Opinion Magazine
Number of visits: 9458586
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને માણસજાત તરીકે હિંસા માફક આવી ગઇ છે કે આપણને સાચી પ્રતિક્રિયા નથી ખબર?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 July 2022

ગુના વિશે સાંભળીને આપણને વ્યાકુળતા નથી થતી કે આવું કેમ થયું બલકે કોની સાથે થયું, કેવી રીતે થયું તેવા સવાલો થાય છે. આપણી સંવેદનશીલતાને કાટ લાગવા માંડ્યો છે

1946ની સાલથી વિશ્વમાં યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું, યુ્દ્ધમાં માર્યા જનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે ઓછી થાય. પરંતુ શું આ પછી હિંસાનું અને માનવીય સંઘર્ષનું પ્રમાણ ઘટ્યું? બદનસીબે આનો જવાબ છે ના. યુનેસ્કોના એક અહેવાલ અનુસાર સંઘર્ષ અને હિંસાનું પ્રમાણ વધ્યું છે. પ્રાદેશિક તાણ, કાયદાનો ભંગ, આર્થિક લાભ માટે ગેરકાયદે થતી પ્રવૃત્તિ અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ્યારે જીવન જરૂરિયાતની ચીજોની તાણ પડે ત્યારે તે મેળવવા માટે પણ સંઘર્ષ થતા આવ્યા છે. 2016 પછી હિંસક સંઘર્ષનો સામનો કરનારા દેશોની સંખ્યા વધી, અને એટલી હદે વધી કે છેલ્લાં 30 વર્ષમાં આ હિંસક બનાવોની સંખ્યા જેટલી નહોતી તેટલી થઇ. જેમ કે સીરિયાના સિવિલ વૉરમાં શરૂઆતમાં આઠેક જૂથ હતા તે પછી હજારોની સંખ્યાએ પહોંચ્યા. વળી જેમ પ્રદેશોમાં હિંસા થાય તેમ હિંસાનું પ્રાદેશિકરણ પણ થાય – તેમાં રાજકારણ, આર્થિક સામાજિક અને લશ્કરના મુદ્દાઓ સરહદોને પાર પણ પ્રસરેલા હોય જેને કારણે સંઘર્ષો લાંબા ચાલે અને તેનો ઉકેલ જલદી ન આવે કારણ કે પારંપરિક રીતે તે સંઘર્ષોને રોકવાના જે પણ રસ્તા હોય તે પ્રત્યે આ પ્રકારના સંઘર્ષો પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે. આવો એક સંઘર્ષ આપણે એક રાષ્ટ્ર તરીકે કાશ્મીરમાં જોયો છે અને જોઇ રહ્યા છીએ.

આ તો થઇ એવા સંઘર્ષોની વાત જેમાં હિંસા, અરાજકતા, જાન-માલનું નુકસાન, રાજકારણ જેવું ઘણું બધું ગુંચવાયેલું છે.

પરંતુ તમે માનશો કે 2017માં આખી દુનિયામાં પાંચ લાખ લોકોના મોત હત્યા કરવાને કારણે થયા હતા – આ આંકડો સશસ્ત્ર સંઘર્ષમાં માર્યા ગયેલા 89,000 અને આતંકી હુમલાઓમાં માર્યા ગયેલા 19,000 કરતા કંઇ ગણો મોટો છે. યુ.એન.ના જે ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 16’ છે તેમાંનો એક મુદ્દો છે કે હિંસામાં થતા મોતનો આંકડો નોંધનીય રીતે ઘટાડવાનો છે, તેને સિદ્ધ કરવા માટે સામાજિક-આર્થિક-રાજકીય પરિસ્થિતિઓ બદલાય તે જરૂરી છે. જે રીતે દુનિયા આખીમાં હિંસક ગુનાઓની સંખ્યા વધી રહી છે તે જોતાં આ સિદ્ધિ જે 2030 સુધીમાં મેળવવાની છે, તે શક્ય જ નહીં બને.

જેમ આપણે ઉપર વાત કરી તેમ હિંસાના પણ અલગ અલગ પ્રકાર હોય છે – આપણા દેશમાં ગૅંગ વૉર્સ નથી થતા – અથવા તો દેખીતી રીતે એ સંઘર્ષો બહાર નથી આવતા એનો મતલબ એમ નથી કે દુનિયામાં બીજે આ પ્રકારના ગુના નથી આચરાઇ રહ્યા. અમેરિકાના બન્ને ખંડોના અલગ અલગ દેશોમાં ખૂનના બનાવો સૌથી વધુ બને છે – આખી દુનિયામાં થતા હત્યાના બનાવોમાંથી 37 ટકા જેટલા ગુના અહીં થાય છે. – તે પણ એવા પ્રદેશોમાં જે વૈશ્વિક વસ્તીમાં માંડ 13 ટકા હિસ્સો ધરાવે છે. વળી આપણે ત્યાં પણ ભાઇએ બહેનને રહેંસી નાખી, માએ બાળકોને મારી નાખ્યા, પિતાએ ભાઇના પરિવારને પતાવી દીધો, બૉયફ્રેન્ડે ધોળા દિવસે ગર્લફ્રેન્ડની હત્યા કરી, બળાત્કાર પછી બાળકી કે યુવતીની હત્યા કરી નાખી, જેવા સમાચારો કંઇ નવા નથી. બિમારુ રાજ્યો હોય, હાઇ સોસાયટી વાળા મેટ્રોઝ હોય કે પછી મધ્ય ભારત હોય – બધે જ, બધા જ પ્રકારના હિંસક ગુનાઓ થાય છે. એટલું ઓછું હોય તેમ મહિલાઓ, પત્રકારો, તાજેતરમાં તો પોલીસ સામે આચરાયેલા હિંસક ગુનાઓના સમાચારો આપણે માટે નવા નથી. આવા કિસ્સાઓ વિદેશમાં પણ બને જ છે.

અચાનક જ હિંસાના આંકડાની ચર્ચા શા માટે? આપણે બધા ડિજિટલી સતત પ્રવૃત્ત રહીએ છીએ – ગમે કે ન ગમે પણ એક હકીકત એ છે કે હત્યા-મારપીટ જેવી કોઇ પણ હિંસાને લગતું ‘કોન્ટેન્ટ’ હાથ લાગે તો એની પર નજર કરી લેવાનું આપણને કઠતું નથી. હિંસાનું પ્રમાણ અને સ્વરૂપ બન્ને બદલાતા રહ્યાં છે – કોઇને ભાંડવાથી માંડીને ધમકી આપવી, કોઇને અપમાનિત કરવા, કોઇની ઉશ્કેરણી કરવી, મારઝૂડ કરવાથી માંડીને હત્યા સુધીની ઘટનાઓ થકી હિંસા આચરાય છે. કમનસીબે હિંસાનું આ વમળ આપણી પર પણ અસર કરે છે. હિંસા કેવી છે, તેની તીવ્રતા વધારે છે કે ઓછી છે તે બધાને આધારે આપણે માણસજાત તરીકે તેની ગંભીરતા કે ક્ષુલ્લકતાને નાણવા લાગ્યા છીએ. હિંસા ક્યાં આચરાઇ છે, તેમાં કયા વર્ગના લોકો સામેલ છે, હત્યા કેટલી ક્રૂર રીતે કરાય છે, જે પણ ગુનામાં સામેલ હતા તે – ભોગ બનનારા અને ગુનો આચરનારા તેમની સમાજમાં પ્રતિષ્ઠાથી માંડીને તેમના રાજકીય ઝૂકાવને સુધ્ધાં આપણે ગણતરીમાં લઇએ છીએ – કમનસીબે આપણે તો ધર્મનો પણ આ લિસ્ટમાં ઉમેરો કરીએ છીએ. હિંસાના બનાવ પ્રત્યે આપણી પ્રતિક્રિયા આ બધા પરિમાણોને આધારે નક્કી થાય છે. ઘણીવાર આપણે એવી હિંસાની વાત આવે ત્યારે એવો પ્રતિભાવ સાંભળીએ કે – “આવું તો થાય જ છે ને વળી, ચાલે આ તો” – એવો જ હિંસક બનાવ – અથવા તો રાજકીય સંઘર્ષની સ્થિતિ ક્યાંક બીજે બને તો આપણા કાટલાં બદલાઇ જાય છે કારણ કે એ આપણું ‘કન્ડિશનિંગ’ છે. વળી ચર્ચાઘેલા આપણને આપણો અભિપ્રાય આપવાનો ઉત્સાહ ચાર ગણો હોય છે – ગુનેગાર તો પોતાને જે કાંડ કરવો છે કરીને કાં તો છટક્યો છે કાં તો પોલીસના હાથમાં છે – પણ આપણે એક સમાજ તરીકે આગવું ન્યાયાલય – ‘આપકી અદાલત’ નહીં પણ આગવી અદાલત ખોલી બેસીએ છીએ – ચર્ચા જીતવાના મોહલમાં ‘વિક્ટિમ’ – ભોગ બનનારનું શું? – એ મુદ્દાનો આખા સમીકરણમાંથી છેદ ઊડી જાય છે. વળી પોતાનો મુદ્દો જ સાચો છે એ સાબિત કરવાની હોડમાં આપણે આપણી માણસાઇ ખોઇ બેસીએ છીએ – અચાનક જ હિંસાની યોગ્યતા કે અયોગ્યતાને બદલે અરાજકતા જ ફેલાયલી રહે તે આપણને માફક આવી જાય છે. બીજાઓ સાથે આચરાતી હિંસાનો સીધો કે આડકતરો હિસ્સો બનવાનું પણ આપણને ફાવી ગયું છે. ટૂંકમાં આપણા પેટનું પાણી નથી હલતું, આપણે નિંભર થઇ ગયા છીએ. ગુના વિશે સાંભળીને આપણને વ્યાકુળતા નથી થતી કે આવું કેમ થયું બલકે કોની સાથે થયું , કેવી રીતે થયું તેવા સવાલો થાય છે. આપણી સંવેદનશીલતાને કાટ લાગવા માંડ્યો છે. હિંસાને મામલા આપણો અભિગમ ‘કોણ ગયું છે’ તેના આધારે નક્કી થઇ રહ્યો છે, એક સ્વસ્થ સમાજ માટે આ લાલ બત્તી છે.

બાય ધી વેઃ

આપણી માનસિકતામાં આવેલો બદલાવ એક બાબત છે તો બીજી બાબત છે કે ગુના આચરનારાઓ પાસે હવે વિકલ્પો વધ્યા છે. ટૅક સૅવી બનેલા આતંકીઓ હોય કે સિરિયલ કિલર્સ કે પછી કોઇ છોકરીને ડરાવનારો પૂર્વ પ્રેમી તેમની પાસે ડેટા છે. વૈશ્વિક દૃષ્ટિએ વાત કરીએ તો બાયોલૉજિકલ હુમલાઓ અને ન્યુક્લિઅર હથિયારો આધુનિક યુગની શોધ છે, સાઇબર અટેક્સ આંતરરાષ્ટ્રીય વૉર ફૅરનું હથિયાર બન્યા છે. માણસની પ્રતિક્રિયાની પણ જુદી જ હોય છે, માન્યામાં ન આવતું હોય તો તમે પોતે જ આ સવાલનો જવાબ જાતને આપજો – કોઇનું આર્મીમાં શહીદ થવું, કોઇ ગુનેગારનું એન્કાઉન્ટર થવું, વિદેશમાં ક્યાંક અંધાધૂંધ ગોળીબારી થવી, કોઇ મુસલમાનનું લિન્ચિંગમાં મોત થવું, કોઇ ક્લબમાં બળાત્કાર કે પછી કોઇ ગામડામાં એક કોમ દ્વારા બીજી કોમની છોકરી સાથેનું બેહૂદું કૃત્ય, કોઇ દલિતની ઘોડસવારી બદલ હત્યા કે પછી કાશ્મીરમાં થતી હિંસા – આ દરેકમાં ઘટના હિંસા છે – નકરી હિંસા … શું તમારી પ્રતિક્રિયા એ તમામ પ્રત્યે ઓછા વત્તા પ્રમાણમાં સહાનુભૂતિની છે કે પછી વિગતો પ્રત્યેની ઉત્સુકતા છે કે પછી ‘આપણે કેટલા ટકા’ની છે. – જવાબ કહેશે કે તમારામાં માણસાઇ કેટલી બચી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 જુલાઈ 2022

Loading

“તું તારું કર” – બિન્દુમાં સિન્ધુ જેવડી વાત …

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|24 July 2022

સામાન્ય વાતચીતમાં આપણે ઘણીવાર બીજાઓને એમ કહેતા હોઈએ છીએ કે “તું તારું કર”. આમ તો આપણે કોઈ વિશેષ પ્રયોજન કે આશય વિના સહજ ભાવે આમ બોલતા હોઈએ છીએ, પણ જો આ સૂત્ર પાછળનો ભાવાર્થ જાણવા પ્રયાસ કરીશું તો ખ્યાલ આવશે કે આ લઘુસૂત્રને જીવનનો મૂળમંત્ર બનાવીએ તો વ્યક્તિવિશેષ અને રાષ્ટ્ર સમસ્ત માટે ઝાઝી માથાકૂટ વિના અપ્રતિમ પરિણામો હાંસલ કરી શકાય એમ છે. વસ્તુત: આ ત્રિઅક્ષરી લઘુસૂત્ર જીવનનો મૂળમંત્ર છે એ કદાચ બોલતી વખતે આપણી જાણ બહાર હોય છે.

આવો, આપણે ગાગરમાં સાગર જેવા આ ત્રણ શબ્દો કેટલું અર્થગાંભીર્ય ધરાવે છે તેની વાત કરીએ. વાત સીધી-સાદી અને નાની અમથી છે. જ્યાં જ્યાં મોકો મળે ત્યાં આપણે તે કહેતા ફરતા હોઈએ છીએ કે, “બીજી બધી પંચાતમાં પડ્યા વિના તું તારું કર ને, ભાઈ”! અહીં ‘તું તારું કર’, અર્થાત તું તારા જીવન-લક્ષ્ય સિવાયની બીજી આડી-અવળી વાતોમાં પડ્યા વિના અને વાહિયાત બાબતોમાં મગજ ચલાવ્યા વિના તારે જે કરવાનું છે તેના પર તું તારું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર, જેથી કરીને તું તારું લક્ષ્યાંકિત કાર્ય તારી બધી આવડત, કુનેહ, કૌશલ્ય, ક્ષમતા અને બુદ્ધિશક્તિને કામે લગાડીને શ્રેષ્ઠ રીતે પાર પાડી શકે અને તેમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી શકે. ઉપરાંત અન્યોના કામકાજમાં દખલ નહિ કરીને તેઓને પણ તેમના કાર્ય શ્રેષ્ઠ રીતે કરવામાં મદદ કરી શકે.

કેટલી સુંદર વાત! માત્ર ત્રણ શબ્દોમાં કેટલી મોટી વાત ધરબાયેલી પડી છે! સાચે જ, આ ત્રિઅક્ષરી મંત્ર મુજબ જો પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના કામમાં પોતાનું સો ટકા ધ્યાન કેન્દ્રિત કરી પોતાની સમસ્ત શક્તિ કામે લગાડી દે તો સામાન્ય કરતાં અનેકગણું વધારે ફળદાયી પરિણામ હાંસલ કરી શકાય છે, એમાં ઝાઝી શંકા કરવાને કોઈ સ્થાન નથી. માત્ર એટલું જ નહિ, દરેક વ્યક્તિ આ તદ્દન સાદા-સીધા મંત્ર (તું તારું કર) ને પોતાનો જીવનમંત્ર બનાવી લે અને તે પ્રમાણે દરેક કાર્ય તે કરે તો કલ્પનાતીત પરિણામો હાંસલ કરી શકાય છે.

સામાન્ય રીતે અન્યોની કામગીરીમાં બિનજરૂરી દખલ કરવી એ માનવ-સહજ પ્રકૃતિ છે. આના પરિણામે કોઈ ફળદાયી નિષ્કર્ષ કે નિપજ વિના નાહકનો આપણો પોતાનો અને અન્યોનો કિંમતી સમય આપણે બગાડતા હોઈએ છીએ. વ્યક્તિ અમીર હોય કે ગરીબ, સમયનું મૂલ્ય સૌને માટે સરખું છે. આપણે ગમે તેવી વ્યક્તિ હોઈએ તો પણ વિના કારણ કોઈનો મૂલ્યવાન સમય બગાડવાનો આપણને કોઈ હક નથી. દરેકના જીવનમાં સમયનું મૂલ્ય તો હોય જ છે કોઈકને માટે ઓછું હોય તો કોઈકને માટે વધારે.

‘તું તારું કર’ એ મર્મસભર વિધાનમાં વ્યક્તિ-વિકાસની વાત તો છે જ, પરંતુ એનાથી આગળ વધી તેમાં રાષ્ટ્ર સમસ્ત અને માનવજીવનના સર્વાંગી વિકાસની વાત પણ આડકતરી રીતે ધરબાયેલી પડી છે. કોઈ વ્યક્તિ જ્યારે પોતાના કાર્યમાં પૂર્ણત: મગ્ન થઈ પોતાની તમામ શક્તિ, જ્ઞાન, જાણકારી, કાબેલિયત અને કૌશલ્યો અને શ્રમ તેમાં રેડી દઈ પોતાનાથી બનતા શ્રેષ્ઠત્તમ પ્રયાસો કરે છે ત્યારે ચોક્કસપણે તે કાર્ય તેની સંભવિત શ્રેષ્ઠ ગુણવત્તાની કક્ષાએ પહોંચે છે. આ રીતે પાર પડેલા કાર્યનો હેતુ યથાર્થ રીતે સિદ્ધ થાય છે, એટલું જ નહિ આવું કાર્ય તેના કર્તાને તો ગૌરવ અપાવે જ છે, સાથોસાથ અન્યો માટે પણ તે ઉપયોગી અને પ્રેરણાદાયી નીવડે છે. આખરે તો વ્યક્તિ કેવી રીતે કાર્ય કરે છે એ વધુ અગત્યનું છે, નહિ કે વ્યક્તિ ક્યું કાર્ય કરે છે. કાર્ય નહિ પણ કાર્ય કરવાની શૈલી વ્યક્તિને અન્યો કરતાં અલગ તારવે છે. સારી રીતે કાર્ય કરવાની સલાહ આપવી એક વાત છે અને પોતે સારી રીતે કાર્ય કરવું અલગ વાત છે. કોઈને સારી રીતે કાર્ય કરવાની સલાહ આપીએ એના કરતાં એ સલાહનો પહેલો ઉપયોગ આપણા પોતાના જ કાર્ય માટે કરીએ તો એ વધુ ઉપયોગી પુરવાર થશે. આપણી સલાહ કરતાં આપણું કાર્ય અન્યોને વધુ સારી રીતે પ્રેરિત કરી શકે છે.

આનાથી સહેજ આગળ વાત કરીએ. રાષ્ટ્રની અંદર એક સામાન્ય પટાવાળાથી માંડી પ્રધાન મંત્રી સુધી, એક સાધારણ શ્રમિકથી માંડી માલેતુજાર ઉદ્યોગકર્મી સુધીની દરેક વ્યક્તિ જો આ રીતે કાર્ય કરે તો દરેક કાર્યની કેટલી ગુણવત્તા જળવાય અને એના આધારે રાષ્ટ્ર કેટલી પ્રગતિ કરી શકે એની તમે કલ્પના પણ નહિ કરી શકો ! સાર્વજનિક ચર્ચાઓમાં આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે રાષ્ટ્રના વિકાસ માટે આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઇએ. ઘણી વાર કોઈ રાષ્ટ્રના અવિકસિત રહી જવા માટે આપણે અપૂરતા સંસાધનો અને સાધનોને દોષ દેતા હોઈએ છીએ. અલબત્ત આ બધામાં સમય વેડફ્યા વિના આપણી પાસે જે કંઈ સંસાધનો-સાધનો છે તેનો ઈષ્ટત્તમ ઉપયોગ કરી “તું તારું કર” એ જીવનમંત્રને ધ્યાનમાં રાખી દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં તમામ શક્તિ, ક્ષમતા, આવડત, કૌશલ્ય અને બૌદ્ધિક કાબેલિયત વડે પોતાના લક્ષ્યાંકિત કાર્યો કરે તો ખૂબ ઉમદા પરિણામો હાંસલ કરી શકાય છે અને ટાંચા સાધનો વડે પણ રાષ્ટ્ર બહુ ઝડપથી પ્રગતિ કરી શકે એમાં શંકા કરવા જેવું લાગતું નથી. અસ્તુ.

ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

લોકો ભયભીત રહે એમાં શાસકોનું સ્થાપિત હિત હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 July 2022

આખરે મહમ્મદ ઝુબેરનો જામીન ઉપર છુટકારો થયો, પણ એને માટે સર્વોચ્ચ અદાલતે ખાસ જહેમત ઉઠાવવી પડી. બુધવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે જામીનનો આદેશ આપતા તાકીદ કરી હતી કે આજે (બુધવારે જ) સાંજ સુધીમાં કોઈ પણ સંજોગોમાં ઝુબેરને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેની જાણ અદાલતને કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ આટલું કષ્ટ ઉઠાવવું પડ્યું એનું કારણ એ છે કે આ પહેલાં પણ દિલ્હીની વડી અદાલતે ઝુબેરની જામીનઅરજી માન્ય રાખીને આદેશ આપ્યો હતો કે તેને તાત્કાલિક છોડવામાં આવે. સરકારે આદેશનું પાલન કરવાની જગ્યાએ ઝુબેર ઉપરના આરોપમાં એક વધુ આરોપ ઉમેર્યો હતો અને તેને છોડ્યો નહોતો. ઝુબેરે તેની સામે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી અને સરકાર વધુ કોઈ ચાલાકી ન કરી શકે એ માટે આજે સાંજે જ છોડવામાં આવે અને અદાલતને તેની જાણ કરવામાં આવે એવી તાકીદ કરી હતી.

રાજકીય કારણસર પકડવામાં આવેલી વ્યક્તિને ન છોડવી હોય અને અદાલતે છોડવાનો હુકમ આપ્યો હોય તો બે ચાલાકી વાપરવામાં આવે છે. એક છે એક પછી એક આરોપ ઉમેરતાં જવાનું. કેટલીક વાર તો આરોપીને છોડવામાં આવે અને તે જેવો જેલની બહાર પગ મૂકે કે તરત નવા ગુનામાં તેને પાછો પકડવાનો. નવી ઘોડી નવો દાવ. વળી પાછો પેલો આરોપી અપીલ કરે, અપીલમાં જજ બીકાઉ કે ડરપોક માટીપગો હોય તો જામીન ન આપે એટલે ઉપલી અદાલતમાં જવાનું, અનેક તારીખો આપવામાં આવે અને એ રીતે ચાર-છ મહિના ખેંચી કાઢવાના. બીજી તરકીબ છે; “હશે, અદાલતે આદેશ આપ્યો હશે પણ અદાલતનો આદેશ હજુ સુધી અમને નથી મળ્યો.” અદાલતથી જેલમાં આદેશ પહોંચતા આ યુગમાં દિવસોના દિવસો લાગે છે. આજના ડિજીટલ યુગમાં માત્ર બે સેકન્ડમાં ભારતથી અમેરિકા મેસેજ પહોંચે છે પણ જેલના સત્તાવાળાઓને દિવસોના દિવસો સુધી અદાલતોના આદેશ નથી પહોંચતા.

આ બધું એ વ્યક્તિને સતાવવા માટે નથી કરવામાં આવતું જેની ધરપકડ કરવામાં આવી હોય, આ બધું દેશના નાગરિકોનેને ચેતવવા માટે અને ડરાવવા માટે કરવામાં આવે છે. જો અમારી વિરુદ્ધ બોલશો તો ઝુબેર જેવા હાલ થશે. ઘણા લોકો ડરી જતા હોય છે અને જો આવું વારંવાર કરવામાં આવે અને તે પણ માત્ર વિધર્મીઓ સામે જ નહીં, પણ શાસકોનો વિરોધ કરનારા સહધર્મીઓ સામે પણ કરવામાં આવે ત્યારે લોકો વધુ ડરી જતા હોય છે. એ માટે તો ગુજરાતની પોલીસે અવિનાશ દાસ નામના ફિલ્મનિર્માતાની પણ ધરપકડ કરી છે. આરોપ શું છે? તો કહે તેણે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની વિવાદાસ્પદ અધિકારી સાથેની તસ્વીર વાયરલ કરી હતી. ડરાવો, પ્રજાને ડરાવો મોટા ભાગના લોકો ચૂપ થઈ જશે.

લોકો ભયભીત રહે એમાં શાસકોનું સ્થાપિત હિત હોય છે અને આપણું બંધારણ ઘડનારા લોકોએ નાગરિકને નિર્ભય કર્યો છે. નિર્ભય નાગરિકની નિર્ભયતા જળવાઈ રહે એની તજવીજ કરી છે અને ન્યાયતંત્રને અને એમાં પણ ખાસ કરીને સર્વોચ્ચ અદાલતને કહેવામાં આવ્યું છે કે નાગરિકની સ્વતંત્રતા અબાધિત રહેવી જોઈએ અને એ જોવાનું કામ તમારું છે. આ બાજુ  અદાલતો નાગરિકની સ્વતંત્રતા અને નિર્ભયતાની રખેવાળી ન કરી શકે એની પણ તજવીજ કરવામાં આવે છે. એક છે જજોની નિયુક્તિ નહીં કરીને અદાલતોને કેસના ભરાવાથી કચડી નાખવાની. બીજું છે લાંબીલાંબી અને કારણ વિનાની દલીલો કરીને કેસને ગૂંચવવાનો અને અદાલતનો સમય બરબાદ કરવાનો. ત્રીજું છે, પોતાના વળના જજોની નિયુક્તિ અને જો કોઈ ખુદ્દાર જજ આવી ચડ્યો હોય તો ઉપલી અદાલતમાં બઢતી નહીં કરવાની. અને ચોથું છે જજોને જ લાલચ આપવાની, ખરીદવાના અને ડરાવવાના. એક વાર વર્તુળ પૂરું થઈ ગયું પછી દેશમાં લોકતંત્રનું કલેવર રહે આત્મા મરી જાય. શાસકોને ડર આત્માનો છે, કલેવરનો નથી. કલેવર તો ઊલટી પ્રતિષ્ઠા આપે છે. જુઓ અમારો દેશ લોકતાંત્રિક છે. આ સિવાય લોકપ્રતિનિધિગૃહોના કામકાજનો સમય ઘટાડતા જઇને અને જેટલો સમય ગૃહ ચલાવવું પડે એમ હોય ત્યારે ચર્ચા નહીં કરવા દઈને જવાબદેહીથી છટકતા રહેવાનું. ઝુબેર અને દાસનો પ્રશ્ન લોકસભામાં કે અન્યત્ર કોઈ ઉઠાવી જ ન શકે.

માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું કે આજે ને આજે જ છોડવામાં આવે. કોઈ નવી વાત નહીં. પણ આવા અપવાદો ક્યાં સુધી મળતા રહેશે? નીચેથી ચંદ્રચૂડોની ભરતી થતી બંધ થઈ જશે અને ગોગોઈ મહાશયોની થવા લાગશે એ પછી અદના નાગરિકનું કોણ? માટે નિર્ભય પણ સરવાળે અદનો નાગરિક કેટલો ઓથ વિનાનો છે એનું પ્રદર્શન કરવામાં આવે છે કે જેથી બાકીના લોકો મોઢું ખોલતા પહેલાં કે કોઈ ચીજ વાયરલ કરતાં પહેલાં સો વાર વિચારે.

ગયા અઠવાડિયે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એક સમારંભમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન કિરણ રિજીજુની હાજરીમાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અંતરાત્માનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. અહીં આપણે અશોક ગેહલોતને અને કાઁગ્રેસના બીજા નેતાઓને સવાલ પૂછવો જોઈએ કે તમે ચાર દાયકા સુધી રાજ કર્યું ત્યારે સુદ્રઢ લોકતંત્રની પરિપાટી વિકસાવી હોત તો આવા દિવસો આવ્યા હોત? ઢાંચો તમે કમજોર કર્યો હતો જેનો તમારા અનુગામીઓ લાભ લઈ રહ્યા છે.

બંધારણસભાના સમાપન સત્રમાં બંધારણને દેશ સમક્ષ પ્રસ્તુત કરતા કરેલા આખરી પ્રવચનમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું કે જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ પણ લોકતંત્રની કોઈ બાંયધરી ન આપી શકે, જો શાસકોનો ઈરાદો મલીન હોય તો. એની સાથે શ્રેષ્ઠ શાસકો પણ હોવા જોઈએ. એવા શાસકો જેઓ સ્વેચ્છાએ લોકતંત્રને વરેલા હોય અને સામે ચાલીને મર્યાદાનું પાલન કરીને તંદુરસ્ત લોકતાંત્રિક પરિપાટી વિકસાવે. લોકશાહી માટે બંધારણ કરતાં પરિપાટી વધારે પરિણામકારી નીવડે એમ વિશ્વપ્રસિદ્ધ બ્રિટિશ બંધારણવિદ્ આઈવર જેનિંગ્સે કહ્યું હતું એ ખોટી વાત નથી. કાઁગ્રેસે પરિપાટી તો નહોતી વિકસાવી, ઉપરથી છીંડાં પાડ્યાં હતાં એ ઇતિહાસ છે. અત્યારે એ છીંડાં પહોળાં થઈ રહ્યા છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 જુલાઈ 2022 

Loading

...102030...1,3111,3121,3131,314...1,3201,3301,340...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved