Opinion Magazine
Number of visits: 9569637
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આબરુ સાચવવાની બીકે બેઆબરુ થવામાં ડહાપણ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 July 2022

એવું કોઈ છાપું નથી, એવી કોઈ સમાચારની ચેનલ નથી, જેમાં છેડતી, બળાત્કારની વાતો આવતી નહીં હોય. વારુ, એ તો એવી ઘટનાઓ છે જે મીડિયા સુધી પહોંચે છે, પણ એવી ઘટનાઓ ઓછી નથી, જે મીડિયા સુધી પહોંચતી જ નથી. મીડિયા સુધી વાતો પહોંચાડવામાં પણ લોકો બહુ રાજી નથી હોતા, પણ ઈલાજ જ નથી રહેતો ત્યારે વાત મીડિયા સુધી પહોંચે છે. કોઈ મીડિયા સુધી વાત પહોંચાડવા ઉત્સુક હોય એવું તો અપવાદ રૂપે જ બનતું હશે. કેમ એવું થાય છે કે કોઈ પોલીસ સુધી વાત પહોંચાડવા રાજી નથી થતું? બીજા કોઈ પણ ગુનામાં ગુનેગાર અપવાદરૂપે જ છાતી કાઢીને ફરતો હશે, પણ છેડતી, બળાત્કારના ગુનામાં ગુનેગાર બેશરમ થઈને ફરતો હોય તો નવાઈ નહીં. ગુનેગાર આટલો બેશરમ કોના જીવ પર થતો હોય છે? આ એવો ગુનો છે જેમાં પીડિતા વેઠે છે કે દબાઈ, ચંપાઈને શરમની જિંદગી જીવે છે ને ગુનેગાર છૂટો ફરતો હોય છે. બીજા ગુનામાં ગુનેગાર સંતાતો ફરતો હોય છે, જ્યારે છેડતી, બળાત્કારમાં પીડિતા સંતાતી ફરે છે અથવા તો તેને તેમ વર્તવાની ફરજ પાડવામાં આવે છે.

આમ થાય છે તે આબરુ જાળવવા માટે. આબરુ જવાની બીકે ઘણાં કુટુંબો ઘણું ઘણું વેઠે છે. છેડતી, બળાત્કારની ઘટનાઓ નાની બાળકીથી માંડીને 80 ઉપરની ડોશી સાથે પણ બનતી હોય છે. આ બધી જ સ્ત્રીઓ આબરુ જવાની બીકે ચૂપ રહે છે. સ્ત્રી ચૂપ ન પણ રહેવા માંગતી હોય, તો પણ તેનું કુટુંબ, વાત બહાર ન જાય એટલે ચૂપ રહે છે ને દીકરી-વહુને પણ ચૂપ રહેવાનું કહી દે છે. ધારો કે કોઈ બાળકીની છેડતી થાય છે. ઘણી વાર તો બાળકીને એ જ ખબર નથી પડતી કે તેની સાથે થઈ શું રહ્યું છે? કૈંક ખોટું થયાનું તેને લાગે છે, પણ તેનું નામ પાડતાં તેને મૂંઝવણ થાય છે. ઘણીવાર એવું બને છે કે બાળકીને પોતાને જ લાગે છે કે કોઈને કૈં નથી કહેવું ને એ કૈં ન કહેવાનું નક્કી કરે છે. તે મા કે બાપ, કોઈને કૈં કહેતી નથી. આમ થાય તો તેનો અર્થ એવો થાય કે બાળકીનું કુટુંબ એવું નથી કે દીકરી કશી પણ પૂર્વ તેયારી વિના સ્પષ્ટ વાત માને કે બાપને કરી શકે. બાળકીને એ ભરોસો નથી પડતો કે તેની વાત કુટુંબ માનશે. ખરેખર તો ઘરની સ્થિતિ એવી હોવી જોઈએ કે દીકરી સંકોચ વગર માને કે બાપને બધું કહી શકે, પણ ઘણાં ઘરોમાં એવું વાતાવરણ હોતું નથી.

ધારો કે બાળકી છેડતીની વાત માને કરે છે. મા સમજદાર હશે તો દીકરીને વહાલથી પાસે બેસાડીને તેની બધી વાત સાંભળશે ને ઘરનાં વડીલોને કાને વાત નાખશે. વડીલો ન્યાય મેળવવાની ઈચ્છા રાખતા હશે તો પોલીસ ફરિયાદ કરશે ને ગુનેગારને પકડશે, પણ આવું ઓછું જ બનતું હોય છે. છેડતીની કે બળાત્કારની ઘટના જે કુટુંબની બાળકી કે સ્ત્રી સાથે બને છે એ કુટુંબ આ વાતે એટલું સંકોચાઈ જાય છે કે તે કોઈ વાત ઘરની બહાર ન પહોંચે એ માટેની સખત તાકીદ ઘરનાં સભ્યોને કરે છે. ઘરની આબરુ જાય ને બહાર ચોળાચોળ થાય એ કુટુંબ નથી ઇચ્છતું. ઘીના ઠામમાં ઘી પડી રહે એવું કુટુંબ માનતું હોય છે. આનું પરિણામ એ આવે છે કે ગુનેગારને મોકળાશ મળી જાય છે. આમ તો ગુનેગારે પીડિતાને વાત કોઈને ન કહેવાની તાકીદ કરી જ હોય છે એટલે પણ પીડિતા ભયભીત હોય છે ને એ કોઈને વાત નથી કરતી. ન પીડિતા  કોઈને કહે છે, ન કુટુંબ મગનું નામ મરી પાડે છે. આનો લાભ ગુનેગાર ઉઠાવે છે. ફરિયાદ નથી થઈ એ વાત ગુનેગાર જાણે છે એટલે તે પીડિતાનો વધુ લાભ ઉઠાવે છે. એક વાર બન્યું તેની વાત પીડિતાએ કોઈને કરી નથી એટલે બીજી વાર પણ તે કોઈને નહિ કહે એની ખાતરી ગુનેગારને થઈ જાય છે ને એ વારંવાર શિકાર કરતો રહે છે. ઘરની આબરુ જવાની બીકે કુટુંબ ચૂપ રહે છે ને દીકરી કે વહુ બેઆબરુ થતી રહે છે.

ઘણીવાર તો આ રીતે બેઆબરુ કરનાર બહારની નહીં, પણ ઘરની જ વ્યક્તિ હોય છે. કુટુંબની દીકરી, વહુ ઘરનાં જ માણસથી પીંખાય એ તો વધારે શરમજનક છે. એટલે વાત બહાર પણ કોને કરવાની? કારણ ગુનેગાર બહારનો નથી, ઘરનો જ છે. અહીં પણ વેઠી લેવાની વાત જ કેન્દ્રમાં રહે છે. આ સ્થિતિ ગુનેગારને મોકળું મેદાન પૂરું પાડે છે. ઘરની આબરુ જવાની બીકે કુટુંબ મોઢે તાળાં મારી લે છે. એ ખરું કે લોકો વાતો કરશે એ ડરે કુટુંબ ચૂપ રહે છે, પણ આ ચૂપકીદી ગુનેગારને ઉત્તેજન આપે છે એનો વિચાર નહીં કરવાનો? આબરુ જવાની બીકે બેઆબરુ થતાં રહેવામાં ડહાપણ છે? ને આ આબરુ શું છે? જેનાથી આબરુ, આબરુ કહીને બચતાં રહીએ છીએ એ શું છે? એ પ્રતિષ્ઠા છે કે ભય? ઘરની કોઈ વ્યક્તિનું કોઈ સિદ્ધિ બદલ સન્માન થાય ને એની વાતો ચર્ચાય તો ઘરની આબરુ વધે છે. એનો આનંદ થાય છે. એની વાતો બહાર જેટલી ચર્ચાય છે તેટલો આનંદ વધે છે ને કુટુંબ ઈચ્છે છે કે એવી વાતો વધુને વધુ બહાર ચર્ચાય. અહીં જાહેરમાં થતી ચર્ચા આનંદ, આબરુ વધારે છે, પણ છેડતી, બળાત્કારની વાતો આબરુ ઘટાડે છે. તેનાથી પીડા થાય છે એટલે કુટુંબ ઈચ્છે છે કે ઘરની વાત ઘરમાં જ રહે. આ વલણ સહજ ગણાવું જોઈએ, પણ જે વેઠે છે અને ફરિયાદ ન થવાને કારણે વધારેને વધારે વેઠે છે. એનો વિચાર કરવાનો કે કેમ? ઘરની ચૂપકીદી ગુનેગારની હિંમત વધારે છે ને તે બીજા વધુ ગુના કરવા પ્રેરાય છે એનો વિચાર માત્ર એટલે નહીં કરવાનો, કારણ આબરુ જાય એમ છે? આ બરાબર છે? એનો અર્થ એવો પણ નહીં જ કે ઘરે બેશરમ થઈને રસ્તે ઊતરી પડવાનું, પણ, જે ગુનો થયો છે ને ઘરની ચૂપકીદી વધુ ગુનાની તક પૂરી પાડે છે એ વિષે શાંત અને સ્વસ્થ વિરોધ ન કરવો કે તે અંગે કાનૂની સલાહ ન લેવી એ પણ બરાબર નથી.

– ને એવું પણ ક્યાં છે કે પોલીસ પણ ફરિયાદ લેવા તૈયાર જ બેઠી છે? ઘણીવાર તો પોલીસ ફરિયાદ લેવા જ રાજી નથી હોતી, છતાં કોઈ ફરિયાદ નોંધાવે છે તો તે પહેલાં તો ફરિયાદીને એમ જ ખંખેરીને કાઢી મૂકે છે. પોલીસ જો ઠીકઠાક હશે તો આબરુ જવાનો ભય બતાવીને કુટુંબ પોતે જ ફરિયાદ કરવાનું ટાળે એ સ્થિતિ ઊભી કરશે. બહુ ઓછા કિસ્સાઓમાં પોલીસ આગળની કાર્યવાહી માટે તૈયાર થાય છે. જો ફરિયાદી સ્ત્રી એકલી જ પોલીસ ચોકીએ ગઈ હોય તો પોલીસ તેની સાથે દુષ્કર્મ કરવા સુધી પણ ગઈ હોય એવા કિસ્સાઓ પણ મીડિયામાં આવ્યા છે. આ સઘળું બને છે તે કેવળ આબરુ જવાની બીકે. ગુનેગાર, કુટુંબ અને પોલીસ જાણતી હોય છે કે બધાંને આબરુ જવાનો ભય છે એટલે વાત ઢાંકપિછોડા પર આવીને અટકી જાય છે. ફરિયાદ લેવાય પછી પણ ગુનેગારને સજા થાય જ એવું નક્કી નથી. કોર્ટમાં પણ ન્યાય મળે જ એવું દરેક વખતે બનતું નથી. વકીલોને પૈસા ખવડાવીને ઇચ્છિત ન્યાય સૌ કોઈ મેળવી લેતા હોય છે ને ગુનેગાર પુરાવાને અભાવે છૂટી પણ જતો હોય છે. આ બધું જાણતાં કુટુંબો ફરિયાદ કરવાથી દૂર રહે છે. દરેક વખતે આમ જ થાય છે એવું નથી, ઘણીવાર ગુનેગારને સજા થાય પણ છે, પણ આ બધા વિષે ખાતરીથી કૈં કહી શકાય એવું નથી. છતાં એનો ઈલાજ ચૂપ રહેવામાં જ છે એવું નથી. થોડાં કુટુંબો થોડી હિંમત દાખવીને ગુનેગારને ઉઘાડો પાડવા આગળ આવે તો ગુનાનું પ્રમાણ ઘટે એમ બને. આ કહેવું સહેલું છે, પણ વર્તવાનું અઘરું છે એ ખરું, પણ કોઈકે તો, આજે નહીં તો કાલે આગળ આવવું પડશેને? એમ નહીં થાય તો ગુનેગારને બચાવવા જેવું જ થશે. આ થવા દેવા જેવું છે?

0

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, “ગુજરાત ટુડે”, 17 જુલાઈ 2022

Loading

પ્રતિબંધો એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું નવું નામ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 July 2022

ઘણીવાર તો એવો વહેમ પડે છે કે અંગ્રેજો ગયા જ નથી ને આપણે હજી અનેક પ્રકારનાં બંધનો, પ્રતિબંધોથી જકડાયેલાં હોવાનો વહેમ પડે છે. એ ખરું કે સ્વતંત્રતા જવાબદારી તો ઊભી કરે જ છે, પણ જવાબદારી જ હોય ને મોકળાશ ન હોય તો જે અનુભવ બચે તે ગુલામીથી બહુ જુદો ન હોય. એ પણ છે કે એક વર્ગ એવો છે જેને બધું ઉત્તમ જ થતું દેખાય છે. એ ભક્તિમાર્ગી ભલે આનંદ માણે, પણ મોટે ભાગની પ્રજા રાજી નથી. હવે જે રાજી નથી તે વિપક્ષ જ છે એમ માનવું એ એવા લોકોને અન્યાય કરે છે જે વિપક્ષના સભ્યો નથી. આજકાલ વિરોધ કરે તે વિપક્ષનો જ છે ને ભક્તિ કરે છે તે ભા.જ.પ.નો જ છે એવી જાહેર સમજ પ્રવર્તે છે, પણ ઘણા લોકો એવા છે જે ભા.જ.પ.ના નથી ને વિપક્ષના પણ નથી, તેમને માટે કોઈ જગ્યા આ દેશમાં છે કે કેમ તે પ્રશ્ન છે.

દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાએ તાજી જ ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં વિપક્ષ માટે જગ્યા નાની થતી જાય છે ને સરકારનો વિરોધ દેશના વિરોધમાં ખપાવાય છે. એને કારણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે વૈમનસ્ય વધતું આવે છે. આ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. સરકારનું વલણ એવું જણાય છે કે વિપક્ષ જેવું ખાસ ક્યાં ય રહે જ નહીં. જ્યાં પણ વિપક્ષની સરકાર છે ત્યાં પણ કોઈક રીતે સરકાર એવા પ્રયત્નમાં રહે છે કે એ સરકાર તૂટે ને ભા.જ.પ.ની સરકાર ત્યાં બને. એમાં પ્રજા કલ્યાણનાં કામો થતાં નથી ને ઘણો બધો સમય નવી સરકાર બનાવવામાં કે નવી ચૂંટણી લાવવામાં જ ખર્ચાય છે. આમ પણ ચૂંટણી કેવળ ખર્ચાળ હોય છે ને તેમાં મધ્યાવધિ ચૂંટણીના ખર્ચ છેવટે તો પ્રજાને માથે જ પડે છે ને મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે પક્ષાંતર કર્યું કે કરાવ્યું, ચૂંટણી લાવ્યા, લડ્યા, સરકાર જોડી, તોડી, બનાવી એટલું જ કામ સરકારનું છે કે એ સિવાય પણ કૈં કરવાનું રહે છે? એ સિવાય પણ સરકાર કામ કરે છે ને તે લોકાર્પણનું. લોકાર્પણ જરૂરી છે તેની ય ના નથી, પણ સામાન્ય પ્રજાના પ્રશ્નો ને પ્રોજેક્ટ્સ વચ્ચે અંતર ઘણું છે.

સરકારની બીજી સમજ એવી વિકસી છે કે સારું તો સરકાર જ કરે છે ને વિપક્ષ તો મફત આપીને માત્ર મત જ મેળવે છે. તો, પ્રશ્ન એ થાય કે લોકોને મફત અનાજ, ખાતામાં પૈસા, ચૂંટણી વખતે જુદા જુદા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ એ બધું શું મતની અપેક્ષા વગર સરકાર કરે છે? અહીં વિપક્ષનો બચાવ કરવાની વાત નથી કે નથી તો સરકારનો કોઈ વિરોધ ! વાંધો એટલો જ છે કે ડાહી સાસરે જતી નથી ને ગાંડીને શિખામણ આપે છે. એની જરા પણ ના નથી કે સરકાર ઘણું કરે છે ને વડા પ્રધાન અનેક રાજ્યોમાં વિકાસનાં અનેક કામો ભારે ઊલટથી કરે જ છે. ચિંતા એક જ વાતની છે કે આ દેશમાં ગરીબને સરકાર પૂરું પાડે છે, અમીરો સરકારને પૂરું પડે તે જુએ છે, પણ જે વહેરાય છે તે મધ્યમવર્ગ ! તેને અમીરો અને સરકાર બંને છેડે બેસીને નિરાંતે વહેરે છે. એમાં સરકારને માને છે તે કોમનમેન પણ કૈં બહુ પામી જતો નથી. તે જો કૈં બોલવા જાય તો સોશિયલ મીડિયા તેને કાબૂમાં કેમ રાખવો તે જાણે છે. એ તો સોશિયલ મીડિયાની વાત થઈ, પણ સરકાર જે રીતે અભિવ્યક્તિને રૂંધી રહી છે એ પણ ઓછું ચિંતાજનક નથી.

બહાર સોશિયલ મીડિયા રૂંધે ને સંસદમાં સ્પીકર અભિવ્યક્તિને બાનમાં રાખે એ ઠીક નથી. લોકશાહીમાં જવાબદારી સહિતની અભિવ્યક્તિનો મહિમા ન હોય તો એ લોકશાહી અંગે શંકા ઊભી કરે છે. નવા નિયમો હેઠળ લોકસભા સચિવાલય દ્વારા ‘જુમલાજીવી’, ‘શકુનિ’, ‘સરમુખત્યાર’, ‘જયચંદ’, ‘વિનાશ પુરુષ’, ‘નકામો’, ‘ખાલિસ્તાની’, ‘નૌટંકીબાજ’, ‘ચમચાગીરી’, ‘બહેરી સરકાર’ જેવા કેટલાક શબ્દોને બિનસંસદીય યાદીમાં મૂકવામાં આવ્યા છે. એ જ રીતે ‘કોવિડ સ્પ્રેડર’, ‘સ્નૂપગેટ’, ‘અશેમ્ડ’, ‘કરપ્ટ’, ‘બ્લડી’, ‘ક્રોકોડાઇલ ટીયર્સ’, ‘ડૉન્કી’, ‘મિસલીડ’, ‘લાઇ’ જેવા અંગ્રેજી શબ્દોને પણ અસંસદીય શબ્દોની યાદીમાં મૂકવામાં આવ્યા છે. આવા શબ્દોની યાદી નવી વાત નથી. 1954-1959થી આવા શબ્દોની યાદી બનતી આવી છે ને તે હવે તો 1,100 પાનાંમાં સંગ્રહિત છે. ગયે વર્ષે જ આ યાદીમાં 62 નવા શબ્દો ઉમેરવામાં આવેલા. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની કાર્યવાહીમાંથી કાઢવામાં આવેલા શબ્દોની યાદી બનાવવામાં આવે છે. જો કે, આ વખતે ઊહાપોહ થયો છે. દેખીતું છે કે આ ઊહાપોહ વિપક્ષ જ કરે ને સૂત્રો તેનો બચાવ કરે. વિપક્ષે તો આ પ્રકારના પ્રતિબંધોને લોકશાહી પ્રણાલીની વિરુદ્ધ ગણાવ્યા છે તો સૂત્રોનું કહેવું છે કે આ પ્રણાલી યુ.પી.એ.ના વખતમાં પણ હતી. જે શબ્દો સંસદની ગરિમા અને શિષ્ટાચારને અનુરૂપ નથી, તેને ગૃહની કાર્યવાહીમાંથી ગૃહના પ્રમુખ અધિકારીઓ બહાર કાઢવાનો અધિકાર ધરાવે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન એવા શબ્દોનો ઉપયોગ થઈ શકતો નથી. જો કોઈ સભ્ય એવા શબ્દોનો ઉપયોગ કરે છે તો તેને અયોગ્ય વર્તન ગણવામાં આવે છે ને તે કાર્યવાહીનો ભાગ બનતો નથી.

કેટલાક શબ્દો તો ખલપાત્ર કે નબળી ક્રિયાના સંકેતો છે, તે વ્યવહારમાં પણ સહજ રીતે વપરાય છે, તે અશ્લીલ કે બીભત્સ નથી, માત્ર કોઈ વ્યક્તિ કે ક્રિયાને સૂચવવા, ચોક્કસ સંદર્ભે અમુક વખતે વપરાયા છે, એટલા પરથી તેને કાયમી ધોરણે દૂર કરવાનું ઠીક નથી. તેને અસંસદીય ઠેરવવાનો અર્થ તો એ થાય કે ચોક્કસ સમયે ને સંદર્ભે, ચોક્કસ અર્થમાં વપરાયેલો શબ્દ કાયમને માટે ઉપજાવાયેલો અર્થ જ ધરાવે છે. એવું તો ન હોય. દાખલા તરીકે કોઈ મંત્રી માટે ‘સરમુખત્યાર’ શબ્દ વપરાયો હોય ને તે જે તે મંત્રી માટે અસંસદીય ગણાય તે સમજી શકાય, પણ પછી મંત્રી બદલાય ને તે સરમુખત્યાર ન હોય તો ‘સરમુખત્યાર’ને દૂર કરી રાખવો યોગ્ય છે? તે બીજા કોઈ સંદર્ભે વાપરી જ ન શકાય તે બરાબર નથી. આ રીતે તો શબ્દોને  સીમિત કરવા જેવું થશે ને એ રીતે તો ભાષા પણ સંકોચાશે. એવું કરવા જેવું ખરું?

બંધારણની કલમ 105(2)માં એવો નિર્દેશ છે કે ગૃહમાં ચર્ચા દરમિયાન કેટલાક શબ્દોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા નથી. જો સ્પીકરને લાગે કે ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપયોગમાં લેવાયેલા શબ્દો અસંવેદનશીલ, અભદ્ર કે અપમાનજનક છે તો તેને સદનની કાર્યવાહીમાંથી દૂર કરવાનો તે આદેશ આપે છે. આ રીતે અસંસદીય ઠરેલા શબ્દોનો કોઈ સભ્ય ગૃહમાં ઉપયોગ કરે તો તેને કાર્યવાહીમાંથી હાંકી કાઢવામાં આવે છે. જો કે તે અંગેનો અંતિમ નિર્ણય અધ્યક્ષનો ગણાય છે. ગયા અઠવાડિયે કેટલાક અસંસદીય શબ્દની યાદી બહાર પાડવામાં આવી તેના વિરોધમાં સી.પી.આઇ. (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે મોદી સરકારની વાસ્તવિકતા વર્ણવવા માટે વિપક્ષ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ શબ્દોને હવે ‘અસંસદીય’ ગણવામાં આવશે. એ સંદર્ભે લોકસભાના સ્પીકરે ખુલાસો કરતા કહ્યું કે કોઈ પણ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, માત્ર એક પ્રક્રિયા હેઠળ કેટલાક શબ્દોને દૂર કરવામાં આવ્યા છે. સ્પીકરની આ વાત વિરોધાભાષી છે. માની લઇએ કે અસંસદીય શબ્દો પર પ્રતિબંધ નથી, પણ ગૃહમાં કોઈ તેનો ઉપયોગ કરે છે તો તેને અયોગ્ય વર્તન ગણવામાં આવશે એનો શો અર્થ કરીશું? ગૃહમાં તે શબ્દ બોલવાની છૂટ નથી તેનું શું? મતલબ કે કોઈ સજા ન થાય તો પણ અસંસદીય શબ્દોનો ઉપયોગ ગૃહની કાર્યવાહી દરમિયાન થઈ શકતો નથી તે તો ખરુંને ! એ જો સહજ શબ્દ જ હોત તો તેને અસંસદીય ઠેરવવાની જરૂર જ ઊભી થઈ ન હોત ને !

આટલું ઓછું હોય તેમ લોકસભામાં શુક્રવારે ધરણા, સૂત્રોચ્ચાર અને પ્રદર્શન પર પણ રોક લગાવી દેવાઈ છે ને તે પછી શનિવારે પેમ્ફલેટ, પ્લેકાર્ડ, પોસ્ટર વગેરે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજથી ચોમાસુસત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે સચિવાલયે પાણી પહેલાં પાળ બાંધી હોય એવું લાગે છે. આ બધું વિપક્ષની બોલતી બંધ કરવા થઈ રહ્યું હોવાનો વહેમ પડે છે. સી.પી.આઇ. (એમ)ના મહાસચિવ યેચુરીએ  વિરોધ પ્રદર્શન પર મુકાયેલા પ્રતિબંધ સંદર્ભે કહ્યું કે આ તાનાશાહીનો પુરાવો છે. સંસદમાં પ્રદર્શન કરવાનો સાંસદોનો રાજનૈતિક અધિકાર છે. બીજા કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીએ અસંસદીય શબ્દો સંદર્ભે એમ વિરોધ નોંધાવ્યો કે બેરોજગાર યુવકો સરકારનાં જૂઠાણાં માટે ‘દગો’ કે ‘ગુમરાહ’ જેવા શબ્દો વાપરશે તો ચાલશે? અસંસદીય શબ્દોની નવી સૂચિ અને સંસદ પરિસરમાં વિરોધ પર મુકાયેલ બાન સંદર્ભે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અને પૂર્વ મંત્રી યશવંત સિંહાએ કહ્યું કે દેશમાં લોકતંત્રનો અંત આવી ગયો છે. શિવસેનાએ અસંસદીય શબ્દો સંદર્ભે ‘સામના’માં લખ્યું કે સાંસદોનો સંસદમાં બોલવાનો અધિકાર છીનવાશે તો લોકતંત્રનો આત્મા નષ્ટ થઈ જશે.

આટલા ઊહાપોહ પરથી એટલું સમજાય છે કે સરકાર કોઈ વાતે સ્વસ્થ નથી. તેનાથી કોઈનો વિરોધ વેઠાતો નથી. સરકારને શેનો ભય છે તે નથી ખબર, પણ વિરોધને રોકવાની આ ચેષ્ટા લોકતંત્રની વિરુદ્ધની છે. માની લઇએ કે વિપક્ષ ખોટી રીતે વિરોધ કરે છે, તો પણ વિરોધના ભયે સરકાર આગોતરી એવી કોઈ વ્યવસ્થા ન કરી શકે જે લોકતંત્રની વિરુદ્ધ દિશાની હોય. જો સરકાર લોકસેવાના ભરપૂર કાર્યો કરી રહી હોય, વિકાસની ગાડી પૂરપાટ દોડતી હોય અને લોકસભામાં ઈર્ષા આવે એવી બહુમતી હોય, આગામી વર્ષો સુધી ભા.જ.પ.નું શાસન રહેવાનું હોય તો મુઠ્ઠીભર વિરોધ તેનું શું બગાડી શકે એમ છે? તેણે તો કોઈની ય પરવા કર્યા વગર નક્કર પગલાં વિકાસની દિશામાં ભરવા જોઈએ, પણ ઊંડે ઊંડે તેને ડર છે કે ક્યાંક, કૈંક ગરબડ છે. બીજું બધું જવા દઇએ તો પણ, એક જ વ્યક્તિની સરકાર ગમે તેટલી ઉત્તમ હોય તો પણ, તે લોકશાહીને વિકલ્પે સરમુખત્યારશાહીનો પડઘો તો નથી પાડતીને તેની ચિંતા કરવાની રહે. ગમ્મત એ છે કે સરકારને ભય વિપક્ષોનો છે ને સંવેદનશીલ પ્રજાને ભય છે છૂપી રીતે આવી રહેલી દેશી ગુલામીનો –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જુલાઈ 2022

Loading

આઠનું બળ – એક અવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|18 July 2022

આ ચિત્ર જુઓ

સાવ નકામી ચીજ છે ને? ટોયલેટ કાગળની વચ્ચેનું, ફેંકી દેવાનું, સાવ મામુલી બોબિન જ ને?

અને હવે તે ચીજોને ઉપરથી જોઈએ તો આ ફોટો –

ડાબી બાજુ એ એકલી છે. જમણી બાજુએ એવી આઠ ભેગી કરી છે. એની તાકાત પહેલાંની ચીજ કરતાં આઠ ગણી વધારે થઈ ગઈ. જૂની અને જાણીતી લાકડીઓના ભારાની વાત જ ને?

પંચકી લકડી, એકકા બોજ.

એકલી એ સાવ ક્ષુદ્ર, તાકાતહીન, ફેંકી દેવાની ચીજ. પણ આઠ ભેગી કરી તો તાકાતવાન બની ગઈ. એનો કશોક ઉપયોગ કરી શકાય. એની પર રૂપાળું આવરણ લગાવી દઈએ તો, સરસ મજાની ફૂલદાની બની જાય.

અને હવે આ અવલોકન –

આપણે એકલા બહુ સીમિત તાકાત ધરાવતા હોઈએ છીએ. પણ ઘણા ભેગા થઈએ તો? રસ્સા ખેંચની હરીફાઈ જોવા જેવી ખરી! પણ મોટા ભાગે આપણે આપણી શક્તિ પર જ મુસ્તાક હોઈએ છીએ – એનાં બણગાં ફૂંકવામાં માહેર. સમૂહમાં હોઈએ તો પણ એનું નેતૃત્વ લેવાની હોડ. સ્પર્ધા, કાવાદાવા, વિ.

પણ થોડોક અભિગમ બદલીએ તો ઘણી બધી શક્તિઓ વેડફાતી અટકે અને સમૂહપ્રવૃત્તિથી ઘણાં મોટાં કામ થઈ શકે.

સંઘબળ

આ જ વિચાર આગળ વધારીએ તો, સમાજો અને દેશો સહકાર અને સંગઠન કરતા થાય તો કેટલો બધી ખાનાખરાબી અને સંરક્ષણનો ખર્ચ બચી જાય? રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા થાય તો કેટલી બધી કરુણતાઓ, વ્યથાઓ અને વિનાશો અટકી શકે?

અસ્તુ!



e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,4151,4161,4171,418...1,4301,4401,450...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved