Opinion Magazine
Number of visits: 9568928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકમાં (૫) : ભાષાની હિફાજત 

સુમન શાહ|Opinion - Literature|4 September 2022

પોલી વિદ્વત્તાની વાંસળીમાંથી એક બસૂરો સૂર અવારનવાર ફૂટી નીકળે છે – ગુજરાતી ભાષા મરી રહી છે. સુજ્ઞ જનો કહે છે – ભાઈ, એવું નથી, બાબુ સુથાર તો ભાષાના આવા સ્થિત્યન્તરને સમજાવતી સિદ્ધાન્તપીઠિકા ય રજૂ કરે છે, પણ વાંસળીવાળાઓ વાત કાને નથી ધરતા.

ખરેખર તો જેને જેને માતૃભાષાની દાઝ હોય એ સૌએ પોતાના પક્ષેથી ભાષાની હિફાજત ઝટ શરૂ કરી દેવી જોઈએ. જાણ્યે-અજાણ્યે મારા બે ફેસબુક મિત્રો એ કામ કરી રહ્યા છે. એક છે, અડવો કડવો-ના નામે લખતા ભાષાવિદ અને બીજો છે મારો યુવાન મિત્ર શક્તિસિંહ.

અડવોકડવો-ભાઈ શબ્દોની આપસઆપસની સગાઈની તેમ જ શબ્દાર્થશાસ્ત્રની કોઈ શાખામાં ગામ્ભીર્યથી થતી હોય એવી કેટલીક વાતો સહજપણે ટૂંકમાં પણ મજા પડે એટલી સરળ રીતે કરે છે. અભિનન્દનીય છે.

લોકમાં જઈને શક્તિસિંહ ઉખાણાં મેળવે છે, લખીને રજૂ કરે છે, ઉકેલી આપે છે. મને એમ સમજાય છે કે તળમાં વાક્ચાતુર્યથી રંજિત કેટલું બધું ભાષાબળ પડ્યું છે. હું એને લિન્ગ્વિસ્ટિક પરફૉર્મન્સનાં સમૃદ્ધ દૃષ્ટાન્ત કહું છું. શહેરની સપાટ જીવનશૈલીમાં જીવતું કોણ કોને કેટલાં ઉખાણાં કહેતું હશે? જવાબમાં પ્રશ્ન મળશે : ઉખાણું એટલે -? મને તો એમ કે શક્તિ વાર્તાઓ વધુ લખે તો સારું કહેવાય. પણ વાર્તાસર્જન માટે ય આ એના માટે પોષક ખોરાકનું કામ કરશે.

મેં દસેક વર્ષ પર મારા એવા જ મિત્ર અતુલ રાવલની મદદમાં ‘બા-ની ભાષા, મારી ભાષા’ નામનો એક ઑનલાઈન પ્રોજેક્ટ જાહેર કરેલો. હેતુ એ હતો કે વિદેશવાસી ગુજરાતી સન્તાનોને પ્રાથમિક કક્ષાનું ભાષાજ્ઞાન આપવું, સર્જનાત્મક રીતે આપવું. સન્તાને નિયત દિવસે-સમયે ઘરના કમ્પ્યૂટર પર બેસી જવાનું અને સામે છેડેથી હું મારા શ્હૅરેથી મારા કમ્પ્યૂટર પર બેસી જે શીખવું એ એણે શીખવાનું. અતુલે ૧૨૦૦ ઇમેઇલ મોકલેલા. પણ મોટા ભાગના ઍન.આર.આઇ. થઈ ચૂકેલા ગુજરાતી માબાપોને નવરાશ નહીં મળી હોય, કે જરૂરત નહીં વરતાઈ હોય, તે ૧૨-ના પણ ઉત્તર નહીં મળેલા !

ભાષાની હિફાજત માટે એક પ્રયોગ રૂપે હું સૌને જોડણીકોશ જોવા કહું છું. જ્યારે ત્યારે ડોકિયું કરવું, ખુશ થવાશે – જેમ દિવસમાં જેટલી વાર અરીસામાં ચ્હૅરો જોઈએ એટલી વાર થવાય છે.

હું વરસો પહેલાંથી આપણી ભાષાની એક બાબત તારવી શક્યો છું. (બીજાઓ તારવી શક્યા હોય તો તેની મને ખબર નથી). એ વિશે કહેતાં આનન્દ થાય છે કે ગુજરાતી ભાષામાં મનુષ્યશરીરનાં પ્રમુખ અંગો સાથે જોડાયેલા શબ્દપ્રયોગોનો ભંડાર ભર્યો છે. દાખલા તરીકે, ‘જીભ’ સાથે જોડાયેલો આ પ્રયોગ – જીભનો કૂચો વળવો; અને આ સાધિત શબ્દરૂપ – જીભાજોડી. આ શબ્દપ્રયોગોને કહેણી, રૂઢિપ્રયોગ કે કહેવત જે કહેવું હોય એ કહો, કામચલાઉ ધૉરણે ચાલશે.

Pic courtesy : alamy

હેમન્ત દવે ‘ના મામો કરતાં કહેણો મામો સારો એ ન્યાયે’ આપણે ત્યાંના કોશોને ‘એમની પોતાની રીતે ઉપયોગી થાય એવા’ કહે છે. એવો એક છે, “સાર્થ જોડણીકોશ”. હું એમાં જોઈને કહું છું, સંખ્યા આશરે કહું છું. જુઓ —

ગુજરાતી શબ્દ ‘જીવ’. એ પોતે જ કેટલો પાલ્પેબલ છે – સ્પર્શક્ષમ. મને તો એને જોઉં કે તરત એ મને જોતો દેખાય છે ! એની સાથે જોડાયેલા ૬૦થી પણ વધુ પ્રયોગો છે.

આ પણ જુઓ — 

‘જીભ’ સાથે જોડાયેલા ૨૫થી પણ વધુ છે. 

‘છાતી’ સાથેના ૪૦થી વધુ છે.

‘હાથ’ સાથેના તો ૧૭૫થી વધુ છે. 

‘આંગળી’ સાથેના ૨૦થી વધુ છે.

‘પગ’ સાથેના ૧૨૦થી વધુ છે.

‘માથું’ સાથેના ૧૦૦થી વધુ છે. 

‘આંખ’ સાથેના ૫૦થી વધુ છે. અને વ્હાલા

‘હૃદય’ સાથેના ૫૦થી વધુ છે. 

બીજાં અંગો સાથેના પણ હશે, ખૉળ્યા નથી …

આ બધા પ્રયોગોની સદૃષ્ટાન્ત વાતો, હવે પછી ક્યારેક. 

મને ભાષાનું આ શારીર સાયુજ્ય અથવા બાયો કૉન્ફિગરેશન અપ્રતિમ લાગ્યું છે. રમૂજમાં કહી શકાય કે કદાચ એને કારણે જ ગુજરાતીઓ કાયનેટિક – વેગવન્તા કે તરવરિયા – ભમી શકતા હોય છે ! હું એને ભાષાની અનોખી લાક્ષણિકતા ગણું છું. અનોખી એટલા માટે કે કોઈપણ ભાષા જીભેથી પ્રગટે છે પણ ગુજરાતીમાં તો, જીભ છાતી હાથ પગ, ને જેના વિના શરીર કદી શોભે નહીં એ માથું, ને જેના વિના જગત દેખાય નહીં એ આંખ, ને હે ભગવાન ! જેના વિના જિવાય નહીં એ હૃદય – જેવાં પ્રમુખ અંગો સાથે જોડાયેલા, મેં ગણી બતાવ્યું તેમ, અનેક શબ્દપ્રયોગો છે, સંખ્યાબંધ છે. આ લાક્ષણિકતા વિશ્વની બીજી કોઈ ભાષાની ય હશે, પણ ન હોય તો સારું, આપણો ગર્વ અક્ષત રહે.

એ શબ્દપ્રયોગો કવિતાસાહિત્યમાં નથી ભળ્યા એટલા કથાસાહિત્યમાં ભળ્યા છે પણ પ્રજાજીવનમાંથી વીસરાતા ગયા છે. જો કે એનું રોણું ન કરાય, નૉંધ લેવાય, જેથી સાવધાન થવાય.

મારા મામાના ઘરે બાપદાદાના વારાનો ઇસ્કોતરો હતો, એ ખૂલે, એટલે એક અનોખી સુગન્ધ આવતી. પણ મારા નાના હાથ એના ઊંડાણે પ્હૉંચે નહીં તો પણ ઊંહ્હ ઊંહ્હ કરીને પ્હૉંચાડતો. સરસ કશી જૂની જીવલેણ સુન્દર વસ્તુ હાથ લાગતી, જેમ કે, રેશમી ભૂરું અબોટિયું – સસ્મિત સૂંઘ્યા કરતો …

સવાલ ભાષાના ઇસ્કોતરે હાથ ઊંડાણે પ્હૉંચાડીએ એનો છે.

(September 4, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મિખાઇલ ગોર્બાચેવઃ સુધારાવાદી નેતા જે સાબિત થયા વૈશ્વિક રાજકારણના ‘ટ્રેજેડી કિંગ’ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 September 2022

મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયટ યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા.

એંશીના દાયકામાં જન્મેલાઓ માટે મિખાઇલ ગોર્બાચેવ એક એવા રશિયન નેતા હતા જેમના માથા પર જાણે કોઇ બીજા દેશના નકશાના આકારનું નિશાન હતું. સોવિયેત યુનિયનના આખરી નેતાનું ગયા અઠવાડિયે ૩૧મી ઑગસ્ટના રોજ ૯૧ વર્ષની વયે મોત થયું. ગોર્બાચેવ એવા રશિયન રાજકીય નેતા હતા જેમણે વીસમી સદીમાં સામ્રાજ્યવાદી વલણના સામે પ્રવાહે તરવાનું નક્કી કર્યું. મિખાઇલ ગોર્બાચેવ સત્તા પર આવ્યા તે પહેલાં સોવિયેત યુનિયન એક એવો સુપર પાવર હતો જે યુ.એસ.એ.નો કાયમી શત્રુ હતો. મિખાઇલ ગોર્બાચેવે લીધેલા નિર્ણયોએ ઘણું બધું બદલી નાખ્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, સોવિયેત યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન બધા સાથી સત્તાઓ હતી. એ સમયે ખાસ તો યુ.એસ.એ.ના રોનાલ્ડ રેગન, બ્રિટનનાં માર્ગારેટ થેચર અને ગોર્બાચેવ વૈશ્વિક રાજકીય નાટ્યમંચના મુખ્ય કિરદારો હતાં. સામ્રાજ્યવાદનો સૂરજ તપતો હોય અને એક માણસ નક્કી કરે કે તેણે લોકશાહીને કોટે વળગાડવી છે કારણ કે તેને લોકશાહીમાં વિશ્વાસ છે અને એ દિશામાં આગળ વધવું જ યોગ્ય સમજે – આ માણસ એટલે મિખાઇલ ગોર્બાચેવ. સોવિયેત યુનિયનને વધુ માનવીય બનાવવાની ગોર્બાચેવની ચાહ સામે ઘણાને વાંધો હતો અને આજે પણ ઘણા રશિયનો ગોર્બાચેવથી નારાજ છે.

મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયત યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા. તેમેણે શરૂઆત કરી આર્થિક સુધારાઓ સાથે અને આ સાથે જ તેમની સાથે આજ સુધી જોડાયેલો શબ્દ અસ્તિત્વમાં આવ્યો – ગ્લાસનોસ્ટ – એટલે કે ઓપનનેસ – નિખાલસતા – વાણી સ્વાતંત્ર્ય. સરકાર અને અર્થતંત્રની કાર્યવાહીમાં પૂરેપૂરી પારદર્શિતાની અપેક્ષા સાથે ગોર્બાચેવને આશા હતી કે લોકો યુ.એસ.એસ.આર.માં પોતાની જિંદગીને ફરી વ્યવસ્થાના પાટે ચઢાવી દેશે. આ પહેલાં તેમણે પેરેસ્ત્રોઇકા – એટલે કે પુનઃ ઘડતરનો મંત્ર આપ્યો કારણ કે યુ.એસ.એસ.આર.નું અર્થશાસ્ત્ર સાવ ખાડે ગયું હતું. ગોર્બાચેવને ખબર હતી કે યુ.એસ.એસ.આરે. પોતાના અર્થતંત્રનું પુનઃ બંધારણ કરવું જરૂરી છે અને માટે જ તેમણે પેરેસ્ત્રોઇકાનો વિચાર મૂક્યો. આ પુનઃ બંધારણ કે પુનઃ ઘડતર માત્ર આર્થિક બાબતો સ્થિર કરવાના હેતુથી નહોતા લૉન્ચ કરાયા. ગોર્બાચેવને ખાતરી હતી કે સામાજિક અને રાજકીય સ્તરે પણ સંજોગો બહેતર બનશે જે માઠા અર્થતંત્રથી વણસ્યા હતા. તે મરણિયા સામ્યવાદને પુનર્જિવિત કરી ૧૫ રિપબ્લિક્સ વચ્ચે સમાન ભાગીદારી લાવવાનો ઇરાદો ધરાવતા હતા. આ ૧૫ રિપબ્લિક્સમાં સૌથી શક્તિશાળી હતા રશિયા અને યુક્રેન પણ તેમના પ્રયાસો બાદ છ વર્ષના ગાળામાં સામ્યવાદ અને સોવિયેત સંઘ બન્ને પડી ભાંગ્યા. એમણે આ ફેરફારો સોવિયેત યુનિયનને વિખેરવાના આશયથી તો શરૂ નહોતા જ કર્યા. આર્થિક સ્થિતિ સુધારવી, યુ.એસ.એ. સાથે શસ્ત્રોની રેસનો અંત આણવો, યુરોપ સાથે સંબંધો બહેતર બનાવવા, અફઘાનિસ્તાનમાથી સૈન્યનું બિન જરૂરી સાહસ પાછું ખેંચી લેવા જેવા હેતુ સાથે ગોર્બાચેવે કામ શરૂ કર્યુ.  સોવિયેત યુનિયનનો પુનઃઉદ્ધાર એક રાષ્ટ્રલક્ષી પગલું છે તેમ ગોર્બાચેવ માનતા હતા પણ આમ કરવામાં જે માથાભારે તત્ત્વો પ્રવૃત્ત થયા તે તેમને માટે કલ્પના બહાર હતા. ૧૯૧૭ની રશિયન ક્રાંતિએ જે સામ્યાવાદી તંત્રની ભેટ આપી હતી તે પડી ભાંગી.

સાત દાયકાથી જે સોવિયેત યુનિયનનો વૈશ્વિક સ્તરે ભારે દબદબો હતો. સોવિયેત યુનિયને યુરોપમાં ફાસીવાદને હરાવવામાં, યુદ્ધ પછી યુરોપમાં સ્થિરતા લાવવામાં ફાળો આપ્યો અને સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળને પણ પ્રેરણા આપી. એંશીના દાયકાના પૂર્વાર્ધમાં સોવિયેત યુનિયનનું તંત્ર કથળી ગયું હતું અને ગોર્બાચેવને રાજકીય સ્તરે પ્રવૃત્ત થયા પછી આ તંત્રને સુધારવા તેમણે કવાયત કરી પણ સંઘ વિખેરાયો તેની પાછળ પણ ગોર્બાચેવ જ કારણભૂત બન્યા.

પશ્ચિમમાં ગોર્બી તરીકે ઓળખાનારા મિખાઇલ ગોર્બાચેવને નોબલ પીસ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. સોવિયેતના સ્થાપક વ્લાદિમીર લેનિનના સિદ્ધાંતોને પુનઃજીવત કરવા માગતા ગોર્બાચેવના સારા ઇરાદાઓના પાસા પોબાર ન પડ્યા. રશિયા અને બીજા ૧૪ પૂર્વ-સંઘ સભ્ય એવા રિપબ્લિક્સ રાજકીય અસ્તવ્યસ્તતાનો ભોગ બન્યા જેમાંથી બેઠા થતા રશિયાને દાયકાનો સમય લાગ્યો. લોકશાહી રશિયાને માફક ન આવી. વ્લાદિમિર પુતિનના શાસન હેઠળ રશિયાનો રાષ્ટ્રપ્રેમ વાદમાં ફેરવાયો અને યુક્રેન સાથે જ થયું તે તો આપણે જાણીએ જ છીએ. ગોર્બાચેવની હાર આજે પશ્ચિમની જીત બની ચૂકી છે. રશિયનોને ગોર્બાચેવ પ્રત્યે ફરિયાદ જ રહી અને ફરી રાજકારણમાં પ્રવેશવાના તેમના પ્રયત્નોને કોઇ ટેકો ન મળ્યો કારણ કે સોવિયેત સંઘનું ખંડન ગોર્બાચેવનું રાજકીય મોત હતું. 

બાય ધી વેઃ

સોવિયેત યુનિયનના ભંગના ત્રણ દાયકા પછી વર્તમાન સંજોગો પર નજર કરીએ ગોર્બાચેવે જે પણ ધાર્યું હતું તેમાનું કંઇ પણ પાર નથી પડ્યું. રશિયામાં લોકશાહી ક્યારે આવી અને ક્યારે ગઇ એ ખબર પણ ન પડી. યુરોપમાં ગોર્બાચેવે સ્થાપેલી શાંતિ ફેબ્રુઆરી ૨૦૨૦માં ભડકે બળી જ્યારે રશિયાએ યુક્રેન પર ચઢાઇ કરી. ગોર્બાચેવને યુરોપ અને યુ.એસ.એ. સાથે સબંધ સુધારવા હતા પણ આજે પુતિન માટે આ બંન્ને રાષ્ટ્રો કટ્ટર દુશ્મન છે. ભારતને યુ.એસ.એસ.આર.નું ખંડન કઠ્યું હતું પણ તેને પગલે ભારતે પોતાના અર્થતંત્રને સુધારવાની ફરજ પડી, પોતાની વિદેશ નીતિનું પુનઃમૂલ્યાંકન કરવું પડ્યું અને વૈશ્વિક સ્તરે પોતાના સ્થાનને બહેતર બનાવવાની સૂઝ પડી. જો કે ૯૦ના દાયકાથી મોસ્કોની ગણતરીમાં દિલ્હી પ્રત્યેનો વ્યૂહાત્મક અભિગમ ઘટતો રહ્યો છે. સમયાંતરે ચીન સાથેની રશિયાની મૈત્રી અને પશ્ચિમ સાથે શિંગડા ભેરવવાનો અભિગમ ભારત સાથેની કડીને નબળી બનાવશે તેવી પૂરી શક્યતાઓ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 સપ્ટેમ્બર 2022

Loading

“જનતાના જસ્ટિસ”ની કથની અને કરણી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 September 2022

ભારતના 48માં મુખ્ય ન્યાયમૂર્તિ નૂતલપાટિ વેંકટરમણ 26મી તારીખે નિવૃત્ત થયા છે. તેમની વિદાયના બે દિવસ પહેલાં, રાજકીય પક્ષો દ્વારા મફત સેવા-સુવિધાઓ આપવા સંબંધી મામલાની સુનાવણી કરતી વખતે તેમણે એક ટીપ્પણી કરી હતી કે એક વ્યક્તિ જે સેવાનિવૃત્ત થઇ ગઈ છે અથવા સેવાનિવૃત્ત થઇ રહી હોય, તેનું દેશમાં કોઈ મૂલ્ય નથી. આમ તો ટીપ્પણીનો સંદર્ભ સુનાવણી વેળા એક વકીલે આ મામલામાં નિવૃત્ત જસ્ટિસ આર.એમ. લોઢા જેવી સમિતિની રચના કરવાનું સૂચન કર્યું તે હતું, પરંતુ પોતાની જ નિવૃત્તિના બે દિવસ પહેલાં તે આવું બોલ્યા તે સૂચક છે. ખાસ તો એટલા માટે કે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને પ્રભાવિત કરે તેવા અનેક નિર્ણાયક મામલાઓ તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યા હતા.

સેવાનિવૃત્તિ પછી જસ્ટિસ રમણની પોતાનું મૂલ્ય થાય છે કે નહીં તે તો ખબર નથી, પરંતુ તેમના કાર્યકાળનું મૂલ્યાંકન જરૂરથી થવાનું છે. તેમના જીવનનો 4 દાયકા જેટલો સમય ન્યાયતંત્રને આપનારા જસ્ટિસ રમણે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ઘણાં મહત્ત્વના ચુકાદાઓ આપ્યા છે, પરંતુ તેમની કથની અને કરણીમાં બહુ અંતર રહ્યું છે અને એટલા માટે તેમએ યાદ રાખવામાં આવશે.

દેશની ન્યાય વ્યવસ્થાની નિષ્ફળતાઓ અને અધૂરપો પર ગહન અને અભ્યાસપૂર્ણ લેખો માટે જાણીતા ઓનલાઈન સામયિક “આર્ટિકલ-14”નું એક વિશ્લેષણ કહે છે કે 16 મહિનાના તેમના કાર્યકાળમાં, કાનૂનના રાજ અને બંધારણની રક્ષા કરવા માટે શું કરવું જોઈએ તે માટે જસ્ટિસ રમણે 29 ભાષણો આપ્યાં હતાં, પરંતુ તેમના નાક નીચે રાષ્ટ્ર માટે મહત્ત્વના છ કેસોમાં કોઈ જ પ્રગતિ થઇ ન હતી, અને જેની બંધારણીય બેંચ સમક્ષ વ્યાપક સમીક્ષા કરવાની અવશ્યકતા હતી તેવા 53 કેસો, અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિઓની માફક જ, પડતર રાખવામાં આવ્યા હતા. સૌરવ દાસ નામના આ વિશ્લેષણના લેખકે અલગ-અલગ અરજીકર્તાઓ સાથે વાત કરીને તેમના કેસો અને જસ્ટિસ રમણના કામકાજને લઈને તેમના મત જાણવાની કોશિશ કરી હતી. “નિરાશા અને હતાશા.” એવા બે ભાવ આ વાતચીતમાં બહાર આવ્યા હતા.

“વૈધાનિક અને શાસકીય કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા કરવી એ બંધારણીય યોજનાનો અવિભાજ્ય હિસ્સો છે. હું તો ત્યાં સુધી કહીશ કે એ તો ભારતીય બંધારણનો આત્મા છે. મારા નમ્ર મતે, ન્યાયિક સમીક્ષાના અભાવમાં, બંધારણમાં લોકોનો વિશ્વાસ ઓછો થયો છે,“ એવું જસ્ટિસ રમણે એક ભાષણમાં કહ્યું હતું. તેમ છતાં, તેમણે 53 કેસોમાં ન્યાયિક સમીક્ષા કરવાનું મુનાસીબ માન્યું ન હતું. સૌરવ દાસે તેમાંથી છ મહત્ત્વના કેસ અલગ તારવ્યા છે :

– જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી (1,115 દિવસોથી પેન્ડીંગ)

– ચૂંટણી બોન્ડમાં પારદર્શિતાનો અભાવ અને સંદેહાસ્પદ રાજકીય ફંડિંગ (1,816 દિવસોથી પેન્ડીંગ)

– સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ વિધાર્થીઓના હિજાબ પહેરવા પર કર્ણાટક સરકારનો પ્રતિબંધ (159 દિવસોથી પેન્ડીંગ)

– જાતિ નહીં, પણ માત્ર આર્થિક માપદંડના આધારે આરક્ષણની કેન્દ્ર સરકારની નીતિ (1,323 દિવસોથી પેન્ડીંગ)

– વિરોધને દાબી દેવા માટે જેનો ઉપયોગ થાય છે તે અનલોફૂલ એક્ટીવીટી પ્રિવેન્શન એક્ટ (યુ.એ.પી.એ.) સામેનો કેસ (1,105 દિવસોથી પેન્ડીંગ)

– બીજા દેશોના બિન-મુસ્લિમોને ઝડપથી નાગરિકત્વ આપવા માટેનો સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ-2019 (987 દિવસોથી પેન્ડીંગ)

મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટમાં “માસ્ટર ઓફ રોસ્ટર” કહેવાય છે અને બેંચોની રચના કરવાની, તેમણે ક્યા કેસોની સુનાવણી કરવી અને ચોક્કસ કેસો ચોક્કસ બેંચોને આપવાની સત્તા તેમની હોય છે અને કેસો સુનાવણી માટે લિસ્ટિંગમાં હોય તેના માટે પણ તેમની જવાબદારી બને છે.

મહારાષ્ટ્રમાં શિવ સેનાનું જે રીતે ધોળા દિવસે અપહરણ થયું અને તેનાં બે (નકલી) ફાડિયાં થઇ ગયાં, તે પછી તે ઉદ્ધવ ઠાકરેનું જૂથ ન્યાય માગવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું, ત્યારે આ કેસ એટલો સીધોને સટ્ટ હતો કે એક જ સુનાવણીમાં તેનો ફેંસલો આવી જાય તેમ હતો, છતાં જસ્ટિસ રમણે તેને પાંચ જજોની બંધારણીય બેંચને સુપરત કરવા નિર્ણય કર્યો છે. એ બેંચની રચના ક્યારે થશે અને ક્યારે તેની સુનાવણી થશે એ તો કોઈને ખબર નથી.

ઉપરના દાખલા, તેમની “જનતાના જસ્ટિસ” તરીકેની છાપથી વિરુદ્ધ જાય છે. જાહેર સમારોહોમાંથી જસ્ટિસ રમણે જનહિતમાં ન્યાય તોળવાની કાયમ તરફદારી કરી હતી, પણ જેવા તે સુપ્રીમ કોર્ટના રૂમમાં આવતા હતા કે તેઓ વિવાદાસ્પદ મુદ્દાઓ અડવામાં સાવધાની રાખતા હતા. જેમ કે, અંગ્રેજોએ તેમની સત્તા બચાવી રાખવા માટે ઘડેલા રાજદ્રોહના કાનૂનનો દેશમાં જે બેફામ ઉપયોગ થાય છે તેને ઠેકાણે પાડવાનો અવસર આવ્યો, ત્યારે તેઓ કોઈ નક્કર પગલું ભરવાને બદલે “ચિંતા” વ્યક્ત કરીને અટકી ગયા હતા. એ વખતે પણ તેમના શબ્દો તો રૂપાળા હતા :

“આઝાદીનાં 75 વર્ષ પછી પણ આ કાનૂનની જરૂર છે?” જસ્ટિસ રમણે ધારદાર સવાલ પૂછ્યો હતો, પણ પછી તરત જ તેની ધાર બુઠ્ઠી પણ કરી નાખી હતી, “અમારી ચિંતા કાનૂનના ગેરઉપયોગને લઈને અને વહીવટદારોની જવાબદારીનો અભાવ છે.” તેમને આ કાનૂનની જરૂરિયાતને લઈને નિશ્ચિતપણે શંકા હશે, પણ એના માટે કશું કર્યું નહીં અને ખાલી “ચિંતા” જ વ્યક્ત કરી હતી.

બની શકે કે તેમનો આત્મા સાચે જ ડંખતો હશે, પણ તેમને એક કાનૂની શિસ્તમાં રહીને વર્તવાની મજબૂરી હશે. બની શકે કે તો મુખ્ય ન્યાયમૂર્તિનો ઝબ્ભો ઉતરી જશે પછી, જેમાં તે માહેર છે તેમ, સાર્વજનિક મંચ પરથી આત્માની વાતો કરશે પણ ખરા, પરંતુ દેશની જનતાને એ વાતનો અફસોસ રહેશે કે તેઓ (એક વારના ધુઆંધાર મુખ્ય ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષનની જેમ) સાહસિક ન બની શક્યા.

થોડા દિવસ પહેલાં જ, કોર્ટની રજીસ્ટ્રીએ એક વિષયને કાઢી નાખ્યો, તે મુદ્દો વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ રજૂ કર્યો, ત્યારે જસ્ટિસ રમણે કહ્યું હતું, “એવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને ચિંતા છે, પણ હોદ્દો છોડતાં પહેલાં મારે કશું કહેવું નથી, પણ હું મારા વિદાય સમારોહમાં બોલીશ. તમે ત્યાં સુધી રાહ જુઓ.”

જસ્ટિસ રમણ તેમની સામેની ટીકાઓ પ્રત્યે સભાન હોવા જોઈએ, અને એટલે જે તેમણે તેમના કામના છેલ્લા દિવસે, એક સાથે પાંચ વિવાદાસ્પદ કેસોની સુનાવણી કરી નાખી હતી. તેમાં ય જો કે કોઈ નક્કર પ્રગતિ ન થઇ અને અમુક નિર્દેશો સાથે દિવસ પૂરો થયો.

– બિલ્કીસ બાનુ કેસમાં કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જારી કરી અને 11 આરોપીઓને પણ પાર્ટી બનાવ્યા

– પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની સમિતિએ કહ્યું કે તેણે તપાસેલા 29 મોબાઈલ ફોનમાંથી માત્ર પાંચમાં જ સ્પાયવેર મળ્યું હતું, જો કે તેણે એ ખુલાસો ન કર્યો કે તે સ્પાયવેર પેગાસસનું હતું કે નહીં .. બેન્ચે નોંધ્યું કે કેન્દ્ર સરકારે આ તપાસમાં સહકાર નથી આપ્યો.

– પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પી.એમ.એલ.એ.)ના અગાઉના સુપ્રીમ કોર્ટના ફેંસલાની રિવ્યુ પિટીશન પર ઓપન કોર્ટમાં સુનાવણી થઇ. કોર્ટે કહ્યું કે ફેંસલાનો હેતુ ઉદાર છે પણ તેની અમુક બાબતો પર સમીક્ષા જરૂરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. 

– પીએમ મોદીના સુરક્ષા કવચમાં પંજાબમાં ચૂક થઇ હતી તે કેસમાં બેન્ચે કહ્યું કે એમાં પંજાબના પોલીસ અધિકારી ફરજ નિભાવામાં નિષ્ફળ નીવડ્યા છે અને સુરક્ષા મજબૂત કરવાના ઉપાયો સૂચવ્યા.

– ગોધરા તોફાનોના કેસમાં ધરપકડ કરાયેલી સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના કેસમાં જામીન અરજી પર કેન્દ્ર સરકારે જવાબ આપવા સમય માગ્યો એટલે હવે તેની સુનાવણી 30મી ઓગસ્ટે થશે.

જસ્ટિસ રમણ તેમના કાર્યકાળને કેવી રીતે જુએ છે તે તેમની નિવૃત્તિ પછીની વાતોમાં જાણવાનું રસપ્રદ રહેશે, પણ તેઓ સુપ્રીમ કોર્ટને વધુ જનતાલક્ષી બનાવીને છોડી રહ્યા છે કે કેમ તે ચર્ચાનો મુદ્દો છે. તેમની વાત પરથી એવું લાગે છે કે તેમને સમય ઓછો પડ્યો છે. એપ્રિલ મહિનામાં એક વેબિનારમાં તેમણે સંકેત આપતાં કહ્યું હતું;

“નિવૃત્ત થવા માટે 65 વર્ષ વહેલાં કહેવાય. મારામાં ઘણી સારી ઉર્જા બચી છે. હું ખેડૂતનો દીકરો છું. ખેડવા માટે જમીન છે. હું આમ તો લોકોનો માણસ છું. મને લોકો વચ્ચે રહેવાનું ગમે છે. હું આશા રાખું છું કે લોકોના હિતમાં મારી ઉર્જા વાપરી શકવાનો મને ઉચિત અવસર મળે.”

લાસ્ટ લાઈન :

“મને જો લાગશે કે બંધારણનો ગેરઉપયોગ કરવામાં આવે છે, તો સૌથી પહેલાં તો હું જ તેને સળગાવી દઈશ.”

– ડો. ભીમરાવ આંબેડકર

પ્રગટ : ‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 28 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3611,3621,3631,364...1,3701,3801,390...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved