Opinion Magazine
Number of visits: 9568917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અદાણી અને એન.ડી.ટી.વી. : મૂડીવાદ અને રાજકારણના ટુ વે ટ્રાફિકની પેદાશ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 August 2022

ન્યૂઝ ચેનલ ચલાવવી લોઢાના ચણા ચાવવા જેવું કામ છે, ખાસ કરીને જ્યારે તે સત્તાધીશોને સવાલ કરવાના સિદ્ધાંત પર કામ કરનારું માધ્યમ હોય. યક્ષપ્રશ્ન એ છે કે શું હવે એન.ડી.ટી.વી.નું ક્લેવર બદલાશે?

‘આપ કો કૈસ લગ રહા હૈ?’ના સવાલને જો લોકો મજાક ગણતા હોય તો તેનો મોટા ભાગનો વાંક છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો. સદ્ભાગ્યે એક એવી ચેનલ છે જેમાં આવા સવાલોના મારા નથી હોતા – એ ચેનલ એટલે એન.ડી.ટી.વી. ગયા અઠવાડિયે સૌથી વધુ ચર્ચાયેલી બાબત એ છે કે અદાણી ગ્રૂપે એન.ડી.ટી.વી.ના ૨૯ ટકા જેટલો હિસ્સો ખરીદી લીધો. આ સમાચાર આવ્યા એટલે આઘાતની લાગણી અને ઉદ્ગાર કાને પડ્યા. દેશના બુદ્ધિજીવીઓને કપાળે કરચલી પડી અને તે સ્વાભાવિક જ છે. એન.ડી.ટી.વી.ની છાપ સત્યને હાથમાં રાખીને ચાલતી ચેનલની છે જેમાં બેરોજગારી, લોકોની આવકની સમસ્યાઓ, આર્થિક મુદ્દાઓ જેવા પ્રશ્નો પર ચર્ચા છેડાય છે અને તે પણ ઘોંઘાટ વિના. બીજી ચેનલ્સની માફક કોમવાદી મુદ્દાઓ કે ધ્રુવીકરણ કરે એવી રજૂઆતોનો મારો એન.ડી.ટી.વી. પર નથી હોતો. મીડિયાનો મૂળ હેતુ હોય છે સત્તા પર બેઠેલાઓને, સરકારને સવાલ કરવો અને એન.ડી.ટી.વી. એવી જૂજ ન્યુઝ ચેનલોમાંની એક ચેનલ છે જે આ કામ અટક્યા વિના કરતી આવી છે. આ સંજોગોમાં એન.ડી.ટી.વી. સામે ચાલીને સરકાર સાથે નિકટતા ધરાવતા એવા અદાણી ગ્રૂપ સાથે દોસ્તી કરે, તેને પોતાનો અમુક હિસ્સો વેચવા તૈયાર થાય એ વાતમાં દમ નથી. વળી એન.ડી.ટી.વી.નો અમુક ટકા હિસ્સો અદાણીએ ખરીદી લીધોના સમાચાર આવ્યા તેના કલાકોમાં જ એન.ડી.ટી.વી. પર ખબર ચલાવાઇ હતી કે તેના સ્થાપકો, માલિકો કે ત્યાંના કર્મચારીઓને આ હિસ્સાની ખરીદી અંગે કોઇ પ્રકારની જાણ નહોતી.

આ ડીલ ખરેખર શું છે?

વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) નામની એક ઓછી જાણીતી કંપની જે ૨૦૦૮માં સ્થાપવામાં આવી હતી. એન.ડી.ટી.વી.ના માલિકો પ્રણય રોય અને રાધિકા રોયે આ કંપની પાસેથી ૨૦૦૯-૨૦૧૦ દરમિયાન ૪૦૩ કરોડની લોન આ કંપની પાસેથી લીધી. તેમણે આર.આર.પી.આર. (RRPR) હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામે સ્થાપેલી VCPL પાસેથી આ ઝીરો ઇન્ટરેસ્ટ લોન લીધી. આમ એ કંપનીની એન.ડી.ટી.વી.માં સૌથી મોટી ભાગીદારી બની જે ૨૯.૧૮ ટકા હિસ્સો ધરાવતી હતી. RRPRને આ લોન એક શરતે મળી હતી. લોનની સામે RRPRએ VCPLને વૉરંટ ઇશ્યૂ કર્યા હતા કે જેના થકી VCPL ઇચ્છે તો વોરંટને કન્વર્ટ કરીને ૯૯.૯ RRPRની ટકા ભાગીદારી લઇ શકે છે. લૉન લેવા માટે RRPRએ જાતને જ ગિરવી મૂકી હતી. 

અદાણી ગ્રૂપે VCPLને હસ્તગત કરી, 103 કરોડમાં ખરીદી લીધી. સ્વાભાવિક છે કે એમ પ્રશ્ન થાય કે 400 કરોડની લોન આપનારી કંપની આટલી ઓછી કિંમતે કેવી રીતે વેચાઇ? VCPL કંપનીએ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સ પાસેથી લોન મેળવી હતી. અદાણીએ VCPL કંપની ખરીદી અને તેમની પાસે વિકલ્પ હતો કે વોરન્ટને માલિકીમાં ફેરવી શકે. આમ અદાણીએ VCPLને ખરીદી, VCPLએ RRPRને લોનની શરતોને આધારે હસ્તગત કરી અને આમ RRPRની એન.ડી.ટી.વી.માં જેટલા ટકા ભાગીદારી હતી તે હિસ્સો હવે અદાણી પાસે છે. ભારતીય નિયમો અનુસાર જો કોઇનો એક કંપનીમાં ૨૫ ટકાથી વધુ હિસ્સો હોય તો તે કંપની વધુ ૨૬ ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઑફર આપી શકે જેથી બાકીના શૅર હોલ્ડર્સ પોતાનો ભાગ વેચી શકે. અદાણીએ વધુ ૨૬ ટકા શૅર ખરીદવાની ઑફર આપી છે જે રકમ અંદાજે ૪૯૨.૮ કરોડ જેટલી થાય છે. જોવાનું એ છે કે આ ઑફર આપવામાં અદાણીએ કંપનીના મૂળ માલિકોનો મત જાણવાની તસ્દી પણ નથી લીધી અને માટે જ આ ટેકઓવરને હોસ્ટાઇલ ટેકઓવર તરીકે ચર્ચવામાં આવ્યું. જો આ ૨૬ ટકા હિસ્સાનું વેચાણ થયું તો અદાણી પાસે કંપનીનો ૫૫ ટકા હિસ્સો હશે અને આમ કંપનીનું નિયંત્રણ અદાણી પાસે જ જશે. ૨૬ ટકા શૅર જે હજી સુધી નથી વેચાયો તેના આધારે એન.ડી.ટી.વી.નું ભાવિ ટકેલું છે. જો કે એન.ડી.ટી.વી.માં બે મોટા રોકાણકારો છે એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને વિકાસા – એમ સંભળાય છે કે એલ.ટી.એસ. પોતાના શૅર વેચી શકે તેમ છે. જો કે હાલમાં એન.ડી.ટી.વી.ના શૅરના જે ભાવ છે તેના કરતાં તો અદાણી ઓછી રકમ જ ઑફર કરે છે. આ એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડના ૯૮ ટકા રોકાણ અદાણી ગ્રૂપમાં જ કરેલું છે અને બીજી ચાર શૅર હોલ્ડર કંપની છે જેના છેડા પણ અદાણીને અડે છે. જો આ છ કંપનીઓ પોતાના શૅર અદાણીને વેચી દે તો અદાણી ગ્રૂપ એન.ડી.ટી.વી.માં ૫૦ ટકાથી વધારેની ભાગીદાર બને.

સૌથી મોટી ચિંતા તો એ છે કે જનતાનો અવાજ બનનારી એક માત્ર ચેનલ પર જો સરકારની નજીક એવા અદાણી ગ્રૂપની સત્તાની પકડ આવશે તો પછી ત્યાં પણ ફ્રેન્ડલી મેચિઝ જ રમાશે? એન.ડી.ટી.વી.ના માલિકો મોટી રકમ આપી ૨૬ ટકાની ઑફર ખરીદે એ પણ શક્ય નથી.  ન્યૂઝ ચેનલ ચલાવવી ખાવાના ખેલ નથી. સતત ૨૪ કલાક સમાચાર આપવા, સારી ગુણવત્તાના સમાચાર આપવા અને ટી.આર.પી.ની રેસમાં આગળ વધવા માટે કોઇ ફાલતુ સમાધાન કે નાટ્યાત્મક પસંદગીઓ ન કરીને સિદ્ધાંતો તથા સમાચારની દુનિયાના મૂળભૂત હેતુ તથા નિયમોને વળગી રહીને ચેનલ ચલાવવી આસાન નથી. એન.ડી.ટી.વી.એ પણ ભારે આર્થિક ખોટ વેઠી, જો કે એક મત મુજબ તેમના ડિજીટલ સાહસે છેલ્લાં ચારેક વર્ષમાં સારી પકડ જમાવી હતી પણ છતાં પણ તે પહેલાં માત્ર ટેલિવિઝન ચેનલ તરીકે આર્થિક રીતે એન.ડી.ટી.વી.ના પાયા ડગમગ્યા જ હતા.

અત્યારના તબક્કે એન.ડી.ટી.વી.નું ક્લેવર પૂરેપૂરું બદલાઇ જશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. એન.ડી.ટી.વી.ના માલિકો પર ભૂતકાળમાં પડેલી રેડ, ૨૦૧૬માં એન.ડી.ટી.વી.ની હિન્દી ચેનલ પર ભા.જ.પા. સરકારે ૨૪ કલાક માટે મુકેલો પ્રતિબંધ જેમાં તેને રાષ્ટ્રીય સુરક્ષા પરનું જોખમ ગણાવાઇ હતી જેવી કેટલી ય ઘટનાઓ છે જે એ વાતની સાબિતી છે કે વર્તમાન સરકારને એન.ડી.ટી.વી. સામે વાંધો છે.

લોકશાહીના ચોથા સ્તંભ પર મૂડીવાદની પકડ મજબૂત બની રહી છે, હા, મીડિયા બિઝનેસ છે પણ કરિયાણાની દુકાન કે સુપર સ્ટોર નથી. ટકી જવા માટે ક્યાંક બાંધ છોડ કરવી પણ પડે પણ દરેક મીડિયા સંસ્થા પોતાનો આત્મા વેચવા તૈયાર નથી હોતી, કેટલાક ગણ્યા ગાંઠ્યા એકલવીર સત્તા અને પૈસાના મારા સામે પોતાની લડાઇ લડ્યા કરતા હોય છે. તેમનો અવાજ બંધ કરી કે રૂંધી ન દેવાય ત્યાં સુધી એટલી આશા તો સેવાય કે જે જરૂરી છે તેવા મુદ્દાઓ અને પ્રશ્નોની ચર્ચા થતી રહેશે.

આ બધા ઘોંઘાટની વચ્ચે એન.ડી.ટી.વી.ના રવીશ કુમારે પોતે રાજીનામું આપવાના છેની અફવાનું ખંડન કરવા માટે મજેદાર ટ્વીટ કર્યું, “માનનીય જનતા, મેરે ઇસ્તીફે કી બાત ઠીક ઉસી તરહ અફવાહ હૈ, જૈસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મુઝે ઇન્ટરવ્યૂ દેને કે લિએ તૈયાર હો ગએ હૈં ઓર અક્ષય કુમાર બંબૈયા આમ લે કર ગેટ પર મેરા ઇંતઝાર કર રહે હૈં.” તેમણે પોતાની જાતને વિશ્વના સૌથી પહેલા અને સૌથી મોંઘા ઝીરો ટી.આર.પી. એંકર પણ ગણાવ્યા છે. 

બાય ધી વેઃ

મોદી સરકાર અને ગૌતમ અદાણીને સારાસારી છે અને એની સાબિતી કોલસાની આયાતના લાઇસન્સિઝથી માંડીને શ્રીલંકાની સત્તાધીશોને અદાણી ગ્રૂપ સાથે બિઝનેસ કરવાની સૂચના અને દેશના છ એરપોર્ટના ખાનગીકરણનું કામ અદાણી ગ્રૂપ પાસે જવું, કરોડોની લોન માફ કરી દેવી અને જ્યારે ગુજરાતીમાં સાહેબ મુખ્ય મંત્રી હતા ત્યારે અદાણી ગ્રૂપને નજીવા ભાવે મળેલી જમીનના દાવા જેવી બાબતોમાંથી મળી રહે છે. ભા.જ.પા.ના સુબ્રમણ્યિમ સ્વામીએ અદાણીને નોન પરફોર્મિંગ એસેટમાં ખપાવેલા. રાજકારણીઓ અને બિઝનેસ લીડર્સ વચ્ચેની સાંઠગાંઠ માટે અંગ્રેજીમાં શબ્દ છે ક્રોની કેપિટાલિઝમ – આવા આક્ષેપ ભા.જ.પા. અને કાઁગ્રેસ બન્ને પક્ષો પર મુકાયા છે. પાર્ટી ફંડમાં આવતા પૈસાને બદલે જાતભાતના લાભ ઉદ્યોગકારોને મળતા હોય છે, આ ટુ વે ટ્રાફિક છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઑગસ્ટ 2022

Loading

સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના ન કાયદા હોય કે ન શરતો હોય કે ન સમજૂતી હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|28 August 2022

કોઈનું દિલ દુભાય એવું બોલવું, લખવું કે કરવું એ ગુનો ગણાય કે અસંસ્કાર? કોઈનું દિલ ન દુભાય એ રીતે જીવવું એ (જેમાં ફરજિયાતપણું રહેલું છે એવી) ફરજ ગણાય કે વિવેક? આનો જવાબ તમે શું આપો છો, એનાં આધારે તમારું, તમારાં પરિવારનું, તમારા સમાજનું અને તમે જે દેશમાં રહેતા હો એ દેશનું ભવિષ્ય ઘડાશે.

ગાંધીજીએ અસહકાર અને ખિલાફતનું આંદોલન શરૂ કર્યું અને દેશ અને દુનિયાએ ક્યારે ય ન જોઈ હોય એવી હિંદુ-મુસ્લિમ એકતા નજરે પડી ત્યારે સ્વામી શ્રદ્ધાનંદ જેવા કેટલાક હિંદુઓએ ગાંધીજીને સલાહ આપી હતી કે આ સુવર્ણ અવસરનો લાભ લઈને ગાયની હત્યા કરવામાં ન આવે એ માટે ગોવધ પ્રતિબંધ સારુ મુસલમાનોને સમજાવી લેવા જોઈએ. મુસ્લિમ નેતાઓ માની જશે અને તમારો શબ્દ તો તેઓ નહીં જ ટાળે. મુસલમાનો પણ તમને મહાત્માજી તરીકેનો આદર આપે છે.

જો ગાંધીજીની જગ્યાએ કોઈ બીજો નેતા હોત તો તેણે સો ટકા મુસલમાનો સાથે આવી સમજૂતી કરી હોત કે કરાવી હોત. વળી ગાંધીજી તો ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા માણસ હતા અને પોતાને હિંદુ તરીકે ઓળખાવવામાં ગર્વ લેતા હતા. ગાંધીજી તો પોતાને સનાતની હિંદુ તરીકે પણ ઓળખાવતા હતા. પણ ગાંધી જુદી માટીનો હતો અને માટે તો એ મરતો નથી. તેમણે શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે સભ્યતા, સંસ્કારિતા અને વિવેકના કાયદા ન હોય કે ન શરતો હોય કે ન સમજૂતી હોય. જો કાયદા ઘડશો કે ફરજ પાડશો તો તેમાં ફાયદા કરતાં નુકસાન વધુ થશે. કેટલીક બાબતો એવી હોય છે જે સદિ્ચ્છા(ગુડવિલ)નાં ક્ષેત્રમાં આવે છે અને તે કેળવણીનો ભાગ છે. ઈબાદત ટાણે મસ્જિદ પાસે વાજિંત્ર નહીં વગાડવાં એમાં હિંદુની સભ્યતા / સદિ્ચ્છા છે અને ગાયની હત્યા નહીં કરવી એમાં મુસલમાનની સભ્યતા / સદિ્ચ્છા છે. સ્મશાનયાત્રા અને વરઘોડો રસ્તામાં સામસામે આવી જાય ત્યારે વરઘોડાવાળા બેન્ડ વગાડતા અટકી જાય એ વિવેક છે. આનાં કોલ-કરાર અને કાયદા ન હોય. જો એ કરવા જશો તો ઊલમાંથી ચૂલમાં પડશો.

આ ગાંધી. જે સહેજે થઈ શકતું હતું એ તેમણે નહીં કર્યું. તેમના અધ્યાત્મિક વારસદાર અને ભાષ્યકાર વિનોબા ભાવે ગોવધપ્રતિબંધનો કાયદો કરાવવાની લાલચ નહીં રોકી શક્યા અને એક વાર ઉપવાસ પણ કર્યા, જ્યારે ગાંધીજી માટે જે સહજસાધ્ય હતું એ તેમણે ધરાર નહીં કર્યું. તેમાં તેમને અર્થ કરતાં અનર્થ નજરે પડતો હતો.

શું અનર્થ નજરે પડ્યો હતો તેમને? અનેક. એક તો એ કે લાગણીની કોઈ વ્યાખ્યા જ ન થઈ શકે ત્યાં તમે લાગણીઓના આઘાત-પ્રત્યાઘાતોને કાયદામાં કેવી રીતે બાંધો? જો તમે તેને બાંધશો અને પ્રજા ઉપર ફરજ પાડશો તો તેમાં તમે ન્યાય કરતાં અન્યાય જ વધુ કરશો. લાગણી દુભવવાને લગતા કાયદાનો દુરુપયોગ થવાનો છે અને મોટાભાગે કાયદાઓનો દુરુપયોગ અસમર્થ લોકો સામે વધુ થાય છે. ગોવધપ્રતિબંધક કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તે કોની સામે થઈ રહ્યો છે એ તો તમે જાણો છો.

બીજું એ કે તેને કારણે અભિવ્યક્તિ રૂંધાશે. ડૉ રામમોહન લોહિયાએ એક જગ્યાએ કહ્યું છે કે દ્રૌપદી સંસારની શ્રેષ્ઠ નારી છે, સીતા કે સાવિત્રી નહીં. તેમણે કારણ આપતાં કહ્યું છે કે દ્રૌપદીએ વડીલો (ભીષ્મપિતામહ) આચાર્યો (દ્રોણ અને કૃપાચાર્ય), બુદ્ધિમાનો (વિદુર), ચક્રવર્તી રાજા (ધૃતરાષ્ટ્ર), મોટી સંખ્યામાં ઉપસ્થિત દુષ્ટો (કૌરવો), કપટીઓ (શકુની), પોતાની પત્નીને દાવ પર લગાડવા જેટલો સ્ત્રી પર અધિકાર ધરાવનાર પતિઓ (પુરુષો) જે દરેકે દરેક કોઈને કોઈ પ્રકારની સત્તા ધરાવતા હતા તેમની સામે ભરી સભામાં અવાજ ઉઠાવ્યો. દ્રૌપદી અવિવેકી સત્તા સામે નારીનો સત્યનો અને અધિકારનો અવાજ છે અને માટે એ સંસારની શ્રેષ્ઠ નારી છે. તે સીતા અને સાવિત્રીની જેમ પતિની પાછળ ચાલીને દુઃખ વેઠી લેવામાં નહોતી માનતી. હવે કોઈ હિંદુ એમ કહે કે ડૉ લોહિયાએ સીતા માતા અને સતી સાવિત્રીનું અપમાન કર્યું છે અને તેમણે હિંદુઓનું દિલ દુભવ્યું છે તો શું થાય? હવે લોહિયાએ જે કહ્યું એને તમે સુંદર મૌલિક નિરીક્ષણ તરીકે જોશો કે પછી સજાને પાત્ર હિંદુવિરોધીનું કથન? લોહિયાનાં નિરીક્ષણ દ્વારા ઇતિહાસ-પુરાણો કે કાવ્યોને જોવાની આપણી સમજમાં વધારો થયો કે ઘટાડો?

આ પ્રકારનાં સુંદર અને મૌલિક નિરીક્ષણો અને અભિપ્રાયો દ્વારા સમાજ સમૃદ્ધ બને છે. આપણી સમજણની ક્ષિતિજનો વિસ્તાર થાય છે. પરિઘ વધુને વધુ મોટો થાય છે. જેની વ્યાખ્યા જ શક્ય નથી એવી લાગણીઓને અને જે પ્રત્યક્ષ નજરે પડતી નથી એવી દુભામણીઓને કાયદે બાંધવા જતાં સમાજને મોટી ખોટ પડવાની છે. બને કે કોઈની અભિવ્યક્તિ અણઘડ પ્રકારની હોય. બને કે કોઈ વિચાર્યા વિના કે સરખો અભ્યાસ કર્યા વિના બોલતું હોય. બને કે કોઈ જાણીબૂજીને બીજાને ઠેસ પહોંચાડવા માટે બોલતું હોય. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવી પ્રકારની અભિવ્યક્તિઓને રોકવા માટે કાયદાઓ ઘડવામાં આવે તો ડૉ લોહિયા જેવાઓનાં અર્થગર્ભ અભિપ્રાયોથી સમાજ વંચિત રહી જાય અને એ ખોટ ન પૂરાય એવી છે. આ સિવાય કલાત્મકતા અને સર્જનાત્મકતાથી પણ સમાજ વંચિત રહે. વળી સંસારનો નિયમ છે કે જે કચરો છે એ કાળના ચાળણામાં ચળાઈ જવાનો છે એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી.

ત્રીજું એ કે જો કાયદા ઘડવામાં આવે અથવા અભિવ્યક્તિની બાબતે અમુક પ્રકારની ફરજ પાડવામાં આવે તો લાગણી અને દુભામણીના ઠેકેદારો પેદા થાય અને તેનું રાજકારણ કરવામાં આવે. દેશમાં અને જગતમાં અત્યારે આ જોવા મળી રહ્યું છે. લાગણી અને દુભામણીના ઠેકેદારોએ અને તેનું રાજકારણ કરનારાઓએ આ જગતમાં જેટલો આતંક મચાવ્યો છે અને હિંસા કરી છે એટલી હિંસા તો જમીન અને સત્તા માટેની લડાઈઓએ પણ નથી કરી. આ હકીકત છે. ઇતિહાસ તપાસી જાવ.

માટે ગાંધીજીએ કહ્યું હતું કે વિવેક અને સદિ્ચ્છાના કાયદા ન હોય એ કેળવવાની ચીજ છે. મોટું મન રાખીને આંખ આડા કાન કરવા એ વિવેક છે. સહિષ્ણુતા કેળવવી એ વિવેક છે. બીજા માણસને બોલવા દેવો એ વિવેક છે. તેની પાસેથી જે ગ્રહણ કરવા જેવું લાગે તે ગ્રહણ કરવું એ વિવેક છે. કબીરે અમસ્તું નથી કહ્યું કે નિંદક નીઅરે રાખીએ. એ વગર પાણીએ હજામત કરી આપે. કાયદાઓ ઘડીને કોઈને રોકશો અને ટોળાંઓ રચીને કોઈને વારશો કે મારશો તો સરવાળે નુકસાન સમાજને થવાનું છે.

પણ આ તો એમને માટેની વાત થઈ જેઓ સદ્ગુણ અપનાવવા અને વિકસાવવા માગે છે. જ્યારે વિનાયક દામોદર સાવરકર કહીને ગયા છે કે સદ્ગુણ એ વિકૃતિ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઑગસ્ટ 2022 

Loading

બાત સરહદ પાર : આઝાદીના અમૃતપર્વની ખરી ઊજવણી!

કિરણ કાપુરે|Opinion - Opinion|27 August 2022

બી.બી.સી. દ્વારા, હાલમાં હિંદી અને ઉર્દૂ ભાષાના ન્યૂઝ પોર્ટલ પર એક સિરીઝ આરંભાઈ છે, અને તેનું નામ છે : ‘બાત સરહદ પાર’. દેશની આઝાદીની અમૃત જંયતી ઉજવાઈ રહી છે ત્યારે તેની ઊજવણી ખરા અર્થમાં આ કાર્યક્રમમાં થઈ રહી છે. અહીંયા ભારત અને પાકિસ્તાનના સાહિત્ય-સિનેમા સાથે જોડાયેલી હસ્તીઓ એકબીજા સાથે સંવાદ કરે છે. દર શુક્રવારે નવા એપિસોડ સાથે આ સંવાદ બી.બી.સી. પોડકાસ્ટ પર સાંભળી શકાય છે. સિરીઝના બીજા એપિસોડમાં 23 જુલાઈના રોજ ભારત વતી જાણીતા ગીતકાર-વ્યંગકાર વરૂણ ગ્રોવર હતા અને પાકિસ્તાન તરફથી ડિરેક્ટર-એક્ટર સરમદ ખૂસટ. આ અગાઉ પ્રથમ એપિસોડમાં ગાયિકા સુનિધી ચૌવ્હાણ અને પાકિસ્તાનનાં ગાયિકા-ગીતકાર ઝેબ બંગાશે વાત કરી હતી. વરૂણ ગ્રોવર અને સરમદ ખૂસટે સાહિત્ય-સિનેમા વિશે તો વાત કરી સાથે તેમણે બંને દેશોના પોતાના અનુભવ રસપ્રદ રીતે કહ્યા. આમ તો આ સંવાદનો લહાવો સાંભળીને વધુ લઈ શકાય, પણ તેમ ન થાય એમ હોય તો અહીં તેના કેટલાક અંશો જરૂરથી વાંચી લેવા જોઈએ.

‘બાત સરહદ પાર’ સિરીઝનું પ્રોડક્શન ખૂબ સરસ રીતે થયું છે. કાર્યક્રમ શરૂ થતાં અગાઉ આવતું મધુર સંગીત, થિમ ગીત અને તે પછી ટૂંકમાં માહિતી પીરસીને કાર્યક્રમનો ઉપાડ કરતાં પ્રેઝેન્ટર રૂપા ઝાનો અવાજ. તુરંત આમંત્રિત હસ્તીઓ સંવાદનો દોર સંભાળે છે અને શરૂ થાય છે બંને દેશો વચ્ચેનો સહિયારો ઇતિહાસ, પેઢી દર પેઢી ચાલી આવતી પોતાના ગામ, શહેરની સ્મૃતિઓ, ખાનપાન, નાચગાન, પહેરવેશ, ભાષા-બોલી, સાહિત્ય-સિનેમાની વાતો, જે માત્ર બે પેઢી અગાઉ એક સરીખી હતી. બીજા એપિસોડમાં સંવાદનો દોર આરંભાયો અને વરૂણ ગ્રોવરે નમસ્કાર, આદાબ અને હેલો કહીને શ્રોતાઓનું સ્વાગત કર્યું. વરૂણ-સરમદ બંને પંજાબી છે એટલે પહેલાં પંજાબી ભાષામાં વાત આગળ વધી અને પછી સરમદે વરૂણે લખેલાં ગીત ‘મોહ મોહ કે ધાગે’ની વાત કરી. તેઓ કહે છે કે પૂરા પાકિસ્તાનમાં એવું કોઈ નહીં હોય જેમણે આ ગીત ન સાંભળ્યું હોય! વરૂણ કહે છે કે, “બંને દેશો વચ્ચે ઘણાં બધા કનેક્શન છે. અને કમનસીબી એ છે કે આપણે પોલિટિકલ માહોલના કારણે વાત નથી કરતાં. બંને દેશોમાં જે અંતર નિર્માણ કરવામાં આવ્યું છે તે અંતરને પ્રોટેટ્ક કરનારાં બંને દેશો તરફ એટલાં મજબૂત છે કે વધુ વાતો થઈ જ શકતી નથી.”

સરમદ ખૂસટનું નામ પાકિસ્તાનની ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સન્માનથી લેવાય છે. તેમણે અભિનય, નિર્દેશન અને લેખક તરીકે ઉમદા કામ કર્યું છે. તેમની ‘મન્ટો’ ફિલ્મ ભારતમાં પણ ખૂબ જોવાઈ છે, જેનો ઉલ્લેખ આ વાતચીતમાં વરૂણે કર્યો છે. સરમદ અહીં વાત મૂકે છે કે : “હિંદુસ્તાન પર રેખા ખેંચીને જ્યારે ભારત-પાકિસ્તાન નિર્માણ થયા ત્યારે તેની સાથે જે મલિન અનુભૂતિ સૌમાં પ્રસરાવામાં આવી કે હવે બધું જ અલગ થઈ ચૂક્યું છે. જે બંને દેશોની માટીમાં ભળેલું છે તેને પણ અલગ કરી દેવામાં આવ્યું છે. આ અકુદરતી છે. કારણ કે તમે કેવી રીતે માહોલ, રંગ, તહેવારને એકબીજાની સ્મૃતિમાંથી કાઢી નાંખશો.” વરૂણ સરમદની વાત સાથે સંમત્તિ દર્શાવીને આગળ કહે છે કે, “જુઓ આપણે બંને અલગ દેશમાં બેઠા છીએ, પરંતુ કોઈ પણ એવો શબ્દ નથી જે તમારો મને નથી સમજાતો, કે મારો તમને. અને આપણે ત્રણ અલગ-અલગ ભાષામાં વાત કરી શકીએ છીએ. જ્યારે અમારા દેશમાં જ એવું છે કે બે અલગ રાજ્યો, જેમ કે કોઈ તમિલનાડુથી છે અને અન્ય કોઈ ઓરિસ્સાથી છે, તો તેમની વચ્ચે ભાષા, આહાર કે સંસ્કૃતિના સંદર્ભ એટલાં નહીં મળતાં હોય જેટલાં આપણી વચ્ચેના એટલે કે દિલ્હી-લાહોરના મળે છે. અથવા તો લાહોર-લખનઉ કે લાહોર-ભોપાલના મળે છે.” આગળ વરૂણ કહે છે કે, “એવી અનેક બાબત છે જેને આપણે કલ્ચર અને નેશન કહીએ છીએ. નેશનની અનેક વ્યાખ્યા મોજૂદ છે, પરંતુ હવે પોલિટિકલ જ ડેફિનેશન આપણી પાસે રહી ગઈ છે કે જે નકશો છે તે જ દેશ છે. બાકી તો આપણી સ્મૃતિ પણ એકસરીખી છે.”

ભારત-પાકિસ્તાનની સંસ્કૃતિ અને સ્મૃતિ કેટલાં હદે એક જેવી છે તે વિશે સરમદ પોતાનો એક કિસ્સો ટાંકતા કહે છે કે, “હું 22-23 વર્ષનો હતો ત્યારે મેં પ્રથમ વાર ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યું, અને હું દિલ્હી આવ્યો હતો. કસમથી જ્યારે હું પહેલીવાર એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મને એ વાતનો ખૂબ અફસોસ થયો કે આને હું ઇન્ટરનેશનલ ટુર ન કહી શકું. આ ટુરના આધારે હું ક્યારે ય એવું નહીં માનું કે મેં ઇન્ટરનેશનલ ટુર કરી છે. મેં જોયું કે અહીંયા તો ચહેરા, ઝાડ-પાન, રસ્તાઓ, રસ્તાઓના નામ બધું સરીખું હતું. મારી સાથે મારા પિતા હતાં તેમને તો મેં ત્યાં સુધી કહ્યું કે પપ્પા અહીંયાની સુંગધ અને દુર્ગંધ પણ આપણા મુલ્ક જેવી છે.” આ વાતને આગળ વરૂણ આ રીતે પૂરી કરે છે : “જેવું મેં કહ્યું હતું કે આપણી સહયારી સંસ્કૃતિની સ્મૃતિઓ તો છે જ, અને બંને દેશો એટલાં બધા એક જેવા છે કે તેમની એફિસિયન્સી તો સરખી છે, ઇનએફિસિયન્સી પણ સરખી છે.”

સરમદ ખૂસટ તે પછી પાકિસ્તાનમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફનું જે આકર્ષણ છે તેની વાત કહે છે. તેમાં અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, મહેશ ભટ્ટની ફિલ્મો જેવાં વિષય પર સંવાદ થાય છે. તે પછી સરમદ વ્યંગનો વિષય છેડે છે. વરૂણના વ્યંગ સરમદે સાંભળ્યા છે અને વ્યંગમાં ધ્યાને રાખવાની બાબતો ઉપરાંત પાકિસ્તાનમાં એ વ્યંગનું ટ્રેડિશન ન રહ્યું જે ભારતમાં છે, તો તે વિશે વરૂણને વાત કરવા કહે છે. વરૂણ કહે છે : “વ્યંગના મુદ્દે પણ આપણાં બંને દેશો સરખા છે. અહીં ઘટનાઓ જ એટલી હાસ્યાસ્પદ હોય છે કે તમે હસ્યા વિના નથી રહી શકતા. અને આ બંને દેશોમાં એક ડાર્ક હ્યુમર એલિમેન્ટ છે. અને આજે તો સેટાયર કરવું એ ખૂબ પડકારજનક થઈ ચૂક્યું છે કારણ કે તેની સ્પર્ધા હવે વાસ્તવિકતા સાથે છે. વાસ્તવિકતા એટલી હાસ્યાસ્પદ છે કે તેની સામે હું શું જોક બનાવું?” આ વાત સમજાવવા વરૂણ એક કિસ્સો ટાંકતા કહે છે કે, “હમણાં મને મારા મિત્રએ એક ન્યૂઝની લિંક મોકલી છે. આ ન્યૂઝમાં પટનાની કોર્ટનો કિસ્સો છે. અહીં એક આરોપીને રજૂ કરવા અર્થે પોલીસ આરોપી સહિત કોર્ટમાં બોમ્બ લઈને આવી હતી. આ બોમ્બ આરોપી બ્લાસ્ટ કરવાનો હતો. થોડી જ વારમાં કોર્ટમાં જ બોમ્બ બ્લાસ્ટ થયો. રાહતની વાત એ છે કે કોઈને નુકસાન થયું નથી. બોમ્બ બ્લાસ્ટ થયા પછી જજે પોલીસને પૂછ્યું કે, ‘તમે આ બોમ્બ અહીં કેમ લાવ્યા છો?’ પોલીસે કહ્યું ‘અમે સત્ય સામે લાવવા માટે બે બોમ્બ લાવ્યા હતા, અને બીજો બોમ્બ પણ ત્યાં જ મૂક્યો છે, જે હજુ સુધી બ્લાસ્ટ થયો નથી’ પછી કોર્ટ ખાલી કરી દેવામાં આવી. હવે તમે જ કહો કે આ દેશમાં કોઈ સેટાઇરિસ્ટ નહીં બને તો ક્યાં બનશે.”

વ્યંગની બાબતે વરૂણ આગળ ભારતના શ્રેષ્ઠ વ્યંગલેખકો શ્રીલાલ શુકલ, હરિશંકર પરસાઈ અને શરદ જોશીની વાત કરે છે અને આજના સમયમાં તેઓ હોત તો આટલી સ્વતંત્રતાથી ન લખતાં હોત તેમ પણ કહે છે. આ વિશે વરૂણ કહે છે કે, “સોશિયલ મીડિયા પર જ્યારે તમે હરિશંકર પરસાઈ, શરદ જોશી કે શ્રીલાલ શુકલનો પેરેગ્રાફ પોસ્ટ કરો તો લોકો એવી કોમેન્ટ કરે છે કે શોધો આમને અને જેલમાં નાંખો. ત્યારે એમને કહેવું પડે છે કે તેઓ તો આઝાદ થઈ ચૂક્યા છે આ દુનિયાની જેલોથી.” તે પછી વરૂણ પાકિસ્તાનના ઉમર શરીફના સંદર્ભે વાત કરે છે, જેમની ‘બકરા કિશ્તોં પર’ નામની હ્યુમર ડ્રામા તેમણે ખૂબ જોઈ. પાકિસ્તાનના હ્યુમરીસ્ટ મોઈન અખ્તર અને અનવર મકસૂદની પણ વાત કરે છે, જે ભારતમાં ખૂબ જાણીતા હતા.

અંતે વરૂણ કહે છે કે, મળતાં રહીશું આ રીતે. આમ તો અંગ્રેજોએ જ આપણને જુદાં કર્યાં છે અને આજે અંગ્રેજો જ આપણો ભેટો કરાવી રહ્યા છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,3701,3711,3721,373...1,3801,3901,400...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved