Opinion Magazine
Number of visits: 9569653
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે જેલમાં પૂરાવી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-3]

હત્યારાઓને ફાંસીએ ચડાવવા તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોધરા હત્યાકાંડનો બદલો અમદાવાદમાં લઈ શકાય નહીં ! પરંતુ જ્યારે લોકોની ધાર્મિક લાગણીઓ ઉપર સવાર થઈને ‘સત્તા’ મેળવી હોય ત્યારે ‘સત્તા’; તોફાનીઓ ઉપર કડક પગલાં લઈ શકે નહીં. સરકાર તરફથી નિર્દોષ લોકોની સલામતી માટે જે પગલાં લેવાવાં જોઈએ તે સરકાર તરફથી લેવાયાં ન હતા. 2002ના તોફાનોમાં 'લાર્જર કૉન્સપીરેસી' છે કે નહીં; તેની ઉપર સુપ્રિમકોર્ટે વિચાર કરવાનો હતો; તેના બદલે ફરિયાદી ઝાકિયા જાફરીને મદદ કરનાર તીસ્તા સેતલવાડ અને IPS અધિકારી આર.બી. શ્રીકુમાર વગેરે ઉપર ધોકો પછાડ્યો છે ! સુપ્રિમકોર્ટને પીટિશનમાં સરકારને બદનામ કરવાનું કાવતરું દેખાયું તે ચિંતાનો વિષય છે !

2009માં સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડ અને 'સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ'ની કામગીરીને બિરદાવી હતી; જ્યારે 24 જૂન 2022ના ચૂકાદામાં, એ જ કોર્ટ તેમને કાવતરાખોર કહે છે ! સુપ્રિમકોર્ટના ચૂકાદાના ફકરા-88માં ગોધરાકાંડ પછીનાં તોફાનોની ચર્ચાને જીવતી રાખવા માટે કોઈ કાવતરું હોય તેવી શંકા વ્યક્ત કરીને તીસ્તા સેતલવાડનું નામ નોંધ્યું છે. આ અંગે ‘તપાસ કર્યા વિના જ’ બીજે જ દિવસે તીસ્તાને અને પૂર્વ IPS અધિકારી આર.બી. શ્રીકુમારને જેલમાં પૂરવામાં આવ્યાં; તે શું સૂચવે છે? એક વેળાએ સુપ્રિમકોર્ટ તીસ્તાની મદદ લેતી હતી; હવે તીસ્તા કાવતરાખોર લાગે છે; આવું કેમ? 2008માં, સુપ્રિમકોર્ટે SITની રચના; ઝાકિયા જાફરી અને તીસ્તા સેતલવાડની રજૂઆતના કારણે જ કરી હતી. તે સમયે સુપ્રિમકોર્ટને લાગ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરી બરાબર નથી, માટે SITની રચના કરી ! તીસ્તાની રજૂઆતના કારણે જ સુપ્રિમકોર્ટે બિલકીસબાનો કેસ / બેસ્ટ બેકારી કેસ ગુજરાત બહાર મુંબઈમાં ટ્રાન્સફર કર્યા હતા ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ હતી; આ બન્ને કેસ ગુજરાતમાં ચાલ્યા હોત તો આરોપીઓને સજા થાત? ઉપરાંત તીસ્તાની રજૂઆતના કારણે SITની રચના થઈ અને SITના કારણે અનેક કેસોમાં આરોપીઓને સખ્ત સજા થઈ છે ! જો SITની રચના થઈ જ ન હોત તો બાબુ બજરંગી / માયા કોડનાણી વગેરેને સજા થઈ હોત? સુપ્રિમકોર્ટને ગુજરાત પોલીસની કામગીરી યોગ્ય નહોતી લાગી; એટલે SITની રચના કરવાની જરૂર પડી હતી; આ બાબત સુપ્રિમકોર્ટ કઈ રીતે ભૂલી શકે? ‘સત્તા’નો ચમત્કાર એ છે કે હવે સુપ્રિમકોર્ટને તીસ્તા ‘ષડયંત્રકારી’ લાગે છે ! હવે તેને લાગે છે કે સરકારને બદનામ કરવા તીસ્તાએ કાવતરું કર્યું હતું ! સવાલ એ છે કે SITએ પોતાનો રિપોર્ટ તો 2012માં સુપ્રિમકોર્ટને સુપ્રત કરી દીધો હતો; છેલ્લાં 10 વર્ષ દરમિયાન સુપ્રિમકોર્ટે આ રિપોર્ટના આધારે તીસ્તા અને બીજા કાવતરાખોરોની ધરપકડ કરવા કેમ કહ્યું નહીં? માની લઈએ કે તીસ્તાએ કાવતરું કર્યું હતું; તો 2000થી વધુ નિર્દોષ લોકોની હત્યા થઈ, એ માટે કોઈની જવાબદારી હોય કે નહીં? હિંસાનો શિકાર બનેલાઓને કે તેમના વતી અવાજ ઊઠાવનારને કાવતરાખોર કહી શકાય? રાજ્યને બદનામ કરવા / રાજ્યને અસ્થિર કરવા / રાજ્ય સામે કાવતરું કરવાનો આરોપ ફરિયાદી સામે મૂકી શકાય? જો રાજ્ય આવો આરોપ મૂકે કે તો કોઈ ફરિયાદી સલામત રહે ખરો? કોર્ટનું વલણ બંધારણ આધારિત હોવું જોઈએ કે ‘સત્તા’ આધારિત? શું ‘રાજ્ય’ અને ‘નેતા’ પર્યાયવાચી બની ગયા નથી? શું કોર્ટ ‘સત્તા’ની એક શાખા છે?

સુપ્રિમકોર્ટને થયું છે શું? 16 આદિવાસીઓની હત્યાની તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર એક્ટિવિસ્ટ હિમાંશુ કુમારને 5 લાખનો દંડ? સુપ્રિમકોર્ટને વામપંથી ચરમપંથીઓને બચાવવાનું કાવતરું દેખાય છે ! 2000થી વધુ મોત અંગે તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર ઝાકિયા જાફરીના સાથીદારોને જેલમાં પૂરવાના? સુપ્રિમકોર્ટને રાજ્યને બદનામ કરવાનું કાવતરું દેખાય છે ! દરેક અરજદાર જે રાજ્ય સામે અદાલતનો દરવાજો ખખડાવે તેની વાત સાંભળવી જ જોઈએ. તેને દંડિત કરી શકાય નહીં કે જેલમાં પૂરી શકાય નહીં ! ફરિયાદીને જ ઠમઠોરવાનો સુપ્રિમ કોનો નવો અવતાર જોવા મળ્યો છે; જે લોકશાહી માટે ભયંકર સંકેત છે. સત્તાની તરફેણમાં મજા / લાભ / પુરસ્કાર / નિમણૂંકો / વાહવાહી મળે છે ! સત્તા વિરુદ્ધ લખવામાં તમને બદનામ કરે /રાષ્ટ્રદોહી ચીતરે / તમારા NGOના ફંડ અંગે તપાસ થાય / કેસ થાય / જેલમાં પૂરે / ભક્તો ટ્રોલ કરે / ગાળો આપે / હિંસક હુમલા કરે / કાળી શાહી ફેંકે ! સત્તા વિરુદ્ધ બોલવું અને લખવું જોખમકારક છે ! આ સ્થિતિને લોકતંત્ર નહી ષડયંત્ર કહી શકાય ! સૌથી મોટો સવાલ એ છે કે શું સુપ્રિમકોર્ટ એવું માને છે કે નાગરિકોને નહીં; રાજ્યને અદાલતી-સુરક્ષાની જરૂર છે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-4]

વિક્ટિમને મદદ કરનાર તીસ્તા સેતલવાડ / આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ જેલમાં છે; આદિવાસીઓને મદદ કરનાર હિમાંશુકુમાર 5 લાખનો દંડ નહીં ભરે એટલે સુપ્રિમકોર્ટ તેને જેલમાં પૂરશે ! કોમી તોફાનોના 117 જેટલાં આરોપીઓને સજા કરાવનાર તીસ્તાને જ ઠમઠોરવાનું કોર્ટનું આ વલણ, માનવ અધિકારના ભંગ સમાન છે; ગેરબંધારણીય છે ! ‘રાજ્ય’ શક્તિશાળી હોય છે; તેની પાસે પોલીસ છે / લોકઅપ છે / જેલ છે / CBI-ED-NIA છે / પેગાસસ છે / પેરા મિલિટરી ફોર્સ છે / IT Cell છે / ગોદી મીડિયા છે / ચાટુકાર લેખકો-વિદ્વાનો છે / અઢળક ધન છે ! જ્યારે ફરિયાદી થાકેલો / હારેલો હોય છે ! આ સ્થિતિમાં, અદાલત જ્યારે નાગરિકને બદલે ‘રાજ્ય’ની તરફેણ કરે ત્યારે લોકતંત્ર તાનાશાહીમાં પરિવર્તિત થઈ જાય છે !

‘રાજ્ય’ પાસે ન્યાય માંગનાર ફરિયાદીને બદનામ કરવાની જબરજસ્ત શક્તિ હોય છે. તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ પોલીસે કર્યો તેમાં તીસ્તા સામે આરોપ મૂકેલ છે કે ‘તીસ્તાએ પોતાના NGOમાં ખોટી રીતે વિદેશી ફંડ મેળવ્યું હતું અને તેનો અંગત તથા સરકારને બદનામ કરવા દુરુપયોગ કર્યો હતો !’ આ બાબત ગોદી મીડિયા / સત્તાપક્ષના ભક્તો / સત્તાપક્ષના IT Cellએ સોશિયલ મીડિયામાં તીસ્તાને બદનામ કરવા વહેતી મૂકી ! તીસ્તાને બદનામ જ કરવા હોય તો તીસ્તાની રજૂઆત શું છે, તે જાણવાની દરકાર તેઓ શા માટે કરે? સત્તા સામે અવાજ ઊઠાવનારે; પોતાને મળેલ ફંડ ક્યાં વાપરવું તેનો નિર્ણય ‘સતા’ કરે? દલિતો / વંચિતો માટે કામ કરતી ગુજરાતની પ્રસિદ્ધ NGO – ‘નવસર્જન’ને વિદેશી ફંડ બાબતે હેરાન કરી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ ઇન્ડિયાના પ્રમુખ આકાર પટેલની વિદેશી ફંડ બાબતે હેરાનગતિ ચાલુ છે. આવા તો અસંખ્ય દાખલા છે. બીજી તરફ સત્તાપક્ષ સાથે જોડાયેલ NGOને બધી છૂટછાટ છે ! 2014 બાદ, ગૃહ મંત્રીના પુત્ર જય શાહની કંપનીની આવક એક વર્ષમાં 50,000થી 80 કરોડ થઈ ગઈ; 16,000% વધી ગઈ; તેવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર પત્રકાર રોહિણી સિંહ સામે માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં દાખલ થયો છે ! ‘સત્તા’ હંમેશાં સત્યને નિયંત્રિત કરવાની કોશિશ  કરે છે. ‘સત્તા’ કઈ રીતે ન્યાયનું ગળું ઘોટે છે તેનું એક ઉદાહરણ જોઈએ : 2013માં ‘તહેલકા’એ સ્ટિંગ ઓપરેશનમાં શોધી કાઢ્યું હતું કે ‘બેસ્ટ બેકરી કેસની ફરિયાદી ઝાહીરા શેખને તેની જુબાની બદલવા માટે સત્તાપક્ષના મધુ શ્રીવાસ્તવે; ઝાહીરાને રૂપિયા 18 લાખની ચૂકવણી કેવી રીતે કરી હતી !’ તીસ્તા સેતલવાડના ભૂતપૂર્વ સહાયક રઈસખાન પઠાણે સુપ્રિમકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું કે ‘ગોધરાકાંડ પછીના પાંચ સંવેદનશીલ કેસોમાં સાક્ષીઓના નિવેદનોમાં પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે !’ રઈસખાન પાછળ કોનો હાથ હશે, તે સમજી શકાય તેમ છે ! 68 લોકોની સામૂહિક હત્યા થઈ હતી તે ગુલબર્ગ સોસાયટીના 12 સભ્યોએ તીસ્તા ઉપર ફંડના દુરપયોગ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 2013માં ફરિયાદ કરી હતી ! ‘સત્તા’ તરફથી રમખાણોના પીડિતોને તીસ્તા મદદ ન કરે તે માટે તેમની સામે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ના ભંગ સબબ બીજા કેસો કરવામાં આવ્યા ! તિસ્તાને બદનામ કરવાના સતત ‘કારસા’ થયા; છતાં તીસ્તાએ હિંસાનો ભોગ બનેલ પરિવારોને ન્યાય અપાવવા અહિંસક અને કાનૂની સંઘર્ષ ચાલુ રાખ્યો છે ! ‘ભક્તો’ કહે છે કે તીસ્તાએ ગુજરાતને બદનામ કર્યું ! પરંતુ શું ‘સરકારની આલોચના’ એ ‘ગુજરાતની આલોચના’ છે?

તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે? ફરિયાદીને જ સજા; એનો અર્થ શો છે? માત્ર તીસ્તા સેતલવાડની વાત નથી; મારી તમારી અને ન્યાયના પક્ષે ઊભા રહેતા સૌ નાગરિકની વાત છે. કેટલાક પ્રશ્નો ચિંતામાં મૂકે છે :

[1] ફરિયાદ કરનારને જ ફટકારવાનું સુપ્રિમકોર્ટનું વલણ લોકશાહી વિરુદ્ધનું નથી? શું આ તાનાશાહીનું સમર્થન નથી? શું કોર્ટ અને ‘સત્તા’ એવું માને છે કે “લોકો ‘પ્રજા’ છે, ‘નાગરિક’ નહીં ! પ્રજાને ન્યાય માંગવાનો હક્ક ન હોય?”

[2] કેન્દ્રમાં ગોડસેવાદી સરકાર ન હોત તો હિમાંશુકુમારને 5 લાખનો દંડ ભરવા અદાલતે કહ્યું હોત? ઝાકિયા જાફરીની પીટિશન રદ્દ કરતી વેળાએ તીસ્તા સેતલવાડ / IPS અધિકારી આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ સામે કાર્યવાહી કરવાનું કહ્યું હોત?

[3] PM CARES Fundનો હિસાબ લોકોને આપવો નથી; પરંતુ NGO પોતાનું ફંડ ન્યાય મેળવવા વાપરે તો જેલમાં પૂરવાના?

[4] ‘સત્તા’નો વિરોધ કરે, તેને તો હેરાનગતિ કરવાની? સત્તાની તરફદારી કરો તો રાજ્યસભામાં નિમણૂંક / ગવર્નર તરીકે નિમણૂંક મળે? શું બંધારણ પ્રત્યે વફાદારી નહીં; પરંતુ ‘સતા’ પ્રત્યે વફાદારી મહત્ત્વની? મેઘા પાટકર વિરુદ્ધ ખોટા આક્ષેપ સબબ કેસનો સામનો કરનાર વિનયકુમાર સક્સેના, દિલ્હીના ઉપ-રાજ્યપાલના પદે આરૂઢ થયા, તે શું સૂચવે છે?

[5] શું ‘રાજ્ય’ને અદાલતની સ્વતંત્રતા પચતી નથી? શું ‘સત્તા’ કિસાન આંદોલનથી દાઝી ગઈ હોવાથી ડરી રહી છે? શું ‘સત્તા’ પોતાની ‘તપસ્યા’માં કોઈ ખામી ન રહે તે માટે સામાજિક કાર્યકરોને હેરાન કરી રહી છે?

[6] સત્તાને સવાલ કરનારને, કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જેલમાં પૂરવાના? શું આ ‘due process of law’નો ઉલાળિયો નથી?

[7] મૂકાયેલ આરોપ સાબિત થાય તેમાં ‘સત્તા’ને રુચિ કેમ હોતી નથી? શું તેમને જેલમાં પૂરી સોશિયલ મીડિયાના ઉપયોગથી વંચિત કરવાનો જ હેતુ હોય છે? શું ડરાવવા / હેરાનગતિ માટે / બદનામ કરવા જ જેલમાં પૂરવામાં આવે છે?

[8] ‘સત્તા’ ટેક્સનાં નાણાંથી સારા વકીલો રોકી તમને જેલમાં રખાવે છે; જ્યારે તમારે જામીન ઉપર છૂટવા વકીલનો ખર્ચ ભોગવવો પડે ! આ કેવી યોજના?

[9] તમારી મહેનતના કારણે 117 આરોપીઓને સજા થઈ હોય તે મુદ્દો અગત્યનો નથી? શું તમે ‘સત્તા’ સામે કેમ છો; તે મુદ્દો કોર્ટે જોવાનો હોય છે?

[10] તીસ્તાને જેલમુક્ત કરવા; 92 જેટલા નિવૃત જજ / પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ / પૂર્વ વિદેશ સચિવ / પૂર્વ મુખ્ય સૂચના આયુક્ત / પૂર્વ IAS / IPS અધિકારીઓએ સુપ્રિમકોર્ટને ખૂલ્લો પત્ર લખ્યો છે; છતાં પણ સુપ્રિમકોર્ટની નિંદર કેમ ઉડતી નહીં હોય?

[11] ‘સત્તા’નો વિરોધ કરો તો તમે અર્બન નકસલવાદી છો / વામપંથી ચરમપંથી છો / ખાલિસ્તાની છો / રાષ્ટ્રવિરોધી છો / આંદોલનજીવી છો ! કાવતરાખોર છો ! વિદેશી ફંડનો દુરુપયોગ કરનાર છો ! ભલે તમને રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળેલ હોય /પદ્મશ્રી મળેલ હોય તેની કોઈ કિંમત ‘સત્તા’ને કે સુપ્રિમકોર્ટને કેમ હોતી નથી?

[12] કોર્પોરેટ કંપનીઓ આદિવાસીઓનાં જંગલ પચાવી પાડે તેની સામે અવાજ ઊઠવો ન જોઈએ તેવું ‘સત્તા’ ઈચ્છતી હશે? વિકાસ લોકોનો કે કોર્પોરેટ મિત્રોનો? ‘વિપક્ષમુક્ત સત્તા’ પછી; ‘જનશક્તિ જગાડનાર’ હિમાંશુકુમાર / સુધા ભારદ્વાજ / મેઘા પાટકર / તીસ્તા સેતલવાડને હેરાન કરી કોર્પોરેટ મિત્રોની સેવા કરવાનો ઉદ્દેશ હશે? ‘ઈશ્વરીય-દિવ્યશક્તિ’ની નિષ્ફળતાને ઢાંકવાનો હશે? ભારતમાં દલિતો / વંચિતો / આદિવાસીઓ / લઘુમતીઓને ન્યાય અપાવવા સામાજિક નિસબત રાખનાર સામાજિક કાર્યકરો શું ગુનેગાર છે? તેમને જેલમાં પૂરવાથી રાષ્ટ્રહિત જળવાશે?

[પૂર્ણ]

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જ્યારે સરકાર ખોટી હોય ત્યારે તમારી સચ્ચાઈ તમને જેલમાં પહોંચાડે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|17 July 2022

[પાર્ટ-1]

હંમેશાં સત્યના પડખે ઊભા રહેનાર તીસ્તા સેતલવાડ શા માટે જેલમાં છે? શા માટે તેઓ વડા પ્રધાનને આંખના કણાની જેમ ખૂંચે છે? જે સુપ્રિમકોર્ટે તીસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે તેને જેલમાં પૂરાવ્યા? તીસ્તા જેલમાં છે, તેનો અર્થ શું છે? વગેરે બાબતો દરેક જાગૃત નાગરિકોએ જાણવી જરૂરી છે. તીસ્તા સેતલવાડની ઉંમર 60 વર્ષની છે; તીસ્તા સેતલવાડનો જન્મ મુંબઈમાં, ગુજરાતી પરિવારમાં, 09 ફેબ્રુઆરી 1962ના રોજ થયો હતો. તેમના પિતા અતુલ સેતલવાડ પ્રસિદ્ધ વકીલ હતા. માતાનું નામ સીતા હતું. તીસ્તાના દાદા એમ.સી. સેતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. તીસ્તા પત્રકાર અને હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ છે. તેમણે પત્રકાર અને માઈનોરિટી રાઈટસ એક્ટિવિસ્ટ જાવેદ આનંદ સાથે લગ્ન કરેલ છે અને સંતાનમાં દીકરી-દીકરો છે.

તીસ્તાએ કોલેજમાં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો, પણ તે અભ્યાસ છોડી દીધો. પછી 1983માં બોમ્બે યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને પત્રકાર તરીકે કામ શરૂ કર્યું. ‘ધ ડેઈલી’ (ઈન્ડિયા) અને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારોની મુંબઈ આવૃત્તિઓ અને પછી ‘બિઝનેસ ઈન્ડિયા’ મેગેઝિનમાં કામ કર્યું. 1984માં ભિવંડી રમખાણો અંગે લખ્યું. 1993માં, મુંબઈમાં હિંદુ-મુસ્લિમ રમખાણોના પ્રતિભાવરૂપે, તેણે પતિ સાથે ‘કોમ્યુનલિઝમ કોમ્બેટ’ નામનું માસિક સામયિક શરૂ કર્યું, જે નવેમ્બર 2012 સુધી ચાલું હતું.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડની પાશવી હિંસા બાદ, ગુજરાતમાં અનેક જગ્યાએ સામૂહિક હિંસાની ઘટનાઓ બની. 01 એપ્રિલ 2002ના રોજ, તીસ્તા / તેમના પતિ / ફાધર સેડ્રિક પ્રકાશ (કેથોલિક પાદરી) / અનિલ ધારકર (પત્રકાર) / અલીક પદમસી / જાવેદ અખ્તર / વિજય તેંડુલકર / રાહુલ બોઝ તથા અન્ય લોકો સાથે મળીને CJP-Citizens for Justice and Peace નામની NGO સ્થાપી. ગુજરાતની સામૂહિક હિંસા માટે તત્કાલિન મુખય મંત્રી અને સરકારના અધિકારીઓ સામે વિવિધ અદાલતોમાં કેસો કર્યા. એપ્રિલ 2004માં સુપ્રિમકોર્ટે ‘બેસ્ટ બેકરી કેસ’ને ગુજરાતમાંથી પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો અને 27 જૂન 2003ના રોજ, નીચલી કોર્ટે 21 આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો તે રદ્દ કર્યો અને આદેશ આપ્યો કે તપાસ અને ટ્રાયલ નવેસરથી હાથ ધરવામાં આવે ! બેસ્ટ બેકરીની ઘટનામાં 01 માર્ચ 2002ના રોજ, વડોદરામાં 14 મુસ્લિમોને સળગાવી દીધા હતા. જાહિરા શેખ સાક્ષી હતી. કેસ ચાલતો હતો તે દરમિયાન તે ફરી ગઈ અને તીસ્તા સામે ખોટા આક્ષેપ કરેલ ! સુપ્રિમકોર્ટે જાહિરા શેખને કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબ 1 વર્ષની સજા કરી હતી ! 09 જુલાઈ 2012ના રોજ બોમ્બે હાઈકોર્ટે બેસ્ટ બેકરી કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. જાહિરા શેખનો કિસ્સો એ દર્શાવે છે કે આરોપીઓને સજા ન થાય તે માટે સત્તાપક્ષના લોકો દ્વારા સાહેદોને ફેરવી નાખવામાં આવતા હતા !

તીસ્તાનું મુખ્ય કામ સમાજમાં પ્રેમ / શાંતિ / સદ્દભાવને પ્રોત્સાહન આપવાનું છે. ‘કોમ્યુનલિઝમ કોમ્બેટ’ માસિક એનું સાક્ષી છે. પત્રકારત્વ કેટલો શ્રમ માંગે છે, તેનો ખ્યાલ આ મેગેઝિન જેમણે વાંચ્યું હોય તેને જ ખબર પડે ! સાંપ્રદાયિક ધૃણા / હિંસા ફેલાવતા સંગઠનોનો તીસ્તા મક્કમતાપૂર્વક વિરોધ કરે છે. આ કારણસર ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન તીસ્તા સાથે નારાજ છે ! તીસ્તા લોકોને જાગૃત કરે / નાગરિક સભાનતા પ્રગટાવે તે ગોડસેવાદી સરકારને કઈ રીતે ગમે? તીસ્તાએ 10 જૂન 2002ના રોજ ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ’માં ગોધરા પછીની સાંપ્રદાયિક હિંસામાં ગુજરાતની તત્કાલિન સરકારની ભૂમિકા અંગે જુબાની આપી હતી; સરકારથી આ સહન થાય? તીસ્તા એક પ્રખર નારીવાદી છે. દલિતો, મુસ્લિમો અને મહિલાઓના અધિકારો અને વિશેષાધિકારો માટે ઝૂંબેશ ચલાવે છે. તીસ્તા પતિ સાથે ‘સબરંગ કોમ્યુનિકેશન’ ચલાવે છે; જે માનવ અધિકારો માટે લડે છે. તીસ્તા ‘CJP’ના વડા / ‘PUHR – પીપલ્સ યુનિયન ફોર હ્યુમન રાઈટ્સ’ના જનરલ સેક્રેટરી / ‘Pakistan – India People's Forum for Peace and Democracy’નાં સભ્ય છે. તીસ્તાનાં ઉમદા કાર્યને સમજવા માટે એક નજર કરીએ : [1] 1993માં PUCL જર્નાલિઝમ ફોર હ્યુમન રાઈટ્સ એવોર્ડ મળ્યો. [2] 1993માં ઉત્કૃષ્ટ મહિલા મીડિયાપર્સન માટે ચમેલી દેવી જૈન પુરસ્કાર. [3] 1999માં મહારાણા મેવાડ ફાઉન્ડેશનનો હકીમ ખાન સુર એવોર્ડ. [4]  2000માં દલિત લિબરેશન એજ્યુકેશન ટ્રસ્ટનો માનવ અધિકાર પુરસ્કાર. [5] 2002માં  રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર. [6] 2003માં, ન્યુરેમબર્ગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવોર્ડ. [7] 2004 ડિફેન્ડર ઓફ ડેમોક્રેસી એવોર્ડ. [8] 2004 M.A. થોમસ નેશનલ હ્યુમન રાઈટ્સ એવોર્ડ. [9] 2006માં, નાની એ. પાલખીવાલા એવોર્ડ. [10] 2007માં, માતોશ્રી ભીમાબાઈ આંબેડકર એવોર્ડ. [11] 2007માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર. [12] 2009માં, કુવૈતમાં FIMA – ફેડરેશન ઓફ ઈન્ડિયન મુસ્લિમ એસોસિયેશન દ્વારા એક્સેલન્સ એવોર્ડ. [13] પેક્સ ક્રિસ્ટી ઇન્ટરનેશનલ પીસ એવોર્ડ. [14] 2020માં, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા તરફથી માનદ્દ ડોક્ટરેટ !

જ્યારે સરકાર ખોટી હોય, ત્યારે તમારી સચ્ચાઈ તમને જેલમાં પહોંચાડે છે ! તમે સમાજમાં શાંતિ /ભાઈચારો જળવાઈ રહે તે માટે ક્ષણે ક્ષણે જાગૃત રહેનાર; વંચિતો / ગરીબો / દલિતો  /આદિવાસીઓ / લઘુમતીઓના માનવ હકોની રખેવાળી કરનાર અને તેમને મદદ / હૂંફ આપનાર તીસ્તા સેતલવાડ તથા પ્રમાણિકતા-સચ્ચાઈમાં જેનો જોટો ન જડે તેવા IPS અધિકારી આર.બી. શ્રીકુમારને સાબરમતી જેલમાં પૂરીને સરકાર નાગરિકોને શું સંદેશ આપવા માંગે છે?

16 જુલાઈ 2022

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4171,4181,4191,420...1,4301,4401,450...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved