Opinion Magazine
Number of visits: 9458683
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાગલ પ્રોફેસર

સુરેશ જાની|Opinion - Opinion|28 June 2022

મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા બેતુલ જિલ્લાના શાહપુર પોલિસ સ્ટેશનમાં સન્નાટો વ્યાપેલો છે. પોલિસ ઓફિસર રાજેન્દ્રકુમાર ધ્રુવની ઓફિસમાં, તેમની સામે એક જટાજૂટ જોગી જેવો એક માણસ બેઠેલો છે. તેના લઘરવઘર વાળ અને રૂક્ષ ચહેરો જોઈ રાજેન્દ્ર કુમારને તેની સામે આવેલી નનામી ફરિયાદ બાબત કોઈ શંકા નથી.

‘આલોક! તમે ગરીબ આદિવાસી લોકોને ક્રાન્તિ કરવા ભડકાવો છો, એવી ફરિયાદ તમારી સામે છે. જો એ ફરિયાદ સાચી ઠરે, તો તમારે ચોવીસ કલાકમાં બેતુલ જિલ્લો છોડી દેવો પડશે. તમે એમ નહીં કરો, તો મારે જાહેર સલામતી ખાતર તમને લોક અપમાં પૂરવા પડશે. તમારે એ બાબત શું કહેવાનું છે?’

આલોકે આ આક્ષેપ પાયા વગરનો છે, તેમ જણાવ્યું. સાથે આવેલા કોચામુ ગામના મુખીએ પણ તેની સ્થાનિક બોલીમાં હોંકારો ભણ્યો, અને આલોક તો ભગવાનનો અવતાર છે, એમ કાકલૂદી કરીને કહ્યું.

રાજેન્દ્ર, “તમારી ઓળખ આપતી કોઈ સાબિતી તમારી પાસે છે?”

આલોકે જભ્ભાના ખિસ્સામાંથી કાર ચલાવવાનું લાયસન્સ કાઢીને બતાવ્યું.

રાજેન્દ્ર, “પણ આમાં તો નવી દિલ્હીનું સરનામું છે. ત્યાં તમે છેલ્લે ક્યારે ગયા હતા?”

આલોક, “સાહેબ, છેલ્લાં ૨૬ વર્ષથી હું તો અહીં આ લોકોની સાથે જ ગુડાણો છું.”

રાજેન્દ્ર, “તમે દિલ્હીમાં શું કામ કરતા હતા?”

આલોક, “હું ત્યાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો.”

રાજેન્દ્ર ( ચમકીને) “તમે પાગલ થઈ ગયા છો? દિલ્હીની એકેય કોલેજનું નામ પણ તમને ખબર નહીં હોય. કઈ કોલેજમાં તમે ભણાવતા હતા?”

આલોક, “સાહેબ! આઈ.આઈ.ટી.માં.”

રાજેન્દ્રને ખાતરી થઈ ગઈ કે, આ માણસ પાગલ છે, અથવા પાકો ગુનેગાર છે. તેણે એની સાબિતી બતાવવા આલોકને જણાવ્યું.

આલોકે વળી ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું. – ‘સિનિયર પ્રોફેસર’.

“તો તો તમે એન્જિયરિંગનું ભણેલા હશો, એમ ને?”

“હા, સાહેબ! ત્યાં હું પોસ્ટ ગેજ્યુએટ વિધ્યાર્થીઓને ભણાવતો હતો.”

“ગપ્પાં ના મારો. મને ખબર છે કે, એ લેવલ પર ભણાવનાર પી.એચ.ડી.ની ઉપાધિ ધરાવતો હોવો જોઈએ. પી.એચ.ડી. એટલે શું? એ ય તમને તો ખબર નહીં હોય.” – રાજેન્દ્રે તોછડાઈથી કહ્યું.

“સાહેબ! લો આ મારી ઉપાધિના સર્ટિફિકેટની કોપી.”

અને રાજેન્દ્રના ટેબલ પર અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરની રાઈસ યુનિવર્સિટીએ એનાયત કરેલું સર્ટિફેકેટ ઝગારા મારવા લાગ્યું.

આમ પૂછપરછ ચાલતી હતી, ત્યાં જ શ્રમિક આદિવાસી સંગઠનના અનુરાગ મોદી પોલિસ સ્ટશનમાં પ્રવેશ્યા. રાજેન્દ્ર એમને સારી રીતે જાણતો હતો, તેમની સંસ્થા આદિવાસીઓ માટે જે કામ કરતી હતી, તેનો તે પ્રશંસક હતો.

અનુરાગે ઓછાબોલા આલોકની બરાબર ઓળખ રાજેન્દ્ર ધ્રુવને આપી. હવે ચમકવાનો વારો રાજેન્દ્રનો હતો! અડધો કલાકની અનુરાગ સાથેની વાતચીત પછી રાજેન્દ્ર આલોક સાગરના પગે પડ્યો અને પોતાની આ હરકત બદલ માફ કરવા આલોકને વિનંતી કરવા લાગ્યો.

કોણ હતો એ પાગલ પ્રોફેસર?

૧૯૫૨ની સાલમાં દિલ્હીમાં જન્મેલ આલોકના પિતા દયા સાગર ભારત સરકારના નાણાં ખાતામાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. એમ.એસ.સી. થયેલી તેની માતા દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા કોલેજમાં પ્રોફેસર હતી. આલોકે પણ ૧૯૭૩માં આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે તે હ્યુસ્ટનની રાઈસ યુનિવર્સિટી આવ્યો હતો અને ૧૯૭૭ની સાલમાં એને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

પોસ્ટ ડોક્ટરેટના ભણતર માટે આલોક કેનેડા ગયો હતો અને ત્યાંની ડેલહાઉસી યુનિવર્સિટીના ફેલો તરીકે થોડોક વખત રહ્યો હતો. પણ આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી પ્રોફેસર તરીકે જોડાવા આમંત્રણ મળતાં આલોક સ્વદેશ પાછો ફર્યો હતો. તેના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓને માસ્ટરની પદવી મળી હતી. ભારત સરકારની રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે રહી ચૂકેલી રઘુરામ રાજન એમના વિદ્યાર્થી હતા!

પણ ૧૯૮૨ની સાલની કોઈક અદ્દભુત વેળાએ આલોકના દિમાગમાં દેશની દબાયેલી, કચડાયેલી અને દરિદ્રતા અને અજ્ઞાનના બે પડળો વચ્ચે પીસાતી છેવાડાની વ્યક્તિ માટે અનુકંપા જાગી ઊઠી. પોતાની આખીયે કારકિર્દી તેને નકર્યા સ્વાર્થને પોષતી, સમાજના રાક્ષસી યંત્રોના એક પૂર્જા જેવી ભાસવા લાગી.

[રાક્ષસી યંત્રો – ‘વેગુ’ પર લેખ http://webgurjari.in/2014/02/14/monstrous-machines/ ]

‘આ મનોયાતનાનો એક જ ઈલાજ છે –  દલિત આદિવાસીઓની સેવા.’

આ જ ખયાલ દિવસો સુધી આ પાગલ પ્રોફેસરના દિલો દિમાગને પડઘાવવા લાગ્યો. તેજસ્વી ભવિષ્યનાં બધાં શમણાં ફગાવી દઈને, આલોક સાગર બત્રીસ વર્ષથી, બેતુલ જિલ્લાના, માત્ર ૭૫૦ માણસોની વસ્તી વાળા એ છેવાડાના ખૂણે ધૂણી ધખાવીને ખૂંપી ગયો છે.

એની મિલ્કતમાં માત્ર ત્રણ જોડી કપડાં, એક સાઈકલ અને આદિવાસીઓએ ઊભું કરી આપેલું એક ખોરડું છે.

અદિવાસીઓનાં બાળકોને આલોક ભણાવે છે, એમને એમના હક્કો માટે જાગૃત કરે છે, અને કમાઉ ફળોનાં વૃક્ષોના સંવર્ધનનાં કામમાં ઓતપ્રોત છે. ખાસ કરીને સારી એવી આવક ઊભી કરી આપતાં આંબળાનાં વૃક્ષોના રોપા ઉછેરી તે, આદિવાસીઓને વહેંચે છે. આલોકના પ્રયત્નોથી અત્યાર સુધીમાં આશરે ૫૦,૦૦૦ વૃક્ષો મ્હાલી રહ્યાં છે. દિન પ્રતિદિન ઉજ્જડ બનતી જતી વનરાજી , તેના આ યજ્ઞથી લીલીછમ બની ગઈ છે.

આલોક બહુ ઓછાબોલો જણ છે. એને કોઈ પ્રખ્યાતિનો મોહ નથી. જાતે વહેતી કરી દીધેલી અને અતીતમાં સરી ગયેલી પોતાની ઝળહળતી કરકિર્દી ગુમાવી દેવા માટે આલોકને કોઈ જ અફસોસ નથી.

એક વીડિયો …

https://www.youtube.com/watch?v=KxTvnOucQeI

સંદર્ભ –

http://www.patrika.com/news/bhopal/fo…

https://yourstory.com/2016/09/alok-sa…

http://www.hindustantimes.com/bhopal/mp-this-iit-prof-quit-job-to-work-for-downtrodden-tribals/story-CFUa47OhFyCYHTAZdmaVYM.html

http://timesofindia.indiatimes.com/city/bhopal/Houston-scholar-gifts-green-lungs-to-Betul/articleshow/52215242.cms

e.mail : surpad2017@gmail.com

Loading

નાટ્ય અદાકારીમાં છુપાયેલું એક વિચારશીલ અને વિનમ્ર વ્યક્તિત્વ એટલે પોલ બેઝલી

આશા બૂચ|Gandhiana|27 June 2022

“મહાત્મા ગાંધીનો પાઠ ભજવવો એ મારા જીવનની દિશા બદલનારી ઘટના છે.”

— પોલ બેઝલી 

નેશનલ થિયેટર કંપનીએ ઓલિવિયર થિયેટરમાં તારીખ 12 મેથી 18 જૂન સુધી The Father and the Assassin નાટક ભજવ્યું. ગાંધીજીની હત્યા વિષે તેમાં નિરૂપણ થયું છે.

ભારતનાં વિખ્યાત અને બ્રિટનનાં રેસિડેન્ટ નાટ્યલેખિકા અનુપમા ચંદ્રશેખર લિખિત અને ઇંધુ રૂબસિંઘમ્‌ દ્વારા દિગ્દર્શિત આ નાટક તેના શીર્ષક માત્રથી કુતૂહલ જગાવે છે. ફાધર, કોના ફાધર? હત્યા કોણે અને કોની કરી? શા માટે કરી? આવા અનેક સવાલો થાય. જો ફાધર ઓફ ધ નેશન એવું શીર્ષક અપાયું હોત તો રહસ્ય ઉદ્ઘાટિત થઇ ગયું હોત.

પ્રસ્તુત નાટકનો નાયક ગોડસે છે, પણ આપણે વાત માંડવી છે ગાંધીનો પાઠ ભજવનાર પોલ બેઝલીની.

‘Where does it come from’ નામના યુનાઇટેડ કિંગ્ડમસ્થિત સંગઠનના સ્થાપક જો સોલ્ટર દ્વારા આયોજિત પોડકાસ્ટ આ લેખની  માહિતી માટેનો આધારભૂત સ્રોત છે, એથી પહેલાં એ સંગઠન વિષે થોડું જાણીએ. ‘Where does it come from’ એ એક ઔદ્યોગિક સાહસ સંગઠન છે જે આપણા શરીર માટે લાભદાયી હોય અને પૃથ્વીને પણ સંભાળે તેવાં વસ્ત્રોનાં વેંચાણનું કાર્ય કરે છે. એ વસ્ત્રો વિશેની તમામ જાણકારી આપવામાં આવે છે. ખેતરમાં ઊગતા કપાસથી માંડીને કાપડની બનાવટ સુધી, તથા તેના કારીગરો અને વપરાતા માલ વિષે પૂરી પારદર્શકતા રાખવામાં આવે છે.

આ પોડકાસ્ટમાં ત્રણ વ્યક્તિઓ જો સોલ્ટર, નાટ્ય અદાકાર પોલ બેઝલી અને આશા બૂચ વચ્ચે વાર્તાલાપ થયેલો જેનો મુખ્ય આશય હતો આ નાટકના સંદર્ભમાં ગાંધીજીનાં મૂલ્યો, ખાસ કરીને ખાદી, ગ્રામોદ્યોગ અને વિકેન્દ્રીકરણ અને અહિંસા વિષે ચર્ચા કરવાનો.

પોતાની ઓળખ આપતાં પૉલે કહ્યું, તેનાં માતા-પિતા ચેન્નાઈથી આ દેશમાં આવ્યાં. તેનો જન્મ 60ના દાયકાના અંતે લંડનમાં થયો. તેમના પરિવારજનો ગાંધીજી વિષે વાતો કરતાં જાણે તેઓ તેમને ઓળખતા હોય. એ રીતે ગાંધીનું નામ તેમણે બચપણથી જ સાંભળેલું. પૉલે માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં નાટ્યકલાની તાલીમ લીધી અને છેલ્લા ત્રણ દાયકાથી અદાકારીના વ્યવસાયમાં વ્યસ્ત રહે છે. તેમણે રેડિયો, ટેલિવિઝન, સ્ટેજ તેમ જ ફિલ્મોમાં કામ કર્યું છે તેમ જ ઓડિયો બુક્સ પણ બનાવી છે.

‘ધ ફાધર એન્ડ ધ એસાસીન’ નાટક વિષે માહિતી આપતાં પૉલે કહ્યું કે ચેન્નાઇ સ્થિત નાટ્ય લેખિકા અનુપમા ચંદ્રશેખર, કે જેઓ 2017થી લંડનના નિવાસી નાટયલેખિકાના પદ ઉપર રહીને કાર્યરત રહે છે તેમને ગાંધી અને ગોડસેના સંબંધોમાં રસ હોવાનું જણાયું છે. માનવીના મનમાં કટ્ટરપંથી વિચારો અને પરિણામે હિંસા કઈ રીતે વિકસે છે એ બતાવવાનો તેમનો હેતુ છે. આજે વિશ્વ આખામાં ધ્રુવીકરણ અને તેને કારણે થતી હિંસાનો ફેલાવો વધ્યો છે, ત્યારે ખાસ આ નાટકના વિષયવસ્તુની કિંમત છે. તેની વિશેષતા એ છે કે ગોડસેની આંખે તે સમયના બનાવોને જોવા તેનો દૃષ્ટિકોણ રજૂ કરાયો છે. નાટકની શરૂઆતમાં જ ગોડસે દર્શકોની આંખમાં આંખ પરોવીને કહે છે, “આ નાટકના અંતે તમે મારાં પૂતળાં મુકાવશો અને મારી પૂજા કરશો.” તેની તરફેણમાં ગોડસેની દલીલ એ છે કે તેણે ગાંધીને મારીને ભારતની હિન્દુ પ્રજા ઉપર ઉપકાર કર્યો છે. નાટ્યલેખિકા પોતાનું મંતવ્ય કોઈના પર થોપી બેસાડતાં નથી, દર્શકો કયા પક્ષને માન્ય રાખે છે એ તેમના પર છોડી દેવામાં આવ્યું છે. તત્કાલીન ભારત દ્વારા હાલના યુ.કે., યુરોપ, અને સમગ્ર દુનિયાના સમાજનું દર્શન તેમાં થાય છે.

સારાયે નાટકમાં કેટલાંક ડરામણાં અને જોતાં અસ્વસ્થ થઈ જવાય તેવાં દૃશ્યો છે, પરંતુ તેમાં વારંવાર રમૂજ પણ ઉમેરાઈ છે. આ નાટ્ય અદાકારનું માનવું છે કે રમૂજમાં માનવતાની ઝલક દેખાતી હોય છે.

ગાંધી તરીકે પાઠ ભજવવાની દરખાસ્ત વિષે પોતાની લાગણી વ્યક્ત કરતાં પૉલ પોતાના જીવનના કેટલાક તબક્કાઓ વર્ણવે છે. ડેવિડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ પોતાના માતા-પિતા સાથે અને પછી ઘરમાં પણ અનેક વખત જોયાનું યાદ. ત્યારથી ‘ગાંધી’ બનવાના કોડ જાગ્યા. વીસ વર્ષથી ગાંધીને એક વ્યક્તિ તરીકે ઓળખ્યા અને તેમનાં આધ્યાત્મિક પાસાંઓ જાણ્યાં. આત્મકથા અને ‘હિન્દ સ્વરાજ’નું બબ્બે વખત પઠન, મનન કર્યું. પૉલના ધ્યાન યોગ શીખવનાર ગુરુ એકનાથ ઈશ્વરના પુસ્તક ‘ગાંધી ધ મેન’ ની ઓડિયો બુક કરી ત્યારે વધુ ઊંડાઈ માપી. એટલું જ નહીં, ગાંધી અને અહિંસા વિષે પદ્ધતિસર અભ્યાસ પણ કર્યો. ગાંધીને માત્ર રાજકારણી તરીકે જ નહીં, બલકે એક આધ્યાત્મિક પુરુષ તરીકે તેમના તત્ત્વજ્ઞાનના માધ્યમથી ઓળખ્યા.

નાટ્ય દિગ્દર્શક ઇંધુ રૂબસિંઘમ્‌ને માત્ર ગાંધી જેવા દેખાય તેવા નહીં, તેમના ચારિત્ર્યનું ન્યાયી ચિત્રણ કરી શકે તેવા અદાકારની શોધ હતી તે તેમને પૉલમાં મળી. નવાઈની વાત તો એ છે કે પૉલને અહેસાસ થયો કે આટલા દાયકાઓ વીતવા છતાં હજુ પણ જન જનના મનમાં ગાંધીની પ્રતિભા કાયમ છે. એ કહે છે, દુકાનદાર, સ્ટેશન પર મળનાર વ્યક્તિ, અરે, મારા ઘરની છત રીપેર કરવા આવનાર માણસ સુધ્ધાંએ પોતે ગાંધીને જાણે છે તેમ કહ્યું. આશ્ચર્ય જ થયું, પણ ના, નવાઈ ન લાગે કેમ કે એ ખરેખર વૈશ્વિક વિભૂતિ છે. દરેકની તેમને જોવાની દૃષ્ટિ અલગ છે, પરનું તેઓ આપણા બધાની સંસ્કૃતિમાં કાયમ માટેનું સ્થાન જમાવી ગયા એ નક્કી. તેઓ જે રીતે કપડાં પહેરતા, તેમણે જે કામ કર્યું અને જે સિદ્ધાંતો અને મૂલ્યો માટે જીવ્યા તેને કારણે ચિરકાળ સુધી યાદ રહેશે. એવા લોકો બહુ ઓછા છે. હિટલર જુદા કારણોસર યાદ રહેશે, ગાંધી તેનાથી તદ્દન વિપરીત કર્તવ્યો કરનાર તરીકે અમર થયા.

ડેસમંડ ટુટુ અને દલાઈ લામાને  કૈંક અંશે ગાંધીની આધુનિક પ્રતિકૃતિ ગણી શકાય તેમ પૉલનું માનવું છે. એ ત્રણેય વિભૂતિઓની ખાસિયત એ કે તેઓ વારંવાર રમૂજ કરે, બીજાને પ્રેમથી સ્પર્શે અને ખડખડાટ હસે અને બીજી જ ક્ષણે ઊંડી અધ્યાત્મ સંબંધી વાતો કરે. ગાંધી હંમેશાં હસતા અને તેમની આસપાસના તમામ લોકો પણ હસતા. તેઓએ એક વાર કહેલું, “જો હું હસું નહીં તો મારી જાતને મેં ક્યારની ખતમ કરી નાખી હોત.” એનું કારણ એ છે કે ગાંધી ગીતા બોધ ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’માં શ્રદ્ધા ધરાવતા હતા. એટલે જ તો કદાચ તેમની આસપાસ આચરાતા સંહાર, કરવામાં આવતા હળાહળ અન્યાય અને અતિ ભયાનક સંયોગોમાં પણ તેઓ હસી શકતા અને સહુને પ્રેમ કરી શકતા.

‘ગાંધી’ને ચરખો કાંતતા શીખવવાની તક કેવી રીતે મળી અને કેવો અનુભવ થયો એ પ્રશ્નનો ઉત્તર આ મુજબ છે. આ લખનારને ખાદી લંડન તરફથી સંદેશ મળ્યો કે પ્રસ્તુત નાટક માટે ગાંધીનું પાત્ર ભજવનારને ચરખો કાંતતા શીખવવા જવાનું છે. આવા મોટા ગજાના સફળ કલાકારને મળતા સહેજે ક્ષોભ થાય. પણ સાતેક વર્ષની ઉંમરે કાંતતા શીખેલી, સાથી વિદ્યાર્થીઓ અને જરૂર પડ્યે શિક્ષકોને પણ શીખવતી આવેલી વ્યક્તિ માટે ખાદી અને રચનાત્મક કાર્યના ખ્યાલનો પ્રસાર કરવાની તક જતી કરવાનું મુનાસીબ ન લાગ્યું. મુલાકાત થતા જ અહેસાસ થયો કે પૉલ અત્યંત વિનમ્ર, વિવેકી અને શીખવા માટે યોગ્ય વલણ ધરાવનાર કલાકાર છે. આથી જ તો એ બારડોલી ચરખાને ફરતો કરતા નડેલી મુશ્કેલી દૂર કરતાં કરતાં બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાનની ભારતની આર્થિક-રાજકીય દશા, સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા અને ખાદીનું તેમાં મહત્ત્વ જેવા વિવિધ વિષયો વિષે વાત કરતાં પૉલ અને મારી વચ્ચે સંકોચ અદૃશ્ય થયો.

આ વાર્તાલાપમાં ખાદીના રાજકીય અને આર્થિક મહત્ત્વ વિષેનાં મંતવ્યોની પણ આપ-લે થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે પહેલાં આપણા પૂર્વજો તમામ પ્રકારનાં કાપડ હાથથી જ પેદા કરતા. દક્ષિણ આફ્રિકાથી પરત થયેલ ગાંધીજીએ નોંધ્યું કે તેઓ સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા ખરા, પણ ભારત આર્થિક રીતે દેવાળિયું, સામાજિક રીતે અસમાન અને આધ્યાત્મિક રીતે સાવ ભગ્ન દશામાં જીવતું હતું. તેવા વિચ્છિન્ન દેશમાં રાજકીય સ્વતંત્રતા કેમેય નહીં ટકી શકે તે સમજાયું. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવા માટે શસ્ત્ર શોધતા હતા, પણ એક અહિંસક શસ્ત્રની શોધમાં હતા. ખાદીમાં એ શક્તિ ભાળી. કપાસથી કાપડ સુધીની તમામ પ્રક્રિયાઓમાં કુદરતનું રક્ષણ થાય, લાખો ભૂખ્યા અને બેકાર લોકોને રોજી મળે, અને પ્રજાને પોતાની ધરોહર પર પુનઃ વિશ્વાસ બેસે એવો ખાદીનો જાદુ તેમણે જોયો. આજે યુ.કે.ની સરકાર ‘લેવલીંગ અપ’ની વાત કરે છે, ગાંધીની એ રીત હતી અસમાનતા દૂર કરવાની. વીસમી સદીના ભારતમાં ભયંકર ગરીબી અને બીજી બાજુ ચપટી જેટલા ધનિકો હતા. ભયાનક અસમાનતા હતી. વકીલ-બારિસ્ટરથી માંડીને ગરીબ લોકો, વૃદ્ધ અને સ્ત્રીઓ બધાના હાથમાં ગાંધીએ ચરખો મુક્યો. તેનાથી લોકોને પોતાની સદીઓ જૂની ઉત્પાદક અને ક્રિયાત્મક શક્તિનું ભાન થયું. રોજિંદા જીવન માટે અને બધા પ્રસંગો માટે ઉપયોગી એવી ખાદીનું ઉત્પાદન થવા લાગ્યું. વિદેશી કાપડના બહિષ્કારને પગલે પ્રજાને પોતે સ્વનિર્ભર થઈને પોતાના પગ ઉપર ઊભા રહીને ભરણપોષણ કરી શકે તેનો અહેસાસ થયો. બ્રિટિશ શાસન દરમ્યાન ભારતીય અર્થતંત્રને બેવડો માર પડેલો, ખાસ કરીને કપાસની નિકાસ ઉપર કર ભરવો પડતો અને બ્રિટનની મિલોમાં તૈયાર થયેલ કાપડ ઉપર આયાતનો કર ભરવો પડતો. પ્રજાની કમ્મર તૂટી ગઈ. ગાંધીએ દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ લગભગ નગ્ન દશામાં જીવતા લોકો જોયા. આ તમામ સમસ્યાઓનો હલ ખાદી અને ગ્રામોદ્યોગમાં મળ્યો. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાથી સાચો ઉગારો થશે એ સમજાયું. ‘એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી’ આ શબ્દપ્રયોગ ગાંધીજીના સમયે પ્રચલિત નહોતો, પરંતુ એમના સૂચિત માર્ગે જવાથી પર્યાવરણની સુરક્ષાનો હેતુ પણ સરતો હતો.

પૉલે નાટકમાંની વેશભૂષા અને રંગમંચની અધિકૃત સજ્જાનું મહત્ત્વ ઉજાગર કરતાં કહ્યું કે આ નાટકમાં 1917માં કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધી પહેલી વખત જોવા મળે છે, અને છેવટ ટૂંકી ધોતી અને શાલ પહેરેલા દેખાય. ભારતની અર્ધનગ્ન પ્રજા સાથે તાદાત્મ્ય કેળવવા, તેમનું પ્રતિનિધિત્વ કરવા ઓછામાં ઓછા વસ્ત્રો પહેરવા પોતાના સાથીઓને ન કહ્યું, પણ ગાંધીએ પોતે એ સિદ્ધાંત અપનાવ્યો. ગાંધીનો પાઠ ભજવવાથી ખ્યાલ આવ્યો કે પશ્ચિમી સૂટ પહેરનારાઓ વચ્ચે ખાદીનાં ઓછામાં ઓછાં કપડાં અને સાદા ચંપલ પહેરવાથી એક પ્રકારની શક્તિનો સંચાર થયાની અનુભૂતિ થાય. તેમણે ભાષણો કરીને નહીં, આચરણ દ્વારા એ કરી બતાવ્યું. દરેક શૉ પહેલાં અર્ધો કલાક કાંતતી વખતે (અહીં એ વાતની નોંધ લેવી રહે કે નાટકમાં માત્ર બે મિનિટ કાંતવાનું હતું, જેને ખાતર અર્ધો કલાક કાંતવાનું વ્રત આ અદાકારે પોતે લીધેલ નિર્ણય હતો) કપાસની નાની એવી પૂણીમાંથી તાર નીકળે એ જોવાથી એક અદ્દભુત આંતરિક અનુભૂતિ થતી હતી.

છેલ્લા કેટલાક દાયકાઓથી શ્રમ અને શ્રમિકોનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે. આ વાર્તાલાપ દરમ્યાન એ ફલિત થયું કે પશ્ચિમી સમાજે માણસ માત્રને માટીથી દૂર કરી દીધો. જમીન પર કામ કરનારા, હાથ મેલા કરનારા ખેડૂતો, માળીઓ અને કારીગરો નીચા ગણાવા લાગ્યા. એનાથી દૂર પેન અને લેપટોપ લઈને ઓફિસમાં બેસી, જમીન અને ઘરથી દૂર કામ કરનારા શિક્ષિત એટલે ઊંચા ગણાવા લાગ્યા. ગાંધીએ આ સમીકરણને સાવ ઊલટાવી નાખ્યું. તેમણે વકીલ અને બેરિસ્ટરના હાથમાં ચરખો પકડાવી તેમને માટી સાથે જોડી આપ્યા. શ્રમનિષ્ઠાની વાતો ઘણા લોકોએ કરી હતી, ગાંધીએ એ કરી બતાવ્યું. તેનાથી શ્રમ અને શ્રમિકનું સ્થાન ઊંચું ગયું, માન વધ્યું. વિકેન્દ્રીકરણ એ શાંત ક્રાંતિનો રસ્તો છે. ટોલ્સટોય અને જ્હોન રસ્કીને કહેલું કે બીજાની મજૂરી પર આધાર રાખી જીવનારા પરવશ હોય છે, માટે જાત મહેનત જ વ્યક્તિને સ્વતંત્ર બનાવે. ટૂંકી ધોતી પહેરીને બ્રિટનના રાજાને મળવા બકિંગહામ પેલેસના પગથિયાં ગાંધી જ ચડી શકે. કેમ કે તેઓ માનતા હતા કે તેઓ સત્ય આચરે છે, તો શરમ એમને શાની આવે? બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા રાજાઓ અને સરકારી અમલદારોને કિંમતી વસ્ત્રાભૂષણો ત્યાગીને આમ પ્રજા વચ્ચે કામ કરવાનું ગાંધી જ કહી શકે. કેમ કે તેમની પાસે એવું નૈતિક બળ હતું. તેઓ ઉપદેશ આપવામાં નહીં, આચરણ દ્વારા દાખલો બેસાડવામાં માહેર હતા.

જો સૉલ્ટરે નફા કેન્દ્રિત ઉત્પાદન અને વેચાણને પોષતી અર્થવ્યવસ્થાને કારણે ગ્રાહકો પોતે ખરીદે એ તમામ વસ્તુઓ શાની બને છે, તેનાથી પૃથ્વીના સ્રોત ઉપર કેવી અસર થાય, ખેડૂતો, કારીગરો અને ખુદ પોતાના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી માઠી અસર થાય છે એ વિચારવાનું જ ચૂકી જાય છે એ વાત ઉપર ધ્યાન દોર્યું. લેખકે આપણે ‘Solidarity economy’ – પરસ્પરાવલંબી અર્થવ્યવસ્થા રચવી રહી તેના પર ભાર મુક્યો જેમાં માનવી માનવી સાથે, કુદરત સાથે અને અન્ય તમામ જીવો સાથે તાલ મેળવીને કામ કરશે તો જ તેનું અસ્તિત્વ ટકી રહેશે એ ચેતવણી યાદ અપાવી.

આ મુદ્દા વિષે પૉલના વિધાનો ખૂબ જ પ્રસ્તુત લાગ્યા. તેમની માન્યતા છે કે આધુનિક વિકાસને પગલે માનવ માત્ર પાસેથી તેની સર્જનાત્મક શક્તિઓ છીનવાઈ ગઈ છે. લોકો પોતાનાં કપડાં બનાવી ન શકે, જાતે રસોઈ કરીને ભોજન ન પકવી શકે તેવી હાલતમાં તેઓ પાસે દૂર દેશોમાંથી કાચો માલ કે તૈયાર માલ ખરીદીને ગુજારો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. એક સમયની કુશળ પ્રજા શક્તિવિહીન થઈ ગઈ છે. આજની વ્યાપાર પદ્ધતિમાં જૂજ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને કંપનીના ડિરેક્ટર્સ ખૂબ કમાય એ હાલ છે. અને આ સ્થિતિ 1940ના ગુલામ ભારતને જ લાગુ નથી પડતી, આજે, આ દેશમાં પણ નવજીવન પામતી કૃષિ પદ્ધતિ અને સ્વદેશીના આગ્રહની ખૂબ જ જરૂર છે. ખોરાક અને કાપડથી માંડીને દરેક વસ્તુઓ સ્થાનિક સ્તરે પેદા થાય અને વેચાય એ અનિવાર્ય બન્યું છે. ગાંધી તેમના સમયથી પચાસ વર્ષ નહીં, સોથી પણ વધુ વર્ષ આગળનું વિચારી શકતા, એટલે જ તો સ્થાનિક સરકાર વળી વિકેન્દ્રિત લોકશાહીની વાત તેમણે મૂકી. થયું એવું કે પશ્ચિમના દેશો તો એથી વિરુદ્ધ દિશામાં ચાલતા હતા જ, પણ સ્વતંત્રતા મળ્યા બાદ ભારત પણ અવળી દિશામાં દોટ મારવા લાગ્યું. ગાંધીએ એક હાથથી વિદેશી સરકારના દમનને રોકવાનો માર્ગ બતાવ્યો, અને બીજા હાથથી રચનાત્મક કાર્યો થકી નવા સમાજનો પાયો શી રીતે નંખાય જેથી આઝાદી તેના ખરા અર્થમાં ટકી રહે તે બતાવ્યું. તેમણે ભારતની આમ જનતાને સક્રિય કરી અને રચનાત્મક કાર્યો ભણી વાળી; જેમ લાખો-કરોડો કીડીઓ સાથે મળીને કામ કરે તો મોટો પર્વત ખોદી કાઢે તેમ તેમણે ચીંધેલા માર્ગે આજે પણ દુનિયા આખીમાં લોકો અહિંસક રીતે પોતાના અધિકારોની માગ કરી રહ્યા છે એ વિવિધ ચળવળોમાં દેખાઈ આવે છે.

ગાંધીના વ્યક્તિત્વનું કયું પાસું વધુ આકર્ષક છે એ પ્રશ્નના ઉત્તરમાં પૉલે કહ્યું કે પશ્ચિમના લોકોને ગાંધીની રાજકીય પ્રતિભા ગમે, તેનું આધ્યાત્મિક પાસું ન જોઈ શકે. જ્યારે દલાઈ લામા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, ડેસમન્ડ ટુટુ વગેરેએ એ જ પાસું જોયું અને અનુસર્યા. આમ જુઓ તો ગાંધી એક ડરપોક બાળક, વકીલ તરીકે શરમાળ પ્રકૃતિને કારણે નિષ્ફ્ળ ગયેલો અને લંડન અભ્યાસાર્થે ગયો ત્યારે બ્રિટિશ થવાની મથામણ કરતો યુવક હતો. તેવામાં એને ભગવદ્દ ગીતા મળી. પોતાના વ્યક્તિત્વનું પુનર્ગઠન કર્યું. સાધન શુદ્ધિનો સિદ્ધાંત મનમાં બંધ બેસી ગયો, એટલે જ તો યુદ્ધના વિરોધી રહ્યા. હિંસા આચરવાથી કોઈ સંઘર્ષનો ઉકેલ ન આવે અને કાયમી ટકી રહે તેવી શાંતિ ન સ્થપાય એટલું જ નહીં બંને પક્ષને સારું ફળ ન મળે એવી દૃઢ એમની માન્યતા. તેને આચરણમાં મૂકીને ભારતને મુક્તિ અપાવી. આ છે ગાંધીની સહુથી મોટી દેણગી (ટેક અવે પોઇન્ટ).

અહિંસાની વિચારધારા આજના યુગમાં કેટલી પ્રસ્તુત છે એ સવાલના ઉત્તરમાં લેખકે આ નાટકમાં ગાંધીના પાત્રને મુખેથી તેના પર્યાય રૂપે ‘Lack of ill will’ શબ્દ ઉચ્ચરાયેલો તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હિંસાનો અર્થ અન્યને શારીરિક ઇજા પહોંચાડવી એ જ માત્ર નથી. મેટા સેન્ટર ફોર નોન વાયોલન્સના સ્થાપક માઈકલ નાગલરે કહ્યું છે કે સંસ્કૃત અને હિન્દી ભાષાઓમાં ‘અહિંસા’ શબ્દ સદીઓથી અસ્તિત્વ ધરાવે છે કેમ કે એ લોકોની સભ્યતામાં આ સિદ્ધાંતનું ઝીણવટભર્યું પાલન થતું આવ્યું છે, જયારે ઇંગ્લિશ ભાષામાં એ માટે કોઈ શબ્દ છે જ નહીં કેમ કે આપણે અહિંસાના સિદ્ધાંત વિષે કશું જાણતા નથી, તેનું પાલન કર્યું નથી. માટે Non violence એટલે કે જે હિંસા નથી એ શબ્દ આપ્યો. મનસા, વાચા, કર્મણા – મન, વચન અને કર્મથી સદંતર હિંસાથી મુક્ત રહીને જે તમને પોતાના દુશ્મન માને તેના પ્રત્યે પણ અક્રોધ સેવવો તે ખરી અહિંસા તેમ ગાંધીએ આચરી બતાવ્યું. આ મુશ્કેલ કામ છે. એટલે જ તો ગાંધીના આધ્યાત્મિક પથને બહુ થોડા લોકો અનુસરી શક્યા.

ખાદી અને ગ્રામોદ્યોગના સંદર્ભમાં ગ્રાહકવાદ અને હિંસાને શો સંબંધ એ વિષે વાત કરતાં લેખકે સ્પષ્ટતા કરતા કહ્યું, આજે ગ્રાહકવાદ વકર્યો છે. વધુ પડતો કુદરતી સંસાધનોનો માત્ર પોતાના પૂરતો ઉપયોગ અને વેડફાટ એ એક જાતની ચોરી છે, કેમ કે એ સંસાધનો માત્ર થોડા લોકો માટે જ નથી, અન્ય માનવીઓ અને તમામ જીવસૃષ્ટિ માટે છે. Where does it come from એ સંગઠન આપણને દરેક વસ્તુ કોણે બનાવી, કેટલે દૂરથી આયાત કરી, તેની બનવાટમાં શું વપરાયું, કારીગરો કઈ હાલતમાં કામ કરે છે, તેમને કેટલું વળતર મળે છે, માલિકો કેટલો નફો પોતાના ખિસ્સામાં નાખે છે એ બધું જ વિચારવા પ્રેરે છે. આવું વિચારનારો ગ્રાહક જ અહિંસક સમાજ રચવા પ્રતિબદ્ધ થઇ શકે. લડાઈ અસમાનતાને કારણે થાય છે, જે આજે વધતી જાય છે. આજનો નાગરિક ‘જરૂર છે’ માટે નહીં, ‘જોઈએ છે’ માટે ખરીદી કરતો થયો છે. કેમ કે વસ્તુઓ સસ્તી છે. ગ્રાહક માટે સસ્તી હશે, બનાવનાર તો માંડ પેટ પૂરતું રળે છે. અસીમ ભોગવટો એ માનવતા પ્રત્યે થતો ગુનો છે; રાજ્ય સામે ગુનો નથી થતો, એ તો આપણને સજા કરે, આપણે છૂટી જઈએ. માનવતા અને કુદરતનો ગુનો સર્વ વિનાશી હોય છે.

આ વાર્તાલાપનું સમાપન કરતાં પૉલ બેઝલીએ બે વાત બહુ મુદ્દાની કરી. એક તો એ કે આજનો શહેરી અને પશ્ચિમી સમાજમાં રહેતો માનવી ધરતીથી ઉખડી ગયો છે, એ આદિવાસીઓની માફક કહી નથી શકતો કે અમે ધરતી પુત્રો છીએ. એ સ્વામિત્વ કે પોતાના પણાની ખામી દૂર કરવા ખરીદી કરતો જ રહે છે. ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવામાં બેવડો ફાયદો છે; એક તો તમે કુદરત સાથે જોડાઓ છો અને બીજું સાદાઈ અપનાવવાથી પોતાને, બીજા માનવીઓને અને કુદરતને થતું નુકસાન અટકે એ નફામાં. બીજી વાત એ કરી કે કોવીડના કટોકટી કાળ દરમ્યાન આપણે કમાણી કરવાનું ચાલુ રાખ્યું પણ પરિવાર, સાથી કાર્યકરો અને સમાજથી વિખૂટા પડી ગયા. સાદું જીવન જીવવા માટે બાગકામ કરવું, રસોઈ કરવી, કાંતવું કે એના જેવી કોઈ પણ શ્રમયુક્ત પ્રવૃત્તિ કરવાથી જીવન સાદું અને આનંદમય રહે એ ગાંધીનો સંદેશ જીવનમાં ઉતારીએ.

e.mail : 71abuch@gmail.com

Loading

શિવ સેના Vs શિવ સેના

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 June 2022

અટલ બિહારી વાજપેઈ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આમ તો જોજનોનું અંતર છે, પરંતુ 22મી તારીખે ઉદ્ધવે પાર્ટી અને રાજ્યના નાગરિકોને સંબોધ્યા, ત્યારે ઘણા લોકોને વાજપેઈનું એ ભાષણ યાદ આવી ગયું હતું, જે તેમણે 1996માં સંસદમાં તેમની સામે આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર આપ્યું હતું. તેમની પાસે બહુમત નહોતો અને તેમણે રાષ્ટ્રપતિને તેમનું રાજીનામું સુપરત કર્યું હતું. 31 મેના રોજ, સંસદમાં તેનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું;

“મારી પર આરોપ છે કે હું સત્તાનો લાલચી છું, અને પાછલા 10 દિવસમાં જે પણ કર્યું છે તે બધું સત્તા માટે કર્યું છે. 40 વર્ષથી આ સદનનો સભ્ય છું. સભ્યોએ મારો વ્યવહાર જોયો છે. અમે ક્યારે ય સત્તા માટે ખોટું કામ કરવા તૈયાર નથી થયા. હું કહી દઉં છું કે જો મારે પાર્ટી તોડીને સરકાર બનાવવી પડી, તો એવી સત્તાને હું ચીપિયાથી પણ નહીં પકડું. સત્તાનો ખેલ ચાલતો રહેશે … સરકાર આવશે અને જશે, પાર્ટી બનશે અને બગડશે, પણ દેશનું લોકતંત્ર અમર રહેવું જોઈએ.”

શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં (અને ગુજરાત તેમ જ આસામમાં ભા.જ.પ. સરકારની પોલીસના સક્રિય સહયોગમાં), પાર્ટીના 35 વિધાનસભ્યોએ ‘બળવો’ કર્યો, તે પછી બુધવારે સાંજે એક લાઈવ ટેલિકાસ્ટ મારફતે કોવિડગ્રસ્ત ઉદ્ધવ ઠાકરેએ જે રીતે મુખ્ય મંત્રી પદ છોડવાની ઓફર કરી હતી, તેમાં વાજપેઈ જેવો જ જુસ્સો હતો. તેમણે તેમના પિતા બાળ ઠાકરેની આક્રમક શૈલીથી વિપરીત, સૌમ્ય અને લાગણીસભર ભાવથી કહ્યું હતું;

“આપણે કાઁગ્રેસ અને એન.સી.પી. સાથે હાથ મિલાવ્યા હતા, ખુરશી છોડવાનું મને તેમણે નથી કહ્યું. મારા માટે દુઃખની વાત એ છે કે મારા પોતાના લોકોએ મારામાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. હું તો તેમને મારા ગણું છું; મને તેમના વિશે ખબર નથી. હું રાજીનામું આપવા તૈયાર છું, પણ મારી સામે આવો અને આંખમાં આંખ નાખીને કહો. મને કહી દો કે મારે રાજીનામું આપી દેવું જોઈએ અને હું આપી દઈશ. મને આ ખુરશી અનપેક્ષિત રીતે મળી હતી, અને મારા લોકો કહેશે તો પછી આપી દઈશ. લોકશાહીમાં સૌથી વધુ સંખ્યા જેની પાસે હોય તે શક્તિશાળી કહેવાય છે, પણ હું બધાને સમાન ગણું છું. એટલે એક સભ્ય પણ જાય તેને હું નિષ્ફળતા ગણું છું. આ મારું સૌથી મોટું સંકટ નથી. આપણે પાછા આવીશું અને ઘણા સંકટોનો સામનો કરીશું. હું સંકટથી ભાગી જનારાઓમાં નથી.”

મહારાષ્ટ્રની સરકારનું શું થાય છે તે એક બીજો મુદ્દો છે, પરંતુ જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરેનો પ્રશ્ન છે ત્યાં સુધી, તેમણે જે શુદ્ધતા અને ઈમાનદારી બતાવી છે, તે ભારતની ગંદી રાજનીતિમાં એક તાજગી સમાન છે. કોરોનાની મહામારી વખતે ઉદ્ધવે જે નિષ્ઠાથી વહીવટ કર્યો હતો તેનાં બહુ લોકો વખાણ કર્યા હતાં અને બુધવારના તેમના ભાષણ પછી ઘણા લોકોમાં તેમના માટે માન વધી ગયું છે. એવા કેટલા નેતા તમને યાદ છે જે તેમનું સરકારી નિવાસસ્થાન તાબડતોબ ખાલી કરે દે? ઉદ્ધવે તેમનું ભાષણ ખતમ કર્યું તે પછી રાતે મુખ્ય મંત્રીના અધિકૃત નિવાસ “વર્ષા” બંગલો ખાલી કરી દીધો હતો.

તેમની પાસે સંખ્યા બળ નહોતું એટલે તેમણે એન કેન પ્રકારેણ ખુરશી જાળવી રાખવા કોઈ પ્રયાસ નથી કર્યો. એને બે રીતે જોઈ શકાય; સંખ્યાબળની રાજનીતિમાં તેને અણઆવડત કહેવાય. પાર્ટીમાં અસંતોષ હતો અને સાગમટે આટલા બધા વિધાયકો સુરત જતા રહ્યા એ એક મુખ્ય મંત્રીને ખબર ન પડી તે ગાફેલ રહ્યા એવું કહેવાય. બીજી બાજુ, પીચ ઉપર વિરોધીઓ અને અસંતુષ્ઠો દ્વારા અંચય થતી હોય તો પણ એમાં સામેલ થયા વગર નિયમપૂર્વક જ રમવું એ અંગત શુદ્ધતાનું પ્રતીક છે. વાજપેઈએ આવી જ રીતે અંચય કરવાની ના પાડી દીધી હતી. ઉદ્ધવે પણ એવો જ રસ્તો અપનાવ્યો છે તેની પ્રશંસા તો બને છે.

એટલા માટે જ તેમણે પડદા પાછળ ખેલ પાડવાને બદલે ફેસબૂક લાઈવ થઇને વિધાયકોને સીધા જ સંબોધવાનું મુનાસીબ માન્યું હતું. તેમની વાતમાં અને અવાજમાં એક પ્રમાણિક અપીલ હતી. તેમને ખબર હતી કે તેઓ શિવસેનાના ઇતિહાસમાં સૌથી મોટા બળવાનો સામનો કરી રહ્યા હતા. અગાઉ, શિવસેનાએ રાજ ઠાકરે, છગન ભુજબળ અને નારાયણ રાણેનો વિદ્રોહ જોયો હતો. સંખ્યાબળ તેમના પક્ષમાં નહોતું એટલે જ ઉદ્ધવે શિવસેના અને બાળા સાહેબના વારસાના સમ આપીને પાર્ટીના હીતમાં ખુરશી છોડી દેવા ઓફર કરી હતી.

ત્રણ દાયકા પહેલાં, 1992માં, ખુદ બાળા સાહેબ ઠાકરે પણ આવી જ રીતે ઓફર કરી હતી. તેમની કામ કરવાની પદ્ધતિને લઈને શિવસેનામાં નારાજગી હતી. ખાસ તો, શિવસેનાના જૂનાં જોગી માધવ દેશપાંડેએ જ એ સવાલ ઉઠાવીને આરોપ મુક્યો હતો કે તેમનો ભત્રીજો રાજ ઠાકરે અને દીકરો ઉદ્ધવ ઠાકરે પાર્ટીમાં બહુ દાખલઅંદાજી કરે છે.

તેનાથી વિચલિત થયેલા બાળા સાહેબે પાર્ટીના મુખપત્ર ‘સામના’માં એક લેખમાં કહ્યું હતું, “જો એકપણ શિવ સૈનિક મારા કે મારા પરિવારની વિરુદ્ધ થઇ જાય અને કહે કે તમારા કારણે અમે પાર્ટી છોડી દીધી છે, તો મારે આ મિનિટે જ શિવસેનાનું અધ્યક્ષ પદ છોડી દેવું છે. મારો પૂરો પરિવાર શિવસેના છોડી રહ્યો છે.”

તેના પગલે પાર્ટીમાં ઘમાસાણ મચી ગયું હતું. બધા વિરોધ અને ફરિયાદો બાજુએ મૂકીને બાળા સાહેબને મનાવવા માટે કવાયત ચાલી હતી. અમુક શિવ સૈનિકોએ તો આત્મવિલોપનના પ્રયાસ કર્યા હતાં. છેલ્લે, ઘીના ઠામમાં ઘી એવું પડ્યું કે બાળા સાહેબ જીવ્યા ત્યાં સુધી કોઈએ ચૂં કે ચા ન કરી.

ઉદ્ધવની અપીલ કેમ કારગત ન નીવડી

ઉદ્ધવ ઠાકરેયે પણ, પિતાની જેમ, ઈમોશનલ અપીલ કરીને બળવાખોર વિધાયકોના હૃદય પરિવર્તનની કોશિશ કરી હતી, પરંતુ તેની ધારી અસર પડી નહોતી. ઇન ફેક્ટ, ૩૫ વિધાયકો સુરતથી ગૌહાટી પહોંચ્યા અને ઉદ્ધવે ફેસબૂક લાઈવ પર તેમને અપીલ કરી તે પછી પણ બીજા વધુ વિધાયકો ગૌહાટીમાં બળવાખોર છાવણીમાં જઈને બેઠા હતા.

વાસ્તવમાં, ઉદ્ધવના ભાષણ સુધી એવું લાગતું હતું કે આ બળવો મુખ્ય મંત્રી સામે છે. ખુદ ઉદ્વવે જે રીતે અંગત સંદર્ભો આપીને વાત કરી હતી તેમાં તેમને પણ એવું જ લાગતું હતું કે આ બધી મગજમારી મુખ્ય મંત્રીની ખુરશી માટેની છે અને હું ખસી જઈશ તો નારાજગી દૂર થઇ જશે, પરંતુ તેમના ભાષણ પછી બળવાખોર જૂથ તરફથી (ટ્વીટ મારફતે) એવા સંકેત આવવા લાગ્યા કે આ બળવો મુખ્ય મંત્રી સામે નથી. આ બળવો એન.સી.પી. અને કાઁગ્રેસ સાથે શિવસેનાના ગઠબંધન સામે છે. અથવા વધુ સ્પષ્ટ રીતે કહીએ તો, બળવાખોર વિધાયકો શિવસેનાએ હિન્દુત્વને પડતું મુક્યું એટલે નારાજ હતા અને આ ‘અપવિત્ર’ ગઠબંધન તોડવા માંગતા હતા.

2019માં, વિધાનસભાની ચૂંટણીમાં, શિવસેનાની સહયોગી ભારતીય જનતા પાર્ટી સાથે મુખ્ય મંત્રી અને અન્ય મહત્ત્વનાં વિભાગોને લઈને મતભેદો થતાં, ઉદ્ધવ ઠાકરેએ ભા.જ.પ.ને સત્તાથી દૂર રાખવા માટે શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી અને કાઁગ્રેસ સાથે હાથ મિલાવીને મહા વિકાસ આઘાડી ગઠબંધન બનાવ્યું હતું. શિવસેનાએ બિનસાંપ્રદાયિક દળો સાથે સત્તાની ગોઠવણ કરી તેનાથી ભા.જ.પ.ને તો ચચરી જ ગઈ હતી અને તેનો બદલો લેવાની ફિરાકમાં તે હતી. (2019માં એન.સી.પી.ના ડેપ્યુટી મુખ્ય મંત્રી અજીત પવારે ભા.જ.પ.ના દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને સરકાર રચવા સુધી પહોંચી ગયા હતા), બીજી તરફ બાળા સાહેબના કટ્ટર હિન્દુત્વના અનુયાયીઓને ઉદ્ધવનું ‘સોફ્ટ હિદુત્વ’ માફક આવતું નહોતું. તેમને લાગતું હતું કે શિવસેનાનું મૌલિક વ્યક્તિત્વ એન.સી.પી.-કાઁગ્રેસના સંગથી કલંકિત થઇ રહ્યું છે.

શિવસેનાના બુનિયાદી મરાઠી મતદારોમાં એવી લાગણી પ્રબળ બની હતી કે બાળા સાહેબની કટ્ટર હિન્દુત્વની વિચારધારાથી શિવસેના છૂટી પડી ગઈ છે અને સત્તા માટે એન.સી.પી.-કાઁગ્રેસની વિરોધી નૌકામાં બેસી ગઈ છે. અઠવાડિયા પહેલાં જ ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ અયોધ્યાની મુલાકાત લીધી હતી તેની પાછળ શિવસેનાનો સંકેત એ જ હતો કે તે હજી પણ હિંદુત્વની રક્ષક છે. ઇન ફેક્ટ, એ મુલાકતમાં એકનાથ શિંદેને સાથે રાખવામાં આવ્યાં ન હતા એ પણ નારાજગીનું એક કારણ છે.

એટલે, ઉદ્વવ ઠાકરેએ રાજીનામું આપવાની ઓફર કરી, તો એકનાથ શિંદેએ વળતી માંગણી એવી કરી કે હિન્દુત્વની વિચારધારાની રક્ષા કરવા માટે શિવસેનાએ એન.સી.પી. સાથેનો સંબંધ કાપી નાખવો જોઈએ. ઉદ્ધવના ભાષણ પછી શિંદેએ ટ્વીટ કરી હતી કે, મહા વિકાસ આઘાડીનું ગઠબંધનનો ફાયદો માત્ર તેના સાથી પક્ષોને થઇ રહ્યો છે અને સેનાના કાર્યકરોને નુકસાન થઇ રહ્યું છે.

સોફ્ટ હિન્દુત્વના શિંદેના આરોપ પર ઉદ્ધવે એવી સ્પષ્ટતા કરી હતી કે સેના અને હિન્દુત્વ કાયમ બરકરાર છે. ન સેનાને હિન્દુત્વથી અલગ કરી શકાય કે ન તો હિન્દુત્વને સેનાથી અલગ કરી શકાય. શિંદે અને તેમના સમર્થકોનો બળવો એ વાતની સાબિતી છે કે એન.સી.પી.-કાઁગ્રેસના સંગમાં, અઢી વર્ષથી શિવ સેનાએ જે નરમ અભિગમ અપનાવ્યો હતો તે પાર્ટીના મૂળ સ્વભાવથી અલગ હતો અને શિવસૈનિકો દિશાવિહીન અનુભવ કરતાં હતા.

એકનાથ શિંદેએ પણ તેમને સત્તાની ભૂખ છે તેવો સંદેશો ન જાય અને પૂરી સેનાનું સમર્થન મળે તે માટે હિન્દુવની ઢાલ આગળ ધરી છે. “બાળ ઠાકરે એન્ડ ધ રાઈઝ ઓફ શિવસેના” પુસ્તકના લેખક વૈભવ પુરંદરે એક ટી.વી. મુલાકાતમાં કહે છે, “આ વિદ્રોહથી પાર્ટીની નેતાગીરી પર સવાલ ઊભા થયા છે. જે રીતે પાર્ટી કામ કરી રહી છે, જે મુદ્દા પાર્ટીએ ઉઠાવ્યા છે, જે પાર્ટીઓ સાથે સેનાએ ગઠબંધન કર્યું છે તેની પર અને ગઠબંધન પહેલાં સેનાએ વિધાયકોને વિશ્વાસમાં લીધા હતા, શું સેના ઠાકરે પરિવારના અમુક લોકો ચલાવી રહ્યા છે એ સવાલો પણ પુછાઈ રહ્યા છે.”

શિવસેના કોની

શિંદેનો કેમ્પ જે સંકેતો આપી રહ્યો હતા તે પ્રમાણે સાચી શિવસેના કઈ? ઉદ્ધવ ઠાકરે પાસે છે તે કે શિંદે પાસે જે જૂથ છે તે? તેવો પ્રશ્ન ઊભો થયો હતો. શિંદે એક જૂથ વતીથી કે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બોલતાં નહોતા. એ આખી શિવસેના વતી એન.સી.પી.-કાઁગ્રસ વિરુદ્ધ બોલતા હતા અને ઉદ્ધવને પણ એ જ અપીલ કરી હતી.

આનું એક કારણ છે. શિંદે જો શિવસેના પાર્ટી તોડે, તો તેમની પર પક્ષાંતર વિરોધી કાનૂન લાગુ પડે અને વિધાયકો ગેરબાતલ ઠરે. એમાંથી બચવા માટે શિવસેનાએ ભા.જ.પ. સાથે હાથ મિલાવા પડે. શિંદે ઉદ્વવને મહા વિકાસ આઘાડી છોડવાનું કહેતા હતા તેનું કારણ જ એ છે કે તેમને ભા.જ.પ.નું સમર્થન હતું. આખીને આખી શિવસેના જો ભા.જ.પ. સાથે ગઠબંધન કરે તો કાનૂની ગુંચ ઊભી ન થાય. એટલાં માટે એકનાથ શિંદેએ નવો ચોકો બનાવાનો ખેલ નથી કર્યો. તેમણે ઉદ્ધવ સહિત તમામ સેના વિધાયકોને અપીલ કરી છે કે તમે મને સપોર્ટ કરો, મને ભા.જ.પ.નો સપોર્ટ છે અને આપણે સરકારમાં ચાલુ રહીશું.

લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી.ડી.ટી. આચાર્યએ ‘સ્ક્રોલ’ પોર્ટલને કહ્યું હતું કે, “અસલી શિવસેના કઈ છે તે ચૂંટણી પંચ દ્વારા નક્કી થશે. પાર્ટીનાં જ્યારે બે ફાડિયાં થાય અને બંને પક્ષ ઓરિજીનલ હોવાનો દાવો કરે, ત્યારે મામલો ચૂંટણી પંચ પાસે જાય. શિવસેનાને ચૂંટણી પંચે માન્યતા આપી છે, એટલે સ્વાભાવિક રીતે જ, પંચ જ એ નક્કી કરશે કે અસલી પાર્ટી કઈ છે. વિધાયકો કે સ્પીકરની એમાં કોઈ ભૂમિકા નથી.”

આચાર્યના મતે રાજ્યમાં ઊભા થયેલાં રાજકીય સંકટમાં ત્રણ સંભવાનાઓ છે :

1. સરકાર વિધાનસભાને બરખાસ્ત કરવાની રાજ્યપાલને ભલામણ કરી શકે છે. મહા વિકાસ આઘાડીનો બહુમત પુરવાર થયેલો છે એટલે રાજ્યપાલને આ ભલામણ સ્વીકારવી પડે.

2. ભા.જ.પ.ના વિધાયકો સાથે એકનાથ શિંદે રાજ્યપાલ પાસે જઈને એવું કહી શકે કે શિવસેનાએ મહા વિકાસ આઘાડી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. એ પછી રાજ્યપાલ મુખ્ય મંત્રીને બહુમત સાબિત કરવા સૂચના આપે. જો બહુમત સાબિત ન થાય તો રાજ્યપાલ વિરોધ પક્ષને સરકાર રચવા આમંત્રણ આપે.

3. શિવસેના વિધાયકોની બેઠક બોલાવે અને છૂટા પડેલા વિધાયકો એમાં હાજર ન રહે તો શિવસેના એવું જાહેર કરે કે તેમણે પાર્ટીનું સભ્યપદ છોડી દીધું છે. એવું થાય તો એ વિધાયકો ગેરલાયક ઠરે. એવું ન થાય તે માટે સેનાના બે તૃતીયાંસ વિધાયકોએ ભા.જ.પ.માં જોડાઈ જવું પડે. આ વિચિત્ર પ્રસ્તાવ છે. એટલે પ્રશ્ન એ થાય કે અસલી પાર્ટી કઈ?

જો કે, શિંદે જૂથે 35 વિધાયકોના હસ્તાક્ષરવાળો એક પત્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને આપીને શિવસેનાના મુખ્ય વ્હીપને બદલ્યા હોવાનો દાવો કર્યો છે. સાથે જ, જૂથે શિવસેનાના ચૂંટણી પ્રતીક ‘તીર-કામઠા’ પર પણ દાવો કર્યો છે.

એક વાત ચોક્કસ છે. શિવ સેના પહેલાં જે હતી તેવી હવે રહેવાની નથી. સેના સુપ્રીમો બાળ ઠાકરેના અવસાન પછી જ સેના કમજોર પડવાની શરૂઆત થઇ હતી. તેને સૌથી મોટો ધક્કો ત્યારે લાગ્યો હતો જયારે 2005માં રાજ ઠાકરેએ ઉદ્ધવથી અલગ થઇને સમાંતર સેનાની રચના કરી હતી. 1990માં, છગન ભુજબળે 18 વિધાયકો સાથે છે એવો દાવો કરીને બળવો કર્યો હતો. 2005માં, નારાયણ રાણેએ 40 વિધાયકોના કથિત સમર્થન સાથે બળવો કર્યો હતો. આ વખતે એકનાથ શિંદેએ માત્ર બળવો જ નથી કર્યો. તેમણે શિવ સેના પર જ કબજો કરવા પ્રયાસ કર્યો છે.

કમજોરીનું મૂળ કારણ એ છે કે 50 વર્ષના અસ્તિત્વ પછી પણ શિવ સેના એકહથ્થુ શાસન વાળી પાર્ટી જ રહી છે, તે એક સંગઠનથી આગળ વધીને એક પરિપક્વ રાજકીય તાકાત બની શકી નથી. કોઇ પણ સંગઠન અથવા રાજકીય પક્ષમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા કેવી છે તેના પર તેની પ્રગતિનો આધાર હોય છે. એમાં જ્યારે એકથી વધુ નેતાઓ અને હજારો કાર્યકરો જોડાયેલા હોય ત્યારે તેમાં સૌનો અવાજ સંભળાતો હોય તેવી નિર્ણય-પ્રક્રિયા હોવી જોઈએ. શિવ સેનાની આ પહેલા જ દિવસથી ખામી રહી છે કે એમાં ઠાકરે પરિવાર જ બધા નિર્ણય લેતો હતો અને બીજાઓએ તેને આંખ બંધ કરીને અમલ કરવાનો હતો.

બાળ ઠાકરે હતાં ત્યાં સુધી તો તેમના અંગત કરિશ્માના કારણે એ રીત કારગત રહી, પરંતુ તેમના ગયા પછી નિયમિત રીતે તેની કેડરમાં એવી લાગણી મજબૂત થતી ગઈ કે તેમને કશું પૂછવામાં આવતું નથી. સેનામાં અત્યાર સુધી જે બળવા થયા છે તેનું મૂળ કારણ જ એ છે કે સરકાર ચલાવવામાં, જનકલ્યાણની યોજનાઓ લાગુ કરવામાં, પક્ષનો વ્યાપ વધારવામાં કે ઇવન સેનાને રાજ્યના સીમિત દાયરામાંથી બહાર કાઢવા જેવી મહત્ત્વાકાંક્ષી બાબતોમાં ન તો કોઈ કોઈને પૂછવામાં આવતું હતું કે ન તો કશું કહેવામાં આવતું હતું.

જો કે, વિધાયકોના બળવાના શરૂઆતના આઘાતમાંથી ઉદ્ધવ ઠાકરે બે દિવસ પછી બહાર આવી ગયા છે, અને શરદ પવારના સાથ-સહકાર અને સમજ પ્રમાણે તેઓ એકનાથ શિંદેની અસલી તાકતને વિધાનસભાના ફ્લોર પર માપવા માટે કમર કસી રહ્યા છે.

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઇ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કેમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે. હવે મહારાષ્ટ્રની શિવ સેનાની આ લડાઈ વિધાનસભામાં, કોર્ટમાં અને સડકો એમ ત્રણ જગ્યાએ લડશે. એ ત્રણે માટે શિંદે એન્ડ કંપનીએ પાછા તો આવવું પડશે. એ આસામમાં બેસીને મહારાષ્ટ્રમાં રાજ કરવાનું સપનું સાકાર નહિ કરી શકે.

આ પાંચ કારણથી બળવો થયો

1. થાણેમાંથી શિવ સેનાના વિધાયક અને અર્બન ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક વર્કસ મંત્રી એકના શિંદે 1997થી સેનામાં કાર્યરત છે. ત્યારથી લઈને તેમણે પાર્ટીમાં, વિધાનસભામાં અને સરકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 2019થી, મહા વિકાસ આઘાડી સરકારમાં તો તેમને મહત્ત્વનું કામ મળ્યું હતું, પરંતુ પાર્ટીમાં તેમની ઉપેક્ષા થતી હતી. મહત્ત્વનાં નિર્ણયોમાં તેમને પૂછવામાં આવતું નહોતું. ઉદ્ધવ તેમના પસંદગીના વિશ્વાસુઓ સાથે પાર્ટી ચલાવતા હતા. શિંદેને કદ પ્રમાણે વેતરાઈ ગયાનો અહેસાસ થતો હતો તે તેમના બળવા માટે પ્રમુખ કારણ છે.

2. શિંદેએ ટ્વીટર પર દાવો કર્યો હતો તેઓ બાળ ઠાકરેના અનુયાયી છે અને રાજકીય ફાયદા માટે ક્યારે ય તેમાં સમાધાન નહીં કરે. આમાં ઉદ્વવ પ્રત્યે શ્લેષ છે, કારણ કે ઉદ્ધવે સત્તા મેળવવા માટે હિન્દુત્વ સાથે છેડો ફાડીને બિનસાંપ્રદાયિક પક્ષોનો સાથ લીધો હતો

3. એકનાથ શિંદેની નારાજગીનું એક કારણ એવું મનાય છે કે તેમને પાર્ટીમાં તેમની ઉપેક્ષા થતી હોવાનું લાગતું હતું. તેમને અને તેમના સમર્થકોને લાગતું હતું કે શિવ સેનામાં પેઢીગત બદલાવ (આદિત્ય ઠાકરે એવું વાંચવું) આવી રહ્યો હતો અને ઘણા સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. અઠવાડિયા પહેલાં જ, વિધાનપરિષદની ચૂંટણીને લઈને શિંદે અને આદિત્ય તેમ જ સંજય રાઉત સાથે બોલાચાલી પણ થઇ હતી.

4. એક ચર્ચા સુરક્ષા કવચને લઈને પણ છે. શિંદેને ઝેડ સિક્યુરિટી કવર હતું, પરંતુ તેમને અન્ય મોટા નેતાઓની જેમ ઝેડ-પ્લસ કવરની ખ્વાહિશ હતી. કહે છે કે તેમણે એ માંગણી કરી હતી પરંતુ તેની ઉપેક્ષા કરવા આવી હતી.

5. મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસ ‘વર્ષા’ બંગલો અને ઉદ્ધવ ઠાકરેના પારિવારિક નિવાસ ‘માતોશ્રી’માં અમુક જ લોકોને અવરજવર રહેતી હતી એવી એક ફરિયાદ છે. ઉદ્ધવે તેમના ભાષણમાં આ ઉલ્લેખ પણ કર્યો હતો કે તેઓ કોઈને મળતા નથી એ વાત ખોટી છે. ઇન ફેકટ, તેમણે બંગલો ખાલી કર્યો ત્યારે બળવાખોર જૂથના એક નેતાએ કહ્યું પણ હતું કે બહુ વખત પછી ‘વર્ષા’ના દરવાજા ખુલ્લા જોવા મળ્યા.

6. એક કારણ શરદ પાવરની રાષ્ટ્રીય કાઁગ્રેસ પાર્ટી હતી. શિંદે સહિત અનેક નેતાઓને એવું લાગતું હતું કે સરકારમાં એન.સી.પી.નું જ બહુ ચાલે છે અને સેનાના નેતાઓને તેમના ભવિષ્યને લઈને ચિંતા થાય છે.

ભા.જ.પ. કા સાથ, શિંદે કા વિકાસ

ભારતીય જનતા પાર્ટીની મદદ વગર એકનાથ શિંદે આટલા બધા વિધાયકોને અલગ લઈને ઊભા થઇ ગયા હોત? વરિષ્ઠ મરાઠી પત્રકાર ગિરીશ કુબેર એક જગ્યાએ લખે છે કે, “શિંદેએ હિન્દુત્વ પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે એટલે શિવ સેના તોડી છે એવું માનવું નાદાની કહેવાય. શિંદે અને તેમના સમર્થકોને ભા.જ.પે. લલચાવ્યા છે એવો સેનાનો આરોપ અસ્થાને નથી. શિવ સેનાએ એન.સી.પી.-કાઁગ્રેસ સાથે ગઠબંધન કર્યું તેનું અપમાન ભા.જ.પ. ભૂલ્યું નહોતું. એનો બદલો લેવા માટે ભા.જ.પે. બે રીત અપનાવી હતી. એક તો તેઓ નિયમિટ રીતે મહા વિકાસ આઘાડીના મંત્રીઓને ભ્રષ્ટાચારના કેસો કરવાની બીક બતાવતા રહ્યા હતા. બીજી બાજુ, તેઓ સેનાના અમુક નેતાઓમાં ‘ઇન્વેસ્ટમેન્ટ’ કરી રહ્યા હતા. એમાં એક એકનાથ શિંદે હતા. શિંદે પાસે અર્બન અને રોડ ડેવલપમેન્ટનો સૌથી માલદાર વિભાગ હતો. કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટવાળા આ વિભાગમાં ભા.જ.પ.ને કેમ કોઈ ભ્રષ્ટાચાર ન દેખાયો?”

‘ભા.જ.પ. ચિત્રમાં ક્યાં ય નથી’ એવું ચિત્ર ઊભું થયું છે તેનું એક માત્ર કારણ 2019માં થયેલો અજીત પવારનો ફિયાસ્કો છે. ભા.જ.પ.ને છેહ દઈને સેનાએ મહા વિકાસ આઘાડીની સરકાર બનાવી ત્યારથી મહારાષ્ટ્ર ભા.જ.પ.ના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ ભવિષ્યવાણી ભાખતા હતા કે સરકાર ગમે ત્યારે પડી જશે. અત્યારે એ એવું કહે છે કે “આ શિવસેનાનો અંદરનો મામલો છે.” વાસ્તવમાં, પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે એન.સી.પી.ના અજીત પવારને સાધીને વહેલી સવારે શપથ લઇ લીધા હતા, પરંતુ શરદ પવારની કુનેહના કારણે બે દિવસમાં એ સરકાર પડી ભાંગી હતી અને અજીત પવાર પાછા આવતા રહ્યા હતા, તેમાંથી શીખ લઈને આ વખતે ભા.જ.પ. સંપૂર્ણપણે પડદા પાછળ રહેવાનું નક્કી કર્યું છે.

બાકી, શિંદેને ગુજરાત-આસામમાં આવવા-રહેવાની, પોલીસ સુરક્ષાની અને મહાવિકાસ આઘાડીની સરકારને પાડવા માટેની રાજકીય મદદ ભા.જ.પ. જ પૂરી પાડી રહી છે એવું સૌ માને છે. ફરક એટલો જ છે કે ભા.જ.પ.ના એક પણ નેતાને એક પણ જાહેર ટીપ્પણી કરવાની ના ફરમાવામાં આવી છે.

પ્રગટ : ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 26 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3411,3421,3431,344...1,3501,3601,370...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved