Opinion Magazine
Number of visits: 9458773
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘લોકપ્રિયતા’નું આટલું સાંકડું અર્થઘટન ?

નિસર્ગ આહીર|Opinion - Literature|7 June 2022

દિવ્યાશાબહેન ડી. દોશીની ફેઈસબૂક દિવાલે 16 ફેબ્રુઆરી 2018ના રોજ મૂકાયેલો આ લેખ ફેર-ભ્રમણ કરી રહ્યો છે. એમના સૌજન્યે અહીં સાદર છે. દિવ્યાશાબહેન કહે છે, ‘સાહિત્ય રસિકોએ નિસર્ગ આહીરનો આ લેખ વાંચવા જેવો છે’ –

હમણાં એક ‘લોકપ્રિય’ વક્તાએ મંચ પરથી કહ્યું કે તમારે લોકપ્રિય થવું હોય તો છાપામાં કૉલમ લખતા થાવ. આ જ વક્તાને કહેતા સાંભળ્યા છે કે ઘણા ગુજરાતી લેખકો એવું લખે છે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે છે. આ વક્તાની જેમ એક ‘લોકપ્રિય’ બહેન છે, જે વ્યંગમાં કહે છે કે અમે તો લોકપ્રિય છીએ, અમારાં આટલાં બધાં પુસ્તકો વેચાય છે, પણ અમે સાહિત્યકાર ન ગણાઈએ …

આવું સાંભળીને કોઈ પણ સાહિત્યરસિકને દુઃખ થાય એ સ્વાભાવિક છે. આજના આવા ‘લોકપ્રિય’ ગુજરાતી લેખકોએ સાહિત્યની સામે જાણે કે છૂપો મોરચો માંડ્યો છે. જોનાર તો એવું પણ જોઈ શકે કે આવી લોકપ્રિયતા એમને વરેલી નથી, પણ ઉઘરાવેલી છે, અથવા તો જાતે સ્થાપેલી છે. એક અર્થમાં એમને સ્વસ્થાપિત લોકપ્રિય લેખકો કહી શકાય. તેઓ સ્માર્ટ છે, એટલે, જાતજાતની સ્માર્ટનેસ દ્વારા તેઓ માર્કેટિંગ કરે છે. ખૂબ મોટી ફી લઈને વ્યાખ્યાન આપવા જતા આવા લોકપ્રિય લેખકો કે વક્તાઓ પછી ગુજરાતી ભાષા અને સાહિત્યની ચિંતા જાહેરમાં કરે ત્યારે બહુ જ વરવા-વિકૃત લાગે છે. જો ખરેખર ગુજરાતી ભાષાસાહિત્યની ચિંતા હોય તો એમણે કશી ફી લીધા વિના જ વ્યાખ્યાન આપવાં જોઈએ, સમગ્ર ગુજરાતમાં ભાષાસજ્જતા માટેનાં વ્યાખ્યાન આપવાં જોઈએ. એમણે નોંધવું જોઈએ કે કશું પણ આર્થિક યોગદાન લીધા વિના, ખૂબ મહેનત કરીને ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કામ કરનારા ઘણા બધા સાહિત્યકારો છે જ. વિદ્યાતપ માટે આખી જિંદગી ખર્ચી નાખે છતાં ન લોકપ્રિયતાની ખેવના રાખે, ન આર્થિક ઉપાર્જનનો ધખારો. તેઓ તો પોતાનું કર્તવ્ય જાણીને સાહિત્યપદાર્થ માટે સતત કર્મરત રહેતા હોય છે. નિસબત જ એમની મૂડી છે.

સાહિત્યના સંદર્ભે ‘લોકપ્રિય’ શબ્દ ખરાબ નથી જ. કોઈ પણ સાહિત્યકારની ખેવના હોય કે એમનું સર્જન વધારે ને વધારે લોકો સુધી પહોંચે. પરંતુ, માત્ર લોકોને પ્રિય હોય એવું જ લખવું એમ કોઈ સાહિત્યકાર નક્કી કરે તો તે વેપારી કહેવાય. કેમ કે, સાહિત્યકાર એક સાંસ્કૃતિક પ્રતિનિધિ પણ છે. એણે લોકોનાં રસ અને રુચિ ઘડવાનાં હોય છે. એટલે, લોકો ઈચ્છે તેવું તે ન લખે, પણ ઉત્તમતા તરફ લોકોને દોરી જાય. સાહિત્યકાર લોકોનો છેદ પણ ન ઉડાડે. કારણ કે, કોઈ પણ લેખન આખરે તો ભાવન માટે જ રચાતું હોય છે. ‘હું તો મારા માટે જ લખું છું. લોકોને સમજવું હોય તો સમજે’ એવી ગર્વોક્તિ સાહિત્યકારને ન જ શોભે. ભાવક ચોક્કસપણે સર્જનના કેન્દ્રમાં હોય જ છે. પરંતુ, ખરો લેખક એ છે જે લોકોની સમજ અને સજ્જતાને પણ સંકોરે. સર્જકે પોતાના સ્થાનથી નીચે ઉતરીને માત્ર લોકપ્રિય થવા માટે તાયફા કે નાટક ન કરવાનાં હોય.

એક ચિંત્ય મુદ્દો છે કે ગુજરાતમાં અત્યારે એક પ્રકારનો નીઓ-રિચ વર્ગ ઊભો થઈ રહ્યો છે. તેઓ પોતે કલારસિક છે એમ એમને દર્શાવવું છે, પણ કલા વિશેની એમને ઝાઝી ગતાગમ નથી. કલા એક અત્યંત ગંભીર અને જવાબદારીપૂર્ણ પ્રવૃત્તિ છે એમ તેઓ નથી જાણતા. તેઓ સાહિત્યરસિક અને સંગીતરસિક છે એમ ગાઈવગાડીને કહેવા માગે છે. એટલે, મોટી રકમ લઈને યોજાતા સંગીત-સમારંભોમાં, વ્યાખ્યાનોમાં હાજરી પૂરાવી આવે છે. એમની સાહિત્યની સમજ પેલા મીડિયોકર લોકપ્રિય વક્તાએ કહેલી સપાટી પરની ચબરાકીપૂર્ણ વાતો સાથે પૂરી થઈ જાય છે. આવા શ્રોતાઓ કશું જ ગંભીર પચાવી શકે તેમ નથી. કેમ કે, કલા એમને માટે પ્રેમ નથી, પ્રદર્શન છે. ગુજરાતીભાષી આવો મીડિયોકર વર્ગ વધી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. આવા પૈસાપાત્ર લોકોની ભાવનાને પોષીપોષીને લોકપ્રિય થનારા વક્તાઓ અને લેખકોની સંખ્યા વધી રહી છે તે એક સાંસ્કૃતિક કટોકટી કહી શકાય. ગુજરાતી સાહિત્યકારો વિશે પૂછવામાં આવે તો મીડિયોકર લોકો એવા સ્વસ્થાપિત લેખકો-વક્તાઓ સિવાયનાં બીજાં નામ નહિ આપી શકે. આવી સ્થિતિને શું કહીશું ? ગોવર્ધનરામ, લાભશંકર ઠાકર, રાજેન્દ્ર શાહ, સુરેશ જોષી, મધુ રાયનાં તો તેમણે નામ પણ નહિ સાંભળ્યાં હોય !

માણસ જે રીતે આઈસક્રિમ પાર્લરમાં આઈસક્રિમ ખાઈને બહાર આવે એવી રીતે એવા લોકો લોકપ્રિય વક્તાના વ્યાખ્યાનમાંથી બહાર આવે છે. શ્રોતા અને વક્તા બન્ને ખુશ હોય છે. વક્તાને મોટી રકમ મળે છે, શ્રોતાને ‘સંસ્કારી’ હોવાનો સંતોષ મળે છે. આઈસક્રિમ થોડા સમયની મજા માટે હોય છે એમ એવાં વ્યાખ્યાન પણ થોડા સમયની મજા માટેનાં હોય છે. શબ્દરમત, ચબરાકીપૂર્ણ વાત, થોડા જોક્સ, સામે બેઠેલા લોકો સાથે પોતાને અંગત સંબંધ છે એ રીતે એમને સંડોવીને ખુશ કરવાની કે મુજરો ભરવાની ચાલાકી, પોતાના વિશેની આપવડાઈઓ, તાળીઓ ઉઘરાવવા માટે જ ઈરાદાપૂર્વક બોલવામાં આવતી પંચ લાઈન્સ, થોડાક વિદેશના અનુભવો, થોડાક વિદેશી લેખકોનાં અવતરણો – આવીઆવી લોકપ્રિયતા માટેની ચાવીઓ એમણ હસ્તગત કરી લીધી હોય છે. કોઈ તાજા વિચાર, કોઈક વિક્ષુબ્ધ કરી નાખે એેવી વાત, વિચારતા કરી મૂકે એવા વિષયો, મૂંઝવી નાખે એવા પ્રશ્નોને લોકપ્રિય લેખનમાં કે વક્તવ્યમાં સ્થાન નથી હોતું. એમાં તો શ્રોતાને, એ રિસાઈ ન જાય એ રીતે પંપાળવાનો હોય છે, કે જેને કારણે પોતાનો વેપાર બંધ ન થઈ જાય. સ્માર્ટનેસ એટલી કે મીડિયોકર લોકોને મમળાવવા ગમે એવા વિષયો પર જ વાત કરવાની – કૃષ્ણ, રામાયણ, મહાભારત, લગ્ન, પ્રેમ, સૅક્સ, સફળતા, ગાંધીજી, સરદાર પટેલ, યુવાનો, યુવાનોની કારકિર્દી વગેરે એમના પ્રિય વિષયો છે.

કોઈ પણ સાહિત્યપ્રેમીએ એ સમજી લેવાની જરૂર છે કે સાહિત્ય માનવે સિદ્ધ કરેલી ઉત્તમ પ્રકારની સાંસ્કૃતિક ઉપલબ્ધિ છે. એ ઉપલબ્ધિને ઊર્ધ્વગામી કરવાની હોય, નિમ્ન નહિ. એટલે, શબ્દવૈભવ, વાક્યસંરચના, લય-લહેકા-કાકૂનું સૌંદર્ય, અલંકારો, પ્રતીકો, ધ્વનિ, વ્યંજના, પદાન્વય એવી ભાષાકીય ઉપલબ્ધિનો સમુચિત ઉપયોગ કરવો જ રહ્યો. સાહિત્યની ભાષા વ્યવહારની ભાષાથી ભિન્ન છે એવું લોકોને સમજાવું જોઈએ. વ્યવહાર ચલાવવા માટે તો બસો-પાંચસો શબ્દો જ પૂરતા છે. પણ પેલા સમાનાર્થી શબ્દોની દીર્ઘ આવલિ હોય તો તે આપણી ઉપલબ્ધિ છે. સરળતાનું સૌંદર્ય ચોક્કસ હોય છે, પરંતુ અર્થઘન સાહિત્ય માટેની અનેક પ્રયુક્તિઓનો પણ મહિમા કરવો જ રહ્યો. એનો ઉપહાસ ન હોય. ભારતીય કાવ્યશાસ્ત્ર ધ્વનિ, અલંકાર, રસ ઈત્યાદિ વિશેની એક અત્યંત સમૃદ્ધ સંપદા ધરાવે છે તેને અત્યારના ‘લોકપ્રિય’ શબ્દથી હાનિ પહોંચી શકે છે. હજારો વર્ષની ભાષાકીય કે સૌંદર્યશાસ્ત્રીય પરંપરાને સમજ્યા વિના માત્ર લોકોને ગળચટ્ટી વાતો કરીને જે ‘લોકપ્રિય’ થવા મથે છે તે સમગ્ર ભાષાકીય પરંપરાના અપમાન સમાન છે. આપણે એટલું સમજી લઈએ કે સાહિત્યકારનું લોકપ્રિય હોવું એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ જે પોતાની ગરિમાથી નીચે ઉતરીને લોકોને રીઝવે છે તે તો હીન પ્રવૃત્તિ છે. સાહિત્યના સર્જકને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. લોકપ્રિય તો છે વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, તુલસી, કબીર, નરસિંહ વગેરે. લોકપ્રિયતા એ સારો જ શબ્દ છે, પરંતુ માત્ર લોકપ્રિય થવા માટે જ મથામણ કરવામાં આવે તો સાહિત્ય અને સમાજ માટે ચોક્કસપણે હીન પ્રવૃત્તિ કહી શકાય. જે લોકરુચિને ઘડીને સહજ સમાદર પામે તે જ લોકપ્રિય કહેવાય. આપણે ‘લોકપ્રિય’ શબ્દને લાંછન ન લગાડીએ તો સારું.

[સંપાદકીય, ‘શબ્દસર’ સામયિક; ફેબ્રુઆરી, ર૦૧૮]

Loading

છૂટાછેડા વિયોગ છે, નહીં કે વ્યવસાય !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 June 2022

આમ તો લગ્ન એક વ્યવસ્થા છે. એમાં લગ્નોત્સુક સ્ત્રીપુરુષો ધાર્મિક વિધિથી કે કોર્ટ પદ્ધતિથી લગ્નગ્રંથિથી જોડાય છે ને પતિપત્ની તરીકે રહેવાનું-જીવવાનું શરૂ કરે છે. એટલે લગ્નમાં સૌથી પ્રથમ જોડાય છે વર અને કન્યા. ઉંમર લાયક વર અને કન્યા લગ્ન માટે રાજી હોય તે પહેલી જરૂરિયાત છે. આ રાજીપામાં વર અને કન્યાનું કુટુંબ પણ જોડાય છે તો લગ્નવિધિ કુટુંબની સંમતિથી સંપન્ન થાય છે. જો કોઈ એકનું કુટુંબ રાજી ન હોય તો પણ લગ્ન શક્ય છે ને કોઈ કુટુંબ રાજી ન હોય તો પણ વરકન્યા લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે. ટૂંકમાં, લગ્ન માટે પહેલી જરૂર છે વર અને કન્યાની. વર કે કન્યાનું કુટુંબ આમાં ન જોડાય તો પરણનારાંઓએ શરૂઆતમાં કુટુંબની ખફગી વહોરવી પડે છે. પછી એવું બને છે કે વિરોધ નરમ પડે છે ને કુટુંબો નજીક આવે છે, તો એવું પણ બને છે કે છેવટ સુધી કોઈ કુટુંબો નજીક નથી જ આવી શકતાં. કહેવાનું એ છે કે લગ્ન માટે વરકન્યા રાજી હોય એ પહેલી જરૂરિયાત છે ને એ પછી કુટુંબી જનોનો સાથ જરૂરી થઈ પડે છે. લગ્નથી વરકન્યા તો નજીક આવે જ છે, પણ બે કુટુંબો ને ક્યાંક તો બે સમાજ પણ નજીક આવે છે. જ્ઞાતિમાં લગ્નો હજી થાય છે, પણ જ્ઞાતિ બહાર પણ લગ્નોનું પ્રમાણ વધ્યું જ છે. એવું પણ છે કે ધર્મો જુદા હોય તે પણ લગ્ન કરે છે. એવા સમાજ પણ ક્યારેક નજીક આવ્યા છે. એટલે લગ્નમાં ભલે શરૂઆતમાં બે વિજાતીય વ્યક્તિઓ અનિવાર્ય હોય, પણ પછી કુટુંબો, સમાજ ને ધર્મ પણ એમાં સંડોવાય છે. આવાં લગ્નો કુટુંબો ગોઠવતાં હોય તો એ પ્રેમલગ્નો પણ હોઈ શકે છે, એમાં બીજું બધું પછી ઉમેરાય છે, પણ ત્યાં સર્વ પ્રથમ જરૂરી બને છે પ્રેમ. આમાં લગ્ન પછી છે ને પ્રેમ પહેલાં છે. એવું પણ બને છે કે પ્રેમ, લગ્ન સુધી ન પહોંચે. કુટુંબ કે સમાજ કોઈક કારણે લગ્ન માટે રાજી નથી જ થતાં. એ પ્રેમીઓના હાથમાં છે કે બધું બાજુએ મૂકીને પરણવું અથવા કુટુંબ કે સમાજને રાજી રાખવા પ્રેમનું બલિદાન આપવું. પ્રેમ લગ્ન સિવાય એરેન્જ્ડ મેરેજ પણ કુટુંબો કરાવે છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે સરળ લાગતાં લગ્નો લાગે છે એટલાં સરળ નથી. આમ સહેલાઈથી થઈ જાય ને આમ થાય જ નહીં, એ લગ્નમાં શક્ય છે. લગ્ન થયાં પછી પણ બધું સરળ થઈ જાય છે એવું નથી. નવી આવેલી વહુએ સાસરે, બધાં સભ્યો સાથે ગોઠવાવાનું હોય છે, વડીલો અને અન્ય સગાંઓ સાથે અનુકૂળ થવાનું હોય છે ને તેઓ પોતાને પણ અનુકૂળ થાય એવી સ્થિતિ ધીરે ધીરે સર્જવાની હોય છે. કેટલીક વહુઓ એ કરી શકે છે તો કેટલીકને એ માફક નથી પણ આવતું. જેમને માફક નથી આવતું એમાં પણ પરિસ્થિતિ જુદી હોય છે. કેટલીકને પતિ સાથે ફાવે છે, પણ અન્ય સભ્યો સાથે પ્રશ્નો છે, તો કેટલીકને ઘરની વ્યક્તિઓ સામે ફરિયાદ નથી, તેને પ્રશ્નો છે પતિ સાથે. આ બંને સ્થિતિમાં બધાં જ સમસ્યા ઉકેલવા મથે છે. બંને પક્ષના વડીલોને, સંબંધીઓને વચ્ચે નાખવામાં આવે છે. એ બધાં સમજાવવાની કોશિશ કરે છે. ક્યારેક વાત પાટે ચડી જાય છે તો ક્યારેક વાત નથી પણ બનતી ને પરિણામ લગ્નભંગમાં આવે છે, છૂટાછેડા પર આવે છે. કારણો અનેક હોય છે, પણ છૂટાછેડા સુધી આવવાનું એક કારણ દીકરીના સાસરાપક્ષ તરફથી વખતોવખત થતી અનેક પ્રકારની માંગણીઓ છે. આમ તો વરપક્ષ લગ્ન પહેલાં જ દીકરીના બાપને ખંખેરી લેવામાં કોઈ કસર છોડતો નથી ને દીકરીનું સારું થાય એવી આશાએ બાપ ઘસાઈ છૂટે છે, પણ વાત એટલાથી પૂરી થતી નથી. સાસરું આખું જ ભુખાળવું થઈ ઊઠે છે. અનેક નિમિત્તે ને બહાને કૈં ને કૈં માંગવામાં આવે છે ને ક્યારેક તો દીકરીનો બાપ થાકે છે. સાસરું ત્યારે વહુને પિયર મોકલીને છૂટી કરી દે છે. દીકરી, બાપ પર બોજ ન બનવા માંગતી હોય તો આત્મહત્યા કરી લે છે અથવા દીકરાને બીજી વહુ મળી રહે એ માટે સાસરું જ વહુનો કાંટો કાઢી નાખે છે. વહુ કમાતી હોય તો સાસરું એકાએક તેને છોડવા તૈયાર નહીં થાય, કારણ તેનાં નોકરી-ધંધાથી થતી આવક ગુમાવવાની થાય, જો વહુ પોતે સાસરું છોડવા તૈયાર થાય તો તે પિયર જવાને બદલે એકલી રહેવાનું પસંદ કરશે ને યોગ્ય પાત્ર મળશે તો પરણી ય જશે. આ બધાંમાં એવું પણ બને છે કે ઘણાં કુટુંબોમાં કદી કોઈ માંગણી થતી નથી ને વરવહુ બહુ જ પ્રેમથી અને સમજદારીથી જિંદગી વિતાવે છે. એવું ઓછું હોય છે, પણ નથી હોતું એવું નથી.

જો કોઈ કુટુંબમાં વહુ માથાભારે હશે તો કૈં ન માંગ્યું હોય તો પણ સાસરું માંગ માંગ કરે છે એવું કહીને ફરિયાદ કરશે અને સાસરું સળિયા પાછળ ધકેલાય ત્યારે જ જંપશે. બનવું તો એવું જોઈએ કે ન ફાવતું હોય તો પતિ-પત્નીએ સમજીને છૂટાં થઈ જવું જોઈએ અને એકબીજાને કે એકબીજાનાં કુટુંબોને હેરાન કરવાથી બચવું જોઈએ. ઘણાં કુટુંબો ને પતિ-પત્ની એ રીતે વર્તે પણ છે, પણ અત્યારનો ટ્રેન્ડ જુદો છે. વહુ બંને બાજુથી ફસાતી હોય એવા દાખલાઓ પણ છે. સાસરું એ વાતે વહેમાતું હોય છે કે વહુને કોઈ ચડાવે છે એટલે એને પિયર કે પડોશમાં બહુ જવા દેવાતી નથી ને તે ગૂંગળામણ અનુભવતી હોય છે. કેટલાંક પિયર એવાં હોય છે પણ ખરાં જે એમ માનીને ચાલે છે કે દીકરીને સાસરામાં સુખ નથી એટલે દીકરીની મા, દીકરીનું ભલું કરવામાં ઘણું અહિત કરતી હોય છે. વહુએ સાસરામાં જ રહેવાનું હોય છે અને ત્યાં જ તે ઠરે નહીં એમ તેનું મગજ ભમાવાતું હોય છે. તેને કોઈનો ભરોસો ન કરવાનું શીખવાય છે ને સાસરું કાવતરાંખોર જ છે એવું ભણાવાતું રહે છે. એનું પરિણામ સુખદ હોતું નથી. એવું પણ બને છે કે દીકરી ઘરે બેસે છે ત્યારે આ જ પિયર તેની ભૂલ હોય તેમ તેને જવાબદાર પણ ઠેરવે છે.

ઘણાં કુટુંબો સારાં છે ને સાસરું કે પિયર યોગ્ય તે સમજ દ્વારા વહુ/દીકરીનું હિત જ ઈચ્છે છે, પણ આજની તારીખે એવું વાતાવરણ બધે નથી. હવે પતિ કે પત્ની, બંને અસહિષ્ણુ થયાં છે. પતિ-પત્ની વચ્ચે નાની મોટી વાતે ઝઘડા થતા રહે છે. આવું અગાઉ પણ થતું જ હતું, પણ હવે કોઈ, કોઈને સહન કરવા રાજી નથી. બહુ ઝડપથી હવે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આ રીતે વાતે વાતે છૂટાં થઈ જવાનું વલણ યોગ્ય નથી. એમાં નિભાવવાની વાત ઓછી જ હોય છે. ઓછામાં સંતોષ માનવાની વૃત્તિ હવે રહી નથી. એકબીજાને માટે કૈં છોડવાની કે ત્યાગ કરવાની કે ચલાવી લેવાની વાત લગભગ રહી નથી. હવે છૂટાછેડાનું કારણ સગવડો નથી મળતી એ પણ છે. પતિ ઓછી ચીજ વસ્તુઓથી જેમ તેમ છેડા ભેગા કરતો હોય, પણ પત્ની તેને તેમાં સાથ આપવા તૈયાર નથી હોતી. તેને મોજશોખ અને હરવા ફરવામાં રુચિ વધારે હોય છે. એ માંગણી નથી સંતોષાતી તો પત્ની, પતિ સાથે રહેવાનું માંડી વાળે છે. કોઇની, કોઈને માટે કશું છોડવાની વૃત્તિ રહી નથી. સમર્પણ પણ સુખ આપે છે એ વાત ભુલાઈ ચૂકી છે. આવે વખતે પિયર કે સાસરું વાતને વાળી લેતાં શિખવવાને બદલે છૂટાછેડા તરફ ધકેલવાનું નિમિત્ત બને છે. રોકવાને બદલે પ્રોત્સાહન પૂરું પડાતું હોય તો છૂટાછેડાનું પ્રમાણ વધે એમાં નવાઈ નથી.

બધાં જ કુટુંબો આમ કરે છે એવું નથી, પણ કેટલાંક કુટુંબોમાં વાત વટ પર આવી જાય છે. કોઈ પણ પ્રકારનું સમાધાન એમને ખપતું નથી. જેમાં સમાધાન થઈ શકે એવું હોય ત્યાં પણ અહમ્‌ ટકરાય છે ને વડીલો વધારે નાદાન પુરવાર થાય છે. વાત સામેવાળાને પાઠ ભણાવવા પર આવે છે. જે સંબંધીઓ હતા, તે શત્રુ બનવા પર આવી જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે પતિપત્ની વચ્ચે એવો મોટો ખટરાગ પણ ન હોય, થોડી સમજાવટથી વાત બગડતી અટકી શકે, પણ વડીલો ખુન્નસે ભરાય છે. આગલી પાછલી વાતોનો સરવાળો થાય છે ને અહમ્‌ ભડકી ઊઠે છે. એકબીજાને બતાવી આપવાની હોડ બકાય છે ને વાત છૂટાછેડા પર આવે છે. ખરેખર જ ન ફાવતું હોય ને પતિપત્ની સમજીને છૂટા પડી જાય એ ઉત્તમ સ્થિતિ છે, પણ છૂટા પડવાનું ય શાંતિથી નથી થતું. એમાં સૌથી વરવી ભૂમિકા ભજવવાની વડીલો વચ્ચે સ્પર્ધા ચાલે છે. એમ લાગે કે સામેવાળાની ગરજ વધુ છે તો છૂટા થવા બાબતે ભાવતાલ થાય છે. જેમ ગરજ વધારે તેમ માંગણી મોટી. વસૂલ કરવાની, બદલો લેવાની એક પણ તક છૂટતી નથી. જ્યાં શક્ય હોય ત્યાં માંગણી સંતોષાય પણ છે, પણ જે સોદાબાજી પર જ ઊતરી આવે છે તેને પછી કોઈ શરમ નડતી નથી. તે કમાઈ લેવા જ માંગે છે.

જો દહેજ ખોટું હોય તો આ પણ ખોટું છે, પણ બધે જ ખોટું ચાલે છે તો માબાપો પણ શું કામ રહી જાય? માબાપ બંને પક્ષે છે, એમણે જ હોંશે હોંશે સંતાનોનાં લગ્ન લીધાં હોય, આનંદથી લગ્નમાં મહાલ્યા હોય, મસ્તીથી વાનગીઓ ઝાપટી હોય, એ બધું જ છૂટાછેડા થવાની વાતે ભુલાઈ જતું હોય છે ને એવી મોટી ને ખોટી માંગણી થતી હોય છે કે સિલકમાં કોઈ એક પક્ષને પાયમાલી જ બચે. આવું ન થવું જોઈએ. ન જ થવું જોઈએ. જે કુટુંબો કે જ્ઞાતિમાં આવું થતું હોય ત્યાં એ અટકવું જોઈએ. આને લગતી કોઈ આચારસંહિતા નક્કી થવી જોઈએ જેથી કોઇની લચારીનો લાભ ઉઠાવવા જેવું ન થાય. માણસાઈ માણસમાં જ છે ને એ માણસમાં જ ન જણાય તો પશુમાં ને માણસમાં પછી ફરક જ ક્યાં રહે છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

શિક્ષણ એટલે શિક્ષણ સિવાયનું જ બધું ..,

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 June 2022

ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા આવ્યું. એમાં સુરતનું પરિણામ 87.52 ટકા આવ્યું. સુરતના A1, A2 ગ્રેડમાં પણ અનુક્રમે 643 અને 4,382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગોપી વઘાસિયા નામની રત્ન કલાકારની દીકરીએ 96.28 ટકા સાથે પ્રથમ રહી A1 ગ્રેડ મેળવ્યો છે. આ દીકરી સી.એ. બનવા ઈચ્છે છે. જેનાં માર્કસ 91-100ની રેન્જમાં છે તેને A1 અને 81-90ની રેન્જમાં છે તેને A2 ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. મતલબ કે સુરતમાં જ A1 ગ્રેડવાળા 643 વિદ્યાર્થીઓ એવા છે જેમના ઓછામાં ઓછા 91 ટકા તો આવ્યા જ છે ને એ જ રીતે A2 ગ્રેડવાળા 4,382 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 81 ટકા તો લાવ્યા જ છે. આ વખતે વિદ્યાર્થીઓ 84.67 ટકા પાસ થયા છે અને વિદ્યાર્થિનીઓ 89.23 ટકા સાથે 5 ટકા આગળ છે. પર્સન્ટાઇલ રેન્ક 99થી વધુ મેળવનાર 3,610 છે ને 98થી વધુ મેળવનાર 7,112 છે.

આ નમૂના દાખલ જ પરિણામ લીધું છે. વિદ્યાર્થીઓ હોંશિયાર છે ને ખૂબ મહેનત કરી A1 અને A2 ગ્રેડ મેળવે છે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે ને શિક્ષકો મહેનત કરાવે પણ છે ને સારી ટકાવારી મેળવે છે. 2021નું પરિણામ 100 ટકા આવ્યું તે માસ પ્રમોશનને કારણે, પણ છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછું પરિણામ 54.62 ટકા 2016માં આવ્યું. આ પરિણામ કેમ ઓછું આવ્યું તે નથી ખબર, કારણ પરીક્ષા પદ્ધતિ જ એવી છે કે પરિણામ ઉચ્ચ ટકાવારીમાં સહેલાઈથી મેળવી શકાય. સુરતમાં 38,551 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 643 વિદ્યાર્થીઓ 91થી 100 ટકા વચ્ચે માર્કસ લાવ્યા છે. એમાં પણ સૂરતની એક જ સ્કૂલના 209 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે, એટલું જ નહીં, એ જ સ્કૂલના 125 વિદ્યાર્થીઓ એવા છે જેમને જુદા જુદા વિષયમાં 100માંથી 100 માર્કસ મળ્યા છે. એ સૌને અભિનંદનો જ ઘટે છે, પણ આટલા બધા ટકા પરિણામ આપીને શિક્ષણ વિભાગ કરવા ને કહેવા શું માંગે છે તે નથી સમજાતું. આ ટકા ખરેખર જ આવ્યા છે કે અપાયા છે તે આ તબક્કે નક્કી કરવાનું મુશ્કેલ છે. મોટી ટકાવારી દેખાડવાથી, એ દેખાડાય છે કે વિદ્યાર્થીઓ ખરેખર જ પાત્રતા ધરાવે છે? આ શંકા એટલે પડે છે કે 2020ની 10માંની પરીક્ષામાં એવું પણ બન્યું છે કે 80માંથી 26 માર્કસ પાસ થવા જોઈએ ને વિદ્યાર્થીને ગણિતમાં પાસ કરવા 21 માર્કસ ગ્રેસિંગના અપાયા હોય. રિઝલ્ટ સારું આપવાનું, ઊંચું આપવાનું, વધારે આપવાનું દબાણ ન હોય તો 5 માર્કસવાળાને 21 ગ્રેસિંગના ન અપાય. ન જ અપાય, પણ અપાય છે. એ નથી ખબર કે 5 માર્કસ સાચા છે કે 100? કદાચ બંને સાચા છે અથવા તો બંને ખોટા છે.

એમ લાગે છે કે મૂળ પરિણામ એ નથી જે બતાવાય છે. જે પરિણામ આવે છે તે ઓછું હોય છે. એટલું ઓછું પરિણામ ખરેખર જાહેર થાય તો ઘણી કોલેજોને તાળાં લાગે એમ બને. કોલેજો ભરાય એટલે પરિણામની ટકાવારી વધારવી પડે છે. ગ્રેડ વધારાય તો એડ્મિશનમાં સ્પર્ધાઓ વધે ને ચોક્કસ સીટ માટેની રકમ પણ વધે. આ બધું મેનેજ થાય છે, ક્રિએટ થાય છે, આ કુદરતી નથી. એમાં કેટલુંક સાચું ને સારું પણ હશે, પણ સાચું તો એ છે કે જે દેખાડાય છે તે સાચું નથી.

આ બધું કેમ થાય છે? એનો સાદો જવાબ છે, ધંધા માટે. કોલેજો ચાલે એટલે. મોટું પરિણામ ન અપાય તો છાશવારે ખૂલતી કોલેજો ભરાય નહીં, એડમિશન માટે સ્પર્ધા ન થાય તો વાલીઓની દોડધામ ને ખર્ચ વધે નહીં. એ પણ તપાસવા જેવું છે કે જે બોર્ડમાં ફર્સ્ટ આવે છે તે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે છે? બધાં ન આવે તે ખરું, પણ કોઈ જ ન આવે એવું તો ન હોય ને ! કોઈ અપવાદ હશે, બાકી હાયર સેકંડરીમાં ફર્સ્ટ આવનારા યુનિવર્સિટીમાં ઘણા પાછળ રહી ગયાના ઢગલો દાખલાઓ છે. કહેવાનું એ છે કે હાયર સેકંડરીનાં પરિણામો અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. જે પરીક્ષકો પેપરો તપાસે છે એમાંના કેટલા ટકા 96. 28 ટકા માર્કસ પોતે લાવ્યા છે એ તપાસીએ તો અપવાદ પણ જડે એમ નથી. એમને એ સવાલ નથી થતો કે કેવી રીતે એ આટલા માર્કસ મૂકે છે? એ માર્કસ સાચા છે કે ઉપજાવેલા છે? બને કે પેપર જ એવાં સેટ થતાં હોય કે 100માંથી 100 મેળવવાનું સહેલું થઈ પડે. એવું હોય તો આ પ્રકારની પરીક્ષાનું માળખું બદલાવું જોઈએ એવું નથી લાગતું? આ પરિણામોમાંથી બુદ્ધિનું, હોંશિયારીનું સાચું માપ નીકળે છે?

સવાલ એટલે છે, કારણ, બોર્ડમાં ને આખા ય શિક્ષણ વિભાગમાં જે ઉચ્ચ સ્થાને બિરાજે છે ને નિર્ણયો લે છે તે સાહેબો કોણ છે? તેમને શિક્ષણ સાથે કોઈ સંબંધ છે કે તે શિક્ષણ સિવાયની અન્ય કોઈ લાયકાતને કારણે એ સ્થાને છે? સાચું તો એ છે કે તમામ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દાઓ પર રાજકારણીઓ બિરાજે છે ને નિર્ણયો એવી વ્યક્તિઓ જ લે છે. આવડત ન હોય ને મંત્રી થયા હોય એવું ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે. શિક્ષણ જોડે લેવાદેવા ન હોય ને સાહેબ મંત્રી થઈ ગયા હોય તો સારું અકસ્માતે જ થાય એમ બને. કરુણતા એ છે કે એવી વ્યક્તિઓ પોલિસી નક્કી કરે છે ને પરિણામો આપે છે. એમાં ભલીવાર ન હોય તે સમજી શકાય એમ છે. યુનિવર્સિટીઓમાં નીમાતા કુલપતિઓ શિક્ષણને કારણે નહીં, પણ રાજકીય વગને કારણે જે તે પદ પર ગોઠવાયા હોય એ અશક્ય નથી. ગુજરાતની જ યુનિવર્સિટીના 11 કુલપતિઓ યોગ્યતા વગરના જ ઠઠાડી દેવાયાની વાત છાપે ચડી ચૂકી છે. આ પરિસ્થિતિએ અન્ય ક્ષેત્રોને કેટલું નુકસાન પહોંચાડ્યું તે તો નથી ખબર, પણ તેણે શિક્ષણની પથારી ફેરવી નાખી છે એમાં શંકા નથી. નવી શિક્ષણ નીતિમાં ઘણું જુદું છે ને સારું પણ છે, પણ એને અમલમાં લાવનારા લોકો રેઢિયાળ હોય તો તેનાથી શિક્ષણ નીતિમાં જે કૈં સારું છે તે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં ન પહોંચે એમ બનવાનું ને એ સંજોગોમાં શિક્ષણ નીતિ સારી કે નબળી હોય તેનાથી કોઈ ફરક નથી પડતો.

યોગ્ય વ્યક્તિ યોગ્ય પદે ન હોય તો શું થાય તેનો એક દાખલો જોઈએ. અમદાવાદની એક યુનિવર્સિટીના કુલપતિએ તેનાં સ્ટાફને ચાલુ નોકરીએ ફિલ્મ જોવા મોકલ્યા. આ રીતે 300 લોકો એક સાથે ફિલ્મ જોવા ગયા. વાત આટલેથી અટકી નહીં, બીજી એક ગુજરાતી ફિલ્મ જોવા પણ સ્ટાફના 100 લોકોને એ જ કુલપતિએ મોકલ્યા. ફિલ્મમાં સ્ટાફને હજારો રૂપિયાનું કન્સેશન પણ મળ્યું. સ્ટાફ માટે કોઈ સ્પોન્સર મળી ગયો. કુલપતિનું કહેવું છે કે આ ખર્ચ યુનિવર્સિટીમાં પડ્યો નથી ને જે સ્ટાફ ફિલ્મ જોવા ગયો તેણે અડધી રજા મૂકેલી. આટલી વાત કહીને કુલપતિ એમ માને છે કે બધું બરાબર છે. તેમને કશું ખોટું થયાનું લાગતું નથી. યુનિવર્સિટીની નોકરીના સમય દરમિયાન 100 જણાં સાથે ફિલ્મ જોવા જાય એ કઇ રીતે યોગ્ય છે? ભલેને અડધી રજા મુકાઇ હોય, પણ એ કયા હેતુસર મુકાઇ છે એ કુલપતિ જાણે છે, બલકે, એમની જાણમાં આ બન્યું છે. આવી રીતે એક સાથે રજાઓ મંજૂર કરાય એ યોગ્ય છે? એ દુ:ખદ છે કે યુનિવર્સિટીનો સ્ટાફ ફિલ્મ જોવા મોકલાય છે ને તેમાં કુલપતિને કશું ખોટું નથી લાગતું ને આવું આ પહેલી વખત નથી બન્યું. અગાઉ સ્ટાફના 300 સભ્યો આ જ રીતે ફિલ્મ જોવા થિયેટરમાં મોકલાયેલા. આવા કુલપતિ શિક્ષણનું કોઈ હિત જુએ છે એવું કઇ રીતે માનવું? એવું ઘણું બધું શક્ય છે કે સાહેબ, કોઈ રાજકારણીની ગુડ બુકમાં હોય ને એમણે જ એમને કુલપતિ તરીકે ગોઠવી દીધા હોય. ઔપચારિક્તાઓ પૂરી થઈ હોય, પણ શિક્ષણશાસ્ત્રીનું તેજ શોધવું પડે તો કુલપતિ કે અન્ય અધ્યાપક વચ્ચે ઝાઝો ફરક ન રહે. યુનિવર્સિટીનો કુલપતિ કે કોલેજનો આચાર્ય, વહીવટી કુશળતા ધરાવવાની સાથોસાથ જ જ્ઞાન, શિક્ષણ અને સંચાલનનું સહજ તેજ ન ધરાવતો હોય તો કોઈને પણ ગોઠવી દો તો ફરક પડતો નથી. તો, પછી કુલપતિ અને ક્લાર્કમાં કોઈ ફરક રાખવાનો કે ચોક્કસ રાજકીય વગ, એટલી લાયકાત જ કોઈને પણ માટે પૂરતી થઈ પડે?

શિક્ષણને સરકારે બહુ હળવાશથી લીધું છે. યુનિવર્સિટી કે શિક્ષણ વિભાગ કે અન્ય ક્ષેત્રોમાં લાયકાત એટલે રાજકીય ખુશામત એમ જ સમજવાનું છે કે બીજી કોઈ પાત્રતા પણ અપેક્ષિત છે? આ સદીની સૌથી મોટી નબળાઈ, શિક્ષણ અને તબીબી ક્ષેત્રમાં ઉત્તમતાનો, ગુણવત્તાનો આગ્રહ જતો કરાયો છે તે છે. એને કારણે ઓછી પાત્રતાવાળો ને વધુ વગવાળો શિક્ષક, આચાર્ય કે અધ્યાપક જે તે ક્ષેત્રના હેડ તરીકે ખપી જાય છે. ઉત્તમ શિક્ષકો, અધ્યાપકો, કુલપતિઓ નથી એવું નથી, પણ તેમની પાસે રાજકીય વગ નથી ને તેનાં વગર પણ તેમણે સ્વમાનથી રહેવું છે. તેમને શોધીને માનભેર યોગ્ય જગ્યાએ મૂકવાનું થાય તો જે બહુ નથી જાણતા એવા રાજકીય વગવાળા માણસો તુક્કાઓથી કામ કાઢે છે તેમાં ફેર પડશે. જે પોલિસી નક્કી થશે તેમાં દીર્ઘ દૃષ્ટિ હશે ને દેખાડા ને અખાડા ચાલે છે, તેને બદલે નક્કર ને સાચાં પરિણામો મળશે. આખા શિક્ષણ વિભાગ પર નજર કરશું તો તેનું તેજ હણાઈ ગયેલું લાગશે. હવે એવાં બોર્ડનાં કે યુનિવર્સિટીનાં 100માંથી 200 ટકા પરિણામ આવે તો પણ તેનાં પર ભરોસો પડવાનું અઘરું છે. તમામ ક્ષેત્રોમાંથી વિશ્વસનીયતા વિદાય લઈ રહી છે ને અફસોસ છે તે એનો છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જૂન 2022

Loading

...102030...1,3631,3641,3651,366...1,3701,3801,390...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved