Opinion Magazine
Number of visits: 9568696
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—167

દીપક મહેતા|Opinion - Opinion|23 October 2022

એક સો સોળ વરસ પહેલાંના મુંબઈની દિવાળી

શાહી રસાલા સાથે અમે મુંબઈ પહોચ્યા ત્યારે દિવાળીના દિવસો હતા. મલબાર હિલ પરના એક બંગલામાં અમે ઊતર્યા હતા. સાંજે એક વિક્ટોરિયા – ઘોડા ગાડી – ભાડે કરી અમે શહેરમાં ફરવા નીકળ્યા : ગ્રાન્ટ રોડ, મુંબાદેવીનું તળાવ, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, ભીંડી બજાર, અને બીજી કેટલીક જગ્યાએ ગયા. મુંબઈમાં મનોરંજનની ખોટ તમને ક્યારે ય ન વર્તાય – અને દિવાળીના દિવસોમાં તો નહિ જ! તમે જો પહેલી વાર મુંબઈ આવ્યા હો તો શરૂઆતમાં ચારે બાજુના ઘોંઘાટથી અકળાયા વિના રહો નહિ. પણ પછી ધીમે ધીમે તમે તેનાથી ટેવાતા જાવ. અને વખત જતાં એ ઘોંઘાટ, સેંકડો લોકોની એ ચહલપહલ તમને કોઠે પડી જાય – અરે, ગમવા પણ લાગે. અવાજોનું વૈવિધ્ય એટલે શું એનો ખ્યાલ તમને મુંબઈમાં આવે. એક બાજુથી તમરાંનો અવાજ, બીજી બાજુથી કૂતરાઓના ભસવાનો અવાજ, બીજાં પ્રાણીઓના અવાજ, માણસોની આવન-જાવનથી થતા જાતજાતના અવાજ, લોકોના હાથ અને ગળા વડે થતા અવાજ, કાગડાઓનું કો-કો, કબૂતરોનું ઘૂ-ઘૂ, ચકલીઓનું ચીં-ચીં. આ બધા અવાજો ભેગા મળીને જાણે કે અવાજનું કોકટેલ બનાવે!

મુંબઈની બજાર

હવે અમારી ગાડી બજાર નજીક આવી પહોંચી. ગાડીવાન પગ પાસે રાખેલી બેલ સતત વગાડતો હતો. છતાં લોકો આઘા ખસતા નહોતા. અને એમાં લોકોનો વાંક નહોતો. આઘા ખસવા જેટલી જગ્યા રસ્તા પર હોય તો બચારા ખસે ને! આખો રસ્તો માણસોથી ઊભરાતો. જાણે હજારો કીડીઓ એક સાથે દરમાંથી નીકળીને રસ્તા પર આવી ગઈ ન હોય! હવે અમારા મનમાં બત્તી થઈ. આ ગાડીમાંથી ઊતરીને અમે પણ જો રસ્તા પર ચાલવા માંડીએ તો વધુ ઝડપથી આગળ વધી શકશું! એટલે અમે ગાડીવાળાને ગાડી રોકવા કહ્યું. અગાઉથી ઠરાવેલું પૂરેપૂરું ભાડું તેને ચૂકવ્યું, અને ઉપરથી બક્ષિશના ચાર આના પણ આપ્યા એટલે એ રાજી થતો, સલામ ભરીને ચાલતો થયો.

તમે જ્યાં સુધી મુંબઈના રાહદારીઓ સાથે ભળી ન જાવ ત્યાં સુધી મુંબઈ એટલે શું એ તમને પૂરેપૂરું સમજાય નહિ. પોતાની સાથે કોક ગોરો પણ ચાલી રહ્યો છે એ જોઈને પહેલાં તો લોકો ચમકે. પણ એ મહેમાનને આગળ વધવા માટે જગ્યા કરી આપવાનું તો અશક્ય. એટલે પછી બહુ બહુ તો તમને ધક્કે ન ચડાવે એટલું જ. હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી લોકો મુંબઈમાં ઠલવાય છે, રોજેરોજ. કોઈ ભણવા માટે, કોઈ નોકરી માટે, કોઈ વેપાર-વણજ માટે. કોઈ દેવનાં દર્શન માટે, તો કોઈ વૈદ પાસે ઉપચાર કરાવવા માટે. કોઈ સાધુબાવાની સેવા માટે, કોઈ ભૂવા કે બાવા પાસે જંતર-મંતર કરાવવા માટે. તો કોઈ વળી અમારી જેમ ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કહેતાં અહીંથી તહીં ઘૂમતા હોય. પણ હા, એક વાત છે: દરેક માણસના પહેરવેશ પરથી, તેના કપાળે કરેલા જાત-ભાતના ટીલાંટપકાં પરથી, હાથમાં ઝાલેલી કોઈ ને કોઈ વસ્તુ પરથી, એ માણસ કયા પ્રદેશનો છે, કયો ધર્મ પાળે છે, કયો વ્યવસાય કરે છે એ તમે જાણી શકો. જોતાંવેંત ખબર પડે કે આ તો પારસી છે, જૈન છે, હિંદુ છે, મુસલમાન છે, કે ખ્રિસ્તી છે. સીમા પ્રાંતથી આવેલા પડછંદ પઠાણો, મદ્રાસ તરફથી આવેલા કાળા, દૂબળા મજૂરો, એક હાથમાં ખડિયો-કલમ લઈને ઝડપભેર ચાલતા ગુજરાતી કે મારવાડી મુનીમો. લંડનના રસ્તા પર ચાલતા લોકો અંગે આ રીતે કહેવું મુશ્કેલ. જ્યારે અહીં તો તમે બીજું કશું ન જુઓ, કોણે માથા પર શું પહેર્યું છે, કેવી રીતે પહેર્યું છે એ ધ્યાનથી જુઓ તો પણ તમને તેની અડધી ઓળખાણ તો મળી જ જાય.

મુંબઈની બજાર

વળી આ તો છે દિવાળીના દિવસો. એટલે પુરુષોના કપાળે જાતજાતનાં, રંગરંગનાં ટીલાંટપકાં જોવા મળે. અહીંના લોકો તો માણસને જોતાંવેંત કહી શકે: આ વાણિયો છે, પેલો બામણ છે, આ વેપારી છે, પેલો મજૂર છે. બ્રાહ્મણ પગમાં ચામડાનાં પગરખાં ન પહેરે. કાં લાકડાની સપાટ પહેરે, કાં ઉઘાડે પગે હોય. વાણિયો મોટે ભાગે તગડો હોય, ફાંદવાળો હોય. કારણ અહીંના લોકો પાસે જેમ વધારે પૈસા હોય તેમ તે દૂધ, ઘી, માખણ, મીઠાઈઓ વધુ ને વધુ ખાય. અહીં શરીર સમૃદ્ધિ એ ધનવાનની ઓળખ હોય છે. તો તેની બાજુમાં ચાલે છે એક યુવાન. સફેદ ધોતિયા પર કાળો હાફ કોટ પહેર્યો છે. કોટના ઉપરના ખિસ્સામાં કાળી ફાઉન્ટન પેન ખોસી છે. હાથમાં બ્રાઉન કલરના પૂંઠાવાળી ડાયરી છે. નક્કી એ સરકારી નોકર.

પણ અહીં રંગોનું પૂર ઊમટે છે તે તો સ્ત્રીઓના પહેરવેશમાં. અલબત્ત, ‘મોટા’ ઘરની વહુ દીકરીઓ અહીં રસ્તા પર ચાલતી ભાગ્યે જ જોવા મળે. પડદા પાડેલા માફામાં કે ઘોડા ગાડીમાં કે પછી પાલખીમાં જતી હોય. પણ બીજી સ્ત્રીઓના પહેરવેશનાં ઘાટઘૂટ, રંગો, સાડી પહેરવાની ઢબ, વગેરેમાં વૈવિધ્યનો પાર નહિ. હા, ઘણા પુરુષોની પાછળ એક નહિ પણ બે સ્ત્રીઓ ચાલતી જોવા મળે. કારણ હજી આ દેશમાં એક કરતાં વધુ સ્ત્રી સાથે પરણવાનો ચાલ છે – ખાસ કરીને ખાધેપીધે સુખી ઘરના નબીરાઓમાં. જો કે કોઈ પુરુષ પાછળ એક જ સ્ત્રી ચાલતી હોય તો ય એમ ન માની લેવું કે તેણે એક જ સ્ત્રી સાથે લગ્ન કર્યાં હશે. એ માનીતીને લઈને ફરવા નીકળ્યો હોય અને બીજી ઘરને ખૂણે બેઠી હોય. અને હા, જો બેમાંથી એકે છોકરો જણ્યો હોય અને બીજીએ છોકરી, તો તો છોકરીની મા નક્કી ઘરને ખૂણે સમસમતી બેઠી હોય.

પણ જે સાથે હોય તે સ્ત્રીનો ઠસ્સો જોવા જેવો હોય. રંગરંગીન સાડી, જે પહેરવાની પાછી જાતજાતની ઢબછબ. રંગો અને ડિઝાઈનોનો તો પાર નહિ. મોટે ભાગે ચાંદીનાં જાતજાતનાં ઘરેણાંથી લદાયેલી હોય. સોનાનાં ઘરેણાં પહેરી શકે એટલા તવંગર ઘરની સ્ત્રી તો રસ્તા પર ચાલતી ભાગ્યે જ જોવા મળે. કારણ એ બધી તો કોઈ ને કોઈ વાહનમાં બેસીને જતી હોય.

મહાલક્ષ્મીનું મંદિર

અંધારું થાય તે પહેલાં જ રસ્તાઓ, બજારો, ઘરો, રોશનીથી ઝગમગવા લાગે છે. દિવાળી લક્ષ્મીનો તહેવાર છે. પશ્ચિમમાં જે સ્થાન વિનસ દેવીનું છે તે સ્થાન અહીં વિષ્ણુપત્ની લક્ષ્મીનું છે. વિનસની જેમ જ લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટી હોવાનું મનાય છે. વેપારીઓ અને દુકાનદારો માટે તો આ તહેવાર ખાસ મહત્ત્વનો છે. વહેલી સવારે તેઓ મહાલક્ષ્મીના મંદિરે દર્શન કરવા જાય છે. એકાઉન્ટ બુક્સને અહીંના લોકો ‘ચોપડા’ કહે છે. અને દિવાળીની સાંજે દરેક વેપારી કે દુકાનદાર પોતાના નવા વરસના હિસાબી ચોપડાની પૂજા કરે છે. સફેદ ધોતિયું પહેરેલ ભૂદેવના ઉપલા શરીર પર માત્ર સફેદ દોરા – જે જનોઈ તરીકે ઓળખાય છે – લટકતા હોય છે. ધૂપદીપ કરી, સંસ્કૃત મંત્રો ગગડાવી તેઓ પૂજા કરાવે છે, અને પછી ચાર-આઠ આનાની ‘દક્ષિણા’ લઈ બીજી દુકાને પૂજા કરાવવા ઝડપથી ઊપડી જાય છે.

દુકાનોની અંદર ઘરનાં બૈરાં મોંઘાં ઘરેણાં-સાડી પહેરી અંદર અંદર વાતો કરતાં હોય છે. છોકરાઓ નવાં કપડાં પહેરી પકડદાવ કે એવી બીજી કોઈ રમત રમતા હોય છે. ઓટલા પર બેઠેલી તેમની બહેનો મૂંગી મૂંગી એ રમતો જોઈ રહેતી હોય છે. ચોપડા પૂજન થઈ જાય પછી છોકરાઓ ફટાકડા ફોડે. જો કે ફટાકડાના અવાજ કરતાં છોકરાઓનો ઘોંઘાટ વધુ હોય છે. ક્યાંક ક્યાંક ઓટલે બેઠેલી છોકરીના હાથમાં કોઈ એકાદ સિલ્બેરા – ફૂલઝર – પકડાવી દે તો એ છોકરીનું મોં આનંદથી ઝગારા મારતું થઈ જાય છે.

હિન્દુસ્તાનમાં દિવાળીનું મહત્ત્વ એટલું છે કે મુંબઈના યુરોપિયન સ્ટોર – જ્યાં કોઈ ‘દેશી’ ખરીદી કરવા ભાગ્યે જ જાય – પણ શણગારાય છે. ફક્ત પૈસાદારો જ જ્યાં જાય તેવી મોટર વેચતી દુકાનોમાં પણ રોશની કરાય છે. દિવાળીના દિવસોમાં અહીં કોઈ ઘર એવું નહિ હોય જ્યાં બીજું કંઈ નહિ તો એક-બે કોડિયાં પણ ન મૂક્યાં હોય. ઘણાં ઘરોનાં બારી-ઝરૂખા શણગારાય છે. સાંજ પડ્યે ઘરની સ્ત્રીઓ રંગબેરંગી કપડાં પહેરી ઝરૂખામાં ઊભી રહીને રસ્તા પરનાં મેદનીને અને ઝળહળાટને જોતી ક્યાં ય સુધી ઊભી રહે છે. એક ઝરૂખામાં તો મેં ત્રીસ માથાં ગણ્યાં હતાં!

હા, આ બધાથી સાવ અલગ પડતી એક ઈમારત પણ ઊભી છે. નથી ત્યાં રોશની, નથી કોઈ ઉજવણી, નથી રંગબેરંગી કપડાં પહેરેલા માણસોની અવરજવર. જાણે અજવાળાના સાગર વચ્ચે અંધારાનો ટાપુ. એ છે મસ્જિદ. હા, એની બહાર ભૂરા યુનિફોર્મ પહેરેલા પોલીસના સિપાઈઓ હાથમાં ડંડૂકા લઈને ઊભા છે. એમના ઉપરી સફેદ ટોપો પહેરેલા ગોરા સાર્જન્ટના હાથમાં રિવોલ્વર છે. એની બાજ નજર સતત ચારે બાજુ ફર્યા કરે છે. ઘોડેસ્વાર પોલીસના બે સિપાઈઓ પણ કંઈ હુલ્લડ જેવું લાગે તો ગમે તે ઘડીએ ઘોડાને મારી મૂકીને ત્યાં પહોંચી જવા તૈયાર હોય છે. જો કે હવે મુંબઈમાં કોમી રમખાણોનું પ્રમાણ ઘટી ગયું છે એમ કહેવાય છે.

મુંબઈના મજૂરો

એક વાક્યમાં કહેવું હોય તો જેણે પૂર્વથી પશ્ચિમ તરફ પડખું બદલતું હિન્દુસ્તાન જોવું હોય તેણે મુંબઈ તો જોવું જ રહ્યું. અને મુંબઈ જોવું હોય તેણે એ દિવાળીના દિવસોમાં જોવું રહ્યું. જાતભાતના લોકોથી ઊભરાતું મુંબઈ. રોશનીથી ઝળાંહળાં થતું મુંબઈ. દિવાળીનો તહેવાર ઊજવતું મુંબઈ.

(નોંધ: નવેમ્બર ૧૯૦૫થી માર્ચ ૧૯૦૬ સુધી પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ હિન્દુસ્તાનની મુલાકાતે આવ્યાં ત્યારે તેમની સાથેના પત્રકારોના કાફલામાં સ્ટાન્ડર્ડ નામના અખબારના સ્પેશિયલ કોરસપોન્ડન્ટ તરીકે સિડની લો આવેલા. રાજવી પ્રવાસ ઉપરાંત પોતે અલગથી હિન્દુસ્તાનમાં શક્ય તેટલું ફરેલા અને અહીંના લોકો અને તેમના જીવનને જોવા-જાણવાનો પ્રયત્ન કરેલો. આ પ્રવાસને આધારે લખાયેલું પુસ્તક ‘અ વિઝન ઓફ ઇન્ડિયા’ ૧૯૦૭માં ન્યૂ યોર્કથી પ્રગટ થયેલું. તેમાંનો કેટલોક ભાગ સંકલિત કરીને અહીં રજૂ કર્યો છે. અહીં મૂકેલા બધા ફોટા પણ એ પુસ્તકમાંથી લીધા છે.)

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 22 ઓક્ટોબર 2022

Loading

સોલિલ્લડા સરદારા : ખડગે કાઁગ્રેસને તારી શકશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 October 2022

એક સમયે જેની અખિલ ભારતમાં સત્તા હતી અને હવે જે એક સક્ષમ વિરોધ પક્ષની નવી ભૂમિકામાં પોતાને ઢાળવાની મથામણ કરી રહી છે, તે અખિલ ભારતીય કાઁગ્રેસ કમિટીના અધ્યક્ષ પદે, 24 વર્ષમાં એક બિન-ગાંધી વ્યક્તિની વરણી થાય, તે પાર્ટીના વિવિધતાઓ અને ઉતાર-ચઢાવથી ભરેલા ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિન્હ છે. તેનાથી દેશની વિભિન્ન ચૂંટણીઓનાં બેલેટ-બોક્સમાં શું ફરક પડશે અથવા પડશે કે નહીં તે તો આવનારો સમય કહેશે, પણ દેશ અત્યારે જે સ્વરૂપમાં ઊભો છે, તેના એક મહત્ત્વના શિલ્પકાર ગણાતી કાઁગ્રેસ પાર્ટીમાં જે પણ ઊથલ-પાથલ થઇ રહી છે, તે એક સમજદાર નાગરિક માટે કુતૂહલનો વિષય ચોક્કસ બને.

આ પદ પર, 80 વર્ષના વરિષ્ઠ કાઁગ્રેસી મલ્લિકાઅર્જુન ખડગેની વરણીની સાથે, સોનિયા ગાંધીના કાર્યકાળનો અંત આવે છે, જે સૌથી લાંબો સમય સુધી કાઁગ્રેસનાં અધ્યક્ષપદે રહેવાનું ‘બહુમાન’ ધરાવે છે. સ્વતંત્રતા પહેલાંના તેના ઇતિહાસને સળંગ ગણીએ, તો 1885થી શરૂ કરીને કાઁગ્રેસમાં 97 લોકો અધ્યક્ષપદે રહી ચુક્યાં છે. ખડગે 98મા છે. સોમવારે જાહેર થયેલાં પરિણામમાં તેમને 7,897 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ શશી થરુરને 1,072 મત મળ્યા હતા.

1951માં પહેલીવાર જવાહરલાલ નહેરુ પાસે પાર્ટીની કમાન આવી હતી. તે પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના અધ્યક્ષ રહી ચુક્યાં છે. એ પાંચે વચ્ચે, કુલ 10 બિન-નહેરુ-ગાંધી વ્યક્તિઓ અધ્યક્ષપદે રહી ચૂકી છે. જો કે, આ સર્વેનો કાર્યકાળ બહુ ટૂંકો રહ્યો છે અને મોટાં ભાગનાં વર્ષોમાં પાર્ટી ગાંધી પરિવારના નિયંત્રણમાં રહી છે. ખડગે તેમાં અગિયારમા બિન-ગાંધી અધ્યક્ષ છે.

ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે કાઁગ્રેસને ‘પરિવારવાદી પાર્ટી’ કહીને કાયમ નિશાન બનાવી છે. ભા.જ.પ.માં આવો કોઈ આરોપ લાગી શકે તેમ નથી. જો કે, કાઁગ્રેસ હવે ભા.જ.પ.ના અધ્યક્ષને ‘રબર-સ્ટેમ્પ’ તરીકે ગણાવે છે, કારણ ભા.જ.પ.માં ઈલેકશન નહીં, સિલેકશન થાય છે. 137 વર્ષ જૂની કાઁગ્રેસ પાર્ટીમાં માત્ર પાંચ વખત જ ચૂંટણીઓ થઇ છે; 1939, 1950, 1977, 1977 અને 2000. સોમવારે તેની છઠ્ઠી ચૂંટણી હતી.

ખડગેની ચૂંટણીથી પાર્ટીને એક ફાયદો એ થશે કે તેના માથા પરથી ‘ગાંધી પરિવારની બાપીકી મિલકત’નું કલંક ભુંસાઈ જશે, પરંતુ એ ફાયદો બહુ સાધારણ જ હશે, કારણ કે ગાંધી પરિવાર તેને પાછલા બારણે ચલાવે છે તેવી છાપ યથાવત રહેવાની છે. એ સાચું પણ અનિવાર્ય દૂષણ છે. કાઁગ્રેસ પાર્ટીને ગાંધી પરિવારની છાયામાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢવામાં ઘણો સમય લાગશે અને તેના માટે એક ગતિશીલ અધ્યક્ષની જરૂર પડશે. ખડગે એ વર્ગમાં આવતા નથી.

ખડગેની જીત અપેક્ષિત મનાતી હતી. તેઓ ગાંધી-પરિવારની ‘પસંદ’ના ઉમેદવાર હતા. ખડગે 50 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં ગાંધી પરિવારને સમર્પિત રહ્યા છે. તેઓ કર્ણાટકની વિધાનસભાની એક જ બેઠક પરથી 1972થી 2004 સુધી લગાતાર ચૂંટાતા આવ્યા હતા. તેના માટે કન્નડમાં તેમને ‘સોલિલ્લડા સરદારા’ તરીકે બોલાવામાં આવે છે; પરાજય વગરના નેતા.

ખડગે અધ્યક્ષપદની રિંગમાં ત્યારે આવ્યા હતા, જ્યારે ગાંધી-પરિવારની પહેલી પસંદ, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતે રીતસર સોનિયા ગાંધી સામે બળવો કરી દીધો હતો. પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતને અખિલ ભારતીય કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાનો “પાયલોટ પ્રોજેક્ટ,” ડેપ્યુટી મુખ્ય મંત્રી અને પ્રદેશ કાઁગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટના કારણે નિષ્ફળ ગયો હતો. અથવા એવું કહો કે ગહલોતે પોતે જ તેને નિષ્ફળ બનાવ્યો છે.

ગહલોત રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ઉમેદવારી કરે, તો પાર્ટીના “એક વ્યક્તિ એક હોદ્દા”ના નિયમ મુજબ તેમણે મુખ્ય મંત્રીની ખુરશી ખાલી કરવી પડે. ગાંધી પરિવારે પક્ષના અધ્યક્ષ પદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવા માટે ચૂંટણીની કવાયત હાથ ધરી, એમાં બે નેતાઓએ ઉમેદવારી કરવાની ઈચ્છા બતાવી હતી. એક, થિરુવંથપુરમ-કેરળના સાંસદ શશી થરુર અને બીજા ગહલોત. ઉમેદવારી કરવા માટે તેમણે સોનિયા ગાંધીની “મંજૂરી” પણ લીધી હતી. ગહલોત ઉમેદવારી પત્ર પણ ભરવાના હતા, પણ એ પહેલાં આગલી રાતે રાજસ્થાન કાઁગ્રેસમાં બળવો થયો, અને સરકાર તૂટી પડે એવી સ્થિતિ ઊભી થઇ.

દરઅસલ, “ભારત જોડો યાત્રા”માં વ્યસ્ત રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં એવું કહ્યું કે ગહલોત ઉમેદવારી કરશે તો “એક વ્યક્તિ એક હોદ્દા”ના નિયમનું પાલન થશે. તેમને ખબર નહોતી કે ગહલોત મુખ્ય મંત્રીની ખુરશી છોડવા ઇચ્છતા નથી. અથવા એવું કહો કે તેઓ તેમના હરીફ સચિન પાયલટને તેમના ઉત્તરાધિકારી બનવા દેવા માંગતા નહોતા. રાષ્ટ્રીય અધ્યક્ષપદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવાની કવાયત કેટલી પેચીદી છે એ આ ગહલોતના ઉદાહરણ પરથી સાબિત થાય છે. ખડગેએ આવું સળગતું ઘર હાથમાં લીધું છે.

32 વર્ષ સુધી જીત જાળવી રાખવાના તેમના વિક્રમના બદલામાં તેઓ ત્રણ વખત કર્ણાટકના મુખ્ય મંત્રી બનતાં-બનતાં રહી ગયા હતા, પરંતુ દર વખતે તે નિષ્ફળતાને સ્વીકારીને તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા. વ્યક્તિગત  મહત્ત્વાકાંક્ષાને બાજુએ મૂકીને પક્ષની નીતિઓ અને સિદ્ધાંતો પ્રત્યે સમર્પિત રહેવાની તેમની વૃત્તિ તેમને કાઁગ્રેસમાં એક સન્માનનીય નેતા બનાવે છે.

જો કે તેનો અર્થ એ નથી કે કાઁગ્રેસના અધ્યક્ષ તરીકે તેમનો રસ્તો આસાન છે. અત્યાર સુધી કાઁગ્રેસ માટે જે ગાંધી પરિવાર આશીર્વાદરૂપ હતો, તે હવેના બદલાયેલા રાજકીય સંજોગોમાં અભિશાપ બની ગયો છે. અધ્યક્ષ માટેની વર્તમાન ચૂંટણી એ શાપને ઉતારવા માટેની કવાયત હતી. મુસીબત એ છે કે પાર્ટીમાં ગાંધી પરિવારની સર્વસ્વીકૃત છબીની તોલે આવે તેવો કોઈ નેતા પણ નથી. એ સાચું કે ગાંધી પરિવાર પાર્ટીને જીત અપાવામાં નિષ્ફળ જઈ રહ્યો છે, પરંતુ સામે પક્ષે એ પણ એક વાસ્તવિકતા છે કે પક્ષના તમામ મણકા છૂટા ન પડી જાય તે માટે ગાંધી-પરિવારનો દોરો ટકી રહે જરૂરી છે. નહીં તો આંતરિક ખટપટો માટે કુખ્યાત કાઁગ્રેસીઓ પાર્ટીને લઈને ડૂબે તેવા છે.

ખડગેએ એ દોરો બાંધી રાખવાનો છે અને કાઁગ્રેસમાં નવું જોમ ઉમેરીને તેને ચૂંટણીનાં મેદાનમાં જીતનો ઘોડો પણ બનાવવાનો છે. 24 વર્ષમાં ખડગે પહેલા બિન-ગાંધી અધ્યક્ષ બન્યા છે એ હકીકત તેમના માટે એક મોટો ભાર છે. તેમણે એ જવાબદારીને સફળ સાબિત કરી બતાવવી પડશે. ખડગે સામે અંદર અને બહાર બંને મોરચે પડકારો છે. કાઁગ્રેસને ડૂબતું જહાજ ગણીને ઘણા નેતાઓ પાર્ટી છોડી ગયા છે, તેવા સંજોગોમાં તેમની ચૂંટણી એ ધોવાણને ખાળવા માટે અગત્યની હતી. ખડગેએ પાર્ટીને બચાવવાની પણ છે અને બદલવાની પણ છે.

બ્રિટનમાં એક જમાનાની સશક્ત લેબર પાર્ટીની આજે જે હાલત છે, તેવી જ હાલત કાઁગ્રેસની છે અને લેબર પાર્ટી માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે જે કહ્યું હતું, તે કાઁગ્રેસને પણ એટલું જ લાગુ પડે છે. ગયા વર્ષે તેમણે કહ્યું હતું, “માત્ર નેતા બદલવાથી પાર્ટી ઊભી નહીં થાય. તેના માટે સંપૂર્ણ વિખંડન અને નવસર્જનથી ઓછુ ના ખપે.”

ટૂંકા ગાળામાં, ખડગેની પહેલી પરીક્ષા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ છે. બંને રાજ્યોમાં ભા.જ.પ.નો કાબૂ છે. બંને રાજ્યોમાં કાઁગ્રેસ નબળી છે એટલું જ નહીં, આમ આદમી પાર્ટી પૂરી ગંભીરતાથી ભા.જ.પ.ના મુખ્ય વિરોધ પક્ષની જગ્યા કબજે કરી રહી છે. ખડગે હજુ નવા છે એટલે આટલા ટૂંકા સમયમાં આ બે રાજ્યોમાં તે ખાસ ચમત્કાર નહીં કરી શકે, પરંતુ એમાં જેટલો પણ ધબડકો થશે તે તેમના નામે ઉધારાશે.

તેમનો લાંબા ગાળાનો પડકાર કાઁગ્રેસને એક લડાયક વિરોધ પક્ષ તરીકે અને અન્ય વિરોધી પક્ષોને એક દોરીએ પરોવાની તાકાત તરીકે સાબિત કરવાનો રહેશે. તેના માટે ખડગેએ કાઁગ્રેસની વૈચારિક દિશા નક્કી કરવી પડશે, કારણ કે આર્થિક મુદ્દાઓ, લઘુમતીઓના મુદ્દાઓ, હિન્દુત્વના મુદ્દાઓ અને રાષ્ટ્રવાદને લઈને પાર્ટીમાં સ્પષ્ટતાનો અભાવ છે, અને એટલે પાર્ટીના કાર્યકરોથી લઇને મતદારો સુદ્ધાં મુંઝવણમાં છે. અત્યાર સુધી તો કાઁગ્રેસ ભા.જ.પ. અને ખાસ તો નરેન્દ્ર મોદીની ટીકા કરવા સુધી જ સીમિત થઈને રહી ગઈ છે. તેણે જનતા સામે કોઈ વૈકલ્પિક વિચારધારા રજૂ નથી કરી.

રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રા એ દિશામાં એક નાનકડો પ્રયાસ છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં 11 જેટલાં રાજ્યોની ચૂંટણી થવાની છે. એમાં એક રાજ્ય ખડગેનું વતન કર્ણાટક છે. પાર્ટીમાં નેતાગીરીમાં અમુલ પરિવર્તન અને દક્ષિણના રાજ્યોમાં રાહુલની યાત્રા કાઁગ્રસને જો ચાવીરૂપ રાજ્યોમાં પણ સંતોષજનક લાભ કરાવી શકે, તો ખડગે માટે રસ્તો થોડો આસાન થશે. બાકી, કાઁગ્રેસનું પતન ત્યાં સુધી ચાલુ જ રહેશે, જ્યાં સુધી, ટોની બ્લેર કહે છે તેમ, તેનું વિખંડન ન થઇ જાય.

લાસ્ટ લાઈન :

“રાજકારણીઓ અને ડાઈપર્સને, એક જ કારણથી, વારંવાર બદલતા રહેવું જોઈએ.”

— માર્ક ટ્વેઇન 

ઇંગ્લિશ લેખક

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉત્સવ ટાણે સંગીતને સથવારે સ્વાસ્થ્ય બહેતર બનાવવાની ઉજવણી પણ કરી શકાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 October 2022

શા માટે અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં શરૂ કરાયો છે ‘હિલીંગ પાવર ઑફ મ્યુઝિક’નો કોર્સ? નાદ, સ્વર, ધ્વનિ – જેવા સમાનાર્થી શબ્દોની શરીર અને મન પર થતી અસરો વિશે આપણી ભારતીય સમજનું શું કહેવું છે?

આખરે દિવાળી પણ આવી પહોંચી અને આ વર્ષ પણ જોત-જોતામાં પૂરું થઇ જશે. તહેવારનો ઉત્સાહ અત્યારે બંધાશે અને પછી ક્યાંક ક્યાંક બધું ફટાફટ દોડી રહ્યું છેનો વિચાર પણ મગજમાં આવશે. સ્વાભાવિક છે સ્વજનોને મળીને તહેવાર ઉજવવાનું ટાણું છે, પણ દોડધામ તહેવાર અને ફરી દોડધામ વચ્ચે જે સમય મળવાનો છે એમાં મનને પ્રફુલ્લિત કરવા બીજું શું કરશો? મિત્રો કે સ્વજનોની મહેફીલમાં નાસ્તાની ઉજાણી અને હાસ્યની છોળ વચ્ચે સંગીતની સંગત હોય તો? અથવા તો દિવાળીની રજાઓમાં એક દિવસ એવો કે કોઇ ન હોય પણ માત્ર ઘરનાં સાથે બેસીને સરસ મજાનું સંગીત સાંભળે તો? સંગીત શા માટે?

તાજેતરમાં અમેરિકાના ટેક્સાસની હ્યુસ્ટન યુનિવર્સિટીએ એક નવો ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની વાત કરી છે. આ પ્રોગ્રામનું ફોકસ છે ‘હીલિંગ પાવર ઑફ મ્યુઝિક’. હીલિંગ શબ્દ માટે ગુજરાતીમાં જે અર્થ છે તેમાં છે રુઝ આવવી, દરદ મટાડનાર, સાજું કરનાર, વગેરે. આજ કાલ આમ પણ ઘણી બધી બાબતે હીલિંગને મહત્ત્વ અપાય છે જે માત્ર શારીરિક નહીં પણ માનસિક પણ હોય છે. આપણને પશ્ચિમ સંસ્કૃતિનો મોહ છે અને રહેવાનો પણ એ લોકો આપણાં મૂળિયાંને વધુ ગંભીરતાથી લઇ રહ્યાં છે. સંગીત શીખવું, સાંભળવું કે શીખવવું પણ મેડિટેશન જેવો એક અનુભવ હોઇ શકે છે. આપણે ત્યાં મ્યુઝિક થેરાપી પર કૉલેજિઝ કે યુનિવર્સિટીમાં હજી સંગીતનો થેરાપીમાં ઉપયોગ થતો હોવાનું સાંભળવા નથી મળ્યું ,પણ આપણા શાસ્ત્રોમા સંગીતના મહત્ત્વની વાતોનો અખૂટ ભંડાર છે.

મુંબઇનાં જાણીતાં પત્રકાર, લેખક, ગાયક અને એક ઉમદા ઇન્ટરવ્યુઅર એવાં નંદિની ત્રિવેદીએ ‘સેહત કે સૂર’નામનું પુસ્તક સર્જયું છે, જેમાં વિવિધ રાગ-રાગિણી કઇ રીતે કોઇને પણ હીલ કરવા માટે લેખે લાગી શકે તેની વિગતવાર વાત કરાઇ છે. ‘હીલિંગ પાવર ઑફ મ્યુઝિક’નો આ રાગ જે યુ.એસ.એ.માં છેડાયો છે તેનો સંદર્ભ આપી જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, “વિશ્વમાં સૌથી પહેલો મ્યુઝિક થેરપી પ્રોગ્રામ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં 1944માં લોન્ચ થયો હતો. મ્યુઝિક થેરાપી માત્ર વાંચીને નહીં, અનુભવી સંગીતજ્ઞ કે યોગ્ય થેરાપિસ્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ. સ્વર, નાદ, મંત્ર, ઓમકાર, સંગીત તથા સાત ચક્રોના સંબંધને માન્યતા મળી ચૂકી છે.” તેમણે પોતે પણ પોતાની સાથે થયેલો એક અનુભવ વહેંચ્યો, જે તેમણે પોતાની એક નોંધમાં પણ ટાંક્યો છે જ્યારે તે પોતે કોઇ કારણોસર ખૂબ સ્ટ્રેસમાં હતાં અને તેમણે પોતાની મિત્રને ઘરે જવાનું નક્કી કર્યું. મિત્રએ તેમની પ્રાથમિક પરોણાગત કરી, અને પછી મેડિટેશન રૂમમાં જ્યાં મંત્રોચ્ચારનું સંગીત હતું ત્યાં થોડી વાર સુવાનું સૂચન કર્યું. એક કલાકનો સમય ક્યાં વીત્યો, તે ખબર પણ ન પડી અને કોઇપણ પ્રકારની એન્ટિ એન્ક્ઝાઇટી પિલ કે બીજી કોઇ દવા વિના મન શાંત થયું હતું. નંદિની ત્રિવેદીનાં પુસ્તક ‘સેહત કે સૂર’માં સંગીતને કારણે હીલિંગનો અનુભવ થયો હોય તેવા કિસ્સા તો ટાંકેલા છે જ, પણ સાથે કયા રાગની મન પર કે શરીર પર કેવી અસર થાય, શાસ્ત્ર સાથે જોડાયેલા નવ રસ વગેરેની પણ વિગતો આપેલી છે.

સંગીત એટલે માત્ર વાદ્યો કે ગાયન જ નહીં પણ આપણા શાસ્ત્રોમાં તો મંત્રોચ્ચાર પણ તાલબદ્ધ રીતે થાય છે. અમદાવાદ સ્થિત તેજસ રાવલ યંત્ર-મંત્ર અને તંત્રના જાણકાર અને કોસ્મિક એનર્જી હીલર છે. તેજસ રાવલનું કહેવું છે કે, “જ્યારે તમે કોઇ મંત્રોચ્ચાર કરો ત્યારે તેના શબ્દોને એક સૂર કે એક ચોક્કસ તાલમાં બોલાતા હોય છે. સ્વાભાવિક છે તેનો એક રિધમ બંધાય. હું મારી પાસે આવનારા, જેમને મંત્રોચ્ચાર પર ક્યારેક તરત વિશ્વાસ નથી બેસતો તેમને કહું છું કે માત્ર એ શબ્દોના ધ્વનિ અને રિધમને ધ્યાનમાં રાખો અને પછી તમને શું અનુભવ થાય છે તેની વાત કરો. નાદનું મહત્ત્વ બહુ મોટું છે અને એ સાબિત થયું છે કે તેનો પ્રભાવ મન, શરીર અને કર્મની દિશા પર પણ પડે છે.”

તો મુંબઇના સ્પિરિચ્યુઅલ હીલર બબિતા કકરાનિયાએ પોતાના ક્લાયન્ટ્સને સાઉન્ડ મેડિટેશનની અસરથી લાગણીઓને સંતુલિત કરતાં અને નકારાત્મકતાથી દૂર જતાં જોયાં છે. તેઓ નિયમિત પણે કોર્પોરેટ્સમાં અને નાના ગ્રૂપ્સમાં સાઉન્ડ હિલિંગ મેડિટેશનના સેશન્સ લે છે જે સાત ચક્રોને ફોકસમાં રાખીને કરાવાય છે.

ભારતમાં સંગીતના હિલીંગ પાવરની માત્ર સમજ નહીં બલકે જ્ઞાન રહેલું છે. હ્યુસ્ટનમાં જે કોર્સ શરૂ થયો તેની પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાં મ્યુઝિક થેરાપિસ્ટને બહુ ઝડપથી નોકરી મળી જાય છે અને હવે ત્યાં આ થેરાપિસ્ટની માંગ સામે ઉપલબ્ધિમાં ખેંચ પડવા માંડી છે. સંગીતની ડિગ્રી અને હેલ્થને લગતી સમજની દિશામાં શિક્ષણ આપવાનો એક કોન્શિયસ પ્રયાસ કરાયો છે, જેથી સારા મ્યુઝિક થેરાપિસ્ટ મળી રહે.

આ તો થયા ફેક્ટ્સ એટલે કે જે છે તેની વાત અને સંગીતની અઢળક શક્યતાઓના એક પાસા પર એક નજર. કોઇ ગીત વાગે અને આપણે ઝૂમી ઊઠીએ અને કોઇ ગીત વાગે અને આપણે રોઇ પડીએ તો એ બીજું કંઇ નહીં પણ સંગીતની આપણા મન પર, આપણી લાગણીઓ પરની એક અસર છે. આપણા શરીરનો પણ એક રિધમ છે, તેના વાઇબ્રેશન્સ છે – તરંગો છે અને સંગીત એક બહુ સશક્ત માધ્યમ છે જેની મદદથી આપણે શરીરના રિધમને, મનની સ્વસ્થતાને એક સંતુલિત સ્તરે લાવી શકીએ. સંગીત આખરે ક્ષમતાની વાત છે, તે કલાકાર કે પરફોર્મરના જાગૃકતાનું પ્રતિબિંબ છે અને માટે જ તેનામાં રૂઝવવાની – હીલિંગની શક્તિ છે.

બાય ધી વેઃ

સંગીતને સાથી બનાવી દેવાય તો દિવાળીનો મિજાજ દિવસમાં એકાદ વાર તો અનુભવી જ લેવાય. આ કારણોસર જ સંગીતને જીવનનો અંતરંગ ભાગ બનાવવું જોઇએ. વળી દરેક રાગ તેના પ્રહર, તેના રસ પ્રમાણે કયા રોગમાં કામ લાગી શકે તેની જાણકારી આપતા મ્યુઝિક થેરાપીના કોર્સ હ્યુસ્ટનની માફક ભારતમાં શરૂ થાય તો ય મજા પડી જાય. મનના ઘા પર સંગીતથી બહેતર મલમ બીજો ન હોઇ શકે તે માનવા માટે આપણે કોઇ સંશોધન કે ડિગ્રી કોર્સની જરૂર નથી, આપણે બધા વહેલી સવારે ઑલ ઇન્ડિયા રેડિયોનું ઓપનિંગ મ્યુઝિક, રાત્રે દૂરદર્શનના સમચારનું સંગીત અને મોડી રાત્રે હવા મહેલ સાંભળીને ઉછરેલાં છીએ, ત્યારે સંગીતની શક્તિ સમજાવવા આપણને પશ્ચિમી સમજની જરૂર નથી. હા ત્યાંથી એ શીખવું રહ્યું કે આપણી પાસે જે લખલૂટ વારસો છે તેને સાચવવો કેવી રીતે, તેનો અમલ આધુનિક યુગમાં કેવી રીતે કરવો અને તેનું મૂલ્ય કેવી રીતે કળવું.

બાકી તમારી દિવાળીમાં ધડાકા ઓછા પણ હીલિંગ સૂર અને તાલ તમારે કાને પડે એવી શુભેચ્છા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑક્ટોબર 2022

Loading

...102030...1,3111,3121,3131,314...1,3201,3301,340...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved