Opinion Magazine
Number of visits: 9458756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગીતાંજલિ શ્રીને બૂકર પારિતોષિક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 June 2022

અવસર

ગીતાંજલિ શ્રી કૃત ‘રેત સમાધિ’ નવલકથાને બુકર પારિતોષિક મળ્યું એ કેવળ હિંદીજગત માટે જ નહીં ભારતીય સાહિત્ય સમસ્ત માટે ગૌરવપ્રદ ઘટના છે, અને સવિશેષ એક અર્થમાં ગુજરાત માટે પણ.

સુધીર ચંદ્ર અને ગીતાંજલિ શ્રી એ દંપતી ગુજરાતના વિદ્યાજગતના એક હિસ્સાને ઠીકઠીક પરિચિત છે. સુરતના સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ સાથે એમનો સુદીર્ઘ સમ્બન્ધ અને એ અરસામાં ગુજરાતી સાહિત્ય સંદર્ભે નોંધપાત્ર નવ્ય તપાસ એ જો સુધીર ચંદ્રનો વિશેષ છે તો ગીતાંજલિ શ્રીએ સેન્ટરમાં નિભાવેલ સ્વાધ્યાય દાયિત્વ અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘સોશિયલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રૅન્ડ્‌ઝ ઈન કોલોનિયલ ઈન્ડિયા : અ સ્ટડી ઑફ પ્રેમચંદ’નું એમનું ડૉક્ટરલ કામ પણ નોંધપાત્ર છે.

એક સરસ જોગાનુજોગ હમણાં વડોદરાના જ શકીલ કાદરીની નોંધ વાટે સામે આવ્યો : ૧૯૮૦માં ‘હંસ’માં પ્રકાશિત એક વાર્તા એમણે ગુજરાતીમાં શિરીષ પંચાલના સૂચનથી ઉતારી હતી. એ આપણાં ગીતાંજલિ શ્રીની પ્રથમ વાર્તા હતી.

‘હમારા શહર, ઉસ બરસ’ એ એમની નવલકથા સરૂપ ધ્રુવે આ દિવસોમાં સંભારી છે. લેખિકા ગીતાંજલિ સાથેનો મારો કિંચિત્‌ પરિચય પણ આ નવલકથા નિમિત્તે જ છે. બહોળી રીતે જોતાં અને જાડી રીતે કહેતાં બાબરી ઘટના અને ગુજરાત પ્રકારના કોમી વિધ્વંસક માહોલની એ કથા છે.

‘રેત સમાધિ’(‘ટુમ્બ ઑફ સેન્ડ’)ની બુઝુર્ગ નાયિકા ચંદ્રપ્રભા પતિના અવસાન પછી ભાંગી પડેલી મનઃસ્થિતિમાં પોતે જ્યાંથી ક્યારેક હિજરત કરી હિંદ આવી હતી તે પાકિસ્તાનમાં તે કાળના પ્રેમી અનવરની શોધમાં નીકળી પડે છે. એને એક કિન્નરનો સાથ છે. વિભાજન વેળાનો આઘાત, પ્રેમીથી છૂટાં પડ્યાંનો આઘાત, પતિના અવસાનનો આઘાત, આ બધા વચ્ચે તે કોઈક સમાધાન શોધવા મથે છે. એકાધિક લિંગ, એકાધિક ધર્મ, કુટુંબ અને દેશ આ બધી બહુસ્તરીય દાસ્તાં કંઈક નર્મમર્મ, કંઈક કટુતા-તિક્તતા સાથે ચાલે છે.

બુકર પારિતોષિક માટેની જ્યુરીએ આ નવલકથાને “Urgent and timely protest against the destructive impact of borders and boundaries whether between religions, countries or genders” તરીકે ઓળખાવી છે, અને ‘irresistible’ કહી છે.

ગીતાંજલિ શ્રીની આ અને અન્ય નવલકથાઓ વિશે તેમ બીજા સ્વાધ્યાયવિશેષો વિશે યથાપ્રસંગ નિરાંતે અને વિગતે લખાશે. પણ હમણાં તો બેત્રણ વ્યાપક અવલોકનો કરું તે લાજિમ લેખાશે.

યોગ્ય રીતે જ બુકર ઘટનાને કેવળ હિંદી જ નહીં પણ સમગ્ર ભારતીય સાહિત્યની સિદ્ધિ તરીકે આ દિવસોમાં વર્ણવાઈ છે ત્યારે નોંધવું જોઈએ કે અંગ્રેજી સિવાયની કોઈ ભારતીય ભાષાની કૃતિને બુકર પારિતોષિક મળ્યું હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. હિંદી મૂળના કહી શકાય એવા નાયપોલને કે હિંદનાં જ અરુંધતી રોય આદિને આ માન જરૂર મળ્યું છે, પણ તે તો સીધાં અંગ્રેજીમાં લખનારાં છે.

આવે વખતે ‘જય હો’ કરતી એકદમ ટિ્‌વટતર્રાર પેશ આવતી ભારત સરકાર મોળી ને મોડી પડી એ પણ નિરીક્ષકોએ નોંધ્યું છે. જાહેરાતના છેક ચોવીસ કલાક પછી વડા પ્રધાને તો નહીં પણ રાજ્ય સ્તરના કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ એકાદું ટિ્‌વટડું કીધું પણ હોજે ગયેલું બુંદે આવ્યું જાણ્યું નથી. કારણ અલબત્ત સમજાય એવું છે, અને તે એ કે જે રાજકીય વિચારધારાકીય સમ્પ્રદાય હાલની કેન્દ્ર સરકારનો છે એને ગીતાંજલિ શ્રીની સ્વતંત્ર સર્જનરમણા સોરવાતી નથી.

પણ ગીતાંજલિ શ્રી તો તમને કહેશે કે “આપ અપને સમાજ ઔર ઇતિહાસસે જુડે હૈ તો યે મુદ્દે આપ કે જીવનકા હિસ્સા હૈ. સાહિત્યિક કૃતિકી માંગ હૈ તો વહાં ભી યહ સહજ આ જાયેંગે.”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 16 

Loading

ઔરંગઝેબ

ભરત મહેતા|Poetry|1 June 2022

કહેવાય છે કે
એ ય જન્મે હતો ગુજરાતી
જન્મ્યો,'તો દાહોદમાં,
તેથી હદ-સરહદ આંકવામાં માહિર!
 
સાદો ઇન્સાન, શરાબસુંદરીથી દૂર
કુરાનની નકલો જાતે કરતો, વેચતો
પાક્કો નમાજી એવો જ પાક્કો નફરતી!
ઉપનિષદના અનુવાદ કરતા સગા ભાઈનું ગળું કાપતાં અચકાતો નહીં!
બાપનેય કેદખાને ધકેલી દે!
 
એને તાજમહાલની સામે જોવું ગમતું જ નહીં!
સીદીસૈયદની ચોથી જાળી પૂરી કરવા જ દીધી નહીં!
એના દરબારમાં નથી હોતાં નવરત્નો
નથી હોતા હાજરજવાબી કાન ખેંચતા બિરબલો!
એના કાન પાકી જાય છે તાનસેનનું નામ સાંભળતાં જ!
એની સંસદ ગાજતી હોય છે કેવળ ધર્મધુરંધર મૌલવીઓથી!
 
એની નામના છે સર્પસત્રવાળા જન્મેજય જેવી
મુસલમાન સુધ્ધાં જવલ્લે જ રાખે નામ એનું !
 
કયામત સુધી ભટકતી એની રૂહ
હજુય ઝપટમાં લઈ લે છે ભલભલાને.
ઝપટમાં આવી ગ્યો’તો હિટલર!
ઝપટમાં આવી ગ્યા છે ઇઝરાયેલના યહૂદીઓ!
એ પ્રગટ થતો જ રહે છે નામ બદલીને
સમયે-સમયે, ધર્મે-ધર્મે …
 
તાજમહાલના બંધ કમરા નહીં
ખોલવાં પડશે આપણે આપણા હૃદયનાં કમાડ
ઝાંખીને જોવું પડશે છેક અંદર લગી
ક્યાંક રંગ બદલીને, ઘૂસી તો નથી ગયોને
ઔરંગઝેબ,આપણી અંદર ?

Email : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 04

Loading

માણસ

પ્રીતમ લખલાણી|Poetry|1 June 2022

આંદોલનમાં જવા
પરોઢથી
તૈયાર થયેલા
ખેડૂતોનાં ખિસ્સાંમાં
આપણે
ગઈ સાંજે
લખેલી કવિતા મૂકી દઈએ.
મીરાં,
જો આ ખેડૂત જીવી જશે તો?
આપણી
કવિતા જીવી જશે !
કવિતા જીવી જશે તો !
માણસ પણ જીવી જશે !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13

Loading

...102030...1,3711,3721,3731,374...1,3801,3901,400...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved