Opinion Magazine
Number of visits: 9744592
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી ઉર્ફે ચૂંથણી …  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|7 November 2022

ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ મોરબીની ઝૂલતો પુલ તૂટવાની ઘટના પડદા પાછળ ધકેલાઇ ગઈ છે અને હવે લગભગ મહિના સુધી ચૂંટણીની ચટણી ને છટણી કોઈને કોઈ રૂપે થતી રહેશે. ચૂંટણી પંચે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો આવે એવું આયોજન છે. પહેલાં તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે. આ વખતે કુલ 4,90,89,765 મતદાતાઓ મતદાન કરશે, જેમાં અઢી કરોડથી વધુ પુરુષો અને 2.37 કરોડથી વધુ મહિલાઓ હશે. 4,61,494 મતદાતાઓ એવા હશે જે પહેલી વખત મત આપશે. એમ લાગે છે કે લગભગ બધા જ પક્ષો, બે ચૂંટણી વચ્ચે પોતાનો પ્રચાર કેવી રીતે કરવો અને ચૂંટણી વખતે કેવી રીતે જીતવું એ સિવાય જનતા તરફ બહુ ધ્યાન આપતા નથી. સરકારમાં જે જાય છે તે બાંકડાઓ પર પોતાનું નામ આવે એ રીતે થોડી ગ્રાન્ટ વાપરે છે, તો વળતરની રકમ એળે ન જાય એટલે સરકાર લાભાર્થે થોડા લોકો મરે પણ છે ને ઘાયલ પણ થાય છે. લોકો મત આપવા ને ટેક્સ ભરવા ઉપયોગી છે. એ રીતે લોકો પક્ષોને અને સરકારને બહુ કામના છે. મત આપતા જનતા ચૂંથાય છે, પણ ઉમેદવાર તો ચૂંટાય જ છે.

ભા.જ.પ. છેલ્લાં 27વર્ષથી સત્તામાં છે. 2017માં ગુજરાતમાં તેને 99 સીટો ને કાઁગ્રેસને 77 સીટો મળી હતી. આમ તો આ જંગ અત્યાર સુધી કાઁગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે રહ્યો છે, પણ 2022ની ચૂંટણીમાં આપ પાર્ટી પણ વાજતે ગાજતે ચૂંટણીમાં ઊતરી છે ને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તો ઇસુદાન ગઢવીની તાજપોશી મુખ્ય મંત્રી તરીકે થવાની છે એવી આગોતરી વરદી પણ નોંધાવી દીધી છે. ઇસુદાન, આપનો જાણીતો ચહેરો છે. ખેડૂતો અને ગરીબો પર તેમનો સારો પ્રભાવ છે. ગુજરાતનો પ્રવાસ પણ તેમણે કર્યો છે ને ઓ.બી.સી.ના પ્રતિનિધિ તરીકે આપને સારો એવો લાભ ઇસુદાનથી થાય એમ બને. જો કે આપના ગોપાલ ઇટાલિયાને ઇસુદાન પસંદ થયા એ ગમ્યું નથી. આ વાતે આપના જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પાર્ટી છોડીને કાઁગ્રેસનું શરણું લીધું છે. આમ તો થોડા મહિના પર જ ઇન્દ્રનીલ કાઁગ્રેસ છોડીને આપમાં આવ્યા હતા, પણ ટિકિટ વહેંચણીને મુદ્દે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી ને પાર્ટીની પોતાની પાસેથી આર્થિક અપેક્ષાઓ વધી એટલે મૂળ પાર્ટીમાં તેઓ પાછા ફર્યા છે. અહીં આવીને તેઓ શું પામશે, તે તો તેઓ જાણે, પણ વ્યક્તિગત અસંતોષને કારણે પાર્ટી સાથેનો દ્રોહ ઠીક નથી. બીજા પણ કેટલાંક અસંતુષ્ટોની ચૂંટણી દરમિયાન એક દરમાંથી બીજા દરમાં આવ-જા વધે એમ બને, પણ આ આવન જાવન, પાર્ટી સાથેની સૈદ્ધાંતિક વફાદારી પર પ્રશ્ન ચિહ્ન તો મૂકે જ છે. આ ઉપરાંત બીજો એક કિસ્સો જય નારાયણ વ્યાસ અને હિમાંશુ વ્યાસનો પણ પાર્ટીઓ છોડવાનો સામે આવ્યો છે. એમાં બે વ્યાસ વચ્ચેનો ભેદ જોવા જેવો છે. રાહુલ ગાંધી માટે હિમાંશુ વ્યાસે દુબઈમાં 50 હજાર લોકોનો કાર્યક્રમ કર્યો, પણ કાઁગ્રેસે એમની કદર ન કરી એટલે એમણે ભા.જ.પ.ને આશરે જવાનું સ્વીકાર્યું છે. એમને ભા.જ.પ.માં સ્વીકારી પણ લેવાશે, પણ અહીં એમની કદર થશે જ એવું એમને કઇ રીતે લાગે છે તે નથી ખબર. એ સાથે જ જે તે પાર્ટીમાં બીજી પાર્ટીમાંથી આવનાર સભ્યો વિષે પાર્ટીને કોઈ સવાલ જ ન હોય તેમ સ્વીકૃતિ આપી દેવાય એ પણ સમજાતું નથી. જય નારાયણ વ્યાસ તો 32 વર્ષ ભા.જ.પ.માં રહ્યા છે ને તે વખતના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને કેબિનેટમાં જુઠ્ઠા કહીને રાજીનામું આપતાં પણ અચકાયા નથી. વારુ, તેઓ ભા.જ.પ.ની સરકારમાં આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તે પછી પણ તેમનો થવો જોઈતો ઉપયોગ કરવામાં પાર્ટી નિષ્ફળ જાય તે ચિંત્ય છે. બને કે પાર્ટીને ‘જી હજૂરિયા’ જ ખપતા હોય ને જય નારાયણ વ્યાસનું સ્પષ્ટ વકતૃત્વ આડે આવ્યું હોય. સ્પષ્ટ વકતૃત્વ, સ્પષ્ટ નેતૃત્વને આડે આવતું હોય એવો અત્યારે તો ભા.જ.પ.માં એક જ દાખલો છે, બાકી ભા.જ.પ.માં તો હવે આજ્ઞાંકિતો જ પાકે છે તે કોઇથી અજાણ્યું નથી.

આ બધા સંજોગોમાં કેજરીવાલને લાગે છે કે જનતા પરિવર્તન ઈચ્છે છે ને આ પરિવર્તન તે આપ પાર્ટી રૂપે ઈચ્છે છે. આમ તો આપ પાર્ટી મફત આપવા માટે જાણીતી છે. તેણે ગુજરાતને પણ 300 યુનિટ વીજળી મફત આપવાનું કબૂલ્યું છે. મફતનો સિક્કો દિલ્હીમાં ચાલ્યો છે તે ગુજરાતની જનતા જાણે છે. પ્રજા આમ પણ લાલચુ હોય છે, તે રાજકીય પક્ષો જાણતા હોય છે એટલે સબસીડી, મફત, ડિસ્કાઉન્ટ વગેરે લાલચ અપાતી રહે છે. જનતા એને વશ થાય તો ભા.જ.પ.ના મત તૂટે, તો પણ તેને બહુ નુકસાન કદાચ નહીં થાય. નુકસાન, કાઁગ્રેસનું વધે ને લાભ આપને થાય એવું બને. તેનું કારણ એ છે કે આપ અને કાઁગ્રેસ સાથે નથી. આ બંને એકબીજાની ને એ બંને ભા.જ.પ.ની સ્પર્ધામાં છે. કેજરીવાલનું માનવું છે કે આ વખતે ગુજરાતમાં સરકાર આપની બનશે. એવું થાય તો એ ચમત્કાર જ હશે, પણ મફત વીજળીની લાલચ છતાં, આપ સરકાર બનાવવા સુધી કઇ રીતે પહોંચશે એ અંગેનો કોઈ ફોડ કેજરીવાલે પાડ્યો નથી. એટલું છે કે ઘરેઘર પ્રચારમાં ને ગામડે ગામડે સંપર્કમાં આપ પાર્ટી ઠીક ઠીક સક્રિય છે ને એનો લાભ એને મળે એમ બને, પણ કેજરીવાલે ચલણી નોટો પર ગણેશ અને લક્ષ્મીને છાપવાની વાત કરીને સોફ્ટ હિન્દુત્વ પરથી પૂર્ણ હિન્દુત્વ તરફ ગતિ વધારી છે તે આપની આઈડિયોલોજી સાથે નથી જતી. આજ પાર્ટી ભા.જ.પ.ના હિન્દુત્વ અને રામ મંદિરનો વિરોધ કરી ચૂકી છે. રામ મંદિરને બદલે હોસ્પિટલો બનવી જોઈએ એવું કહેનાર કેજરીવાલ ચલણી નોટો પર ગણેશ, લક્ષ્મીને છાપવાની વાત કરે તો જનતા આટલી મૂરખ બનશે કે કેમ તે વિચારવાનું રહે. કાઁગ્રેસની તો ઈચ્છા જ જણાતી નથી, જીતવાની ને સત્તામાં આવવાની ! રાજસ્થાનના મુખ્ય મંત્રી ગેહલોત ગુજરાતમાં આવ્યા છે ને હજી આવે એવી વકી છે, એ સિવાય કાઁગ્રેસ પ્રમુખ ખડગે કે રાહુલ ગાંધી કે એમની ટીમ ગુજરાત તરફ ચૂંટણી મુદ્દે ફરક્યાં નથી. રાહુલ ગાંધીએ ગુજરાત આવવાની વાત કરી છે ખરી, પણ એ તો આવે ત્યારે વાત. જો કે, મફતની સોગઠી તો એમણે પણ નાખી છે. એક વીડિયો વૉટ્સએપમાં ફરે છે, જેમાં વડા પ્રધાન બંગાળમાં પુલ તૂટયો તેની જવાબદારી મુખ્ય મંત્રી પર નાખતા દેખાય છે, જ્યારે રાહુલ ગાંધીને મોરબી પુલ તૂટવા સંદર્ભે પુછાય છે તો એમણે રાજનીતિ કરવાથી દૂર રહેવાનું સ્વીકાર્યું ને ઉમેર્યું કે લોકો ગુજરી ગયા છે તો કૈં પણ કહેવું મૃતકોને માન ન આપવા જેવું થશે. વીડિયો ખરો ખોટો હોઈ શકે છે, પણ એમાં બોલનારા ખોટા નથી જણાતા.

વેલ, કોમન સિવિલ કોડ લાવવાની વાત કરીને ભા.જ.પે. પણ નવી સોગઠી નાખી છે. આ ઉપરાંત વડા પ્રધાને હજારો કરોડની યોજનાઓની ભેટ ગુજરાતની પ્રજાને આપી જ છે. હિન્દુત્વમાં માનનારો મોટો વર્ગ પણ ભા.જ.પ.ની પડખે છે, છતાં ભા.જ.પે. આત્મમંથન કરવાનું તો રહે જ છે. એ જોવાનું રહે જ છે કે વિકાસ બતાવાય છે તે ખરેખર છે કે પછી કાગદી જ વધુ છે? એ પણ પ્રશ્ન છે કે હજારો કરોડની યોજનાઓ ગરીબો માટે છે કે ઉદ્યોગપતિઓ માટે? જો કે, એટલો વિકાસ તો થયો જ છે કે 2005 સુધીમાં 14 ટકા લોકો જ મધ્યમ વર્ગમાં આવતા હતા તે આંકડો હવે 31 ટકાએ પહોંચ્યો છે. એની સામે બે કરોડથી વધુ આવકવાળાની સંખ્યા વધી છે. આ સંખ્યા 1995માં 98 હજારની હતી તે અત્યારે 18 લાખ પર પહોંચી છે. એનો અર્થ એ થયો કે ઉચ્ચવર્ગની આવક વધે છે, એટલી નિમ્નવર્ગની વધતી નથી. કરોડપતિઓ વધે તે સાથે ગરીબો ઘટીને મધ્યમવર્ગમાં ઉપર ઊઠવા જોઈએ, પણ એ ટકાવારી ઓછી જ છે. વિકાસ ખરેખર કોનો થાય છે એ પણ જોવાનું રહે છે. 182 સીટ માટે 4,000 જેટલા દાવેદારો કઇ આશાએ દાખલ પડ્યા હશે તે વિચારવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે કોઈ પ્રમાણિકે કે ગરીબે ચૂંટણી લડવી હોય તો તે લડી શકે એવી સ્થિતિ નથી. જે ચૂંટણી લડવા તૈયાર થાય છે તે સ્થિતિ સંપન્ન ન હોય તો તેને તકો લગભગ નથી. ચૂંટણી જીતવી આજે તો એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એક વાર જીત્યા પછી કોઈ ખોટ ખાઈને ઘર ભેગું થયું હોય એવું અપવાદોમાં જ હશે.

પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,  પ્રદીપસિંહ જાડેજા જેવા પણ ચૂંટણીમાં ઝંપલાવે એમ બને. આમ તો રૂપાણીની આખી સરકાર જ ગયા વર્ષની 12 સપ્ટેમ્બરે ઘરભેગી કરી દેવાઈ હતી. એવું કોઈ દેખીતું કારણ ન હતું કે આખી સરકાર બદલવી પડે, પણ એક પણ મંત્રી રિપીટ કર્યા વગર નવા મંત્રીઓના હાથમાં કારભાર સોંપાયો. આમ તો અગાઉના મંત્રીઓ પણ મોવડી મંડળની ઈચ્છાથી જ આવ્યા હતા, પણ કામ કરતી સરકારને કોઈ ઊહાપોહ વગર જ કામ વગરની કરી દેવાઈ તે આજ સુધી ઘણાંને અકળ રહ્યું છે. એવું ઘણું બધુ શક્ય છે કે જે મંત્રીઓને ઘરભેગા કરી દેવાયા હતા એમને ફરી ટિકિટ મોવડીઓ ન આપે. આપે તો સવાલ એ રહે કે જો ત્યારે મંત્રીઓ ખદેડી મૂકવા જેવા લાગ્યા તો અત્યારે એ ટિકિટ આપવા જેવા કઇ રીતે લાગ્યા? ધારો કે ભા.જ.પ. ટિકિટ આપે છે તો પણ પ્રજામાં તો એવી ધારણા બંધાઈ હોવાનું શક્ય છે કે જે સરકાર ખદેડી મુકાઇ હતી, તે કોઈક રીતે નિષ્ફળ હતી, તો લોકો એમને મત આપતી વખતે સો વખત વિચાર કરશે અને એ ખોટ ભા.જ.પ.ની હશે. એ ઉપરાંત આ વખતે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને શિક્ષણના મુદ્દા પણ ભા.જ.પ.ને ભીંસમાં લે એમ બને.

એ જે હોય તે, પણ 2022ની ચૂંટણીમાં આપનું ફેક્ટર નવું ઉમેરાયું છે અને તેને જરા પણ હળવાશથી કે ઓવર કોફિડન્સથી લેવા જેવું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 નવેમ્બર 2022

Loading

બે ગઝલ 

"પ્રણય" જામનગરી|Poetry|6 November 2022

થયો ! 

પંખી ટહુક્યું; લાગ્યું કૉલાહલ થયો !

કલરવોનો પ્રશ્ર્ન ના કૈં હલ થયો ! 

સ્પર્શ પીંછાનો સકળ ધડકન મહીં,

હું ભીતરથી ઔર પણ કોમલ થયો ! 

મારી સહુ વાણી ય સરવાણી થઈ;

મારો આ પોષાક પણ વલ્કલ થયો ! 

મૌન પણ મારું ય અર્થોથી સભર,

તું ઉપસ્થિત જ્યારે કે જલ-થલ થયો !

થઇ પ્રતીક્ષા જીવની, વ્યાકુળ ધરા,

એ પછી પરબ્રહ્મ પણ બાદલ થયો ! 

તારી બદનામી ય ના થઇ શ્હેરમાં,

મારો એતબારે ય અહીં નિશ્ચલ થયો ! 

એનું કારણ શોધવામાં રસ ન લો,

જે અહીં કારણ વિના નિષ્ફલ થયો ! 

એને દુનિયાએ બહુ આપ્યા છે દુ:ખ,

ના દીવાનો; કે ન જે પાગલ થયો ! 

એને દુનિયાથી રહી ના નિસ્બતે,

જેને લીધે એ અહીં પાગલ થયો.

જલકમલવત્ જીવવાનું ત્યાં હતું,

શબ્દ ઉદ્દભવ્યો; તો એ ઉત્પલ થયો ! 

આપના સાંનિધ્યની થઇ છે અસર,

આખરે હું પણ અહીં નિર્મલ થયો ! 

જો અહમ્ રહ્યો નહીં સ્હેજે ‘પ્રણય’,

શખ્સ જળ થઇ, વ્હેતો પણ કલ-કલ થયો ! 

તા. ૦૫-૦૪-૨૦૨૦     

•••  

વૃક્ષ આ પણ 

ના શ્રવણ; કે કૈં ઉચરવાનું નથી ! 

મૌન રેʼજો; કૈં જ કરવાનું નથી ! 

કોઇ ભયથી, સ્હેજે ડરવાનું નથી,

મન પડે એ સ્થળ વિહરવાનું નથી.

હોય કરવા; તો ઉધામા સહુ કરો,

મન છે ચંચળ; ક્યાં ય ઠરવાનું નથી.

મરવા વાંકે જે જીવે; એને જીવાડ,

તારે જીવવાનું છે; મરવાનું નથી.

સ્હેજ કડવા પણ થવાનું શીખ હવે,

સહુને ‘હા’ એ ‘હા’ જ કરવાનું નથી.

આજ પણ વાવું છું હું કોઈ વિચાર,

વૃક્ષ આ પણ અહીં ઉઝરવાનું નથી !

વાયદાઓ વંધ્ય પણ નીવડે ‘પ્રણય’,

ઝાંઝવામાં રોજ તરવાનું નથી.

તા. ૧૮-૦૪-૨૦૨૧

Loading

મોરબી હોનારત : એક્ટ ઓફ ગોડ નહીં, એક્ટ ઓફ ફ્રોડ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 November 2022

ભારતમાં પુલોનાં નિર્માણમાં બેદરકારી રાખવામાં આવે છે તે વાત નવી નથી. એમાં ખૂબ ભ્રષ્ટાચાર થતો હોય છે તે વાત પણ નવી નથી. દરેક સરકારે આ બાબતમાં ઉદાસીનતા સેવી છે (અથવા તેમની મિલીભગત છે) તે પણ એટલી જ જાણીતી વાત છે. મોરબીના ઝૂલતા પુલની હોનારત, આપણી સિસ્ટમની ખામીનું પરિણામ છે. જે દેશમાં માણસના જીવનની કિંમત ન હોય, જ્યાં દંગાઓ કે દુર્ઘટનાઓમાં માણસોનું મરી જવું કર્મોનું ફળ કે ઈશ્વર-ઈચ્છા ગણાતું હોય, ત્યાં સિસ્ટમ નબળી અને ભ્રષ્ટ હોય તેમાં નવાઈ નથી.

દરેક દુર્ઘટનામાં બને છે તેમ, મોરબીની ઘટનામાં પણ છીંડે ચઢ્યો તેને ચોર માનીને ‘ન્યાય’ તોળી લીધાનો સંતોષ લઇ લેવામાં આવશે, પરંતુ આ હોનારત દેશમાં કેવું પોલંપોલ ચાલે છે તેની લેટેસ્ટ સાબિતી છે, અને એ છેલ્લી પણ નહીં હોય.

ભારતમાં, 1977થી 2017 સુધીના સમયગાળામાં 2,130 પુલો તૂટી પડ્યાની ઘટનાઓ બની છે. એમાં ગરનાળાં કે ફૂટબ્રિજની તો વાત જ નથી. આ બધા પુલો કાં તો તેના નિર્ધારિત ઉદેશ્યમાં નિષ્ફળ ગયા છે અથવા નિર્માણની વિવિધ અવસ્થાઓમાં તૂટી પડ્યા છે. દેશની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ સાયન્ટીસ્ટ ડો. રાજીવ ગર્ગનો અભ્યાસ કહે છે કે દેશમાં પુલ તૂટી પડવાનાં મુખ્ય કારણોમાં પ્રાકૃતિક દુર્ઘટના (80 ટકા), પૂર (50 ટકા), ધરતીકંપ (26 ટકા), ઘસારો (10 ટકા), વધુ પડતો ભાર (4 ટકા), ડિઝાઈન (4 ટકા) અને માનવીય ભૂલ (3 ટકા) છે. ડો. ગર્ગ નોંધે છે કે ભારતમાં પુલ નિષ્ફળ જવાની સરેરાસ ઉંમર 34.5 વર્ષની છે, જે ઘણી ઓછી કહેવાય. અમેરિકામાં એ ઉંમર 52 વર્ષની છે. વિડંબના એ છે કે આટલા મોટા દેશમાં આ પ્રકારનો અભ્યાસ એક માત્ર ડો. રાજીવ ગર્ગના નામે જ બોલે છે.

છેલ્લા ચાર દાયકામાં બનેલી પુલ તુટવાની ઘટનામાં કુલ કેટલાં લોકોનાં મોત થયાં તેના પણ કોઈ અધિકૃત આંકડા નથી, પરંતુ મીડિયાના અહેવાલોને આધાર માનીએ, તો છેલ્લા બે દાયકા(2001થી 2019)માં નાના-મોટા પુલ તુટવાથી કુલ 460 લોકોનાં મોત થયાં છે. તેમાં આ મોરબીનો આંકડો (135) ઉમેરીએ તો તે સંખ્યા 595 થાય છે. આ બધી ઘટનાઓમાં અલગ-અલગ કારણો હતાં, પણ એમાં એક સામ્યતા પુલોની કમજોરીની હતી. જૂનાં પુલો તૂટે એ તો સમજમાં આવે, પણ નવા કે નિર્માણાધીન પુલો તૂટે તેમાં માનવીય બેદરકારી જ કારણભૂત હોય, અને તેનું એક માત્ર કારણ ભ્રષ્ટાચાર જ હોય.

એવું નથી કે આ કોઈને ખબર નથી, પણ કોઈ બોલતું નથી અથવા બોલે છે તો સિલેક્ટીવ બોલે છે. યાદ છે, 2016માં કોલકત્તામાં ફ્લાયઓવર તૂટી પડ્યો અને તેમાં 27 લોકોનાં મોત થયાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું? તેમણે મમતા બેનરજીની સરકારને નિશાન બનાવતાં કહ્યું હતું કે, “આ દૈવી કૃત્ય એટલા માટે છે કે આ હોનારત ચૂંટણી ટાણે ઘટી છે, જેથી લોકોને એ ખબર પડે કે તેમની પર કેવી સરકારનું શાસન છે. ઈશ્વરે એ સંદેશો આપ્યો છે કે આજે આ પુલ પડ્યો છે, કાલે તે પૂરા બંગાળને ખતમ કરી દેશે. તમારા માટે ઈશ્વરનો સંદેશો બંગાળને બચાવાનો છે.” આ હોનારત એક્ટ ઓફ ગોડ નહીં, એક્ટ ઓફ ફ્રોડ છે, એમ વડા પ્રધાને કહ્યું હતું.

જે સામાન્ય માણસને ખબર છે તે વડા પ્રધાનને પણ ખબર છે; પુલોના નિર્માણમાં ભ્રષ્ટાચાર થાય છે. બસ, એના વિશે કશું થતું નથી. થાય છે તો ખાલી ભાષણબાજી. આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તેટલા પૂરતા એક્શન લેવાય છે, પણ સમાચારોની શ્યાહી સુકાઈ જાય, પછી બધું રાબેતા મુજબ થઇ જાય છે. ગમે તેની સરકાર હોય, ભારતમાં અમુક બાબતો ક્યારે ય બદલાતી નથી, તેનું કારણ એ છે કે આપણે બદલાવનો દેખાડો કરીએ છીએ પણ પાયામાં આપણને માનવ જીવની કિંમત નથી.

પશ્ચિમના દેશો આટલો વિકાસ કરી શક્યા છે, તેનું કારણ ઈશ્વરની મહેરબાની નથી. તેનું કારણ ત્યાં માનવીય જીવનનું ઘણું મૂલ્ય છે. સ્વાસ્થ્ય હોય કે શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ન્યાયિક વ્યવસ્થા, ત્યાં દરેક સિસ્ટમના હૈયે પ્રત્યેક જીવનું મહત્ત્વ છે. એવું નથી કે ત્યાં ભ્રષ્ટાચાર નથી થતો. થાય છે અને ઘણો મોટો થાય છે, પરંતુ એ આમ લોકોના જીવના ભોગે નથી થતો. નાગરિકોના જાન-માલની રક્ષા ત્યાંની સરકારો માટે પહેલી પ્રાથમિકતા હોય છે અને લોકો સરકાર પાસે તેનો જવાબ માગી શકે છે. માત્ર ભારત જેવા થર્ડ વર્લ્ડના દેશોમાં જ ભયાનકમાં ભયાનક દુર્ઘટનાઓમાં સરકારોના પેટનું પાણી નથી હાલતું.

ભારતમાં રોડ-રસ્તા અને પુલનું નિર્માણ દરેક સ્તરે દૂઝણી ગાય જેવું છે. એકદમ પાયાની કહેવાય તેવી આ જરૂરિયાતોમાં પણ છ પ્રકારના લોકો તેમનાં નાણાંકીય હિતો સાધતા હોય છે; રાજકારણીઓ, બાંધકામ વિભાગ, પ્રોજેક્ટના ઈજનેરો, રોડ જ્યાં બંધાતો હોય ત્યાંના સ્થાનિક લોકો, બાંધકામ કરનારી કંપની અને તેના કર્મચારીઓ.

આપણાં શહેરમાં આપણે રોડની જે દશા જોઈએ છીએ તેના માટે આ છ લોકો જવાબદાર છે, કારણ કે રોડ બનાવવાના વિચારથી શરૂ કરીને તેને પૂરો કરવાની પ્રક્રિયા સુધી અલગ-અલગ સ્તરે સંડોવાયેલા લોકો આ કામને “માથાનો દુઃખાવો” ગણે છે અને “ગમે-તેમ” કરીને તે પતે અને જાન છૂટે તેની રાહ જોતા હોય છે. ઉપરથી નીચે સુધીની આવી માનસિકતામાં આપણને, સારો કે ખરાબ, રોડ કે પુલ મળે છે તે જ એક મોટો ચમત્કાર છે.

ગયા એપ્રિલ મહિનામાં બિહારમાં ગંગા પરનો નિર્માણાધીન પુલ તૂટી પડ્યો ત્યારે રોડ પરિવાન અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “આપણી પાસે એવી વ્યવસ્થા નથી જે પુલની આયુમર્યાદા કે  ટકાઉપણું નક્કી કરી શકે. આપણે અત્યાર સુધી આ ક્ષમતા હાંસલ કરી શક્યા નથી.” આ બતાવે છે કે આટલાં વર્ષોમાં આપણે કેટલું દુર્લક્ષ્ય સેવ્યું છે અને કેવી રીતે બેજવાબદાર સિસ્ટમ પેદા થઇ છે. બિહારની એ જ હોનારત બાબતે ગડકરીએ તેમના સચિવને પૂછ્યું, તો બાબુએ જવાબ આપ્યો હતો કે જોરથી પવન અને ઘેરું ધુમ્મસ આવ્યું એટલે પુલ તૂટી ગયો. મંત્રીજીએ બાબુને કહ્યું હતું, “તમે આઈ.એસ.એસ. ઓફિસર છો છતાં આવી વાતો કરો છો? પવનથી પુલ તૂટતો હોય?”

ખાટલે મોટી ખોડ એ છે કે રોડ-રસ્તા અને પુલમાં રાજકારણીઓના જ રસ અને હેતુ વધુ હોય છે એટલે તેમાં પ્રોફેશનલ ક્ષમતા વિકસી શકી નથી. પશ્ચિમમાં તમે રાજકારણીઓને પુલોના ઉદ્ઘાટન કરતાં જોયા છે?

2018માં, વારાણસીમાં એક ફ્લાયઓવર તૂટી પડ્યો તેમાં 18 લોકોનાં મોત થયાં હતાં. તે વખતે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે યુ.પી. સ્ટેટ બ્રિજ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેનેજીંગ ડિરેકટર રાજન મિત્તલ સહિત છ લોકો સામે પગલાં ભરવાનો આદેશ કર્યો હતો. 2016માં, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પી.ડબલ્યુ.ડી. વિભાગનો હવાલો સંભાળ્યો હતો, ત્યારે તેમણે આ જ મિત્તલને પાણીચું પકડાવી દીધું હતું. કેમ? કારણ કે તેઓ અખિલેશના કાકા અને વિરોધી શિવપાલ યાદવના ‘ખાસ’ મનાતા હતા. શિવપાલને પણ ત્યારે મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. 2017માં, ભા.જ.પ. સત્તામાં આવ્યો, ત્યારે મિત્તલની એમ.ડી. તરીકે વાપસી થઇ હતી. આ વખતે તેઓ પી.ડબ્લ્યુ.ડી. મંત્રી અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના ‘ખાસ’ હતા.

મોરબી હોનારતમાં જે નીચલા સ્તરના લોકોને પકડવામાં આવ્યાં હતા, તેમાં આ બ્રિજનું સંચાલન કરતી ‘ઓરોવા’ કંપનીના એક મનેજરે સ્થાનિક કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે કંપનીએ તો ખૂબ કામ કર્યું હતું, પણ આ દુર્ઘટના ઈશ્વરની ઈચ્છા હશે એટલે બની હશે.

વધતા ઓછા અંશે, દેશનાં તમામ પાટનગરોમાં આવી જ રીતે ‘ઈશ્વર’ની ઈચ્છાઓ પ્રમાણે થાય છે. આને જ ભગવાનના ભરોસે જીવવાનું કહે છે.

લાસ્ટ લાઈન :

“સત્તા માણસને ભ્રષ્ટ નથી બનાવતી; મૂર્ખાઓ જ્યારે સત્તામાં આવે ત્યારે સત્તા ભ્રષ્ટ થાય છે.”

— જ્યોર્જ બર્નાડ શો, ઇંગ્લિશ નાટ્યકાર

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 06 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3671,3681,3691,370...1,3801,3901,400...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved