Opinion Magazine
Number of visits: 9458590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મેઘદૂત’ની રજનીકુમાર પંડ્યાએ સર્જેલી આવૃત્તિ : એક પુસ્તક-રત્ન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 June 2022

ગયા એકાદ દાયકાથી આજે, અર્થાત્ આષાઢસ્ય પ્રથમ દિવસે, કાલિદાસના ‘મેઘદૂત’ને રજનીકુમાર પંડ્યાના ‘મેઘદૂત’ દ્વારા યાદ કરું છું.

‘આપણા સહુના’ રજનીકુમારે 'મેઘદૂત'ની એક એવી અનન્ય આવૃત્તિ તૈયાર કરી છે કે જે કાલિદાસની કૃતિની જેમ જ સૌંદર્યથી ઓતપ્રોત છે. પાનેપાને ચિત્રોના રંગોત્સવ સાથેના આ પુસ્તકમાં, મેઘદૂતના કિલાભાઈ ઘનશ્યામે 1913માં કરેલાં સમશ્લોકી ગુજરાતી અનુવાદ, વિવરણ અને પૂરક માહિતી છે. પુસ્તક સાથે બે કૉમ્પૅક્ટ ડિસ્ક (સી.ડી) છે. તેમાં અગ્રણી ગાયક પ્રફુલ્લ દવેના આવાજમાં મેઘદૂતનું સંગીત-સ્વરૂપ સાંભળવા મળે છે, જેની સ્વરરચના આશિત દેસાઈએ કરી છે. મન્દાક્રાન્તા છંદના શ્લોકોના વૈવિધ્યપૂર્ણ ઢાળમાં કરેલાં ગાયનની વચ્ચે માધૂર્યસભર સમાલોચના (કૉમન્ટરી) વિદ્યુલ્લતા ભટ્ટે કરી છે.

આંખ, કાન અને મનને એક સાથે અત્યંત આનંદથી તરબતર કરી દેનારું આવું બીજું પુસ્તક ભાગ્યે જ જોવા મળે. આ ગ્રંથરત્ન 26 એપ્રિલ 2010ના રોજ મને ભેટ આપનાર રજનીભાઈનો અત્યંત ઋણી છું.

આ પુસ્તકની માત્ર પરિકલ્પના જ નહીં,પણ તેના સમગ્ર નિર્માણનું દિગ્દર્શન કરનાર રજનીકુમાર  સંપાદકીયમાં જણાવે છે કે તેઓ પહેલેથી જ 'મેઘદૂત'ના  અભ્યાસી ન હતા. તેમનો 'મેઘદૂત' સાથેનો જૂજ  પરિચય તેની પરથી 1945માં બનેલી હિંદી ફિલ્મમાં જગમોહન સૂરસાગરે ગાયેલાં એક ગીત થકી હતો. આ કૃતિના ‘અસલી વિત્તનો ઉઘાડ’ તેમના ચિત્તમાં તેમના વાચક અને શ્રેષ્ઠી નવનીતલાલ શાહને કારણે થયો. બેન્ટોનાઈટ(એક પ્રકારની માટી)નો ધંધો ચલાવનાર મુંબઈના સાહિત્યરસિક નવનીતલાલે એક વખત રજનીભાઈને મેઘદૂતના કિલાભાઈના અનુવાદના  કેટલાક શ્લોકો સંભળાવ્યા અને તેની ભૂરકી હેઠળ રજનીભાઈએ મેઘદૂતનો પ્રકલ્પ હાથમાં લીધો. નવનીતલાલને આ પ્રકલ્પ શી રીતે સૂઝ્યો તે અંગેની તેમના ‘હૃદની વાત’માં તેમની રસિકતાનો નિર્દેશ કરે છે.

નવનીતલાલના હિરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશનના ઉપક્રમે આ પુસ્તક માર્ચ 2010માં પ્રસિદ્ધ થયું. આ જ ફાઉન્ડેશનના ટેકા હેઠળ રજનીભાઈએ ધીમંત પુરોહિત સાથે ‘વીસમી સદી’ અને ‘પ્રકૃતિ’ નામના,  સીમાચિહ્ન સમાં ગુજરાતી સામયિકોનું ડીજિટાઇજેશન કર્યું.

ત્યાર બાદ બિરેન અને ઉર્વીશ કોઠારીની સાથે નવનીતલાલના મિત્ર શાયર રુસ્વા મઝલૂમી વિશેના ગ્રંથ તેમ જ ગાયિકા જૂથિકા રૉયની આત્મકથાના પ્રકાશન  તેમ જ આ બંને કલાકારો પરની ડૉક્યુમન્ટરી બનાવવાનાં કામ ઉત્તમ રીતે પાર  પાડ્યાં.

રજનીકુમારની 'મેઘદૂત'ની આવૃત્તિ 123 શ્લોકોમાં રચાયેલી આ મહાન કૃતિ માટેનો જાણે એક નાનકડો સર્વસંગ્રહ – compendium છે. તેમાં ભરપૂર પૂરક માહિતીમાં છે, જેમાં સહુથી આકર્ષક રામગિરીથી અલકાપુરી સુધીના મેઘમાર્ગનો ભૂગોળ અને કળાના સંયોજન સાથેનો નકશો. મેઘદૂતમાં ઉલ્લેખાયેલાં સ્થાનો, વનસ્પતિ, પશુપક્ષી ઇત્યાદિની રસપ્રદ યાદી છે.

કાલિદાસ વિશેની કથની અને કિંવદંતીઓ સ્વાભાવિકપણે હોય; સાથે 'મેઘદૂત'ના રચનાસ્થળ રામટેક, 'મેઘદૂત'ની ટપાલટિકિટ અને ઉજ્જૈનની કાલિદાસ સંસ્કૃત અકાદમી વિશેની નોંધ પણ છે. 'મેઘદૂત'ના ગુજરાતીમાં થયેલાં ચાળીસ જેટલા અનુવાદોમાંથી આઠની યાદી અહીં છે. તેમાંથી સૌથી લોકભોગ્ય અને નિવડેલા અનુવાદના કર્તા કિલાભાઈ ઘનશ્યામ (1868 -1913) વિશે સંતોષકારક માહિતી મળે છે.

નોંધપાત્ર છે  કે તમામ પૂરક અભ્યાસપૂર્ણ સામગ્રી સરળ  ભાષામાં અને ટૂંકમાં રજૂ થઈ છે.

'મેઘદૂત' ચિત્રકારો માટે હંમેશાં ખૂબ  આકર્ષણનો વિષય રહ્યો છે. તેવા કલાકારોનાં હજારો ચિત્રોમાંથી  સત્તર ચિત્રો ‘ચિત્રસમૃદ્ધિ’ વિભાગમાં, દરેક ચિત્રને લગતા શ્લોક સાથે જોવા મળે છે. તેમાં છ ચિત્રો કનુ દેસાઈનાં છે. અન્ય ચિત્રકારો આ મુજબ છે : વાસુદેવ સ્માર્ત, રામકુમાર, જૉન ફર્નાન્ડિઝ, એસ. એમ.ફરીદ, કુમાર મંગલસિંહ અને  અજ્ઞાત કલાકારો.

ગુજરાતી અનુવાદનું  વિવરણ સંસ્કૃતના જાણીતા અભ્યાસી ગૌતમ પટેલે તેમ જ મુદ્રણ અને ભાષા પરામર્શન હસમુખ રાવળે કર્યું છે .માહિતી એકત્રીકરણ તેમ જ એકંદર  પરામર્શનની જવાબદારી બિરેન કોઠારીએ નિભાવી છે. સમગ્ર પુસ્તકને લાવણ્યમય બનાવવાનો યશ સંપાદકે પુસ્તક ડિઝાઇનિંગના નિષ્ણાત એસ. એમ. ફરીદને આપ્યો  છે.

ઉત્તમ સાહિત્ય માટેનો લગાવ, તેને બહોળા વાચકવર્ગ સુધી પહોંચાડવાની ધખના, તેના માટેની સૂઝ, ઘણી મહેનત અને ઉત્કૃષ્ટતા માટેનું ઊંચું ધોરણ – રજનીકુમાર પંડ્યાની આવી અનેક ક્વાલિટીઝથી  ‘મેઘદૂત’ની મળતાં મળે તેવી આ આવૃત્તિનું  સર્જન થયું છે.

પુસ્તકના મુખપૃષ્ઠ પર જ ચૂકી ન જવાય તેવી ટૅગ-લાઇન છે : ’પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાનો એક પ્રયાસ’. તેમાં રજનીકુમાર અને તેમનું  નિર્માણજૂથ આહ્લાદક રીતે સફળ થાય છે. 

આ પુસ્તકની હવે જૂજ નકલો રજનીકુમાર પંડ્યા પાસે છે. એટલે સફળતાનો હવે પછીનો તબક્કો આ પુસ્તકની નવી આવૃત્તિ કરી શકે  તેવી સંસ્થાઓ અને પ્રકાશકો પાર પાડી શકે.

(આ લેખમાં મદદરૂપ થવા  માટે બિરેન કોઠારીનો આભાર; કોલાજ સૌજન્ય : કિરણ કાપૂરે)

30 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ન્યાય માટેનો સંઘર્ષ એ સભ્યતાનું મહાકાવ્ય

રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2022

લોકતંત્રમાં એક વાર આપેલો અધિકાર પાછો ખેંચી શકાય? આ લાખ રૂપિયાનો સવાલ છે. કારણ એ છે કે વર્ચસ ધરાવનારા લોકોએ વર્ચસહીન સામાન્ય પ્રજાને કોઈ અધિકાર સખાવતના ભાગરૂપે નથી આપ્યા, તેમણે તે લડીને લીધા છે અને વર્ચસ ધરાવનારા લોકોએ તે મજબૂરીથી આપવા પડ્યા છે. કોઈ બ્રાહ્મણ કે સવર્ણો હરિજનવાસમાં હરિજનોને નોતરું આપવા નહોતા ગયા કે તમારું ગામમાં સ્વાગત છે, ગામમાં પ્રવેશી શકો છો, ચંપલ પહેરીને ઘોડા પર બેસીને ગામમાં ફરી શકો છો, ગામનાં મંદિરમાં આપ પ્રવેશી શકો છો અને ગામને કૂવેથી પાણી ભરી શકો છો. વર્ચસ ધરાવનારા પુરુષે ક્યારે ય સામે ચાલીને પોતાનાં ઘરની સ્ત્રીને કોઈ અધિકાર નહોતા આપ્યા. લગ્ન નહીં કરીને અપરણિત રહેવાનો, લગ્ન પોતે ઈચ્છે ત્યારે જ કરવાનો, ખાસ સ્થિતિમાં લગ્નના ભોગવટાનો ઇન્કાર કરવાનો, ભણવાનો, પોતાના મનપસંદ યુવક સાથે લગ્ન કરવાનો, છૂટાછેડા લેવાનો, પુનર્લગ્ન કરવાનો વગેરે કોઈ પ્રકારના અધિકાર નહોતા આપ્યા. પોતાની સગી દીકરીને નહોતા આપ્યા. જ્યારે અધિકારો આધારિત લોકતંત્ર જગતમાં આકાર પામવા લાગ્યું ત્યારે પણ વર્ચસ ધરાવનારા શાસકવર્ગે સામે ચાલીને સ્ત્રીઓને અને સંપત્તિ નહીં ધરાવનાર ગરીબોને મતદાનનો અધિકાર નહોતો આપ્યો. શ્વેત પ્રજાએ અશ્વેત પ્રજાને દેશના નાગરિક તરીકેનો દરજ્જો આપીને સામે ચાલીને રાજ્યમાં ભાગીદાર નહોતી બનાવી, પછી ભલે અશ્વેતો બહુમતીમાં હોય. તેમને ધરાર બહાર રાખવામાં આવ્યા હતા અને અંદર પ્રવેશવા માટે જે તે પ્રજાએ સંઘર્ષ કર્યો છે. સગી દીકરીને બાપ સામે સંઘર્ષ કરવો પડ્યો છે અને આજે પણ કરે છે એ તમે ક્યાં નથી જાણતા!

જગતમાં અન્યાય કેવા કેવા હતા અને ન્યાય મેળવવા માટે જે તે પ્રજાએ કેવા કેવા સંઘર્ષ કર્યા છે એ એક આખા પુસ્તકનો વિષય છે. એક પુસ્તક નહીં, પુસ્તકોની શ્રેણી થાય અને થઈ પણ છે. ન્યાય માટેનો સંઘર્ષ એ દરેક સભ્યતાનું મહાકાવ્ય છે. વાલી, શંબુક અને એકલવ્ય હાંસિયામાંથી પોકાર કરે છે અને તેનાથી ભાગવા માટે શબરીનાં એઠાં બોર ભગવાન દયાળુ રામે ખાધાં હતાં તેનો આશરો લેવો પડે છે.

તો મુદ્દો એ છે કે સતાધારી વર્ગે અથવા વર્ચસ ધરાવનારા વર્ગે ક્યારે ય સામે ચાલીને પોતાની સત્તા કે વર્ચસ છોડ્યાં નથી. એ છોડાવવાં પડ્યાં છે અને એને માટે સંઘર્ષ કરવો પડ્યો છે. એ સંઘર્ષ કોઈ એક આંદોલન પૂરતો નહોતો, સદીઓ સુધી સંઘર્ષ કરવા પડ્યા છે અને હજુ તેનો અંત આવ્યો નથી. જ્યાં સુધી જગતમાં અન્યાય અને પક્ષપાત છે ત્યાં સુધી સંઘર્ષ થતા રહેશે અને થવા જોઈએ. પણ જેને ફરજિયાત સત્તા કે વર્ચસ છોડવાં પડ્યાં છે એનું અસુખ પણ તેમના માટે અસહ્ય છે. તે બે-ચાર સદી જૂનું છે અને સદીઓ સુધી રહેવાનું છે તે વાતનો તેમને ડર છે. માટે તેઓ બેચેન છે. તેમને એ વાતનો પણ ડર છે કે રહીસહી સત્તા કે વર્ચસ પણ એક દા’ડે જતાં રહેશે. તેમને તે ટકાવી રાખવાં છે. યેનકેન પ્રકારેણ તે ટકાવી રાખવાં છે. બ્રાહ્મણના દીકરાએ દલિતના દીકારાની સાથે લાઈનમાં ઊભા રહેવું પડે અને દલિતનો દીકરો આગળ નીકળી જાય એ તેનાથી ખમાતું નથી. પુરુષને પાછળ રાખીને કોઈ સ્ત્રી આગળ નીકળી જાય એ તેનાથી ખમાતું નથી. કોઈ શ્વેતે અશ્વેત જજને અદાલતમાં માય લોર્ડ કહેવું પડે એ તેનાથી ખમાતું નથી. બહુમતી પ્રજાના ફરજંદને લઘુમતી કોમના ફરજંદને આદર આપવો પડે એ તેનાથી ખમાતું નથી. જ્ઞાતિ કે ધર્મનું અભિમાન ધરાવનારા લોકોને પોતાની દીકરી બીજી જ્ઞાતિના કે ધર્મના યુવક સાથે લગ્ન કરે એ તેનાથી ખમાતું નથી. આમ જેટલો લાંબો ઇતિહાસ ન્યાય માટેના સંઘર્ષનો છે એટલો જ લાંબો ઇતિહાસ આ ન ખમી શકવાનો પણ છે. સક્રિયતા બન્ને પક્ષે છે. છોડાવનારાઓ પણ સક્રિય છે અને નહીં છોડવા માગનારાઓ પણ સક્રિય છે.

પણ એક ફરક છે. જે લોકો ન્યાયના પક્ષે દલીલ કરી રહ્યા છે તેમની પાસે નક્કર દલીલો હોય છે અને જે લોકો ન્યાય નથી કરવા માગતા, પોતાનું વર્ચસ કાયમ જાળવી રાખવા માગે છે તેમની પાસે કોઈ તર્કપૂર્ણ દલીલો નથી હોતી. તમને અન્યાય કરવાનો અમને ઈશ્વરદત્ત અધિકાર છે એમ અત્યારે કહેવું થોડું મુશ્કેલ છે. જો કે એવા ભડવીર પણ મળી આવે છે જે દલિતોને કહે છે કે તમે તમારાં પાછલા જનમના કરમ ભોગવો છો ત્યાં અમે શું કરીએ? સ્ત્રીની જગ્યા ચૂલામાં (રસોડામાં) છે એમ મહારાષ્ટ્રના બી.જે.પી.ના અધ્યક્ષે રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષનાં સંસદસભ્ય સુપ્રિયા સુલેને હજુ મહિના પહેલાં કહ્યું હતું. ગાંધી-ઈરવીન વાટાઘાટો વખતે પાછળથી બ્રિટનના વડા પ્રધાન બનનારા વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે ગુલામ દેશનો અર્ધનગ્ન ફકીર બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સામે સમકક્ષ આસને બેસીને આંખમાં આંખ પરોવીને વાત કરે એ દૃશ્ય જ અકળાવનારું અને સામ્રાજ્યના અપમાન સમાન છે. જેને ગઈ કાલ સુધી હાંસિયામાં રાખ્યા હતા તેઓ આજે આંખ સામે આંખ મેળવીને વાત કરે એ ઘણા લોકોથી ખમાતું નથી. તેમને એ જગ્યા પાછી જોઈએ છે.

પણ કઠણાઈ એ છે કે તેઓ તર્કપૂર્ણ દલીલો કરી શકતા નથી, જ્યારે ન્યાય માગનારાઓ તર્કપૂર્ણ દલીલો કરે છે. કારણ બહુ સ્પષ્ટ છે. ન્યાય માગનારાઓના પક્ષે માનવીયતા હોય છે જ્યારે અન્યાય કરનારાઓના પક્ષે અમાનવીયતા. સોશ્યલ મીડિયા ઉપર આજકાલ તમે જોતા હશો કે ભક્તો બિચારા ચકલીની ચરકની જેમ એક વાક્યથી વધારે દલીલ કરી શકતા નથી. બહુ અકળાઈ જાય ત્યારે ગાળો દેવા લાગે અથવા બીજાનો અન્યાયનો ઇતિહાસ શોધવા લાગશે. તેમને ભેદભાવયુક્ત અમાનવીય વ્યવસ્થા જાળવી રાખવી છે, પણ બોલી શકતા નથી. તમને ખબર છે? ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન શરૂ કર્યું ત્યારે સૌથી વધુ વિરોધ કોણે કર્યો હતો? સનાતની હિંદુઓએ. મુખ્યત્વે બ્રાહ્મણોએ. દલીલો દ્વારા નહીં, પણ ગાળો દઈને અથવા ગંદી ઇશારતો કરીને. નનામા પત્રોનો ટપાલમાં ત્યારે ઢગલો આવતો. પણ ગાંધી તો ગાંધી હતા! નનામા પત્રોનો પણ જવાબ આપે. એક તો એમાં પત્ર લખનારનું સરનામું જ ન હોય ત્યાં જવાબ કોને આપવો એટલે ગાંધીજી તેમના મુખપત્ર દ્વારા જવાબ આપતા. એક ભાઈએ લખ્યું હતું કે, “તું તારા દીકરા(હરિલાલ ગાંધી)ને તો સુધારી શક્યો નથી ત્યાં ગામને સુધારવા ક્યાં નીકળ્યો છે?” ગાંધીજીએ એ પત્ર આખો છાપીને આવી મતલબનો જવાબ આપ્યો હતો કે મારા દીકરાની બાબતમાં હું મારી નિષ્ફળતા સ્વીકારું છું, પણ જો તમે તેમાં મદદરૂપ થઈ શકતા હો તો હું તમારો ઋણી રહીશ. સનાતનીઓ દ્વારા ગાંધીજીની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો અને રસ્તા રોકવાનો અને માર મારવાના પ્રયાસ તો અનેકવાર થયા હતા. આખી જિંદગી તેમને સતાવવામાં આવ્યા હતા.

ટૂંકમાં તેઓ પોતાના વર્ચસને કાયમ રાખનારી વ્યવસ્થા જાળવી રાખવા માગે છે અને ગુમાવેલી વ્યવસ્થા પાછી સ્થાપવા માગે છે, પણ તેમની પાસે તર્કપૂર્ણ દલીલો હોતી નથી એ તેમની મોટી સમસ્યા છે. બેએક સદીઓથી તેઓ તરફડી રહ્યા છે અને સદીઓ સુધી તરફડવું પડશે એ ડર તેમનાથી ખમાતો નથી. તેમણે હાર કબૂલી નથી અને કબૂલવા માગતા પણ નથી. તેઓ એટલા જ સક્રિય છે જેટલા ન્યાયની માગણી કરનારા પરિવર્તનવાદીઓ સક્રિય છે. તુલનામાં તેઓ વધારે સક્રિય છે, કારણ કે આધુનિક યુગમાં તેમણે ઘણું બધું છોડવું પડ્યું છે અને વેદના વસમી થતી જાય છે. તેઓ ક્યારે ય નહોતા એટલા આજે સંગઠિત છે અને તેમની સક્રિયતા આક્રમકતામાં ફેરવાઈ રહી છે.

તેમને ગુમાવેલું વર્ચસ પાછું મેળવવાનો માર્ગ પણ જડી ગયો છે. એ કયો માર્ગ છે એની ચર્ચા રવિવારના લેખમાં કરીશું.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2022

Loading

પાગલ પ્રોફેસર

સુરેશ જાની|Opinion - Opinion|28 June 2022

મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા બેતુલ જિલ્લાના શાહપુર પોલિસ સ્ટેશનમાં સન્નાટો વ્યાપેલો છે. પોલિસ ઓફિસર રાજેન્દ્રકુમાર ધ્રુવની ઓફિસમાં, તેમની સામે એક જટાજૂટ જોગી જેવો એક માણસ બેઠેલો છે. તેના લઘરવઘર વાળ અને રૂક્ષ ચહેરો જોઈ રાજેન્દ્ર કુમારને તેની સામે આવેલી નનામી ફરિયાદ બાબત કોઈ શંકા નથી.

‘આલોક! તમે ગરીબ આદિવાસી લોકોને ક્રાન્તિ કરવા ભડકાવો છો, એવી ફરિયાદ તમારી સામે છે. જો એ ફરિયાદ સાચી ઠરે, તો તમારે ચોવીસ કલાકમાં બેતુલ જિલ્લો છોડી દેવો પડશે. તમે એમ નહીં કરો, તો મારે જાહેર સલામતી ખાતર તમને લોક અપમાં પૂરવા પડશે. તમારે એ બાબત શું કહેવાનું છે?’

આલોકે આ આક્ષેપ પાયા વગરનો છે, તેમ જણાવ્યું. સાથે આવેલા કોચામુ ગામના મુખીએ પણ તેની સ્થાનિક બોલીમાં હોંકારો ભણ્યો, અને આલોક તો ભગવાનનો અવતાર છે, એમ કાકલૂદી કરીને કહ્યું.

રાજેન્દ્ર, “તમારી ઓળખ આપતી કોઈ સાબિતી તમારી પાસે છે?”

આલોકે જભ્ભાના ખિસ્સામાંથી કાર ચલાવવાનું લાયસન્સ કાઢીને બતાવ્યું.

રાજેન્દ્ર, “પણ આમાં તો નવી દિલ્હીનું સરનામું છે. ત્યાં તમે છેલ્લે ક્યારે ગયા હતા?”

આલોક, “સાહેબ, છેલ્લાં ૨૬ વર્ષથી હું તો અહીં આ લોકોની સાથે જ ગુડાણો છું.”

રાજેન્દ્ર, “તમે દિલ્હીમાં શું કામ કરતા હતા?”

આલોક, “હું ત્યાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો.”

રાજેન્દ્ર ( ચમકીને) “તમે પાગલ થઈ ગયા છો? દિલ્હીની એકેય કોલેજનું નામ પણ તમને ખબર નહીં હોય. કઈ કોલેજમાં તમે ભણાવતા હતા?”

આલોક, “સાહેબ! આઈ.આઈ.ટી.માં.”

રાજેન્દ્રને ખાતરી થઈ ગઈ કે, આ માણસ પાગલ છે, અથવા પાકો ગુનેગાર છે. તેણે એની સાબિતી બતાવવા આલોકને જણાવ્યું.

આલોકે વળી ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું. – ‘સિનિયર પ્રોફેસર’.

“તો તો તમે એન્જિયરિંગનું ભણેલા હશો, એમ ને?”

“હા, સાહેબ! ત્યાં હું પોસ્ટ ગેજ્યુએટ વિધ્યાર્થીઓને ભણાવતો હતો.”

“ગપ્પાં ના મારો. મને ખબર છે કે, એ લેવલ પર ભણાવનાર પી.એચ.ડી.ની ઉપાધિ ધરાવતો હોવો જોઈએ. પી.એચ.ડી. એટલે શું? એ ય તમને તો ખબર નહીં હોય.” – રાજેન્દ્રે તોછડાઈથી કહ્યું.

“સાહેબ! લો આ મારી ઉપાધિના સર્ટિફિકેટની કોપી.”

અને રાજેન્દ્રના ટેબલ પર અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરની રાઈસ યુનિવર્સિટીએ એનાયત કરેલું સર્ટિફેકેટ ઝગારા મારવા લાગ્યું.

આમ પૂછપરછ ચાલતી હતી, ત્યાં જ શ્રમિક આદિવાસી સંગઠનના અનુરાગ મોદી પોલિસ સ્ટશનમાં પ્રવેશ્યા. રાજેન્દ્ર એમને સારી રીતે જાણતો હતો, તેમની સંસ્થા આદિવાસીઓ માટે જે કામ કરતી હતી, તેનો તે પ્રશંસક હતો.

અનુરાગે ઓછાબોલા આલોકની બરાબર ઓળખ રાજેન્દ્ર ધ્રુવને આપી. હવે ચમકવાનો વારો રાજેન્દ્રનો હતો! અડધો કલાકની અનુરાગ સાથેની વાતચીત પછી રાજેન્દ્ર આલોક સાગરના પગે પડ્યો અને પોતાની આ હરકત બદલ માફ કરવા આલોકને વિનંતી કરવા લાગ્યો.

કોણ હતો એ પાગલ પ્રોફેસર?

૧૯૫૨ની સાલમાં દિલ્હીમાં જન્મેલ આલોકના પિતા દયા સાગર ભારત સરકારના નાણાં ખાતામાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. એમ.એસ.સી. થયેલી તેની માતા દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા કોલેજમાં પ્રોફેસર હતી. આલોકે પણ ૧૯૭૩માં આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે તે હ્યુસ્ટનની રાઈસ યુનિવર્સિટી આવ્યો હતો અને ૧૯૭૭ની સાલમાં એને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

પોસ્ટ ડોક્ટરેટના ભણતર માટે આલોક કેનેડા ગયો હતો અને ત્યાંની ડેલહાઉસી યુનિવર્સિટીના ફેલો તરીકે થોડોક વખત રહ્યો હતો. પણ આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી પ્રોફેસર તરીકે જોડાવા આમંત્રણ મળતાં આલોક સ્વદેશ પાછો ફર્યો હતો. તેના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓને માસ્ટરની પદવી મળી હતી. ભારત સરકારની રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે રહી ચૂકેલી રઘુરામ રાજન એમના વિદ્યાર્થી હતા!

પણ ૧૯૮૨ની સાલની કોઈક અદ્દભુત વેળાએ આલોકના દિમાગમાં દેશની દબાયેલી, કચડાયેલી અને દરિદ્રતા અને અજ્ઞાનના બે પડળો વચ્ચે પીસાતી છેવાડાની વ્યક્તિ માટે અનુકંપા જાગી ઊઠી. પોતાની આખીયે કારકિર્દી તેને નકર્યા સ્વાર્થને પોષતી, સમાજના રાક્ષસી યંત્રોના એક પૂર્જા જેવી ભાસવા લાગી.

[રાક્ષસી યંત્રો – ‘વેગુ’ પર લેખ http://webgurjari.in/2014/02/14/monstrous-machines/ ]

‘આ મનોયાતનાનો એક જ ઈલાજ છે –  દલિત આદિવાસીઓની સેવા.’

આ જ ખયાલ દિવસો સુધી આ પાગલ પ્રોફેસરના દિલો દિમાગને પડઘાવવા લાગ્યો. તેજસ્વી ભવિષ્યનાં બધાં શમણાં ફગાવી દઈને, આલોક સાગર બત્રીસ વર્ષથી, બેતુલ જિલ્લાના, માત્ર ૭૫૦ માણસોની વસ્તી વાળા એ છેવાડાના ખૂણે ધૂણી ધખાવીને ખૂંપી ગયો છે.

એની મિલ્કતમાં માત્ર ત્રણ જોડી કપડાં, એક સાઈકલ અને આદિવાસીઓએ ઊભું કરી આપેલું એક ખોરડું છે.

અદિવાસીઓનાં બાળકોને આલોક ભણાવે છે, એમને એમના હક્કો માટે જાગૃત કરે છે, અને કમાઉ ફળોનાં વૃક્ષોના સંવર્ધનનાં કામમાં ઓતપ્રોત છે. ખાસ કરીને સારી એવી આવક ઊભી કરી આપતાં આંબળાનાં વૃક્ષોના રોપા ઉછેરી તે, આદિવાસીઓને વહેંચે છે. આલોકના પ્રયત્નોથી અત્યાર સુધીમાં આશરે ૫૦,૦૦૦ વૃક્ષો મ્હાલી રહ્યાં છે. દિન પ્રતિદિન ઉજ્જડ બનતી જતી વનરાજી , તેના આ યજ્ઞથી લીલીછમ બની ગઈ છે.

આલોક બહુ ઓછાબોલો જણ છે. એને કોઈ પ્રખ્યાતિનો મોહ નથી. જાતે વહેતી કરી દીધેલી અને અતીતમાં સરી ગયેલી પોતાની ઝળહળતી કરકિર્દી ગુમાવી દેવા માટે આલોકને કોઈ જ અફસોસ નથી.

એક વીડિયો …

https://www.youtube.com/watch?v=KxTvnOucQeI

સંદર્ભ –

http://www.patrika.com/news/bhopal/fo…

https://yourstory.com/2016/09/alok-sa…

http://www.hindustantimes.com/bhopal/mp-this-iit-prof-quit-job-to-work-for-downtrodden-tribals/story-CFUa47OhFyCYHTAZdmaVYM.html

http://timesofindia.indiatimes.com/city/bhopal/Houston-scholar-gifts-green-lungs-to-Betul/articleshow/52215242.cms

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,3391,3401,3411,342...1,3501,3601,370...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved