Opinion Magazine
Number of visits: 9458502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આબરુ સાચવવાની બીકે બેઆબરુ થવામાં ડહાપણ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 July 2022

એવું કોઈ છાપું નથી, એવી કોઈ સમાચારની ચેનલ નથી, જેમાં છેડતી, બળાત્કારની વાતો આવતી નહીં હોય. વારુ, એ તો એવી ઘટનાઓ છે જે મીડિયા સુધી પહોંચે છે, પણ એવી ઘટનાઓ ઓછી નથી, જે મીડિયા સુધી પહોંચતી જ નથી. મીડિયા સુધી વાતો પહોંચાડવામાં પણ લોકો બહુ રાજી નથી હોતા, પણ ઈલાજ જ નથી રહેતો ત્યારે વાત મીડિયા સુધી પહોંચે છે. કોઈ મીડિયા સુધી વાત પહોંચાડવા ઉત્સુક હોય એવું તો અપવાદ રૂપે જ બનતું હશે. કેમ એવું થાય છે કે કોઈ પોલીસ સુધી વાત પહોંચાડવા રાજી નથી થતું? બીજા કોઈ પણ ગુનામાં ગુનેગાર અપવાદરૂપે જ છાતી કાઢીને ફરતો હશે, પણ છેડતી, બળાત્કારના ગુનામાં ગુનેગાર બેશરમ થઈને ફરતો હોય તો નવાઈ નહીં. ગુનેગાર આટલો બેશરમ કોના જીવ પર થતો હોય છે? આ એવો ગુનો છે જેમાં પીડિતા વેઠે છે કે દબાઈ, ચંપાઈને શરમની જિંદગી જીવે છે ને ગુનેગાર છૂટો ફરતો હોય છે. બીજા ગુનામાં ગુનેગાર સંતાતો ફરતો હોય છે, જ્યારે છેડતી, બળાત્કારમાં પીડિતા સંતાતી ફરે છે અથવા તો તેને તેમ વર્તવાની ફરજ પાડવામાં આવે છે.

આમ થાય છે તે આબરુ જાળવવા માટે. આબરુ જવાની બીકે ઘણાં કુટુંબો ઘણું ઘણું વેઠે છે. છેડતી, બળાત્કારની ઘટનાઓ નાની બાળકીથી માંડીને 80 ઉપરની ડોશી સાથે પણ બનતી હોય છે. આ બધી જ સ્ત્રીઓ આબરુ જવાની બીકે ચૂપ રહે છે. સ્ત્રી ચૂપ ન પણ રહેવા માંગતી હોય, તો પણ તેનું કુટુંબ, વાત બહાર ન જાય એટલે ચૂપ રહે છે ને દીકરી-વહુને પણ ચૂપ રહેવાનું કહી દે છે. ધારો કે કોઈ બાળકીની છેડતી થાય છે. ઘણી વાર તો બાળકીને એ જ ખબર નથી પડતી કે તેની સાથે થઈ શું રહ્યું છે? કૈંક ખોટું થયાનું તેને લાગે છે, પણ તેનું નામ પાડતાં તેને મૂંઝવણ થાય છે. ઘણીવાર એવું બને છે કે બાળકીને પોતાને જ લાગે છે કે કોઈને કૈં નથી કહેવું ને એ કૈં ન કહેવાનું નક્કી કરે છે. તે મા કે બાપ, કોઈને કૈં કહેતી નથી. આમ થાય તો તેનો અર્થ એવો થાય કે બાળકીનું કુટુંબ એવું નથી કે દીકરી કશી પણ પૂર્વ તેયારી વિના સ્પષ્ટ વાત માને કે બાપને કરી શકે. બાળકીને એ ભરોસો નથી પડતો કે તેની વાત કુટુંબ માનશે. ખરેખર તો ઘરની સ્થિતિ એવી હોવી જોઈએ કે દીકરી સંકોચ વગર માને કે બાપને બધું કહી શકે, પણ ઘણાં ઘરોમાં એવું વાતાવરણ હોતું નથી.

ધારો કે બાળકી છેડતીની વાત માને કરે છે. મા સમજદાર હશે તો દીકરીને વહાલથી પાસે બેસાડીને તેની બધી વાત સાંભળશે ને ઘરનાં વડીલોને કાને વાત નાખશે. વડીલો ન્યાય મેળવવાની ઈચ્છા રાખતા હશે તો પોલીસ ફરિયાદ કરશે ને ગુનેગારને પકડશે, પણ આવું ઓછું જ બનતું હોય છે. છેડતીની કે બળાત્કારની ઘટના જે કુટુંબની બાળકી કે સ્ત્રી સાથે બને છે એ કુટુંબ આ વાતે એટલું સંકોચાઈ જાય છે કે તે કોઈ વાત ઘરની બહાર ન પહોંચે એ માટેની સખત તાકીદ ઘરનાં સભ્યોને કરે છે. ઘરની આબરુ જાય ને બહાર ચોળાચોળ થાય એ કુટુંબ નથી ઇચ્છતું. ઘીના ઠામમાં ઘી પડી રહે એવું કુટુંબ માનતું હોય છે. આનું પરિણામ એ આવે છે કે ગુનેગારને મોકળાશ મળી જાય છે. આમ તો ગુનેગારે પીડિતાને વાત કોઈને ન કહેવાની તાકીદ કરી જ હોય છે એટલે પણ પીડિતા ભયભીત હોય છે ને એ કોઈને વાત નથી કરતી. ન પીડિતા  કોઈને કહે છે, ન કુટુંબ મગનું નામ મરી પાડે છે. આનો લાભ ગુનેગાર ઉઠાવે છે. ફરિયાદ નથી થઈ એ વાત ગુનેગાર જાણે છે એટલે તે પીડિતાનો વધુ લાભ ઉઠાવે છે. એક વાર બન્યું તેની વાત પીડિતાએ કોઈને કરી નથી એટલે બીજી વાર પણ તે કોઈને નહિ કહે એની ખાતરી ગુનેગારને થઈ જાય છે ને એ વારંવાર શિકાર કરતો રહે છે. ઘરની આબરુ જવાની બીકે કુટુંબ ચૂપ રહે છે ને દીકરી કે વહુ બેઆબરુ થતી રહે છે.

ઘણીવાર તો આ રીતે બેઆબરુ કરનાર બહારની નહીં, પણ ઘરની જ વ્યક્તિ હોય છે. કુટુંબની દીકરી, વહુ ઘરનાં જ માણસથી પીંખાય એ તો વધારે શરમજનક છે. એટલે વાત બહાર પણ કોને કરવાની? કારણ ગુનેગાર બહારનો નથી, ઘરનો જ છે. અહીં પણ વેઠી લેવાની વાત જ કેન્દ્રમાં રહે છે. આ સ્થિતિ ગુનેગારને મોકળું મેદાન પૂરું પાડે છે. ઘરની આબરુ જવાની બીકે કુટુંબ મોઢે તાળાં મારી લે છે. એ ખરું કે લોકો વાતો કરશે એ ડરે કુટુંબ ચૂપ રહે છે, પણ આ ચૂપકીદી ગુનેગારને ઉત્તેજન આપે છે એનો વિચાર નહીં કરવાનો? આબરુ જવાની બીકે બેઆબરુ થતાં રહેવામાં ડહાપણ છે? ને આ આબરુ શું છે? જેનાથી આબરુ, આબરુ કહીને બચતાં રહીએ છીએ એ શું છે? એ પ્રતિષ્ઠા છે કે ભય? ઘરની કોઈ વ્યક્તિનું કોઈ સિદ્ધિ બદલ સન્માન થાય ને એની વાતો ચર્ચાય તો ઘરની આબરુ વધે છે. એનો આનંદ થાય છે. એની વાતો બહાર જેટલી ચર્ચાય છે તેટલો આનંદ વધે છે ને કુટુંબ ઈચ્છે છે કે એવી વાતો વધુને વધુ બહાર ચર્ચાય. અહીં જાહેરમાં થતી ચર્ચા આનંદ, આબરુ વધારે છે, પણ છેડતી, બળાત્કારની વાતો આબરુ ઘટાડે છે. તેનાથી પીડા થાય છે એટલે કુટુંબ ઈચ્છે છે કે ઘરની વાત ઘરમાં જ રહે. આ વલણ સહજ ગણાવું જોઈએ, પણ જે વેઠે છે અને ફરિયાદ ન થવાને કારણે વધારેને વધારે વેઠે છે. એનો વિચાર કરવાનો કે કેમ? ઘરની ચૂપકીદી ગુનેગારની હિંમત વધારે છે ને તે બીજા વધુ ગુના કરવા પ્રેરાય છે એનો વિચાર માત્ર એટલે નહીં કરવાનો, કારણ આબરુ જાય એમ છે? આ બરાબર છે? એનો અર્થ એવો પણ નહીં જ કે ઘરે બેશરમ થઈને રસ્તે ઊતરી પડવાનું, પણ, જે ગુનો થયો છે ને ઘરની ચૂપકીદી વધુ ગુનાની તક પૂરી પાડે છે એ વિષે શાંત અને સ્વસ્થ વિરોધ ન કરવો કે તે અંગે કાનૂની સલાહ ન લેવી એ પણ બરાબર નથી.

– ને એવું પણ ક્યાં છે કે પોલીસ પણ ફરિયાદ લેવા તૈયાર જ બેઠી છે? ઘણીવાર તો પોલીસ ફરિયાદ લેવા જ રાજી નથી હોતી, છતાં કોઈ ફરિયાદ નોંધાવે છે તો તે પહેલાં તો ફરિયાદીને એમ જ ખંખેરીને કાઢી મૂકે છે. પોલીસ જો ઠીકઠાક હશે તો આબરુ જવાનો ભય બતાવીને કુટુંબ પોતે જ ફરિયાદ કરવાનું ટાળે એ સ્થિતિ ઊભી કરશે. બહુ ઓછા કિસ્સાઓમાં પોલીસ આગળની કાર્યવાહી માટે તૈયાર થાય છે. જો ફરિયાદી સ્ત્રી એકલી જ પોલીસ ચોકીએ ગઈ હોય તો પોલીસ તેની સાથે દુષ્કર્મ કરવા સુધી પણ ગઈ હોય એવા કિસ્સાઓ પણ મીડિયામાં આવ્યા છે. આ સઘળું બને છે તે કેવળ આબરુ જવાની બીકે. ગુનેગાર, કુટુંબ અને પોલીસ જાણતી હોય છે કે બધાંને આબરુ જવાનો ભય છે એટલે વાત ઢાંકપિછોડા પર આવીને અટકી જાય છે. ફરિયાદ લેવાય પછી પણ ગુનેગારને સજા થાય જ એવું નક્કી નથી. કોર્ટમાં પણ ન્યાય મળે જ એવું દરેક વખતે બનતું નથી. વકીલોને પૈસા ખવડાવીને ઇચ્છિત ન્યાય સૌ કોઈ મેળવી લેતા હોય છે ને ગુનેગાર પુરાવાને અભાવે છૂટી પણ જતો હોય છે. આ બધું જાણતાં કુટુંબો ફરિયાદ કરવાથી દૂર રહે છે. દરેક વખતે આમ જ થાય છે એવું નથી, ઘણીવાર ગુનેગારને સજા થાય પણ છે, પણ આ બધા વિષે ખાતરીથી કૈં કહી શકાય એવું નથી. છતાં એનો ઈલાજ ચૂપ રહેવામાં જ છે એવું નથી. થોડાં કુટુંબો થોડી હિંમત દાખવીને ગુનેગારને ઉઘાડો પાડવા આગળ આવે તો ગુનાનું પ્રમાણ ઘટે એમ બને. આ કહેવું સહેલું છે, પણ વર્તવાનું અઘરું છે એ ખરું, પણ કોઈકે તો, આજે નહીં તો કાલે આગળ આવવું પડશેને? એમ નહીં થાય તો ગુનેગારને બચાવવા જેવું જ થશે. આ થવા દેવા જેવું છે?

0

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, “ગુજરાત ટુડે”, 17 જુલાઈ 2022

Loading

સૌથી શાંત દેશ જાપાનમાં આવી હિંસા કેમ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2022

વિશ્વના સૌથી સલામત દેશોમાં જાપાનનો નંબર એકથી દસમાં આવે છે. ગ્લોબલ પીસ ઇન્ડેકસમાં જાપાન છેલ્લા 13 વર્ષથી ટોપ ટેનમાં રહ્યું છે. દેશમાં અપરાધનો દર, આંતરિક સામાજિક ઘર્ષણ અને રાજકીય આતંક લગાતાર નિમ્ન સ્તરે રહ્યો છે. અમુક ઇલાકાઓ છે, જ્યાં માથાકૂટ ચાલતી રહે છે, પણ તે પાડોશી રાષ્ટ્રોને લઈને છે. જાપાનમાં ઈમિગ્રેશન સૌથી ઓછું છે અને હથિયારો આસાનીથી મળતાં નથી. સ્વ-સુરક્ષા માટે હથિયાર રાખવાનો જાપાનમાં અધિકાર નથી. 1958નો જાપાનનો કાયદો કહે છે કે, “કોઈ વ્યક્તિ હથિયાર કે તલવાર રાખી નહીં શકે.”

2019માં, અમેરિકામાં પ્રતિ 1,00,000 લોકો વચ્ચે, કોકને ગોળીએ દેવાની ચાર ઘટનાઓ બની હતી, ત્યારે એ જ વર્ષે જાપાનમાં એક પણ ઘટના બની નહોતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને શિકાગો યુનિવર્સિટીના અહેવાલ અનુસાર, જાપાનમાં 175 પરિવારો વચ્ચે એક પરિવાર પાસે બંધૂક હોય છે. તેની સરખામણીમાં, અમેરિકામાં દર ત્રણ પરિવારમાંથી એક પાસે બંધૂક હોય છે.

2020માં, હથિયાર ચલાવવા બદલ 21 લોકોની ધરપકડ થઇ હતી, જેમાંથી 12 ઘટનાઓ ગુંડા-ટોળી સંબંધી હતી. 13 કરોડ લોકોના આ દેશમાં, દર વર્ષે બંધૂકથી મરી જનારા લોકોની સંખ્યા ભાગ્યે જ દસથી ઉપર જાય છે. 2014માં, કુલ 6 માણસો હિંસક મોતે મર્યા હતા. 2006માં, માત્ર 2 જ લોકોને ગોળીએ વીંધવામાં આવ્યાં હતા.

2016માં, 19 લોકોનો જેમાં જીવ ગયો હતો તે જાપાનના ઇતિહાસની સૌથી મોટી સામૂહિક હત્યા હતી, અને તેમાં બંધૂક નહીં, પણ ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 30 વર્ષ પહેલાં, ઓમ શિન્રિકો નામના કટ્ટર સંપ્રદાયના અનુયાયીઓ ટોકિયો મેટ્રોમાં સરિન નામનો ઝેરી ગેસ છોડીને 13 લોકોને મારી નાખ્યા હતા, તે ઘટનાને હજુ પણ જાપાનીઓ ભૂલ્યા નથી. ત્યારથી, જાપાનમાં અપરાધનો દર સતત ઘટતો રહ્યો છે.

જાપાનમાં રાજકીય હત્યાઓ તો એથી ય દુર્લભ છે. છેલ્લા 100 વર્ષમાં, કુલ 11 જાપાની નેતાઓની હત્યા થઇ છે. તેની સરખામણીમાં, ભારતમાં ખાલી છેલ્લા 50 વર્ષમાં 37 રાજકીય હત્યાઓ થઇ છે. જાપાનમાં છેલ્લી હાઈ-પ્રોફાઈલ રાજકીય હત્યા 90 વર્ષ પહેલાં થઇ હતી. 15 મે 1932ના રોજ, નૌ સેનાના સશસ્ત્ર ઓફિસરોનું એક જૂથ પ્રધાન મંત્રી સુયોશિ ઈનુકાઈના ઘરમાં ઘુસી ગયું હતું અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે ઈનુકાઈના અંતિમ શબ્દો હતા, “મને બોલવા દેશો તો તમે સમજી શકશો.” હત્યારાઓએ કહ્યું હતું, “સંવાદ બેમતલબ છે.” સેનાની વધતી સત્તા અને અમુક રાજકીય નિર્ણયોને લઈને મતભેદ થતાં તેમની હત્યા થઇ હતી.

એકંદરે, જાપાન બહુ શાંતિપૂર્ણ દેશ છે. તેનાં અમુક કારણો છે. એક સમાજ તરીકે જાપાન સહનશીલ અને અહિંસક છે. ત્યાંના લોકો ક્રોધ અને આક્રમકતાને શરમજનક ભાવ ગણે છે અને વ્યક્તિના અંગત સન્માનને સૌથી ઉચ્ચ ગુણ ગણે છે. ખાસ કરીને, બીજા વિશ્વયુદ્ધ અને હિરોશીમા-નાગાસાકી પર પરમાણું બોમ્બના વિસ્ફોટ પછી જાપાને દેશમાં જ નહીં, પરંતુ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનો માર્ગ અખત્યાર કર્યો છે.

જાપાનના બંધારણમાં શાંતિવાદના વિચારને સામેલ કરવામાં આવ્યો છે. યુદ્ધ પછી અમેરિકન નિયંત્રણના અનુભવ પછી જાપાને બંધારણમાં સુધારો કરીને લખ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકલેવા માટે યુદ્ધ કરવામાં નહીં આવે. શિન્ઝો આબે એમાં સુધારો કરવા માંગતા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન તેમને એમાં સફળતા મળી નહોતી. 

તેના ઇતિહાસમાં, જાપાન અનેક સંકટોમાંથી પસાર થયું છે. ગૃહ યુદ્ધો, દુષ્કાળ, ધરતીકંપો, વાવાઝોડાં, મહામારીઓ જેવી દુર્ઘટનાઓ જાપાનીઝ લોકો માટે આશ્ચર્યજનક નથી. તેમાંથી જ તેઓ મુશ્કેલીના સમયમાં શાંત રહેવાનું શીખ્યા છે. લોકો પરંપરાગત અર્થમાં ધાર્મિક નથી, છતાં બૌદ્ધ અને શિન્તો ધર્મના સિદ્ધાંતોનો તેમના આચાર-વિચાર પર ગહેરો પ્રભાવ છે.

જાપાનના આ ઇતિહાસને જોતાં, કોઇ પણ માણસને એમાં આશ્ચર્ય ન થાય કે, તેના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શિન્ઝો આબે, નારા નામના શહેરના ચાર રસ્તા પર ઊભા રહીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ભૂતપૂર્વ પ્રધાન મંત્રી છોડો, તમે ભારતના કોઈ ભૂતપૂર્વ મંત્રીને સડકના કિનારે ઊભા રહીને ભાષણ કરતા જોયા છે? ભારતમાં આવા નેતાઓ હંમેશાં મંચ પર હોય છે અને શ્રોતાઓથી ઘણા દૂર હોય છે. જાપાનમાં એકંદરે શાંતિ અને સલામતીનો માહોલ છે એટલે એક ભૂતપૂર્વ પ્રધાન મંત્રી, રોડ પર ચાર બેરીકેટ વચ્ચે ઊભા રહીને, કુતૂહલવશ ત્યાં ઊભા રહેલા રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને સંબોધતા હોય તેવું દૃશ્ય સામાન્ય ગણાય છે, અને એટલે જ એક બંધૂકધારીએ તેમની પર બે ગોળીઓ છોડી, એ ઘટના એક શાંતિપ્રિય દેશ (અને બાકી વિશ્વ) માટે આઘાતજનક હતી.

જાપાનની સંસદના ઉપલા ગૃહની ચૂંટણી માટે આબે નારા શહેરના પ્રવાસે હતા, અને 8મી જુલાઈના રોજ સવારે 11 વાગે, શહેરના રેલવે સ્ટેશન બહાર એક ચોક જેવા વિસ્તારમાં તેઓ હાથમાં માઈક પકડીને ભાષણ આપતાં હતા, ત્યારે તેમની પાછળ થોડે દૂર ઊભેલા 41 વર્ષના તેત્સુયા યમાગમી નામના એક માણસે તેમની પર વારાફરતી બે ગોળીઓ છોડી હતી. પહેલી ગોળી નિશાન ચૂકી ગઈ હતી, પણ બીજી ગોળી આબેની ડાબી છાતી પર વાગી હતી.

હત્યારાએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તેણે આબેને ધાર્મિક નેતા સમજીને ગોળી મારી હતી. તેની માતા એ ધાર્મિક પંથમાં દાન આપી-આપીને કંગાળ થઇ ગઈ હતી. તેણે એવું પણ કહ્યું હતું કે આ પંથને જાપાનમાં પ્રોત્સાહન આપવાનું કામ શિન્ઝો આબેએ કર્યું હતું, તેનો તેને ગુસ્સો હતો. આ તેત્સુયા યમાગમી બેરોજગાર હતો. 2020માં તે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરતો હતો. તે પહેલાં તે ત્રણ વર્ષ માટે જાપાનની કોસ્ટ ગાર્ડમાં કામ કરી ચૂક્યો હતો. તેણે આ હત્યા માટે જાતે બનાવેલી ગનનો ઉપયોગ કર્યો હતો.

બંધૂકથી કોઈની હત્યા કરવાની ઘટનાઓ જાપાનમાં બનતી નથી. બહુ બહુ તો ચાકુ વપરાય છે. મોટા ભાગના જાપાનીઓએ તેમના જીવનમાં બંધૂક જોઈ પણ નથી હોતી. પોલીસ પણ જવલ્લે જ રિવોલ્વર ચલાવે છે. સૌથી વધુ વસ્તીવાળા ટોકિયો શહેરમાં ગોળી છૂટવાની ઘટના ભાગ્યે જ બની છે.

ટોકિયોની નિહોન યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટ કોલેજના પ્રોફેસર શિરો ક્વામોટોએ આબેની હત્યા પછી ‘ધ જાપાન ટાઈમ્સ’ સમાચારપત્રને કહ્યું હતું કે, “જાપાની લોકો આઘાતમાં છે. લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે કે જાપાનમાં પણ બંધૂકથી હિંસા થઇ શકે છે. જાપાની રાજકારણીઓની સુરક્ષાની પણ સમીક્ષા કરવાની જરૂર છે. આવો હુમલો ફરી નહીં થાય તેવું માનવું ભૂલ ભરેલું છે.”

ટોકિયોની જ રિસ્શો યુનિવર્સિટીમાં ક્રિમીનોલોજીના પ્રોફેસર નોબુઓ કોમિયાએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ સમાચારપત્રને કહ્યું હતું કે, “જાપાની લોકો લડવા-ઝઘડવામાં માનતા નથી. યુદ્ધની અને બોમ્બની તબાહી જોઈને લોકો હિંસાને સમસ્યાનું સમાધાન માનતા નથી.”

હત્યાનું અસલી કારણ શું હતું તે તો આવનારા સમયમાં બહાર આવશે, પરંતુ બાકી દુનિયાને એ જાણીને આઘાત લાગ્યો છે કે સૌથી ઓછા ક્રાઈમ દર અને બંધૂકોને લઈને કડક નિયમોવાળા જાપાનમાં, એક પૂર્વ પ્રધાન મંત્રીને આવી રીતે ધોળે દિવસે, સૌના દેખતાં મારી નાખવામાં આવે તે બતાવે છે કે આપણે કેવાં નાજુક સમયમાં જીવી રહ્યા છીએ.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 જુલાઈ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-4]

વિક્ટિમને મદદ કરનાર તીસ્તા સેતલવાડ / આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ જેલમાં છે; આદિવાસીઓને મદદ કરનાર હિમાંશુકુમાર 5 લાખનો દંડ નહીં ભરે એટલે સુપ્રિમકોર્ટ તેને જેલમાં પૂરશે ! કોમી તોફાનોના 117 જેટલાં આરોપીઓને સજા કરાવનાર તીસ્તાને જ ઠમઠોરવાનું કોર્ટનું આ વલણ, માનવ અધિકારના ભંગ સમાન છે; ગેરબંધારણીય છે ! ‘રાજ્ય’ શક્તિશાળી હોય છે; તેની પાસે પોલીસ છે / લોકઅપ છે / જેલ છે / CBI-ED-NIA છે / પેગાસસ છે / પેરા મિલિટરી ફોર્સ છે / IT Cell છે / ગોદી મીડિયા છે / ચાટુકાર લેખકો-વિદ્વાનો છે / અઢળક ધન છે ! જ્યારે ફરિયાદી થાકેલો / હારેલો હોય છે ! આ સ્થિતિમાં, અદાલત જ્યારે નાગરિકને બદલે ‘રાજ્ય’ની તરફેણ કરે ત્યારે લોકતંત્ર તાનાશાહીમાં પરિવર્તિત થઈ જાય છે !

‘રાજ્ય’ પાસે ન્યાય માંગનાર ફરિયાદીને બદનામ કરવાની જબરજસ્ત શક્તિ હોય છે. તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ પોલીસે કર્યો તેમાં તીસ્તા સામે આરોપ મૂકેલ છે કે ‘તીસ્તાએ પોતાના NGOમાં ખોટી રીતે વિદેશી ફંડ મેળવ્યું હતું અને તેનો અંગત તથા સરકારને બદનામ કરવા દુરુપયોગ કર્યો હતો !’ આ બાબત ગોદી મીડિયા / સત્તાપક્ષના ભક્તો / સત્તાપક્ષના IT Cellએ સોશિયલ મીડિયામાં તીસ્તાને બદનામ કરવા વહેતી મૂકી ! તીસ્તાને બદનામ જ કરવા હોય તો તીસ્તાની રજૂઆત શું છે, તે જાણવાની દરકાર તેઓ શા માટે કરે? સત્તા સામે અવાજ ઊઠાવનારે; પોતાને મળેલ ફંડ ક્યાં વાપરવું તેનો નિર્ણય ‘સતા’ કરે? દલિતો / વંચિતો માટે કામ કરતી ગુજરાતની પ્રસિદ્ધ NGO – ‘નવસર્જન’ને વિદેશી ફંડ બાબતે હેરાન કરી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ ઇન્ડિયાના પ્રમુખ આકાર પટેલની વિદેશી ફંડ બાબતે હેરાનગતિ ચાલુ છે. આવા તો અસંખ્ય દાખલા છે. બીજી તરફ સત્તાપક્ષ સાથે જોડાયેલ NGOને બધી છૂટછાટ છે ! 2014 બાદ, ગૃહ મંત્રીના પુત્ર જય શાહની કંપનીની આવક એક વર્ષમાં 50,000થી 80 કરોડ થઈ ગઈ; 16,000% વધી ગઈ; તેવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર પત્રકાર રોહિણી સિંહ સામે માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં દાખલ થયો છે ! ‘સત્તા’ હંમેશાં સત્યને નિયંત્રિત કરવાની કોશિશ  કરે છે. ‘સત્તા’ કઈ રીતે ન્યાયનું ગળું ઘોટે છે તેનું એક ઉદાહરણ જોઈએ : 2013માં ‘તહેલકા’એ સ્ટિંગ ઓપરેશનમાં શોધી કાઢ્યું હતું કે ‘બેસ્ટ બેકરી કેસની ફરિયાદી ઝાહીરા શેખને તેની જુબાની બદલવા માટે સત્તાપક્ષના મધુ શ્રીવાસ્તવે; ઝાહીરાને રૂપિયા 18 લાખની ચૂકવણી કેવી રીતે કરી હતી !’ તીસ્તા સેતલવાડના ભૂતપૂર્વ સહાયક રઈસખાન પઠાણે સુપ્રિમકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું કે ‘ગોધરાકાંડ પછીના પાંચ સંવેદનશીલ કેસોમાં સાક્ષીઓના નિવેદનોમાં પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે !’ રઈસખાન પાછળ કોનો હાથ હશે, તે સમજી શકાય તેમ છે ! 68 લોકોની સામૂહિક હત્યા થઈ હતી તે ગુલબર્ગ સોસાયટીના 12 સભ્યોએ તીસ્તા ઉપર ફંડના દુરપયોગ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 2013માં ફરિયાદ કરી હતી ! ‘સત્તા’ તરફથી રમખાણોના પીડિતોને તીસ્તા મદદ ન કરે તે માટે તેમની સામે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ના ભંગ સબબ બીજા કેસો કરવામાં આવ્યા ! તિસ્તાને બદનામ કરવાના સતત ‘કારસા’ થયા; છતાં તીસ્તાએ હિંસાનો ભોગ બનેલ પરિવારોને ન્યાય અપાવવા અહિંસક અને કાનૂની સંઘર્ષ ચાલુ રાખ્યો છે ! ‘ભક્તો’ કહે છે કે તીસ્તાએ ગુજરાતને બદનામ કર્યું ! પરંતુ શું ‘સરકારની આલોચના’ એ ‘ગુજરાતની આલોચના’ છે?

તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે? ફરિયાદીને જ સજા; એનો અર્થ શો છે? માત્ર તીસ્તા સેતલવાડની વાત નથી; મારી તમારી અને ન્યાયના પક્ષે ઊભા રહેતા સૌ નાગરિકની વાત છે. કેટલાક પ્રશ્નો ચિંતામાં મૂકે છે :

[1] ફરિયાદ કરનારને જ ફટકારવાનું સુપ્રિમકોર્ટનું વલણ લોકશાહી વિરુદ્ધનું નથી? શું આ તાનાશાહીનું સમર્થન નથી? શું કોર્ટ અને ‘સત્તા’ એવું માને છે કે “લોકો ‘પ્રજા’ છે, ‘નાગરિક’ નહીં ! પ્રજાને ન્યાય માંગવાનો હક્ક ન હોય?”

[2] કેન્દ્રમાં ગોડસેવાદી સરકાર ન હોત તો હિમાંશુકુમારને 5 લાખનો દંડ ભરવા અદાલતે કહ્યું હોત? ઝાકિયા જાફરીની પીટિશન રદ્દ કરતી વેળાએ તીસ્તા સેતલવાડ / IPS અધિકારી આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ સામે કાર્યવાહી કરવાનું કહ્યું હોત?

[3] PM CARES Fundનો હિસાબ લોકોને આપવો નથી; પરંતુ NGO પોતાનું ફંડ ન્યાય મેળવવા વાપરે તો જેલમાં પૂરવાના?

[4] ‘સત્તા’નો વિરોધ કરે, તેને તો હેરાનગતિ કરવાની? સત્તાની તરફદારી કરો તો રાજ્યસભામાં નિમણૂંક / ગવર્નર તરીકે નિમણૂંક મળે? શું બંધારણ પ્રત્યે વફાદારી નહીં; પરંતુ ‘સતા’ પ્રત્યે વફાદારી મહત્ત્વની? મેઘા પાટકર વિરુદ્ધ ખોટા આક્ષેપ સબબ કેસનો સામનો કરનાર વિનયકુમાર સક્સેના, દિલ્હીના ઉપ-રાજ્યપાલના પદે આરૂઢ થયા, તે શું સૂચવે છે?

[5] શું ‘રાજ્ય’ને અદાલતની સ્વતંત્રતા પચતી નથી? શું ‘સત્તા’ કિસાન આંદોલનથી દાઝી ગઈ હોવાથી ડરી રહી છે? શું ‘સત્તા’ પોતાની ‘તપસ્યા’માં કોઈ ખામી ન રહે તે માટે સામાજિક કાર્યકરોને હેરાન કરી રહી છે?

[6] સત્તાને સવાલ કરનારને, કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જેલમાં પૂરવાના? શું આ ‘due process of law’નો ઉલાળિયો નથી?

[7] મૂકાયેલ આરોપ સાબિત થાય તેમાં ‘સત્તા’ને રુચિ કેમ હોતી નથી? શું તેમને જેલમાં પૂરી સોશિયલ મીડિયાના ઉપયોગથી વંચિત કરવાનો જ હેતુ હોય છે? શું ડરાવવા / હેરાનગતિ માટે / બદનામ કરવા જ જેલમાં પૂરવામાં આવે છે?

[8] ‘સત્તા’ ટેક્સનાં નાણાંથી સારા વકીલો રોકી તમને જેલમાં રખાવે છે; જ્યારે તમારે જામીન ઉપર છૂટવા વકીલનો ખર્ચ ભોગવવો પડે ! આ કેવી યોજના?

[9] તમારી મહેનતના કારણે 117 આરોપીઓને સજા થઈ હોય તે મુદ્દો અગત્યનો નથી? શું તમે ‘સત્તા’ સામે કેમ છો; તે મુદ્દો કોર્ટે જોવાનો હોય છે?

[10] તીસ્તાને જેલમુક્ત કરવા; 92 જેટલા નિવૃત જજ / પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ / પૂર્વ વિદેશ સચિવ / પૂર્વ મુખ્ય સૂચના આયુક્ત / પૂર્વ IAS / IPS અધિકારીઓએ સુપ્રિમકોર્ટને ખૂલ્લો પત્ર લખ્યો છે; છતાં પણ સુપ્રિમકોર્ટની નિંદર કેમ ઉડતી નહીં હોય?

[11] ‘સત્તા’નો વિરોધ કરો તો તમે અર્બન નકસલવાદી છો / વામપંથી ચરમપંથી છો / ખાલિસ્તાની છો / રાષ્ટ્રવિરોધી છો / આંદોલનજીવી છો ! કાવતરાખોર છો ! વિદેશી ફંડનો દુરુપયોગ કરનાર છો ! ભલે તમને રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળેલ હોય /પદ્મશ્રી મળેલ હોય તેની કોઈ કિંમત ‘સત્તા’ને કે સુપ્રિમકોર્ટને કેમ હોતી નથી?

[12] કોર્પોરેટ કંપનીઓ આદિવાસીઓનાં જંગલ પચાવી પાડે તેની સામે અવાજ ઊઠવો ન જોઈએ તેવું ‘સત્તા’ ઈચ્છતી હશે? વિકાસ લોકોનો કે કોર્પોરેટ મિત્રોનો? ‘વિપક્ષમુક્ત સત્તા’ પછી; ‘જનશક્તિ જગાડનાર’ હિમાંશુકુમાર / સુધા ભારદ્વાજ / મેઘા પાટકર / તીસ્તા સેતલવાડને હેરાન કરી કોર્પોરેટ મિત્રોની સેવા કરવાનો ઉદ્દેશ હશે? ‘ઈશ્વરીય-દિવ્યશક્તિ’ની નિષ્ફળતાને ઢાંકવાનો હશે? ભારતમાં દલિતો / વંચિતો / આદિવાસીઓ / લઘુમતીઓને ન્યાય અપાવવા સામાજિક નિસબત રાખનાર સામાજિક કાર્યકરો શું ગુનેગાર છે? તેમને જેલમાં પૂરવાથી રાષ્ટ્રહિત જળવાશે?

[પૂર્ણ]

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3191,3201,3211,322...1,3301,3401,350...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved