ પેઢી સુધી જીવંત રાખી છે તેનું પ્રદર્શન કર્યું. ગુજરાતની સંસ્કૃતિ અને સમાજનું પોત આફ્રિકા, યુરોપ અને ભૂમધ્ય પ્રદેશના જાણ્યા અજાણ્યા દેશોના અનેક ઉત્પાદકોએ પેદા કરેલ કપાસ જેવા કાચા માલ અને કારીગરોએ બનાવેલ હાથે કાંતેલાં અને વણેલાં કાપડ તેમ જ મોતીભરત, આભલાભરત અને મહેંદીની કલાના આદાન-પ્રદાનના તાણાવાણાથી વણાયું છે.

બ્રુનાઈ ગેલેરીના એક ખંડમાં એક ગામના ચોતરા જેવો માહોલ ખડો કરવામાં આવ્યો હતો, જ્યાં મોતીભરત, આભલાભરત, મહેંદી કલા, ઊનનું કાંતણ, ચરખા પર સૂતરનું કાંતણ અને નાની શાળ પર વણાટનું પ્રદર્શન સતત ત્રણ કલાક સુધી ચાલતું રહ્યું અને મુલાકાતીઓ દરેક કલાના જાણકારો પાસેથી જે તે કલાનો ઇતિહાસ, તેની ખૂબીઓ, તેના ઉપયોગ, આજના સમયમાં તેની પ્રસ્તુતિ વગેરે વિષયો ઉપર સંવાદ કરતા હતા. ગુજરાતની હસ્તકલાની ધરોહરને સંગોપીને આગળ વધારનારાઓનો ટૂંક પરિચય અહીં પ્રસ્તુત.

મૂળે રાજકોટ – સૌરાષ્ટ્રના નયનાબહેન છત્રાલિયા બહુ નાની વયે મોતીનું ભરતકામ કરતાં શીખેલાં. વર્ષોના અનુભવે તેઓએ તેમાં ઘણું પ્રભુત્વ હાંસલ કર્યું છે. અનેક પ્રદર્શનો અને વર્ગો દ્વારા બીજાને આ કલા શીખવી છે. એમના કલાના નમૂનાઓ પ્રતિષ્ઠિત કલા કેન્દ્રોમાં પ્રદર્શિત થયા છે. તેમના હાથમાંથી રાઈના દાણા જેવાં મોતી સરતાં જાય અને મિનિટોમાં એક હાથ કે ગાળામાં પહેરવાનું ઘરેણું તૈયાર થાય એ જોવાનો લ્હાવો લેવા જેવો.

પ્રિયા પટેલ ભરતકામમાં ખૂબ કુશળતા ધરાવે છે. આણંદ એમનું વતન. હોમ સાયન્સની ઉપાધિ ભારતમાં મેળવી. ત્યાં જ તેમણે ભરતકામની તાલીમ લીધી. તેમના અને અન્ય મહિલાઓને હાથે ભરેલા નમૂનાઓ પરથી આંખ ન ખસે એવો નજારો હતો. પ્રિયા બહેન દરેક ટાંકા પાછળની ખૂબી, કઈ કોમ તેમાં માહેર છે, આભલા ભરત કઈ રીતે આરબ લોકો પાસેથી શીખીને કચ્છની ભરવાડ કોમે પોતાની આગવી શૈલીમાં અપનાવી લીધું તેનો તમામ ઇતિહાસ કહેતાં રહ્યાં. પ્રિયાનું ભરતકામ કરતાં જોવા મુલાકાતીઓના પગ થંભી જતા.

મહેંદીની કલા હવે જાણે વિશ્વ આખામાં લોકપ્રિયતા મેળવી ચૂકી છે. તેનાં મૂળમાં જવાને બદલે હવે માત્ર એ કલાની ખૂબી પારખીને શરીરને શોભાવવા દરેક ઉંમર અને દરેક કોમના લોકો હોંશે હોંશે તેનો લાભ લે છે. આણંદનાં સોનલબહેન પટેલ નાની વયે મહેંદી મુક્ત શીખ્યાં, અસંખ્ય પ્રસંગોએ મહેંદી મૂકીને પોતાનો વ્યવસાય ટકાવી રાખ્યો. આજે પણ પ્રદર્શનો અને વર્ગો ચલાવીને બીજી પેઢીને તૈયાર કરે છે.

સૌમ્યા સિંઘ યુ.કે.સ્થિત કાપડ ડિઝાઈનર તરીકે કાર્યરત રહે છે. તેઓ પુનર્જીવન આપતાં કાપડના રેસાઓનો ઉપયોગ કરે છે કેમ કે તેઓ તમામ પ્રકારના વસ્ત્રોનાં ઉત્પાદનમાં પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે માટે નિસબત ધરાવે છે. સૌમ્યાએ ચરખા ઉપર ઊનનું કાંતણ કઈ રીતે થઇ શકે તેનું નિદર્શન કર્યું.

અર્ના જનીન સ્કેન્ડિનેવિયા અને જાપાનમાં વણાટની તાલીમ લઈને લંડનમાં ફ્રી વિવર સ્ટુડિયો ખાતે વણાટકામનું નિદર્શન અને તાલીમ આપી રહ્યાં છે. તેઓ અવારનવાર ભારત, ખાસ કરીને ઓડીશા, જયપુર અને નાગાલેન્ડની મુલાકાત લઈને ત્યાંની વિશિષ્ટ પ્રકારની વણાટ કારીગરીની તાલીમ મેળવતાં રહે છે.

અર્ના જનીન જાપાનમાં જેનાં મૂળ છે તે સાઓરી વણાટ પદ્ધતિ, કે જેને હવે દુનિયા ભરમાં માનભેર સ્વીકારવામાં આવી રહી છે તેની તાલીમ આપે છે. વણનારની કારીગરીની શક્તિને સહજતાથી વ્યક્ત કરતી આ એક અનોખી વણાટ પદ્ધતિ છે જે તેને અપનાવનારને નાની એવી સાદી શાળ ઉપર સુંદર કાપડ તૈયાર કરવાની સહુલત કરી આપે છે. આ ઉપરાંત અર્ના છેલ્લાં થોડાં વર્ષોથી ફેસ્ટિવલ ઓફ નેચરલ ફાઇબર્સનું આયોજન કરે છે જેમાં ઊન, શણ, નેટલ અને સૂતરના તારથી હાથે કંતાઈ અને વણાઈને તૈયાર થયેલ કાપડ અને તેના પર કરેલી ડિઝાઇનના નમૂનાઓનું પ્રદર્શન, કાંતણ-વણાટના નિદર્શન અને વર્કશોપ પણ યોજાય છે.

SOASના આ કાર્યક્રમમાં અર્નાએ મુલાકાતીઓને સાઓરી વણાટ પદ્ધતિનો ઇતિહાસ, તેની ખૂબી અને આજના સમયમાં તેની ઉપયુક્તતા વિષે વાત કરતાં કરતાં વણાટ કરી બતાવ્યું.

કાપડ ઉદ્યોગની વાત આવે અને ચરખા કાંતણનો ઉલ્લેખ ન થાય તે શક્ય જ નથી. ચરખા કાંતણનું નિર્દેશન મારે ભાગે આવ્યું. ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયાં તે પહેલાં આપણા પૂર્વજો રાજાથી માંડીને રસ્તો વાળનારાઓ માટે અને દરેક પ્રસંગે પહેરાય તેવાં રોજબરોજના જીવન ઉપયોગી તેમ જ અત્યંત મૂલ્યવાન કપડાં હાથથી જ બનાવતાં એ હકીકત તરફ ધ્યાન દોર્યું. કાપડની બનાવટનો ઇતિહાસ, તેની ચડતી પડતી, ભારતમાં વિદેશી શાસનના પરિણામે ઉપજેલી બેકારી અને કાંતણ-વણાટની કુશળતા પર પડેલ ફટકા વિષે વાત કરી. સાથે સાથે ગાંધીજીની સ્વદેશ વાપસી, સ્વાતંત્ર્ય સંગ્રામની જોડાજોડ રચનાત્મક કાર્યોની મહત્તા સમાજાયાનાં પગલે ખાદીનું મુક્તિ ચળવળના મુખ્ય પ્રતીક તરીકે સ્થાપિત થવું વગેરે મુદ્દાઓ પણ ચર્ચાયા. આ દરમ્યાન કાંતણ સતત ચાલતું રહ્યું. મુલાકાતીઓ રસપૂર્વક, અહોભાવથી જોતા, સવાલો પૂછતા અને એકવીસમી સદીમાં પણ આર્થિક-સામાજિક અસમાનતા દૂર કરવા અને પર્યાવરણને નેસ્તનાબૂદ થતું અટકાવવા આવા હસ્ત ઉદ્યોગો અને વિકેન્દ્રિત ઉત્પાદન તથા વ્યાપારની મહત્તા વિષેના વિચાર બીજ રોપાયાં એ લઈને વિદાય થયા, જેનો મને સંતોષ છે.

SOASના આ કાર્યક્રમની સફળતાની પાછળ જે બે વ્યક્તિઓની જહેમત છે તેમનો પરિચય ઉલ્લેખનીય છે.

સબરંગ – દક્ષિણ લંડન વિસ્તારના સાઉથ એશિયન સંગઠનના સૂત્રધાર લતાબહેન દેસાઈએ સરકારી અને સ્વૈચ્છિક સંગઠનોના સથવારે અનેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતની કલા સંસ્કૃતિના વારસાને રજૂ કરતા અનેક પ્રકલ્પોના આયોજન અને પ્રસ્તુતિનું સુપેરે વહન કર્યું છે. આવા કાર્યક્રમો દ્વારા છેવાડાના સમાજના હાથે સચવાયેલી કલાને પ્રોત્સાહન આપવાનો હેતુ હોય છે. લતાબહેને કલાના વિવિધ રૂપની ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કસબીઓને એકસૂત્રે બાંધીને જે કાર્યક્રમો આપ્યા છે તેને કારણે બ્રિટનમાં વસતી ગુજરાતી સમાજના સાંસ્કૃતિક પ્રદાનની અન્ય સમૂહોને જાણ થઇ છે જેનાથી ગુજરાતી સમાજને પણ લાભ થયો છે. કારકિર્દીના બહોળા અનુભવે તેમને એક નિષ્ઠાવાન કમ્યુનિટી આર્ટનાં અગ્રણી તરીકે ઓળખ આપી છે.

જસવીર સિંઘે સાઉથ એશિયન હેરિટેજ મન્થના શ્રીગણેશ કરવામાં અગ્રીમ ભાગ ભજવેલો. મૂળ વ્યવસાય બારિસ્ટરનો, સાથે સાથે ફેઈથ ફોરમ અને સિટી સીખ ઉપરાંત અન્ય ઘણા સામાજિક સંગઠનોમાં પણ સક્રિય રહે છે.

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અને યુગાન્ડાના એશિયનોના બ્રિટનમાં આગમનની અર્ધ શતાબ્દીની આ ઉચિત ઉજવણી SOASના આંગણે થઇ જેના આપણે આભારી.

e.mail : 71abuch@gmail.com

Loading

રાષ્ટ્રકુળ રમતોત્સવ : જીત અને પાઠ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|9 August 2022

રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ) રમતોનો પૂર્ણાહૂતિ સમારંભ આજે બપોરે બાર વાગ્યે યોજાશે. આ સ્પર્ધાઓમાં આપણા દેશના મહિલા અને પુરુષ ખેલાડીઓ 22 સુવર્ણ ચન્દ્રક, 16 રૌપ્ય 23 કાંસ્ય એમ કુલ 61 ચંદ્રકો જીત્યાં.

આ રમતોત્સવ થકી આપણે એવા ભારતને, અને આ દેશના એવા ખેલાડીઓને જાણતા થયા કે જેમને કદાચ આપણે ક્યારે ય ન જાણી શક્યા હોત. વળી આ ખેલાડીઓના કેટલાક કિસ્સાઓ પરથી જિંદગીના પાઠ ભણવા મળ્યા.

• આફતો અટકાવી ન શકે : વેઈટલિફ્ટિન્ગ કેડ ભાંગી નાખનારી રમત છે, અને તેના મોટા ભાગના ખેલાડીઓ ગરીબ પરિવારોના હોય છે.

હરજિન્દર જમીનવિહોણા ખેડૂતની દીકરી છે. તેના બાવડા ચૅફ-કટિન્ગ મશીન પર કામ કરીને મજબૂત બન્યાં છે.

અત્યારે 20 વર્ષના અચિન્તા શેઉલીના પેડલરિક્ષા ચલાવનાર પિતા અવસાન પામ્યા ત્યારે તે દસ વર્ષનો હતો. પછી તે ખેતમજૂરી અને ભરત-ગૂથણનું કામ કરીને પેટિયું રળતાં વેઇટ લિફ્ટન્ગની સાધના ચાલુ રાખીને સુવર્ણ ચન્દ્રક જીત્યો. તેની સાથેના ગુરુરાજા પૂજારીના પિતા લારી ખેંચતા.

રૌપ્ય ચન્દ્રક લાવનાર સંકેત સાગરના પિતાનો ચાનો ગલ્લો છે જેની પર નાનપણમાં સંકેત પણ બેસતો.

• ઇજા પર જીત :  ખૂન-પસીના-દર્દ વેઈટલિફ્ટરની જિંદગીનો હિસ્સો હોય છે. બે વેઈટલિફ્ટર્સ તેમની ઇજાને કોરાણે મૂકીને ચન્દ્રકો જીત્યા. મિઝોરામનો જેરેમિ લાલરિનુંગા હજુ તો 19 વર્ષનો છે. તે સખત  પીડા અને  ક્રૅમ્પ્સ સહન કરીને સુવર્ણ ચન્દ્રક લાવ્યો.

મહારાષ્ટ્રના સાંગલીનો સંકેત ખભો ઊતરી  ગયેલી હાલતમાં રૌપ્ય  ચન્દ્રક જીત્યો. ઇજા  પામનારા માત્ર  વેઇટલિફ્ટર્સ જ નથી. જેમ કે મણિપુરની જુડો ખેલાડી સુશીલા દેવી જમણા પગે અને ઢીંચણે આવેલા ટાંકાની પરવા કર્યા વિના રૌપ્ય ચન્દ્રક  જીતી.

• પરિવારનો ટેકો મોટો : અચિન્તાના મોટાભાઈ આલોકે વેઈટલિફ્ટિન્ગમાંની પોતાની મહાત્ત્વાકાંક્ષાને જતી કરીને ભાઈને પ્રોત્સાહન આપ્યું, અને એટલે અચિન્તાએ તેનો ચન્દ્રક ભાઈને અર્પણ કર્યો.

સુવર્ણ ચન્દ્રક જીતનાર બૉક્સર નીતુ ઘંઘાસના પિતાએ દીકરીની રમતની તાલીમ સારી રીતે ચાલી શકે તે માટે ત્રણ વર્ષની પગાર વિનાની રજા લીધી. લાંબી કૂદમાં રૌપ્ય ચન્દ્રક જીતનાર મુરલી શ્રીશંકરે તેનો ચન્દ્રક પિતાને અર્પણ કર્યો છે.

• ધીરજનાં ફળ મીઠાં : ઊંચી કૂદના ખેલાડી તેજસ્વીન શંકરને પહેલાં તો કૉમનવેલ્થ ગેમ્સની  ટુકડીમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. દિલ્હીના આ 23 વર્ષના ખેલાડીને અદાલતમાં જવું પડ્યું. રમતોત્સવનો ઉદ્દઘાટન સમારંભ તેણે ભારતમાં બેસીને જોયો. તેને ઘણી માનસિક યાતના વેઠવી પડી. આખરે અદાલતના આદેશથી રમતમાં ભાગ લઈ શકેલો તેજસ્વીન રાષ્ટ્રકુલ રમતોમાં ઊંચી કૂદમાં ચન્દ્રક જીતી લાવનાર દેશનો પહેલો ખેલાડી બન્યો.

• નવો ઘોડો નવો દાવ : લૉન બૉલ રમતની કપ્તાન રૂપા રાણી તિર્કી એક જમાનામાં કબડ્ડીની ખેલાડી હતી અને નયનમોની સાઇકિયા વેઇટલિફ્ટર અને લવલી ચૌબે સ્પ્રિન્ટર હતી. પિન્કી સિંગ ક્રિકેટ રમતી હતી.

આ ખેલાડીઓ તેમની પહેલાં પસંદ કરેલી રમતમાં એક યા બીજા કારણસર કારકિર્દી બનાવી શકી નહીં. પણ તેઓ એક નવી રમત લૉન બૉલમાં પરોવાઈ અને સુવર્ણ ચન્દ્રક જેવી મોટી સિદ્ધિ હાંસલ કરી. હરજિન્દર કૌર કબડ્ડીમાંથી વેઈટલિફ્ટન્ગ તરફ વળી.

• ઉંમર તો માત્ર એક આંકડો છે : લૉન બૉલ વિજેતા ટીમની પિન્કી અને લવલી 42 વર્ષની છે. ટેબલ ટેનિસમાં સુવર્ણ જીતનાર અચન્તા શરથ કમલ 40 વર્ષની ઉંમરે પણ બેમિસાલ છે. કૉમવેલ્થ ગેમ્સમાં સ્ક્વૅશની રમતમાં મિક્સ્ડ ડબલ્સમાં કાંસ્ય ચન્દ્રક જીતનાર પહેલો ભારતીય ખેલાડી સૌરવ ઘોશાલનો આજે છત્રીસમો જન્મદિવસ છે.

*****

ઘણાં વિજેતાઓ ખૂબ અંતરિયાળ ગામો અને નાના કસબામાંથી આવે છે. તેમાંથી કેટલાક પૂનાની આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ અને પતિયાળાની નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટસમાં તાલીમ પામેલા છે. કેટલાકને સરકારની Target Olympic Podium Scheme (TOPS) જેવી યોજનાનો લાભ મળ્યો છે. આ બાબત છે રમતક્ષેત્રે અને ખાસ કરીને પૈસો-પ્રસિદ્ધિ,ચમકદમક ન હોય તેવી રમતોમાં સરકારના ટેકાની મહત્તા બતાવે છે.

લાંબી વિઘ્નદોડ જેવી સ્ટીપલચેઇઝ સ્પર્ધામાં કેન્યાને અત્યાર સુધી ભાગ્યે જ કોઈ હરાવી શક્યું હતું. આ દોડની શ્વાસ ઊંચો કરી દેનારી હરીફાઈમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માંડવા ગામના, ખેડૂતપુત્ર અવિનાશ સાબળેએ રૌપ્ય ચન્દ્રક જીત્યો. અવિનાશની જેમ ભારત દેશે પણ પોતાનો વેગ અને પોતાનું ધ્યેય ઊન્નત રાખવાં  જોઈએ.

ટ્રિલિયન ડૉલર અર્થતંત્ર ઊભું કરવાની અને વિશ્વગુરુ બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતા આપણા દેશની રાષ્ટ્રકુળ રમતોની સિદ્ધિના આનંદમાં જરૂર રાચી શકાય. પણ ન ભૂલીએ કે અવિનાશ સાબળેની અજેય જણાતા કેન્યાના ખેલાડી સામેની સફળતામાં તેણે અમેરિકામાં મેળવેલી તાલીમનો હિસ્સો છે. મહિલાઓની ક્રિકેટની અને પુરુષોની હૉકીની અંતિમ સ્પર્ધામાં કટોકટીની ક્ષણે આત્મવિશ્વાસનો અભાવ ઊભો  થયો હતો. પહેલાં જણાવ્યું તેમ તેજસ્વીનને અદાલતનો આશરો લેવો પડ્યો હતો.

એ પણ નોંધવું  જોઈએ કે આ પહેલાંની ત્રણ રાષ્ટ્રકુળ રમતોમાં ભારતે અત્યાર કરતાં વધારે ચન્દ્રકો જીત્યાં હતાં અને અત્યારે મેળવેલું ચોથું સ્થાન 2002માં પણ મેળવ્યું હતું. દેશની લોકસંખ્યા તેમ જ તેના કદ અને અર્થતંત્રના પ્રમાણમાં નિષ્ણાતો આપણી પાસે વધુ સારી કામગીરીની અપેક્ષા રાખે છે.  બહુ ઓછા મા-બાપ સંતાનની કારકિર્દી તરીકે રમતગમતને પસંદ કરે છે. રમતગમતમાં વધુ  સહભાગિતા તેમ જ  વિશ્વકક્ષાની કામગીરી માટે વધુ ધનરાશિ, વ્યવસાયકુશળ (પ્રોફેશનલ) સંચાલન અને રમતો દ્વારા રોજગારીની તકો ઊભી થાય તેવા આયોજનની જરૂર છે. હવે પછીનો પડકાર બરાબર એક વર્ષ પછી ચીનમાં યોજાનારી એશિયન રમતો છે.

લાંબી વિઘ્નદોડ જેવી સ્ટીપલચેઇઝ સ્પર્ધામાં કેન્યાને અત્યાર સુધી ભાગ્યે જ કોઈ હરાવી શક્યું છે. આ રમતની શ્વાસ ઊંચો કરી દેનારી હરીફાઈમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માંડવા ગામના, ખેડૂતપુત્ર અવિનાશ સાબળેએ  રૌપ્ય ચન્દ્રક જીત્યો. અવિનાશની જેમ ભારત દેશે પણ પોતાનો વેગ અને પોતાનું ધ્યેય ઊન્નત રાખીને ચીનની એશિયન રમતોમાં ભાગ લેવાનો રહે.

*****

આધાર  : “The Times of India”,  ‘India Celebrated the India We Barely Knew’ by Avjit Ghosh, 8 August 2022 ; ‘On Track for More’ 9 August 2022

9 ઑગસ્ટ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યાર : “બહુત યારાના લગતા હૈ”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 August 2022

ગુજરાતીમાં ભાવ વાચક સંજ્ઞા તરીકે સૌથી વધુ વપરાતા શબ્દોની જો યાદી બનાવામાં આવે, તો તેમાં દોસ્ત, યાર, ભાઈબંધ, મિત્ર સૌથી મોખરે આવે. એથી આગળ જાવ તો, ઓછા બોલચાલવાળા શબ્દો, સાથી, સખા, સહચર, ભેરુ, ભિલ્લુ, લંગોટિયો અને ગોઠિયો આવે. એમ તો ભાઈ પણ મિત્રના અર્થમાં વપરાય છે. એક સાવ જ નહીં વપરાતો શબ્દ ‘સુહૃદ’ વાંચ્યો હતો, અર્થ થાય છે; હૃદયનો સાચો.

જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે, તે છે “યાર,” જે ગુજરાતી નથી, પણ ફારસી છે. યાર શબ્દ અસલ અર્થમાં સંજ્ઞા વાચક છે. તેમાં એક પ્રકારની અનૌપચારિકતાનો ભાવ છે, જેમ કે – યાર, શું ચાલે છે? યાર, ક્યારે મળે છે? યાર, મજા નથી આવતી. યાર, ચલને ફરવા જઈએ. આપણે જ્યારે આપણી સહજ રીતે, અસાવધ બનીને કોઈ ઊંડી લાગણી વ્યક્ત કરવા માંગતા હોઈએ, ત્યારે આપણે તેમાં “યાર” જોડી દઈએ છીએ.

આવું માત્ર નિકટની સાથે જ થાય તે જરૂરી નથી. કોઈ અજાણી અથવા વિરોધી વ્યક્તિને કોઈ લાગણી પહોંચાડવી હોય તો પણ “યાર” વપરાય છે, જેમ કે – યાર, બે અડબોથ મારી દઈશ. યાર, તારાથી થાય તે કરી લે. યાર શબ્દ દોસ્તી અને દુશ્મની બંનેમાં નિકટતા ઊભી કરે છે. “શોલે” ફિલ્મમાં ગબ્બર સિંહ વીરુ-બસંતી વચ્ચેના પ્રેમને જોઇને કહે છે, “બહુત યારાના લગતા હૈ.” એમાં નિર્દયતા છે. દાખલા તરીકે, સલીમ-જાવેદે “બહુત ઈશ્ક લગતા હૈ” અથવા “બહુત પ્યાર લગતા હૈ” એવું લખ્યું હોત તો?

મિત્ર સંબંધી મોટાભાગના શબ્દો પુલ્લિંગ છે, કારણ કે જૂના જમાનામાં મિત્રતાનો સંબંધ માત્ર પુરુષો વચ્ચે જ કેળવાતો હતો, પરંતુ યાર શબ્દ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને છે. આજની સ્ત્રીઓ તેમની વાતચીતમાં છૂટથી એકબીજા માટે “યાર” બોલે છે. આજે દીકરી પિતાને એવું કહેતી સંભળાય, “અરે યાર, પાપા, જવા દો ને.” “ઝંઝીર” ફિલ્મની કવ્વાલી “યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી” સ્ત્રીઓ પર ફિલ્માવાય તો કેવું લાગે?

વાસ્તવમાં યાર અનાદરસૂચક શબ્દ હતો, પરંતુ આધુનિક સમયમાં તે સન્માનજનક બની ગયો છે. એમાં પ્રેમનો ભાવ જરૂર છે, પરંતુ એ પ્રેમ એવા પુરુષનો છે જે કોઈ સ્ત્રી સાથે અનુચિત સંબંધ રાખે છે. સ્ત્રીનો ઉપપતિ એટલે કે આશિક હોય તેને યાર કહે છે (આશિક એટલે અનુરાગી, વ્યસની, આવારા વ્યક્તિ. માશૂક એટલે પ્રેમપાત્ર, પ્રિયતમ, મહબૂબ, દિલરુબા). જૂની હિન્દી ફિલ્મો અથવા વાર્તાઓમાં સ્ત્રી માટે સંવાદ આવતો, “વો તેરા યાર હૈ કયા?” બહુ સ્ત્રીગમન કરનાર (વુમનાઇઝર) પુરુષ માટે ‘યારબાજ’ શબ્દ વપરાતો હતો. “ઈશ્કિયા” ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અરશદ વારસીને કહે છે, “યારબાજ અમ્મી કા …. બાજ બેટા.”

અમુક ભાષા વિજ્ઞાનીઓ ફારસી “યાર” અને સંસ્કૃત “જાર:”ને એક ગણે છે. જેમ કે હિન્દીના નિષ્ણાત અજીત વડનેરકર ઉર્દૂ-ઇંગ્લિશ શબ્દકોશના રચયિતા જોહ્ન પ્લેટ્સનો હવાલો આપીને કહે છે કે યાર શબ્દની વ્યુત્પતિ જાર: છે. સંસ્કૃત જાર:માં પ્રેમી, આશિકનો ભાવ છે. એવા પ્રેમીથી પેદા થયેલા સંતાનને જારજ: કહેવાતું હતું. હિન્દીમાં આજે પણ અવૈધ સંતાન માટે જારજ શબ્દ વપરાય છે.

તેમના અનુસાર, સંસ્કૃતમાં જાર: શબ્દ સ્ત્રીના પ્રેમી સુધી જ સીમિત છે, પરંતુ આ શબ્દ જ્યારે ફારસીમાં ગયો ત્યારે સ્ત્રીઓએ તેમાં સામેલ પ્રેમીભાવથી આઝાદી મેળવી અને એ શબ્દ વિશુદ્ધ રીતે સાથી, મિત્ર કે દોસ્તના અર્થમાં સ્થાપિત થયો. તેમ છતાં, મહિલાઓને ધિક્કારવા માટે યારનું ચલણ ચાલુ જ રહ્યું હતું. જેમ કે ઈરાનમાં કોઈ સ્ત્રીના મિત્રનો અનાદર કરવા માટે યાર શબ્દ વપરાતો હતો. પંજાબીમાં “ચોરી યારી” શબ્દ છે, જેનો અર્થ થાય છે, ચોરી-છુપીનો સંબંધ. પંજાબીમાં જ મા-બહેન માટે એક ગાળ બોલચાલમાં છે, “મા/બે’ન/દા યાર.”

અરવિંદ વ્યાસ નામના બીજા એક ભાષાવિજ્ઞાનીના મતે યાર શબ્દ ફારસી યાવર પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સહાયક, સાથી, મિત્ર વગેરે. અગાઉ તેનો અર્થ સેનાપતિ અથવા નગર-રક્ષા અધિકારી થતો હતો. ફારસીમાં સહાયતા કરવાવાળી વ્યક્તિ માટે અદ્યાવર શબ્દ છે. તેમના મતે યાવર શબ્દનો સંસ્કૃતની યુ ધાતુ સાથે સંબંધ છે.

યુ યુ મિશ્રણેડમિશ્રણે ચ અદાદિ:, પરસ્મેપદી, સકર્મક: સેટ (મિશ્રિત કરવું, મેળવવું, મિલાપ કરવો, છુટું પાડવું). અરવિંદ વ્યાસ કહે છે કે ફારસી રક્ષક જેમ ઋગ્વેદમાં યાવયત્સખને મિત્રની રક્ષા કરવાવાળો કહેવામાં આવ્યો છે.

અમુક લોકો યારને અરબી અય્યાર સાથે જોડીને જુએ છે. એમાં પણ રક્ષકનો ભાવ છે. મધ્યકાલીન (9થી 12મી સદી) ઈરાક અને ઈરાનમાં રખડતા યોદ્ધાઓને અય્યાર કહેતા હતા. તેમને બદમાશ અને લફંગા (ફારસીમાં ડિંગ મારે, બકવાસ કરે તેને લફંગા કહે છે) પણ સમજવામાં આવતા હતા, જે શરાબ, જુગાર અને વેશ્યાઓના અડ્ડા પર જતા હતા. તેના પરથી આવારા શબ્દ આવ્યો છે. હિન્દીમાં આવારા ભટકતા લોકો માટે ધુમક્કડ શબ્દ છે.  

યારની જેમ જ સૌથી પ્રચલિત દોસ્ત શબ્દ પણ ફારસી છે. ફારસીમાં તેના ચાર અર્થ થાય છે; સમાન અવસ્થાવાળો તેમ જ સાથે રહેવાવાળો સ્નેહી, સંગી અથવા પ્રેમી, જેની સાથે અનુચિત સંબંધ હોય તે અને સુખ-દુઃખમાં સાથ આપવાવાળો. અલબત્ત, સ્ત્રીના સંદર્ભમાં યારની જેમ દોસ્ત શબ્દમાં નકારાત્મક ભાવ નથી. એટલા માટે યારી-દોસ્તી એવો એક શબ્દ પણ છે.

દોસ્ત શબ્દનો સંબંધ સંસ્કૃત ‘જુષ્ઠ’ સાથે પણ છે, જેનો અર્થ થાય છે પ્રસન્ન, સંતુષ્ઠ રહેવાવાળો. જુષ્ઠમાં જુષ ધાતુ છે, જેમાં અનુકૂળ, મંગલકારીનો ભાવ છે. ખુશ કરવું, પ્રસન્ન રહેવું, સંતુષ્ઠ મહેસૂસ કરવું એ દોસ્તીનો પણ ભાવ છે. હિન્દીમાં યારી-દોસ્તીને લઈને એક આધુનિક મુકતક છે :

બાજારવાદ ને સરે બાજાર કર દિયા,

બીવી કી દોસ્ત કો ભી મેરા યાર કર દિયા,

દૂરી મિટાતે દૌર મેં ઇતને હુએ કરીબ 

યારી કા જાયકા બઢા ગદ્દાર કર દિયા

બાય ધ વે, તમને ફ્રેન્ડ (મૂળ જર્મન ‘ફ્રીઓન્ડ’ એટલે જે પ્રેમ કરે છે તે) શબ્દ તો ખબર છે, પરંતુ અંગ્રેજીમાં એક નવો શબ્દ છે, ફ્રેનીમી (frenemy). અર્થ થાય છે, દુશ્મનદોસ્ત. જે દોસ્ત છે પણ ઈર્ષ્યા અને હરીફાઈ પણ કરે છે, જે તમને અંદરથી નાપસંદ કરે છે તે. કામકાજ અને રોમાન્સના સમયમાં આવા ફ્રેનીમી બહુ બનતા હોય છે. બોલીવુડમાં લોકપ્રિય બની હોય તેવી ૧૦૦ ફિલ્મો દોસ્તી પર બની છે. એમાંથી અડધી ફિલ્મો દોસ્તીના વિશ્વાસઘાત પર હતી. દરેક સંબંધમાં જેમ અમુક નકારાત્મક ખાસિયતો સમય જતાં બહાર આવતી હોય છે, દોસ્તીમાં પણ એક સમયે ટીકા, હોડ, અપેક્ષા અને સ્વાર્થ આવી જાય છે. દોસ્તીની ગરમી સમય જતાં ઓછી થઇ જ જાય છે.

“આયે દિન બહાર કે” ફિલ્મમાં વ્યથિત ધર્મેન્દ્રએ ‘શ્રાપ’ આપ્યો હતો : 

મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે, 

મુજે ગમ દેને વાલે તું ખુશી કો તરસે

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4291,4301,4311,432...1,4401,4501,460...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved