Opinion Magazine
Number of visits: 9669887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2022

મુલાયમસિંહ યાદવને અંજલિ આપતા સમાજવાદી નેતા શરદ યાદવે કહ્યું હતું કે જો સમાજવાદી પરિવારમાં એકતા જળવાઈ હોત તો મુલાયમસિંહ યાદવ ભારતના વડા પ્રધાન બની શક્યા હોત. શરદ યાદવે તો માત્ર એક જ વાક્ય કહ્યું છે અથવા એટલું જ મારા વાંચવામાં આવ્યું છે, પરંતુ તેમની સાથે સંમત થતા મારો અભિપ્રાય તો ત્યાં સુધી છે કે મુલાયમસિંહ યાદવ પોતાની તાકાતથી સમાજવાદી પક્ષની બહુમતી સાથે વડા પ્રધાન બની શક્યા હોત. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામડામાં ગરીબ પરિવારમાં જન્મેલા મુલાયમસિંહ યાદવમાં આટલી વ્યક્તિગત તાકાત હતી અને તેનાથી પણ વધુ તાકાત સમાજવાદીઓમાં અને સમાજવાદી આંદોલનમાં હતી. બિહારમાં કર્પૂરી ઠાકુર, લાલુ પ્રસાદ યાદવ, નીતીશકુમાર અને રામવિલાસ પાસવાન અને ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ અને મધ્ય પ્રદેશમાં જન્મેલા પણ સમગ્ર ઉત્તર ભારતમાં એક ઓળખ ધરાવનારા શરદ યાદવ એમ આ છ જણમાં એટલી તાકાત હતી કે તેઓ દેશનો ઇતિહાસ બદલી શક્યા હોત. આ દરેક પોતાને રામ મનોહર લોહિયાના શિષ્ય ગણાવે છે.

પણ એવું બન્યું નહીં અને બનવાનું પણ નહોતું. 

આઝાદી પહેલાં સમાજવાદીઓ કાઁગ્રેસની અંદર કાઁગ્રેસ સમાજવાદી પક્ષ નામનો એક બ્લોક રચીને કામ કરતા હતા. આઝાદી પછી કોઈએ તેમને કહ્યું નહોતું કે તેઓ કાઁગ્રેસ છોડીને ચાલ્યા જાય. ઊલટું જવાહરલાલ નેહરુએ તો તેમને સમજાવ્યા પણ હતા કે તેઓ કાઁગ્રેસની અંદર જ રહીને પક્ષને સમાજવાદ તરફ લઈ જવા પ્રેરણા આપે અને જરૂર પડ્યે દબાવ આણે. પણ સમાજવાદીઓને એમ લાગ્યું હતું કે તેઓ કાઁગ્રેસની અંદર રહીને લોકશાહી સમાજવાદી ભારતનું તેમનું સપનું સાકાર નહીં કરી શકે. તેમને એમ પણ લાગ્યું હતું કે દેશને કાઁગ્રેસના વિકલ્પની પણ જરૂર પડશે જે સમાજવાદી પક્ષ આપી શકશે. પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષને કાઁગ્રેસને મળેલા ૪૫ ટકા મતની સામે ૧૦.૫૯% મત પણ મળ્યા હતા જે નિરાશાજનક ન કહેવાય. ડૉ. લોહિયાએ જેલ, મતપેટી અને પાવડો એમ ત્રિસૂત્રી કાર્યક્રમ આપ્યો હતો. જેલ એટલે કે લોકોના અધિકારો માટેની લડત. મતપેટી એટલે કે ચૂંટણી લડવી. મુખ્યત્વે જીતવા માટે નહીં, પણ લોકોને મુદ્દાઓથી પરિચિત કરવા માટે અને પાવડો એટલે કે લોકોની વચ્ચે રહીને લોકોનાં કલ્યાણ માટેનાં રચનાત્મક કામો.

તૈયારી સંપૂર્ણ હતી પણ ધીરજ ખૂટવા લાગી. આનું મુખ્ય કારણ એ હતું કે કાઁગ્રેસે પોતાની અંદર સોશ્યલ એન્જિનિઅરિંગ (સત્તાને અને વગને સામાજિક સીડી પર નીચલા થરના લોકોને ઉપર ચડાવવાની પ્રક્રિયા) કરવાનું શરૂ કર્યું. નેહરુ-ગાંધી પરિવારને એ પરવડે એમ હતું અને તેનાં હિતમાં પણ હતું. પરિવારની સત્તાને ઉની આંચ આવે એમ નહોતી કારણ કે પ્રજા પરિવારની સાથે હતી અને જો સ્ત્રીઓ, બહુજન સમાજ અને દલિતોની તરફેણમાં સત્તાંતરણ કરવામાં આવે તો વધુ ફાયદો થાય એમ હતું. સૌથી મોટો ફાયદો એ હતો કે પરિવાર આના દ્વારા કદાવર સવર્ણ નેતાઓને હાંસિયામાં ધકેલી શકતો હતો. ૧૯૭૦ સુધીમાં વડા પ્રધાનપદે પરિવાર હતો, પણ રાજ્યોમાં મુખ્ય પ્રધાનપદ બ્રાહ્મણોના હાથમાંથી સરકીને બહુજન સમાજના હાથમાં જતાં રહ્યાં હતાં. કોઈ મોટા પ્રતિકાર કે પરિવર્તનના દેકારા વિના. જેમના હાથમાંથી સત્તા સરકી રહી હતી એ પ્રતિકાર કરવાની સ્થિતિમાં નહોતા અને બહુજન સમાજને વગર માગ્યે લાભ મળતા હતા એટલે કોઈ દેકારા કરવાની તેમને જરૂર નહોતી પડી. એક પ્રકારની મૂંગી કણાતી હતી. પરિવાર અને તેની સત્તા હજુ પણ સલામત હતાં.

આ સ્થિતિમાં સમાજવાદીઓ સામે સવાલ ઉપસ્થિતિ થયો હતો કે જગ્યા કોની વચ્ચે બનાવવી? મુસ્લિમ વિરોધીઓ અને જૂનવાણી માનસ ધરાવનારાઓ જનસંઘ સાથે હતા. સવર્ણ મધ્યમવર્ગ કાઁગ્રેસ સાથે હતો. આર્થિક ન્યાયની બાબતે આક્રમક વલણ ધરાવનારાઓ સામ્યવાદી પક્ષ સાથે હતા. સોશ્યલ એન્જિનિઅરિંગના કારણે બહુજન સમાજ અને દલિતો કાઁગ્રેસની સાથે હતા. સમાજવાદી પક્ષમાં અને ડૉ. આંબેડકરની રિપબ્લિકન પાર્ટીમાં અનુક્રમે જેટલા બહુજન સમાજના નેતાઓ અને દલિત નેતાઓ હતા તેનાં કરતાં વધુ કાઁગ્રેસમાં હતા. કાઁગ્રેસમાં રહેવાથી બેવડો લાભ હતો. નીચલી જ્ઞાતિના હોવાનો લાભ મળતો હતો અને ઉપરથી જ્ઞાતિવાદી રાજકારણ (કાસ્ટ પોલિટીકસ) કરતા હોવાના લેબલથી બચી શકાતું હતું.

સમાજવાદીઓમાં હતાશા વધવા લાગી જેનાં બે પરિણામ આવ્યાં. એક તો તેમનો કાઁગ્રેસવિરોધ વધુને વધુ આકરો થવા લાગ્યો અને તે ત્યાં સુધી કે તેઓ પરસ્પર પણ અસહિષ્ણુ થવા લાગ્યા. બીજું, તેમનું સામાજિક ન્યાયનું રાજકારણ જગ્યા શોધવાની જદ્દોજહદમાં જ્ઞાતિકીય થવા લાગ્યું. તીવ્ર કાઁગ્રસવિરોધથી પીડાતા સમાજવાદીઓએ હિન્દુત્વવાદીઓને પણ સાથે લીધા અને તેમને મદદ કરી.

ઉપર જે પાંચ નામ ગણાવ્યા એ જ્યારે સમાજવાદી આંદોલનમાં પ્રવેશ્યા ત્યારે તેમાંના કોઈ જ્ઞાતિવાદી, પ્રદેશવાદી અને પરિવારવાદી નહોતા. તેઓ નખશીખ સમાજવાદી હતા; જેવા જયપ્રકાશ નારાયણ, અશોક મેહતા, આચાર્ય નરેન્દ્ર દેવ કે ડૉ. લોહિયા હતા. તેમનો સંઘર્ષ પણ કાબિલેદાદ હતો. સમજ પણ ખૂબ ઊંડી હતી. પણ કાઁગ્રેસમાં થયેલા અનાયાસ સોશ્યલ એન્જિનિઅરિંગને કારણે તેઓ આકરા થતા ગયા અને મધ્યમ માર્ગ છોડતા ગયા. ધીરેધીરે તેઓ પોતાનું રાજ્ય, પોતાની જ્ઞાતિ અને છેવટે પોતાનાં પરિવારમાં સીમિત થતા ગયા. સવર્ણ માધ્યમવર્ગ માટે તેમને જ્ઞાતિવાદી, પરિવારવાદી, અભણ, અસંસ્કારી ફૂહડ, બિનભરોસાપાત્ર, સત્તાભૂખ્યા વગેરે લેબલો ચોડવાનું આસાન બની ગયું. આ લેબલ હિન્દુત્વવાદીઓએ તેમને હાથે પકડાવ્યા હતા અને એ વર્ગ બી.જે.પી.નો સમર્થક બની ગયો. આ ઉપરાંત સંજોગોએ પણ અન્યાય કર્યો. આચાર્ય નરેન્દ્ર દેવ ૧૯૫૬માં અવસાન પામ્યા. એ જ અરસામાં જયપ્રકાશ નારાયણ પક્ષીય રાજકારણ છોડીને સર્વોદય આંદોલનમાં જતા રહ્યા. ૧૯૬૭માં ડૉ. રામ મનોહર લોહિયા ગુજરી ગયા અને ૧૯૬૩માં ડૉ. અશોક મહેતા તીવ્ર કાઁગ્રસવિરોધના વિરોધમાં સમાજવાદી પક્ષ છોડીને કાઁગ્રેસમાં જોડાઈ ગયા. સમાજવાદી આંદોલનની પહેલી પેઢીનો અસ્ત થયો. 

સમય અને સંજોગોનાં કારણે સમાજવાદી નેતાઓનો કાઁગ્રેસવિરોધ તીવ્ર નહોતો, અંધ હતો. તેમને બી.જે.પી.ની સાથે જવામાં પણ સંકોચ નહોતો થયો. પણ એમાં અપવાદ હતા મુલાયમસિંહ યાદવ અને લાલુ પ્રસાદ યાદવ. તેઓ સતત બી.જે.પી.ની સામે ઊભા રહ્યા. કાઁગ્રેસનો વિરોધ કર્યો, પણ બી.જે.પી.ને સાથ નહીં આપ્યો. ખુલ્લેઆમ સેક્યુલર પોઝીશન લેતા તેઓ ગભરાયા નથી. દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા, પણ સમય અને સંજોગો તેમની વિરુદ્ધ ગયા.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 ઑક્ટોબર 2022

Loading

આઝાદીનો અમૃત કાળ અને દલિત સાહિત્ય !

નટુભાઈ પરમાર|Opinion - Literature|13 October 2022

આઝાદીના અમૃત કાળનો ભાવ વ્યાપક અને સાપેક્ષ છે. સ્વયં એક અનુભૂતિ છે.

આ દેશે ૧૯૪૭માં આઝાદ થયા પછી આજ ૨૦૨૨ના ૭૫ વર્ષના કાળ – અમૃત કાળમાં આર્થિક, સામાજિક, ઔધોગિક, રાજકીય, તકનીકી, વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાહિત્યિક અને એ સૌની સાથે વૈચારિક એવા તમામ મોરચે અંકે કરેલા કીર્તિમાનોના સાક્ષ્ય થવાનો અવસર છે.

ભલે વ્યાપક જણાતો હોય કે પ્રયત્નપૂર્વક એને વ્યાપક બનાવાયો હોય, ‘આઝાદીના અમૃત કાળ’નો જો કોઈને ખરેખર એહસાસ થાય છે ને જો કોઈને માત્ર આભાસ થાય છે તો એ અર્થમાં અમૃત કાળ એક સાપેક્ષ ભાવ પણ છે !

અમૃતકાળની આ આબોહવામાં, અમૃત કાળનાં લેખાંજોખાં કરતા કંઈ કેટલા ય લોકો કાયમ એવા આકરા સવાલો ઊભા કરતા રહે છે કે, આઝાદી કાળે એક રૂપિયો એક ડોલર બરાબર હતો, ક્યાં ખોવાયો એ રૂપિયો ? ત્યારે ગાંધીપ્રેરિત આચાર અને વિચારની શુદ્ધતા ગૌરવ લઈ શકાય એ હદની હતી, ક્યાં છે આજે આવી વૈચારિકતા ? એક અણગમતો બનાવ બને તો જવાબદારી સ્વીકારી મંત્રીઓ રાજીનામું ધરી દેવામાં લેશમાત્ર ખચકાટ ન અનુભવતા, ક્યાં ચાલી ગઈ આ નૈતિકતા ? ‘અસ્પૃશ્યતા આ દેશનું કલંક છે’ એમ કહેનાર અને જીવનભર અસ્પૃશ્યોનાં કલ્યાણ માટે ઝઝૂમનાર ગાંધીની એ સલાહ કેમ વિસારે પાડી દેવાઈ ?  કેમ જાતિવાદ પ્રેરિત અત્યાચારોના આંકડા દેશમાં દિનપ્રતિદિન વધતા જ જાય છે ?  કેમ ગાંધીચિંધ્યા કોમી એખલાસને આજે લૂણો લાગ્યો છે ? કેમ ‘રાષ્ટ્રપ્રેમ’ – ‘દેશભાવના’ એ દેશ માટે મરી-મીટવાની નહીંને માત્ર દેખાડવાની – જતાવવાની – હેતુ સાધવાની વાત બનીને રહી ગઈ છે?

એ તો એ … જે સંવિધાનથી દેશને આઝાદી મળી – જેમના પ્રયાસોથી પીડિતો-વંચિતોની સાથે દેશની મહિલાઓને પણ અધિકારો મળ્યા, એના પ્રમુખ રચયિતા ડૉ. આંબેડકરને શાને આજે કોઈ એક જાતિના નેતાના કુંડાળામાં કેદ કરી દેવાયા છે?

અમૃતકાળની દેશની સર્વાંગી પ્રગતિમાં કેમ આટલું બધું છૂટી ગયું ?

આઝાદીપ્રાપ્તિ પછી અનેકાનેક ક્ષેત્રે આપણા દેશે ધોધમાર પ્રગતિ હાંસલ કરી છે એ એક સત્ય અને આ ૭૫ વર્ષે ય હજી વણઉક્લ્યા રહેલા સવાલોના એક બીજા સત્યની વચ્ચે, ‘અમૃતકાળમાં દલિત સાહિત્ય’ વિશે મારે મારા વિચારો વ્યક્ત કરવાના છે ત્યારે આઝાદીકાળથી આજ પર્યંતના ગુજરાતી દલિત સાહિત્ય પર એક નજર કરીએ.

ગાંધી – આંબેડકર – સયાજીરાવ ગાયકવાડના ઉલ્લેખ વિનાની ગુજરાતી દલિત સાહિત્યની ચર્ચા અધૂરી છે.

અંગ્રેજોના આગમન પહેલા દલિતો – અસ્પૃશ્યોની હાલત દયનીય હતી. એ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ જ હતા જેમણે ફરજિયાત શિક્ષણ દ્વારા – અસ્પૃશ્યો માટેની ખાસ શાળાઓ દ્વારા, અસ્પૃશ્યોને પણ અક્ષરજ્ઞાનના હક્કદાર બનાવ્યા હતા.

તે પછી દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો કારમો અનુભવ લઈ ગાંધી ૧૯૧૫માં ભારત આવ્યા ને અસ્પૃશ્યો(જેમને તેઓ હરિના જન ‘ હરિજન કહેતા)ની દારૂણ સમસ્યાઓને સમજવા લાંબી ભારતયાત્રા આરંભી ને કહ્યું : ‘જો હિન્દુ ધર્મ અસ્પૃશ્યતાને સમર્થન આપતો હોય તો હું એ હિન્દુ ધર્મનો પણ ત્યાગ કરીશ.’

ગાંઘીની એ અદમ્ય ઈચ્છા હતી કે, દેશને આઝાદી મળે તે પહેલા આ દેશમાંથી અસ્પૃશ્યતાનો અંત આવે.

ગાંધી અટક્યા નહીં – આજીવન પ્રવૃત્ત રહ્યા, તેમણે ‘હરિજન સેવક સંધ’ સંસ્થા ઉપરાંત ‘હરિજન’, ‘યંગ ઈન્ડિયા’, ‘નવજીવન’ સામયિકો દ્વારા અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપી.

૧૯૧૫ના ગાંધીના આગમનથી આઝાદી મળવા સુધીનો (૧૯૪૮માં ગાંધીની વિદાય સુધીનો) સમયખંડ આખો જ ગાંધીયુગથી ઓળખાયો. ૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનને સંબોધતા કોશિયો પણ સમજી શકે તેવી ભાષાનો ઉપયોગ કરવાના ગાંધીજીના અનુરોધ પછી, ગાંધીની અસર હેઠળના ગાંધીયુગીન સાહિત્યકારોના સર્જનમાં પણ અસ્પૃશ્યોની સમસ્યા વત્તેઓછે અંશે સ્થાન પામતી રહી.

ગાંધીના પ્રભાવ હેઠળ તેથી મહદઅંશે દલિતો – અસ્પૃશ્યો પ્રતિ અનુકંપા – સહાનુભૂતિ દાખવતા સર્જકોમાં ર.વ. દેસાઈ, રામનારાયણ પાઠક, મેઘાણી, સુંદરમ્, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, કરસનદાસ માણેક,  પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, દર્શક સહિત અનેક ઉલ્લેખનીય નામો મળે છે.

આ તરફ અસ્પૃશ્યોના મંદિર પ્રવેશ, પાણી પીવાના અધિકાર માટે આંદોલનો અને અસ્પૃશ્યોને સમાન અધિકાર માટે દેશ ગજવી રહેલા તેમ જ બે-બે ગોળમેજી પરિષદોમાં અસ્પૃશ્યો – દલિતોના હિત માટે બુલંદ અવાજ ઉઠાવી રહેલા, અસ્પૃશ્યોના પોતાના એવા – ઉધ્ધારક અને મસીહા ડૉ. આંબેડકરના પ્રભાવથી ગુજરાત પણ બાકાત ન રહ્યું.

વિલાયતથી ભણીને પરત આવેલા આંબેડકરે પણ ૧૯૨૦થી તેઓ ૧૯૫૬માં મહાપરિનિર્વાણ પામ્યા ત્યાં સુધી મૂકનાયક, સમતા, જનતા, બહિષ્કૃત ભારત, પ્રબુદ્ધ ભારત જેવા પાંચ-પાંચ સામયિકો દ્વારા મહારાષ્ટ્રથી આરંભેલ સમાજજાગૃતિનો પડઘો તે સમયે ગુજરાતના દલિતોમાં પડ્યો, કારણ બૃહદ્દ મુંબઈ રાજ્ય હેઠળ ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર એક રાજ્ય હતા.

ડૉ. આંબેડકરની ૧૯૨૮, ૧૯૩૧, ૧૯૩૮, ૧૯૪૧, ૧૯૪૫માં અમદાવાદની, ૧૯૩૯માં રાજકોટની ૧૯૪૩માં સુરતની મુલાકાતોને કારણે ગુજરાતનો દલિત સમાજ પણ  ડૉ. આંબેડકર અને તેમના જીવનકાર્યોથી વાકેફ હતો – પ્રભાવિત હતો. આમ તે સમયે ભલે ‘દલિત સાહિત્ય’ એવી કોઈ સંજ્ઞા કે વિભાવના અસ્તિત્વ ન ધરાવતી હોય તો પણ અસ્પૃશ્યો-દલિતોની વેદનાને વાચા આપતું સાહિત્ય રચાતું તો હતું જ. એના પ્રમાણો મળે છે.

જેમની સાથે ગુજરાતનો દલિત – અસ્પૃશ્ય સમાજ પણ હ્રદયની ભાવનાથી જોડાયેલો તે ડૉ. આંબેડકરની ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજની ચિર વિદાયથી ભારતભરનો ને એમ ગુજરાતનો વંચિત-દલિત સમાજ પણ શોકગ્રસ્ત બનેલો. ભલે સાહિત્ય  કે સાહિત્યની કલાવિદ્યાનું એને જ્ઞાન નથી તો પણ એના  હ્રદયનો આર્તનાદ – એની ઉર્મિઓનો ઉછાળ ચાલીઓ, સોસાયટીઓની દિવાલો પર શબ્દો રૂપે, ઠેર ઠેર ભરાતી શોકસભાઓમાં કરુણગાનરૂપે અને પત્રિકાઓ / ચોપાનિયાઓમાં કાવ્યાંજલિરૂપે પ્રગટ થયેલો. આવી શ્રદ્ધાંજલીઓને બહુ જહેમત લઈને દલિત આગેવાન ડૉ. રમેશચંન્દ્ર પરમારે ૧૯૭૮માં ‘અંજલિ’ નામે એક ગ્રંથ સંપાદિત કર્યો. ડૉ. પરમારે ૧૯૭૫માં ‘પેન્થર’ નામક સામયિક શરૂ કર્યું તેને ગુજરાતી દલિત સાહિત્યના કેટલાક અભ્યાસુઓ ગુજરાતી દલિત સાહિત્યનું આરંભ બિન્દુ ઞણે છે. જ્યારે કેટલાક ‘નવયુવક’ (૧૯૩૦-અમદાવાદ ), ‘દલિત ઉન્નતિ’ ,’સુધારક’, ‘વિજય’ (તમામ ૧૯૩૧-અમદાવાદ) જેવા અસંખ્ય દલિત સામયિકો જે આઝાદી પહેલા શરૂ થયેલા અને આઝાદી પ્રાપ્તિ પછી પણ ચાલેલાં ને બીજાં નવાં શરૂ થયેલાં પત્રો-સામયિકોમાં સમયેસમયે પ્રસિદ્ધ થયેલાં લખાણોને દલિત સાહિત્યના આરંભની ઘડી ગણે છે. તેઓ છેક ૧૯૨૯માં રચાયેલી મનોર ગાંગેરા નામક અસ્પૃશ્ય યુવકે રચેલી આ પંક્તિઓ સાધનિક પુરાવારૂપે રજૂ કરે છે : 

‘હડધૂત થઈ હળવો પડ્યો, જીવન પશુના તુલ્ય છે  

અવતાર લીધો હિન્દમાં, એ શું અમારી ભૂલ છે?’

ગાંધી શ્રમ સંસ્થાન પ્રકાશિત ‘પ્રબુદ્ધ’  ગ્રંથમાં દલિત સર્જક હરીશ મંગલમ્‌નો એવો મત છે કે, જેની પ્રસ્તાવના ૧૯૧૮માં ખુદ ગાંધીજીએ લખી હતી એ અમૃત પઢિયારના પુસ્તક ‘અંત્યજ સ્તોત્ર’માં અસ્પૃશ્યોની ચિંતા કરતા  વ્યક્ત થયેલા ગાંધીજી અને તંત્રીના – બેયના  વિચારો ગુજરાતી દલિત સાહિત્યની શરૂઆત હતી.

ઘણાં અભ્યાસુઓના મતે ૧૯૭૮ની ૧૪મી એપ્રિલ – ડૉ. આંબેડકરના જન્મદિને શરૂ થયેલા ‘આક્રોશ’ પત્ર દલિત સાહિત્યની સ્પષ્ટ સંજ્ઞા સાથે આ સાહિત્યનો આરંભ થાય છે. આ સામયિકમાં ડૉ. રમેશચંન્દ્ર પરમાર, નીરવ પટેલ, દલપત ચૌહાણ, હરીશ મંગલમ્, પ્રવીણ ગઢવી સૌ પ્રતિબદ્ધતાપૂર્વક જોડાય છે. ૧ ડિસેમ્બર ૧૯૭૯એ દલપત ચૌહાણ ‘કાળો સૂરજ’ દલિત કવિતા સામયિક સાથે તો ૧૯૮૧માં ગણપત પરમાર – મનીષી જાની ૬૩ કવિઓની ૧૭૨ કવિતાઓ સાથેના ‘દલિત કવિતા’ સંગ્રહ સાથે અને બાલકૃષ્ણ આનંદ-ચંદુ મહેરિયા ૧૯૮૪માં ૧૪ કવિઓની ૬૪ રચનાઓ સાથેના ‘વિસ્ફોટ’ કાવ્યસંગ્રહ લઈ આવે છે. ૧૯૮૪માં ઈન્દુકુમાર જાનીના સામયિક ‘નયામાર્ગ’માં પ્રસિદ્ધ થયેલ માત્ર દલિત કવિતાઓનો સંપાદિત સંગ્રહ ‘અસ્મિતા’ લઈને ચંદુ મહેરિયા આવે છે. ગુજરાતી દલિત સાહિત્યના પાલન અને પોષણમાં ‘નયા માર્ગ’ અને તેના તંત્રી ઈન્દુકુમાર જાનીનું અવિસ્મરણીય પ્રદાન છે.

આઝાદી પછી ડૉ. આંબેડકરના ત્રિસૂત્રને અનુસરીને દલિત વર્ગ શિક્ષિત તો થઈ  રહ્યો હતો, દેશના પોતાના  કાયદાના શાસનથી એને થોડીઘણી રાહત પણ મળી રહી હતી કિન્તુ જાતિપ્રેરિત અત્યાચાર – અપમાનની તેની પીડા સાવ નેસ્તનાબૂદ થયેલી નહોતી. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં એને એનો રોજેરોજ અનુભવ થતો. ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી આંદોલનોએ – દલિત વર્ગ પ્રત્યેના વ્યાપક વિરોધે તો દલિત વર્ગનો ભ્રમ ભાગી નાખ્યો ને ત્યારે જ આ વર્ગના કેટલાક શિક્ષિતોએ પૂરી સમજ સાથે – પોતાનું આગવું સાહિત્ય રચવાના ધ્યેય સાથે – કહો કે ‘દલિત સાહિત્ય’ની સ્પષ્ટ સંજ્ઞા સાથે કલમ હાથમાં લીધી.

આ કલમોએ અન્યાય સામે પ્રતિકાર – વિદ્રોહનો સ્વર બુલંદ બનાવ્યો. એ આઠમા દાયકામાં અને તે પછી, સામાજિક નિસબત અને પ્રતિબદ્ધતા સાથેની કલમોનો દલિત સાહિત્યમાં જાણે ધોધ વહી આવ્યો અને તેમાંથી આજના ગુજરાતી દલિત સાહિત્યનો પિંડ બંધાયો.

કવિતાથી આરંભાયેલ ગુજરાતી દલિત સાહિત્યની આ યાત્રા આજે વાર્તા, નવલકથા, રેખાચિત્રો, નાટક, વિવેચન, આત્મચરિત્ર, સામાજિક લેખન જેવી સાહિત્યની તમામ વિધાઓમાં એનું કૌવત પુરવાર કરીને, એક નોંધપાત્ર સાહિત્ય ધારા રૂપે નીપજી આવી છે.

અસ્પૃશ્યતા, જાતિવાદ આધારિત અન્યાય – અપમાન, અસમાનતા, ઠોકી બેસાડાયેલ કુપ્રથાઓ, સમાજની ડરપોકતા, ડગલે ને પગલે થતાં સ્વમાન ભંગ, અમાનવીય વર્તાવ અને જીવાતા જીવનમાં વેઠવી પડતી હાડમારીઓનાં વર્ણન – નિરૂપણ સાથે, એમાંથી મુક્તિનો માર્ગ શોધવાના એક માત્ર ધ્યેય સાથે આ દલિત કલમો કટીબદ્ધ થઈ. આ કલમોએ ગુજરાતી દલિત સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવ્યું.

દલિત કલમો ઉતરોત્તર આમ જોડાતી જ ગઈ ને ત્યાં ગુજરાતી દલિત સાહિત્યની સૌ પ્રથમ એવી નવલકથા ‘આંગળિયાત’ (૧૯૮૬ – જે ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા બની) લઈને સમર્થ સર્જક જોસેફ મેકવાન આવ્યા તેમણે ગુજરાતી દલિત સાહિત્યના પ્રવાહને ન માત્ર વેગવાન બનાવ્યો એને ગરિમા ને ગૌરવ પણ અપાવ્યાં. એ જ પરંપરામાં વધુ એક ગુજરાતી સર્જક  મોહન પરમારને પણ ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો.

ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને રાજ્યની પ્રમુખ સાહિત્ય સંસ્થાઓ દ્વારા અપાતા સન્માનો-પુરસ્કારોમાં ગુજરાતીદલિત સાહિત્યની અનેક કૃતિઓને સ્થાન મળ્યું છે – મળતું રહ્યું છે.

આજે ગુજરાતમાં વિપુલ માત્રામાં દલિત સાહિત્ય સર્જન થઈ રહ્યું છે. દલિત સાહિત્યની અનેક કૃતિઓ (મુંબઈ યુનિવર્સિટી સહિત) ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. બી. કેસરશિવમ્ સહિતના કેટલાક ગુજરાતી દલિત સર્જકોની કૃતિઓ દેશ બહારની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. અનેક છાત્રો-છાત્રાઓ દલિત સાહિત્ય પર પીએચ.ડી. કરી ચૂક્યા છે – કરી રહ્યા છે.  એમાં ય નીવડેલા ગુજરાતી દલિત સર્જકો પર શોધપત્રો લખનાર – પીએચ.ડી. કરનાર છાત્રોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ગુજરાતી દલિત સાહિત્યના હરીશ મંગલમ્, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, બી. કેસરશિવમ્ સહિતના અનેક સર્જકોનાં પુસ્તકો દેશની એકથી વધુ ભાષાઓમાં અનુવાદિત થયા છે. દલિત સાહિત્ય અનુવાદ ક્ષેત્રે ડો. મનસુખ ગાયજન (ભાવનગર) એક સન્માનિત નામ છે. ‘દિશા’ તંત્રી મૂળજીભાઈ ખુમાણે પણ ૨૫ જેટલી મરાઠી દલિત કૃતિઓને ગુજરાતીમાં અનુવાદ કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.

ગુજરાતી દલિત સાહિત્ય પર યોજાતી ચર્ચાઓ-ગોષ્ટિઓમાં ભારતભરના અગ્રીમ સર્જકો જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે યોજાતા સેમિનારો સમારોહોમાં ગુજરાતી દલિત સાહિત્ય ચર્ચામાં હોય છે. ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં સરકાર દ્વારા ‘આંબેડકર ચેર’ની સ્થાપનાને કારણે આવા વિચારમંથનમાં ગતિ આવી છે.

ચંદ્રાબહેન શ્રીમાળી, પ્રિયંકા કલ્પિત ઉપરાંત ‘શોષ’, ‘સિદ્ધાર્થ’ જેવી પુરસ્કૃત નવલકથાઓ આપનારાં દક્ષા દામોદરા (ભાવનગર) અગ્રીમ ગુજરાતી મહિલા દલિત કલમો છે. તો દલિત વિવેચન ક્ષેત્રે સૌરાષ્ટ્રના ડૉ. પથિક પરમાર – ડૉ. કેસર મકવાણા વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતી સાહિત્યના અભ્યાસુ સમીક્ષકો તરીકેની ખ્યાતિ ધરાવે છે. જૂની દલિત પેઢીમાં દલિત સર્જકો-સમીક્ષક ભી.ન. વણકરે ચારેક સમીક્ષાગ્રંથો આપ્યા છે.

દલિત સાહિત્યની નવી પેઢીના ઉમેશ સોલંકી, બ્રહ્મ ચમાર, અપૂર્વ અમીન, મયૂર વાઢેર, કુસુમ ડાભી, કૌશિક (શરૂઆત) જેવાં અનેક તરવરિયા આ સાહિત્યમાં નવા ને નોખા અંદાજ સાથે સાહિત્ય સર્જન કરી રહ્યાં છે.

શરૂઆતના ઈન્કાર – નકાર પછી આજે સ્વિકૃત થયેલા ગુજરાતી દલિત સાહિત્યને મુખ્ય પ્રવાહના સર્જકોએ પણ ઉમળકાથી આવકાર્યું છે. પ્રસિદ્ધ સર્જક વિષ્ણુ પંડ્યાએ ‘ચાંદની’ના તંત્રી હતા ત્યારે ૧૯૮૭માં અને ‘તાદર્થ્ય’ તંત્રી મફત ઓઝાએ ૧૯૮૮માં ગુજરાતી દલિત સાહિત્ય પર વિશેષ અંકો પ્રસિદ્ધ કર્યા. ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામાત્ર હર્ષદ ત્રિવેદીએ પણ ‘શબ્દસૃષ્ટિ’નો દળદાર દલિત સાહિત્ય વિશેષાંક ૨૦૧૦માં પ્રસિદ્ધ કર્યો. ‘वि’ (વિદ્યાનગર’ સામયિકે પણ ‘દલિત વાર્તા વિશેષાંક’ પ્રસિદ્ધ કર્યો હતો.

અન્ય સાહિત્ય સંસ્થાઓએ પણ આવા વિશેષાંકો આપ્યા તો દલિત સાહિત્યના પોતાના એકાધિક સામયિકો પણ દલિત સાહિત્ય સેવામાં પ્રવૃત્ત છે. ‘સમાજમિત્ર’, ‘હયાતી’, ‘દલિત અધિકાર’, ‘દલિત ચેતના’, ‘દિશા’ના  દલિત સાહિત્ય પરના વિશેષાંકો આજે  અભ્યાસુઓ માટે સંદર્ભગ્રંથો બની રહ્યા છે.

અહીં તેની સાતત્યપૂર્ણ સાહિત્ય સેવાના ૨૫ વર્ષ પૂર્ણ કરી આ માસે જ રજત મહોત્સવ મનાવી રહેલી ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી અને તેનું મુખપત્ર ‘હયાતી’ વિશેષ ઉલ્લેખનીય છે. ૨૫ વર્ષના ગાળામાં દલિત સાહિત્યના ૧૨૫ પુસ્તકો પ્રકાશિત કરીને આ અકાદમીએ દલિત સાહિત્યની ગણનાપાત્ર સેવા કરી છે.

સર્જક મોહન પરમારના વડપણ હેઠળના ‘ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ અને આ સંસ્થાએ લાંબો સમય ચલાવેલા સામયિક ‘દલિત ચેતના’એ પણ દલિત સાહિત્યના વાહક બનવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.

૧૯૩૦માં શરૂ થયેલા દલિત પત્ર ‘નવયુવક’થી માંડી આજે ગુજરાતમાં પ્રકાશિત થઈ રહેલાં ‘દિશા’ – ‘અનુસૂચિત જાતિ સૌરભ’ જેવાં અનેક  દલિત સામયિકો પણ આ જવાબદારી નિભાવી રહ્યાં છે.

સમાપનમાં એ જ કહી શકાય કે ‘હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે’ ગાનાર ભક્તકવિ નરસિંહ મહેતામાં માનવ માત્રના સ્વીકારનો પહેલો સૂર સંભળાય છે. બીજી તરફ દેશની આઝાદીની ચળવળ સાથે જ દેશના દલિતોની સામાજિક આઝાદીની ચળવળ સમાંતરે ચાલતી હતી. આ જ મુદ્દે ગાંધી-આંબેડકર વિવાદ થયો. પુના કરાર થયો ને દલિતોને અનામત સાથે તેનું સમાધાન થયું. આ પ્રસંગ અને તેને અનુસંગે બનતી રહેલી ઘટનાઓ – હવે આટલાં વર્ષો પછી દેખાવા લાગેલા પરિણામો બહુધા દલિત સાહિત્યના વિષય બનતા રહ્યા છે !

આજે વિપુલ માત્રામાં દલિત સાહિત્ય લખાય છે ત્યારે તેની પાસે કલાસૌંદર્યની અપેક્ષાઓ પણ ઊભી થઈ છે ! આથી કેટલાક દલિત સર્જકોએ ડરી જઇને પ્રતિબદ્ધતાના ભોગે કલાના રાહે જવાનું પસંદ કર્યું છે !

આઝાદીના આ અમૃત કાળમાં  ગુજરાતી દલિત સાહિત્ય માટેના છેલ્લા સારા સમાચાર એ સાંભળવા મળ્યા છે કે, ગુજરાતી દલિત સર્જકોને રાજ્ય સરકાર સ્તરે સન્માનવાના, કોરોના વગેરે કારણે બે- ત્રણ વર્ષથી સ્થગિત રહેલા કાર્યક્રમો હવે ચૂંટણી પહેલા કદાચ યોજાઈ શકે તેમ છે !

(ગાંધીનગર)
e.mail : natubhaip56@gmail.com
પ્રગટ : દૈનિક “ફૂલછાબ”ની જન્મદિવસ વિશેષ પૂર્તિ; રવિવાર, 02 ઑક્ટોબર 2022; પૃ. 32

Loading

‘સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઇન્ડિયા’નાં પચાસ વરસની યાત્રા

સિતાંશુ યશશ્ચન્દ્ર|Opinion - Opinion|12 October 2022

એ બાળકો–યુવાનોને સલામ, એ સંસ્થાને પ્રણામ,એ કાર્યકર્તાઓને વંદન

સંતાનના જન્મને જ દિવસે કે પછીના અઠવાડિયામાં માતા પિતાને નિષ્ણાત ડોક્ટર પાસે જાણવા મળે કે આ બાળકને જન્મજાત પૅરેલિસિસ છે, અને એનો કોઈ ઇલાજ નથી કેમ કે એના બ્રેઇનમાં ઇજા પહોંચી છે, ત્યારે એ બે જુવાન જણનાં મનમાં જે સ્તબ્ધતા આવે એ કોઈ ટોર્નેડો કે ચક્રવાતની વચ્ચોવચ છવાયેલી સ્તબ્ધતા જેવી હોય છે. પછી ધીરે ધીરે એ નરી ખામોશીની આસપાસ ચોતરફ ઘૂઘવતા વંટોળના અવાજો અને તોફાનોનો અનુભવ થાય. નવા જન્મેલા બાળકને થયેલો પેલો પક્ષાઘાત જાણે એક ગુનો હોય, કલંક હોય એમ આસપાસના ઘણા લોકો બાળકને અને માબાપને દયાપાત્ર કે વિચિત્ર ગણી જાણેઅજાણે પરેશાન કરી બેસે છે. માણસને થાય કે વેઠી ન શકાય એવું બેમાંથી કયું? ભીતરનો પેલો સન્નાટો કે બહારનું આ કમઠાણ? – એ પળે એક અજાણી તાકાત આપણી અંદરથી જાગી ઊઠે અને ડૂબાડવા માગતા દરિયાની આરપાર આપણા જહાજની સફર શરૂ થાય. અનેક દિવ્યાંગ બાળકોની, એમનાં અનેક અનામી માબાપોની સાહસ સફર. એનો એક અહેવાલ આપ સહુની સામે રજૂ કરું છું.

જન્મીને રડી ન શકેલાં પેલાં બાળકોની અને એનાં મા-બાપોની પેલી ખામોશી, સ્તબ્ધતા – એનો કોઈ ઉપાય નથી. પણ, પછીનાં વસસોમાં એ બાળકની આસપાસ ફરી વળતા પેલા વંટોળિયાનાં ઉધમાત (‘તે, હેં અંજનીબેન, આ તમારી બેબી બોલી સકતી નથી?’ કે ‘હેં સીતાનસુભૈ, આપડે જે વાતો કરીએ એ આ વિપાસા સમજી સકે?’) – વાળા વંટોળિયા આડે, ઉછરતા બાળકની પડખે અડીખમ ઊભું રહે — એવું કોણ? મા-બાપ તો ખરાં જ, બીજું કુટુંબ (હજી ભારતમાં દાદી-નાની-માશી-ફોઈ-ભાઈભાભી-બહેનબનેવી વગેરે શબ્દો અને સત્યો આપણી ભાષા અને ભાવનામાંથી ભૂસાઈ નથી ગયાં, ત્યાં સુધી ટકી રહેલું એ મોટું કુટુંબ.) એ બે.

 ત્રીજું યે એક છે, હવે પચાસ વરસોથી, આપણા દેશમાં, આપણા મુંબઈમાં! નામે ‘સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઇન્ડિયા’ અથવા ‘ઍડેપ્ટ’!

એ ‘સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઇન્ડિયા’-નાં પચાસ વરસોનાં કામને બિરદાવવા પૂર્વ ‘ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા’ જસ્ટિસ ચન્દ્રચૂડની નિશ્રામાં, મુંબઈના એન.સી.પી.એ. સભાગારમાં ‘એબલ, ડિસેબલ્ડ ઓલ પીપલ ટુગૅધર’ એક મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

અવસર આપણાં દિવ્યાંગ બાળકો અને યુવાનોને બિરદાવવાનો જ નહોતો. એ હિંમતવાળાં, આશાભર્યાં, વ્હીલ ચેરમાં બેસીને પણ અણનમપણે એક ઊજળા ભવિષ્ય તરફ આગેકૂચ કરતાં એ સહુની સાથે સાત પગલાં એમના ઉબડખાબડ રસ્તામાં ચાલવાનો અવસર હતો.

‘ઍડેપ્ટ’ એટલે શું?

‘એબલ, ડિસેબલ્ડ, ઑલ પીપલ ટુગેધર’ એટલે એડેપ્ટ. એનો તરજૂમો કરવા કરતાં કહું કે દોસ્તો, એક નાનકડી ફિલ્મ જોજો! શ્યામ બેનેગલની નમૂનેદાર ફિલ્મ, ‘ઍડેપ્ટ – અ વિઝન’! યૂ ટ્યૂબ પર છે. માત્ર 14 મિનિટમાં એ અનોખા ફિલ્મકાર આ સંસ્થા ‘ઍડેપ્ટ’ની અને એનાં જીવંત હૃદય જેવાં સ્થાપક  ડૉ. મીઠુ આલૂરની વાત નોખી છટાથી કરે છે.

કોણ છે ડો. આલુર?

ડૉ. મીઠુ આલુર એ સંસ્થાના માત્ર સ્થાપક નથી, એ પણ ‘સ્પાસ્ટિક પૅરન્ટ’ છે, સેરેબ્રલ પાલ્સી સાથે જન્મેલી, હવે તો એક તેજસ્વી લેખિકા માલિનીનાં એ વત્સલ અને કર્મઠ જનેતા છે. આજથી પચાસ વરસો પહેલાં, 1972માં એમણે પોતાની દીકરી અને બીજાં બે ‘સેરેબ્રલ પાલ્સી’વાળાં બાળકો સાથે એક નાનકડું થેરપી સેન્ટર શરૂ કર્યું હતું. એ બીજ આજે દેશમાં અને વિદેશોમાં વિખ્યાત એવી આ ‘સ્પાસ્ટિક સોસાયટી’ ‘ઍડેપ્ટ’માં ઊગી નીકળ્યું છે.    

‘ડિસેબલ્ડ’ શબ્દ આવ્યો એ અગાઉ તો એ કપરા વાસ્તવ માટે કેવા અપશબ્દો વપરાતા, એની યાદે ગુજરાતી ભાષાના મોં પર શરમનાં શેરડા પડે! વિકલાંગની જગ્યાએ પછી દિવ્યાંગ શબ્દ આવ્યો. એ ગુર્જર ગિરાના અધર પર આનંદનું સ્મિત લાવે! જો કે એમાં થોડોક મહેરબાનીનો ભાવ જણાય તો ‘અક્ષમિત’ એવો શબ્દ વિચારી શકાય. ‘અક્ષમિત’? એ વળી શું?!

વિચારીએ, સહુ સાથે મળીને. બાળક જન્મથી કે પછી કોઈ કારણે હરફર કરવાની, બોલવાની, ક્યારેક અભ્યાસ કરવાની (‘તારે જમીન પર’) ક્ષમતા ગુમાવે તે પછી શું થાય? સાવ સાદા (અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ) કાં તો અવગણના અથવા સતામણી. એ ટાઢી ક્રૂરતા કે એ નરી ઉદાસીનતા એ બાળકને ખરા અર્થમાં અપંગ બનાવે છે, અક્ષમ બનાવે છે. એટલે એ ‘અપંગ’ નથી, ‘વિકલાંગ’ નથી, ‘દિવ્યાંગ’ શેનું? એ તો ‘અક્ષમિત’ છે. તેમને હૂંફ અને સાચી કાળજી મળે તો એ બાળક ‘સક્ષમ’ બને, એ શાણા સમાજનું એ ૠણ ચુકવવા માટે એ બાળક મોટું થતાં કામયાબ બને. હેલન કેલર યાદ આવે? એવી અનેક હેલન કેલર, એવા અનેક ફ્રેન્ક્લિન રૂઝ્વેલ્ટો આપણા ભારતમાં ઊછરે એ માટે લોકો પચાસ વરસોથી અવિરત કાર્ય કરે છે.

અહીં શું કાર્યો થાય છે?

એવી ડૉ. આલૂરની એ સેવાસેનાને જોવી હોય, એ નિષ્ણાત થેરપિસ્ટો, અપાર ધીરજવાળી ટીચર્સ, એ ખંતીલાં રીસર્ચ સ્કોલરો, કે રોવે ચડેલી કોઈ ત્રણ ચાર વરસની મુંબઈગરી હેલન કેલરને ભોંયેથી ઊંચકી, સાફ કરીને થાબડતી સાદીસીધી બાઈઓ, એ સહુને કામે વળગેલાં જોવાં તો આવો. ઍડેપ્ટના કોલાબા, વાંદરા (લીલાવતી હોસ્પિટલ સામે), ચેમ્બુર કે ધારાવી(હા, ધારાવી)-નાં કેંદ્રોમાં ક્યારેક જજો. કોલાબા, બાંદ્રા, ચેમ્બૂરનાં કેંદ્રોમાં થેરપી, સ્કૂલ, પુસ્તકાલય, વર્કશોપ વગેરે ચાલુ હોય ત્યારે જજો, તો પોતપોતાની વ્હીલચેરોમાં ઘૂમી ધિંગામસ્તી કરતાં, કિલબિલાટ કરતાં બાળકોને જોઈને દંગ થઈ જશો, ટેબલ ટોપ કમ્પ્યુટરો સામે હારબંધ વ્હીલચેરોમાં બેસી ડેટા એન્ટ્રી શીખતાં કિશોર-કિશોરીઓ દેખાશે. વર્કશોપમાં વિકલાંગ વ્યક્તિ પણ જે શીખીને ખપપૂરતું કમાઈ શકે એવા કોઈ હુન્નર શીખતાં દિવ્યાંગ કિશોર-કિશોરીઓ દેખાશે.

‘ઍડેપ્ટ’ના સ્પેશ્યલ એડ્યુકેશન વિભાગમાં તો બી.એડ, કે એડ્વાન્સ ડિપ્લોમા કરતાં ભારતીય જ નહીં, બાંગ્લાદેશ, ભૂતાન, કમ્બોડિયા, ચીન, ઇરાક, જોર્ડન, માલદીવ, મોન્ગોલિયા, તાજિકિસ્તાન, ટોન્ગા અને વિયેટનામ (યાદી મેં ટૂંકાવેલી છે!) ક્યાં ક્યાંથી નવજુવાન ભાઈબહેનો પણ ક્યારેક દેખાશે. સીઇન્ગ ઇઝ બિલિવિન્ગ. અને હા, જો ત્યાં ન જઈ શકાયું તો શ્યામ બેનેગલની ફિલ્મ ‘ધ લવ વી ગિવ ફોર નથિન્ગ’-માં ‘ઍડેપ્ટ’ની કમાલની કહાણી કે સોનાલી બોઝની ફિલ્મ ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’માં માલિની છિબની કમાલની જિંદગી જોજો અથવા વિપાશાની કોઈ ગુજરાતી કવિતા વાંચજો!

 * * ** * *

સૌજન્ય : ‘સામાજિક સુવાસ’, “કેપિટલ વર્લ્ડ”, 10 ઑક્ટોબર 2022; પૃ. 14

Loading

...102030...1,3611,3621,3631,364...1,3701,3801,390...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved