Opinion Magazine
Number of visits: 9568696
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંદર મિનિટની પ્રખ્યાતિમાં મેન્યુફેક્ચર્ડ હેટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 September 2022

અમેરિકન પોપ આર્ટીસ્ટ એન્ડી વોર્હોલે 1968માં કહ્યું હતું કે, “ઇન ધ ફ્યુચર એવરીવન વિલ બી ફેમસ ફોર 15 મિનિટ,”- ભવિષ્યમાં દરેક માણસ 15 મિનિટ માટે પ્રખ્યાત થશે. એન્ડી વોર્હોલે રિયાલિટી ટેલિવિઝન અને સેલિબ્રિટી કલ્ચરના સંદર્ભમાં આ કહ્યું હતું. એક જમાનામાં આપણા રોલ મોડેલ સમાજ સેવકો, નેતાઓ, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને કલાકારો હતા. આ એવા લોકો હતા, જેમની પ્રખ્યાતિ તેમની લાંબા ગાળાની નક્કર સિદ્ધિઓ અને સમાજમાં તેમની ઉપયોગિતામાંથી આવતી હતી. જ્યારે ટેલિવિઝન આવ્યું, ત્યારે સેલિબ્રિટીઓનો એક એક એવો વર્ગ પેદા થયો, જે લોકોનું મનોરંજન કરીને પ્રખ્યાત થતો હતો. આ ટૂંકા ગાળાની પ્રખ્યાતિ હતી અને તેના માટે લોકો કોઈ પણ હદે જવા તૈયાર હતા.

એન્ડી વોર્હોલે તો ટેલિવિઝનના સંદર્ભમાં આ કહ્યું હતું પરંતુ આજે સોશ્યલ મીડિયાના જમાનામાં તેની ભવિષ્યવાણી તેના ધાર્યા કરતાં પણ સચોટ સાબિત થઇ છે. એક સમયે આપણે માત્ર ‘ફિલ્મ સ્ટાર’ શબ્દ જ સાંભળ્યો હતો. આજે ટી.વી. સ્ટાર, ટિક-ટોક સ્ટાર, સોશ્યલ મીડિયા સ્ટાર, ઇન્ટરનેટ સ્ટાર એવી સેલિબ્રિટીઓ આવી ગઈ છે.

આવી ‘પંદર મિનિટની પ્રખ્યાતિ’ શું-શું કરાવે છે તેનો એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરના એક ડોક્ટર અરવિંદ અકેલાએ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેમના જાનને જોખમ છે તેવો નકલી કેસ ઊભો કર્યો હતો. 9 સપ્ટેમ્બરે ડોકટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને વિદેશી નંબરો પરથી વોટ્સએપ પર કોલ આવે છે અને ધમકી આપવામાં આવે છે કે હિંદુ સંગઠનોને મદદ કરવા બદલ તેમનું ‘સર તન સે જુદા’ કરી દેવામાં આવશે.

દેશમાં પાછલા ઘણા સમયથી આ ‘સર તન સે જુદા’ નારો ઘણો પ્રચલિત થયો છે. ડોકટરે તેની ફરિયાદમાં એનો ઉલ્લેખ કર્યો તે સૂચક છે. 2011માં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર સલમાન તાસીરની, પાકિસ્તાનના બદનામ અને વિવાદાસ્પદ ઈશનિંદા (બ્લાસફેમી) કાનૂનની ટીકા કરવા બદલ તેમના જ બોડીગાર્ડ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

એ હત્યાથી પાકિસ્તાનમાં રાજનીતિક ધરતીકંપ થયો હતો. તે વખતે ખાદિમ હુસેન રિઝવી નામનો એક મૌલાના બહુ ચર્ચામાં આવ્યો હતો. તેણે હત્યારા બોડીગાર્ડ મુમતાઝ કાદરીના સમર્થનમાં લોકોને ભેગા કર્યા હતા અને એમાં એક નારો લોકપ્રિય કર્યો હતો: ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા સર તન સે જુદા, સર તન સે જુદા – યાની પૈગંબર મોહમ્મદ સાહેબ(રસૂલ)નું જે અપમાન કરશે, તેનું માથું ધડથી અલગ કરવામાં આવશે.

પાકિસ્તાનના કટ્ટરવાદીઓનો આ નારો, ભારતમાં ભા.જ.પ.ની સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્માના વિવાદ પછી પ્રચલિત થયો હતો. નુપૂરના વિરોધમાં આયોજિત સભાઓ સહિત છૂટક મામલાઓમાં પણ ‘સર તન સે જુદા’ના નારા બોલાયા હોય, તેવી પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. ત્યાં સુધી કે પતંજલિ  પ્રોડક્ટ્સવાળા બાબા રામદેવે પણ તેમની સામેના પ્રચાર માટે આરોપ મુક્યો હતો કે દેશની ‘સર તન સે જુદા ગેંગ’ તેમનાથી નારાજ છે.

ગાઝિયાબાદ વાળા ડોકટરે પણ જે તે વખતે પોલીસને કહ્યું હતું કે તેમને અમેરિકાથી ફોન આવ્યો હતો અને હિંદુ સંગઠનોનાં નામ લઈને કહ્યું હતું કે તું તેમને મદદ કરવાનું બંધ નહીં કરે તો ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા. જે તે વખતે આ સમાચારે બહુ સનસનાટી મચાવી હતી કારણ કે ધમકી આપવાવાળાએ એવું પણ કહ્યું હતું કે તેને મોદી કે યોગી પણ બચાવી નહીં શકે. સોશ્યલ મીડિયામાં આ ‘ધમકી’ને લઈને બહુ ચર્ચાઓ અને આરોપ-પ્રતિઆરોપ થયા હતા. એવું પણ કહેવાયું હતું કે કટ્ટરવાદીઓ દેશમાં બેફામ થઇ ગયા છે અને કોઈને ડર નથી.

ગાઝિયાબાદ પોલીસે આ કેસની તપાસ કરીને હવે ખુલાસો કર્યો છે કે ડોકટરે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં તેના જ એક દરદી પાસે ફોન કરાવીને તેને ધમકીમાં ખપાવી દીધો હતો. અનીશ મહતો નામનો આ દરદી ડોકટરને ઘણા સમયથી જાણતો હતો. તે આઈ.ટી.માં કામ કરતો હોવાથી ડોકટર તેને વિદેશી નંબરો પરથી કોલ કેવી રીતે થાય તે પૂછ્યું હતું. તે પછી અનીશ પાસે જ વોટ્સએપ પર કોલ કરાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવીને મીડિયામાં સમાચાર ફેલાવી દીધા હતા કે હિંદુ હોવાના કારણે તેને ધમકી મળી રહી છે.

પોલીસે તેની સામે નકલી ધમકી બદલ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એક વાત પાકી છે કે ડો. અરવિંદ વત્સ અકેલા પ્રખ્યાત તો થઇ ગયો છે. એન્ડી વોર્હોલે જે વાત કરી હતી, તેવી જ વાત મુસ્તફા ખાં શેફતા નામના શાયરે તેમના એક મશહૂર શેરમાં કહી હતી :

હમ તાલિબ-એ-શોહરત હૈં હમેં નંગ સે ક્યા કામ

બદનામ અગર હોંગે તો ક્યા નામ ન હોગા

(અમે તો પ્રખ્યાતિના ભૂખ્યા છીએ, અમને શરમની જરૂર નથી … બદનામ થઇશું તો પણ નામ તો થશે ને)

ડોકટરનો આ કિસ્સો જો કે માત્ર ‘સસ્તી લોકપ્રિયતા’ પૂરતો મર્યાદિત નથી. આ કિસ્સો મેન્યુફેક્ચર્ડ હેટ એટલે કે કૃત્રિમ નફરત ઊભી કરવાનો પણ છે. આ મુદ્દો વધુ ગંભીર છે. એન્ડી વોર્હોલે ‘પંદર મિનિટની પ્રખ્યાતિ’ની વાત કરી હતી, ત્યારે તેના મનમાં સર્જનાત્મકતાનો ખ્યાલ હતો. તેને હતું કે મીડિયાનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તે જોતાં કોઈ પણ માણસની તેની આવડતના જોરે પ્રખ્યાત થઇ શકશે, પણ ભારતમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ અને પ્રભાવ એટલો નિર્દોષ નથી.

સમાજના અમુક વર્ગમાં મુસલમાનો વિરુદ્ધ નફરતની લાગણી છે તેનો લાભ લઇને કોઈ વ્યક્તિ ‘પ્રખ્યાત’ થવાની સાજીશ રચે, તેમાં નુકસાન એ છે કે મુસલમાનો માટેની નફરતને બળ મળે છે. ડોકટરે જ્યારે આ ફરિયાદ યાદ કરી હતી તે પછી તે ટી.વી. ચેનલોની ડિબેટમાં પણ ‘મહેમાન’ બન્યો હતો અને દેશમાં કેવો હિંદુ વિરોધી માહોલ છે તેના દાખલા-દલીલો પેશ કરી હતી. હવે જયારે તેની ફરિયાદ નકલી સાબિત થઇ છે, તો ચેનલો તેને પાછો બોલાવીને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે? એ ભરપાઈ થઇ શકે તેમ છે?

(પ્રગટ : ‘ફાયરવોલ’ નામક કોલમ, “ગુજરાતમિત્ર” / “મુંબઈ સમાચાર”, 25 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટૂંકમાં (૧૧) : લિટરરી કૅનન અને ગ્રાન્ડ નૅરેટિવ (૩) :

સુમન શાહ|Opinion - Literature|27 September 2022

દરેક મહા વૃતાન્ત સંદર્ભે સામાન્યત: ૧૧ બાબતો લગભગ હમેશાં પ્રભવે છે :

૧ : મહા વૃતાન્તનાં કેટલાંક સત્ય કેન્દ્રમાં રોપાઈને સદાકાળ માટે સ્થિર થઈ જતાં હોય છે.

૨ : એ સત્યો ધીમે ધીમે સૂત્રરૂપે ચલણી થઈ જતાં હોય છે.

જેમ કે, દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન; કર્મ તારો અધિકાર છે, કર્મના ફળની આશા ન કર; વગેરે. સાહિત્યમાં : કૃતિનું રૂપ -ફૉર્મ- પરમ સત્ય છે; કલ્પન નહીં તો કાવ્ય નહીં; કાવ્યમાં અર્થ ન શોધ, કાવ્યનો અનુભવ લે – ફીલ કર; કૃતિનો અર્થ સમીકરણમાં ન શોધ, પ્રતીકમાં શોધ; કૃતિ ભાષિક હસ્તી છે, ભાષાકર્મની ચિન્તા રાખ; વગેરે.

૩ : એ સૂત્રો સત્યો છે એ સાચું પણ એટલી હદે ઘર ઘાલી જતાં હોય છે કે માણસોને એની ટેવ પડી જાય છે. જરૂર હોય કે ન હોય, લોકો રટતા થઈ જાય છે. દાખલા તરીકે, સત્યમ્ વદ ધર્મમ્ ચર.

 ૪ : ટેવને કારણે ક્રમે ક્રમે સૂત્ર ચર્વિતચર્વણા બની જાય છે અને અન્તર્નિહિત સત્ય ઘસાતું ચાલે છે.

આમેય માણસજીવ ટેવવશ ઘણું જીવતો હોય છે. મેં હમણાં જ જોયું કે માર્ક્વેઝની નવલના પ્રમુખ પાત્ર ઉર્સુલાને એની એકલતાને કારણે અવારનવાર ઘરનું આંગણું જોવાની ટેવ પડી ગઈ છે. હું મારી વાત કરું કે મને રસ્તા પર પડતી બારીવાળો જ બેડરૂમ ફાવે છે. ઘણાઓને ‘પોતાના’ ઉશીકા વિના ઊંઘ નથી આવતી, કોઈ કોઈ ભીરુ સ્વભાવનાંને તો આસપાસમાં બીજાં બેત્રણ ઉશીકાં જોઈતાં હોય છે.

૫ : સૂત્રો બીજાને ગળે પ્હૅરાવવાનું એટલે કે આરામથી અને મોટાભાની અદાથી બીજાને કહેવાનું સરળ થઈ પડે છે. પોતાથી વયમાં નાનાને શોધી કાઢે ને ક્હૅવા માંડે – દયા રાખ, અભિમાન ન કર. અથવા ઘરની મુખ્ય દીવાલે નાનું રૂપાળું પાટિયું લટકાવે છે – સત્યમ્ વદ, ધર્મમ્ ચર. મોટાભા સાહિત્યકારો નવોદિતો જોડે એવો જ તરીકો અજમાવતા હોય છે.

આપણે ત્યાં આધુનિકતાવાદ પ્રવર્તતો હતો ત્યારે કવિઓ એકમેકને અને વિવેચકો સભાજનોને એમ ક્હૅ નહીં કે કાવ્યમાં કલ્પન અને પ્રતીક અનિવાર્ય છે ત્યાં લગી એમના જીવને ટાઢક ન્હૉતી વળતી. અધ્યાપકોને ટેવ પડી ગયેલી તે દરેક વખતે કૃતિ / કર્તાપરક ભાષાકર્મ તપાસવાની જિકર કરે, કરે જ કરે.

૬ : અને, ઍરિસ્ટોટલકથન કે માણસ અનુકરણશીલ પ્રાણી છે, તદનુસાર, એક બોલ્યો હોય એનું અનુકરણ બીજો કરે અને પછી ત્રીજો અને ચૉથો એમ વિસ્તરણશીલ અનુકરણમાળા રચાય. સૂત્રો ‘જીભ-હલાવ’ પ્રવૃત્તિની – લિપ સર્વિસની – સામગ્રી બની જાય છે; એક મુખેથી બીજે મુખે, એક કાનેથી બીજા કાને.

૭ : આમ, કેન્દ્રમાં સ્થિર સત્યોનાં સૂત્રો, સૂત્રોનાં ટેવવશ વાચિક અનુસરણો અને અનુકરણોને પ્રતાપે મહા વૃતાન્તની તો પુષ્ટિ જ થયા કરતી હોય છે. પણ શું એ પુષ્ટિ પોલી નથી હોતી?

કેમ કે કોઈ પણ સત્યનો જાતઅનુભવ ધરાવતી વ્યક્તિઓ ઘટતી જાય છે. સૂત્રની યથોચિત વૃત્તિ રચવી, વિવરણ અને અર્થઘટન કરવું, આદિ બૌદ્ધિક વ્યાયામ કરનારા કેટલા? એ સત્યો કેન્દ્રમાં સ્થપાયાં એ જ વખતે કેટલાં ય બીજાં સત્યો હાંસિયામાં ધકેલાઈ ગયેલાં, તેની દરકાર કોણે કરેલી? કોઈએ નહીં. એક જ ઉદાહરણ : કાવ્યમાં કલ્પનનો મહિમા કરવા જતાં કલ્પનને ધારણ કરનાર કાવ્યદેહની ચિન્તા ભુલાઈ ગયેલી. કલ્પનો વરખ જેવાં સુન્દર ખરાં પણ વરખ જ હતાં. એ પોલાણ ન્હૉતું તો શું હતું?

દેરિદા અનુસારનું વિઘટન મહા વૃતાન્તનાં અનેક અને બહુવિધ પોલાણો દર્શાવી શકે. એમણે તો યુરપની સમગ્ર સભ્યતાને લૉગો-સૅન્ટ્રિક કહીને તેના વિઘટનનો શુભારમ્ભ કરેલો.

૮ : મહા વૃતાન્તનાં પોલાં વિસ્તરણોને કારણે સાહિત્યકારોની વિશિષ્ટ સ્વરૂપની સાહિત્યિક સંસ્કૃતિ આકાર લેવા માંડે છે – લિટરરી કલ્ચર. કોઈપણ કલ્ચર મૂલ્યોનાં રક્ષણનો દાવો કરે એમ સાહિત્યિક સંસ્કૃતિમાં પણ સાહિત્યિક મૂલ્યોની જાળવણી, માવજત, વગેરે મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. પ્રાદેશિક ભાષાઓના સાહિત્યોમાં મૂલ્યોના રખેવાળો આસાનીથી ઊભા થતા હોય છે. સાહિત્યિક સંસ્થાઓ પણ મૂલ્યરક્ષાને પોતાનું પરમ કર્તવ્ય સમજે છે.

૯ : મૂલ્યરક્ષા ખોટી વસ્તુ નથી કેમ કે એથી છેવટે તો સૂત્રમાં સચવાયેલા સત્યની જ રક્ષા થવાની; પ્રશંસનીય કહેવાય. પણ, પણ, રખેવાળો વચ્ચે હરીફાઈ જાગે છે. સૂત્રનો સ્વીકાર કરનારા અને વિરોધ કરનારા એમ બે પક્ષ ઊભા થતા હોય છે, અથવા ઊભા કરાતા હોય છે.

આપણે ત્યાંના આધુનિકતાવાદ દરમ્યાન ઘણા કહેતા – રૂપ તે શું વળી, અમે નથી માનતા, વસ્તુસામગ્રી જ સર્વથા ધ્યાનપાત્ર છે. અને તેઓ, “સરસ્વતીચંદ્ર”-નું દૃષ્ટાન્ત આપતા. પરન્તુ પહેલા-બીજા ભાગની તુલનાએ ત્રીજા-ચૉથા ભાગની વસ્તુસામગ્રીનું રસનિષ્પત્તિ કાજે ઠીક સંયોજન નથી થયું તે રૂપની અછતને કારણે છે એ હકીકત સ્વીકારવી એમને ગમતી ન્હૉતી. બાકી, એ હકીકત ગપ્પું તો ન્હૉતી, શાસ્ત્રે સૂઝાડેલો એક અર્થસંકેત હતો !

પક્ષનો તેમ જ વિપક્ષનો એક એક નેતા હોય છે. પક્ષનેતા કહે તે દિશામાં સૂત્રને ચગાવવામાં આવે છે, વિપક્ષનેતા કહે તે દિશામાં સૂત્રને પછાડવામાં આવે છે. દરેક પક્ષને અનુસરણિયાઓ મળી રહે છે. દરેક નેતા એક જ ઇચ્છા રાખતો હોય છે કે અનુસરણિયા વધે ને પક્ષ બળવાન થાય.

આમ સાહિત્યિક સંસ્કૃતિમાંથી સાહિત્યિક રાજકારણ ઊભું થાય છે.

૧૦ : પક્ષ અને વિપક્ષ એકબીજાની સામે બેસીને પરસ્પરનાં મન્તવ્યને સમજવાનો ઉદ્યમ નથી કરતા. કેમ કે, એથી તો સમરસતા ઊભી થાય ને નેતાગીરી નકામી થઈ જાય ! મારે કહેવું તો એ છે કે આપણને પ્રશ્નની યથોચિત માંડણી કરીને તેને વિશેનું ડાયલેક્ટિક – વિવાદશાસ્ત્ર – રચવામાં રસ જ નથી.

૧૧ : સરવાળે, કહેવાતી બૌદ્ધિકતાના આશ્રયે અને પક્ષાપક્ષીના રાજકારણની રીતેભાતે મહા વૃતાન્તો નભતાં હોય છે.

આગળ વિચારીશું.

(September 27, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વેદાંતા-ફોક્સકોન: ઉદ્ધવ સેનાને ભાવતું હતું અને કેન્દ્રએ પીરસ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 September 2022

1.54 લાખ કરોડનો વેદાંતા-ફોક્સકોન સેમીકંડકટર પ્રોજેક્ટ હવે મહારાષ્ટ્રને બદલે પાડોશી ગુજરાતમાં ઉત્પાદન કરશે. હાલના ડેપ્યુટી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની 2015માં સરકાર હતી, ત્યારે આ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાં સ્થાપવાની કાર્યવાહી શરૂ થઇ હતી. આ પ્રોજેક્ટથી રાજ્યમાં એક લાખ રોજગાર ઊભા થવાના હતા. હવે એ અવસર ગુજરાતને મળશે.

ગયા મંગળવારે, 13 સપ્ટેમ્બરે, વેદાંત રિસોર્સિસના સ્થાપક ચેરમેન અનિલ અગ્રવાલે જાહેરાત કરી કે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના માંધાતા ફોકસકોન સાથે મળીને તેમણે ગુજરાતમાં સેમીકંડકટરનો પ્લાન્ટ નાખવા માટે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના કરાર કર્યા છે. કરાર વખતે રેલવે, વાણિજ્ય, ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિન વૈષ્ણવ ઉપસ્થિત હતા. અગ્રવાલે કહ્યું હતું કે, “ગુજરાતમાં બે વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થશે. તેનાથી દેશની ઈલેક્ટ્રોનિક્સ આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને આપણા લોકોને એક લાખથી વધુ નોકરીઓ મળશે.”

વેદાંતે ભારતમાં સેમીકંડકટરનું ઉત્પાદન કરવા માટે ફોક્સકોન સાથે 60:40ની ભાગીદારી કરી છે. મોટરકારથી લઈને મોબાઈલ ફોન સુધીની ડિજિટલ પ્રોડક્ટ્સમાં સેમીકંડકટર્સ અથવા માઈક્રોચિપ્સ અગત્યનો પાર્ટ છે. કંપની ઘણા મહિનાઓથી મહારાષ્ટ્ર સરકાર સાથે મંત્રણાઓ ચલાવી રહી હતી અને અચનાક તેણે ગુજરાત સરકાર સાથે કરાર કર્યા તેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી આવી છે.

આ વિવાદ ત્યારે જ ઊભો થયો છે, જયારે શિંદે-ફડણવીસની ટીમ મુંબઈ મહાનગરપાલિકાની અગામી ચૂંટણીમાં ઉદ્ધવ સેનાને પછાડવા માટે કમ્મર કસી રહી છે. શિવસેનામાંથી બળવો કરીને તાબડતોબ ઊભી થયેલી તેમની સરકાર માટે મહાનગરપાલિકા બહુ અગત્યની છે, જેનું વાર્ષિક બજેટ 27, 811 કરોડનું છે, જે દેશનાં નાનાં રાજ્યો જેટલું છે. પાલિકા અત્યારે ઉદ્ધવ સેના પાસે છે અને અસલી સેના (અને અસલી તાકાત) કોની પાસે છે તે સાબિત કરવા માટે પાલિકામાં ફરીથી તેનો ઝંડો ફરકાવવો અગત્યનો છે. પાલિકાની ચૂંટણીનાં પરિણામનો રાજ્ય વિધાનસભાની 2024માં યોજાનારી ચૂંટણી પર મોટો પ્રભાવ પડશે.

અપેક્ષિત રીતે જ, વેદાંત-ફોક્સકોન ‘ફિયાસ્કો’ને ઉદ્ધવ સેનાએ પકડી લીધો છે અને તેને મહારાષ્ટ્ર વિરોધી નિર્ણય ગણાવ્યો છે. તેના યુવા નેતા અને ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ આ વિવાદની આગેવાની લીધી છે. તેમણે શિંદે-ફડણવીસ પર આરોપ મુક્યો છે કે કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકારના ઈશારે કામ કરતી મહારાષ્ટ્ર સરકારે પડોશી ગુજરાતના હિતમાં આ પ્રોજેક્ટને હાથમાંથી જવા દીધો છે. “મને ખુશી છે કે આ પ્રોજેક્ટ ભારતમાં જ છે, પણ જે પ્રોજેક્ટ નક્કી થઇ ગયો હતો તે જતો રહ્યો તે આઘાતજનક છે. નવી સરકાર રાજ્યના વિકાસ માટે કેટલી ગંભીર છે તે આ બતાવે છે.” આદિત્યએ દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવે તે માટે તેમણે જાતે મહેનત કરી હતી અને મહા વિકાસ આઘાડીની સરકારે લગભગ તેને નક્કી કરી નાખ્યો હતો. 

એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાને લઈને કંપનીએ રાજકીય રીતે વધુ સ્થિર ગુજરાતમાં આ પ્લાન્ટને લઈ જવાનું નક્કી કર્યું છે. એવું હોય તો શિંદે સરકાર માટે એ સારા સમાચાર નથી. મહારાષ્ટ્રમાં જ્યારે સરકારના નામે માત્ર શિંદે અને ફડણવીસની જ કેબિનેટ હતી, ત્યારે જુલાઈમાં કંપનીએ તેના પ્રોજેક્ટની સલામતી માટે “કેન્દ્ર સરકારનું અલાઇનમન્ટ” અને કેબિનેટની મંજૂરી માગી હતી. એ પછી મુખ્ય મંત્રી શિંદે વેદાંતના ચેરમેનને એક પત્રમાં કહ્યું હતું કે, “રાજ્ય પાસે (તમારી) બે મહત્ત્વની વિનંતીઓ કેન્દ્ર સરકારનું અલાઇનમન્ટ અને કેબિનેટની મંજૂરીની છે. તમને જણાવતાં આનંદ થાય છે કે બંને દિશામાં કામ આગળ વધી રહ્યું છે.”

જો કે તે પહેલાં કંપનીએ “વ્યવસાયિક અને સ્વતંત્ર સલાહ”ને અનુસરીને ગુજરાત સાથે કરાર કરવાનું મુનાસીબ માન્યું હતું. ચેરમેન અગ્રવાલે કહ્યું હતું કે “અમારી અપેક્ષાઓ પૂરી થતી હોવાથી અમે મહિનાઓ પહેલાં ગુજરાત જવાનું નક્કી કર્યું હતું.” દેખીતી રીતે જ, ગુજરાત સરકારે કંપનીને મહારાષ્ટ્રની સરખામણીમાં બહેતર ઓફર કરી હોવી જોઈએ.

એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ત્રણ મહિના પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી જે રીતે રાજ્યમાં પગ પેસારો કરી રહી છે તે જોતાં ભા.જ.પ. માટે તેની એકપણ બેઠક ઓછી થાય તે નાલેશી જેવું છે. દેખીતી રીતે જ, કેન્દ્ર સરકાર ગુજરાતમાં તેની બેઠકો વધારવા માટે તમામ પ્રયાસો કરશે. એવામાં વિકાસના તેના નારાને સાબિત કરે તેવો એક લાખ ગુજરાતી યુવાનોને નોકરીઓ આપે તેવો આવડો મોટો પ્રોજેક્ટ ગુજરાત માટે લોટરી જ છે. ઇન ફેક્ટ, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગુજરાતમાં આ પ્રોજેક્ટ શરૂ થાય છે તેની ખુશી વ્યક્ત કરી છે.

ઉદ્ધવ સેનાનો આરોપ છે કે શિંદે સરકાર કેન્દ્રની મોદી સરકાર સામે ઝુકી ગઈ છે. શિવસેનાના મુખપત્ર “સામના”માં એક તંત્રી લેખમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તેનું કારણ બહુ સીધું છે – એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવવા બદલ ભા.જ.પે. તેમની પાસેથી એક ફેવર માગી હતી અને એ પ્રમાણે જ થયું. “આ આરોપ નથી, પણ અમને ખાતરી છે. જે રીતે ફડણવીસે ઇન્ટરનેશનલ ફાયનાન્સ હબને મુંબઈમાંથી ગુજરાત જવા દીધું, એકનાથ શિંદેએ ફોક્સકોન-વેદાંત ગુજરાત જવા દીધું,” એમ ‘સામના’એ લખ્યું હતું.

આમાં એમ.એન.એસ.ના રાજ ઠાકરે પણ જોડાયા છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે લાખો રૂપિયાનો આ પ્રોજેક્ટ ગુજરાત જતો રહ્યો તેમાં શું કંપની પાસે પૈસા માગવામાં આવ્યાં હતા? આ વાતની તપાસ થવી જોઈએ. ઉદ્ધવ અને રાજ બંને “મરાઠી માણુસ”ના નારા પર તેમની રાજનીતિ કરતાં આવ્યા છે, એટલે દેખીતી રીતે જ આમાં મહારાષ્ટ્ર વિરુદ્ધ ગુજરાતના જૂનાં જખ્મ તાજાં થાય તેમ છે.

ડેપ્યુટી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ બચાવની ભૂમિકામાં આવી ગયા છે. તેમણે વળતો ઘા મારીને કહ્યું છે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં રહે તે માટે મહાવિકાસ આઘાડીની સરકારે ગંભીરતા બતાવી નહોતી અને પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તો તેઓ એવી બૂમો પાડે છે જાણે ગુજરાત પાકિસ્તાનમાં હોય. દરમિયાનમાં, રાજ્ય સરકારને પણ અંદાજ છે કે ઉદ્ધવ સેના આને મુદ્દો બનાવશે. આ વેદાંતા-ફોક્સકોન પ્રોજેક્ટની ભરપાઈ માટે તેઓ 3. 5 લાખ કરોડના રત્નાગિરિ રિફાઇનરી પ્રોજેક્ટને ધક્કો મારે અને કેન્દ્ર સરકાર એમાં સહયોગ કરે તેમ મનાય છે.

આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તેનાથી ઔધોગિક રોકાણમાં મહારાષ્ટ્રની “સૌથી પસંદગીના” રાજ્યની છબીને પણ ધક્કો લાગ્યો છે. પરંપરાગત રીતે, મહારાષ્ટ્ર બિઝનેસ અને ઉધોગો સ્થાપવામાં મોખરે રહ્યું છે, પરંતુ 2021ના રિઝર્વ બેંકના ડેટા અનુસાર દેશના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું છે. સી.એન.બી.સી.ના રિપોર્ટ પ્રમાણે, મેન્યુફેક્ચરિંગમાં નાણાંકીય વર્ષ 12થી 20 વચ્ચે ગુજરાતનું ગ્રોસ વેલ્યુ એડિશન વાર્ષિક 15.9 ટકાના દરે વધ્યું છે, જ્યારે એ જ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રનો દર 7.5 ટકા રહ્યો હતો.

બિઝનેસનાં રોકાણો માટે રાજ્યો એકબીજા સાથે સ્પર્ધા કરે તે સરવાળે દેશ માટે સારું જ છે, પરંતુ કેન્દ્ર સરકાર રાજ્યો સાથે જો સંતુલિત અને તંદુરસ્ત વ્યવહાર ન કરે તો કેન્દ્ર-રાજ્યો વચ્ચેના સંબંધો વરવા સાબિત થાય તેમ છે. દેશમાં ઓલરેડી વિપક્ષોની રાજ્ય સરકારો સાથે કેન્દ્રના અન્યાયી વ્યવહારની ફરિયાદો ઊઠી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે એવું બહુ જોવા મળ્યું હતું.

આ નવા વિવાદમાં જોખમ એ છે મહારાષ્ટ્ર અને ગુજરાતના તંગ સંબંધો 50 વર્ષ જૂનાં છે, જ્યારે ભાષાના આધારે બે રાજ્યો અલગ પડ્યાં હતાં અને મુંબઈને લઈને બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. મોદી મુખ્ય મંત્રી હતા ત્યારથી ગુજરાત અને અમદાવાદ ઘણા બિઝનેસ આકર્ષિત કરી રહ્યું છે. વેદાંતા-ફોક્સકોનનો પ્રોજેક્ટ ગુજરાત ગયો તેમાં એવી છાપ મજબૂત થવાની સંભવાના છે કે મોદી સરકાર ગુજરાતને વધુ મહત્ત્વ આપે છે. ગુજરાતી-મરાઠીઓના સંબંધો માટે આવી છાપ જોખમી છે.

ગુજરાતીમાં કહેવત છે – ભાવતું હતું અને વૈધે કહ્યું. મહારાષ્ટ્રમાં ગયા જૂન મહિનામાં સત્તામાંથી બહાર ફેંકી દેવાયેલી ઉદ્ધવ સેનાને શિંદે સેના પર વાર કરવા માટે કશુંક જોઈતું હતું અને કેન્દ્રની ભા.જ.પ.ની સરકારે તેને તલવાર જ પકડાવી દીધી.

લાસ્ટ લાઈન:

“તમે જો કેન્દ્ર સરકારને સહારાના રણનો કારભાર સોંપો, તો 5 વર્ષમાં રેતીની અછત સર્જાય.”

— મિલ્ટન ફ્રાઈડમેન, અમેરિકન અર્થશાસ્ત્રી

(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 25 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3391,3401,3411,342...1,3501,3601,370...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved