તરસ્યાંને પાણી પાશો?
મુંબઈની તરસ છીપાવવાના નુસ્ખા
સોડા વોટર પીવાથી સાજાસારા રહેવાય?
ખાણીપીણી. સાધારણ રીતે સાથે વપરાતા બે શબ્દો. એવી જ રીતે ખાધેપીધે સુખી. ખાધુંપીધું ને રાજ કર્યું. ઘણાં વરસ પહેલાં ભજવાયેલા એક નાટકનું નામ હતું ‘ખાધુંપીધું તારાજ કર્યું.’ ઈરાની હોટેલના વેટરો ઘણી વાર ગલ્લે બેઠેલાને બૂમ પાડી કહેતા : ‘ખાયાપિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારહ આને.’ જેનાથી કોઈનું પેટ ભરાતું નથી એવી કેટલીક શારીરિક ક્રિયાઓ પણ પીવાતી નથી, ખવાય છે : છીંક ખાધી, ઉધરસ ખાધી, બગાસું ખાધું. અરે, કોઈને ખાવી ન ગમે, છતાં ઠોકર પણ ખાવી પડે છે અને માર પણ ખાવો પડે છે.
ક્યાં સુધી અકરાંતિયાની જેમ ખાવાની વાતો કર્યા કરશો એમ સુજાણ વાચકો પૂછે એ પહેલાં પાટો બદલીએ. ખાણીની નહિ, થોડી વાતો પીણીની કરીએ! સૌથી વધુ પોપ્યુલર ડ્રિંક કયું? ના, કોઈ માર્કેટિંગ સર્વેની મદદ લેવાની જરૂર નથી. કારણ, જવાબ છે પાણી, જળ, વોટર. અંગ્રેજી ડિક્ષનરીઓ કહે છે કે વોટર શબ્દ ગ્રીકમાંથી અવતર્યો છે. તો ગુજરાતી-મરાઠીમાં વપરાતો ‘પાણી’? સાર્થ ગુજરાતી જોડણીકોશ આ અંગે મૌન છે. ભગવદ્ગોમંડળ કોશ કહે છે કે સંસ્કૃતના ‘પાનીય’નો વંશજ છે પાણી શબ્દ.
આજે હવે બોલાતી અને લખાતી ભાષામાં રૂઢિપ્રયોગોનો ઉપયોગ ઘટતો જાય છે. પણ જેમાં પાણી શબ્દનો ઉપયોગ થતો હોય તેવા ૧૬૪ રૂઢિપ્રયોગો ભગવદ્ગોમંડળકોશ નોંધે છે!
તેમાંનો એક છે ‘સો ગળણે ગાળીને પાણી પીવું.’ અને એક જમાનામાં મુંબઈવાસીઓએ આમ જ કરવું પડતું. કારણ અસલમાં તો મુંબઈ એટલે સાત ટાપુઓનો સમૂહ. નદીનું તો નામોનિશાન નહિ પણ તળાવ પણ નહિ. એટલે પાણી માટે આધાર રાખવો પડતો માત્ર કૂવા પર. માણસ, ઢોર-ઢાંખર, પંખીઓ, બધા પાણી પીવા કૂવે આવે. એ કૂવા પણ પાકા, બાંધેલા નહિ. એટલે આજુબાજુનો કચરો પાણીમાં પડે. માણસ અને ઢોર-ઢાંખર તેમાં ઉમેરો કરે. આવામાં અવારનવાર રોગચાળો માથું ન ઊંચકે તો બીજું શું થાય? વખત જતાં સાત ટાપુ એકબીજા સાથે સંધાતા ગયા. ખેતી અને વેપાર-વણજની સાથે વસ્તી વધતી ગઈ. એ વખતે સખીદાતાઓ આગળ આવ્યા. કોઈએ કૂવાને પાકા બનાવ્યા તો કોઈએ તળાવ ખોદાવ્યાં. માણસો માટે તેમ જ પશુઓ માટે પણ. એટલે જ તો એક તળાવનું નામ પડ્યું ‘ગોવાળિયા તળાવ.’ પોતાનાં ઢોરઢાંખરને પાણી માટે ગોવાળો જ્યાં લઈ આવે તે ગોવાળિયા તળાવ.
પણ વસતી તો વધતી જ જાય. એમાં પાછા દુકાળ આવે. સરકાર માબાપ દૂર દૂરથી ગાડાંઓમાં લાવીને કૂવા-તળાવમાં પાણી ઠાલવે. પણ પછી સરકારે આકરું પગલું લીધું. આ ઢોરઢાંખર પાણી જેટલું વાપરે છે એના કરતાં બગાડે છે વધુ. અને પાછા રોગચાળો ફેલાવે છે. એ વખતે મુંબઈ શહેરની હદ હતી માહિમ સુધી. સરકારે કાઢ્યો ફતવો : ‘મુંબઈ શહેરની મર્યાદામાં, એટલે કે માહિમ સુધીના વિસ્તારમાં, કોઈ ઢોરઢાંખર રાખી નહિ શકે. એ બધાંને મુંબઈની બહાર, એટલે કે માહિમ પછીના વિસ્તારમાં લઈ જવાં પડશે, ફરજિયાત.’
મુંબઈની જીવાદોરી પાણીની પાઈપ
થોડો વખત તો ગાડું ગબડ્યું. પણ પછી સમજાયું કે દૂર દૂરનાં તળાવોમાંથી પાણી લાવ્યા વગર છૂટકો નથી. પણ પાણી લાવવું કઈ રીતે? એ માટે ખાસ પાઈપ લાઈન નાખીને. વિહાર એ મુંબઈની સૌથી નજીકનું તળાવ. એનું કામ ૧૮૫૬માં શરૂ થયું અને ૧૮૬૦માં પૂરું. મોટા મોટા પાઈપ નાખીને વિહારનું પાણી મુંબઈનાં ઘરો સુધી પહોંચ્યું. શરૂઆતમાં ઘણા રૂઢિચુસ્તોએ વિરોધ કર્યો. આ તો ભ્રષ્ટ પાણી છે. પણ પછી બધાને નળનાં પાણીના ફાયદા સમજાયા. વાપરવા લાગ્યા એ પાણી. પણ ઘણાં ઘરોમાં પીવા માટે તો કૂવાનું પાણી જ વપરાય. પાણીનો વપરાશ વધતો ગયો તેમ વધુ ને વધુ દૂરના તળાવો સુધી પાઈપ નાખવા પડ્યા. આજે પણ એ કામ ચાલુ જ છે.
તરસ્યાંને પાણી પાશો,
હું તરસી સરવર કાંઠે,
અથડાતી વાટે ઘાટે,
જગ જોઈ રહ્યું છે તમાશો,
તરસ્યાંને પાણી પાશો.
પહેલવહેલી ગુજરાતી સામાજિક ફિલ્મ ‘સંસાર લીલા’નું આ ગીત. લખેલું રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે. સંગીતકાર હતા લલ્લુભાઈ નાયક. ગાયું હતું તખ્તા અને ફિલ્મની જાજરમાન કલાકાર રાજકુમારીએ. પણ અત્યારે આ ગીત યાદ આવવાનું કારણ? કારણ એક જમાનામાં તરસ્યાને પાણી પાવું એ મોટું પુણ્યનું કામ ગણાતું. અને એટલે એ જમાનામાં શાણા દાનવીરો મુંબઈમાં જુદી જુદી જગ્યાએ પ્યાઉ કહેતાં પરબ બંધાવતા. અને એ પણ માત્ર માણસો માટે નહિ. ગાડી-ગાડાં સાથે જોતરાતા જીવો માટે પણ. વળી એને સ્થાપત્યનાં અલંકરણોથી સજાવતા. લગભગ ૧૮૬૦થી ૧૯૩૦ સુધીના ગાળામાં તળ મુંબઈમાં અને દાદર સુધી ઘણા પ્યાઉ બંધાયા. એકલા કાવસજી જહાંગીરજી રેડીમનીએ મુંબઈમાં ૪૦ પ્યાઉ બંધાવેલા. એટલું જ નહીં તેમણે એક પ્યાઉ લંડનના રીજન્ટ પાર્કને પણ ભેટ આપ્યો હતો જે આજે ય અડીખમ ઊભો છે. આ ઉપરાંત રામજી સેતીબા, ફરદુનજી જીજીભાઈ, કેશવજી નાયક, જમશેદજી જીજીભાઈ વગેરેએ પણ મુંબઈને પ્યાઉની ભેટ આપેલી.
કાવસજી જહાંગીરજી રેડીમનીએ લંડનના રીજન્ટ પાર્કને ભેટ આપેલો ડ્રિન્કીંગ ફાઉન્ટન
આવા દાનવીરો પોતાને પૈસે પ્યાઉ બંધાવતા, પણ સરકાર તેને માટેનું પાણી મફત આપતી નહિ. દરેક પ્યાઉ પર મિટર લગાડતા અને જેટલું પાણી વપરાયું હોય તેના પૈસા સરકારને ચૂકવવા પડતા. અને હા. આ પ્યાઉ એ મુંબઈની એક લાક્ષણિકતા છે. મુંબઈ બહારના મહારાષ્ટ્રમાં તે ક્યાં ય જોવા મળતા નથી. અને છતાં વખત જતાં, પાણીની છૂટ થતાં, ઉપયોગિતા ઘટી જતાં ઘણા પ્યાઉ અલોપ થયા. કોઈ ભાંગીતૂટી હાલતમાં મરવા વાંકે જીવતા રહ્યા. ભલે શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ એનું મહત્ત્વ બહુ ન હોય, તો ય આ એક જાળવી રાખવા જેવો વારસો છે એ પણ કોઈના ધ્યાનમાં ન આવ્યું. છેક ૨૦૦૮માં રાહુલ ચેમ્બુરકરની આગેવાની નીચે બચી ગયેલા પ્યાઉનો જીર્ણોધ્ધાર કરવાનું કામ શરૂ થયું. લગભગ ૩૦ જેટલા પ્યાઉને નવજીવન મળ્યું છે.
મુંબઈનો એક પ્યાઉ : અગાઉ અને આજે
૧૯૬૫ સુધી કોઈએ સપનામાંયે વિચાર્યું નહિ હોય કે બાટલીમાં ભરેલું પાણી મુંબઈમાં વેચાશે. ૧૯૬૫મા ‘બિસ્લેરી’ નામની ઇટાલિયન કમ્પની મુંબઈમાં શરૂ થઈ. ત્યારે પ્લાસ્ટિકની નહિ, કાચની બાટલીઓમાં એ કંપની પાણી વેચતી. એ પાણીના પાછા બે પ્રકાર : સાદું અને ‘બબલી.’ શરૂઆતમાં તો આ પાણી વાપરવું એ સ્ટેટસ સિમ્બલ ગણાતું. પૈસા ખરચીને પાણી ખરીદવાનું મધ્યમ વર્ગના લોકોને ગળે ઉતરતાં વાર લાગી. પણ પછી ધીમે ધીમે તેનો પ્રચાર-પ્રસાર વધતો ગયો. ઇટાલિયન બિસ્લેરી કંપની માત્ર મુંબઈમાં જ નહિ, આખા દેશમાં બોટલ્ડ વોટર વેચનાર પહેલી કંપની હતી. વખત જતાં એ કંપની ‘દેશી’ બની. બીજી કંપનીઓએ પણ ઝૂકાવ્યું. આજે તો મુંબઈમાં ઘણા એવા લોકો છે જે સાદા, કુદરતી પાણીનો સ્વાદ પણ ભૂલી ગયા છે. તેમને માટે તો આ બાટલિયું પાણી સ્ટેટસ સિમ્બલ બની ગયું છે.
પ્લાસ્ટિકની બાટલીઓ આવી ત્યારે બે ફાયદા થયા. એક, કિંમત ઘટી. બીજું, ખાલી બાટલીનું શું કરવું એ પ્રશ્ન ન રહ્યો. ખાલી બાટલી ફેંકો રસ્તામાં કે ગમે ત્યાં. આ ખાલી બાટલીઓ રિસાઈકલ થઈ શકે છે અને એટલે એના ખરીદનાર પણ હોય છે એ વાત ધ્યાનમાં આવતાં ખાલી બાટલીઓ અને પ્લાસ્ટીકની બીજી ફેંકી દીધેલી વસ્તુઓ ભેગી કરનારા રેગ-પીકરની સંખ્યા વધતી ચાલી. કચરો સાફ કરનારા સફાઈ કામદારો પણ ભેગા કરેલા કચરામાંથી પ્લાસ્ટિકની વસ્તુઓ અલગ કરી વેચવા લાગ્યા. કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે મોટે ભાગે એનો વિરોધ થાય છે કે પછી એને માથે ચડાવાય છે. પણ ઘણુંખરું નવી વસ્તુની અસર સારી પણ હોય અને ખરાબ પણ હોય. પ્લાસ્ટીકના પ્રદૂષણને નાથવાની જરૂર છે જ. પણ આ જ પ્લાસ્ટીકે હજારો લોકોને ભલે થોડી, પણ રોજીરોટી આપી એ ભૂલવું ન જોઈએ.
હા, કાચની બાટલીમાં પીવાનું પાણી આવ્યું એ પહેલાં આવ્યાં હતાં ઠંડા પીણ. બરફ છૂટથી મળતો થયો પછી જૂદા જૂદા સ્વાદ, રંગ, ગંધવાળાં સોફ્ટ ડ્રિન્કસ બજારમાં આવ્યાં. લંડનમાં તો ૧૯મી સદીની શરૂઆતથી જ ‘સોડા’ લોકપ્રિય થવા લાગી હતી. અલબત્ત, અમીર-ઉમરાવોના ઘરમાં. સોડા જેમ જેમ લોકપ્રિય થવા લાગી તેમ તેમ સોફ્ટ ડ્રિન્કસમાં નવી નવી ફ્લેવર ઉમેરાતી ગઈ : લેમન, ઓરેન્જ, રાસબરી વગેરે.
૧૮૩૭માં શરૂ થયેલી મુંબઈની પહેલી સોફ્ટ ડ્રિંક કંપની
૧૮૩૭માં હેન્રી રોજર્સ નામના મુંબઈના કેમિસ્ટે ‘એરેટેડ વોટર’ બનાવવા માટે કંપની શરૂ કરી. આ રોજર્સ કંપની તે પશ્ચિમ ભારતની ‘સોડા’ બનાવનારી પહેલવહેલી કંપની. અને ઘણાં વરસ સુધી તેણે એ ક્ષેત્રમાં રાજ કર્યું. પીણાં બનાવતી વખતે જે કાર્બોનિક એસિડ વપરાતો તેને કારણે એ પાણીમાંના ઘણા જીવાણું નાશ પામતા. એટલે સોડા પીવી એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે એવો પ્રચાર પણ થતો. પછી ૧૮૫૮માં આવ્યું કાર્બોનેટેડ ટોનિક વોટર, જેમાં ક્વિનાઈન ઉમેરાતું અને એટલે એ પીવાથી મલેરિયાથી બચી શકાય છે એમ મનાતું. આવાં પીણાં ઘણા વખત સુધી અંગ્રેજો, પારસીઓ અને બીજા ધનવાનોનાં ઘરમાં જ જોવા મળતાં. ૧૮૬૬માં લખેલા એક લેખમાં જાણીતા સમાજ સુધારક કરસનદાસ મૂળજી કહે છે કે મોટા ભાગના હિંદુઓ માને છે કે રોજર્સની લેમોનેડ પીવાથી પોતાનો ધરમ રસાતાળ જાય છે! પણ પારસીએઓને આવો કોઈ છોછ નહોતો. તેમણે સોફ્ટ ડ્રિન્કસ બનાવવાના ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. ૧૯૧૩માં માત્ર મુંબઈ શહેરમાં સોડા વોટર બનાવનારી નાની મોટી ૧૫૦ કંપની હતી! અને હા. પીવા ઉપરાંત આ સોડા વોટર બાટલીઓનો બીજો પણ એક ઉપયોગ થતો.
એ ઉપયોગ તે કિયો એની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 નવેમ્બર 2022