Opinion Magazine
Number of visits: 9458775
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને પ્રતિબદ્ધ

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2022

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામન્નાએ અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધતા કહ્યું હતું કે ભારતમાં શાસક પક્ષ ઈચ્છે છે કે તે જે કાંઈ કરે તેને ન્યાયતંત્ર કબૂલ રાખે અને વિરોધ પક્ષો ઈચ્છે છે કે તેઓ જેનો વિરોધ કરે છે તેને ન્યાયતંત્ર કબૂલ રાખે છે, જ્યારે કે ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને પ્રતિબદ્ધ છે. બહુ મુદ્દાની વાત તેમણે કરી છે. બંધારણમાં આવી જ જોગવાઈ છે, બંધારણ ઘડનારાઓની આવી જ અપેક્ષા હતી અને એ જ ન્યાયતંત્રનો ધર્મ છે. નિમણૂક પામેલા જજસાહેબો જજ તરીકે સોગંદ લેતી વખતે પણ આ જ વાતના સોગંદ લે છે. આ સિવાય નાગરિકશાસ્ત્રમાં પણ આ જ શીખવવામાં આવે છે.

તો પછી આમાં નવું શું છે? જાહેરમાં આ વિષે ઊહાપોહ કરવાની શી જરૂર પડી? ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને વફાદાર હોવું જોઈએ એ દેખીતી રીતે અપેક્ષિત છે. નવું એ છે કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બીજા પાસેથી અપેક્ષા રાખે છે કે મહેરબાની કરીને અમને કફોડી સ્થિતિમાં ન મૂકો. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું પણ છે કે લોકશાહીમાં દરેક શાસનસંસ્થાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને મર્યાદા ન ઓળંગવી જોઈએ. તેમણે દુઃખ સાથે કહ્યું હતું કે આઝાદીનાં ૭૫ વરસ પછી અને દેશ પ્રજાસત્તાક થયો તેનાં ૭૨ વરસ પછી પણ શાસનસંસ્થાઓ મર્યાદાઓનો લોપ કરે છે.

દરેક શાસનસંસ્થાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને મર્યાદા ન ઓળંગવી જોઈએ. પણ સાહેબ, આ તો અપેક્ષા થઈ. વાસ્તવિકતાનું શું? શું બંધારણ ઘડનારાઓ માત્ર અપેક્ષા રાખીને ગયા હતા કે પછી અપેક્ષાભંગ થાય તો તેનું નિરાકરણ કરવાની કોઈ જોગવાઈ પણ કરતા ગયા છે? તેઓ એવી જોગવાઈ અને તેનું નિરાકરણ કરવાનો અધિકાર અથવા સત્તા કોને આપીને ગયા છે? જવાબ છે; ન્યાયતંત્રને અને મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતને. બંધારણમાં આવી સ્પષ્ટ જોગવાઈ છે અને સર્વોચ્ચ અદાલત પાસે અધિકાર અને સત્તા બન્ને છે. બંધારણ ઘડનારાઓને ખબર હતી કે લોકશાહીમાં લોકશાહી સંસ્થાઓ મર્યાદાઓનો લોપ કરતી રહે છે. ક્યારેક જાણીબૂજીને, ક્યારેક સ્વાર્થવશ તો ક્યારેક અનાવધાને. અદાલતો પણ મર્યાદા ઓળંગે છે. એવું જ્યારે થાય ત્યારે તેનો ઈલાજ કરવાનું કામ ન્યાયતંત્રનું અને મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતનું છે. બહુ સ્પષ્ટ જોગવાઈ છે. ત્યાં સુધી કે સર્વોચ્ચ અદાલત કોઈની અરજી વિના, પોતાની જાતે, સુ મોટો હસ્તક્ષેપ કરી શકે છે.

આ બાજુ ન્યાયતંત્ર અનાવધાને કોઈ ભૂલ કરી બેસે એવી શક્યતા નહીંવત્ છે, કારણ એ છે કે ત્યાં ખુલ્લી અદાલતમાં બધાની સામે દલીલો કરવામાં આવે છે. કોઈ પણ ઘટનાની દરેક બાજુ વકીલો કે પક્ષકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. દેશ અને દુનિયામાં આવી જ સ્થિતિમાં અપાયેલા ચુકાદાઓ પ્રમાણ તરીકે રજૂ કરવામાં આવે છે. આ સિવાય અખબારો અને બીજાં માધ્યમોમાં ચર્ચા થાય છે. ન્યાયાધીશોએ કોઈ નિર્ણય ઉતાવળે રાતોરાત લેવાનો હોતો નથી, શાંતિથી બન્ને પક્ષોને કે જેટલા પક્ષો હોય એ દરેકને સાંભળ્યા પછી નિર્ણય લેવાનો હોય છે. વળી મહત્ત્વની બાબત એક કરતાં વધુ જજોની ખંડપીઠ સાંભળે છે એટલે પણ ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે. અને છેલ્લે બંધારણ નામનો અંતિમ પ્રમાણનો ગ્રંથ તો તેમની પાસે હોય જ છે. ન્યાયતંત્રનું પ્રતીક જ ત્રાજવું છે જે તોળવાનું કામ કરે છે. ન કોઈને વધારે ન કોઈને ઓછું. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ અનાવધાને ભૂલ કરી બેસે એવી શક્યતા નહીંવત્ છે.

માટે બંધારણ ઘડનારાઓએ દુરુસ્તીનું કામ સર્વોચ્ચ અદાલતને સોંપ્યું છે. બંધારણ ઘડનારાઓને જાણ હતી કે લોકતંત્ર નામનાં શરીરમાં વ્યાધિઓ આવતી રહેવાની છે એટલે કોઈ એક કાયમી દાકતર જોઈએ, જે દરેક પક્ષને ધીરજપૂર્વક સાંભળીને નીરક્ષીર વિવેક કરે અને ઈલાજ કરે. તેને એવો અબાધિત અધિકાર પણ આપવામાં આવ્યો છે. શબ્દપ્રયોગ પર ધ્યાન આપવામાં આવે, અબાધિત અધિકાર. આ સિવાય માત્ર અધિકાર નહીં તેનો આ ધર્મ છે એમ પણ કહેવામાં આવ્યું છે. પક્ષપાત વિના ઈલાજ તબીબનો ધર્મ છે અને તબીબ ધર્મ ચૂકી ન શકે એવાં જે હિપોક્રેટીક સોગંદ તબીબે લેવા પડે છે એમ જજ પણ લે છે. લોકોએ આરોગ્ય કેમ જાળવવું જોઈએ અને જીવન જીવવામાં કેવી રીતના સંયમ પાળવા જોઈએ એ વિષે તબીબ રોટરી ક્લબમાં કે અન્યત્ર ક્વચિત સલાહ આપશે, પણ રોગનો ઈલાજ કરવાનું એ ચૂકતો નથી. જજ પાસેથી પણ એવી જ અપેક્ષા છે. સલાહ જરૂર આપો, ઊહાપોહ કરો (જે રીતે મુખ્ય ન્યાયમૂર્તિએ અમેરિકામાં કર્યો), શાબ્દિક ફટકારો; પણ ઈલાજ કરો.

દેશનું ન્યાયતંત્ર અને સર્વોચ્ચ અદાલત આ કરે છે? એક કરતાં વધુ જજોની પીઠ હોવા છતાં, દરેક પક્ષ અને દરેક બાજુને સાંભળવા માટે જોઈએ એટલો સમય હોવા છતાં, આગળનાં ચુકાદાઓનાં પ્રમાણ તરીકે આધાર હોવા છતાં, બંધારણ નામનું અંતિમ પ્રમાણનું બાયબલ સામે હોવા છતાં કેમ સર્વોચ્ચ અદાલત ઈલાજ કરતી નથી? મહેરબાની કરીને તમારી અપેક્ષાઓ લઈને અમારી પાસે નહીં આવો અને આવો તો આવો, પણ અમારા ઉપર દબાણ નહીં લાવો એવી કાકલૂદી શા માટે? ખોટી અપેક્ષાઓને ફગાવી દેવાનો તમને અધિકાર છે અને દબાવમાં નહીં આવવાનું રક્ષાકવચ પણ છે. જો અદનો નાગરિક કોઇથી ડર્યા વિના સ્પષ્ટ અભિપ્રાય આપવાની હિંમત ધરાવતો હોય તો તમારી પાસે તો અધિકાર અને સત્તા બન્ને છે. ઉપરથી રક્ષાકવચ છે. અદના નાગરિક પાસે તો આમાનું કાંઈ જ નથી.

તો શું ખૂટે છે? દેશનું લોકતંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે કે પછી લોકતંત્રનો ઈલાજ કરવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે એ તબીબ નિષ્ફળ નીવડી રહ્યો છે? બીજા પાસેથી અપેક્ષા તો નિરાધાર અદનો નાગરિક રાખે, જ્યારે તમારી પાસે તો અધિકાર અને રક્ષાકવચ એમ બન્ને છે. જો નિરાધાર નાગરિક બંધારણીય ભૂમિકા લઈ શકે, તાકાતવાનોને પડકારી શકે તો તમે કેમ તે ન કરી શકો? તમારી પાસે તો પદ, પ્રતિષ્ઠા, સત્તા અને બંધારણીય સંરક્ષણ એમ બધું જ છે. સરકારને ઊઠબેસ કરાવો તો પણ કોઈ તમારો વાળ વાંકો કરી શકે એમ નથી. બીજી બાજુ તીસ્તા સેતલવાડ જેવાં અદના નાગરિકો પાસે પોતાનાં અંતરાત્માનો અવાજ, કાયદાના રાજ માટેની પ્રતિબદ્ધતા, અન્યાયરહિત સમાજ માટેની નિસ્બત વગેરે મૂલ્યોની ગાંસડી સિવાય બીજું કશું જ નથી. તેઓ નિરાધાર હોવા છતાં ય બંધારણચિંધ્યા મૂલ્યોની ગાંસડી ફગાવી દેતા નથી, પણ સર્વોચ્ચ અદાલતના જજો ફગાવી દે છે.

દેશ માટે ચિંતાનો વિષય આ છે. લોકતંત્રનું એટલી હદે ક્ષરણ થયું છે કે લાચાર મુખ્ય ન્યાયમૂર્તિ બીજાઓ પાસેથી મર્યાદાના પાલનની અપેક્ષા રાખે છે કે જેથી સર્વોચ્ચ અદાલતના જજોની ન્યાયનિષ્ઠાની કસોટી ન થાય. તેમની આબરૂની કસોટી ન થાય. સર્વોચ્ચ અદાલતના અને વડી અદાલતોના જજોની આવી કસોટી પહેલીવાર નથી થઈ રહી. ઇન્દિરા ગાંધીના સમયમાં પણ જજોની આવી કસોટી થઈ હતી. ત્યારે પણ અનેક જજો પાણીમાં બેસી ગયા જે રીતે આજે જોવા મળી રહ્યું છે. ત્યારે પણ ન્યાયમૂર્તિ એચ.આર. ખન્ના જેવાઓએ સામી છાતીએ ન્યાયધર્મનું પાલન કર્યું હતું અને તેની કિંમત ચૂકવી હતી. કોઈકે યોગ્ય સૂચન કર્યું હતું કે સર્વોચ્ચ અદાલતની લોનમાં ન્યાયમૂર્તિ ખન્નાની પૂરા કદની પ્રતિમા સ્થાપવી જોઈએ.

સ્થાપિત હિતોનો સ્વભાવ છે કે તે કાયદાકીય તેમ જ નૈતિક મર્યાદાઓનો લોપ કરે. રેલવેમાં ચોથી સીટ ઉપર બેસવાનો ઉતારુનો અધિકાર હોવા છતાં ત્યાં કોઈ ન બેસે અને તમારી મોકળાશ જતી ન રહે એ માટેના પ્રયત્નો તમે કરો છો એના જેવું. આ સ્વાભાવિક છે. બીજી બાજુ ચોથી સીટ જો કોઈ ઉતારુને જોઈતી હોય તો તેણે તે સીટ પચાવી પાડનારા પાસેથી માગવી પડે અને ક્યારેક તે માટે ઝઘડવું પડે છે. પોતાના કાયદાકીય અધિકાર માટે લડવું પડે છે. પણ કાયદાનું રક્ષણ ન મળે તો? તો પછી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ જોવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે તેની પાસે ધા નાખવાનો અર્થાત્ અદાલતમાં જવાનો માર્ગ બચે છે. લોકતંત્રમાં અથવા સભ્ય સમાજમાં આ છેલ્લો આશરો છે. બંધારણ ઘડનારાઓને સમાજના સ્વભાવની જાણ હતી જ. માટે તેમણે મર્યાદાભંગ કરવામાં ન આવે એવી અપેક્ષા માત્ર નહોતી રાખી, એ મર્યાદાલોપ ન કરી શકે અને કરે તો તેને તેની જગ્યા બતાવવામાં આવે એની પણ તજવીજ કરી હતી. અને જો છેલ્લો આશરો પણ નાગરિક સાથે વિશ્વાસઘાત કરે અને ન્યાય કરવામાં નિષ્ફળ નીવડે તો? તો સમજી લેવું કે સંસ્કારિતા અને સભ્યતાનો અંત આવી ગયો છે. આપણે ધીરે ધીરે એ દિશામાં જઈ રહ્યા છીએ.

અત્યારે દેશમાં સ્થાપિત હિતો પહોળા થઈ રહ્યા છે. જેને કાયદાની અમલબજાવણીનું કામ સોંપવામાં આવ્યું છે એ હવે સ્થાપિત હિતોના ભાગીદાર જોવા મળે છે. જેમનું કામ જાહેરહિત માટે ઊહાપોહ કરવાનું છે એ મીડિયા અત્યારે સ્થાપિત હિતોની માલિકીનાં છે. લોકતાંત્રિક સંતુલન જાળવનારી સી.એ.જી. કે ચૂંટણીપંચ જેવી લોકશાહી સંસ્થાઓ પાણીમાં બેસી ગઈ છે. ઊંટની પીઠ પરનાં છેલ્લાં તણખલા સમાન સર્વોચ્ચ અદાલત સહિત અદાલતોના જજો કાં તો ડરીને અથવા વેચાઈને મોઢું ફેરવી રહ્યા છે. છેલ્લી આશા અને છેલ્લો આશરો પણ ખતમ થઈ રહ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ રામન્ના બાવીસ વરસથી જજ છે. ૨૦૧૪થી સર્વોચ્ચ અદાલતમાં છે. તેમની નજર સામે સર્વોચ્ચ અદાલતના જજોએ બંધારણવિરુદ્ધ ચુકાદા આપ્યા છે. તેમની નજર સામે જજો વેચાયા છે. તેમની નજર સામે કરોડરજ્જુ વિનાના જજોએ સામાન્ય નાગરિકને અન્યાય કર્યો છે. માત્ર તીસ્તા સેતલવાડો કે જિગ્નેશ મેવાણીઓ જેવાં પારકી છઠ્ઠીના જાગતલ હિંમતથી સ્થાપિત હિતોનો મુકાબલો કરી રહ્યાં છે.

છેલ્લા કેટલાક વખતથી એક નવી રમત જોવા મળી રહી છે. ન્યાયની ખુરશીમાં બેઠા હોઈએ ત્યારે સાચવીને ચુકાદા આપવાના કે જેથી અંગત લાભથી વંચિત ન રહેવાય કે અંગત નુકસાન ન થાય, પણ જાહેરમાં લોકતાંત્રિક આદર્શોની મોટી મોટી વાતો કરવાની. બંધારણ અને મૂલ્યો માટેની નિસ્બત માત્ર જાહેરમંચ પર બતાવવાની. આ રીતે પાપ નહીં ધોવાય, મી લૉર્ડ.

[07-07-2022] 

Loading

બ્રહ્માંડ અંગેનું આપણું જ્ઞાન

નિહાર મેઘાણી|Opinion - Opinion|14 July 2022

પૃથ્વી આપણાં સૂર્યમંડળના આઠમાંનો એક ગ્રહ છે. આપણાં સૂર્યમંડળનો વ્યાસ (diameter) આશરે નવ અબજ કિલોમીટર છે. આપણી ગેલેક્સિ જે આકાશગંગા (milky way) તરીકે ઓળખાય છે, તેમાં લગભગ ચાર અબજ જેટલા તારા છે તથા છ અબજ જેટલા પૃથ્વી જેવા ગ્રહો છે. આપણે જે વિસ્તારને બ્રહ્માંડ (universe) કહીએ છીએ તેમાં આવી કરોડો ગેલેક્સિઓ સમાયેલી છે. બ્રહ્માંડના પરિપ્રેક્ષમાં આપણી પૃથ્વી એક સૂક્ષ્મ કણ પણ ન કહી શકાય એટલી સૂક્ષ્મ છે. વૈજ્ઞાનિકો હવે એમ પણ કહે છે કે બીજું બ્રહ્માંડ હોવાની પણ શક્યતા છે.

પહેલા તો આવી અબજો-અબજ પૃથ્વી જેવા ગ્રહોથી ભરેલા બ્રહ્માંડ અંગેની કલ્પના કરવી જ અઘરી છે. છતાં આપણે આ બ્રહ્માંડનું સર્જન કોણે કર્યું અને તેને કોણ ચલાવી રહ્યું છે વગેરે જેવી કલ્પનાઓ કરી એને મક્કમપણે સત્ય માની લીધુ છે. માત્ર એટલું જ નહીં, દરેક ધર્મનો માણસ અત્યંત બાલિશ લોજીકથી આવું સાબિત કરવા મથી રહ્યો છે કે તેની કલ્પના જ સત્ય છે. માણસ નામનું અત્યંત સૂક્ષ્મ જંતુ આવા અફાટ બ્રહ્માંડની રચના કોણે કરી એની તુચ્છ કલ્પના કરી પોતાનો કક્કો સાચો પાડવા મથી રહ્યો છે. માણસની ટચૂકડી બુદ્ધિ હજુ પૃથ્વી પરના રહસ્યો બરાબર સમજી શક્યું નથી. પણ આ બ્રહ્માંડ કોણે બનાવ્યું એના દાવા કરી એને સત્ય ઠરાવવા તોફાને ચડે છે – જે મનુષ્યની અક્કલની મર્યાદા બતાવે છે.

ઓશોએ કહેલું કે મનુષ્યની કોઈ પણ કલ્પના માત્ર તેની પાંચ ઇન્દ્રિયોના અનુભવમાં સીમિત છે, આપણી પાંચ ઇન્દ્રિઓના અનુભવ બહારની કોઈ કલ્પના માણસ માટે શક્ય નથી. જો આવું હોય, તો આપણું ગણિત, આપણું વિજ્ઞાન, આપણી કલ્પનાઓ, આપણી વાર્તાઓ કે આપણી ભગવાન અંગેની ધારણાઓ અને બીજું બધું જે આપણે જાણીએ છીએ એ આપણી પાંચ ઇન્દ્રિયોની મર્યાદામાં જ રચાયેલા છે. માની લો કે બીજા કોઈ ગ્રહ પર મનુષ્ય પ્રકારનો કોઈ જીવ છે, જેની પાસે આઠ, દસ કે પંદર ઇન્દ્રિયો હોય, તો તેનું ગણિત અને તેનું વિજ્ઞાન સાવ અલગ હોવાના. અને આવા મનુષ્યોની બ્રહ્માંડના સર્જનહાર અંગેની કલ્પના પણ અલગ જ હશે. માટે આપણી કલ્પનાના કોઈ પણ ભગવાન ત્યાં નહીં ચાલે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનમાં આપણે પ્રવેશી ચુક્યા છીએ. હજારો વિમાનો પૃથ્વીના આકાશમાં ચોવીસ કલાક ઊડે છે. વિજ્ઞાન, તબીબી શાસ્ત્ર, અણુવિજ્ઞાન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો અસાધારણ વિકાસ થઇ ચુક્યો છે. ઉત્તમ સ્થાપત્યકળાની અનેક અજાયબીઓ મનુષ્યએ ઊભી કરી લીધી છે. ઉપરાંત, ઉત્કૃષ્ટ સાહિત્ય અને કલાકારીગરીના ઉત્તમ નમૂના પણ દુનિયામાં મોજુદ છે.

હવે કલ્પના કરીએ કે કોઈ મહાપ્રયલના કારણે માનવજાત નષ્ટ થાય છે. અને હજારો વર્ષો પછી વાંદરો ફરી ઉત્ક્રાંતિ કરી માનવ સ્વરૂપ ધારણ કરે છે. એ પછી હજારો વર્ષોના વિકાસ પછી ફરી તે સુસંસ્કૃત બને છે. વિચારો કે આજના સમયનું બચી ગયેલું સાહિત્ય તથા આપણે કરેલા વૈજ્ઞાનિક વિકાસ અંગેના પુરાવા એમને હાથ લાગે અને તેઓ એને ડીકૉડ કરે, તો હાલનું જગત તેમના માટે કેટલું રહસ્યમય હશે ! વિચારો કે તેની કલ્પનાઓ કેવી હશે આપણા જીવન અંગે ! તેઓ ચોક્કસ માનતા થશે કે હજારો વર્ષો પૂર્વે આપણા ગ્રહ પર દેવો વસતા હશે અને આપણી અત્યારની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ તેમને ચમત્કારોથી ભરપૂર લાગશે. પાછલાં જગત અંગે કાલ્પનિક વિશ્વ ઊભુ થશે, વાર્તાઓ લખાશે, તેમાં વળી અલગઅલગ કલ્પનાઓ મસાલા ભળશે. પૌરાણિક જગત અંગે ગ્રંથો બનશે. આવા ગ્રંથોને ધીરેધીરે માન્યતા મળશે અને તેની આગળની પેઢીઓ તેને આધારભૂત ઠરાવતી જશે. લોકોના આભાસી કલ્પના-ચિત્રો તેમાં ઉમેરાશે. આગળ જતાં જીવન કેમ જીવવું એ અંગે નોર્મ્સની સૂચિમાં આવા ગ્રાથોનો મસાલો ઉમેરી ધર્મગ્રંથોનું નિર્માણ કરવામાં આવશે. સમય જતાં જુદાજુદા ધર્મગ્રંથોને સાચા ઠરાવવા અલગ અલગ જૂથો બનશે અને તેમના વચ્ચે મતભેદ ઊભાં થશે. દરેક જૂથ પોતાનું જ્ઞાન સર્વોપરી છે એ જતાવવા કત્લેઆમ કરશે. આના આધારે ફરી વિવિધ ધર્મોનું નિર્માણ થશે. જો કે, એ ધર્મોના નામ તદ્દન અલગ હશે.

આપણી હાલની હકીકત આ જ છે. પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલા ચમત્કારોથી તો કેટકેટલાં મોટા ચમત્કારો માનવજાતે વિજ્ઞાનના વિકાસથી કરી બતાવ્યા છે. છતાં આપણે પૌરાણિક કથાઓના ક્ષુલ્લક ચમત્કારોથી શા માટે આટલા અભિભૂત અને ભાવવિભોર રહીએ છીએ એ વિચારવા જેવું છે ! આમાં મારા ભગવાન તમારા ભગવાન, મારુ મંદિર તમારું મંદિર, તારી જાતિ મારી જાતિ આ બધું આપણે જ ઊભુ કરેલું છે. બ્રહ્માંડ અથવા આ પૃથ્વીનું સર્જન મારા ભગવાને કર્યું કે તારા ભગવાને કર્યું એ ચર્ચા જ હાસ્યાસ્પદ છે. આપણાં આ પ્રકારના એક પણ દાવાના આધારભૂત પુરાવા નથી. બ્રહ્માંડ અંગેનું આપણું જ્ઞાન બ્રહ્માંડની અંદરના મનુષ્યના કદ જેટલું જ અતિ સૂક્ષ્મ છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડની અમુક તસવીરો મેળવી છે જે 13 અબજ વરસ પહેલાની છે. એક બાજુ આ જાતની તસવીરો મળે છે અને બીજી બાજુ જીવનની ઘરેડમાં જડ બની ગયેલી પૌરાણિક કાલ્પનિક વાર્તાઓ સાથેનું તાદાત્મ્ય છૂટતું નથી. મજાની વાત તો એ કે જેને મહાન ગ્રંથો ગણીએ છીએ, ધાર્મિક લોકો તેને વાંચ્યા વગર જ પાછા 'માનતા' હોય છે અને અન્યોને પણ એ સમજ્યા વગરનું મનાવવા જીવનભર મથે છે.

e.mail : curiofact@gmail.com

Loading

કુંજવિહારીને –

રવીન્દ્ર પારેખ|Poetry|14 July 2022

ખોટું હતું તમારું નામ 
કુંજ તો હજી ય ચાલે
પણ વિહારી?
તમે પોતે કુંજ
ને તમે જ વિહાર કરો
એ ગળે ઊતરતું નથી
ક્યારેક તમે જ બહારથી
તમારામાં વિહારે નીકળ્યા હો 
નામને સાર્થક કરવા એમ બને
કુંજની પ્રસન્નતા ખરી
પણ તમે હસ્યા ઓછું
હસી કાઢ્યું ઘણું
પણ જે હતું તે 
તમારી આંખોમાં –
તમે આંખોમાં જ વસતા હતા
હથિયારની ચમક હતી એમાં
ઘા ક્યારેક દૃષ્ટિથી જ થતો
ને પરિણામ ઘવાવામાં આવતું
ખુન્નસ ઉગામ્યું જ નહીં
નહીંતર ઘણો સંહાર થઈ શક્યો હોત
ચહેરા પર કેવળ કરડાકી
એટલી ખડકાળ કે 
આંગળી મૂકો તો ટશર ફૂટે
વાણી અગ્નિદાહ જેવી 
બાળતી પણ શુદ્ધ કરતી
તમે શબ્દોથી સફાઈ અભિયાન ચલાવ્યું
જાહેર થયા ત્યારે અંગત પણ રહ્યા
તમે પોતે જ શસ્ત્રાગાર જેવા 
એટલે જ તો શતાબ્દીથી જીવો છો
તમને યાદ કરવા પડે એવું નથી
શ્વાસ કોઈ યાદ રાખીને લે છે !
તમે યોદ્ધા છતાં હિંસા રોકી
શિસ્ત આંખોથી જ ફેલાવ્યું
જે કરડાકી લોહી ટપકાવે
તેણે રક્તદાન કર્યું
જરૂર તમને ય હતી
પણ તમે બીજાની જરૂર રહ્યા
ખોટી દિશામાં દોડનારને 
તમે રોક્યા 
ન ચાલી શકનારને દોડાવ્યા
તમે વજ્રથી કઠોર હતા
પણ હૃદય કોમળ હતું
તે બીજાનાં આંસુ ઝીલવાથી !
કોઈ વ્યક્તિ સંસ્થા પણ હોય
તે તમે સિદ્ધ કર્યું
તમે નિવૃત્ત થયા જ નહીં !
હજી નથી થયા
ને થાવ એવું લાગતું નથી
કોઈએ આટલું બધું ન જીવવું જોઈએ
પણ એમાં દોષ તમારો નથી
તમે ઇચ્છો કે ન ઈચ્છો 
આ જગત તમને મરવા દે એમ નથી
અમે રહીએ કે ન રહીએ
તમે રહેશો
તમે જ નહીં રહો તો 
આ ધરતીને ય
કયું કારણ છે રહેવાનું 
તે કહેશો …?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,3261,3271,3281,329...1,3401,3501,360...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved